Categories
વાચન સમૃદ્ધિ

અમૃતલાલ હરગોવિંદદાસ

જ. ૨૯ ઑગસ્ટ, ૧૮૮૯ અ. ૧૧ માર્ચ, ૧૯૭૪

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર અમૃતલાલનો જન્મ અમદાવાદ નજીક કુહા ગામમાં થયો હતો. ગુજરાત કૉલેજમાંથી બી.એ. અને મુંબઈથી એલએલ.બી. થઈ ઈ. સ. ૧૯૧૨-૧૩માં અમદાવાદ ખાતે વકીલાતથી કારકિર્દી આરંભીને દોઢ-બે વર્ષ બાદ પિતાજીની શરાફી પેઢીમાં જોડાયા. તેમણે ઝડપથી વ્યવસાય શીખી લીધો અને ટૂંક સમયમાં કાપડમિલના માલિક બન્યા. ત્યારબાદ અમદાવાદ ટેક્સટાઇલ મિલ ઑનર્સ ઍસોસિયેશનના પ્રમુખ પણ બન્યા. ઈ. સ. ૧૯૨૭માં જ્યારે ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે હજારો મકાનો પડી ગયાં હતાં અને જાનમાલની ભારે ખુવારી થઈ હતી તે સમયે તેમણે સરદાર વલ્લભભાઈની સાથે રહીને રાહત તેમ જ પુનર્વસવાટનાં કાર્યોમાં સક્રિય ફાળો આપ્યો હતો. ગરીબ કુટુંબોને પૂરેપૂરી સહાય મળે તેવો આગ્રહ રાખ્યો હતો. ઈ. સ. ૧૯૩૬માં પિતાશ્રીના નામ પરથી અમદાવાદની પ્રસિદ્ધ એચ. એલ. (હરગોવનદાસ લખમીચંદ) કૉલેજ ઑફ કૉમર્સની સ્થાપના કરી. પોતાના સોળ વર્ષના પુત્ર બંસીલાલની સ્મૃતિમાં આણંદ ખાતેની બંસીલાલ ઍગ્રિકલ્ચરલ કૉલેજ અને ધર્મપત્નીના સ્મરણાર્થે અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ ખાતે મણિબહેન અમૃતલાલ આયુર્વેદિક કૉલેજની સ્થાપના કરી હતી. ઈ. સ. ૧૯૩૬માં બગીચા મિલનું અને ૧૯૫૬માં બગીચા મિલ નં. ૨નું સફળ સંચાલન કર્યું. ૧૯૬૭માં તેમણે બંને મિલો વેચીને જનહિતનાં કાર્યો પર લક્ષ આપ્યું. ઈ. સ. ૧૯૩૫માં શેઠ કસ્તૂરભાઈ સાથે રહી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના, ૧૯૪૯માં ગુજરાત વેપારી મહામંડળની સ્થાપના અને ૧૯૫૪માં ગુજરાત રેલરાહત સમિતિનો પ્રારંભ – આ એમનું વ્યાપાર-ઉદ્યોગ અને શિક્ષણ-સમાજ તરફ દૃષ્ટિસંપન્ન યોગદાન છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવા સ્થાપેલા ટ્રસ્ટફંડમાં ૪૨ લાખ રૂ.નો ફાળો તેઓએ એકઠો કર્યો હતો. અમદાવાદને વાડીલાલ હૉસ્પિટલ માટે તેમણે ૧૪ લાખ રૂ.નો ફાળો આપ્યો હતો. ગુજરાતના બધા જ પ્રાણપ્રશ્નોમાં તેઓએ સક્રિય રસ દાખવ્યો હતો. તેમના મહાત્મા ગાંધી, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, કસ્તૂરભાઈ લાલભાઈ, ગણેશ માવલંકર સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હતા અને રાષ્ટ્રીય હેતુ માટે મુક્તપણે દાન આપતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ઉસ્તાદ વિલાયતખાંસાહેબ

જ. ૨૮ ઑગસ્ટ, ૧૯૨૮ અ. ૧૩ માર્ચ, ૨૦૦૪

ભારતીય શાસ્ત્રીય પરંપરાના જાણીતા સિતારવાદક. સંગીતનિર્દેશક, સિતારવાદક ઉસ્તાદ ઇનાયતખાં તથા શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા નસીરન બેગમના પુત્ર વિલાયતખાં મોખરાના સિતારવાદકોમાં સ્થાન ધરાવે છે. માતા-પિતા – બંનેનાં કુટુંબો પેઢીઓથી સંગીતની સાધના તેમજ વ્યવસાયમાં હોવાને કારણે વિલાયતખાંના જીવનનું એકમાત્ર ધ્યેય સંગીત હતું. સંગીતોપયોગી કંઠ ધરાવવા છતાં વિલાયતખાં કંઠ્ય સંગીતને બદલે સિતારવાદન તરફ વળે એવી એમનાં માતાની ઇચ્છાને વશ એમણે સિતારવાદનની તાલીમ લેવાની શરૂઆત કરી. દાદાના નામથી બનેલું ઇમદાદખાની ઘરાનું વિલાયતખાંની સિતાર સાથે વધુ લોકપ્રિય બન્યું. તેર વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં એમની ઉપર કૌટુંબિક જવાબદારીઓ આવી પડવાને કારણે કિશોર વયમાં અનેક કષ્ટો વેઠવાં પડ્યાં. જે દુ:ખોની પીડાની અનુભૂતિને કારણે એમના સંગીતમાં લાગણી પણ વાચા પામતી હતી એવું તેઓ કહેતા. પિતાના અવસાન પછી કાકા વાહિદખાં તથા નાના બંદેહસન પાસે સંગીતની તાલીમ લીધી. ગાયકી અંગેનું સિતારવાદન એ એમની આગવી ઓળખ હતી. અત્યંત સ્વાભિમાની તેમજ અલગ મિજાજના સિતારવાદક એવા વિલાયતખાંએ ભારત સરકાર તરફથી મળતા પદ્મભૂષણના સન્માનનો અસ્વીકાર કર્યો હતો. ‘આફતાબ-એ-સિતાર’, ‘ભારત સિતાર સમ્રાટ’, ‘સન ઑફ ધ સિતાર’ જેવાં સન્માનો એમણે સ્વીકાર્યાં હતાં. એમના પુત્ર શુજાતહુસેનખાં, હિદાયતખાં પણ ખ્યાતનામ સિતારવાદક છે. સત્યજિત રેની ફિલ્મ ‘જલસાઘર’માં વિલાયતખાં દ્વારા સ્વરબદ્ધ થયેલું પશ્ચાદભૂ સંગીતે ફિલ્મની કલાત્મકતાને વધુ નિખારી હતી. વિલાયતખાંના શિષ્યોમાં કાશીનાથ મુખરજી, અરિંવદ પરીખ, હસુ પટેલનો સમાવેશ થાય છે. ફેફસાંના કૅન્સરની બીમારીના કારણે એમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ડોન બ્રેડમેન

જ. ૨૭ ઑગસ્ટ, ૧૯૦૮ અ. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૦૧

‘ડોન’ના ઉપનામથી જાણીતા ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેનને ક્રિકેટના ઇતિહાસના સર્વોત્કૃષ્ટ બૅટ્સમૅન તરીકે ઓળખવામાં આવે છે. એની ટેસ્ટમૅચની બૅટિંગ સરેરાશ ૯૯.૯૪ છે, જે કોઈ પણ સ્પર્ધા માટે ઘણી મોટી સિદ્ધિ ગણાય છે. ઑસ્ટ્રેલિયાનાં લોકગીતોમાં જુવાન ડોનાલ્ડ બ્રેડમેનની સિદ્ધિનાં ગીતો સાંપડે છે. વીસ વર્ષની એની કારકિર્દીમાં ડોનાલ્ડ બ્રેડમેનની ઝંઝાવાતી બૅટિંગને થંભાવવા માટે ઇંગ્લૅન્ડની ટીમને વિવાદાસ્પદ એવી બૅટ્સમૅનના શરીરને લક્ષ્ય કરતી ‘બૉડીલાઇન’ ગોલંદાજી શોધવી પડી હતી. માત્ર બે વર્ષમાં એ ગામડાંનાં ક્રિકેટમાંથી ઑસ્ટ્રેલિયન ટીમમાં પ્રવેશ પામ્યો અને બાવીસમા જન્મદિવસ પૂર્વે નોંધાવેલા એના વિક્રમો હજી વણતૂટ્યા છે. પોતાની પ્રથમ કક્ષાના શેફિલ્ડ શિલ્ડની પ્રથમ મૅચમાં એડિલેડ પર દક્ષિણ ઑસ્ટ્રેલિયાની ટીમ સામે એમણે ૧૧૮ રન કર્યા હતા અને પછી એમની પ્રથમ કક્ષાની એકવીસ વર્ષની કારકિર્દીમાં દર ત્રણ દાવમાં એક વાર સદી કરવાની ભવ્ય અને અણનમ સિદ્ધિ નોંધાવી છે. ૧૯૪૮માં નિવૃત્તિ સમયે ૧૧૭ સદી નોંધાવી હતી, જેમાંથી ૨૯ ટેસ્ટ સદી છે. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં એમનો સૌથી મોટો જુમલો અણનમ ૪૫૨ રનનો છે, ૩૦૦ રનથી વધુ ૬ દાવ, ૨૦૦ રનથી વધુ ૩૭ દાવ એ ખેલ્યા છે. એમની બૅટિંગકલા એવી હતી કે ગોલંદાજ પર એ સતત આક્રમણ કરતા. મૅચ અને ટીમની પરિસ્થિતિ પ્રમાણે એ ખેલતા, પરંતુ ચપળ આંખ અને અંગોના સંવાદીપણાને કારણે એ ખૂબ જોશથી સ્ટ્રોક લગાવી શકતા. ક્યારેક તો એમની શક્તિ અને એમની ક્ષમતા માનવીય ક્ષમતાઓને પાર કરતી લાગતી હતી. એ બાવન ટેસ્ટ રમ્યા, જેમાં ૨૪ ટેસ્ટમાં સુકાની તરીકે દેશની આગેવાની સંભાળી. વળી ટેસ્ટમૅચની જે પાંચ શ્રેણીમાં એમની આગેવાની હેઠળ ઑસ્ટ્રેલિયા રમ્યું, તેમાં એક પણ વાર એણે ‘રબર’ ગુમાવ્યું નથી. કુલ ૬,૯૯૬ રન કરનાર ડોન બ્રેડમેન ૧૯૪૮ની ઓવલની છેલ્લી ટેસ્ટમાં હોલિસ નામના સામાન્ય ગોલંદાજને હાથે શૂન્ય રને આઉટ થયા હતા અને આને પરિણામે એમની ટેસ્ટ સરેરાશ ૧૦૦ થવાને બદલે ૯૯.૯૪ પર અટકી ગઈ. અનેક વિક્રમો ધરાવનાર ડોન બ્રેડમેનને ટેસ્ટ પ્લેયર તરીકે અડધી સદીની નિવૃત્તિ બાદ ૧૯૯૭માં ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન જ્હોન હાર્વર્ડે એમને ‘સૌથી મહાન જીવંત ઑસ્ટ્રેલિયન’ તરીકે ગણાવ્યા હતા. એમની સ્મૃતિમાં ટપાલટિકિટ અને સિક્કાઓ ઉપરાંત એમની હયાતીમાં એક મ્યુઝિયમ પણ તૈયાર થયું હતું.