Categories
વાચન સમૃદ્ધિ

હરિકૃષ્ણ પાઠક

જ. ૫ ઑગસ્ટ, ૧૯૩૮ અ. ૨૮ માર્ચ, ૨૦૨૫

કવિ, વાર્તાકાર, નિબંધકાર અને બાળસાહિત્યકાર હરિકૃષ્ણ પાઠકનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદ ગામે રામચંદ્ર પાઠક અને મોંઘીબહેનને ત્યાં થયો હતો. વતન ભોળાદ. ૧૯૫૬માં મૅટ્રિક થયા. ૧૯૬૧માં બી.એસસી. થયા બાદ ૧૯૬૧-૬૨ દરમિયાન સોનગઢ(સૌરાષ્ટ્ર)ના ગુરુકુળના વિજ્ઞાનશિક્ષક થયા. ૧૯૬૩થી ગાંધીનગર ખાતેના ગુજરાત રાજ્યના સચિવાલયમાં મહેસૂલવિભાગમાં મદદનીશ તરીકે જોડાયા ને ત્યાંથી જ નાયબ સચિવ તરીકે ૧૯૯૬માં સેવાનિવૃત્ત થયા. તેમને નાનપણથી જ ચિત્રકળાનો શોખ હતો. ૧૯૬૬થી કાવ્યલેખન શરૂ થયેલું. ‘સૂરજ કદાચ ઊગે’ (૧૯૭૪) એ એમનો પ્રથમ કાવ્યસંગ્રહ. આ ઉપરાંત ‘અડવા પચીસી’, ‘જળના પડઘા’, ‘રાઈનાં ફૂલ’, ‘ઘટના ઘાટે’ જેવા કાવ્યસંગ્રહો તેમની પાસેથી મળ્યા છે. ‘સાક્ષર બોતેરી’ (૨૦૧૧) જે તે લેખકોની લાક્ષણિકતાઓને હળવી રીતે રજૂ કરતી ૭૨ કડીઓની પુસ્તિકા છે. એમની સમગ્ર કવિતા ‘જળમાં લખવાં નામ’ નામે પ્રસિદ્ધ થઈ છે. ‘મોર બંગલો’(૧૯૮૮)માં ૨૧ વાર્તાઓ છે તો ‘નટુભાઈને તો જલસા છે’(૨૦૦૮)માં ૧૨ વાર્તાઓ છે. તેમની ‘સમળો’ જેવી વાર્તાઓ વિશિષ્ટ છે. ‘અંગત અને સંગત’ (૨૦૦૯) એ લલિતનિબંધનો સંગ્રહ છે. ‘ગુલાબી આરસની લગ્ગી’ (૧૯૭૮) એ કિશોરભોગ્ય કથા છે. તેમણે ‘કોઈનું કંઈ ખોવાય છે’ અને ‘હલ્લો-ફલ્લો’ એ બાળકાવ્યસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંતનાં બાળકાવ્યો તથા આ સંગ્રહનાં કાવ્યો ‘ચણ ચણ ચકલી ચણાની દાળ’(૨૦૨૧)માં સંગૃહીત થયાં છે. આમ તેમની પાસેથી શુદ્ધ અને સત્ત્વશીલ બાળસાહિત્ય મળ્યું છે. તેમનું સંપાદનક્ષેત્રે પ્રદાન પણ નોંધપાત્ર છે. બાલમુકુન્દ દવેના સમગ્ર સાહિત્યને ચાર ભાગમાં સંપાદિત કર્યું છે. આ ઉપરાંત અનેક સંપાદનોમાં સહસંપાદક તરીકે ભૂમિકા ભજવી છે. ‘ગલીને નાકેથી’ (૧૯૯૩) તેમનો સાહિત્યવિવેચનનો સંગ્રહ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમીના પાંચ પુરસ્કારો મળ્યા હતા. આ ઉપરાંત ૧૯૬૭માં ‘કુમારચંદ્રક’, ‘જળના પડઘા’ માટે નર્મદચંદ્રક તથા ‘જયંત પાઠક કવિતા પુરસ્કાર’, ૨૦૧૦માં ધનજી કાનજી ગાંધી ચંદ્રક, ૨૦૧૧માં દલપતરામ ઍવૉર્ડ અને ૨૦૧૩માં નરિંસહ મહેતા ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. ગાંધીનગરમાં તેમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ચીનુભાઈ ઘેલાભાઈ ખત્રી

જ. ૪ ઑગસ્ટ, ૧૯૩૧ અ. ૩૧ માર્ચ, ૧૯૮૯

ગુજરાતના વિશ્વવિખ્યાત આંકડાશાસ્ત્રી શ્રી ચીનુભાઈ ઘેલાભાઈ ખત્રી ‘સી. જી. ખત્રી’ના નામે ઓળખાય છે. હાથવણાટનો વ્યવસાય કરતા પિતાએ અનેક મુશ્કેલી વેઠીને તેમને ભણાવ્યા. ગુજરાત યુનિવર્સિટીમાં બી.એસસી.માં સૌથી વધુ ગુણ મેળવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી એમ.એસ. યુનિવર્સિટીમાંથી ૧૯૬૦માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ગુજરાત યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્ર વિભાગના રીડર તરીકે જોડાયા અને પ્રોફેસર થયા. અમેરિકાની નૉર્થ કેરોલિના યુનિવર્સિટીએ બહુચલીય વિશ્લેષણના ક્ષેત્રમાં સંશોધન માટે નિમંત્રણ પાઠવ્યું. તેમની આંકડાશાસ્ત્ર વિષયની સમજ એટલી સંગીન હતી કે સંશોધનના કોઈ પણ પ્રશ્નને તેઓ તેના સમગ્ર પરિપ્રેક્ષ્યમાં નિહાળતા. તેઓ સાચા અર્થમાં ‘આંકડાકીય કોયડાનો ઉકેલ શોધનાર વિદ્વાન’ હતા. દેશ-વિદેશના પ્રતિષ્ઠિત જર્નલ્સમાં તેમના બસોથી વધારે સંશોધનલેખો પ્રકાશિત થયા હતા.  મૌલિકતાની દૃષ્ટિએ મહત્ત્વના ગણાય તેવા ગ્રંથમાં તેમણે ગુજરાતી ભાષામાં ‘શ્રેણિકોનું ગણિત’ લખ્યું હતું જે આ વિષય પર લખાયેલાં વિશ્વનાં ઉચ્ચકોટિનાં પુસ્તકોમાંનું એક ગણી શકાય. બહુચલીય વિશ્લેષણ પર તેમણે પ્રા. એમ. એસ. શ્રીવાસ્તવ સાથે લખેલું ‘એન ઇન્ટ્રોડક્શન ટુ મલ્ટિવેરિએટ સ્ટેટિસ્ટિક્સ’ પુસ્તક આ ક્ષેત્રે એક મૌલિક સંદર્ભગ્રંથ ગણાય છે. તેઓ પેનસ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ સ્કૉલર તરીકે જોડાયેલા હતા અને ત્યાંના સેન્ટર ફોર મલ્ટિવેરિએટ ઍનાલિસિસમાં વારંવાર જતા હતા. તેમની સ્મૃતિમાં પેનસ્ટેટ યુનિવર્સિટીમાં સી. જી. ખત્રી વિઝિટિંગ સ્કૉલર પ્રોગ્રામ ચાલે છે અને તે અંતર્ગત સ્મૃતિ વ્યાખ્યાન યોજાય છે. ગુજરાતમાં આંકડાશાસ્ત્રનાં અધ્યયન અને સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે તેમણે ૧૯૬૯માં ગુજરાત સ્ટેટિસ્ટિકલ ઍસોસિયેશનની સ્થાપના કરી અને મંડળના નેજા હેઠળ ૧૯૭૪માં ‘ગુજરાત સ્ટેટિસ્ટિકલ રિવ્યૂ’ (G.S.R.) નામનું સંશોધન-સામયિક શરૂ કર્યું. તેમના તંત્રીપદે  રહી તેમણે GSRને રાષ્ટ્રીય કક્ષાએ માન્યતા પ્રદાન કરાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

મૈથિલીશરણ ગુપ્ત

જ. ૩ ઑગસ્ટ, ૧૮૮૬ અ. ૧૨ ડિસેમ્બર, ૧૯૬૪

હિન્દી ભાષાસાહિત્યના રાષ્ટ્રીય કવિ મૈથિલીશરણ ગુપ્તનો જન્મ ઝાંસી પાસેના ચિરગાંવમાં થયો હતો. માતાનું નામ કાશીબાઈ અને પિતાનું નામ રામચરણ કનકને. પિતા રામભક્ત હતા. પ્રાથમિક શિક્ષણ ચિરગાંવમાં અને માધ્યમિક શિક્ષણ મૈકડોનલ હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યું. શાળામાં રમતગમતમાં ધ્યાન હોવાથી અભ્યાસ અધૂરો રહ્યો. તેમણે ઘરમાં જ હિન્દી, બંગાળી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેમણે ૧૨ વર્ષની ઉંમરે વ્રજભાષામાં ‘કનકલતા’ નામે કાવ્યરચના લખવાનો આરંભ કર્યો. તેમણે ખડી બોલીમાં કવિતાઓ લખી. તેમણે ‘રસિકેન્દ્ર’ નામથી કવિતાઓ, દોહા, છપ્પા, ચોપાઈ વગેરે લખ્યાં. તેમણે હિન્દીમાં પ્રબન્ધ કાવ્યપ્રકારનો આરંભ કર્યો. તેમણે એક મહાકાવ્ય, ૧૯ ખંડકાવ્યો, પાંચ પદ્યનાટકો, ૩ નાટકો, ઊર્મિગીતો દ્વારા હિન્દી સાહિત્યને સમૃદ્ધ કર્યું. પ્રથમ કાવ્યસંગ્રહ ‘રંગ મેં ભંગ’ અને પછી ‘જયદ્રથ વધ’ પ્રગટ થયો. ‘ભારત ભારતી’ (૧૯૧૨) કાવ્યસંગ્રહે તેમને રાષ્ટ્રકવિ બનાવ્યા. એમણે બંગાળીમાંથી ‘મેઘનાદ વધ’, ‘વિહરિણી વજ્રાંગના’ અને ‘પલાસીકા યુદ્ધ’, સંસ્કૃતમાંથી ‘સ્વપ્નવાસવદત્તા’, ‘પ્રતિમા’, ‘અભિષેક’, ‘અવિમારક’ અને ‘રત્નાવલી’ તેમજ ફારસીમાંથી ‘રુબાઇયાત ઉમર ખય્યામ’નો હિંદી ભાષામાં અનુવાદ કર્યો છે. તેમણે ૧૯૧૧માં ‘સાહિત્ય સદન’ નામે પોતાનું પ્રેસ શરૂ કર્યું. ઝાંસીમાં ‘માનસ-મુદ્રણ’ની સ્થાપના કરી. ૧૯૪૧માં તેમણે વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો આથી એમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આરોપો પુરવાર ન થતાં સાત મહિના પછી છોડવામાં આવ્યા.  તેમને અનેક માન-સન્માનો પ્રાપ્ત થયાં હતાં. ‘સાકેત’ મહાકાવ્ય માટે ૧૯૩૫માં હિંદુસ્તાન અકાદમી પુરસ્કાર અને ૧૯૩૭માં મંગલાપ્રસાદ પુરસ્કાર મળ્યો હતો. ૧૯૪૬માં ‘સાહિત્યવાચસ્પતિ’ અને ૧૯૪૮માં આગરા વિશ્વવિદ્યાલય દ્વારા ડી.લિટ.ની ઉપાધિ આપવામાં આવી હતી. તેઓ ૧૯૫૨થી ૧૯૬૪ સુધી રાજ્યસભાના સભ્ય હતા. ભારત સરકારે હિન્દી સાહિત્યમાં તેમણે આપેલા પ્રદાન માટે ૧૯૫૪માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. ટપાલખાતાએ તેમની સ્મૃતિમાં પચ્ચીસ પૈસાની ટપાલટિકિટ બહાર પાડી છે.