Categories
વાચન સમૃદ્ધિ

સત્યેન્દ્રનાથ ટાગોર

જ. ૧ જૂન, ૧૮૪૨ અ. ૯ જાન્યુઆરી, ૧૯૨૩

તેઓ ભારતીય સનદી અધિકારી, કવિ, સંગીતકાર અને સમાજસુધારક તેમ જ ભાષાશાસ્ત્રી હતા. આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર સત્યેન્દ્રનાથ ટાગોરનો જન્મ મહર્ષિ દેબેન્દ્રનાથ ટાગોર અને શારદાદેવીને ત્યાં કૉલકાતાના જોરાસાંકોમાં થયો હતો. રવીન્દ્રનાથ ટાગોર સહિત તેઓ નવ ભાઈ-બહેન હતાં. તેમણે પ્રેસિડેન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ ભારતીય સિવિલ સર્વિસ(ICS)ના અધિકારી બનનારા પ્રથમ ભારતીય હતા. ૧૮૫૯માં તેમનાં લગ્ન જ્ઞાનનંદિનીદેવી સાથે થયાં અને ૧૮૬૨માં તેઓ લંડન ગયા. ત્યાં પ્રોબેશનરી તાલીમ લઈને પાછા આવ્યા અને ૧૮૬૪માં મુંબઈમાં સેવામાં જોડાયા. તેમણે આસિસ્ટન્ટ મૅજિસ્ટ્રેટ અને કલેક્ટર તરીકે અમદાવાદમાં પણ કામગીરી કરી હતી. નોકરી દરમિયાન સમગ્ર ભારતમાં પ્રવાસ કરવાની તક મળી અને તેને કારણે તેઓ જુદી જુદી ભારતીય ભાષાઓ શીખ્યા. તેમણે તુકારામ અને બાલગંગાધરનાં પુસ્તકોનો બંગાળી ભાષામાં અનુવાદ કર્યો છે. તેમણે સંસ્કૃતમાંથી પણ બંગાળી ભાષામાં અનુવાદ કર્યા છે. સત્યેન્દ્રનાથ ટાગોર પાસેથી આપણને ‘સુશીલા ઓ બિરસિંહા, ‘બૉમ્બે ચિત્રા’, ‘નબરત્નમાલા’, ‘બૌદ્ધ ધર્મ’, ‘સ્ત્રીસ્વાધીનતા’, ‘ભારતબારસિયો ઇંગ્રેજ’, ‘રાજા રામમોહન રૉય’, ‘અમર બાલ્યાકોઠા’ જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. તેમણે મુખ્યત્વે ગીતો લખ્યાં છે. તેમનું દેશભક્તિપૂર્ણ બંગાળી ભાષાનું ગીત ‘મિલે સાબે ભારત સંતન, એકતાન ગાગો ગાન’ (એક થાઓ, ભારતનાં બાળકો, એક સ્વરમાં ગાય છે) જેને ભારતના પ્રથમ રાષ્ટ્રગીત તરીકે બિરદાવવામાં આવ્યું હતું. તેઓ બ્રહ્મોસમાજના સક્રિય સભ્ય હતા. ૧૯૦૭માં તેઓ આદિ બ્રહ્મોસમાજના પ્રમુખ બનેલા. તેમના મોટા ભાઈ દ્વિજેન્દ્રનાથ ટાગોર સાથે આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. ૧૯મી અને ૨૦મી સદીમાં સામાજિક અને ધાર્મિક વિચારોમાં પરિવર્તન લાવવામાં તેમનો સમાજસુધારક તરીકે મહત્ત્વનો ફાળો છે. નિવૃત્તિ પછી તેઓ કૉલકાતામાં સ્થાયી થયા અને તેમના ઘરે માત્ર સગાંઓ અને મિત્રો જ નહીં, પરંતુ કૉલકાતાના મહાનુભાવો પણ આવતા. તેમના ઘરે સાહિત્યની મજલિસ પણ થતી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

લાલા જગત નારાયણ

જ. ૩૧ મે, ૧૮૯૯ અ. ૯ સપ્ટેમ્બર, ૧૯૮૧

સંસદસભ્ય, પંજાબ વિધાનસભાના સભ્ય અને ધ હિંદ સમાચાર મીડિયા જૂથના સ્થાપક લાલા જગત નારાયણનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલ ગુજરાંવાલા જિલ્લાના વઝીરાબાદ ખાતે થયો હતો. તેઓ ૧૯૧૯માં લાહોરની ડીએવી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ લાહોરની એક લૉ કૉલેજમાં જોડાયા હતા. ૧૯૨૦માં મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં જોડાવાના આહવાન પર તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. તેમને અઢી વરસની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ જેલવાસ દરમિયાન તેમણે લાલા લજપતરાયના અંગત સચિવ તરીકે કામ કર્યું હતું. ૧૯૨૪માં ભાઈ પરમાનંદના હિન્દી ભાષાના સાપ્તાહિક ‘આકાશવાણી’ના સંપાદક બન્યા હતા. આઝાદીની ચળવળ અને અલગ અલગ પ્રસંગોએ તેઓ લગભગ નવેક વરસ જેલમાં રહ્યા હતા. લાલા જગત નારાયણ સાત વર્ષ સુધી લાહોર શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ, લાહોર કૉર્પોરેશનમાં કૉંગ્રેસ પક્ષના નેતા, ત્રીસ વર્ષથી વધુ સમય સુધી પંજાબ પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય અને લગભગ ૩૦ વરસ સુધી અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્યપદે રહ્યા હતા. ઇન્દિરા ગાંધીની કટોકટી દરમિયાન તેમને MISA હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના બાદ તેઓ પક્ષથી અલગ થઈ ગયા હતા. લાલા જગત નારાયણ લાહોરથી શરણાર્થી તરીકે જલંધર આવ્યા હતા અને તેમણે ૧૯૪૮માં ‘હિંદ સમાચાર’ નામનું ઉર્દૂ દૈનિક શરૂ કર્યું હતું. સ્વતંત્ર ભારતમાં ઉર્દૂને સરકારી  સમર્થન ન મળતાં, તેમણે ૧૯૬૫માં હિન્દી ભાષાના દૈનિક ‘પંજાબ કેસરી’ની સ્થાપના કરી હતી. પંજાબી સૂબા ચળવળ દરમિયાન ૧૯૫૭માં અકાલી દળે સ્વીકારેલ પ્રાદેશિક ફૉર્મ્યુલા, જે પંજાબમાં પંજાબી અને હિન્દી ભાષાઓને સમાન દરજ્જો આપવાનો પ્રસ્તાવ હતો તેનો વિરોધ કરવા માટે તેમણે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. ૧૯૯૮માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં નારાયણના નામે એક ચૅરની સ્થાપના કરવામાં આવી હતી અને ૯ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે લાલા જગત નારાયણની યાદમાં એક ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

મગનલાલ લાલભાઈ દેસાઈ ‘કોલક’

જ. ૩૦ મે, ૧૯૧૪ અ.૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૮

કવિ કોલકનું મૂળ નામ મગનભાઈ લાલભાઈ દેસાઈ. એમનો જન્મ પારડી તાલુકાના સોનવાડા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ તાપીબહેન અને પિતાનું નામ લાલભાઈ દેસાઈ હતું. વતન પાસે વહેતી કોલક નદીના નામ પરથી તેમણે પોતાનું ઉપનામ ‘કોલક’ રાખ્યું હતું. તેઓ દેખાવે પડછંદ પરંતુ સ્વભાવે હસમુખા, મિલનસાર, સરળ અને નિજાનંદી હતા. ઈ. સ. ૧૯૩૩માં મુંબઈની મીઠીબાઈ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક પાસ કર્યું અને તેમનાં માતાનું અવસાન થતાં જવાબદારીઓ આવી પડતાં કૉલેજમાં એક જ વર્ષ અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૯૩૪માં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે એમણે પોતાની કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ ઈ. સ. ૧૯૪૨થી ઈ. સ. ૧૯૪૭ સુધી એમણે ‘જન્મભૂમિ’ દૈનિકમાં તંત્રી તરીકે સેવા આપી હતી. ઈ. સ. ૧૯૩૮માં એમણે ‘માધુરી’ નામનું ત્રિમાસિક ચલાવ્યું. ઈ. સ. ૧૯૪૨માં ‘કવિતા’ નામનું માસિક શરૂ કર્યું, ઈ. સ. ૧૯૫૦માં ‘વાર્તા’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. એમાં ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ હપતાવાર છપાતી. ઈ. સ. ૧૯૬૮માં ‘કોલક’ નામનું નવલકથાનું માસિક શરૂ કર્યું, એમાં તેઓ સળંગ નવલકથા છાપતા. એમણે વૅન્ગાર્ડ સ્ટુડિયોના જાહેરખબર વિભાગમાં પણ કામ કર્યું હતું. કોલક ‘વિલેપાર્લે સાહિત્ય સભા’ અને ‘લેખકમિલન’માં કાર્યવાહક સમિતિના સભ્ય પણ રહ્યા હતા. ‘કોલક’ને નાની વયથી જ કાવ્યરચનાનો શોખ હતો. તેના પરિણામે ગુજરાતી સાહિત્યને તેમણે ચાર કાવ્યસંગ્રહો આપ્યા : (૧) ‘પ્રિયા-આગમન’ ખંડકાવ્ય (૧૯૩૭), (૨) ‘સાંધ્ય ગીત’ (૧૯૩૮), (૩) ‘સ્વાતિ’ (૧૯૪૦) અને (૪) ‘પ્રેમધનુષ્ય’ (૧૯૪૨) જે સળંગ ૨૦૦૦ પંક્તિઓનું પ્રેમકાવ્ય હતું. કોલકની કવિતામાં પ્રેમીના ભગ્ન હૃદયનો પ્રલાપ પ્રગટ થયેલો છે. છંદો પરનો તેમનો કાબૂ પ્રશંસનીય હતો. કોલકની સર્જકશક્તિનું લોકપ્રિય નીવડેલું અન્ય પાસું નવલકથાકાર તરીકેનું છે. ૧૯૪૭માં પ્રગટ થયેલી તેમની પ્રથમ નવલકથા ‘ભાઈબીજ’ ખૂબ જ આવકાર પામી હતી. તેમણે પચાસ જેટલી નવલકથાઓ લખી છે જેનો બહોળો વાચકવર્ગ છે. તે ઉપરાંત તેમના ‘સમીસાંજ’ અને ‘હનીમૂન’ એ બે વાર્તાસંગ્રહો પણ ઈ. સ. ૧૯૬૮માં પ્રસિદ્ધ થયેલા.