Categories
વાચન સમૃદ્ધિ

કમલા બેનીવાલ

જ. ૧૨ જાન્યુઆરી, ૧૯૨૭ અ. ૧૫ મે, ૨૦૨૪

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ સભ્ય અને ગુજરાત રાજ્યનાં પૂર્વગવર્નર કમલા બેનીવાલનો જન્મ બ્રિટિશ ભારતની રાજપૂતાના એજન્સીના ગોરીર ખાતે એક જાટ પરિવારમાં થયો હતો. માત્ર ૧૫ વર્ષની વયે તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાયાં હતાં અને ‘ભારત છોડો’ ચળવળમાં સામેલ થયાં હતાં. કમલા બેનીવાલ ૨૭ વર્ષની વયે ૧૯૫૪માં વિધાનસભાની ચૂંટણી જીત્યાં અને રાજસ્થાન રાજ્ય સરકારમાં મંત્રી બન્યાં હતાં. ૧૯૫૪થી જ તેમણે રાજસ્થાનમાં એક પછી એક કૉંગ્રેસ સરકારોમાં મંત્રીપદે રહી ગૃહ, તબીબી અને આરોગ્ય, શિક્ષણ અને કૃષિ સહિતના વિવિધ મહત્ત્વના વિભાગો સંભાળ્યા હતા. તેઓ અશોક ગેહલોત સરકારમાં મહેસૂલમંત્રીપદે રહ્યાં હતાં. ૧૯૮૦થી ૧૯૯૦ દરમિયાન કૅબિનેટ પ્રધાન તરીકે તેમણે કૃષિ, પશુપાલન, સિંચાઈ, શ્રમ અને રોજગાર, શિક્ષણ, કલા અને સંસ્કૃતિ, પર્યટન અને સંકલિત ગ્રામીણ વિકાસ જેવા વિવિધ વિભાગોનું નેતૃત્વ કર્યું હતું. એક મંત્રી તરીકે લગભગ ૫૦ વરસ સુધી રાજસ્થાન સરકારમાં સેવાઓ આપી. તેમની લાંબી કારકિર્દી દરમિયાન તેઓ પ્રદેશ કૉંગ્રેસ પક્ષની કામગીરી સાથે પણ સંકળાયેલાં હતાં. કમલા બેનીવાલને ઑક્ટોબર, ૨૦૦૯માં ત્રિપુરાના રાજ્યપાલપદે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેઓ પૂર્વોત્તર ભારતમાં પ્રથમ મહિલારાજ્યપાલ હતાં. એક મહિના બાદ ૨૭ નવેમ્બર, ૨૦૦૯ના રોજ તેમને ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે ચાર વરસથી વધુ સમય માટે સેવા આપી હતી. ૬ જુલાઈ, ૨૦૧૪ના રોજ તેમની મિઝોરમના રાજ્યપાલ પદ પર બદલી કરવામાં આવી હતી. ૯૭ વર્ષની વયે જયપુરની એક ખાનગી હૉસ્પિટલમાં ટૂંકી બીમારી બાદ કમલા બેનીવાલનું અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

જ્યોર્જ નેથૅનિયલ કર્ઝન

જ. ૧૧ જાન્યુઆરી, ૧૮૫૯ અ. ૨૦ માર્ચ, ૧૯૨૫

લૉર્ડ કર્ઝન તરીકે ખ્યાતિ પામનાર ભારતના જાણીતા વાઇસરૉય અને કાર્યદક્ષ વહીવટકર્તા. ઑક્સફર્ડમાં ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરી ઉજ્જ્વળ શૈક્ષણિક કારકિર્દી અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભાને લીધે ૨૭ વર્ષની ઉંમરે ૧૮૮૬માં ઇંગ્લૅન્ડની સંસદમાં સભ્ય બન્યા. તેમના ઉમદા વ્યક્તિત્વની કદર કરતાં સરકારે ૧૮૯૮માં તેમની ભારતના ગવર્નર જનરલ તરીકે નિમણૂક કરી. ભારત આવતાં પહેલાં જ ભારત દેશની પરિસ્થિતિનો સંપૂર્ણ પરિચય મેળવી લીધો. તે સમયે ભયાનક દુષ્કાળની પરિસ્થિતિ હોવાથી ભારતના વહીવટી તંત્રને ગતિશીલ બનાવવા ઝડપી અને અસરકારક પગલાં લીધાં હતાં. આમ તમામ ક્ષેત્રે કેન્દ્રીકરણની નીતિ અપનાવી હતી. તમામ પ્રશ્નોના નિરાકરણ માટે નિષ્ણાતોના અભિપ્રાયો અને સૂચનો મેળવી વહીવટી માળખામાં ક્રાંતિકારી ફેરફારો કર્યા. એન્ટની મૅકડોનાલ્ડના અધ્યક્ષપણા નીચે દુષ્કાળ પંચની નિમણૂક કરી. સર ઍન્ડ્રુ ફ્રેઝરના પ્રમુખપદે પોલીસતંત્રમાં સુધારા કરવા પંચની નિમણૂક કરી. લૉર્ડ કિચનરના અધ્યક્ષપણા હેઠળ લશ્કરમાં સુધારાવધારા અંગે તથા થૉમસ રેલેના નેતૃત્વ નીચે શિક્ષણક્ષેત્રે સુધારા માટે પંચની નિમણૂક કરી. ૧૯૦૪માં ‘સહકારી ધિરાણ સોસાયટી ધારો’ અને ‘પુરાતત્ત્વ સ્મારક સંરક્ષણ ધારો’ પસાર કર્યા. ૧૯૦૫માં જુલાઈ માસમાં ભાગલાની યોજના તૈયાર કરી અને વહીવટી સુગમતા અને આસામના વિકાસના બહાના હેઠળ ૧૬ ઑગસ્ટ, ૧૯૦૫ના રોજ બંગાળના ભાગલા જાહેર કરવાથી જોરદાર વિરોધનો વંટોળ જાગ્યો. આખરે ૧૯૧૧માં લૉર્ડ હાર્ડિન્ગે તે ભાગલા રદ કર્યા. વિચક્ષણ બુદ્ધિપ્રતિભા સાથે તુમાખીપણું અને જક્કી વલણને લીધે સરસેનાપતિ લૉર્ડ કિચનર સાથે અધિકારક્ષેત્રની બાબતે મનદુ:ખ થતાં ઑગસ્ટ, ૧૯૦૫માં રાજીનામું આપી સ્વદેશ પાછા ફર્યા. તેમનો છ વર્ષનો શાસનકાળ ઘણો ચર્ચાસ્પદ રહ્યો અને ભારતની પ્રજામાં અપ્રિય પણ રહ્યા. ભારત છોડ્યા પછી ૧૯૧૯-૧૯૨૩ દરમિયાન તેઓ બ્રિટનના વિદેશમંત્રી રહ્યા હતા.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

બાસુ ચેટરજી

જ. ૧૦ જાન્યુઆરી, ૧૯૨૭ અ. ૪ જૂન, ૨૦૨૦

સમાંતર સિનેમાને સફળ બનાવીને વ્યાવસાયિક પ્રતિષ્ઠા અપાવનાર ગણનાપાત્ર સર્જકોમાં બાસુ ચેટરજીનો સમાવેશ કરવામાં આવે છે. તેમનો જન્મ અજમેર, રાજસ્થાનમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મનાર બાસુ ચેટરજીની ફિલ્મો પણ મધ્યમવર્ગીય પરિવારની કથા, તેમની મુસીબતો, નાની નાની મહેચ્છાઓને વર્ણવે છે. ફિલ્મસર્જક બન્યા તે પહેલાં ૧૮ વર્ષ સુધી તેમણે લોકપ્રિય અંગ્રેજી સાપ્તાહિક ‘બ્લિટ્ઝ’માં કાર્ટૂનિસ્ટ તરીકે કામગીરી બજાવી હતી. ઇટાલિયન ચિત્ર ‘બાઇસિકલ થીફ’ તથા સત્યજિત રેના ‘પથેર પાંચાલી’ના પ્રભાવ હેઠળ તેમણે ફિલ્મ-સર્જનમાં ઝંપલાવ્યું. તેમણે રાજ કપૂર અને વહિદા રહેમાન અભિનીત ફિલ્મ ‘તીસરી કસમ’માં બાસુ ભટ્ટાચાર્યના સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. નિર્દેશક તરીકે ફિલ્મ ‘સારા આકાશ’ સાથે તેમણે કારકિર્દી શરૂ કરી. ‘સારા આકાશ’ ફિલ્મનિર્માતાઓ તથા અનેક ચિત્રસંસ્થાઓને બાસુદા તરફ આકર્ષી ગયું. આ ચિત્રને ફિલ્મફેર ‘બેસ્ટ સ્ક્રીન પ્લે’ પુરસ્કાર પણ મળ્યો હતો. આ પછી બાસુદાએ સંખ્યાબંધ ચલચિત્રો બનાવ્યાં. તેમનાં ચલચિત્રોમાંની હળવાશ, રમૂજ કે મનોરંજક શૈલીએ કહેવાયેલી વાત પ્રેક્ષકોને ખૂબ ગમી ગઈ, જેમાંથી દેશભરમાં તેમના કરોડો પ્રશંસકો થયા. બાસુદાનાં સવિશેષ  ઉલ્લેખનીય ચલચિત્રોમાં ‘સારા આકાશ’ ઉપરાંત ‘પિયા કા ઘર’, ‘રજનીગંધા’, ‘છોટી સી બાત’, ‘ચિત્તચોર’, ‘સ્વામી’, ‘સફેદ જૂઠ’, ‘ખટ્ટામીઠા’, ‘ચક્રવ્યૂહ, ‘બાતો બાતો મેં, ‘પસંદ અપની અપની’, ‘અપને પરાયે’, ‘મનપસંદ’, ‘શૌકીન’ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે સર્જેલી ટેલિફિલ્મ ‘ઇક રુકા હુઆ ફૈંસલાથી સારી  એવી ચર્ચા જાગી હતી. તેમણે દૂરદર્શન માટે સર્જેલી કથાશ્રેણીમાં ‘રજની’, ‘દર્પણ’ તથા ‘વ્યોમકેશ બક્ષી’ ખૂબ જ સફળ અને લોકપ્રિય નીવડી હતી. તેમણે ઘણી બધી બંગાળી ફિલ્મો પણ દિગ્દર્શિત કરી હતી. તેમને મળેલા પુરસ્કારોમાં બેસ્ટ સ્ક્રીન પ્લે ઍવૉર્ડ ‘સારા આકાશ’ (૧૯૭૨), ‘છોટી સી બાત’ (૧૯૭૬), ‘કમલા કી મોત’ (૧૯૯૧), ફિલ્મ ફેર ક્રિટીક ઍવૉર્ડ ‘રજનીગંધા’ (૧૯૭૫), ફિલ્મફેર બેસ્ટ દિગ્દર્શક ઍવૉર્ડ ‘સ્વામી’, ૨૦૦૭ IIFA લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડનો સમાવેશ થાય છે.

અમલા પરીખ