Categories
વાચન સમૃદ્ધિ

રવિ કોંડોલા રાવ

જ. 11 ફેબ્રુઆરી 1932 અ. 28 જુલાઈ 2020

ભારતીય અભિનેતા, પટકથાલેખક, નાટ્યકાર, પત્રકાર અને લેખક રવિ કોંડોલા રાવનો જન્મ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં થયો હતો. પિતા પોસ્ટમાસ્તર હતા. રવિ કોંડોલા રાવનું પ્રાથમિક શિક્ષણ શ્રીકાકુલમમાં થયું હતું. 1948માં રાજમુન્દ્રીમાં આરએસએસ અને હિન્દુ મહાસંમેલન ઉપર પ્રતિબંધ મુકાયો હતો. એની સામે જે સત્યાગ્રહ થયો તેમાં રવિ કોંડોલા રાવે ભાગ લીધો હતો પરિણામે જેલવાસ ભોગવવો પડ્યો હતો. ત્રણ મહિનાના જેલવાસ દરમિયાન તેમણે સાહિત્યનાં પુસ્તકોનું વાચન કર્યું. રાવ એક કુશળ પત્રકાર હતા. તેમણે તેલુગુ અખબારો અને સામયિકોમાં લેખનકાર્ય કર્યું હતું. રવિ કોંડોલા રાવ ‘મહોદય’ સાપ્તાહિક અખબાર માટે લેખ લખતા હતા. તેમણે ‘આનંદવાણી’ સાપ્તાહિક મૅગેઝિનમાં સહતંત્રી તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત ‘વિજયા ચિત્રા’, ‘સિતારા’, ‘આંધ્ર જ્યોતિ’ અને અન્ય પ્રકાશનો સાથે પણ સંકળાયેલા હતા. તેમને લેખનની પ્રેરણા કોડાવતિગંતી કુટુમ્બા રાવ પાસેથી મળેલી. ‘મન ઓહાલુ’ એ ઉપનામથી તેઓએ વાર્તા લખવાનું શરૂ કરેલું. શ્રેષ્ઠ વાર્તાલેખન માટે નંદી પુરસ્કાર મળેલો. રવિ કોંડોલા રાવે તેલુગુ સિનેમા અને તેલુગુ થિયેટરમાં પણ કાર્ય કરેલું. તેમને ફિલ્મોમાં અભિનય કરવા માટેનું પ્રોત્સાહન મુલ્લાપુડી વેંકટા રમના, ગુથા રામીનેડુએ આપ્યું હતું. ફિલ્મમાં પ્રવેશ 1958માં શોભા સાથે અભિનેતા તરીકે કર્યો હતો. તેઓએ ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ કાર્ય કર્યું હતું. 400થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. તેમને ‘પ્રેમિંચી ચૂડુ’(1964)એ અભિનેતા તરીકે ઓળખ અપાવી હતી. ‘બ્લૅક ઍન્ડ વ્હાઇટ’ તેલુગુ સિનેમા પરના શ્રેષ્ઠ પુસ્તક માટે નંદી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. પીઢ અભિનેત્રી રાધા કુમારી તેમનાં પત્ની હતાં. તેઓની સાથે લગભગ 100 ફિલ્મોમાં તેમણે સહ-અભિનેતા તરીકે કાર્ય કરેલું. તેમના ભાઈ આર. કામેશ્વર રાવ એક અગ્રણી ડબિંગ કલાકાર હતા. આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર રવિ કોંડોલા રાવનું 88 વર્ષની વયે હૈદરાબાદમાં નિધન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

જગન્નાથ શંકરશેઠ મુરકુટે

જ. 10 ફેબ્રુઆરી, 1803 અ. 31 જુલાઈ, 1865

ભારતીય પરોપકારી શિક્ષાવિદ અને સમાજસેવક જગન્નાથ મુરકુટેનો જન્મ મુરબાદમાં ધનિક મરાઠી પરિવારમાં થયો હતો. પિતા શંકરશેઠ સુવર્ણકાર હતા અને તેઓ શંકરશેઠ તરીકે ઓળખાતા. જગન્નાથ પોતે નાના શેઠ તરીકે જાણીતા થયા હતા. પાંચ વર્ષની વયે માતાનું અવસાન થયું અને 18 વર્ષની વયે પિતા ગુમાવ્યા. તેઓ તેમનો પારંપરિક વ્યવસાય છોડીને મુંબઈમાં આવી વસ્યા. અહીં તેમણે પારસી અને અફઘાની વેપારીઓ સાથે વ્યવસાય કર્યો અને મુંબઈના વિકાસ અને શિક્ષણક્ષેત્રે અત્યંત મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમણે અનેક શાળાઓની સ્થાપના કરી. એ માટે તેમણે સ્કૂલ સોસાયટી અને નેટિવ સ્કૂલ ઑફ મુંબઈની સ્થાપના કરી. 1856માં તેમના દ્વારા સ્થાપિત મુંબઈ વિશ્વવિદ્યાલયની સૌથી પ્રાચીન કૉલેજમાંથી એક તે ઍલ્ફિન્સ્ટન કૉલેજ છે, જેમાં પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી, સમાજસેવક અને નેતા, દાદાભાઈ નવરોજી, મહાદેવ રાનડે, ગોપાલકૃષ્ણ ગોખલે, બાલગંગાધર ટિળક જેવા મહાનુભાવોએ શિક્ષણ પ્રાપ્ત કર્યું.

તેમણે દક્ષિણ મુંબઈના ગિરગાંવમાં સ્થપાયેલી સ્ટુડન્ટ લાઇબ્રેરી માટે આર્થિક સહાય કરી. હિન્દુ સમાજનો ભારે વિરોધ હોવા છતાં તેમણે મહિલાઓ માટેની શાળાની સ્થાપના માટે વિપુલ ધનરાશિ અર્પણ કરી. પોતાની શાળાઓમાં તેમણે અંગ્રેજી સાથે સંસ્કૃત લાઇબ્રેરી પણ સ્થાપી. 26 ઑગસ્ટ, 1852માં તેમણે બૉમ્બે ઍસોસિયેશનના નામે રાજનીતિક દળની સ્થાપના કરી જેમાં તત્કાલીન મુંબઈની એક પ્રસિદ્ધ વ્યક્તિ સભ્ય બની હતી. ગિરગાંવમાં નાના ચોક પાસે ભવાની – શંકરમંદિર અને રામમંદિર જગન્નાથ મુરકુટેની જ દેણ છે. પ્રાચીન મુંબઈનાં અનેક ક્ષેત્રે આજે પણ તેમનાં સ્થાપત્યો મુંબઈના વિકાસ અને મહત્ત્વપૂર્ણ યોગદાનનાં સાક્ષી છે. તત્કાલીન બ્રિટિશ રાજને પણ તેમણે મુંબઈનાં અનેક વિકાસકાર્યો માટે આર્થિક સહાયતા પ્રદાન કરી છે. જગન્નાથ મુરકુટેને મુંબઈના ‘આદ્ય શિલ્પકાર’ માનવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સુભદ્રાબહેન શ્રોફ

જ. 9 ફેબ્રુઆરી, 1915, અ. 26 માર્ચ, 2006

ગુજરાતનાં સ્વાતંત્ર્યસેનાની અને કન્યાકેળવણીના પાયાનાં કાર્યકર સુભદ્રાબહેન શ્રોફનો જન્મ સૌરાષ્ટ્રના જેતલસર ગામમાં થયો હતો. પિતા ચીમનલાલ શ્રોફ વડોદરાના કલાભવનના પ્રિન્સિપાલ હતા. સુભદ્રાબહેને મૅટ્રિક સુધીનું શિક્ષણ વડોદરામાં લીધું હતું. 1936માં તેઓ અંગ્રેજી વિષય સાથે એમ.એ. થયાં. એ પછી તેઓ નડિયાદના વિઠ્ઠલ કન્યા-વિદ્યાલયમાં જોડાયાં, પરંતુ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે સંસ્થામાંથી રાજીનામું આપ્યું અને સ્વાતંત્ર્યસેનાનીઓની ટુકડીમાં જોડાયાં. ખેડા જિલ્લાના નાના ગામમાં ભાષણ આપીને સ્વાતંત્ર્યની લડતનો પ્રચાર કરતાં સુભદ્રાબહેન પકડાયાં. તેમને ત્રણ માસની જેલની સજા થઈ. જેલવાસ દરમિયાન સુભદ્રાબહેનનાં માતુશ્રી બીમાર પડ્યાંના સમાચાર આવ્યા. પોતે પેરોલ પર છૂટી શકે, પરંતુ એ માટે કોઈ પણ ચળવળમાં ભાગ નહીં લેવાની લેખિત બાંયધરી આપવી પડે. એ એમને મંજૂર ન હતું. સુભદ્રાબહેન જેલમાં જ રહ્યાં. તેમનાં માતુશ્રી અવસાન પામ્યાં. દુ:ખદ પ્રસંગે પણ મક્કમતાથી તેમણે જેલવાસ પૂરો કર્યો હતો. ત્યાર પછી તેઓ વડોદરા અને મુંબઈમાં રાષ્ટ્રીય શાળામાં જોડાયાં. દરબાર ગોપાળદાસે, સુભદ્રાબહેન શ્રોફ અને સુમતિબહેન વૈદ્યને રાજકોટમાં કન્યાકેળવણી માટેની સંસ્થા શરૂ કરવાનું આમંત્રણ આપ્યું. 1946ની 9મી જૂને દરબારસાહેબ, ભક્તિબા અને ઢેબરભાઈના પ્રયત્નોથી, નારણદાસભાઈ ગાંધીના સહયોગથી રાષ્ટ્રીય શાળાના મકાનમાં શ્રી વલ્લભ કન્યા વિદ્યાલયની શરૂઆત શ્રી શામળજીભાઈ વિરાણીના પુત્રોની નાણાકીય સહાયથી થઈ. શરૂઆતમાં 11 ધોરણ સુધીની શાળા અને છાત્રાલય શરૂ કરવામાં આવ્યાં હતાં. એ પછી બાળમંદિર, પ્રાથમિક શાળા, પ્રી-પીટીસી, ઉચ્ચતર માધ્યમિક, વ્યક્તિત્વ વિકાસ-કેન્દ્ર અને લોકવિજ્ઞાન-કેન્દ્ર જુદા જુદા સમયે શરૂ કરવામાં આવ્યાં. તેઓએ 1946થી 1966 સુધી સતત 20 વર્ષ આ સંસ્થાના આચાર્યપદે રહી 50 વર્ષની વયે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. 1964માં સંસ્થાનાં નિયામક બન્યાં તથા 24 વર્ષ કાર્યરત રહ્યાં. 1965માં ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ઍવૉર્ડ તેમને આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત સરકારના મહિલા ઉદ્યોગ, પાઠ્યપુસ્તક, પ્રૌઢશિક્ષણ સહિત અનેક મહત્ત્વની સમિતિઓમાં વર્ષો સુધી સક્રિય સભ્ય રહ્યાં હતાં.