Categories
વાચન સમૃદ્ધિ

પ્રતાપરાય મોહનલાલ મોદી

જ. ૯ ફેબ્રુઆરી, ૧૮૯૬ અ. ૧૧ ઑગસ્ટ, ૧૯૮૬

સંસ્કૃતના પ્રખર વિદ્વાન, વિવેચક અને અનુવાદક પ્રતાપરાય મોદીનો જન્મ ભાવનગરમાં થયો હતો. પિતા મોહનલાલ અને માતા સૂરજબહેન મોદી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. ભણવામાં ખૂબ તેજસ્વી હતા. મૅટ્રિકમાં ભાવનગર રાજ્યની તમામ શાળાઓમાં પ્રથમ સ્થાને આવ્યા અને શ્રી જશવંતસિંહજી સ્કૉલરશિપ પ્રાપ્ત કરી. ગુજરાત કૉલેજમાંથી બી.એ. થયા તથા દક્ષિણા ફેલોશિપ મેળવી. એમ.એ.ની ઉપાધિ ૧૯૨૬માં કાશીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી મેળવી. ૧૯૨૮માં જર્મનીની કિલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ ૧૯૨૬થી ૧૯૫૩ સુધી ભાવનગરની શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપી. તે પછી જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક બન્યા અને પછી આચાર્ય તરીકે કામગીરી કરી નિવૃત્ત થયા. ૧૯૬૧થી તેમણે એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા ખાતે માનાર્હ અધ્યાપક તરીકે કામ કર્યું. તેમણે આજીવન સંસ્કૃત ભાષા અને સાહિત્યની નિ:સ્વાર્થપણે સેવા બજાવી હતી. તેમણે ૧૩થી વધુ ગ્રંથો અને ૫૩ જેટલા સંશોધનલેખો આપ્યા છે. તેમાં હિંદુ ધર્મનાં મૂળ તત્ત્વો, ‘રામાનુજાચાર્ય’, ‘એ ક્રિટિક ઑવ્ ધ બ્રહ્મસૂત્ર’, ‘શ્રી મધુસૂદન શાસ્ત્રીનું સિદ્ધાંતબિંદુ’ (અંગ્રેજી અનુવાદ),  ‘શ્રીમદ્ ભગવદગીતા – એક અભિનવ દૃષ્ટિબિંદુ’, ‘ધ ભગવદગીતા – એ ફ્રેશ અપ્રોચ’, ‘શ્રીમદ્ ભગવદગીતા – એક સરળ ભાષાંતર’, ‘શુદ્ધાદ્વૈત લેક્ચર્સ’ અને ‘શ્રીમદ્ અણુભાષ્ય’ (અંગ્રેજી ભાષાંતર) વગેરે મુખ્ય છે. તેમને અનેક પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા હતા. તેમાં સુજ્ઞ શ્રી ગોકુળજી ઝાલા વેદાંત પ્રાઇઝ, શેઠ ટોડરમલ શુદ્ધાદ્વૈત વેદાંત પ્રાઇઝ મુખ્ય છે. તેમની કૃતિ ‘શ્રીમદ્ ભગવદગીતા – એક અભિનવ દૃષ્ટિબિંદુ’ને ગુજરાત યુનિવર્સિટી તરફથી ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ઓરિયેન્ટલ કૉન્ફરન્સની અનેક બેઠકોમાં તેમણે ભાગ લીધો હતો. ૧૯૬૭માં ભારત સરકાર તરફથી ‘પ્રેસિડન્ટ ઍવૉર્ડથી વિભૂષિત થનારા તેઓ ગુજરાતના સંસ્કૃત પ્રાધ્યાપકોમાં પ્રથમ હતા. ડૉ. રાધાકૃષ્ણન, ડૉ. ઝાયરમૅન, ડૉ. સુબ્રીંગ, પ્રો. હરમાન માસેલી, ડૉ. લક્ષ્મણ સ્વરૂપ, મહામહોપાધ્યાય પી. વી. કાણે જેવા લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાનોએ તેમની વિદ્વત્તાની કદર કરી છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી

જ. ૭ ફેબ્રુઆરી, ૧૮૮૩ અ. ૧૭ ઑગસ્ટ, ૧૯૩૬

ગુજરાતી ભાષાના આ મહાન ગઝલકારનો જન્મ જંબુસરમાં થયો હતો. બાળપણથી જ હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય એવા જગન્નાથ ‘સાગર’ ઉપનામથી ઓળખાતા. ૧૯૦૩માં પિતાના અવસાન પછી વૈરાગ્યભાવના વધુ ઉત્કટ બની અને ૧૯૦૬માં ‘વિશ્વવંદ્ય’ને મળ્યા અને કોઈ પણ સંપ્રદાયમાં જોડાયા વગર પોતે જ અધ્યાત્મમાર્ગ અનુસરવાનો દૃઢ નિશ્ચય કર્યો. ૧૯૧૨માં અખાજીની વાણીની અસર હેઠળ આવ્યા. હિમાલયના મણિકૂટ પર્વતની જયવલ્લી ગુફામાં જઈ તપશ્ચર્યા કરી બ્રહ્મર્ષિ સાગર બન્યા. હિમાલયથી પાછા ફર્યા પછી તેમણે વડોદરામાં પાદરા પાસે ચિત્રાલમાં ‘સાગરાશ્રમ’ સ્થાપ્યો. ‘ૐ પ્રભુજી’ના જીવનમંત્ર સાથે જ જીવન ગાળ્યું. ૧૯૨૦માં કલ્યાણદાસજીની સમાધિનો શતાબ્દી-ઉત્સવ ઊજવ્યો. શિષ્યા ૐકારેશ્વરીને સિદ્ધિપદે સ્થાપવા એ જ સમયગાળામાં ચિત્રાલમાં ‘બ્રહ્મયજ્ઞ’ આરંભ્યો. શરૂઆતની રચનાઓમાં કલાપીની કવિતાનો પ્રભાવ જોઈ શકાય છે. ૧૯૦૯માં રચેલું કાવ્ય ‘થાકેલું હૃદય’ એવું જ કાવ્ય છે. ‘દીવાને સાગર’નો પહેલો ગ્રંથ ૧૯૧૬માં પ્રગટ થયો હતો અને ૧૯૩૬માં ‘દીવાને સાગર’ ભાગ-૨ પ્રકાશિત થયો હતો, જેમાં તેમણે રચેલાં ભક્તિપદો છે. આ ઉપરાંત ‘કલાપી અને તેની કવિતા’, ‘ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સ્થાન’ અને ‘સ્વીડનબૉર્ગનું ધર્મશિક્ષણ’ તેમના વિશેષ ગ્રંથો છે.  ‘ગુજરાતી ગઝલિસ્તાન’ (૧૯૧૩), ‘સંતોની વાણી’ (૧૯૨૦), ‘કલાપીની પત્રધારા’ (૧૯૩૧) અને ‘કલાપીનો કેકારવ’ (૧૯૩૨) તેમણે કરેલાં સંપાદનો ઉલ્લેખનીય છે. તે ઉપરાંત ‘અક્ષયવાણી – અખાજીની અપ્રસિદ્ધ વાણી’ ટીકા સહિત સંપાદિત કરી છે. તો ‘સાગરની પત્રરેષા અને વિચારણા કેટલાક મહાનુભાવો અને પરિવારના સભ્યોને લખેલા પત્રોનો સંચય છે. સાતમા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે સંકળાયેલા અને કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન પણ કરેલું.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

કવિ પ્રદીપજી

જ. ૬ ફેબ્રુઆરી, ૧૯૧૫ અ. ૧૧ ડિસેમ્બર, ૧૯૯૮

હિંદીના કવિ અને ચલચિત્રજગતના વિખ્યાત ગીતકાર. મૂળ નામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી, પણ પ્રદીપ નામથી વધુ જાણીતા થયા. તેમનું શાળાકીય શિક્ષણ ઇંદોરમાં અને ઉચ્ચશિક્ષણ અલાહાબાદ તથા લખનઉમાં સંપન્ન થયું. ‘ટીચર્સ ટ્રેનિંગ કોર્સ સંપૂર્ણ કરી શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. એક વાર ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ સાથે મથુરામાં આકસ્મિક મુલાકાત થતાં તેમની સાથે અમદાવાદ આવ્યા અને ૧૯૩૮માં ‘કુમાર’ કાર્યાલયે એમની ‘ગીતમંજરી’ શીર્ષક હેઠળ બાર જેટલાં હિંદી કાવ્યોવાળી લઘુપુસ્તિકા પ્રગટ કરેલી. મુંબઈમાં કાવ્યપઠનના જાહેર કાર્યક્રમમાં તેમની કાવ્યરચનાથી અને ગાનથી પ્રભાવિત થયેલા એન. આર. આચાર્યે પ્રદીપજીની મુલાકાત હિમાંશુ રૉય સાથે કરાવી અને તેમણે પ્રદીપજીને ‘કંગન’ (૧૯૩૯) ચલચિત્રનાં ચાર ગીતો લખવાની જવાબદારી સોંપી. તેમની ફિલ્મી અને અન્ય રચનાઓની સંખ્યા ૧૫૦૦થી ૧૭૦૦ જેટલી થાય છે. તેમને લોકપ્રિયતા બક્ષી હોય તેવાં ચલચિત્રોમાં ‘પુનર્મિલન’, ‘બંધન’, ‘કિસ્મત’, ‘ચલ ચલ રે નૌજવાન’ એમ લાંબી યાદી છે. પણ ‘આંખ કા તારા’ તેમનું અંતિમ ચલચિત્ર સાબિત થયું. તેમણે ગીતરચનાઓમાં સાદી શબ્દાવલી પ્રયોજી લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તેમાં પણ ‘આઓ બચ્ચો તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી’, ‘હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલકે’, ‘ઇન્સાફકી ડગર પે’, ‘દે દી હમેં આઝાદી બિના ખડગ…’ જેવી રચનાઓ લગભગ દરેક પરિવારમાં નાનાથી મોટા પણ ગાતાં હોય છે. તેમની મોટા ભાગની રચનાઓમાં દેશભક્તિ અને ઈશ્વરભક્તિ જોવા મળે, પણ તેમણે શૃંગારરસ ધરાવતાં ગીતોની પણ રચના કરેલી. જોકે સૌથી વધુ પ્રસિદ્ધિ તેમને ભારત-ચીન વચ્ચેના યુદ્ધમાં શહીદ થયેલા ભારતના વીર સૈનિકોને અંજલિ આપવા લખેલ અને લતા મંગેશકરે દિલ્હીના લાલ કિલ્લા પરના કાર્યક્રમમાં ગાયેલ ‘અય મેરે વતન કે લોગો’ ગીતથી મળી. પ્રદીપજીએ આ ગીતની રૉયલ્ટી ‘વૉર વિડોઝ ફંડ’ને અર્પણ કરેલી. તેમના વિશિષ્ટ પ્રદાન માટે તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવેલા; જેમાં ‘સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ’ (૧૯૬૧), ‘બૅંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશન શ્રેષ્ઠ ગીતકાર ઍવૉર્ડ’ (૧૯૭૫) તથા ૧૯૯૭-૯૮ના વર્ષના ‘દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ’નો સમાવેશ થાય છે. ૨૦૧૧માં ભારત સરકારે તેમના સન્માનમાં રૂ. પાંચની ટપાલટિકિટ બહાર પાડેલી.

રાજશ્રી મહાદેવિયા