Categories
વાચન સમૃદ્ધિ

સાધના

જ. ૨ સપ્ટેમ્બર, ૧૯૪૧ અ. ૨૫ ડિસેમ્બર, ૨૦૧૫

ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી અને ‘ધ મિસ્ટરી ગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી સાધનાનો જન્મ કરાંચી શહેરમાં થયો હતો. પિતા શિવરામ શિવદાસાની અને લાલીદેવીનું એકમાત્ર સંતાન સાધનાનું નામ નગમા હતું, પરંતુ તેના પિતા બંગાળી અભિનેત્રી સાધના બોસના પ્રશંસક હતા તેથી પાંચ વર્ષની નગમાનું નામ સાધના રાખ્યું. ૧૯૪૭ના ભાગલા પછીનાં રમખાણો દરમિયાન સ્થળાંતર કરીને સમગ્ર કુટુંબ મુંબઈમાં સ્થાયી થયું. આઠ વર્ષ સુધી તેની માતાએ તેને ઘરમાં જ અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ તેણે ઑક્ઝિલિયમ કૉન્વેન્ટ સ્કૂલ, વડાલામાં અભ્યાસ કર્યો અને પછી જયહિંદ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. સાધના, ૧૯૬૦ના દાયકાની સૌથી વધુ સુંદર, સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરતી ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. બાળપણથી જ અભિનેત્રી બનવાનું સ્વપ્ન જોતી સાધનાને તેના પિતાએ ફિલ્મોમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરી હતી. તેની પંદર વર્ષની વયે કૉલેજમાં નાટકોમાં તેનો અભિનય જોઈને કેટલાક ફિલ્મનિર્માતાઓનું ધ્યાન તેના તરફ ખેંચાયું. તેને ભારતની સર્વપ્રથમ સિંધી ફિલ્મ ‘અબાના’(૧૯૫૮)માં અભિનય કરવાની તક મળી. જાણીતા ફિલ્મનિર્માતા શશધર મુખર્જીએ સાધના અને પોતાના પુત્ર જૉય મુખર્જીને લઈને ૧૯૬૦માં ‘લવ ઇન સિમલા’ બનાવી જે ખૂબ સફળ નીવડી. આ ફિલ્મમાં સાધનાએ કરેલી હેરસ્ટાઇલ પાછળથી દેશભરમાં ‘સાધના કટ તરીકે લોકપ્રિય બની. ત્યારબાદ તેણે એક પછી એક અનેક ફિલ્મોમાં અવનવી ભૂમિકાઓ નિભાવી અને ઝડપથી સફળતાની ટોચ પર પહોંચી. તેની કેટલીક સફળ અને લોકપ્રિય ફિલ્મોમાં ‘હમ દોનો’, ‘અસલી નકલી‘, ‘મેરે મહેબૂબ’, ‘વો કૌન થી’, ‘આરઝૂ’, ‘વક્ત’, ‘મેરા સાયા’, ‘અનિતા’, ‘ઇન્તકામ’, ‘એક ફૂલ દો માલી’  અને ‘ગીતા મેરા નામ’નો સમાવેશ થાય છે. ૨૦૦૨માં તેમને આઇફા દ્વારા લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૭૦ના દાયકાના મધ્યમાં તેણે ફિલ્મઉદ્યોગમાંથી નિવૃત્તિ લઈ લીધી. તેનાં લગ્ન દિગ્દર્શક આર. કે. નય્યર સાથે થયાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

મૈત્રેયીદેવી

જ. ૧ સપ્ટેમ્બર, ૧૯૧૪ અ. ૨ ફેબ્રુઆરી, ૧૯૯૦

નાનપણથી જ કુશાગ્ર બુદ્ધિ ધરાવતાં મૈત્રેયીદેવીએ યુનિવર્સિટી ઑફ કલકત્તાની જોગમાયા દેવી કૉલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી હતી. સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉદિતા’ (૧૯૨૯) પ્રગટ થયો. ત્યારપછી તેમના અન્ય ચાર કાવ્યસંગ્રહો ‘ચિત્તછાયા’ (૧૯૩૮), ‘સ્તબક’ (૧૯૬૩), ‘હિરણ્ય પાખી’ (૧૯૭૧) અને ‘આદિત્ય મરીચિ’ (૧૯૭૩) પ્રગટ થયા. તેમને સૌથી વધુ ખ્યાતિ આત્મકથાનક નવલકથા ‘ન હન્યતે’ દ્વારા મળી. તેમને ૧૯૭૬નો ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. તેમના પિતાજી પાસે ભારતીય દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવા આવેલા ગ્રીક યુવક સાથેનાં પ્રણયસ્મરણોને વાચા આપતી આ નવલકથાનો ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. રવીન્દ્રનાથ ટાગોર તેમના પિતાજીના મિત્ર હોવાથી મૈત્રેયીદેવીના ઘેર રહેલા તે દિવસોની રોજ-બ-રોજની ઘટનાઓ અને વાર્તાલાપોનું એક સંસ્મરણાત્મક પુસ્તક ‘મંગપૂતે રવીન્દ્રનાથ’ ૧૯૪૩માં પ્રકાશિત થયું. રમણીક મેઘાણીએ તેનો ગુજરાતી અનુવાદ ‘ગુરુદેવ અમારે આંગણે’ શીર્ષકથી કર્યો છે, જે ઘણો લોકપ્રિય બન્યો છે. આ ઉપરાંત ‘કવિ સાર્વભૌમ’, ‘રવીન્દ્રનાથ: ગૃહે ઓ વિશ્વે’ તથા ‘સ્વર્ગેર કાછાકાછિ જેમાં ટાગોરે લખેલા પત્રો અને સ્મરણોને ગૂંથવામાં આવ્યાં છે. નગીનદાસ પારેખે તેનો ગુજરાતી અનુવાદ ‘સ્વર્ગની લગોલગ’ શીર્ષકથી કર્યો છે. મૈત્રેયીદેવીનો રશિયા અને ચીનના ભ્રમણ વખતે કરેલાં પ્રવચનોને સંકલિત કરી ‘ઋગ્વેદેર દેવતા ઓ માનુષ’ નામે અભ્યાસગ્રંથ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત પ્રવાસગ્રંથો ‘આચેના ચીન’ (અજાણ્યું ચીન) અને ‘ચીન ઓ જાપાને’ પણ લખ્યાં છે. સમાજકલ્યાણના ક્ષેત્રે પણ તેમનું ઘણું પ્રદાન છે. ૧૯૭૨ના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે બાંગ્લાદેશનાં અનાથ શિશુઓ માટે કૉલકાતા પાસે ‘ખેલાઘર’ નામે સંસ્થાની શરૂઆત કરી હતી. ૧૯૬૪માં તેઓ ‘ધ કાઉન્સિલ ફોર ધ પ્રમોશન ઑફ કૉમ્યુનલ હાર્મની’નાં સ્થાપક બન્યાં હતાં. ‘ધ ઑલ ઇન્ડિયા વિમેન્સ કો-ઑર્ડિનેટિંગ કાઉન્સિલ’નાં ઉપપ્રમુખ પણ બન્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

ધીરુ પરીખ

જ. ૩૧ ઑગસ્ટ, ૧૯૩૩ અ. ૯ મે, ૨૦૨૧

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ, વાર્તાકાર અને વિવેચક તરીકે જાણીતા ધીરુ પરીખનો જન્મ વિસનગરમાં થયો હતો. પિતા ઈશ્વરલાલ પરીખ ડૉક્ટરનો વ્યવસાય કરતા હતા અને ગાંધીજીની વિચારસરણીને વરેલા હતા. તેમનાં  માતાનું નામ ડાહીબહેન હતું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિરમગામમાં જ થયું હતું. ભણવામાં તેઓ ખૂબ જ તેજસ્વી હતા. અભ્યાસકાળથી જ ટૂંકી વાર્તાઓ અને નિબંધો લખવાની શરૂઆત કરેલી અને આઝાદીની લડતમાં પણ સક્રિય રહ્યા હતા. ૧૯૫૫માં બી.એ., ૧૯૮૫માં એમ.એ. અને ૧૯૬૬માં ‘રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ’ વિષય પર મહાનિબંધ લખીને તેઓ પીએચ.ડી. થયા હતા. પ્રારંભમાં થોડો સમય મૉડર્ન હાઈસ્કૂલ, અમદાવાદમાં શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ ૧૯૫૯થી અમદાવાદાની સી. યુ. શાહ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. ૧૯૬૭થી ૧૯૬૯ સુધી તેઓ વઢવાણની મહિલા કૉલેજમાં આચાર્યપદે રહ્યા હતા. ૧૯૬૯થી ૧૯૭૭ દરમિયાન ફરી સી. યુ. શાહ કૉલેજમાં જોડાયા અને ત્યારબાદ ૧૯૭૭થી ૧૯૯૩ સેવાનિવૃત્તિ સુધી ભાષા-સાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રોફેસર અને અધ્યક્ષપદે સેવાઓ આપી હતી. ગુજરાતી ભાષા-સાહિત્યના સંનિષ્ઠ પ્રાધ્યાપકોમાં તેમનું સ્થાન નોંધપાત્ર છે. ધીરુ પરીખ પાસેથી આઠ કાવ્યસંગ્રહો, બે વાર્તાસંગ્રહો, બે જીવનચરિત્રો, તેર વિવેચનસંગ્રહો, તેર સંપાદનો, બે અનુવાદ અને એક એકાંકીસંગ્રહ એમ વૈવિધ્યપૂર્ણ સાહિત્ય પ્રાપ્ત થયું છે. ‘ઉઘાડ’, ‘આગિયા’ અને ‘અંગપચીસી’ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. તેઓ ‘વિશ્વકવિતા કેન્દ્ર’ના સહઆયોજક તરીકે અને ગુજરાતીનો અધ્યાપક  સંઘ તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહી ચૂકેલા છે. જાણીતા સામયિક ‘કવિલોક’ અને ‘કુમાર’ના તંત્રી તરીકે અને ‘બુધ-કવિસભા’ના સંચાલક તરીકે તેઓ જીવનપર્યંત સક્રિય રહ્યા હતા. ધીરુ પરીખને ૧૯૭૧માં કુમારચંદ્રક, ૧૯૮૨માં જયંત પાઠક પારિતોષિક, સચ્ચિદાનંદ સન્માન, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક અને ૨૦૦૮માં ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.