જ. ૧૩ જૂન, ૧૯૦૫ અ. ૨ એપ્રિલ, ૧૯૮૧

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત નવલકથાકાર, કવિ, નાટ્યકાર, પત્રકાર અને આયુર્વેદિક ચિકિત્સક મોહનલાલ ધામીનો જન્મ પાટણ, બરોડા સ્ટેટમાં થયો હતો. તેમણે ચોટીલાની હન્ટરમેન ટ્રેનિંગ કૉલેજમાં છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. બાળપણમાં તેઓ જૈન સાધુ બનવા ઇચ્છતા હતા, પરંતુ તે શક્ય ન બનતાં તેમણે દૂધપાકનો ત્યાગ કર્યો હતો. મોહનલાલ ધામીનાં પત્નીનું નામ કાંતાબહેન અને પુત્રનું નામ વિમલ હતું. ૧૯૨૮માં પાટણના ઉજમશી પીતાંબરદાસ આયુર્વેદિક કૉલેજમાંથી તેમણે ‘આયુર્વેદભૂષણ’ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે બંગાળી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, ઉર્દૂ અને મરાઠી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું. ૧૯૨૯માં તેમણે ચોટીલામાં આયુર્વેદિક દવાખાનું શરૂ કર્યું અને ત્યારબાદ ૧૯૩૭માં રાજકોટમાં દવાખાનું શરૂ કર્યું હતું. મોહનલાલ ધામી, મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત હોવાથી તેમણે જીવનભર ખાદીનો પહેરવેશ ધારણ કર્યો હતો. ભારતના સ્વતંત્રતા આંદોલનમાં પણ તેમણે ભાગ લીધો હતો અને જ્યારે વિસાપુર ખાતેના સત્યાગ્રહમાં ભાગ લીધો, ત્યારે બ્રિટિશ સરકાર દ્વારા તેમને જેલ થઈ હતી. આ ઉપરાંત વલ્લભભાઈ પટેલના સૂચન પર તેમણે મહારાષ્ટ્રનાં ગામોમાં જાગૃતિ ફેલાવવા માટે મોબાઇલ પ્રદર્શનનું આયોજન પણ કર્યું હતું. મોહનલાલ ધામી એક ઉત્કૃષ્ટ સાહિત્યકાર હતા. તેમણે લખેલાં ૧૭૦થી વધુ પુસ્તકોમાં જૈન ધર્મ આધારિત ઐતિહાસિક નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, જીવનચરિત્રો, પ્રવાસવર્ણનો, બાળસાહિત્ય, નિબંધો, અનુવાદો, લોકસાહિત્ય અને ધાર્મિક સાહિત્યનો સમાવેશ થાય છે. તેમનું ‘દાદીમાનું વૈદું’ પુસ્તક ખૂબ પ્રખ્યાત છે. ‘મૃદુલ’ અને ‘બાજીગર’ ઉપનામ હેઠળ ૧૮ વર્ષની ઉંમરે તેમણે ‘આત્મા વિનોદ’ નામનું એક પુસ્તક લખ્યું અને ‘કોકિલ’ નામનું એક સામયિક પણ પ્રકાશિત કર્યું હતું. તેમણે ‘વરઘેલી’, ‘એના ચરણે’ અને ‘ભણેલી વહુ’ એમ ત્રણ ગુજરાતી ફિલ્મની કથા, સંવાદ અને ગીતો પણ લખ્યાં છે. તેમનાં ‘રૂપકોશા’ જેવાં પુસ્તકો યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ સમાવિષ્ટ થયાં છે જેનું હિન્દી તથા અંગ્રેજી ભાષામાં પણ ભાષાંતર થયું છે. મોહનલાલ ધામીનું અવસાન રાજકોટમાં થયું.
મયંક ત્રિવેદી