જ. 10 જાન્યુઆરી, 1896 અ. 12 જાન્યુઆરી, 1966

મહારાષ્ટ્રના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની, રાજકારણી અને સમાજસુધારક. તેમનું પૂરું નામ નરહર વિષ્ણુ ગાડગીલ. તેઓ ‘કાકાસાહેબ’ના હુલામણા નામથી પણ ઓળખાતા. જન્મ મંદસૌરના મલ્હારગઢમાં. શિક્ષણનો પ્રારંભ વેદ પાઠશાળામાં કર્યા બાદ પુણેના નૂતન મરાઠી વિદ્યાલયમાંથી મૅટ્રિક પાસ થઈ ઉચ્ચશિક્ષણ માટે વડોદરા કૉલેજમાં અને ત્યારબાદ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. બે વર્ષ બાદ એલએલ.બી.ની ઉપાધિ મેળવી અને થોડા સમય માટે ટિળક મહાવિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા અને 1920થી રાષ્ટ્રીય કૉંગ્રેસના કાર્યમાં ઓતપ્રોત થઈ ગયા. 1921થી શરૂ થયેલી બધી રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો અને લગભગ પાંચ વરસ ઉપરાંત જેલ પણ ભોગવી. ત્રણ દાયકા સુધી તેઓ કૉંગ્રેસ પક્ષમાં પદાધિકારી હતા. તેઓ પુણે જિલ્લા કૉંગ્રેસ સમિતિના મંત્રી, અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય, ભારતીય લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય અને 1934થી 37 દરમિયાન કેન્દ્રીય ધારાસભાના સભ્ય રહ્યા હતા. તેઓ 1937થી 1945 સુધી મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રમુખ રહ્યા અને 1945થી 1947 સુધી કૉંગ્રેસ લેજિસ્લેટિવ પાર્ટીના સેક્રેટરી રહ્યા. આ ઉપરાંત 1947થી 1950 સુધી નહેરુના મંત્રીમંડળમાં ઊર્જામંત્રી રહ્યા. 1958થી 1962 દરમિયાન પંજાબના રાજ્યપાલ રહ્યા અને નિવૃત્તિ બાદ 1964થી 1966 સુધી ‘સાવિત્રીબાઈ ફુલે પૂના વિશ્વવિદ્યાલય’ના કુલપતિ તરીકે રહ્યા. તેમણે મરાઠી સાહિત્યમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે, આથી જ 1962ના મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવેલી. તેમણે ‘હનારાવ’ તખલ્લુસથી સામયિકોમાં રાજકારણ, અર્થશાસ્ત્ર, કાયદો અને બંધારણીય વિકાસ ઉપર ઘણા લેખો લખ્યા હતા. તેમનાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકો પૈકી ‘પથિક’ (2 ભાગમાં આત્મકથા), ‘લાલ કિલ્લાચ્યા છાયેત’, ‘કાહી મોહરા કાહી મોતી’ (ભારતીય નેતાઓનાં રેખાચિત્રો) તથા ‘માઝે સમકાલીન’ નોંધપાત્ર છે. સામાજિક સુધારણા અંગે ઉદાર વિચારસરણી ધરાવતા હોવાથી જ્ઞાતિસંસ્થાના વિરોધી હતા. અસ્પૃશ્યતાના દૂષણનો વિરોધ કરી 1929ના પુણેનું પાર્વતી મંદિર અછૂતો માટે ખુલ્લું મૂકવાની ચળવળ પણ ચલાવેલી. આ ઉપરાંત વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવાના પણ હિમાયતી રહ્યા હતા.
રાજશ્રી મહાદેવિયા


