Categories
વાચન સમૃદ્ધિ

મણિરામ દત્તા બરુઆ

જ. ૧૭ એપ્રિલ, ૧૮૦૬ અ. ૨૬ ફેબ્રુઆરી, ૧૮૫૮

આસામમાં ચાના બગીચા સ્થાપનારા પ્રથમ લોકોમાંના એક મણિરામ દત્તાનો જન્મ આસામના ઉમરાવ પરિવારમાં થયો હતો. તેમના પૈતૃક પૂર્વજો અહોમ કોર્ટમાં ઉચ્ચ હોદ્દા પર હતા. તેઓ મણિરામ ‘દીવાન’ તરીકે પણ જાણીતા હતા. ઉચ્ચ આસામના લોકોમાં તેઓ ‘કલિતા રાજા’ (કલિતા જાતિના રાજા) તરીકે જાણીતા હતા. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેઓ ઉત્તર-પૂર્વ ભારતના ગવર્નર જનરલના એજન્ટ ડેવિડ સ્કોટ હેઠળ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટમાં વફાદાર સહયોગી બન્યા હતા. ૧૮૨૮માં ૨૨ વર્ષીય મણિરામને સ્કોટના નાયબ કેપ્ટન જોન બ્રાયન ન્યુફવિલે હેઠળ રંગપુરના તહસીલદાર અને શેરીસ્તાદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાછળથી ૧૮૩૩-૩૮ દરમિયાન આસામના નામાંકિત શાસક પુરંદરિંસઘ દ્વારા મણિરામને બોરભંડાર (વડાપ્રધાન) બનાવવામાં આવ્યા હતા. મણિરામે અંગ્રેજોને સિંગફો લોકો દ્વારા ઉગાડવામાં આવતી આસામની ચા વિશે માહિતી આપી હતી, જે અત્યાર સુધીના બાકીના વિશ્વ માટે અજાણ હતી. ૧૮૩૩માં ચાઇનીઝ ચાના વેપાર પરનો એકાધિકાર સમાપ્ત થયા પછી  ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ચાનાં મોટાં વાવેતરો સ્થાપવાનું નક્કી કર્યું, જેમાં ચાની ખેતી માટે યોગ્ય સ્થાન માટે આસામનું નામ સૂચવવામાં આવ્યું. પુરંદરિંસઘના પ્રતિનિધિ તરીકે મણિરામ ડૉ. વાલિચને મળ્યા અને ચાની ખેતી માટે પ્રદેશની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો. ૧૮૩૯માં મણિરામ નાઝીરા ખાતે આસામ ટી. કંપનીમાં દીવાન બન્યા. દર મહિને ૨૦૦ રૂ.નો પગાર મેળવતા હતા. ૧૮૪૦માં અધિકારીઓ સાથેના મતભેદોને કારણે તેમણે નોકરી છોડી દીધી. આટલા સમયમાં મણિરામે ચાની ખેતીની કુશળતા મેળવી લીધી હતી. તેમણે જોરહાટમાં સિન્નામારા ખાતે પોતાનો ચાનો બગીચો બનાવ્યો. આમ આસામમાં વ્યાપક રીતે ચા ઉગાડનાર પ્રથમ ભારતીય ચા પ્લાન્ટર બન્યા. ચા ઉપરાંત મણિરામે આયર્ન સ્મેલ્ટિંગ, સોનાની પ્રાપ્તિ અને મીઠાના ઉત્પાદનમાં પણ સાહસ કર્યું. તેમની અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં હૅન્ડલૂમ, બોટ મેકિંગ, હોઝિયરી, કટલરી, ડાઇંગ, હાથીદાંતનું કામ, સિરામિક, કૃષિ ઉત્પાદનો, હાથીનો વેપાર વગેરેનો સમાવેશ થાય છે. ૧૮૫૭ના બળવા દરમિયાન અંગ્રેજો વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ તેમને ફાંસી આપવામાં આવી હતી. ગુવાહાટીનું મણિરામ દીવાન ટ્રેડ સેન્ટર અને દિબ્રુગઢ યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલને મણિરામ દીવાન બૉય્ઝ હૉસ્ટેલ નામ આપવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

અક્ષયકુમાર રમણલાલ દેસાઈ

જ. ૧૬ એપ્રિલ, ૧૯૧૫ અ. ૧૨ ઑક્ટોબર, ૧૯૯૪

ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈના પુત્ર પ્રખર માર્કસવાદી અને કર્મશીલ સમાજશાસ્ત્રી અક્ષયકુમારે બાળપણમાં જ માતાને ગુમાવી હતી. તેઓ વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા, પણ ત્યાં હડતાળ પડવાના કારણે મુંબઈમાં ભણ્યા અને કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી મેળવી. ત્યારબાદ સમાજશાસ્ત્રમાં વધારે રુચિ હોવાથી પીએચ.ડી.નો અભ્યાસ કર્યો. તેમણે લખેલ શોધનિબંધ ‘ભારતીય રાષ્ટ્રવાદની સામાજિક પાર્શ્વભૂમિ’ ૧૯૪૮માં અંગ્રેજીમાં પુસ્તક રૂપે પ્રગટ થયો. જેની અનેક આવૃત્તિઓ થઈ અને ભારતની મોટા ભાગની ભાષાઓમાં તેનો અનુવાદ થયો. અક્ષયકુમારની વરણી ૧૯૪૬માં મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં સમાજશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે થઈ. ૧૯૫૧માં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં જોડાયા. ત્યાંથી તેઓ સમાજશાસ્ત્રના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ ‘ઇન્ડિયન સોશિયોલૉજિકલ સોસાયટી’ અને ‘ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ’ના પ્રમુખ હતા. ભારતીય ગ્રામીણ સમાજશાસ્ત્ર, રાષ્ટ્રવાદ, આધુનિકીકરણ, ભારતમાં ઝૂંપડપટ્ટીની સમસ્યા, શહેરી કુટુંબો અને કુટુંબનિયોજન, ખેડૂત-આંદોલનો વગેરેના અભ્યાસનો તેમાં સમાવેશ થાય છે. તેઓ નીરા દેસાઈના સંપર્કમાં આવ્યા અને બંનેએ લગ્ન કર્યાં. સમાજશાસ્ત્ર વિશે ગુજરાતી ભાષામાં  સંદર્ભસાહિત્ય મળી રહે તે હેતુથી ‘સમાજ વિજ્ઞાનમાળા’ શ્રેણીમાં દેસાઈ દંપતીએ વીસ પુસ્તકોનું પ્રકાશન કર્યું. તેઓ ‘પડકાર’ નામના દ્વૈમાસિકનું સંપાદન પણ કરતા હતા. તેમને પંડિત જવાહરલાલ નહેરુ ઍવૉર્ડ ફોર સોશિયલ સાયન્સીસ (૧૯૮૭) અને યુ.જી.સી. દ્વારા બેસ્ટ સોશિયોલૉજિસ્ટ ઑફ ધ યર (૧૯૮૭)નો ઍવૉર્ડ મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ગગનવિહારી મહેતા

જ. ૧૫ એપ્રિલ, ૧૯૦૦ અ. ૨૮ એપ્રિલ, ૧૯૭૪

ભારતના અમેરિકા ખાતેના ભૂતપૂર્વ એલચી, કુશળ વહીવટકર્તા અને પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા ગગનવિહારી મહેતાનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા સર લલ્લુભાઈ શામળદાસ. તેમના જન્મના વર્ષે જ પરિવાર ભાવનગરથી મુંબઈ રહેવા ગયો. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચશિક્ષણ લીધું. બી.એ. ઑનર્સની પદવી અર્થશાસ્ત્ર વિષય સાથે મેળવી. તે પછી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં પ્રવેશ મેળવ્યો અને કૉલેજનાં ચારેય વર્ષ ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયોમાં પ્રથમ આવવા બદલ અનેક ઇનામો પ્રાપ્ત કર્યાં. ૧૯૨૩માં તેમણે ‘બૉમ્બે ક્રોનિકલ’ અખબારના ઉપતંત્રી તરીકે કામ સંભાળ્યું અને તે પછી ૧૯૪૨માં તેમની વરણી ‘ફિક્કી’ના પ્રેસિડેન્ડ તરીકે થઈ. સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ તેમને ટેરિફ બોર્ડના ચૅરમૅન બનાવાયા અને પછી પ્રથમ આયોજન નિગમના સદસ્ય નિમાયા. ૧૯૫૨માં તેમને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં ભારતના એલચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પદે તેમણે છ વર્ષ સુધી પ્રશંસનીય સેવાઓ આપી. તેમણે ન્યૂયૉર્ક, જિનીવા, મોન્ટ્રિયલ વગેરે શહેરોમાં મળેલ આંતરરાષ્ટ્રીય વેપારી મહામંડળ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ૧૯૫૯થી ૧૯૬૩ દરમિયાન નૅશનલ શિપિંગ બોર્ડના ચૅરમૅન તરીકે સેવા આપી. ૧૯૬૫માં ઍર ઇન્ડિયા અને ઇન્ડિયન ઍરલાઇન્સનું ચૅરમૅનપદ શોભાવ્યું. નવી સ્થપાયેલી સંસ્થા આઈ.સી.આઈ.સી.આઈ.ના તેઓ પ્રથમ ચૅરમૅન બન્યા. તેનું સફળ સંચાલન કરી તેમણે દેશના ઔદ્યોગિકીકરણમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું. તેમની પ્રવૃત્તિસભર જીવનશૈલીમાં પણ તેઓ વિદ્યાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા. અંગ્રેજી તેમ જ ગુજરાતી ભાષા પર તેમનું પ્રભુત્વ હતું. તેમનાં નોંધપાત્ર પ્રકાશનોમાં ગુજરાતીમાં ‘આકાશનાં પુષ્પો’ અને ‘અવળી ગંગા’નો સમાવેશ થાય છે. જ્યારે અંગ્રેજીમાં ‘સ્ટડીઝ ઇન ગાંધીઝમ, ફ્રોમ રોંગ ઍંગલ્સ, પરવર્સિટીઝ, અન્ડરસ્ટૅન્ડિંગ ઇન્ડિયા’ વગેરે નોંધપાત્ર ગણાય છે.

૧૯૫૯માં તેમને ‘પદ્મવિભૂષણ’થી સન્માનવામાં આવ્યા.