Categories
વાચન સમૃદ્ધિ

અન્તોન પાવલોવિચ ચેહફ

જ. 29 જાન્યુઆરી, 1860 અ. 14 જુલાઈ, 1904

રૂસી વાર્તાકાર અને નાટ્યકાર ઉપરાંત તબીબી વ્યવસાય ધરાવતા અન્તોનનો જન્મ તાગન્રોગ, રશિયામાં થયો હતો. 1884માં તેઓએ મૉસ્કો યુનિવર્સિટીમાંથી તબીબીની ઉપાધિ મેળવી હતી. એ દરમિયાન જ મોટા કુટુંબને પોષવા, મોટા ભાઈના અનુકરણે, છાપાં અને સામયિકોમાં વાર્તાઓ, રેખાચિત્રો, હાસ્યલેખો લખવાનું શરૂ કર્યું. પછીનાં ત્રણ વર્ષમાં સંગ્રહો પણ ઉપનામથી પ્રસિદ્ધ કર્યા. આથી ચેહફની આવક વધી, વાર્તાઓની ગુણવત્તા સુધરી અને લોકપ્રિયતા પણ વધી. દાક્તરી અભ્યાસ સમયે જ થયેલા ક્ષયના રોગે 1890માં રશિયાના દૂર પૂર્વમાં આવેલ સહાલીન ટાપુની મુલાકાત દરમિયાન માઝા મૂકી. આ મુલાકાતના અનુભવો એણે 1893માં પ્રસિદ્ધ કર્યા. ત્યારબાદ મૉસ્કો નજીક મેલીહોવો નગરમાં એણે તબીબી વ્યવસાય શરૂ કર્યો. આ ગાળામાં ચેહફે ‘વૉર્ડ નં. 6’, ‘માય લાઇફ’, ‘પેઝન્ટ’ વગેરે ખૂબ જાણીતી વાર્તાઓ લખી. તેઓેને લિયો તૉલ્સ્તૉય અને મૅક્સિમ ગૉર્કી જેવા લેખકોનો પરિચય થયો, આથી ‘ધ લેડી વિથ ધ ડૉગ’, ‘બિટ્રોથ્ડ’ વગેરે જાણીતી વાર્તાઓ તેમણે લખી. 1901માં મૉસ્કો આર્ટ થિયેટરની અભિનેત્રી ઑલ્ગા કનિપર સાથે લગ્ન કર્યાં. અભિનય માટે ઑલ્ગા મૉસ્કોમાં અને તબિયત સાચવવા ચેહફ યાલ્ટામાં રહેતા. ચેહફે બે શકવર્તી નાટકો લખ્યાં – ‘ધ ચેરી ઑર્ચાર્ડ’ અને ‘ધ થ્રી સિસ્ટર્સ’. જીવનના અનેકવિધ અનુભવોમાંથી અને તબીબી વ્યવસાય કરેલ નિરીક્ષણોમાંથી તેઓએ પોતાનાં પાત્રો સર્જ્યાં છે. ચેહફનાં નાટકોમાં રૂસી જીવનનું ચિત્રણ આબેહૂબ થયેલ છે. ચેહફ મહાન ગદ્યકારોની પંક્તિમાં સર્જક તરીકે સ્થાન પામ્યા, તે ઉપરાંત તેઓ સવાયા દિગ્દર્શક તરીકે પંકાયા. આ ઉપરાંત તેઓએ લખેલ સુંદર નાટિકાઓ એટલી સરસ કે તેના લીધે પણ વિશ્વસાહિત્યમાં તેઓ સ્થાન પામી શકે. તેમની ટૂંકી વાર્તાઓનાં અનેક ભાષામાં ભાષાંતરો થયાં છે. અર્નેસ્ટ જે સિમૉન્સે ‘ચેહફ (chekhov) : અ બાયૉગ્રાફી’ પુસ્તક 1970માં પ્રસિદ્ધ કર્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત જસરાજ

જ. 28 જાન્યુઆરી, 1930 અ. 17 ઑગસ્ટ, 2020

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના યુગપુરુષ, મેવાતી ઘરાનાના મહાન અને પ્રતિભાશાળી કલાકાર પંડિત જસરાજનો જન્મ હરિયાણાના સંગીતપ્રેમી કુટુંબમાં થયો હતો. જસરાજજી માત્ર ચાર વર્ષના હતા ત્યારે જ તેમના પિતા અને ગુરુશ્રી મોતીરામજી અવસાન પામ્યા હતા. સતત અને સખત સંઘર્ષ, ગરીબી અને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ જસરાજજીનો સંગીત પ્રત્યેનો પ્રેમ અવિરત વહ્યો. સાત વર્ષની ઉંમરે તેમણે મોટા ભાઈ પંડિત પ્રતાપનારાયણ પાસેથી તબલાં શીખવાનું શરૂ કર્યું અને 14 વર્ષની ઉંમરથી તેમણે માત્ર ગાવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમાં બેગમ અખ્તર તેમનો પ્રેરણાસ્રોત રહ્યાં. તેઓ અવારનવાર ગુજરાતના સાણંદમાં, મેવાતી ઘરાનાના ગુરુ ઠાકુરસાહેબ જયવંતસિંહજી વાઘેલા પાસે સંગીત શીખવા આવતા. 1946માં તેમણે કલકત્તા રેડિયો પર શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરવાનું શરૂ કર્યું. તેઓ દિવસના 14 કલાક રિયાઝ કરતા. 1952માં માત્ર 22 વર્ષની ઉંમરે કાઠમંડુમાં નેપાળનરેશ ત્રિભુવનજી સમક્ષ તેમણે ગાયન પ્રસ્તુત કર્યું. પરંપરાગત રીતે ગવાતા ખયાલ, ઠૂમરી વગેરે ગાનપ્રકારોને તેમણે એવી હળવી શૈલીમાં રજૂ કર્યા કે ભારતીય શાસ્ત્રીય સંગીત વૈશ્વિક સ્તરે પહોંચી ગયું. નિયમોને આધીન રહીને તેમણે પરંપરાગત બંદીશોને નવું સ્વરૂપ આપ્યું. હવેલીસંગીત અને કૃષ્ણભક્તિથી ભરપૂર પદોમાં છલકતી તેમની આધ્યાત્મિકતા શ્રોતાઓને આકર્ષતી. પ્રાચીન ગાનપ્રકાર મૂર્છનાને તેમણે નવા સ્વરૂપે જુગલબંદીમાં રજૂ કરી. જે હવે ‘જસરંગી શૈલી’ તરીકે ઓળખાય છે. ભારત ઉપરાંત વિદેશમાં તેમણે શાસ્ત્રીય સંગીત માટેની શાળાઓ શરૂ કરી. સંગીત માત્ર કારકિર્દી જ નહીં, પણ જીવનપદ્ધતિ છે, એમ માનનાર જસરાજજીએ અનેક શિષ્યો તૈયાર કર્યા. તેમની ગુરુ-શિષ્ય પરંપરા આજે પણ જીવંત છે. સંગીતમાર્તંડ જસરાજજીના અભૂતપૂર્વ યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા અનેક પુરસ્કારો એનાયત કર્યા. 2023માં તેમની ટપાલટિકિટ પણ બહાર પડી છે. 1972થી તેમણે શરૂ કરેલ પંડિત મોતીલાલ મણિરામ સંગીત સમારોહ દર વર્ષે હૈદરાબાદમાં યોજાય છે. સ્વરને ઈશ્વર સાથે જોડીને સંગીતને આત્મિક અનુભૂતિ અપાવનાર જસરાજજીનું જીવન સંઘર્ષ, સાધના અને સફળતાનો પર્યાય અને પ્રેરણાસ્રોત હતું.

Categories
વાચન સમૃદ્ધિ

જનરલ અરુણ વૈદ્ય

જ. 27 જાન્યુઆરી, 1926 અ. 10 ઑગસ્ટ, 1986

ભારતીય સેનાના જનરલ અરુણ વૈદ્યનો જન્મ મુંબઈમાં થયો હતો. પિતા શ્રીધર અને માતા ઇન્દિરા. તેમનું પ્રારંભિક શિક્ષણ પુણેમાં અને પછી મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં થયું હતું. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજ અને પછી સૂરતની એમટીબી આર્ટસ કૉલેજમાં અભ્યાસ કર્યો. એલ્ફિન્સ્ટન કૉલેજમાં યુનિવર્સિટી ટ્રેનિંગ કોર્પ્સની 1લી બૉમ્બે બટાલિયનમાં જોડાયા. 1945માં રોયલ ડેક્કન હોર્સમાં સેવા આપી. તેમણે બીજા વિશ્વયુદ્ધ વખતે બર્મામાં પ્રવેશવા માટે બ્રિટિશ લશ્કરની ટુકડીને નેતૃત્વ પૂરું પાડ્યું હતું. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ખેમકરણ સેક્ટરમાં 70 જેટલી દુશ્મન ટૅન્કોનો નાશ થયો એ માટે એમણે અપૂર્વ શૌર્ય બતાવ્યું હતું. આ માટે તેમને મહાવીરચક્ર એનાયત થયો હતો. ભારતના ઉત્તર-પૂર્વમાં ચીન દ્વારા પ્રશિક્ષિત નાગા બળવાખોરોને ખાળવા માટે તેમને અતિવિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવ્યો હતો. 1971માં પાકિસ્તાન સાથે યુ્દ્ધમાં શકરગઢ સેક્ટરમાં યુદ્ધ દરમિયાન ટૅન્કોને બહાર કાઢવા માટે મહાવીરચક્ર તથા 1983માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ભારતીય સેનામાં વિવિધ પદો પર કામ કર્યું હતું. તેઓ 1983થી 1986 સુધી બારમા ચીફ ઑફ ધ આર્મીસ્ટાફ હતા. તેમણે સેના જનરલ તરીકે પણ કાર્ય કર્યું હતું. પંજાબમાં આતંકવાદ ખાળવા ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નિવૃત્તિ પછી પંજાબના ખાલિસ્તાન તરફી બે આતંકવાદીઓએ એમના પર ગોળીઓ છોડી હત્યા કરી હતી. આ ઉપરાંત તેમને બહાદુરીભર્યા કાર્ય બદલ બર્મા સ્ટાર વૉર ચંદ્રક, ઇન્ડિયા સર્વિસ મેડલ, સૈન્ય સેવા મેડલ, રક્ષા મેડલ, મરણોત્તર પદ્મવિભૂષણ વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા હતા.