Categories
વાચન સમૃદ્ધિ

એન. વી. ગાડગીલ

જ. 10 જાન્યુઆરી, 1896 અ. 12 જાન્યુઆરી, 1966

મહારાષ્ટ્રના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની, રાજકારણી અને સમાજસુધારક. તેમનું પૂરું નામ નરહર વિષ્ણુ ગાડગીલ. તેઓ ‘કાકાસાહેબ’ના હુલામણા નામથી પણ ઓળખાતા. જન્મ મંદસૌરના મલ્હારગઢમાં. શિક્ષણનો પ્રારંભ વેદ પાઠશાળામાં કર્યા બાદ પુણેના નૂતન મરાઠી વિદ્યાલયમાંથી મૅટ્રિક પાસ થઈ ઉચ્ચશિક્ષણ માટે વડોદરા કૉલેજમાં અને ત્યારબાદ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. બે વર્ષ બાદ એલએલ.બી.ની ઉપાધિ મેળવી અને થોડા સમય માટે ટિળક મહાવિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા અને 1920થી રાષ્ટ્રીય કૉંગ્રેસના કાર્યમાં ઓતપ્રોત થઈ ગયા. 1921થી શરૂ થયેલી બધી રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો અને લગભગ પાંચ વરસ ઉપરાંત જેલ પણ ભોગવી. ત્રણ દાયકા સુધી તેઓ કૉંગ્રેસ પક્ષમાં પદાધિકારી હતા. તેઓ પુણે જિલ્લા કૉંગ્રેસ સમિતિના મંત્રી, અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય, ભારતીય લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય અને 1934થી 37 દરમિયાન કેન્દ્રીય ધારાસભાના સભ્ય રહ્યા હતા. તેઓ 1937થી 1945 સુધી મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રમુખ રહ્યા અને 1945થી 1947 સુધી કૉંગ્રેસ લેજિસ્લેટિવ પાર્ટીના સેક્રેટરી રહ્યા. આ ઉપરાંત 1947થી 1950 સુધી નહેરુના મંત્રીમંડળમાં ઊર્જામંત્રી રહ્યા. 1958થી 1962 દરમિયાન પંજાબના રાજ્યપાલ રહ્યા અને નિવૃત્તિ બાદ 1964થી 1966 સુધી ‘સાવિત્રીબાઈ ફુલે પૂના વિશ્વવિદ્યાલય’ના કુલપતિ તરીકે રહ્યા. તેમણે મરાઠી સાહિત્યમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે, આથી જ 1962ના મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવેલી. તેમણે ‘હનારાવ’ તખલ્લુસથી સામયિકોમાં રાજકારણ, અર્થશાસ્ત્ર, કાયદો અને બંધારણીય વિકાસ ઉપર ઘણા લેખો લખ્યા હતા. તેમનાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકો પૈકી ‘પથિક’ (2 ભાગમાં આત્મકથા), ‘લાલ કિલ્લાચ્યા  છાયેત’, ‘કાહી મોહરા કાહી મોતી’ (ભારતીય નેતાઓનાં રેખાચિત્રો) તથા ‘માઝે સમકાલીન’ નોંધપાત્ર છે. સામાજિક સુધારણા અંગે ઉદાર વિચારસરણી ધરાવતા હોવાથી જ્ઞાતિસંસ્થાના વિરોધી હતા. અસ્પૃશ્યતાના દૂષણનો વિરોધ કરી 1929ના પુણેનું પાર્વતી મંદિર અછૂતો માટે ખુલ્લું  મૂકવાની ચળવળ પણ ચલાવેલી. આ ઉપરાંત વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવાના પણ હિમાયતી રહ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

મહેન્દ્ર કપૂર

જ. 9 જાન્યુઆરી, 1934 અ. 27 સપ્ટેમ્બર, 2008

હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂરનો જન્મ અમૃતસરમાં થયો હતો. હિન્દી ફિલ્મજગતમાં જ્યારે સુપ્રસિદ્ધ દિગ્ગજ ગાયકો પોતાના અવાજ અને ગાવાની શૈલી સાથે છવાયેલા હતા ત્યારે શ્રી મહેન્દ્ર કપૂરે પોતાની આગવી ઓળખ બનાવી. તેઓ નાનપણથી જ મહંમદ રફીને પોતાની પ્રેરણામૂર્તિ માનતા. તેઓ બહુ જ નાની ઉંમરે મુંબઈમાં સ્થાયી થયા. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ પંડિત હુસ્નલાલ, પંડિત જગન્નાથ બુઆ, પંડિત તુલસીદાસ શર્મા, ઉસ્તાદ નિઆજ અહેમદ ખાં અને ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાં પાસેથી લીધી. સેંટ ઝેવિયર્સના સ્નાતક મહેન્દ્ર કપૂરે રફીસાહેબે ગાયેલાં ગીતોને મૌલિક રીતે રજૂ કરીને મેટ્રો-મરફી ઑલ ઇન્ડિયા સંગીત સ્પર્ધા જીત્યા પછી તેમની કારકિર્દીનો રસ્તો ખૂલી ગયો. તેમણે પહેલી વાર 1958માં વી. શાંતારામની ‘નવરંગ’ ફિલ્મમાં ‘આધા હૈ ચંદ્રમા’ ગાયું. ટીવી સિરિયલ ‘મહાભારત’માં તેમણે ગાયેલ શીર્ષક ગીત ખૂબ લોકપ્રિય થયું. બી. આર. ચોપરાની ફિલ્મો ‘હમરાઝ’, ‘નિકાહ’, ‘ગુમરાહ’, ‘ધૂલ કા ફૂલ’ વગેરેમાં તેમણે ગાયેલાં ગીતો યાદગાર બન્યાં છે. તેમનો અવાજ મંદ્રસપ્તકથી તારસપ્તક સુધી એટલો આસાનીથી પહોંચતો કે તેમને ‘vibrant voice of India’ તરીકે ઓળખવામાં આવતા. અભિનેતા મનોજકુમારની ફિલ્મોના તેઓ ‘અવાજ’ કહેવાતા. ભારતના તે સૌથી પહેલા પાર્શ્વગાયક હતા જેમણે અંગ્રેજી ભાષામાં પણ રેકૉર્ડિંગ કર્યાં. ખૂબ જાણીતા બેન્ડ બોની-M સાથે સહયોગ કરીને તેમણે પ્રખ્યાત ગીતોને હિન્દી ભાષામાં પોપ આલબમ-3માં ગાયાં. પંજાબી, ગુજરાતી, મરાઠી, ભોજપુરી એમ જુદી જુદી ભાષાઓની ફિલ્મોમાં તેમણે ગાયું હતું. શ્રી કપૂરે ગાયેલ લોકપ્રિય ગુજરાતી ગીતો એટલે ‘ઓ રંગ રસિયા’, ‘જેને રામ રાખે’, ‘ધૂણી રે ધખાવી’, ‘જોબનિયું આજ આવ્યું’ વગેરે છે. સંગીતક્ષેત્રે તેમણે કરેલા અમૂલ્ય યોગદાન માટે 1972માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા. મહારાષ્ટ્ર સરકારે તેમને શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકે નવાજ્યા હતા અને અનેક ફિલ્મફેર ઍવૉર્ડ આપવામાં આવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

સઈદ જાફરી

જ. 8 જાન્યુઆરી, 1929 અ. 15 નવેમ્બર, 2015

આગવી અદાકારી અને અભિનય માટે જાણીતા ભારતીય સિનેજગતના અભિનેતા સઈદ જાફરીનો જન્મ પંજાબમાં થયો હતો. હિન્દી, પંજાબી, ઉર્દૂ, અંગ્રેજી ભાષાઓ પર એમનું પ્રભુત્વ હતું, જેનો ઉપયોગ તેઓ વિવિધ પાત્રોની ભજવણી વખતે કરતા હતા. પિતા હમિદહુસૈન જાફરી, સરકારી સ્વાસ્થ્ય ખાતામાં તબીબી હોવાને કારણે નોકરીમાં અનેક વાર બદલીઓ આવી. જ્યાં સઈદ જાફરીએ વિવિધ અનુભવો લીધા. બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજી માધ્યમની શાળા અને કૉલેજમાં અભ્યાસ કરવાથી બ્રિટિશ અંગ્રેજીનો સારો મહાવરો રહ્યો. અનુસ્નાતકના અભ્યાસ દરમિયાન રેડિયો બી.બી.સી. સાથે કામ કરવાની તક મળી. ત્યારબાદ નાટકોમાં અભિનય કરતા. 1977માં સત્યજિત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ સાથે હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું જેમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો. ‘હિના’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘ચશ્મેબદદુર’, ‘સાગર’, ‘કિસીસે ના કહેના’, ‘ગાંધી’, ‘માય બ્યૂટીફુલ લૉન્ડ્રેટ’ જેવી અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. હોલિવુડમાં સૌથી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર ભારતીય અભિનેતા છે. તેમણે 150થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. 1958થી 1966 સુધી તેઓ માધુરી જાફરી સાથે લગ્ન સંબંધમાં રહ્યા. 1980માં જેનિફર સોરેલ સાથે બીજાં લગ્ન કર્યાં. પહેલા લગ્નમાં ત્રણ પુત્રીઓ છે. 80 અને 90ના દાયકામાં બ્રિટનનો ટૉપ એશિયન ઍવૉર્ડ તેમને પ્રાપ્ત થયો. લંડનમાં બ્રેઇનહેમરેજના કારણે એમનું અવસાન થયું. અવસાન બાદ 2016માં ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રીના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.