Categories
વાચન સમૃદ્ધિ

મુનિશ્રી સંતબાલજી

જ. ૨૬ ઑગસ્ટ, ૧૯૦૪ અ. ૨૬ માર્ચ, ૧૯૮૨

હિંદુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ, ખ્રિસ્ત અને જરથુષ્ટ્રનાં ષડ્દર્શનનો ગુણાત્મક સમન્વય કરનાર સમાજસેવક. માતા મોતીબાઈ અને પિતા નાગજીભાઈ. મૂળ નામ શિવલાલ. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે પિતાનું અવસાન. સાત ગુજરાતી સુધીનો અભ્યાસ. પૈસા કમાવા મુંબઈ ગયા. સંતબાલજીના ગુરુ પૂ. નાનચંદ્રજી. સંતબાલજી તેમનાં માનવતાવાદી પ્રવચનોથી આકર્ષાયા. પરિણામે સંતબાલજીએ પોતાનું જીવન તેમનાં ચરણોમાં ધરી દેવાની માગણી મૂકી. તેમણે સં. ૧૯૮૫માં ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને નામ રાખ્યું સૌભાગ્યચંદ્ર. પ્રાકૃત, સંસ્કૃત અને જૈન દર્શન ઉપરાંત ન્યાયપ્રમાણનો તથા અંગ્રેજીનો પણ અભ્યાસ કર્યો. ઈ. સ. ૧૯૩૨માં કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શતાવધાનના સફળ પ્રયોગો કરીને શ્રીમદ્ રાજચંદ્રની સ્મૃતિને તાજી કરી. અજમેરમાં ભરાયેલી જૈન કૉન્ફરન્સમાં તેમણે શતાવધાનના સફળ પ્રયોગો કર્યા. પરિણામે આર્યસમાજે તેમને ‘ભારતરત્ન’નો ઇલકાબ આપ્યો. શંકરાચાર્ય, માર્ટિન લ્યૂથર, દયાનંદ સરસ્વતી, ધર્મપ્રાણ લોંકા શાહ અને ગાંધીજીની ધર્મક્રાંતિથી આકર્ષાઈ તેમણે ધર્મપ્રાણ લોંકા શાહની લેખમાળા પ્રગટ કરવા માંડી. તેના કારણે તેમના ગુરુ નાનચંદ્રજીને ઘણું સહન કરવું પડ્યું. પરિણામે તેમણે નર્મદાના કાંઠે સમૌન એકાંતવાસ સેવ્યો. સંતબાલજીને આત્મતત્ત્વની અનુભૂતિ દૃઢ થતી લાગી તેમ તેમ તેમને મત, ગચ્છ, પંથ અને સંપ્રદાયના વાડા સાંકડા લાગવા માંડ્યા. સ્થાનકવાસી જૈન સંપ્રદાયે તેમને છૂટા કર્યા. સંપ્રદાયથી છૂટા થયા પછી તેમણે ભાલ-નળકાંઠાના વિસ્તારમાં પ્રાયોગિક સંઘની રચના કરી, જેના પરિણામે ત્યાં ખાદી, ખેતી, ગોપાલન અને નઈ તાલીમ જેવી જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલે છે. ભાલ-નળકાંઠા પ્રાયોગિક સંઘની વિશિષ્ટતા એ છે કે ખેડૂતમંડળ, ગોપાલકમંડળ જેવાં નૈતિક ગ્રામસંગઠનો દ્વારા તે લોકશક્તિ નિર્માણ કરવાનું કાર્ય કરે છે. સંતબાલજીએ સત્-સાહિત્ય અર્થે ‘વિશ્વવાત્સલ્ય’ પાક્ષિક પણ પ્રગટ કર્યું હતું. વળી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર દ્વારા તેમણે શ્રી ઉત્તરાધ્યયન, શ્રી દશવૈકાલિક અને શ્રી આચારાંગસૂત્રના અનુવાદનું તેમજ અન્ય પથ્ય સાહિત્ય પણ પ્રગટ કર્યું હતું. મુનિ સૌભાગ્યચંદ્ર ત્યારપછી ‘સંતબાલ’ના નામે ઓળખાવા લાગ્યા. એમના સમગ્ર જીવન ઉપર ‘મુનિશ્રી સંતબાલજી’ નામે દસ્તાવેજી ફિલ્મ તૈયાર થઈ છે. ચીંચણી (જિ. થાણા, મહારાષ્ટ્ર)માં રહીને મહાવીરનગરને તેમણે એમના અનુબંધના પ્રયોગનું કેન્દ્ર બનાવ્યું. સાધુ, સંત અને સેવકનું સંકલન કરી તેમને સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. વળી વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ દ્વારા સ્ત્રીઓના સર્વાંગીણ વિકાસ માટે માતૃસમાજને માર્ગદૃર્શન પણ આપ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

રાજીવ કપૂર

જ. ૨૫ ઑગસ્ટ, ૧૯૬૨ અ. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૧

હિન્દૃી ફિલ્મજગતના અભિનેતા, ફિલ્મનિર્માતા. હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂર તથા ક્રિષ્ના કપૂરના સૌથી નાના પુત્ર રાજીવ કપૂરને અભિનય તેમજ ફિલ્મસર્જનની સૂઝ ગળથૂથીમાં જ મળી હતી. અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને સહજ અભિનય એ એમની ઓળખ હતી. ૧૯૮૩માં ફિલ્મ ‘એક જાન હૈ હમ’ સાથે રાજીવ કપૂરે હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું. ૧૯૮૫માં સ્વ. રાજ કપૂરના નિર્માણ અને નિર્દેશનવાળી અંતિમ ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’માં મુખ્ય ભૂમિકા કરીને તેઓ અત્યંત લોકપ્રિય બન્યા. ત્યારબાદ ‘આસમાન’ (૧૯૮૪), ‘લવર બૉય’ (૧૯૮૫), ‘મેરા સાથી’ (૧૯૮૫), ‘ઝબરદસ્ત’ (૧૯૮૫), ‘લાવા’ (૧૯૮૫), ‘જલજલા’ (૧૯૮૮) અને ‘હમ તો ચલે પરદેશ’ (૧૯૮૮) જેવી ફિલ્મોમાં એમણે અભિનય કર્યો, પરંતુ ત્યારબાદ અભિનયને તિલાંજલિ આપીને આર. કે. બૅનર હેઠળ નિર્માણ-નિર્દેશન કરવાનું શરૂ કર્યું. ‘આ અબ લોટ ચલે’, ‘પ્રેમગ્રંથ’ વગેરે ફિલ્મોમાં નિર્માણ તથા દિગ્દર્શન કર્યું. આરતી સભરવાલ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા, પરંતુ બે વર્ષમાં જ બંને અલગ થઈ ગયાં. તેમણે ૧૯૯૫-૯૬ દરમિયાન દૂરદર્શન પર પ્રસારિત થતી સિરિયલ ‘વંશ’નું નિર્માણ કર્યું. પૃથ્વીરાજ કપૂરના પરિવારના કલાવારસાને રાજીવ કપૂરે ખૂબ આદરપૂર્વક જાળવ્યો. સહજ અભિનેતા અને સરળ વ્યક્તિ તરીકે રાજીવ કપૂરને ભાવકો યાદ કરે છે. હૃદયરોગના અચાનક હુમલાથી એમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

મહેતા, યશોધર નર્મદાશંકર

જ. ૨૪ ઑગસ્ટ, ૧૯૦૯ અ. ૨૯ જૂન, ૧૯૮૯

ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર. વતન અમદાવાદ. ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે ૧૯૩૨માં ગુજરાત કૉલેજમાંથી બી.એ.. ૧૯૪૦માં લંડનમાંથી બાર-ઍટ-લૉ થયા. વકીલાતનો વ્યવસાય. ભારત સરકાર અને ગુજરાત સરકારનાં જુદાં જુદાં કાયદા-કમિશનોના સભ્યપદે અને અધ્યક્ષપદે રહેલા. તેમણે લખેલાં નાટકોનાં પુસ્તકોમાં ‘રણછોડલાલ અને બીજાં નાટકો’ (૧૯૪૭), ‘મંબો જંબો’ (૧૯૫૧), ‘ઘેલો બબલ’ (૧૯૫૨) અને ‘સમર્પણ’ (૧૯૫૭) ઉલ્લેખનીય છે. ‘રણછોડલાલ’ અમદાવાદને ઔદ્યોગિક નગર બનાવનાર ઉદ્યોગપતિ રણછોડલાલના જીવનને આલેખતું ચરિત્રલક્ષી નાટક છે. ‘મંબો જંબો’ અને ‘ઘેલો બબલ’ પ્રહસનો છે, તો ‘સમર્પણ’ રેડિયોનાટક છે. ‘સરી જતી રેતી’ ભાગ ૧-૨ (૧૯૫૦, ૧૯૫૨), ‘મહારાત્રિ’ (૧૯૫૪), ‘વહી જતી જેલમ‘ (૧૯૫૫), ‘તુંગનાથ (૧૯૫૭), ‘સંધ્યારાગ (૧૯૬૩), ‘મહમદ ગઝની’ (૧૯૬૬) તેમણે લખેલી નવલકથા છે. ૧૮૫૭થી ૧૯૪૭ સુધીનાં નેવું વર્ષના ગુજરાતના જાહેર સાંસ્કૃતિક જીવનને આલેખતી ચાર ભાગમાં લખાયેલી નવલકથા ‘નેવું વર્ષ’ (૧૯૭૪-૧૯૮૩) ઉલ્લેખનીય કૃતિ છે. ચરિત્રોનાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે; જેમ કે, ‘કીમિયાગરો’ (૧૯૫૧), ‘પ્રેમગંગા’ (૧૯૫૪) અને ‘રસનંદા’ (૧૯૫૪) વગેરે. ‘શ્રી નંદા’ (૧૯૫૮) અને ‘૪૪ રાત્રિઓ’ (૧૯૬૦) પ્રવાસવર્ણનનાં; ‘સરી જતી કલમ’ (૧૯૫૪), ‘યશોધારા’ (૧૯૫૬), ‘શિવસદનનું સ્નેહકારણ’ (૧૯૫૯) હળવા નિબંધનાં પુસ્તકો; ‘નદીઓ-નગરો’ (૧૯૫૦) રેડિયો-વાર્તાલાપોનું પુસ્તક છે. અધ્યાત્મના અનુભવો ‘અગમનિગમ‘ (૧૯૫૯), ‘શૂન્યતા અને શાંતિ’ (૧૯૬૨), ‘ઋષિઓનું સ્વરાજ્ય’ (૧૯૬૭), ‘શ્રદ્ધાની રાત્રિ’ (૧૯૬૯), ‘આનંદધારા’ (૧૯૬૯), ‘સાક્ષાત્કારને રસ્તે’ (૧૯૭૨), ‘શ્રદ્ધા અને અનુભૂતિ’ (૧૯૭૫) અને ‘સમાપ્તિ’ (૧૯૭૭)માં સમાયેલા છે. ‘ભાવિના ભેદ’ (૧૯૫૪), ‘ભાવિના ગગનમાં’ (૧૯૬૬), ‘ભાવિના મર્મ’ (૧૯૭૮) વગેરે ગ્રંથો તેમની જ્યોતિષ વિષયની પારંગતતાના દ્યોતક છે. તેમના વિદ્વાન પિતા શ્રી નર્મદાશંકર મહેતા વિશેના ‘નર્મદાશંકર મહેતા સ્મારક ગ્રંથ’(૧૯૬૮)ના સંપાદનમાં અન્ય સાથે તેમનો પણ ફાળો રહ્યો છે. અંગ્રેજીમાં પણ તેમના કેટલાક ગ્રંથો પ્રકાશિત થયા હતા. ૧૯૪૬માં તેમને ‘કુમાર ચંદ્રક’ પ્રાપ્ત થયેલો. તેમનું હૃદયરોગથી અવસાન થયેલું.