Categories
વાચન સમૃદ્ધિ

જહાંગીર બાદશાહ

જ. ૩૦ ઑગસ્ટ, ૧૫૬૯ અ. ૨૮ ઑક્ટોબર, ૧૬૨૭

મૂળ નામ સલીમ પણ ઈ. સ. ૧૬૦૫ના ઑક્ટોબરની ૨૪મી તારીખે નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીરનું બિરુદ ધારણ કરી આગ્રાના રાજતખ્તા ઉપર તેઓ બેઠા. બાબરના વંશમાં ચોથા બાદશાહ અને મુઘલ બાદશાહ અકબરના તેઓ પુત્ર હતા. તેઓ અરબી, ફારસી, સંસ્કૃત અને તુર્કી ભાષાઓ શીખ્યા હતા. તેમણે લશ્કરી અને વહીવટી તાલીમ લીધી હતી.  તેમણે તખ્તા પર બેઠા પછી પોતાની રાજનીતિને સ્પષ્ટ કરતાં બાર ફરમાનો બહાર પાડ્યાં હતાં. જહાંગીર કોઈ કુશળ સેનાનાયક નહોતા છતાં તેમણે પિતાના વિશાળ સામ્રાજ્યમાં પોતે પણ વૃદ્ધિ કરી હતી. ૧૬૧૨માં અફઘાનોને પૂર્ણપણે વશ કરી લીધા. બંગાળમાં બર્દવાનના જાગીરદાર શેર અફઘાનને હરાવવા કુત્બુદ્દીન ખાનને મોકલવામાં આવ્યા અને બર્દવાનની લડાઈમાં બંનેના પ્રાણ ગયા. શેર અફઘાનની વિધવા મહેરુન્નિસાને શાહી દરબારમાં મોકલી અપાઈ, જ્યાં જહાંગીર મહેરુના પ્રેમમાં પડ્યા અને ચાર વર્ષ બાદ તેની સાથે લગ્ન કર્યાં, તેનું નામ નૂરજહાં (જગતની રોશની) રખાયું. નૂરજહાંએ જહાંગીર વતી કુશળ વહીવટ ચલાવ્યો, એના નામના સિક્કા પણ પડ્યા. ૧૬૧૪માં મેવાડના રાણા પ્રતાપના પુત્ર અમરિંસહને પરાજિત કરી સુલેહ કરવાની ફરજ પડાઈ. જહાંગીરના સમયમાં અંગ્રેજો સાથેના ગાઢ સંબંધોની શરૂઆત થઈ. જૉન હૉકિન્સ આગ્રામાં બે વર્ષ (૧૬૦૯-૧૬૧૧) રહ્યા. બાદશાહે તેને ખૂબ મદદ કરી. સર ટૉમસ રૉ ઈ. સ. ૧૬૧૫માં હિંદ આવ્યા. તે બાદશાહને અજમેરમાં મળ્યા અને બાદશાહ સાથે માંડૂ અને અમદાવાદની મુલાકાત વખતે સાથે રહ્યા. ત્યારબાદ અંગ્રેજોને હિંદમાં વેપાર કરવાની યોગ્ય સગવડ મળી. જહાંગીર કલાના કદરદાતા હતા. બગીચા કરાવવાના ખૂબ શોખીન, કાશ્મીરના બગીચા એના દાખલા રૂપે છે. કપડાંલત્તાં તથા મિજબાનીના શોખીન હતા. લાહોરમાં બાદશાહે દેહ છોડ્યો, નૂરજહાંએ ત્યાં ભવ્ય મકબરો બંધાવ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

અમૃતલાલ હરગોવિંદદાસ

જ. ૨૯ ઑગસ્ટ, ૧૮૮૯ અ. ૧૧ માર્ચ, ૧૯૭૪

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર અમૃતલાલનો જન્મ અમદાવાદ નજીક કુહા ગામમાં થયો હતો. ગુજરાત કૉલેજમાંથી બી.એ. અને મુંબઈથી એલએલ.બી. થઈ ઈ. સ. ૧૯૧૨-૧૩માં અમદાવાદ ખાતે વકીલાતથી કારકિર્દી આરંભીને દોઢ-બે વર્ષ બાદ પિતાજીની શરાફી પેઢીમાં જોડાયા. તેમણે ઝડપથી વ્યવસાય શીખી લીધો અને ટૂંક સમયમાં કાપડમિલના માલિક બન્યા. ત્યારબાદ અમદાવાદ ટેક્સટાઇલ મિલ ઑનર્સ ઍસોસિયેશનના પ્રમુખ પણ બન્યા. ઈ. સ. ૧૯૨૭માં જ્યારે ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે હજારો મકાનો પડી ગયાં હતાં અને જાનમાલની ભારે ખુવારી થઈ હતી તે સમયે તેમણે સરદાર વલ્લભભાઈની સાથે રહીને રાહત તેમ જ પુનર્વસવાટનાં કાર્યોમાં સક્રિય ફાળો આપ્યો હતો. ગરીબ કુટુંબોને પૂરેપૂરી સહાય મળે તેવો આગ્રહ રાખ્યો હતો. ઈ. સ. ૧૯૩૬માં પિતાશ્રીના નામ પરથી અમદાવાદની પ્રસિદ્ધ એચ. એલ. (હરગોવનદાસ લખમીચંદ) કૉલેજ ઑફ કૉમર્સની સ્થાપના કરી. પોતાના સોળ વર્ષના પુત્ર બંસીલાલની સ્મૃતિમાં આણંદ ખાતેની બંસીલાલ ઍગ્રિકલ્ચરલ કૉલેજ અને ધર્મપત્નીના સ્મરણાર્થે અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ ખાતે મણિબહેન અમૃતલાલ આયુર્વેદિક કૉલેજની સ્થાપના કરી હતી. ઈ. સ. ૧૯૩૬માં બગીચા મિલનું અને ૧૯૫૬માં બગીચા મિલ નં. ૨નું સફળ સંચાલન કર્યું. ૧૯૬૭માં તેમણે બંને મિલો વેચીને જનહિતનાં કાર્યો પર લક્ષ આપ્યું. ઈ. સ. ૧૯૩૫માં શેઠ કસ્તૂરભાઈ સાથે રહી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના, ૧૯૪૯માં ગુજરાત વેપારી મહામંડળની સ્થાપના અને ૧૯૫૪માં ગુજરાત રેલરાહત સમિતિનો પ્રારંભ – આ એમનું વ્યાપાર-ઉદ્યોગ અને શિક્ષણ-સમાજ તરફ દૃષ્ટિસંપન્ન યોગદાન છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવા સ્થાપેલા ટ્રસ્ટફંડમાં ૪૨ લાખ રૂ.નો ફાળો તેઓએ એકઠો કર્યો હતો. અમદાવાદને વાડીલાલ હૉસ્પિટલ માટે તેમણે ૧૪ લાખ રૂ.નો ફાળો આપ્યો હતો. ગુજરાતના બધા જ પ્રાણપ્રશ્નોમાં તેઓએ સક્રિય રસ દાખવ્યો હતો. તેમના મહાત્મા ગાંધી, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, કસ્તૂરભાઈ લાલભાઈ, ગણેશ માવલંકર સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હતા અને રાષ્ટ્રીય હેતુ માટે મુક્તપણે દાન આપતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ઉસ્તાદ વિલાયતખાંસાહેબ

જ. ૨૮ ઑગસ્ટ, ૧૯૨૮ અ. ૧૩ માર્ચ, ૨૦૦૪

ભારતીય શાસ્ત્રીય પરંપરાના જાણીતા સિતારવાદક. સંગીતનિર્દેશક, સિતારવાદક ઉસ્તાદ ઇનાયતખાં તથા શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા નસીરન બેગમના પુત્ર વિલાયતખાં મોખરાના સિતારવાદકોમાં સ્થાન ધરાવે છે. માતા-પિતા – બંનેનાં કુટુંબો પેઢીઓથી સંગીતની સાધના તેમજ વ્યવસાયમાં હોવાને કારણે વિલાયતખાંના જીવનનું એકમાત્ર ધ્યેય સંગીત હતું. સંગીતોપયોગી કંઠ ધરાવવા છતાં વિલાયતખાં કંઠ્ય સંગીતને બદલે સિતારવાદન તરફ વળે એવી એમનાં માતાની ઇચ્છાને વશ એમણે સિતારવાદનની તાલીમ લેવાની શરૂઆત કરી. દાદાના નામથી બનેલું ઇમદાદખાની ઘરાનું વિલાયતખાંની સિતાર સાથે વધુ લોકપ્રિય બન્યું. તેર વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં એમની ઉપર કૌટુંબિક જવાબદારીઓ આવી પડવાને કારણે કિશોર વયમાં અનેક કષ્ટો વેઠવાં પડ્યાં. જે દુ:ખોની પીડાની અનુભૂતિને કારણે એમના સંગીતમાં લાગણી પણ વાચા પામતી હતી એવું તેઓ કહેતા. પિતાના અવસાન પછી કાકા વાહિદખાં તથા નાના બંદેહસન પાસે સંગીતની તાલીમ લીધી. ગાયકી અંગેનું સિતારવાદન એ એમની આગવી ઓળખ હતી. અત્યંત સ્વાભિમાની તેમજ અલગ મિજાજના સિતારવાદક એવા વિલાયતખાંએ ભારત સરકાર તરફથી મળતા પદ્મભૂષણના સન્માનનો અસ્વીકાર કર્યો હતો. ‘આફતાબ-એ-સિતાર’, ‘ભારત સિતાર સમ્રાટ’, ‘સન ઑફ ધ સિતાર’ જેવાં સન્માનો એમણે સ્વીકાર્યાં હતાં. એમના પુત્ર શુજાતહુસેનખાં, હિદાયતખાં પણ ખ્યાતનામ સિતારવાદક છે. સત્યજિત રેની ફિલ્મ ‘જલસાઘર’માં વિલાયતખાં દ્વારા સ્વરબદ્ધ થયેલું પશ્ચાદભૂ સંગીતે ફિલ્મની કલાત્મકતાને વધુ નિખારી હતી. વિલાયતખાંના શિષ્યોમાં કાશીનાથ મુખરજી, અરિંવદ પરીખ, હસુ પટેલનો સમાવેશ થાય છે. ફેફસાંના કૅન્સરની બીમારીના કારણે એમનું અવસાન થયું હતું.