Categories
વાચન સમૃદ્ધિ

મગનલાલ લાલભાઈ દેસાઈ ‘કોલક’

જ. ૩૦ મે, ૧૯૧૪ અ.૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૮

કવિ કોલકનું મૂળ નામ મગનભાઈ લાલભાઈ દેસાઈ. એમનો જન્મ પારડી તાલુકાના સોનવાડા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ તાપીબહેન અને પિતાનું નામ લાલભાઈ દેસાઈ હતું. વતન પાસે વહેતી કોલક નદીના નામ પરથી તેમણે પોતાનું ઉપનામ ‘કોલક’ રાખ્યું હતું. તેઓ દેખાવે પડછંદ પરંતુ સ્વભાવે હસમુખા, મિલનસાર, સરળ અને નિજાનંદી હતા. ઈ. સ. ૧૯૩૩માં મુંબઈની મીઠીબાઈ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક પાસ કર્યું અને તેમનાં માતાનું અવસાન થતાં જવાબદારીઓ આવી પડતાં કૉલેજમાં એક જ વર્ષ અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૯૩૪માં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે એમણે પોતાની કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ ઈ. સ. ૧૯૪૨થી ઈ. સ. ૧૯૪૭ સુધી એમણે ‘જન્મભૂમિ’ દૈનિકમાં તંત્રી તરીકે સેવા આપી હતી. ઈ. સ. ૧૯૩૮માં એમણે ‘માધુરી’ નામનું ત્રિમાસિક ચલાવ્યું. ઈ. સ. ૧૯૪૨માં ‘કવિતા’ નામનું માસિક શરૂ કર્યું, ઈ. સ. ૧૯૫૦માં ‘વાર્તા’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. એમાં ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ હપતાવાર છપાતી. ઈ. સ. ૧૯૬૮માં ‘કોલક’ નામનું નવલકથાનું માસિક શરૂ કર્યું, એમાં તેઓ સળંગ નવલકથા છાપતા. એમણે વૅન્ગાર્ડ સ્ટુડિયોના જાહેરખબર વિભાગમાં પણ કામ કર્યું હતું. કોલક ‘વિલેપાર્લે સાહિત્ય સભા’ અને ‘લેખકમિલન’માં કાર્યવાહક સમિતિના સભ્ય પણ રહ્યા હતા. ‘કોલક’ને નાની વયથી જ કાવ્યરચનાનો શોખ હતો. તેના પરિણામે ગુજરાતી સાહિત્યને તેમણે ચાર કાવ્યસંગ્રહો આપ્યા : (૧) ‘પ્રિયા-આગમન’ ખંડકાવ્ય (૧૯૩૭), (૨) ‘સાંધ્ય ગીત’ (૧૯૩૮), (૩) ‘સ્વાતિ’ (૧૯૪૦) અને (૪) ‘પ્રેમધનુષ્ય’ (૧૯૪૨) જે સળંગ ૨૦૦૦ પંક્તિઓનું પ્રેમકાવ્ય હતું. કોલકની કવિતામાં પ્રેમીના ભગ્ન હૃદયનો પ્રલાપ પ્રગટ થયેલો છે. છંદો પરનો તેમનો કાબૂ પ્રશંસનીય હતો. કોલકની સર્જકશક્તિનું લોકપ્રિય નીવડેલું અન્ય પાસું નવલકથાકાર તરીકેનું છે. ૧૯૪૭માં પ્રગટ થયેલી તેમની પ્રથમ નવલકથા ‘ભાઈબીજ’ ખૂબ જ આવકાર પામી હતી. તેમણે પચાસ જેટલી નવલકથાઓ લખી છે જેનો બહોળો વાચકવર્ગ છે. તે ઉપરાંત તેમના ‘સમીસાંજ’ અને ‘હનીમૂન’ એ બે વાર્તાસંગ્રહો પણ ઈ. સ. ૧૯૬૮માં પ્રસિદ્ધ થયેલા.

Categories
વાચન સમૃદ્ધિ

ટી. એચ. વ્હાઇટ

જ. ૨૯ મે, ૧૯૦૬ અ.૧૭ જાન્યુઆરી, ૧૯૬૪

વ્હાઇટનો જન્મ ભારતમાં, મુંબઈમાં ભારતીય પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ગેરિક હેનબરી વ્હાઇટ અને કોન્સ્ટન્સ એડીથ સાઉથકોટ એસ્ટનને ત્યાં થયો હતો. તેમનું પૂરું નામ ટેરેન્સ હેનબરી વ્હાઇટ હતું. વ્હાઇટનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓમાં વીત્યું હતું. તેઓ બાળપણથી જ પુસ્તક, શિકાર, પ્રકૃતિ અને પ્રાણીઓમાં પણ ઊંડો રસ ધરાવતા હતા. તેમણે વ્હાઇટ ગ્લોસ્ટરશાયરની ચેલ્ટનહામ કૉલેજ, એક જાહેર શાળા અને કેમ્બ્રિજની ક્વીન્સ કૉલેજમાં શિક્ષણ પૂરું કર્યું. ક્વીન્સ કૉલેજમાં હતા ત્યારે વ્હાઇટે થોમસ મેલોરીના લે મોર્ટે ડીઆર્થર પર એક થિસીસ લખી અને ૧૯૨૮માં અંગ્રેજીમાં પ્રથમ વર્ગની ડિગ્રી સાથે સ્નાતક થયા. તેમનાં પ્રારંભિક પુસ્તકોમાં આત્મકથાત્મક નવલકથાઓ અને વાઇલ્ડલાઇફ અંગેના ગ્રંથો સામેલ છે. તેઓ આર્થરિયન નવલકથા માટે વિશેષ જાણીતા છે. તેમનો પ્રસિદ્ધગ્રંથ The Once and Future King (ઈ. સ. ૧૯૩૮-૧૯૫૮), ચાર ભાગોમાં વિભાજિત છે. આ ગ્રંથ મધ્યયુગીન પૌરાણિક પાત્રો – જેમ કે કિંગ આર્થન, મર્લિન, લાન્સલોટ અને ગ્વિનેવીર પર આધારિત છે, પણ તેમાં આધુનિક તત્ત્વો અને માનવસ્વભાવ અંગેની ઊંડી સમજ દર્શાવવામાં આવી છે. જેમાંના એક ભાગ The Swod in the Stone ની Disney એ, ઍનિમેટેડ ફિલ્મ બનાવી. વ્હાઇટની લેખનશૈલી હળવી અને વ્યંગ્યથી ભરેલી હતી. વ્હાઇટ તેમના આર્થરિયન કાર્યને બ્રૉડવે મ્યુઝિકલ કેમલોટ (૧૯૬૦) અને ઍનિમેટેડ ફિલ્મ ‘ધ સ્વોર્ડ ઇન ધ સ્ટોન’  (૧૯૬૩) તરીકે રૂપાંતરિત થતા જોવા માટે જીવ્યા. તેમની કથાઓએ વાર્તા સાહિત્ય, ફૅન્ટસી અને આધુનિક પૌરાણિક પુનર્નિર્માણ ક્ષેત્રે ઊંડું અસરકારક યોગદાન આપ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

એન. ટી. રામારાવ

જ. ૨૮ મે, ૧૯૨૩ અ. ૧૮ જાન્યુઆરી, ૧૯૯૬

NTR તરીકે જાણીતા એન. ટી. રામારાવ એક ભારતીય અભિનેતા, ફિલ્મનિર્માતા, ફિલ્મદિગ્દર્શક, પટકથાલેખક, ફિલ્મસંપાદક અને રાજકારણી હતા. તેમનું પૂરું નામ નંદમુરી તારકા રામારાવ છે. તેમણે ચાર ટર્મમાં સાત વર્ષ સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમને ભારતીય સિનેમાના સૌથી પ્રભાવશાળી કલાકારોમાંના એક માનવામાં આવે છે. રામારાવે ૧૯૪૯માં એલ. વી. પ્રસાદદિગ્દર્શિત તેલુગુ સામાજિક ફિલ્મ ‘માના દેશમ્ֹ’થી અભિનેતા તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. તેમને ૧૯૫૪માં ‘રાજુ પેડા’ નામની ફિલ્મથી વિશેષ સફળતા પ્રાપ્ત થઈ હતી. ૧૯૪૯થી ૧૯૮૨ સુધીમાં આશરે ૩૦૦ ફિલ્મોમાં તેમણે વિવિધ ભૂમિકાઓ ભજવી. મુખ્યત્વે પૌરાણિક પાત્રો કૃષ્ણ, શિવ અને રામની ભૂમિકા દ્વારા તેઓ વધુ જાણીતા બન્યા હતા. જેના કારણે તેઓ ‘જનતાના મસીહા’ અને સિનેમાના ઇતિહાસમાં એક અગ્રણી વ્યક્તિ બન્યા હતા. બાદમાં તેઓ ફિલ્મોમાં ખલનાયક અને રોબિન હૂડ જેવાં હીરો પાત્રો દર્શાવવા માટે જાણીતા બન્યા હતા. તેમણે ૧૯૫૧માં ‘પથલા ભૈરવી’ ફિલ્મમાં અભિનય કરેલો, જે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત થયેલી એકમાત્ર દક્ષિણ ભારતીય ફિલ્મ હતી તો ‘મલ્લીશ્વરી’ ફિલ્મને પેકિંગ ફિલ્મ ફેસ્ટિવલ બેઇજિંગ, ચીનમાં દર્શાવવામાં આવી હતી. ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાયેલ આફ્રો-એશિયન ફિલ્મ મહોત્સવમાં દર્શાવવામાં આવેલી તેમની શાશ્વત ક્લાસિક ફિલ્મ ‘માયાબજાર’ (૧૯૫૭) અને ‘નર્તનશાલા’ (૧૯૬૩) જેવી ફિલ્મ CNN-IBNની સર્વકાલીન ૧૦૦ મહાન ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ કરવામાં આવી હતી. રામારાવે ૧૯૮૨માં તેલુગુ દેશમ્ પાર્ટી TDPની સ્થાપના કરી હતી અને ૧૯૮૩થી ૧૯૯૫ દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ત્રણ કાર્યકાળ વખતે સેવા આપી હતી. તેઓ આંધ્રપ્રદેશની વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખના હિમાયતી તરીકે જાણીતા હતા. રામારાવે ૧૯૭૦માં ‘કોડાલુ દીદીના કપુરમ્’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો નંદી પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો તો નૅશનલ આર્ટ થિયેટર, ચેન્નાઈ દ્વારા ‘થોડ ડોંગાલુ’ (૧૯૫૪) અને ‘સીતારામ કલ્યાણમ્’ (૧૯૬૦)ના સહનિર્માણ માટે ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પણ મેળવ્યા હતા. ૧૯૬૮માં તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.