Categories
વાચન સમૃદ્ધિ

સરલા બિરલા

જ. 23 નવેમ્બર, 1924 અ. 28 માર્ચ, 2015

શિક્ષણ, કલા અને સંસ્કૃતિમાં ઊંડો રસ ધરાવતાં ઉદ્યોગપતિ બિરલા પરિવારનાં માતુશ્રી સરલા બિરલાનો જન્મ રાજસ્થાનના કુચામનમાં થયો હતો. પિતા બ્રિજલાલ ગાંધીવાદી કાર્યકર અને સ્વતંત્રતાસેનાની હતા. સરલાનું બાળપણ મહારાષ્ટ્રના અકોલામાં વીત્યું. તેમણે અકોલાની સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં અભ્યાસ કર્યો. એપ્રિલ, 1941માં જમનાલાલ બજાજ અને ગાંધીજીએ બસંતકુમાર સાથે પરિચય કરાવ્યો. તેમણે બસંતકુમાર બિરલા સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી તેમણે પતિની સાથે વ્યવસાયમાં ધ્યાન આપ્યું. તેમણે બિરલા પરિવારના વ્યવસાયમાં વિસ્તરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેમણે શિક્ષણ, કલા અને ભારતીય સંસ્કૃતિને મહત્ત્વ આપ્યું. તેઓ માનતાં હતાં કે શિક્ષણ એ સમાજમાં પરિવર્તન માટે અને મહિલાઓની સ્થિતિ સુધારવા માટેનો અસરકારક માર્ગ છે. આથી તેમણે ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ થાય એ માટે 45 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવામાં ફાળો આપ્યો. તેમણે અને તેમના પતિએ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી ઍન્ડ સાયન્સ (BITS), બી. કે. બિરલા કૉલેજ ઑફ આર્ટસ, સાયન્સ ઍન્ડ કૉમર્સ, બી. કે. બિરલા પબ્લિક સ્કૂલ, મહાદેવી બિરલા વર્લ્ડ એકૅડેમી, મહાદેવી બિરલા શિશુવિહાર, બિરલા એકૅડેમી ઑફ આર્ટ ઍન્ડ કલ્ચર, સંગીત કલામંદિર, બિરલા વિદ્યાનિકેતન વગેરે સંસ્થાઓની મુંબઈ, કૉલકાતા અને દિલ્હીમાં સ્થાપના કરી. તેઓ કલા અને સંસ્કૃતિપ્રેમી હતાં. તેમનામાં વ્યાવસાયિક સૂઝ હતી. તેઓ સંસ્થામાં કામ કરતા લોકોની પરિવારનાં વડાંની જેમ કાળજી રાખતાં. તેઓ મરાઠી, હિન્દી અને અંગ્રેજી જાણતાં હતાં. મોટી ઉંમરે ફ્રેન્ચ શીખવાનું શરૂ કર્યું હતું. જી. ડી. બિરલાની 121મી જયંતી નિમિત્તે દિલ્હીમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગયા ત્યારે એક નાના અકસ્માતમાં ઘાયલ થયાં અને હૃદયરોગને કારણે તેમનું અવસાન થયું. તેમણે આજીવન કરેલાં સામાજિક કાર્યો બદલ ભારત સરકારે 1990માં પદ્મભૂષણથી તેમને સન્માનિત કર્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

સૈયદ સુલેમાન નદવી

જ. 22 નવેમ્બર, 1884 અ. 22 નવેમ્બર, 1953

સૈયદ સુલેમાન નદવીનો જન્મ બિહારમાં આવેલા નાલંદા જિલ્લાના દેસના નામના ગામમાં થયો હતો. તેઓ દક્ષિણ એશિયાના ઇતિહાસકાર, લેખક અને ઇસ્લામના વિદ્વાન હતા. તત્કાલીન પરંપરા મુજબ શરૂઆતની તાલીમ ઘરઆંગણે લીધા પછી તેઓ 1901માં વિખ્યાત મદરેસા નદવતુલઉલેખાંમાં દાખલ થયા. ત્યાં ઇતિહાસકાર, લેખક અને કવિ અલ્લામા શિબ્લી નોંમાનીના સંપર્કમાં આવ્યા અને પોતે તેમના કાબેલ અનુગામી પુરવાર થયા. મૌલાના શિબ્લીએ તેમને મદરેસામાંથી પ્રસિદ્ધ થતા સામયિકના સહતંત્રી બનાવીને ધાર્મિક તથા વિવિધ સાહિત્યના સંપાદનની જવાબદારી સોંપી. તેઓ કૉલકાતાથી પ્રસિદ્ધ થતા મૌલાના અબુલ કલામ આઝાદના ખ્યાતનામ અખબાર ‘અલ-હિલાલ’ના સંપાદકમંડળમાં જોડાયા. મૌલાના શિબ્લી નોંમાનીએ 1914માં આઝામગઢ ખાતે દારુલ મુસન્નિફીનના નામે એક સંસ્થા ઊભી કરી. તેનો આશય વિદ્વાન લેખકો-સંશોધકો વગેરેને પ્રોત્સાહન આપવાનો હતો. સૈયદ સુલેમાન પોતાના ઉસ્તાદના આગ્રહથી આઝમગઢ આવ્યા અને સંસ્થાની જવાબદારી સંભાળી લીધી. તેના સર્વાંગી વિકાસમાં તેઓ તનમનથી પરોવાઈ ગયા. તેમની અંતિમ અને સર્વોત્તમ રચના ‘સીરતુન્નબી’ છે. તેના ફક્ત બે ભાગ છપાયા પછી તબિયતના કારણે પથારીવશ થયા. એ પુસ્તકનું કામ પૂરું કરવા તેઓ ખૂબ ચિંતિત હતા, પણ તે પુસ્તક તેઓ પૂરું કરી શક્યા નહિ. પરંતુ કુદરતે સૈયદ સુલેમાનને જશ આપ્યો કારણ કે તેમણે પોતાના ઉસ્તાદના આ ભગીરથ કાર્યને પૂરેપૂરા ન્યાય સાથે બીજા પાંચ ભાગમાં પૂરું કર્યું. આજે આ ખ્યાતનામ ગ્રંથની ભારત-પાકિસ્તાનમાં અનેક આવૃત્તિઓ થયેલી છે અને અરબી તથા અંગ્રેજી ભાષામાં તેનો અનુવાદ પણ થયો છે. તેમનાં અનેક પુસ્તકોમાં ઉમર-ખય્યામ ઉપરનો તેમનો ગ્રંથ ‘ખય્યામ’ ખૂબ મહત્ત્વનો લેખાય છે. ભાષાવિજ્ઞાન અને ભાષાના ઇતિહાસ ઉપર તેમના અનેક નિબંધો છપાયા છે. ‘નુકૂશે સુલેમાની’ નામનો ગ્રંથ આજેય ઘણાં વિશ્વવિદ્યાલયોના ઉર્દૂના અભ્યાસક્રમોમાં સામેલ છે. 1940માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ તેમને માનદ ડી.લિટ્.ની પદવી એનાયત કરી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

નાયક જદુનાથસિંહ રાઠોડ

જ. 21 નવેમ્બર, 1916 અ. 6 ફેબ્રુઆરી, 1948

વીર યોદ્ધા જદુનાથસિંહનો જન્મ ઉત્તરપ્રદેશના ખજૂરી ગામે થયો હતો. પિતા બીરબલસિંહ અને માતા યમુના કંવર. ગામની શાળામાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો. કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડ્યો અને ખેતીના કામમાં લાગ્યા. તેમને કસરત અને કુસ્તીનો ભારે શોખ હતો. તેઓ નિયમિત વ્યાયામ કરતા અને દિવસમાં ત્રણ વખત દૂધ પીતા. નબળી આર્થિક સ્થિતિને કારણે ભાભીએ દૂધ બાબતમાં મહેણું મારતાં તેમણે ઘરનો ત્યાગ કર્યો અને બ્રિટિશ હિંદની સેનામાં જોડાયા. લશ્કરી તાલીમ મેળવી 21 નવેમ્બર, 1941ના રોજ બ્રિટિશ હિંદ સેનાની 7મી રાજપૂત રેજિમેન્ટમાં જોડાયા. 1942માં બર્માના અરાકનમાં જાપાન વિરુદ્ધ યુદ્ધમાં તેઓ બહાદુરીપૂર્વક લડ્યા. આઝાદી પછી પહેલી રાજપૂત રેજિમેન્ટમાં નાયક બન્યા.

6 ફેબ્રુઆરી, 1948ના રોજ સવારે 6:40 કલાકે પાકિસ્તાની સેનાએ તૈનધાર ટેકરી પર હુમલો કર્યો, જે અસફળ રહ્યો. પાકિસ્તાની સૈન્યએ ટેકરીની ડાબી બાજુએથી હુમલો કર્યો. સામસામે ગોળીબાર થયા, જેમાં આપણા ચાર જવાનો ઘાયલ થયા. હુમલો અસફળ રહ્યો આથી પાકિસ્તાની સેનાએ ફરીથી હુમલો કર્યો. આ હુમલામાં આપણા બીજા બે જવાનો ઘવાયા. જદુનાથસિંહ ચોકી છોડીને મશીનગન લઈને દુશ્મન સેના તરફ ગયા. ગોળીઓ ખૂટી પડતાં હૅન્ડગ્રેનેડ્સથી હુમલો કર્યો અને દુશ્મનોને હરાવ્યા. ટુકડીના નવ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થતાં ચોકીની જવાબદારી જદુનાથસિંહ પર આવી. જદુનાથસિંહને જમણા ખભા અને જમણા પગમાં ગોળી વાગી. પાકિસ્તાની સેનાએ ફરીથી હુમલો કર્યો. તેણે મશીનગન લઈને ચોકીની બહાર આવી ગોળીબાર શરૂ કર્યો. દુશ્મનની ગોળી તેમની છાતી પર વાગી છતાંય લડતા રહ્યા. દારૂગોળો ખૂટી પડતાં દુશ્મનોની પાસે જઈ હાથોહાથની લડાઈ કરી. એક દુશ્મનની તલવાર લઈ ઘણાને ઘાયલ કર્યા અને માર્યા. વળી દુશ્મનની મશીનગન હાથમાં આવતાં ગોળીઓનો વરસાદ વરસાવ્યો. ઘાયલ દુશ્મનો મેદાન છોડીને ભાગ્યા. અચાનક બે ગોળીઓ આવી અને ખોપરીમાં અને ફેફસાંમાં વાગી. આઠ ગોળીઓથી વીંધાયેલા બહાદુર જવાને પ્રાણ ત્યાગ્યા. છેલ્લા શ્વાસ સુધી દુશ્મનો સાથે લડતા રહી અપ્રતિમ પરાક્રમ કરવા બદલ 1950માં ભારત સરકારે પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરી તેમને સન્માનિત કર્યા.