Categories
વાચન સમૃદ્ધિ

પરવીન બાબી

જ. 4 એપ્રિલ, 1954 અ. 20 જાન્યુઆરી, 2005

ભારતીય હિન્દી ફિલ્મજગતનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી પરવીન બાબીનો જન્મ જૂનાગઢના નવાબ પરિવારમાં થયો હતો. પિતા વલિ મહોમદ તથા માતા જમાલ બખ્તેનું એ એકમાત્ર સંતાન હતાં. દસ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં અમદાવાદ સ્થળાંતર કર્યું. શાળાકીય શિક્ષણ અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં મેળવ્યું તથા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતકની પદવી મેળવી. 1972માં મૉડલિંગજગતમાં પદાર્પણ કર્યું. દરમિયાન નિર્માતા નિર્દેશક બી. આર.  ઇશારાના ધ્યાનમાં આવતાં 1974માં ફિલ્મ ‘ચરિત્ર’માં અભિનય કરીને અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું. 1974માં જ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘મજબૂર’માં નાયિકાના પાત્ર દ્વારા દર્શકો માટે ધ્યાનાકર્ષક અભિનેત્રી બન્યાં. ‘અમર અકબર ઍન્થની’, ‘દીવાર’, ‘સુહાગ’, ‘અર્પણ’, ‘ખુદ્દાર’, ‘મહાન’, ‘ક્રાન્તિ’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. 70 અને 80ના દશકમાં સૌથી વધુ વળતર લેતાં અભિનેત્રી તરીકે ફિલ્મજગતમાં જાણીતાં બન્યાં. સુંદર તથા નિર્ભીક અભિનેત્રી પરવીન બાબી પોતાના આધુનિક દેખાવ તથા સ્વતંત્ર અભિગમથી જાણીતાં હતાં. 1976માં ‘ટાઇમ’ મૅગેઝિનના મુખપૃષ્ઠ પર પરવીન બાબીની તસવીર છપાઈ, જે ભારતીય અભિનેત્રી માટેની પ્રથમ ઘટના હતી. પરવીન બાબીનું અંગત જીવન ઘણું ચર્ચાસ્પદ તથા દુઃખી રહ્યું. અતિ સંવેદનશીલ આ અભિનેત્રીનું બાળપણ ઘણું કપરું રહ્યું હતું. પ્રણયસંબંધોમાં અનેક નિષ્ફળતા એમના માનસિક રોગોનું કારણ બની. 1983માં તેમણે ફિલ્મકારકિર્દી છોડીને અમેરિકા સ્થળાંતર કર્યું અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ શરૂ કર્યું, પરંતુ પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆ માનસિક રોગને કારણે તેઓ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યાં નહિ અને 1989માં ભારત પાછાં ફર્યાં. ત્યારબાદ એમનું જીવન એકલતા, હતાશા તથા માનસિક બીમારીમાં વીત્યું. 2005માં જૂહુના એમના નિવાસસ્થાનમાં તેઓ મૃત અવસ્થામાં મળ્યાં. અતિ સુંદર, મોહક તથા પ્રતિભાશાળી પરવીન બાબી એમના સમયમાં વિશેષ ખ્યાતિ પામ્યાં. ફિલ્મજગતમાં અવિસ્મરણીય અભિનેત્રી તરીકે પરવીન બાબીનું સ્થાન અવિચળ છે.

Categories
વાચન સમૃદ્ધિ

મણિબહેન પટેલ

જ. 3 એપ્રિલ, 1903 અ. 26 માર્ચ, 1990

ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલનાં પુત્રી મણિબહેનનો જન્મ કરમસદમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ બોરસદની પ્રાથમિક શાળામાં થયું. પછી મુંબઈની ક્વીન મેરી હાઈસ્કૂલ અને કૉન્વેન્ટમાં અભ્યાસ કર્યો. વલ્લભભાઈ વિદેશથી આવી અમદાવાદમાં સ્થાયી થયા. મણિબહેનને પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મૂકવામાં આવ્યાં. 1920માં અસહકારના આંદોલનને લીધે શાળા છોડી, પરંતુ ફરીથી ગૂજરાત વિદ્યાપીઠમાંથી ભાષાવિશારદ થયાં તેમજ વિનીત પરીક્ષા પાસ કરી. સત્યાગ્રહ આશ્રમમાં રહેતાં હતાં ત્યારે કાંતવા-પીંજવાની સ્પર્ધાઓમાં ઇનામો મેળવ્યાં હતાં. પિતાની સાથે સ્વતંત્રતાની લડતમાં જોડાયાં. તેમણે અસહકારના આંદોલન તેમજ મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેઓ ઘણી વખત જેલમાં રહ્યાં હતાં. 1942માં યરવડા સેન્ટ્રલ જેલમાં કેદ રાખવામાં આવ્યાં હતાં. 1930થી પિતાના અંગત સચિવ તરીકે કામ કર્યું. રસોઈ અને સફાઈથી લઈને વલ્લભભાઈની મિટિંગો અને પત્રવ્યવહાર સુધીનાં બધા કામો તેમણે કર્યાં. વલ્લભભાઈ મણિબહેને કાંતેલ ખાદીમાંથી બનેલાં વસ્ત્રો પહેરતા. તેમનું જીવન સાદગીસભર હતું. તેઓ હંમેશાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરતાં. તેઓ 1952માં દક્ષિણ ખેડાની અને 1957માં આણંદની બેઠક પરથી લોકસભામાં ચૂંટાયાં. 1962માં આણંદની બેઠક પરથી હાર્યાં. એ પછી 1973માં સાબરકાંઠાની અને 1977માં મહેસાણાની બેઠક પરથી લોકસભાનાં સભ્ય ચૂંટાયાં. 1964થી 1970 સુધી રાજ્યસભાનાં સભ્ય હતાં. તેઓ 1954થી 1964 સુધી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ હતાં. તેઓ કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડની સંચાલક સમિતિનાં સભ્ય તેમજ ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડનાં સભ્ય હતાં. તેઓ ગૂજરાત વિદ્યાપીઠ, બારડોલી સ્વરાજ આશ્રમ ટ્રસ્ટ, મહાદેવ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી હતાં. તેમણે ‘કસ્તૂરબા : વાણી અને વિચાર’ તથા ‘બોરસદ સત્યાગ્રહ’ પુસ્તકો લખ્યાં છે. ‘મણિબહેનને પત્રો’ તથા ‘સરદાર વલ્લભભાઈ પટેલને પત્રો’ સંપાદિત ગ્રંથો આપ્યા છે. આ ઉપરાંત ‘સરદાર્સ કૉરસ્પૉન્ડન્સ’(10 ગ્રંથો)નું સંપાદન કર્યું છે. એમનું પુસ્તક ‘ઇન્સાઇડ સ્ટોરી ઑવ્ સરદાર પટેલ : ધ ડાયરી ઑવ્ મણિબહેન પટેલ 1936-50’ ખાસ ઉલ્લેખનીય છે.

Categories
વાચન સમૃદ્ધિ

જયા દેસાઈ

જ. 2 એપ્રિલ, 1933 અ. 23 ડિસેમ્બર, 2010

ગુજરાત મૂળનાં બ્રિટનનાં પ્રખ્યાત મજૂર સંગઠન નેતા જયાબહેનનો જન્મ આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં થયો હતો. 22 વર્ષની ઉંમરે સૂર્યકાંત સાથે લગ્ન થયાં. 1956માં પૂર્વ આફ્રિકાના તાન્ઝાનિયામાં ગયાં. ત્યાંથી 1967માં બ્રિટનમાં આવ્યાં. તેમણે બ્રિટનમાં સીવણ મશીન કામદાર તરીકે કાર્ય કર્યું, પછી ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસિંગ લૅબોરેટરીમાં જોડાયાં. અહીં એશિયન મહિલાઓની સંખ્યા વધુ હતી. તેમને ઓછો પગાર આપી વધુ કામ કરાવવામાં આવતું. ભારે વજન ઊંચકવા જેવાં કામ પણ મહિલાઓએ કરવાં પડતાં. રેસ્ટરૂમમાં જવા માટે પણ પરવાનગી લેવી પડતી. ફરજિયાત ઓવરટાઇમ કરાવવામાં આવતો. 20 ઑગસ્ટ, 1976ના રોજ જયાબહેનને ઑવરટાઇમ કરવાની સૂચના આપવામાં આવી. અગાઉથી જાણ કરી ન હોવાથી તેમણે ના પાડી અને પુત્ર સુનિલ સાથે નીકળી ગયાં. મૅનેજર સાથે બોલાચાલી થતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે આ ફૅક્ટરી નથી, પ્રાણીસંગ્રહાલય છે. અહીં કેટલાક વાંદરાઓ છે જે તમારે ઇશારે નાચે છે. બાકીના સિંહ છે. અમે સિંહ છીએ. કામદારોમાં વાત ફેલાતાં થોડા દિવસોમાં બીજા કામદારો પણ વિરોધમાં જોડાયા. ગ્રુનવિકમાં યુનિયનને મંજૂરી નહોતી. જયાબહેનનો પુત્ર સુનિલ મજૂર પક્ષના આગેવાનને મળ્યો. તેમણે એપેક્સ યુનિયનનો સંપર્ક કરાવ્યો. આથી કામદારોને હડતાળનો પગાર મળ્યો. એક વર્ષ પૂરું થતાં સુધીમાં 20,000થી વધુ લોકો સમર્થનમાં આવ્યા. હડતાળના સમાધાન માટે ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી. તેણે હડતાળને વાજબી ગણાવી. ફૅક્ટરીના માલિકે ન માન્યું. યુનિયનોએ પણ પીછેહઠ કરી. આથી હડતાળ સમેટવી પડી. એ પછી જયાબહેને બીજે નોકરી કરી. ત્યારબાદ હૅરો કૉલેજમાં અધ્યાપન કર્યું. 60 વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી. 14 ડિસેમ્બર, 2016ના રોજ ‘બીબીસી રેડિયો ફોર’ના વુમન્સ અવર દ્વારા 2016ના પાવર લિસ્ટમાં જયાબહેનનો સમાવેશ કરવામાં આવ્યો. ડેવિડ મેન્સેલે જયાબહેનનું પૉર્ટ્રેટ બનાવ્યું હતું. જે નૅશનલ પૉર્ટ્રેટ ગૅલરી, લંડને ખરીદ્યું. હડતાળ પર આધારિત નાટક ‘વી આર ધ લાયન્સ મિસ્ટર મૅનેજર’ ટાઉનસેન્ડ થિયેટર દ્વારા રજૂ કરવામાં આવ્યું. તેમના કાર્ય વિશે એક કૉમિક સ્ટ્રિપ બનાવવામાં આવી. જયાબહેન અને ગ્રુનવિક હડતાળ અંગેની ડૉક્યુમેન્ટરી યૂ-ટ્યૂબ પર 7 ફેબ્રુઆરી, 2021ના રોજ ‘સ્ટ્રાઇકર્સ ઇન સારીસ’ પ્રસારિત કરવામાં આવી. 2007માં તેમને GMB જનરલ ટ્રેડ યુનિયન દ્વારા સુવર્ણચંદ્રકથી સન્માનવામાં આવ્યાં હતાં.