Categories
વાચન સમૃદ્ધિ

કાન્તિલાલ મોહનલાલ મડિયા

જ. ૩ જુલાઈ, ૧૯૩૨ અ. ૧૫ માર્ચ, ૨૦૦૪

ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ અભિનેતા, લેખક અને દિગ્દર્શક કાન્તિ મડિયાનો જન્મ લાઠીમાં. ગામમાં નાટકમંડળીઓ દ્વારા નાટકો ભજવાતાં. એ નાટકોની એમના પર અસર પડી. તેઓ શેરીમાં છોકરાંઓને ભેગા કરતા અને પોતે જોયેલા ‘કાદુ મકરાણી’ અને ‘વીર રામવાળો’ નાટકો દસ-બાર વર્ષની ઉંમરે ભજવતા. પિતાનું અવસાન થતાં મુંબઈમાં મામાને ત્યાં આવ્યા. ૧૯૪૮માં મૅટ્રિક પાસ કરી ભવન્સ કૉલેજમાં દાખલ થયા. કૉલેજ દરમિયાન ‘ભૂતઘર’ એકાંકી ભજવ્યું. પછી કૉલેજના વાર્ષિકોત્સવમાં ‘સિલ્વરમૂનનો સ્વયંવર’ ભજવ્યું. ભારતીય વિદ્યાભવનના કલાકેન્દ્રની આંતરકૉલેજ સ્પર્ધામાં કૉલેજ દ્વારા ‘ગળેપડુ ગોકળદાસ’ નાટક રજૂ થયું. એ સ્પર્ધામાં એમને શ્રેષ્ઠ નટ તરીકેનું દ્વિતીય પારિતોષિક મળ્યું. એમણે ‘રાખનાં રમકડાં’ નાટકમાં ચન્દ્રવદન ભટ્ટના સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું અને એમાં ‘જ્યોતિષી’નું પાત્ર પણ ભજવ્યું. તેમણે અદી મર્ઝબાન સાથે ‘રંગમિલન’, ‘પીરોજા ભવન’, ‘મોટા દિલના મોટા બાવા’ જેવાં નાટકોમાં અભિનય કર્યો. ૧૯૬૭માં એમણે ‘નાટ્યસંપદા’ની સ્થાપના કરી અને અદ્યતન ટૅકનિક અને વૈવિધ્યપૂર્ણ સાંપ્રત વિષયવસ્તુવાળાં નાટકો ભજવ્યાં. એમાં ‘આતમને ઓઝલમાં રાખ મા’, ‘નોખી માટી ને નોખાં માનવી’, ‘મુઠ્ઠી ઊંચેરો માનવી’, ‘અમે બરફનાં પંખી’, ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’, ‘બાણશય્યા’, ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’, ‘મહાનાયક’, ‘કાચિંડો’ જેવાં નાટકોનો સમાવેશ થાય છે. એમણે ૩૩ વર્ષમાં ૩૫ જેટલાં નાટકોનું નિર્માણ અને દિગ્દર્શન એકલા હાથે કર્યું હતું, આથી તેઓ નાટ્યમંચના ‘વનમૅન આર્મી’ કહેવાતા. એમણે વિનોદિની નીલકંઠની વાર્તા પરથી ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’નું દિગ્દર્શન કર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા નાટ્યલેખન શિબિરો યોજ્યા હતા. ૧૯૮૦માં ‘કાવ્યસંપદા’ સ્થાપી અને તે દ્વારા ‘નૅશનલ સેન્ટર ફોર પર્ફૉર્મિંગ આર્ટ્સ’માં કાવ્યપઠનનું આયોજન પણ કર્યું હતું. તેમણે ‘માલગુડી ડેઝ’ના એક એપિસોડમાં અભિનય કર્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

ગણપતરાવ(ગણેશ) બોડસ

જ. ૨ જુલાઈ, ૧૮૮૦ અ. ૨૩ ડિસેમ્બર, ૧૯૬૫

ભારતીય રંગમંચ અભિનેતા અને મરાઠી નાટકો માટે જાણીતા ગણપતરાવ ઉર્ફે ગણેશ ગોવિંદ બોડસનો જન્મ ભારતના અહમદનગર જિલ્લાના શેવગાંવ ગામે થયો હતો. તેમણે માત્ર હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો હતો. બાળપણથી જ તેમને સંગીત અને અભિનય બંનેમાં રસ જાગ્યો હતો. તેઓ શાળામાં એક કલાપ્રેમી અભિનેતા તરીકે જાણીતા હતા. ૧૮૯૫માં બોડસ કિર્લોસ્કર નાટકમંડળીમાં જોડાયા. એ થિયેટરક્ષેત્રે એમનો સત્તાવાર પ્રવેશ હતો. શાસ્ત્રીય સંગીતમાં યોગ્ય તાલીમ પ્રાપ્ત ન કરી હોવા છતાં જી. બી. દેવલે ૧૯૦૧માં તેમને પોતાના ‘સંશયકલ્લોલ’, કિર્લોસ્કરના ‘સંભદ્ર’, એસ. કે. કોલ્હાટકરના ‘મૂકનાયક’ અને ૧૯૧૧માં ખાદિલકરના ‘માનાપમાન’ (સન્માન અને અપમાન) જેવાં મંડળીનાં નાટકોમાં નાની સ્ત્રી-ભૂમિકાઓ માટે તાલીમ આપી ત્યારે તેમનામાં સંગીત પ્રત્યેની સંવેદનશીલતા વિકસી હતી. આ નિર્માણમાં તેમને મુખ્ય ભૂમિકાઓ પણ સોંપવામાં આવી હતી. તેમણે પૌરાણિકથી લઈને સામાજિક અને ગંભીરથી લઈને હાસ્ય સુધીની વિવિધ ભૂમિકાઓ કરી હતી. ૧૯૧૩માં બોડસે ગોવિંદરાવ ટેમ્બે સાથે મળીને ગંધર્વ નાટક મંડળીની રચના કરવામાં બાલ ગંધર્વને સારી મદદ કરી હતી. તેમની યાદગાર ભૂમિકામાં ‘સંશયકલ્લોલ’માં હાસ્યાસ્પદ ફાલ્ગુનરાવ, ૧૯૧૬માં ખાદિલકરના ‘સિવાયમ્વર’(પુરુષની પસંદગી)માં કૃષ્ણ અને ૧૯૧૯માં ગડકરીના ‘એકચ પ્યાલા’(જસ્ટ વન ગ્લાસ)માં દારૂડિયા સુધાકરનો સમાવેશ થાય છે. ૧૯૫૬ સુધીમાં તેમણે યશવંત સંગીત નાટક મંડળી જેવી ઘણી અન્ય કંપનીઓ સાથે જોડાઈને અભિનય કર્યો હતો. ગણપતરાવ બોડસે મરાઠી રંગભૂમિમાં ‘રાત્રિ’ પ્રણાલીને લોકપ્રિય બનાવી હતી જેમાં કલાકારોને તેમના પ્રદાન બદલ માતબર રકમ આપવામાં આવતી હતી. તેમની આત્મકથા ‘માજી ભૂમિકા’ (મારી ભૂમિકા) ૧૯૪૦માં પ્રકાશિત થઈ હતી.  અભિનયક્ષેત્રે તેમને અનેક ઍવૉર્ડ અને પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં. ૧૯૬૫માં ૮૫ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. સુમંતભાઈ મહેતા

જ. ૧ જુલાઈ, ૧૮૭૭ અ. ૧૫ ડિસેમ્બર, ૧૯૬૮

શ્રી સુમંતભાઈ મહેતાનો જન્મ સૂરતના પ્રગતિશીલ નાગરબ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાનું નામ ડૉ. બટુકરામ શોભારામ મહેતા. માતાનું નામ ડાહીગૌરી. પિતા બટુકરામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અંગત ડૉક્ટર હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા તથા મુંબઈમાં લીધું. ત્યારબાદ મુંબઈની મેડિકલ કૉલેજમાં ત્રણ વર્ષનો અભ્યાસ કરી, વધુ અભ્યાસ અર્થે ઇંગ્લૅન્ડ ગયા. ૧૯૦૧માં તેમણે વિક્ટોરિયા યુનિવર્સિટીમાંથી એમ.બી.સીએચ.બી.ની ડિગ્રી મેળવી. પિતાના અવસાન બાદ તેઓ વડોદરાના મહારાજાના ડૉક્ટર અને રાજ્યના સૅનિટરી કમિશનર બન્યા. ૧૮૯૮માં તેમનાં લગ્ન સુધારક પરિવારની પુત્રી શારદાબહેન સાથે થયાં. શારદાબહેન પણ વિદુષી હતાં અને પતિ સાથે જાહેરજીવનમાં ભાગ લેતાં હતાં. સુમંતભાઈએ ૧૯૧૦-૧૯૧૧ દરમિયાન વડોદરાના મહારાજા સાથે અનેક દેશોનો પ્રવાસ કરેલો. તેમને વાંચનનો ખૂબ શોખ હતો. રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ઉંમર ખય્યામના તથા બૌદ્ધ અને ઇસ્લામ ધર્મના ગ્રંથોનું તેમણે વાંચન કરેલું, જેણે તેમના ઉપર ગાઢ પ્રભાવ પાડ્યો હતો. કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોમાં તેઓ પાશ્ચાત્ય ઢબનું જીવન જીવતા હતા, પણ પાછળથી તેમાં પરિવર્તન થયું. ૧૯૦૬માં કૉલકાતા ખાતે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની બેઠકમાં તેમણે હાજરી આપી અને ગોપાલ કૃષ્ણ ગોખલેથી પ્રભાવિત થયા. તેમણે આજીવન ખાદી પહેરવા માંડી અને પોતાની જરૂરિયાતો ઘટાડી. તેઓ સ્પષ્ટવક્તા હતા અને અનેક ક્ષેત્રે સુધારાના હિમાયતી હતા. ૧૯૨૧ સુધી તેઓ વડોદરા રાજ્યની સેવામાં ચાલુ હતા. ૧૯૨૨થી ૧૯૫૫ સુધી વિવિધ સામાજિક, રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય હતા. તેમણે સાબરમતી, વીસાપુર અને નાશિક જેલમાં જુદી જુદી લડતોમાં કુલ પાંચ વરસની જેલ ભોગવી હતી. ૧૯૩૨થી ૧૯૩૫ સુધી ‘યુગધર્મ’ માસિકનું સંપાદન કરતા હતા. ‘સમાજદર્પણ’ નામના ગ્રંથમાં તેમણે તેમનાં જીવનસંભારણાં રજૂ કર્યાં છે. તેઓ એક સ્વાતંત્ર્યસૈનિક, જાહેર કાર્યકર અને સમાજસુધારક તરીકે પ્રતિષ્ઠિત છે.