જ. ૧ જૂન, ૧૮૪૨ અ. ૯ જાન્યુઆરી, ૧૯૨૩

તેઓ ભારતીય સનદી અધિકારી, કવિ, સંગીતકાર અને સમાજસુધારક તેમ જ ભાષાશાસ્ત્રી હતા. આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર સત્યેન્દ્રનાથ ટાગોરનો જન્મ મહર્ષિ દેબેન્દ્રનાથ ટાગોર અને શારદાદેવીને ત્યાં કૉલકાતાના જોરાસાંકોમાં થયો હતો. રવીન્દ્રનાથ ટાગોર સહિત તેઓ નવ ભાઈ-બહેન હતાં. તેમણે પ્રેસિડેન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ ભારતીય સિવિલ સર્વિસ(ICS)ના અધિકારી બનનારા પ્રથમ ભારતીય હતા. ૧૮૫૯માં તેમનાં લગ્ન જ્ઞાનનંદિનીદેવી સાથે થયાં અને ૧૮૬૨માં તેઓ લંડન ગયા. ત્યાં પ્રોબેશનરી તાલીમ લઈને પાછા આવ્યા અને ૧૮૬૪માં મુંબઈમાં સેવામાં જોડાયા. તેમણે આસિસ્ટન્ટ મૅજિસ્ટ્રેટ અને કલેક્ટર તરીકે અમદાવાદમાં પણ કામગીરી કરી હતી. નોકરી દરમિયાન સમગ્ર ભારતમાં પ્રવાસ કરવાની તક મળી અને તેને કારણે તેઓ જુદી જુદી ભારતીય ભાષાઓ શીખ્યા. તેમણે તુકારામ અને બાલગંગાધરનાં પુસ્તકોનો બંગાળી ભાષામાં અનુવાદ કર્યો છે. તેમણે સંસ્કૃતમાંથી પણ બંગાળી ભાષામાં અનુવાદ કર્યા છે. સત્યેન્દ્રનાથ ટાગોર પાસેથી આપણને ‘સુશીલા ઓ બિરસિંહા, ‘બૉમ્બે ચિત્રા’, ‘નબરત્નમાલા’, ‘બૌદ્ધ ધર્મ’, ‘સ્ત્રીસ્વાધીનતા’, ‘ભારતબારસિયો ઇંગ્રેજ’, ‘રાજા રામમોહન રૉય’, ‘અમર બાલ્યાકોઠા’ જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. તેમણે મુખ્યત્વે ગીતો લખ્યાં છે. તેમનું દેશભક્તિપૂર્ણ બંગાળી ભાષાનું ગીત ‘મિલે સાબે ભારત સંતન, એકતાન ગાગો ગાન’ (એક થાઓ, ભારતનાં બાળકો, એક સ્વરમાં ગાય છે) જેને ભારતના પ્રથમ રાષ્ટ્રગીત તરીકે બિરદાવવામાં આવ્યું હતું. તેઓ બ્રહ્મોસમાજના સક્રિય સભ્ય હતા. ૧૯૦૭માં તેઓ આદિ બ્રહ્મોસમાજના પ્રમુખ બનેલા. તેમના મોટા ભાઈ દ્વિજેન્દ્રનાથ ટાગોર સાથે આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. ૧૯મી અને ૨૦મી સદીમાં સામાજિક અને ધાર્મિક વિચારોમાં પરિવર્તન લાવવામાં તેમનો સમાજસુધારક તરીકે મહત્ત્વનો ફાળો છે. નિવૃત્તિ પછી તેઓ કૉલકાતામાં સ્થાયી થયા અને તેમના ઘરે માત્ર સગાંઓ અને મિત્રો જ નહીં, પરંતુ કૉલકાતાના મહાનુભાવો પણ આવતા. તેમના ઘરે સાહિત્યની મજલિસ પણ થતી હતી.
અશ્વિન આણદાણી