Categories
વાચન સમૃદ્ધિ

એમ. એલ. દાંતવાલા

જ. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૦૯ અ. ૮ ઑક્ટોબર, ૧૯૯૮

ભારતના પ્રખર અર્થશાસ્ત્રી મોહનલાલ દાંતવાલાનો જન્મ સૂરતમાં થયો હતો. પિતા લલ્લુભાઈ હાથીદાંતની વસ્તુઓ વેચવાનો વ્યવસાય કરતા હોવાથી તેમના કુટુંબની અટક દાંતવાલા પડી. તેમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ મહારાષ્ટ્રના ધૂળે ગામમાં કર્યો. ૧૯૩૦માં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા અને અર્થશાસ્ત્ર માટેનું જેમ્સ ટેલર પારિતોષિક મેળવ્યું. તેને કારણે ત્યાં જ તેઓ ફેલો નિમાયા. ત્યારબાદ એમ.એ. પાસ કરીને મુંબઈની યુનિવર્સિટી ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ સોશિયોલૉજીમાં દાખલ થયા. તે દરમિયાન સવિનય કાનૂનભંગની ચળવળમાં ગુપ્ત રીતે ભાગ લેવા બદલ ૧૯૩૩માં તેમની ધરપકડ કરવામાં આવી. ૧૯૪૧થી ૧૯૪૫ વચ્ચે અમદાવાદની કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું. તે દરમિયાન આંદોલનોમાં સક્રિય ભાગ લેવા બદલ અઢી વર્ષનો જેલવાસ ભોગવ્યો. ૧૯૪૬થી મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં કૃષિ-અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા. કૃષિ-અર્થશાસ્ત્રને લગતી અનેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેમણે ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતાં સામયિકોમાં તેમણે અનેક લેખો લખ્યા હતા. ઘણી અગ્રણી સંસ્થાઓની સ્થાપનામાં તેમનો મહત્ત્વનો ફાળો છે. તેમણે ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ સાયન્સીઝ રિસર્ચ, વલ્લભવિદ્યાનગર, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ, અમદાવાદ વગેરે સહિત અનેક સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દાઓ પર કામ કર્યું છે. ઘણી બધી વ્યાવસાયિક સંસ્થાઓમાં પણ તેમણે મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેઓ અનેક ઍગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સ સંસ્થાઓમાં સંપાદકમંડળના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે, જેમાં મુખ્યત્વે મુંબઈ યુનિવર્સિટીના ‘જેમ્સ ટેલર પ્રાઇઝ’, દાદાભાઈ નવરોજી મેમોરિયલ ફેલોશિપ પ્રાઇઝ તથા ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ઍવૉર્ડનો સમાવેશ થાય છે. તેમના ગ્રંથ ‘એ હંડ્રેડ ઇયર્સ ઑવ્ ઇન્ડિયન કૉટન’(૧૯૪૭)ની પ્રસ્તાવના પંડિત નહેરુએ લખી હતી. તેઓ ‘નૅશનલ પ્રોફેસર’નું બિરુદ પણ ધરાવે છે. ભારત સરકારે ૧૯૬૯માં તેમને પદ્મભૂષણનો ખિતાબ આપ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

દિલીપ ચિત્રે

જ. ૧૭ સપ્ટેમ્બર, ૧૯૩૮ અ. ૧૦ ડિસેમ્બર, ૨૦૦૯

મરાઠી અને અંગ્રેજીના પ્રસિદ્ધ કવિ, વિવેચક, નિબંધકાર, વાર્તાકાર, સંપાદક, અનુવાદક, નાટ્યકાર અને ફિલ્મકાર દિલીપ ચિત્રેએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું હતું. તેમના પિતા પુરુષોત્તમ ચિત્રે વડોદરાથી ‘અભિરુચિ’ નામનું મરાઠી સામયિક ચલાવતા હતા. ૧૯૫૧માં તેઓ મુંબઈ ગયા હતા. ૧૯૫૯માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. દિલીપ ચિત્રેએ ત્રણ વર્ષ ઇથિયોપિયામાં શિક્ષક અને એક વર્ષ અમેરિકામાં આયોવા ખાતે આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ લેખનકાર્ય કર્યું હતું. ત્યારબાદ ભારત પાછા ફરીને તેમણે પત્રકાર અને ડિઝાઇનર તરીકે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના કલાવિભાગમાં તેમજ સ્વતંત્ર રીતે કામગીરી કરી હતી. તેમણે ૧૯૭૮થી ૧૯૮૩ દરમિયાન ભોપાલમાં નિરાલા સૃજનપીઠ અને ભારતભવનમાં વાગર્થના નિયામક, નવી દિલ્હી ખાતે વાલ્મીકિ વિશ્વ કવિતા મહોત્સવના નિયામક તથા પુણેમાં ‘ન્યૂ ક્વેસ્ટ’ના સંપાદક જેવી મહત્ત્વની જવાબદારીઓ સંભાળી હતી. દિલીપ ચિત્રે તેમના ‘કવિતા’, ‘કવિતેનંતરચ્યા કવિતા’, ‘દહે બાઈ દહા’ અને ‘એકૂણ કવિતા’ ખંડ ૧-૨ જેવા કાવ્યસંગ્રહો, ‘ઑર્ફિયસ’ નામનો વાર્તાસંગ્રહ, ‘શીબા રાણીચ્ચ શોધાત’ નામના સચિત્ર પ્રવાસવર્ણન દ્વારા મરાઠી સાહિત્યજગતમાં અગ્રેસર બની રહ્યા હતા. તેમણે તુકારામના અભંગોનો ‘સે તુકા’ શીર્ષક હેઠળ અને જ્ઞાનદેવના ‘અમૃતાનુભવ’માંથી પસંદગીનાં કાવ્યોનો અનુવાદ કર્યો છે. અંગ્રેજીમાં લખેલું એક દીર્ઘકાવ્ય ‘ઍમ્બુલન્સ રાઇડ’ અને ‘ટ્રાવેલિંગ ઇન એ કેજ’ મુખ્ય છે. ૧૯૮૩માં હિંદી કથા-ફિલ્મ ‘ગોદામ’ અને કવિઓ પર બનાવેલ કેટલાંક વૃત્તચિત્રો અને શ્રેણીઓ એમનું મહત્ત્વનું પ્રદાન છે. દિલીપ ચિત્રેને મહારાષ્ટ્ર રાજ્ય કવિતા પુરસ્કાર, કહાની પુરસ્કાર, ગોદાવરી સ્મૃતિ કવિતા પુરસ્કાર તથા રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમનો સર્વોત્કૃષ્ટ ફિલ્મ પટકથા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ‘એકૂણ કવિતા’ ખંડ-૧ને ૧૯૯૪નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય પણ તેમને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

એમ. એસ. સુબ્બુલક્ષ્મી

જ. ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૦૪

અત્યંત મધુર કંઠ, સંસ્કૃત ભાષાના ઉચ્ચારની સ્પષ્ટતા, આરોહ-અવરોહની ખૂબી તથા લય અને તાલની મોહિની ધરાવતાં એમ. એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ મદુરાઈમાં એક જાણીતા સંગીત પરિવારમાં થયો હતો. તેથી બાળપણથી જ સુબ્બુલક્ષ્મીને સંગીતના સંસ્કાર મળ્યા હતા. ફક્ત ચાર ધોરણ સુધી અભ્યાસ કરી તેમણે શાળાકીય શિક્ષણ લેવાનું છોડી દીધું અને સમગ્ર ધ્યાન સંગીતસાધનામાં પરોવ્યું. કિશોરાવસ્થા સુધીમાં તો તેઓ કર્ણાટકી શાસ્ત્રીય સંગીતમાં નિપુણતા મેળવી ચૂક્યાં હતાં. ૧૯૪૦માં તેમનાં લગ્ન શ્રી ટી. સદાશિવમ્ સાથે થયાં હતાં. પતિ પાસેથી તેમને સંગીતમાં માર્ગદર્શન, મદદ અને મમતાભરી માવજત મળી. ૧૯૪૪માં મુંબઈમાં અખિલ ભારતીય સંગીત સંમેલનમાં કાર્યક્રમ રજૂ કરી તેમણે ભારતભરમાંથી આવેલા સંગીતકારોને પ્રભાવિત કર્યા હતા. સૌંદર્ય અને સૂરોનો અનોખો સંગમ ધરાવતાં આ કલાકારે ૧૮ વર્ષની ઉંમરે તમિળ ફિલ્મોમાં અભિનેત્રી તરીકે પદાર્પણ કર્યું. તેમની ફિલ્મ ‘મીરાં’એ અદભુત સફળતા પ્રાપ્ત કરી હતી. આ ફિલ્મમાં ૧૮ જેટલાં ભજનો તેમણે પોતાના સુરીલા કંઠે ગાયાં હતાં જે ખૂબ જ લોકપ્રિય બન્યાં હતાં. સુબ્બુલક્ષ્મીએ કર્ણાટકી સંગીતનું શિક્ષણ માતાથી માંડીને અરિયકુડી રામાનુજ આયંગર જેવા મહાન દક્ષિણ ભારતીય સંગીતકારો દ્વારા પ્રાપ્ત કર્યું તો દ્વિજેન્દ્રલાલ રૉય પાસેથી ઉત્તર હિન્દુસ્તાની શૈલીના ‘ખયાલ’ અને સિદ્ધેશ્વરી દેવી પાસેથી ‘ઠૂમરી’ અને ‘ટપ્પા’નું શિક્ષણ મેળવ્યું હતું. મીરાંનાં ભજનો ગાયાં બાદ સૂરદાસ, કબીર, તુલસીદાસ, નરસિંહ મહેતા વગેરે અનેક ભક્તકવિઓનાં ભજનો અને પદોને મધુર કંઠ આપ્યો હતો. તેમણે અનેક વાર ગાંધીબાપુની સમક્ષ સંગીત પીરસ્યું હતું. ૧૯૬૬માં ન્યૂયૉર્કમાં તેમણે રાષ્ટ્રસંઘની સામાન્ય સભા સમક્ષ પણ સંગીત પીરસ્યું હતું. સુબ્બુલક્ષ્મીએ દેશ-વિદેશમાં કરેલા પોતાના કાર્યક્રમો દ્વારા અનેક સંસ્થાઓને સમાજોપયોગી કાર્યો માટે લાખો રૂપિયાનું નાણાભંડોળ એકત્રિત કરી આપ્યું હતું. ૧૯૫૪માં ‘પદ્મભૂષણ’, ૧૯૫૬માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૭૪માં મૅગ્સેસે ઍવૉર્ડ, ૧૯૭૫માં ‘પદ્મવિભૂષણ’ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ૧૯૯૮માં તેમને ‘ભારતરત્ન’નો સર્વોચ્ચ ખિતાબ પણ એનાયત થયો હતો. આ સન્માન મેળવનારાં તેઓ સર્વપ્રથમ સંગીતકાર હતાં.