Categories
વાચન સમૃદ્ધિ

બહેરામજી મલબારી

જ. ૧૮ મે, ૧૮૫૩ અ. ૧૨ જુલાઈ, ૧૯૧૨

બહેરામજી મલબારી ભારતીય કવિ, લેખક અને સમાજસુધારક હતા, જેઓ મહિલાઓના અધિકારોના રક્ષણ અને બાળલગ્ન સામેની તેમની પ્રવૃત્તિઓ માટે તેમના પ્રખર હિમાયત માટે જાણીતા હતા. બહેરામજી મલબારીનો જન્મ વડોદરા ખાતે થયો હતો. તેઓ પારસી કારકુન ધનજીભાઈ મહેતા અને ભીખીબાઈના પુત્ર હતા. તેમને મેરવાનજી નાનાભાઈ મલબારી દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. મેરવાનજી માલાબાર કિનારે ચંદનનાં લાકડાં અને મસાલાનો વેપાર કરતા હતા, તેથી તેમનું નામ ‘મલબારી’ પડ્યું. ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઉપર સારું પ્રભુત્વ હોવાથી મલબારીએ કવિ તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને ૧૮૭૫ની શરૂઆતમાં તેમણે ગુજરાતીમાં કવિતાઓનો એક ગ્રંથ પ્રકાશિત કર્યો. ત્યારબાદ ૧૮૭૭માં ‘The Indian Muse in English Garb’ નામનું પ્રકાશિત થયું, જેના દ્વારા તેમને પ્રસિદ્ધિ મળી. તેમનો ઝોક સાહિત્ય તરફ પણ વિશેષ હતો. પરિણામે અંગ્રેજી અને ગુજરાતી – બંને ભાષામાં કાવ્યો રચ્યાં. કોઈક સમયે, મલબારીએ બૉમ્બે (હાલનું મુંબઈ) શહેરમાં સ્થળાંતર કર્યું. ૧૮૮૦માં મલબારી ‘The Indian Spectator’ નામના પત્રના સંપાદક બન્યા અને વીસ વર્ષ સુધી તેનું સંપાદન કર્યું અને તેના માધ્યમથી ઘણા સામાજિક મુદ્દાઓને ઉઠાવ્યા. તેમણે ‘નીતિવિનોદ’ (૧૮૭૫), ‘ધ ઇન્ડિયન મ્યુઝ ઇન ઇંગ્લિશ ગેર્બ’ (૧૮૭૭), ‘ધ  ઇન્ડિયન આઇ ઑન ઇંગ્લિશ લાઇફ’ (૧૮૯૩) અને ‘ગુજરાત ઍન્ડ ગુજરાતીઝ’ (૧૮૮૨) જેવાં પુસ્તકો લખ્યાં છે. તેમણે બાળલગ્નને રોકવા માટે કાયદાકીય વ્યવસ્થાની માંગ કરી. તેમના પ્રયત્નોથી The Age of Consent Act ૧૮૯૧ પસાર થયો, જેના દ્વારા છોકરીઓના લગ્નની ન્યૂનતમ વય ૧૦ વર્ષથી વધારીને ૧૨ વર્ષની કરાઈ. મલબારીએ ભારતીય સમાજસુધારણા માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવ્યું. તેમણે  ઇંગ્લૅન્ડની યાત્રા કરી અને ત્યાં ભારતીય મહિલાઓના હક્ક માટે અવાજ ઉઠાવ્યો. બહેરામજી મલબારીએ જીવનના અંત સુધી લેખન અને ભાષણો દ્વારા સમાજસુધારણા માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમની આત્મકથા ‘The Life and Work of Behramji M. Malabari’ તેમના વિચારો અને યોગદાનને સમજવા માટે મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. ૧૯૦૧માં તેઓ માસિક ઈસ્ટ ઍન્ડ વેસ્ટના સંપાદક બન્યા, જે પદ તેઓ ૧૨ જુલાઈ, ૧૯૧૨ના રોજ સિમલામાં તેમના મૃત્યુના થોડા સમય પહેલાં સુધી સંભાળતા રહ્યા. તેમના મૃત્યુ પછી પણ ભારતીય સમાજસુધારણા અને સ્ત્રીઅધિકારના આગવા યોદ્ધા તરીકે તેમને યાદ કરવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

ખુરશીદ નરીમાન

જ. ૧૭ મે, ૧૮૮૩ અ. ૪ ઑક્ટોબર, ૧૯૪૮

સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા, જેઓ વીર નરીમાન તરીકે પણ જાણીતા છે. બી.એ., એલએલ.બી.નો અભ્યાસ કરીને વકીલાત શરૂ કરી. તેઓ ૧૯૩૫માં મુંબઈના મેયર તરીકે ચૂંટાયા હતા. મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં રહીને તેમણે મુંબઈના પછાત વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ સ્થાપી અને ગંદકી નાબૂદ કરવાની ઝુંબેશ ચલાવી હતી. તેમણે યુવકપ્રવૃત્તિમાં રસ લીધો. ઘણાં વર્ષો સુધી તેઓ ‘બૉમ્બે બ્રધરહુડ’ અને ‘બૉમ્બે યૂથ લીગ’ના પ્રમુખ રહ્યા હતા. તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને મુંબઈ કૉંગ્રેસના લોકપ્રિય નેતા બન્યા. ૧૯૩૪માં મુંબઈ ખાતે ભરાયેલ કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનની સ્વાગત સમિતિમાં પ્રમુખ તરીકે કામગીરી કરી હતી. ૧૯૩૦માં ગાંધીજીએ શરૂ કરેલા સવિનય કાનૂનભંગના આંદોલન વખતે મુંબઈમાં મીઠાના કાયદાનો ભંગ કરી જેલમાં ગયા હતા. ૧૯૩૨ સુધીમાં તેઓ ચાર વખત જેલમાં ગયા. ૧૯૩૨માં જેલમાંથી છૂટ્યા પછી તેમણે ‘Whither Congress’ પુસ્તક લખ્યું હતું. તેમનો મત એવો હતો કે કૉંગ્રેસે રાજકીય સંગઠન તરીકે જ કાર્ય કરવું જોઈએ. બીજી પ્રવૃત્તિઓ કરીને પોતાની શક્તિ વેડફવી જોઈએ નહિ. ૧૯૩૭માં નરીમાનને સરદાર પટેલ સાથે ઘર્ષણ થયું હતું. તેઓ કૉંગ્રેસ તરફથી ધારાસભામાં ચૂંટાયા હતા, પરંતુ તેમને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે દિલ્હીમાં આઝાદ હિંદ ફોજના સૈનિકો સામે ચાલેલા કેસમાં સૈનિકોના કાનૂની બચાવ માટે અન્ય ધારાશાસ્ત્રીઓ સાથે  ખુરશીદ નરીમાન પણ હતા. મુંબઈના નરીમાન પૉઇન્ટનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

કરમસીભાઈ જેઠાભાઈ સોમૈયા

જ. ૧૬ મે, ૧૯૦૨ અ. ૯ મે, ૧૯૯૯

દૂરંદેશી સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ કરમસીભાઈનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના માલુંજામાં થયો હતો. લુહાણા જ્ઞાતિમાં જન્મેલા કરમસીભાઈના પૂર્વજો કચ્છના વતની હતા. કરમસીભાઈના જીવનનો નૈતિક પાયો બાળપણથી જ મજબૂત રીતે બંધાયો હતો. તેમણે કચ્છના તેરા ગામ, મહારાષ્ટ્રના બેલાપુર અને મુંબઈમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લીધું હતું, પરંતુ મૅટ્રિક સુધી પહોંચી શક્યા ન હતા. જોકે તેમણે પછીથી અંગ્રેજી, મરાઠી અને હિંદી ભાષાઓ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું. તેઓ કચ્છી, મારવાડી, સોરઠી તથા સંસ્કૃત ભાષાઓના જાણકાર હતા. ૧૯૨૭માં ખાંડનો વેપાર કરતી એક પેઢીમાં તેઓ ભાગીદાર તરીકે જોડાયા અને નોંધપાત્ર પ્રગતિ કરી. ૧૯૩૬ના અરસામાં તેમણે મહારાષ્ટ્રના બેલાપુર, કોપરગાંવ અને વૈજાપુર તાલુકામાં શેરડીના ઉત્પાદન માટે જમીનો ખરીદી અને પોતાના ખાંડના કારખાનાની સ્થાપના કરવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું. તેમણે પોતાની માલિકીની ધ ગોદાવરી શુગર મિલ્સ લિમિટેડના હસ્તક ભારતમાં શેરડીનું ઉત્પાદન યાંત્રિક પદ્ધતિઓ દ્વારા કરવાના શ્રીગણેશ કર્યા. શેરડીની બાગાયતી તથા ખાંડનું ઉત્પાદન – આ બંને ક્ષેત્રોમાં અવનવા પ્રયોગો કરવાનું સાહસ તેમણે દાખવ્યું હતું. મહારાષ્ટ્રમાં જમીનધારણની મહત્તમ મર્યાદાને લગતો કાયદો પસાર થતાં કરમસીભાઈની માલિકીની શેરડીનું ઉત્પાદન કરતી હજારો એકર જમીન તે કાયદા હેઠળ આવરી લેવામાં આવી અને અંતે બધા જ એકમો સમેટી લેવાની નોબત આવી. ૧૯૭૦માં કર્ણાટકના મુધોળ ખાતે કર્ણાટક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍપ્લાઇડ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ(K.I.A.A.R.)ની સ્થાપના કરી શેરડીના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી ટૅકનૉલૉજીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની પહેલ કરી. તેમને કર્ણાટક સરકારનો પૂરો ટેકો મળ્યો. શિક્ષણક્ષેત્રમાં પણ રુચિ હોવાથી તેમણે સોમૈયા ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને તેમના વતન કચ્છ, સાકરવાડી, લક્ષ્મીવાડી વગેરે જગ્યાએ શિક્ષણસંસ્થાઓ શરૂ કરી હતી. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સોમૈયા વિદ્યાવિહાર નામના મહત્ત્વાકાંક્ષી શૈક્ષણિક સંકુલની શરૂઆત કરી હતી. દહાણુમાં નરેશવાડી નામથી શરૂ કરવામાં આવેલ કેન્દ્રમાં આદિવાસીઓ અને ગિરિજનો માટે સેવાપ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. વર્ષ ૨૦૦૦માં ભારત સરકારે તેમને ‘પદ્મવિભૂષણ’ના મરણોત્તર ખિતાબથી સન્માન્યા હતા.