Categories
વાચન સમૃદ્ધિ

નાનાલાલ ચમનલાલ મહેતા

જ. ૧૭ નવેમ્બર, ૧૮૯૪ અ. ૧૮ મે, ૧૯૫૮

આધુનિક વિશ્વમાં ભારતીય લઘુચિત્રકલા અંગેની સમજ તથા રસનો ફેલાવો કરનાર અભ્યાસી. રાજકોટમાં અને પછી મુંબઈમાં વિલ્સન કૉલેજમાં પ્રારંભિક શિક્ષણ લીધા પછી તેઓ કેમ્બ્રિજમાં જોડાયા અને ત્યાંથી અર્થશાસ્ત્રમાં ટ્રાઇપોસ મેળવ્યો. ૧૯૧૫માં તે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા. અહીંથી ૧૯૪૪માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે હાલ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાંચલ તરીકે ઓળખાતા ત્યારના યુનાઇટેડ પ્રૉવિન્સિઝમાં જુદા જુદા હોદ્દા સંભાળ્યા. આ દરમિયાન તેમણે ભારતીય લઘુચિત્રકલાની અલગ અલગ શૈલીઓના ૧,૦૦૦થી પણ વધુ ચુનંદા નમૂના એકત્રિત કર્યા. ૧૯૫૦માં તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ નિયુક્ત થયા. ૧૯૨૬માં તેમનું પુસ્તક ‘સ્ટડીઝ ઇન ઇન્ડિયન પેઇન્ટિંગ્ઝ’ પ્રકટ થયું. તેમનું પુસ્તક ‘ગુજરાતી પેઇન્ટિંગ્ઝ ઇન ફિફ્ટીન્થ સેન્ચુરી’ ૧૯૩૧માં પ્રકટ થયું.

૧૯૫૮માં મહેતાના અવસાન પછી ગુજરાત મ્યુઝિયમ સોસાયટીએ ૧૯૬૩માં અમદાવાદના સંસ્કાર કેન્દ્રમાં આ સંગ્રહનું કાયમી મ્યુઝિયમ ઊભું કર્યું અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ઉદઘાટન કર્યું. ૧૯૯૩માં આ સંગ્રહ અમદાવાદમાં ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર’માં ગોઠવાયો. આ સંગ્રહમાં જૈન કલ્પસૂત્રો અને લઘુચિત્રો, પ્રાગ્અકબરી સલ્તનત શૈલીનાં લઘુચિત્રો તથા ‘ચૌરપંચાશિકા’ કાવ્યને રજૂ કરતાં વિશ્વવિખ્યાત ૧૮ લઘુચિત્રો; મેવાડ, બીકાનેર, માળવા, કોટા, બુંદી, જયપુર અને રાધાગઢ જેવી રાજસ્થાની અને રાજપૂત ચિત્રશૈલીઓના નમૂના, શાહજહાં અને ઔરંગઝેબના સમયનાં મુઘલ ચિત્રો અને નુરપુર, ચમ્બા, કાંગડા, બશોલી, મંડી, ગુલેર, બિલાસપુર તથા જમ્મુ જેવી પહાડી શૈલીઓનાં ચિત્રો છે. આ ચિત્રોમાંનાં ઘણાં ચિત્રો પંડિત સેઉ, મણાકુ, પુરખુ, દેવીદાસ, નયનસુખ જેવા ચિત્રકારોની કૃતિઓ છે. તિબેટી, ડૅક્કની, ઈરાની, નેપાળી અને કમ્પની શૈલીનાં ચિત્રો પણ અહીં છે.  

અમિતાભ મડિયા

Categories
વાચન સમૃદ્ધિ

શિવકુમાર ગિરજાશંકર જોશી

જ. ૧૬ નવેમ્બર, ૧૯૧૬ અ. ૪ જુલાઈ, ૧૯૮૮

કૉલકાતામાં રહેવા છતાં ગુજરાતથી કદી અળગા ન થનાર નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર શિવકુમારનો જન્મ પિતા ગિરજાશંકર અને માતા તારાલક્ષ્મીને ત્યાં અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક, માધ્યમિક તેમજ કૉલેજશિક્ષણ અમદાવાદમાં થયું હતું. ઈ. સ. ૧૯૩૭માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.ની ડિગ્રી મળી તે પછી પિતાજીએ તેઓને કાપડના ધંધામાં ગોઠવવા કૉલકાતા મોકલી આપ્યા. આ પરિસ્થિતિ શિવકુમારને ફળી ગઈ. તેમના સમગ્ર જીવન પર તેની ઘેરી અસર પડી અને આ નવા વાતાવરણમાં તેઓનો સારો વિકાસ થયો. નાટ્યલેખન, અદાકારી, દિગ્દર્શન, નિર્માણ અને સંયોજનમાં સંગીત અને પ્રકાશનમાં શિવકુમાર ઘણા માહિર હતા. રંગભૂમિ પર ચાર દાયકા સુધી તેમનાં નાટકો અને નવલકથાઓ હિંદી અને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતાં રહ્યાં. શિવકુમાર ચિરપ્રવાસી હતા, આથી પ્રવાસવર્ણનોનાં બે દળદાર પુસ્તકો તથા આત્મકથનાત્મક પુસ્તક ‘મારગ આ પણ છે શૂરાનો’ પ્રગટ કર્યાં છે. શિવકુમારે દિલ્હીની સાહિત્ય અકાદમીના આમંત્રણથી બંગાળીમાં અનુવાદો કર્યા છે. ૩૬ વર્ષના તેઓના લેખનકાળમાં લગભગ ૯૦ પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. તેમણે એકાંકી, નિબંધ, અનુવાદ, વિવેચન, નવલકથા, નવલિકા, નાટક, રેડિયોનાટક એમ સાહિત્યનાં અનેક સ્વરૂપોમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે.

તેમને ઈ. સ. ૧૯૫૨માં કુમાર ચંદ્રક, ૧૯૫૯માં નર્મદ સુવર્ણચંદ્રક અને ૧૯૭૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા હતા. તેમના નાટક ‘સુવર્ણરેખા’ (૧૯૬૧) માટે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

દિલીપ રાણપુરા

જ. ૧૪ નવેમ્બર, ૧૯૩૧ અ. ૧૬ જુલાઈ, ૨૦૦૩

તીવ્ર અનુભવશીલતા અને બહુજનસમાજ માટેની ઊંડી કરુણામાંથી જેમનું સાહિત્ય પ્રગટ્યું છે તેવા વાસ્તવદર્શી નવલકથાકાર અને વાર્તાકાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ ધંધૂકાના મધ્યવર્ગીય પરિવારમાં થયેલો. ઘરની સ્થિતિને કારણે ઉચ્ચતર શાળાનુંય શિક્ષણ તેઓ પામી શક્યા નહોતા. તેમનું જીવન કઠોર સંઘર્ષમાં વીત્યું હતું. તેઓ ૧૩ વર્ષના હતા ત્યારે પિતા ગુમાવ્યા. પ્રાથમિક શિક્ષણ પણ ટુકડે ટુકડે લીધું. નિભાવ માટે ક્યાંક કંપોઝિટર તરીકે તો ક્યાંક ઑર્ડરમૅન તરીકે કામ કર્યું. સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા અને રાજકીય પ્રવૃત્તિઓ પણ કરી. આ બધી મથામણો વચ્ચે વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષા પસાર કરી એટલે ૧૯૫૭થી પ્રાથમિક શિક્ષક બન્યા. અનેક  સ્થળોએ બદલી થયા પછી છેલ્લે દસાડા તાલુકાના બજાણાની પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે નિવૃત્ત થયા. તેઓ ‘જનસત્તા’ અને ‘ફૂલછાબ’માં કટારલેખન કરતા હતા. જે લોકપ્રિય હતી. અનેક ગામે બદલી થતી હોવાથી તેમને જીવનનો ખૂબ અનુભવ થયો. વળી ખૂબ સંવેદનશીલ પ્રકૃતિ. ૧૯૫૩માં પ્રથમ વાર્તા લખાઈ ‘માણસાઈનું રુદન’ ત્યારબાદ તેમણે નવલકથાઓ લખવાનું શરૂ કર્યું.

તેમના લેખનનું એક મહત્ત્વનું લક્ષણ સાદગી છે. તેઓ જનસામાન્યની ભાષામાં લખતા. તેમનાં પાત્રો મધ્યમ અને નીચલા સ્તરનાં સ્ત્રી-પુરુષો હતાં. તેમની મોટા ભાગની કથાઓમાં શિક્ષણક્ષેત્રે, ગ્રામવિકાસક્ષેત્રે, સ્વાતંત્ર્યસંગ્રામમાં કે સામાજિક રૂઢિઓ સામેના સંઘર્ષોને નિરૂપવામાં આવ્યા છે. તેમની પાસેથી ‘સંકેત’(૧૯૬૪)થી માંડી ‘સુખનું બીજું નામ’ (૨૦૦૨) સુધીની નવલકથાની યાત્રામાં લગભગ ૪૧ નવલકથાઓ મળી છે. તેમની ‘નિયતિ, ‘આંસુ ભીનો ઉજાસ’ અને ‘મીરાંની રહી મહેક’ વગેરે નવલકથાઓને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો મળ્યા છે. તેમની પાસેથી સાતેક વાર્તાસંગ્રહો, આઠેક સંસ્મરણકથાઓ, ચરિત્રનિબંધો, રેખાચિત્રો, પ્રસંગકથાઓ, બોધકથાઓ વગેરે વિપુલ પ્રમાણમાં સાહિત્ય મળ્યું છે. એમની વાર્તાઓમાં માનવતાવાદી અભિગમ જોવા મળે છે.  સાવ સાધારણ લાગતા પ્રસંગમાંથી ચિત્તને સ્પર્શી જાય તેવું તેઓ આલેખન કરતા. તેમનાં પુસ્તકો જુદી જુદી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પોંખાયાં છે.

શ્રદ્ધા ત્રિવેદી