Categories
વાચન સમૃદ્ધિ

ઉસ્તાદ વિલાયતખાંસાહેબ

જ. ૨૮ ઑગસ્ટ, ૧૯૨૮ અ. ૧૩ માર્ચ, ૨૦૦૪

ભારતીય શાસ્ત્રીય પરંપરાના જાણીતા સિતારવાદક. સંગીતનિર્દેશક, સિતારવાદક ઉસ્તાદ ઇનાયતખાં તથા શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા નસીરન બેગમના પુત્ર વિલાયતખાં મોખરાના સિતારવાદકોમાં સ્થાન ધરાવે છે. માતા-પિતા – બંનેનાં કુટુંબો પેઢીઓથી સંગીતની સાધના તેમજ વ્યવસાયમાં હોવાને કારણે વિલાયતખાંના જીવનનું એકમાત્ર ધ્યેય સંગીત હતું. સંગીતોપયોગી કંઠ ધરાવવા છતાં વિલાયતખાં કંઠ્ય સંગીતને બદલે સિતારવાદન તરફ વળે એવી એમનાં માતાની ઇચ્છાને વશ એમણે સિતારવાદનની તાલીમ લેવાની શરૂઆત કરી. દાદાના નામથી બનેલું ઇમદાદખાની ઘરાનું વિલાયતખાંની સિતાર સાથે વધુ લોકપ્રિય બન્યું. તેર વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં એમની ઉપર કૌટુંબિક જવાબદારીઓ આવી પડવાને કારણે કિશોર વયમાં અનેક કષ્ટો વેઠવાં પડ્યાં. જે દુ:ખોની પીડાની અનુભૂતિને કારણે એમના સંગીતમાં લાગણી પણ વાચા પામતી હતી એવું તેઓ કહેતા. પિતાના અવસાન પછી કાકા વાહિદખાં તથા નાના બંદેહસન પાસે સંગીતની તાલીમ લીધી. ગાયકી અંગેનું સિતારવાદન એ એમની આગવી ઓળખ હતી. અત્યંત સ્વાભિમાની તેમજ અલગ મિજાજના સિતારવાદક એવા વિલાયતખાંએ ભારત સરકાર તરફથી મળતા પદ્મભૂષણના સન્માનનો અસ્વીકાર કર્યો હતો. ‘આફતાબ-એ-સિતાર’, ‘ભારત સિતાર સમ્રાટ’, ‘સન ઑફ ધ સિતાર’ જેવાં સન્માનો એમણે સ્વીકાર્યાં હતાં. એમના પુત્ર શુજાતહુસેનખાં, હિદાયતખાં પણ ખ્યાતનામ સિતારવાદક છે. સત્યજિત રેની ફિલ્મ ‘જલસાઘર’માં વિલાયતખાં દ્વારા સ્વરબદ્ધ થયેલું પશ્ચાદભૂ સંગીતે ફિલ્મની કલાત્મકતાને વધુ નિખારી હતી. વિલાયતખાંના શિષ્યોમાં કાશીનાથ મુખરજી, અરિંવદ પરીખ, હસુ પટેલનો સમાવેશ થાય છે. ફેફસાંના કૅન્સરની બીમારીના કારણે એમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ડોન બ્રેડમેન

જ. ૨૭ ઑગસ્ટ, ૧૯૦૮ અ. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૦૧

‘ડોન’ના ઉપનામથી જાણીતા ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેનને ક્રિકેટના ઇતિહાસના સર્વોત્કૃષ્ટ બૅટ્સમૅન તરીકે ઓળખવામાં આવે છે. એની ટેસ્ટમૅચની બૅટિંગ સરેરાશ ૯૯.૯૪ છે, જે કોઈ પણ સ્પર્ધા માટે ઘણી મોટી સિદ્ધિ ગણાય છે. ઑસ્ટ્રેલિયાનાં લોકગીતોમાં જુવાન ડોનાલ્ડ બ્રેડમેનની સિદ્ધિનાં ગીતો સાંપડે છે. વીસ વર્ષની એની કારકિર્દીમાં ડોનાલ્ડ બ્રેડમેનની ઝંઝાવાતી બૅટિંગને થંભાવવા માટે ઇંગ્લૅન્ડની ટીમને વિવાદાસ્પદ એવી બૅટ્સમૅનના શરીરને લક્ષ્ય કરતી ‘બૉડીલાઇન’ ગોલંદાજી શોધવી પડી હતી. માત્ર બે વર્ષમાં એ ગામડાંનાં ક્રિકેટમાંથી ઑસ્ટ્રેલિયન ટીમમાં પ્રવેશ પામ્યો અને બાવીસમા જન્મદિવસ પૂર્વે નોંધાવેલા એના વિક્રમો હજી વણતૂટ્યા છે. પોતાની પ્રથમ કક્ષાના શેફિલ્ડ શિલ્ડની પ્રથમ મૅચમાં એડિલેડ પર દક્ષિણ ઑસ્ટ્રેલિયાની ટીમ સામે એમણે ૧૧૮ રન કર્યા હતા અને પછી એમની પ્રથમ કક્ષાની એકવીસ વર્ષની કારકિર્દીમાં દર ત્રણ દાવમાં એક વાર સદી કરવાની ભવ્ય અને અણનમ સિદ્ધિ નોંધાવી છે. ૧૯૪૮માં નિવૃત્તિ સમયે ૧૧૭ સદી નોંધાવી હતી, જેમાંથી ૨૯ ટેસ્ટ સદી છે. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં એમનો સૌથી મોટો જુમલો અણનમ ૪૫૨ રનનો છે, ૩૦૦ રનથી વધુ ૬ દાવ, ૨૦૦ રનથી વધુ ૩૭ દાવ એ ખેલ્યા છે. એમની બૅટિંગકલા એવી હતી કે ગોલંદાજ પર એ સતત આક્રમણ કરતા. મૅચ અને ટીમની પરિસ્થિતિ પ્રમાણે એ ખેલતા, પરંતુ ચપળ આંખ અને અંગોના સંવાદીપણાને કારણે એ ખૂબ જોશથી સ્ટ્રોક લગાવી શકતા. ક્યારેક તો એમની શક્તિ અને એમની ક્ષમતા માનવીય ક્ષમતાઓને પાર કરતી લાગતી હતી. એ બાવન ટેસ્ટ રમ્યા, જેમાં ૨૪ ટેસ્ટમાં સુકાની તરીકે દેશની આગેવાની સંભાળી. વળી ટેસ્ટમૅચની જે પાંચ શ્રેણીમાં એમની આગેવાની હેઠળ ઑસ્ટ્રેલિયા રમ્યું, તેમાં એક પણ વાર એણે ‘રબર’ ગુમાવ્યું નથી. કુલ ૬,૯૯૬ રન કરનાર ડોન બ્રેડમેન ૧૯૪૮ની ઓવલની છેલ્લી ટેસ્ટમાં હોલિસ નામના સામાન્ય ગોલંદાજને હાથે શૂન્ય રને આઉટ થયા હતા અને આને પરિણામે એમની ટેસ્ટ સરેરાશ ૧૦૦ થવાને બદલે ૯૯.૯૪ પર અટકી ગઈ. અનેક વિક્રમો ધરાવનાર ડોન બ્રેડમેનને ટેસ્ટ પ્લેયર તરીકે અડધી સદીની નિવૃત્તિ બાદ ૧૯૯૭માં ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન જ્હોન હાર્વર્ડે એમને ‘સૌથી મહાન જીવંત ઑસ્ટ્રેલિયન’ તરીકે ગણાવ્યા હતા. એમની સ્મૃતિમાં ટપાલટિકિટ અને સિક્કાઓ ઉપરાંત એમની હયાતીમાં એક મ્યુઝિયમ પણ તૈયાર થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

મુનિશ્રી સંતબાલજી

જ. ૨૬ ઑગસ્ટ, ૧૯૦૪ અ. ૨૬ માર્ચ, ૧૯૮૨

હિંદુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ, ખ્રિસ્ત અને જરથુષ્ટ્રનાં ષડ્દર્શનનો ગુણાત્મક સમન્વય કરનાર સમાજસેવક. માતા મોતીબાઈ અને પિતા નાગજીભાઈ. મૂળ નામ શિવલાલ. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે પિતાનું અવસાન. સાત ગુજરાતી સુધીનો અભ્યાસ. પૈસા કમાવા મુંબઈ ગયા. સંતબાલજીના ગુરુ પૂ. નાનચંદ્રજી. સંતબાલજી તેમનાં માનવતાવાદી પ્રવચનોથી આકર્ષાયા. પરિણામે સંતબાલજીએ પોતાનું જીવન તેમનાં ચરણોમાં ધરી દેવાની માગણી મૂકી. તેમણે સં. ૧૯૮૫માં ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને નામ રાખ્યું સૌભાગ્યચંદ્ર. પ્રાકૃત, સંસ્કૃત અને જૈન દર્શન ઉપરાંત ન્યાયપ્રમાણનો તથા અંગ્રેજીનો પણ અભ્યાસ કર્યો. ઈ. સ. ૧૯૩૨માં કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શતાવધાનના સફળ પ્રયોગો કરીને શ્રીમદ્ રાજચંદ્રની સ્મૃતિને તાજી કરી. અજમેરમાં ભરાયેલી જૈન કૉન્ફરન્સમાં તેમણે શતાવધાનના સફળ પ્રયોગો કર્યા. પરિણામે આર્યસમાજે તેમને ‘ભારતરત્ન’નો ઇલકાબ આપ્યો. શંકરાચાર્ય, માર્ટિન લ્યૂથર, દયાનંદ સરસ્વતી, ધર્મપ્રાણ લોંકા શાહ અને ગાંધીજીની ધર્મક્રાંતિથી આકર્ષાઈ તેમણે ધર્મપ્રાણ લોંકા શાહની લેખમાળા પ્રગટ કરવા માંડી. તેના કારણે તેમના ગુરુ નાનચંદ્રજીને ઘણું સહન કરવું પડ્યું. પરિણામે તેમણે નર્મદાના કાંઠે સમૌન એકાંતવાસ સેવ્યો. સંતબાલજીને આત્મતત્ત્વની અનુભૂતિ દૃઢ થતી લાગી તેમ તેમ તેમને મત, ગચ્છ, પંથ અને સંપ્રદાયના વાડા સાંકડા લાગવા માંડ્યા. સ્થાનકવાસી જૈન સંપ્રદાયે તેમને છૂટા કર્યા. સંપ્રદાયથી છૂટા થયા પછી તેમણે ભાલ-નળકાંઠાના વિસ્તારમાં પ્રાયોગિક સંઘની રચના કરી, જેના પરિણામે ત્યાં ખાદી, ખેતી, ગોપાલન અને નઈ તાલીમ જેવી જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલે છે. ભાલ-નળકાંઠા પ્રાયોગિક સંઘની વિશિષ્ટતા એ છે કે ખેડૂતમંડળ, ગોપાલકમંડળ જેવાં નૈતિક ગ્રામસંગઠનો દ્વારા તે લોકશક્તિ નિર્માણ કરવાનું કાર્ય કરે છે. સંતબાલજીએ સત્-સાહિત્ય અર્થે ‘વિશ્વવાત્સલ્ય’ પાક્ષિક પણ પ્રગટ કર્યું હતું. વળી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર દ્વારા તેમણે શ્રી ઉત્તરાધ્યયન, શ્રી દશવૈકાલિક અને શ્રી આચારાંગસૂત્રના અનુવાદનું તેમજ અન્ય પથ્ય સાહિત્ય પણ પ્રગટ કર્યું હતું. મુનિ સૌભાગ્યચંદ્ર ત્યારપછી ‘સંતબાલ’ના નામે ઓળખાવા લાગ્યા. એમના સમગ્ર જીવન ઉપર ‘મુનિશ્રી સંતબાલજી’ નામે દસ્તાવેજી ફિલ્મ તૈયાર થઈ છે. ચીંચણી (જિ. થાણા, મહારાષ્ટ્ર)માં રહીને મહાવીરનગરને તેમણે એમના અનુબંધના પ્રયોગનું કેન્દ્ર બનાવ્યું. સાધુ, સંત અને સેવકનું સંકલન કરી તેમને સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. વળી વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ દ્વારા સ્ત્રીઓના સર્વાંગીણ વિકાસ માટે માતૃસમાજને માર્ગદૃર્શન પણ આપ્યું.