Categories
વાચન સમૃદ્ધિ

સરતચંદ્ર બોઝ

જ. ૬ સપ્ટેમ્બર, ૧૮૮૯ અ. ૨૦ ફેબ્રુઆરી, ૧૯૫૦

પ્રતિષ્ઠિત વકીલ, સ્વાતંત્ર્યસંગ્રામના સક્રિય કાર્યકર અને રાજકીય નેતા સરતચંદ્ર બોઝનો જન્મ ઓડિશાના સુટ્ટક ગામમાં કુલીન કાયસ્થ કુટુંબમાં થયો હતો. પિતાનું નામ જાનકીનાથ અને માતાનું નામ પ્રભાવતીદેવી. નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમના ભાઈ થાય. વીસ વર્ષની વયે તેમનાં લગ્ન બિવાવતી ડે સાથે થયાં હતાં. પ્રેસિડન્સી કૉલેજ, સ્કોટિશ ચર્ચ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ૧૯૧૧માં બૅરિસ્ટર થયા. તેમણે છોટા નાગપુરના આદિવાસી લોકોના અધિકારો માટે કામ કર્યું હતું. ભારતમાં આવ્યા બાદ તેમની વકીલાત ધમધોકાર ચાલતી હતી, પણ પછી તેઓ સ્વાતંત્ર્યચળવળમાં જોડાયા. ૧૯૩૬માં તેઓ બંગાળ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ થયા. ૧૯૩૬થી ૧૯૪૭ સુધી તેમણે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય તરીકે સેવા આપી. ચળવળ દરમિયાન તેમને પકડવામાં આવ્યા. જેલનિવાસ દરમિયાન તેમની તબિયત બગડી. ચાર વર્ષના જેલવાસ બાદ ૧૯૪૫ના સપ્ટેમ્બરમાં તેમને છોડવામાં આવ્યા. સુભાષચંદ્ર બોઝ દ્વારા ચલાવવામાં આવતા ભારતીય રાષ્ટ્રીય સેનાનું સમર્થન કર્યું અને તેના સૈનિકોના પરિવારોને સહાયતા કરવાના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું. ૧૯૪૬ અને ૧૯૪૭ સુધી અંતરિમ સરકારમાં કેન્દ્રીય વિધાનસભાના સભ્ય તરીકે કામ કર્યું. જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈના નેતૃત્વમાં રાષ્ટ્રીય કાર્યકારી પરિષદમાં પણ ભાગ લીધો હતો. ‘ભારત છોડો’ આંદોલનમાં પણ તેઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો. ૬૦ વર્ષની વયે કૉલકાતામાં તેમનું અવસાન થયું. કૉલકાતા હાઈકોર્ટના પ્રાંગણમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

આનંદ ચંદ્ર અગ્રવાલ

જ. ૫ સપ્ટેમ્બર, ૧૮૭૪ અ. ૧૯૪૦

આનંદ ચંદ્ર અગ્રવાલ અસમના વિશ્વનાથ જિલ્લાના લેખક, કવિ, ઇતિહાસકાર, અનુવાદક અને વહીવટી અધિકારી હતા. સાંસ્કૃતિક અને બૌદ્ધિક વાતાવરણમાં ઊછરેલા આનંદ ચંદ્ર અગ્રવાલનાં માતા તેમનાં મૂળ ગુરુ હતાં. તેઓ ૧૯૩૪માં મંગળદોઈ ખાતે આયોજિત અસમ સાહિત્ય સભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આનંદ ચંદ્રના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ ‘જિલિકાની’ હતું. તેઓ મૂળ કાવ્યની સુંદરતાને નુકસાન પહોંચાડ્યા વિના શુદ્ધ અસમિયા ભાષાનો ઉપયોગ કરીને કવિતાઓને તોડતા હતા. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘જિલિકાની’માં પણ આવી ઘણી કવિતાઓ હતી. વિદેશી કવિતાના અનુવાદમાં મૂળ કાવ્યને સુંદર બનાવવાર અગ્રવાલને અસમિયા સાહિત્યમાં ‘ભંગોની કુંવર’ તરીકે ઓળખવામાં આવે છે. અગ્રવાલે ૧૯૧૦માં બે પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરેલાં જેનો ઉપયોગ અસમિયા ભાષા શીખવા માટે થાય છે. તેઓ આધ્યાત્મિક લેખો પણ લખતા હતા. તેઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા ત્યારે સિલચર, ગુવાહાટી, દિબ્રૂગઢ જેવી જગ્યાઓમાં રહ્યા હતા. તેમણે ૧૯૦૬માં પોલીસો માટે અંગ્રેજી ભાષામાં ‘પોલીસ મેન્યુઅલ’ નામનું પુસ્તક લખ્યું હતું. આ ઉપરાંત ‘એન એકાઉન્ટ ઑફ આસામ’, ‘આસપૅક્ટ ઑફ હિસ્ટરી ઍન્ડ કલ્ચર’ જેવાં ઇતિહાસનાં પુસ્તકો પણ તેમની પાસેથી મળે છે. બ્રિટિશ સરકારે તેમને રાયબહાદુરનું બિરુદ આપ્યું હતું. આનંદ ચંદ્ર અગ્રવાલ  અસમના જાણીતા કવિ ચંદ્રકુમાર અગ્રવાલના ભાઈ અને કવિ, નાટ્યકાર, સંગીતકાર, ગીતકાર, લેખક અને પ્રથમ અસમના ફિલ્મનિર્માતા જ્યોતિ પ્રસાદ અગ્રવાલના કાકા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

એસ. કે. રામચંદ્ર રાવ

જ. ૪ સપ્ટેમ્બર, ૧૯૨૫ અ. ૨ ફેબ્રુઆરી, ૨૦૦૬

શ્રી એસ. કે. રામચંદ્ર રાવનું પૂરું નામ શાલિગ્રામ ક્રિષ્ના રામચંદ્ર રાવ છે. તેઓ ભારતીય લેખક, મનોવિજ્ઞાનના અધ્યાપક અને સંસ્કૃતના વિદ્વાન હતા. તેમનો જન્મ કર્ણાટકના હસ્સન નામે નાનકડા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે તેમનું બાળપણ દાદા-દાદી સાથે બૅંગાલુરુમાં વિતાવ્યું હતું. તેમણે સંસ્કૃતના અભ્યાસની શરૂઆત વિદ્વાન અગ્નિહોત્રી યજ્ઞવિઠ્ઠલાચાર પાસે કરી હતી. સંસ્કૃત શિક્ષણની આ તાલીમ પાછળથી તેમને પુસ્તકોનાં લેખનમાં ખૂબ ઉપયોગી નીવડી હતી. જ્યારે તેમના દાદાનું અવસાન થયું, તેઓ પોતાનાં માતાપિતા સાથે રહેવા નાનકડા ગામમાં ગયા. પછી તરત જ મૈસૂર જઈ શાળાકીય શિક્ષણ પૂરું કર્યું. ઈ. સ. ૧૯૪૯માં તેઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિષય સાથે એમ.એ. થયા. ઈ. સ. ૧૯૫૪થી ૧૯૬૫ સુધી તેઓ ‘ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેન્ટલ હેલ્થ’(હવે NIMHANS)માં અધ્યાપક હતા. ૧૯૬૨માં તેમની પાસેથી ‘ધ ડેવલપમેન્ટ ઑફ સાઇકોલૉજિકલ થૉટ ઇન ઇન્ડિયા’ પુસ્તક મળ્યું. ૧૯૬૫માં NIMHANS છોડ્યા પછી તેમણે બૅંગાલુરુની અનેક સંસ્થાઓમાં સાઇકોલૉજી, ફિલૉસૉફી, ઇન્ડોલૉજી, શિક્ષણ અને સમાજકાર્યવિષયક મુલાકાતી અધ્યાપક તરીકે સેવા બજાવી હતી. તેમનાં મોટા ભાગનાં લખાણો ભારતીય સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન, કલા, સંગીત અને સાહિત્યવિષયક છે. તેમનાં લખાણોનો આધાર પ્રાચીન ભારતીય ગ્રંથો અને હસ્તપ્રતો છે. તેઓ ચિત્રકલા અને શિલ્પકલાના પણ જાણકાર હતા. બૅંગાલુરુના રવીન્દ્રકલાક્ષેત્રમાં તેમની આ કલાના નમૂનાઓ કાયમી ધોરણે સ્થાન પામ્યા છે. તેમના મૃત્યુ સમયે તેઓ ઋગ્વેદ પરની ૩૨ ગ્રંથોની યોજના માટે લેખનકાર્ય કરતા હતા. તેમના મૃત્યુ પછી ખંડ સોળમો ૨૦૦૭માં પ્રકાશિત થયો હતો. બૅંગાલુરુમાં તેમનું અવસાન થયું હતું.