Categories
વાચન સમૃદ્ધિ

ગોપાલદાસ સક્સેના ‘નીરજ’

જ. 4 જાન્યુઆરી, 1925 અ. 19 જુલાઈ, 2018

હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ ગોપાલદાસનો જન્મ ઉત્તરપ્રદેશના પુરાવલી ગામમાં થયો હતો. તેમણે છ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમણે 1942માં હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી. ઇટાવાની કચેરીમાં ટાઇપિસ્ટ તરીકે કામ કર્યું પછી ટૉકીઝમાં નોકરી કરી. દિલ્હીમાં પણ ટાઇપિસ્ટની નોકરી કરી. નોકરી છૂટતાં કાનપુરની ડી.એ.વી. કૉલેજમાં ક્લાર્ક તરીકે કામ કર્યું. વળી પાંચ વર્ષ સુધી ખાનગી કંપનીમાં ટાઇપિસ્ટ તરીકે કામ કર્યું. આ દરમિયાન તેમણે ભણવાનું ચાલુ રાખ્યું. તેઓ 1951માં બી.એ. અને 1953માં એમ.એ. થયા. એ પછી થોડો વખત મેરઠ કૉલેજમાં હિન્દીના અધ્યાપક બન્યા. કૉલેજના વહીવટીતંત્રે કેટલાક આરોપો મૂકતાં તેમણે રાજીનામું આપ્યું. તેઓ અલીગઢની ધર્મસમાજ કૉલેજમાં પ્રોફેસર અને અલીગઢની મંગલાયતન યુનિવર્સિટીના ચાન્સેલર પણ બન્યા હતા. તેઓ કાવ્યલેખન કરતા અને કવિસંમેલનોમાં ભાગ લેતા. કવિસંમેલનોમાં તેમણે લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તેમને સૌપ્રથમ હિન્દી ફિલ્મ ‘નઈ ઉમર કી નઈ ફસલ’ માટે ગીત લખવાનું આમંત્રણ મળ્યું. એ ગીતો લોકપ્રિય બન્યાં. એ પછી તેમણે ઘણી ફિલ્મો માટે ગીતો લખ્યાં, જેમાં ‘સિલસિલા’, ‘શર્મીલી’, ‘મેરા નામ જોકર’ અને ‘પ્રેમ પૂજારી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. મુંબઈના જીવનથી કંટાળી તેઓ અલીગઢ ગયા. તેમણે અનેક લોકપ્રિય ગીતો લખ્યાં છે. જેવાં કે – ‘કાલ કા પહિયા ઘૂમે રે ભઈયા !’ ‘એ ભાઈ જરા દેખ કે ચલો’, ‘રંગીલા રે…’, ‘ખિલતે હૈં ગુલ યહાં….’, ‘લિખે જો ખત તુઝે…’, ‘ફૂલોં કે રંગ સે…’, ‘કરવટેં બદલતે રહે સારી રાત હમ…’, ‘જીના યહાં મરના યહાં…’, ‘મૈયા યશોદા…’, ‘ચૌદવી કા ચાંદ હો…’ વગેરે. તેમણે ‘સંઘર્ષ’, ‘અન્તર્ધ્વનિ’, ‘વિભાવરી’, ‘પ્રાણગીત’, ‘દર્દ દિયા હૈ’, ‘નદીકિનારે’, ‘તુમ્હારે લિયે’ જેવા કાવ્યસંગ્રહોથી હિન્દી પદ્યસાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તેઓ સર્વશ્રેષ્ઠ ગીતકાર તરીકે ત્રણ વખત ફિલ્મફેર પુરસ્કાર માટે નામાંકિત થયા હતા. ઉત્તરપ્રદેશ સરકારે ભાષા સંસ્થાનના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરી કૅબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો હતો. તેમને વિશ્વઉર્દૂ પરિષદ પુરસ્કાર, યશભારતી પુરસ્કાર, પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

પુષ્પાવલ્લી

જ. 3 જાન્યુઆરી, 1926 અ. 28 એપ્રિલ, 1991

તમિલ અને તેલુગુ ફિલ્મજગતનાં અભિનેત્રી પુષ્પાવલ્લીનો જન્મ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પેન્ટાપડુ ગામમાં થયો હતો. મૂળ નામ કંડાલા વેંકટ પુષ્પાવલ્લી તાયારમ્મા હતું, પરંતુ પુષ્પાવલ્લીના નામથી જ ફિલ્મજગતમાં જાણીતાં થયાં. ‘સંપૂર્ણ રામાયણ’ ચલચિત્રમાં બાળકલાકાર તરીકે બાળસીતાનું પાત્ર ભજવી, ફિલ્મી દુનિયામાં શ્રીગણેશ કર્યા. ત્યારપછી બાળકલાકાર તરીકે અન્ય ચિત્રોમાં પાત્ર ભજવ્યાં. કુટુંબ માટે કલાકાર તરીકે મળતું મહેનતાણું ખૂબ આવશ્યક હતું. સતત ફિલ્મી સેટો પર સમય વીતતાં ફક્ત પાયાનું શિક્ષણ જ મેળવી શક્યાં. 1940માં વકીલ આઈ. વી. રંગાચારી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. જોકે લગ્ન વધુ ના ટક્યાં અને 1946માં તેઓ જુદાં થયાં. રંગાચારી સાથેનાં લગ્નથી તેમને બે સંતાન થયાં. બાળકલાકારમાંથી તેઓ અભિનેત્રી તરીકે ચલચિત્રોમાં પાત્ર ભજવવા માંડ્યાં. જોકે મુખ્ય અભિનેત્રી તરીકે તેમનાં ખૂબ ઓછાં ચલચિત્રો હતાં. મોટા ભાગે તેઓ સહાયક અભિનેત્રી તરીકેનું જ પાત્ર ભજવતાં. બધું થઈને તેમણે કુલ 20-25 તેલુગુ અને તમિલ ચલચિત્રો કર્યાં હતાં. તેઓને ક્યારેય પોતાના અભિનય માટે પ્રશંસા મળી ન હતી. તેમનું ખૂબ વખણાયેલું ચલચિત્ર હતું ‘બાલા નાગમ્મા’ (1942), જેમાં સહાયક અભિનેત્રી તરીકે ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. 1947માં આવેલું ‘મીસ માલિની’ ક્રિટિક્સ દ્વારા વખાણાયેલું, પરંતુ બૉક્સઑફિસ પર નિષ્ફળ નીવડ્યું હતું. ‘મીસ માલિની’ ચલચિત્રથી તેઓ જેમિની ગણેશનના સંપર્કમાં આવ્યાં. ત્યારપછી પુષ્પાવલ્લી અને જેમિની ગણેશન સાથે રહેવા માંડ્યાં. બંને અગાઉથી પરણેલાં હોવાથી લગ્ન કરી શકે તેમ નહોતાં. જેમિની ગણેશનથી પુષ્પાવલ્લીને બે પુત્રીઓ થઈ. રેખા અને રાધા. રેખા એટલે હિન્દી ફિલ્મજગતની ખ્યાતનામ અભિનેત્રી. જેમિની ગણેશનને અભિનેતા તરીકે ખૂબ નામના મળી હતી. તેમણે ક્યારેય પણ રેખા અને તેની બહેન રાધાને પુત્રી તરીકે અપનાવ્યાં ન હતાં. ધીમે ધીમે તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. દીકરીઓના ઉછેર માટે તેમણે નાની નાની ફિલ્મોમાં સાધારણ પાત્રો ભજવવાનું ચાલુ રાખ્યું. ત્યારપછી પુષ્પાવલ્લીએ સિનેમૅટોગ્રાફર કે. પ્રકાશ સાથે લગ્ન કર્યાં અને પોતાનું નામ કે. પુષ્પાવલ્લી કર્યું. વધુ બે સંતાનોને જન્મ આપ્યો. પુત્રી રાધા લગ્ન કરીને અમેરિકામાં સ્થાયી છે. પુત્રી ધનલક્ષ્મીએ તેજ સપ્રુ સાથે લગ્ન કર્યાં છે જ્યારે પુત્ર ડાન્સર સેશુ 1991માં અવસાન પામ્યો હતો. 1991માં પુષ્પાવલ્લીનું ડાયાબીટિસના રોગના કારણે અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

અનંતરાય મ. રાવળ ‘શૌનક’

જ. 1 જાન્યુઆરી, 1912 અ. 18 નવેમ્બર, 1988

ગુજરાતી સાહિત્યના સંનિષ્ઠ અધ્યાપક, તટસ્થ અને સમતોલ વિવેચક તથા સંપાદક શ્રી અનંતરાય રાવળનો જન્મ અમરેલીમાં મણિશંકર રાવળને ત્યાં થયો હતો. તેઓ માત્ર બે વર્ષના હતા ત્યારે માતા ગુમાવી દીધેલી. તેમને દાદીએ ઉછેરેલાં. તેમનું વતન વળા (વલભીપુર) પણ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં લીધેલું. ઈ. સ. 1928માં મૅટ્રિક અને 1932માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી સાથે બી.એ. થયા. યુનિવર્સિટીમાં પ્રથમ આવવા બદલ તેમને હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક મળેલું. ઈ. સ. 1934માં એમ.એ. પ્રથમ વર્ગ સાથે કર્યું. 1932થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો. ઈ. સ. 1934ના ઑગસ્ટથી અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા અને ઈ. સ. 1959 સુધી ત્યાં જ કાર્ય કર્યું. 1959-60 દરમિયાન જામનગરની ડી. કે. વી. કૉલેજમાં આચાર્યપદે રહ્યા. ત્યારબાદ ગુજરાત રાજ્યના ભાષા-વિભાગમાં ભાષા-નિયામક તરીકે કાર્ય કર્યું. 1970માં ત્યાંથી નિવૃત્ત થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1977ના એક વર્ષ માટે ભવનના નિયામક પણ થયેલા. ગોવર્ધનરામ ત્રિપાઠી અને ન્હાનાલાલ તેમના પ્રિય સર્જકો હતા. 1933 તેમની લેખનપ્રવૃત્તિનો આરંભ થયેલો. વિવેચન, અનુવાદ અને સંપાદન મળી તેમની પાસેથી 45 જેટલા ગ્રંથો મળ્યા છે. વિષયની સર્વગ્રાહી ચર્ચા અને મુદ્દાસર સઘન રજૂઆત તેમના વિવેચનની વિશેષતા છે. ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાળ’ એ તેમનો વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને ઉપયોગી થાય તેવો અભ્યાસગ્રંથ છે. તેમની પાસેથી નવેક સંપાદનો અને બેત્રણ અનુવાદગ્રંથો મળ્યા છે. ર. વ. દેસાઈની ‘ગ્રામલક્ષ્મી’ નવલકથાનો તેમણે સંક્ષેપ કરેલો. તેમને તેમની સમગ્ર સાહિત્યની સેવાના સંદર્ભમાં ઈ. સ. 1955નો રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. આ ઉપરાંત દિલ્હી સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર તથા નર્મદ ચંદ્રક પણ તેમને મળેલ. 1980માં વડોદરા ખાતે ગુ. સા. પરિષદના અધિવેશનના તેઓ પ્રમુખ હતા. તેમના અવસાન બાદ સ્મારક સમિતિ તરફથી વિવેચન ઍવૉર્ડ અને અધ્યાપક ઍવૉર્ડ અપાય છે.