Categories
વાચન સમૃદ્ધિ

રુડ્યાર્ડ કિપ્લિંગ

જ. 30 ડિસેમ્બર, 1865 અ. 18 જાન્યુઆરી, 1936

અંગ્રેજ કવિ, નવલકથાકાર અને વાર્તાકાર રુડ્યાર્ડ કિપ્લિંગનો જન્મ મુંબઈમાં થયો હતો. ઓગણીસમી સદીના અંગ્રેજ કથા- સર્જકોમાં તેઓ આગવું સ્થાન ધરાવે છે. પિતા જ્હોન કિપ્લિંગ અને માતા ઍલિસ કિપ્લિંગ. પિતા તે સમયે મુંબઈ યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગના વડા હતા. રુડ્યાર્ડ કિપ્લિંગે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઇંગ્લૅન્ડમાં લીધું. ઉચ્ચશિક્ષણ મેળવવા યુનાઇટેડ સર્વિસીઝ કૉલેજ, વેસ્ટવર્ડ હો ખાતે પ્રવેશ મેળવ્યો, પરંતુ સ્નાતકની પદવી મેળવવામાં રુચિ ન રહેતાં પત્રકારત્વ ક્ષેત્રે ઝંપલાવ્યું. તે સમયે પિતા લાહોરમાં હતા આથી 1882માં સ્થાનિક સમાચારપત્ર સિવિલ અને ગૅઝેટના મદદનીશ તંત્રીપદે જોડાયા ત્યારથી તેમની સાહિત્યજીવનની શરૂઆત થઈ. 1886માં પહેલો કાવ્યસંગ્રહ ‘ડિપાર્ટમેન્ટલ ડિટ્ટિસ’ પ્રકાશિત કર્યો. 1887 સુધીમાં 39 વાર્તાઓ ગૅઝેટ માટે લખી. 1887ના નવેમ્બરમાં કિપ્લિંગની બદલી અલાહાબાદમાં થઈ. ત્યાં તેઓ ‘ધ પાયોનિયર’ નામના સમાચારપત્ર સાથે જોડાયા. 1888માં ટૂંકી વાર્તાઓના છ સંગ્રહો બહાર પાડ્યા, તેમાં 41 વાર્તાઓ હતી. 1891ના પાછળના ભાગમાં અંગ્રેજો ભારતમાં હતા ત્યારની વાર્તા ‘લાઇફ્સ હૅન્ડિકૅપ’માં લખી. ‘રિસેશનલ’ કાવ્યથી તેમની કીર્તિ ખૂબ વધી. 1932માં તેમણે આત્મકથાનક ‘સમથિંગ ઑવ્ માયસેલ્ફ’ લખ્યું. તેમની સૌથી લોકપ્રિય બનેલી કૃતિ તે 1894 અને 1895માં બે ભાગમાં લખાયેલી ‘જંગલબુક’ તેમાં પશુપક્ષીઓના દૃષ્ટાંતથી તેમણે બાળકોને શિષ્ટ વાંચન પૂરું પાડ્યું છે. બીજું એક લોકપ્રિય સર્જન ‘કીમ’ છે. તે તેમની શ્રેષ્ઠ નવલકથા છે. તેમાં કુમારજીવનનાં સાહસોથી ભરેલી રસિક વાતો છે. તે વિશ્વસાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તેઓ પ્રખર રાષ્ટ્રવાદી હતા. બ્રિટિશ સામ્રાજ્યના પ્રશંસક હોવા છતાં એકહથ્થુ સત્તાની આલોચના કરતા. 1907માં તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તે મેળવનાર તેઓ પ્રથમ અંગ્રેજ સાહિત્યકાર હતા. 1936માં તેઓ લંડનમાં અવસાન પામ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

રામાનંદ સાગર

જ. 29 ડિસેમ્બર, 1917 અ. 12 ડિસેમ્બર, 2005

ફિલ્મ અને ટીવી સિરિયલ ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક, પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક રામાનંદ સાગરનું મૂળ નામ તો ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું હતું. પિતા દીનાનાથ ચોપરા સાહિત્યકાર હોવાથી બાળપણથી જ રામાનંદ પર સાહિત્યસર્જનના સંસ્કાર પડેલા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લાહોર ખાતે અને ઉચ્ચશિક્ષણ તેમણે શ્રીનગરની કૉલેજમાંથી પ્રાપ્ત કર્યું હતું. સંસ્કૃત વિષય સાથે પંજાબ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી તેમણે સુવર્ણચંદ્રક સાથે પ્રાપ્ત કરી હતી અને પર્શિયન વિષયમાં સર્વાધિક ગુણ મેળવી ‘મુનશી ફઝલ’ નામની પદવી પણ હાંસલ કરી હતી. દહેજપ્રથાનો વિરોધ કરવાના કારણસર રામાનંદ સાગરને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તેથી ભરણપોષણના સાધન તરીકે તેમણે પટાવાળા, ટ્રક-ક્લીનર અને સાબુના વિક્રેતા તરીકે પણ કામગીરી કરી હતી. રાત્રિના સમયે ભણવાનું ચાલુ રાખી એ જ સમયમાં ‘ડાયરી ઑવ્ અ ટીબી પેશન્ટ’ નામે એક સર્જનકથા લખી, જે ‘અદલ-એ-મશરિક’ નામના તત્કાલીન જાણીતા સામયિકમાં હપતાવાર પ્રસિદ્ધ થઈ હતી જે તેમની પ્રથમ કૃતિ તરીકે ખૂબ લોકપ્રિય નીવડી. રામાનંદ સાગર શરૂઆતમાં ‘દૈનિક પ્રતાપ’ અને ત્યારબાદ ‘દૈનિક મિલાપ’માં જોડાયા હતા. 1948માં તેમની નવલકથા ‘ઔર ઇન્સાન મર ગયા’ પ્રકાશિત થઈ, જે ખૂબ લોકપ્રિય બનેલી. 1951માં તેમણે સાગર આર્ટસ’ની સ્થાપના કરી અને તેના નેજા હેઠળ 1951થી 1985ના ગાળામાં તેમણે 50 ચલચિત્રોનું નિર્માણ કર્યું. ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળો’નું નિર્માણ તેમણે કર્યું હતું. દૂરદર્શન પર સળંગ 71 હપતામાં પ્રદર્શિત થયેલી દૃશ્ય-શ્રાવ્ય શ્રેણી ‘રામાયણ’ (1986-88) દેશ-વિદેશના કરોડો લોકોએ નિહાળી અને ખૂબ લોકપ્રિય રહી. ભારત સરકારે 2001માં તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા અને જમ્મુ યુનિવર્સિટીએ તેમને માનદ્ ડૉક્ટરેટની પદવી પણ અર્પણ કરી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

વિજય આનંદ ગજપતિ રાજુ

જ. 28 ડિસેમ્બર, 1905 અ. 2 ડિસેમ્બર, 1965

ભારતીય ક્રિકેટ ખેલાડી અને ‘વિઝી’ના હુલામણા નામથી ઓળખાતા મહારાજકુમાર ઑફ વિજયાનગરમના રાજવીનું પૂરું નામ રસ વિજય આનંદ ગજપતિ રાજુ હતું. તેમણે અજમેરની માયો કૉલેજ અને ઇંગ્લૅન્ડની હેલીબરી ઍન્ડ ઇમ્પીરિયલ સર્વિસ  કૉલેજમાં અભ્યાસ કર્યો. તેઓ ટેનિસ અને ક્રિકેટના ખેલાડી હતા. તેમણે 1926માં તેમની ક્રિકેટટીમ બનાવી તેમાં ભારતીય અને વિદેશી ખેલાડીઓની ભરતી કરી. 1936માં ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટટીમના તેઓ કૅપ્ટન હતા. ત્રણ ટેસ્ટમૅચોમાંથી બે મૅચ હાર્યા અને એક ટેસ્ટમૅચ ડ્રૉ થઈ હતી. તેમણે આ પ્રવાસમાં ક્રિકેટર લાલા અમરનાથને અશિસ્તભર્યા વર્તન માટે ભારત પાછા મોકલ્યા હતા. આથી ક્રિકેટજગતમાં હલચલ મચી ગઈ હતી. તેમણે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં વાઇસરૉય લૉર્ડ વિલિંગ્ડન નામ પરથી એક પેવેલિયનનું દાન આપ્યું હતું. તેમના  પ્રોત્સાહનથી કાનપુર ટેસ્ટ ક્રિકેટનું કેન્દ્ર બન્યું. તેઓ 1954થી 1957 સુધી BCCIના પ્રમુખ હતા અને વર્ષો સુધી ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેમના આમંત્રણને માન આપી સી. કે. નાયડુએ 1956-57માં ઉત્તરપ્રદેશની ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે 1948-49માં વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીથી રેડિયો કૉમેન્ટરી આપવાનું શરૂ કર્યું હતું. 1959માં તેઓ ભારતના ઇંગ્લૅન્ડપ્રવાસ વખતે બીબીસી માટે મહેમાન કૉમેન્ટેટર હતા. તેઓ મૅચનું જીવંત વર્ણન કરવા કરતાં મૅચની આલોચના કરવા માટે વધુ પ્રસિદ્ધ હતા. તેઓ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. 1944માં બનારસ યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટર ઑફ લૉની ડિગ્રી આપી હતી. તેમની યાદમાં એક આંતર ઝોનલ યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિઝી ટ્રૉફી આપવામાં આવે છે. 1958માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.