Categories
વાચન સમૃદ્ધિ

રાજીવ કપૂર

જ. ૨૫ ઑગસ્ટ, ૧૯૬૨ અ. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૧

હિન્દૃી ફિલ્મજગતના અભિનેતા, ફિલ્મનિર્માતા. હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂર તથા ક્રિષ્ના કપૂરના સૌથી નાના પુત્ર રાજીવ કપૂરને અભિનય તેમજ ફિલ્મસર્જનની સૂઝ ગળથૂથીમાં જ મળી હતી. અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને સહજ અભિનય એ એમની ઓળખ હતી. ૧૯૮૩માં ફિલ્મ ‘એક જાન હૈ હમ’ સાથે રાજીવ કપૂરે હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું. ૧૯૮૫માં સ્વ. રાજ કપૂરના નિર્માણ અને નિર્દેશનવાળી અંતિમ ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’માં મુખ્ય ભૂમિકા કરીને તેઓ અત્યંત લોકપ્રિય બન્યા. ત્યારબાદ ‘આસમાન’ (૧૯૮૪), ‘લવર બૉય’ (૧૯૮૫), ‘મેરા સાથી’ (૧૯૮૫), ‘ઝબરદસ્ત’ (૧૯૮૫), ‘લાવા’ (૧૯૮૫), ‘જલજલા’ (૧૯૮૮) અને ‘હમ તો ચલે પરદેશ’ (૧૯૮૮) જેવી ફિલ્મોમાં એમણે અભિનય કર્યો, પરંતુ ત્યારબાદ અભિનયને તિલાંજલિ આપીને આર. કે. બૅનર હેઠળ નિર્માણ-નિર્દેશન કરવાનું શરૂ કર્યું. ‘આ અબ લોટ ચલે’, ‘પ્રેમગ્રંથ’ વગેરે ફિલ્મોમાં નિર્માણ તથા દિગ્દર્શન કર્યું. આરતી સભરવાલ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા, પરંતુ બે વર્ષમાં જ બંને અલગ થઈ ગયાં. તેમણે ૧૯૯૫-૯૬ દરમિયાન દૂરદર્શન પર પ્રસારિત થતી સિરિયલ ‘વંશ’નું નિર્માણ કર્યું. પૃથ્વીરાજ કપૂરના પરિવારના કલાવારસાને રાજીવ કપૂરે ખૂબ આદરપૂર્વક જાળવ્યો. સહજ અભિનેતા અને સરળ વ્યક્તિ તરીકે રાજીવ કપૂરને ભાવકો યાદ કરે છે. હૃદયરોગના અચાનક હુમલાથી એમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

મહેતા, યશોધર નર્મદાશંકર

જ. ૨૪ ઑગસ્ટ, ૧૯૦૯ અ. ૨૯ જૂન, ૧૯૮૯

ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર. વતન અમદાવાદ. ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે ૧૯૩૨માં ગુજરાત કૉલેજમાંથી બી.એ.. ૧૯૪૦માં લંડનમાંથી બાર-ઍટ-લૉ થયા. વકીલાતનો વ્યવસાય. ભારત સરકાર અને ગુજરાત સરકારનાં જુદાં જુદાં કાયદા-કમિશનોના સભ્યપદે અને અધ્યક્ષપદે રહેલા. તેમણે લખેલાં નાટકોનાં પુસ્તકોમાં ‘રણછોડલાલ અને બીજાં નાટકો’ (૧૯૪૭), ‘મંબો જંબો’ (૧૯૫૧), ‘ઘેલો બબલ’ (૧૯૫૨) અને ‘સમર્પણ’ (૧૯૫૭) ઉલ્લેખનીય છે. ‘રણછોડલાલ’ અમદાવાદને ઔદ્યોગિક નગર બનાવનાર ઉદ્યોગપતિ રણછોડલાલના જીવનને આલેખતું ચરિત્રલક્ષી નાટક છે. ‘મંબો જંબો’ અને ‘ઘેલો બબલ’ પ્રહસનો છે, તો ‘સમર્પણ’ રેડિયોનાટક છે. ‘સરી જતી રેતી’ ભાગ ૧-૨ (૧૯૫૦, ૧૯૫૨), ‘મહારાત્રિ’ (૧૯૫૪), ‘વહી જતી જેલમ‘ (૧૯૫૫), ‘તુંગનાથ (૧૯૫૭), ‘સંધ્યારાગ (૧૯૬૩), ‘મહમદ ગઝની’ (૧૯૬૬) તેમણે લખેલી નવલકથા છે. ૧૮૫૭થી ૧૯૪૭ સુધીનાં નેવું વર્ષના ગુજરાતના જાહેર સાંસ્કૃતિક જીવનને આલેખતી ચાર ભાગમાં લખાયેલી નવલકથા ‘નેવું વર્ષ’ (૧૯૭૪-૧૯૮૩) ઉલ્લેખનીય કૃતિ છે. ચરિત્રોનાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે; જેમ કે, ‘કીમિયાગરો’ (૧૯૫૧), ‘પ્રેમગંગા’ (૧૯૫૪) અને ‘રસનંદા’ (૧૯૫૪) વગેરે. ‘શ્રી નંદા’ (૧૯૫૮) અને ‘૪૪ રાત્રિઓ’ (૧૯૬૦) પ્રવાસવર્ણનનાં; ‘સરી જતી કલમ’ (૧૯૫૪), ‘યશોધારા’ (૧૯૫૬), ‘શિવસદનનું સ્નેહકારણ’ (૧૯૫૯) હળવા નિબંધનાં પુસ્તકો; ‘નદીઓ-નગરો’ (૧૯૫૦) રેડિયો-વાર્તાલાપોનું પુસ્તક છે. અધ્યાત્મના અનુભવો ‘અગમનિગમ‘ (૧૯૫૯), ‘શૂન્યતા અને શાંતિ’ (૧૯૬૨), ‘ઋષિઓનું સ્વરાજ્ય’ (૧૯૬૭), ‘શ્રદ્ધાની રાત્રિ’ (૧૯૬૯), ‘આનંદધારા’ (૧૯૬૯), ‘સાક્ષાત્કારને રસ્તે’ (૧૯૭૨), ‘શ્રદ્ધા અને અનુભૂતિ’ (૧૯૭૫) અને ‘સમાપ્તિ’ (૧૯૭૭)માં સમાયેલા છે. ‘ભાવિના ભેદ’ (૧૯૫૪), ‘ભાવિના ગગનમાં’ (૧૯૬૬), ‘ભાવિના મર્મ’ (૧૯૭૮) વગેરે ગ્રંથો તેમની જ્યોતિષ વિષયની પારંગતતાના દ્યોતક છે. તેમના વિદ્વાન પિતા શ્રી નર્મદાશંકર મહેતા વિશેના ‘નર્મદાશંકર મહેતા સ્મારક ગ્રંથ’(૧૯૬૮)ના સંપાદનમાં અન્ય સાથે તેમનો પણ ફાળો રહ્યો છે. અંગ્રેજીમાં પણ તેમના કેટલાક ગ્રંથો પ્રકાશિત થયા હતા. ૧૯૪૬માં તેમને ‘કુમાર ચંદ્રક’ પ્રાપ્ત થયેલો. તેમનું હૃદયરોગથી અવસાન થયેલું.

Categories
વાચન સમૃદ્ધિ

અન્ના મણિ

જ. ૨૩ ઑગસ્ટ, ૧૯૧૮ અ. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૧

જાણીતાં ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી અન્ના મણિનો જન્મ ત્રાવણકોર, કેરળમાં થયો હતો. તેમના પિતા બાંધકામના ઇજનેર હતા. બાળપણથી જ અન્નાને વાંચનનો ઘણો શોખ હતો. આઠ વર્ષનાં હતાં ત્યાં સુધીમાં જાહેર પુસ્તકાલયમાં મલયાળમ ભાષાનાં લગભગ બધાં પુસ્તકો વાંચી લીધાં હતાં. આઠમી વર્ષગાંઠ નિમિત્તે હીરાની બુટ્ટીને બદલે તેઓએ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાનો સેટ માંગ્યો હતો. તેઓ ગાંધીજીથી ખૂબ પ્રભાવિત હતાં અને કાયમ ખાદી પહેરતાં હતાં. ઈ. સ. ૧૯૩૯માં તેમણે પ્રેસિડેન્સી કૉલેજમાંથી ભૌતિકશાસ્ત્ર તથા રસાયણશાસ્ત્રના વિષયમાં બી.એસસી.ની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ પૂર્ણ થતાં તેઓ પ્રો. સી. વી. રામનના હાથ હેઠળ કામ કરવા લાગ્યાં. તેમણે માણેક તથા હીરાના પ્રકાશીય ગુણધર્મો અંગે સંશોધન કર્યું. પાંચ સંશોધન પેપર લખવા છતાં માસ્ટર ડિગ્રી મેળવી ન હોવાથી પીએચ.ડી.ની ડિગ્રીથી વંચિત રહ્યાં. ૧૯૪૫માં ઇંગ્લૅન્ડ જઈ પ્રકાશીય સાધનો જે હવામાન જાણવા માટે વપરાય છે તેનો અભ્યાસ લંડનની ઇમ્પીરિયલ કૉલેજમાં કર્યો. ત્યારબાદ ૧૯૪૯માં ભારત પાછા ફરી પૂનાના ઇન્ડિયન મિટિયૉરૉલૉજિકલ ડિપાર્ટમેન્ટમાં અને બૅંગાલુરુમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કર્યું. હવામાનશાસ્ત્રને લગતાં સાધનો માટે તેમણે ઘણાં સંશોધનો કર્યાં. હવામાનનાં સાધનોનાં ક્ષેત્રે ભારત સ્વાવલંબી બને તે માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા. તેઓએ સૌર વિકિરણ, પવન-ઊર્જાનાં સાધનો તથા ઓઝોન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. ૧૯૭૬માં નિવૃત્ત થતાં પહેલાં તેમણે ભારતીય હવામાન ખાતામાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ તરીકે સેવાઓ આપી હતી. ૧૯૮૭માં તેમને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી તરફથી કે. આર. રામનાથન્ મેડલથી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. તેમને બૅંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં સંશોધન કરવા માટે સ્કૉલરશિપ મળી હતી. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ અકાદમી, અમેરિકન મિટિયૉરૉલૉજિકલ સોસાયટી, ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી અને વર્લ્ડ મિટિયૉરૉલૉજિકલ ઑર્ગેનાઇઝેશન જેવી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં હતાં.