Categories
વાચન સમૃદ્ધિ

રામ જેઠમલાની

જ. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૨૩ અ. ૮ સપ્ટેમ્બર, ૨૦૧૯

સુપ્રસિદ્ધ ભારતીય વકીલ અને રાજનીતિજ્ઞ રામ જેઠમલાનીનો જન્મ બ્રિટિશ ભારતના શિકારપુર શહેરમાં (જે હાલમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ છે) થયો હતો. તેમનું મૂળ નામ રામમૂલચન્દ જેઠમલાની હતું પણ બાળપણમાં રામ નામથી બોલાવતા હોવાથી આગળ જતાં પણ તે જ નામથી મશહૂર થયા. શિક્ષણમાં તેજસ્વી હોવાથી બે-બે ધોરણો એકસાથે પાસ કરી ૧૩ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી લીધી હતી. ૧૭ વર્ષની વયે એલએલ.બી.ની ઉપાધિ પણ મેળવી લીધી પણ તે સમયે ૨૧ વર્ષની ઉંમરે જ વકીલાત કરી શકાય તેવો નિયમ હતો. આમ છતાં ખાસ વિશેષ પ્રસ્તાવ પાસ કરી તેમને ૧૮ વર્ષની ઉંમરે વકીલાત કરવાની રજા આપવામાં આવી હતી. ત્યારબાદ કરાંચીની એસ. સી. સાહની કૉલેજમાંથી તેમણે એલએલ.એમ.ની ઉપાધિ મેળવી હતી. ૧૯૫૪માં તેઓએ મુંબઈની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. આ ઉપરાંત અમેરિકાના મિશિગન રાજ્યના ડેટ્રોઇટ શહેરમાં ‘વેઈન સ્ટેટ યુનિવર્સિટી’માં ‘કમ્પેરીટિવ લૉ’ના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેઓ એક સારા રાજકારણી હોવાના નાતે છઠ્ઠી અને સાતમી લોકસભામાં મુંબઈમાંથી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓએ અટલબિહારી બાજપાયીની સરકારમાં કેન્દ્રીય કાયદામંત્રી, શહેરી વિકાસમંત્રી અને ન્યાયમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો પણ એક વિવાદાસ્પદ કથનને લીધે મતભેદ થયા. ૨૦૦૪માં લખનઉની લોકસભા માટે તેઓ વાજપેયીની સામે ચૂંટણી લડ્યા હતા પણ તેમની હાર થઈ હતી. ૧૯૯૬માં તેઓ ‘ઇન્ટરનેશનલ બાર ઍસોસિયેશનના સભ્ય બન્યા હતા. ત્યારબાદ ૭મી મે, ૨૦૧૦માં તેમને સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને ભાજપમાં પાછા ફર્યા.  તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત હતા. તેમણે ઘણાં બધાં પુસ્તકો લખ્યાં છે. જેમાં ‘બીગ ઇગોઝ, સ્મોલ મૅન’, ‘કોન્ફ્લિક્ટ ઑફ લૉઝ’ (૧૯૫૫), ‘કોન્સિયન્સ ઑફ અ મેવરીક’, ‘જસ્ટિસ : સોવિયેટ સ્ટાઇલ’, ‘મેવરીક : અનચેન્જડ્, અનરીપેન્ટન્ટ’. આ ઉપરાંત બીજા લેખકોના સહયોગમાં પણ તેમણે બીજાં પુસ્તકો લખ્યાં છે. તેમના ન્યાયશાસ્ત્રના પ્રદાન માટે તેમને ‘ઇન્ટરનેશનલ જ્યૂરિસ્ટ ઍવૉર્ડ’,  ‘૧૯૭૭ – હ્યુમન રાઇટ્સ ઍવૉર્ડ બાય વર્લ્ડ પીસ થ્રૂ લૉ’ એનાયત થયા છે.

Categories
વાચન સમૃદ્ધિ

મેજર રામાસ્વામી પરમેશ્વરન

જ. ૧૩ સપ્ટેમ્બર, ૧૯૪૬ અ. ૨૫ નવેમ્બર, ૧૯૮૭

‘પેરી સાબ’ના હુલામણા નામે જાણીતા મેજર રામાસ્વામી પરમેશ્વરનનો જન્મ મુંબઈમાં તમિળ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા કે. એસ. રામાસ્વામી અને માતા જાનકી. તેમણે ૧૯૬૩માં સાઉથ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી (SIES) હાઈસ્કૂલમાંથી શાળેય શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૯૬૮માં SIES કૉલેજમાંથી વિજ્ઞાન વિષયમાં સ્નાતક થયા. પછી તેઓ ચેન્નાઈની ઑફિસર્સ ટ્રેનિંગ એકૅડેમીમાં જોડાયા અને ૧૯૭૨માં પાસ થયા. ૧૫મી મહાર રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા. ૮ વર્ષ સેવા આપી. તેઓ ૧૯૭૪માં લેફ્ટનન્ટ, ૧૯૭૯માં કૅપ્ટન અને ૧૯૮૪માં મેજર બન્યા. શ્રીલંકામાં ‘ઑપરેશન પવન’ માટે આઠમી મહાર બટાલિયનમાં તેમને શ્રીલંકા મોકલવામાં આવ્યા. ૨૪ નવેમ્બર, ૧૯૮૭ના રોજ રામાસ્વામીને બાતમી મળી કે કંતારોદાઈ ગામના ધર્મલિંગમને ત્યાં હથિયારો આવવાનાં છે. તેમણે કૅપ્ટન ડી. આર. શર્માને દસ જવાનો સાથે મોકલ્યા. રસ્તામાં મંદિર પાસે પહોંચતાં જ ટુકડી પર ગોળીબાર શરૂ થયો. આગળ વધવાનું શક્ય ન બનતાં રામાસ્વામી વીસ જવાનો સાથે કંતારોદાઈ પહોંચ્યા. ધર્મલિંગમના ઘરમાંથી કશું ન મળ્યું. પાછા ફરતી વખતે તમિળ ટાઇગર્સે તેમના પર હુમલો કર્યો. પોતાના સૈનિકોને બચાવવા તેમણે દસ સૈનિકોને સાથે લઈ દુશ્મનોને ઘેરવાની યોજના બનાવી. પોતાની સલામતીની ચિંતા કર્યા વગર તેઓ પેટથી ઘસડાઈને નાળિયેરીના બગીચા તરફ આગળ વધ્યા. એક ગોળી તેમના ડાબા કાંડા પર વાગી. તેમનો ડાબો હાથ લગભગ કપાઈ ગયો. તેમણે જમણા હાથથી ગોળીબાર ચાલુ રાખ્યો. તેમણે એક તમિળ ટાઇગરની રાઇફલ છીનવી તેને ગોળી મારી અને લડવાનું ચાલુ રાખ્યું. એ વખતે હેવી મોટર ગનની ગોળીઓ તેમની છાતીમાં વાગી. તેઓ સાથીદારોને દોરવણી આપતાં આપતાં વીરગતિ પામ્યા. બહાદુરી અને નિષ્ઠાપૂર્વક પોતાના સાથીદારોની જિંદગી બચાવવાના કાર્ય બદલ ભારત સરકારે લશ્કરના સર્વોચ્ચ સન્માન પરમવીરચક્ર(મરણોત્તર)થી તેમને નવાજ્યા. આર્મી વેલ્ફેર હાઉસિંગ ઑર્ગેનાઇઝેશન(AWHO)એ ૧૯૯૮માં તેમની યાદમાં ચેન્નાઈમાં આર્કોટ રોડ પરથી એક વસાહતનું નામ AWHO પરમેશ્વરન વિહાર રાખ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

કવલમ અયપ્પા પાનીકર

જ. ૧૨ સપ્ટેમ્બર, ૧૯૩૦ અ. ૨૩ ઑગસ્ટ, ૨૦૦૬

જાણીતા મલયાળમ કવિ અને વિવેચકનો જન્મ કેરળના અલાપ્પુઝા નજીક કાવલમ્ ગામમાં ઈ. નારાયણન અને એમ. મીનાક્ષીઅમ્માને ત્યાં થયો હતો. માત્ર બાર વર્ષની ઉંમરે માતા ગુમાવી. માતાના અવસાનની વેદના અને એકાંત એમની કવિતામાં પ્રતિબિંબિત થયું. માત્ર સોળ વર્ષની ઉંમરે તેમની પ્રથમ કવિતા ‘માતૃભૂમિ’ સાપ્તાહિકમાં પ્રકાશિત થયેલી. તેમણે તિરુવનંતપુરમની યુનિવર્સિટી કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. કર્યું અને કેરળ યુનિવર્સિટીમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી. અમેરિકાના બ્લૂમિંગ્ટનની ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી રોબર્ટ લૉવેલની કવિતા વિશે ૧૯૭૧માં પીએચ.ડી. કર્યું. ત્યારબાદ તેમણે ૧૯૮૧-૮૨માં યેલ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પોસ્ટ ડૉક્ટરેટ કર્યું. તેમણે કારકિર્દીની શરૂઆત ૧૯૫૧માં કોટ્ટાયમની સીએમએસ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કરી હતી. ત્યારબાદ તિરુવનંતપુરમ્ યુનિવર્સિટીની કૉલેજમાં અને પછી કેરળ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયના અધ્યાપક, રીડર, વિભાગીય વડા તરીકે કામ કર્યું. ૧૯૮૦માં કેરળ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફૅકલ્ટીના ડીન બન્યા. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમના કાવ્યસંગ્રહનો ‘પૉએટ્રી ઍટ મિડનાઇટ’ નામે અંગ્રેજીમાં અનુવાદ થયો છે. અયપ્પા પાનીકર ઘણાં વર્ષો અમેરિકામાં રહ્યા હોવાથી પશ્ચિમના અદ્યતન સાહિત્યિક પ્રવાહોથી પરિચિત હતા. આ બધા પ્રવાહોથી કેરળના કાવ્યસાહિત્યને તેમણે સમૃદ્ધ કર્યું. તેમની શરૂઆતની કવિતા પર કવિ ટી. એસ. એલિયટનો પ્રબળ પ્રભાવ હતો, પરંતુ પછી નિજી પ્રતિભા ધરાવતી કવિતાઓ આપી. તેમણે ગેય અને છંદોવિહીન કવિતા પણ આપી છે. તેમની કવિતામાં વિષય અને નિરૂપણરીતિનું પ્રચુર વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. તેમના સમગ્ર સાહિત્યને સમાવતા ‘અયપ્પાપાનીકેરુત કૃતિકલ’ના પાંચ ગ્રંથો પ્રકાશિત થયા છે. તેમને ૨૦૦૫માં સરસ્વતી સન્માનથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પણ એનાયત થયો છે. તેઓ આધુનિક અને અનુઆધુનિક સાહિત્યિક સિદ્ધાંતો તેમજ પ્રાચીન ભારતીય સૌંદર્યશાસ્ત્ર અને સાહિત્યિક પરંપરાઓમાં વિદ્વાન હતા.