Categories
વાચન સમૃદ્ધિ

ખેમચંદ પ્રકાશ

જ. 12 ડિસેમ્બર, 1907 અ. 10 ઑગસ્ટ, 1950

‘ફિલ્મ સંગીતનો પ્રકાશપુંજ’ કહેવાતા હિન્દી ફિલ્મઉદ્યોગના જાણીતા સંગીતકાર, ખેમચંદ પ્રકાશનો જન્મ બ્રિટિશ સમયના રાજપૂતાનાના બિકાનેર રાજ્યના સુજાનગઢમાં થયો હતો. તેમના પિતાજી દ્રુપદ સંગીતના જાણકાર અને કથક નૃત્યશૈલીના પણ જાણકાર હોવાથી ખેમચંદજીને પણ બાલ્યકાળથી જ તેનું અનેરું આકર્ષણ હતું. પિતાજીની જેમ તેમણે પણ બિકાનેરના રાજદરબારમાં અને ત્યારપછી નેપાળના રાજદરબારમાં સંગીત અને નૃત્યકલા દર્શાવી હતી. ત્યારબાદ કૉલકાતામાં ‘ન્યૂ થિયેટર’માં સંગીતકાર તિમિર બરનના સહાયક સંગીતકાર તરીકે 1935માં ‘દેવદાસ’ ફિલ્મમાં જોડાયા. 1938માં ‘સ્ટ્રીટ સિંગર’માં એક કૉમેડી ગીત ‘લો ખા લો મેડમ ખાના’ ગાયું. કહેવાય છે કે તેમણે એક વખત રસ્તે રઝળતી અને ગાયન ગાઈને ગુજરાન ચલાવતી ‘ખુર્શીદ’ નામની એક યુવતીનું ગીત સાંભળ્યું અને સંમોહિત થઈ ગયા. આથી 1939માં જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે ખુર્શીદને પણ સાથે લાવ્યા. અહીં ‘સુપ્રીમ પિક્ચર્સ’ની ફિલ્મો ‘મેરી આંખે’ અને ‘ગાઝી સલાઉદ્દીન’માં સંગીતકાર તરીકે પદાર્પણ કર્યું. ચંદુલાલ શાહે જામનરેશ રણજિતસિંહના નામ પરથી ‘રણજિત મૂવીટોન’ની સ્થાપના કરી અને ખેમચંદ આ બૅનર નીચે ઉત્તમ સંગીત આપતા થયા. તેમાં ‘પરદેશી’, ‘હોલી’, ‘ચાંદની’, ‘સિંદૂર’, ‘સાવન આયા રે’, ‘ફરિયાદ’ વગેરેને ગણાવી શકાય. 1948માં બૉમ્બે ટૉકીઝની ‘ઝિદ્દી’ ફિલ્મ પણ ઘણી પ્રશંસા પામી. આ ફિલ્મ દ્વારા તેમણે લતા મંગેશકર અને કિશોરકુમારને ફિલ્મસંગીત દુનિયામાં પ્રવેશ અપાવ્યો. તેમની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ‘મહલ’માં લતા મંગેશકરે ગાયેલું ‘આયેગા આનેવાલા’ ખૂબ જ લોકપ્રિય બન્યું અને સદીઓ સુધી લોકોની જીભે રમતું રહ્યું. સંગીતકાર તરીકે ખેમચંદ પ્રકાશની કેટલીક વિશેષતાઓ તેમને અન્ય સંગીતકારો કરતાં મુઠ્ઠી ઊંચેરા બનાવે છે. તેઓ ગાયક-ગાયિકાઓ માટે એવું સ્વરનિયોજન કરતા કે ગીતોમાં અલૌકિકતા પ્રગટ થતી. તેમની મૌલિકતા એ પણ હતી કે રાજસ્થાની અને મારવાડી લોકગીતોની મધુર ધૂનોને હિન્દી ફિલ્મોમાં સ્થાન આપીને નવી ક્ષિતિજો ઉઘાડી આપી અને વળી નૌશાદ, મન્નાડે, કિશોરકુમાર અને લતા મંગેશકર જેવા દિગ્ગજોની ભેટ આપી.

Categories
વાચન સમૃદ્ધિ

સુબ્રમણ્યમ્ ભારતી

જ. 11 ડિસેમ્બર, 1882 અ. 11 સપ્ટેમ્બર, 1921

તમિળના પ્રસિદ્ધ લેખક, કવિ, સંગીતકાર અને પત્રકાર સુબ્રમણ્યમ્ ભારતીનો જન્મ તમિળનાડુના એટ્ટાયપુરમમાં થયો હતો. પિતા ચિન્નાસ્વામી ઐયર અને માતા લક્ષ્મી અમ્મલ. તેમણે પાંચ વર્ષની ઉંમરે માતાની અને અગિયાર વર્ષની ઉંમરે પિતાની  છત્રછાયા ગુમાવી. પ્રારંભિક શિક્ષણ તિરુનેલવેલીમાં થયું પછી વારાણસી ગયા. ત્યાં તેમણે હિંદુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેમને બાળપણથી કવિતા અને સંગીતમાં રસ હતો. અગિયાર વર્ષની ઉંમરે તેમને શ્રેષ્ઠ કવિતા માટે ‘ભારતી’નું બિરુદ આપવામાં આવ્યું. તેઓ સિસ્ટર નિવેદિતાને ગુરુ માનતા હતા. તેમણે એટ્ટાયપુરમના રાજાના મુખ્ય રાજકવિ તરીકે તેમજ મદુરાઈની સેતુપતિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું હતું. તેમણે તમિળ સાપ્તાહિક ‘ભારત’ અને અંગ્રેજી વર્તમાનપત્ર ‘બાલા ભારતમ્’નું સંપાદન કર્યું. આ ઉપરાંત ‘ઇન્ડિયા’, ‘વિજયા’. ‘સૂર્યોદયમ્’, ‘સ્વદેશમિત્રન’, ‘ધ હિન્દુ’ અને ‘ચક્રવર્તિની’ના સંપાદક અને ઘણાં વર્તમાનપત્રોમાં પત્રકાર તરીકે કાર્ય કર્યું હતું. 1908માં અંગ્રેજ સરકારે ધરપકડ વૉરન્ટ કાઢતાં તેઓ ફ્રેન્ચ શાસિત પોંડિચેરી (પુદુચેરી) ગયા. તેમણે મહર્ષિ અરવિંદને ‘આર્ય’ અને ‘કર્મયોગી’ પ્રકાશિત કરવામાં મદદ કરી હતી. તેમની રચનાઓમાં ‘કન્નન પટ્ટુ’, ‘કુયિલ પટ્ટુ’, ‘પંજલિ સબથમ્’, ‘વિનયગર નાનમણિમલાઈ’ તેમજ પતંજલિના યોગસૂત્ર અને ભગવદ્ગીતાનો તમિળ અનુવાદ જાણીતાં છે. 1949માં તેમના સાહિત્યનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તેઓ જીવનનાં છેલ્લાં વર્ષો જે ઘરમાં રહેતા હતા એ ઘર તમિળનાડુ સરકારે ખરીદીને તેને ‘ભારતી ઇલમ’ નામ આપવામાં આવ્યું છે. તેમની સ્મૃતિમાં ‘સુબ્રમણ્યમ્ ભારતી પુરસ્કાર’ તેમજ ‘ભારતી યુવાકવિ પુરસ્કાર’ આપવામાં આવે છે. 1982માં કોઈમ્બતુરમાં ‘ભારતિયા યુનિવર્સિટી’ની સ્થાપના કરવામાં આવી. 11 સપ્ટેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ‘સુબ્રમણ્યમ્ ભારતી ચૅર ઑફ તમિળ સ્ટડીઝ’ સ્થાપવાની જાહેરાત કરી છે. તેમના જીવન પરથી ‘ભારતી’ નામની તમિળ ફિલ્મ બનાવવામાં આવી જેને શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

જદુનાથ સરકાર

જ. 10 ડિસેમ્બર, 1870 અ. 19 મે, 1958

મહાન ઇતિહાસકાર સર જદુનાથ સરકારનો જન્મ બંગાળના રાજશાહી જિલ્લાના કરચમરિયાના વૈષ્ણવ-કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ કરચમરિયા, રાજશાહીનગર અને કૉલકાતામાં થયું હતું. 1889માં ઇન્ટરમીડિયેટ ફર્સ્ટ આર્ટસની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં જોડાયા અને બી.એ.ની ઇતિહાસ અને અંગ્રેજી વિષય સાથે 1891માં પરીક્ષા આપી અને યુનિવર્સિટીમાં બીજા ક્રમે આવ્યા. અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવી તેમણે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. જદુનાથનો પ્રથમ લેખ ‘ટીપુ સુલતાનનું પતન’ અને પ્રથમ નિબંધ ‘રવીન્દ્રનાથ ટાગોરની સાહિત્યિક કૃતિઓ’ વિશે હતો. 1898થી 1917ની વચ્ચે, 1901માં પ્રેસિડેન્સી કૉલેજમાં સંક્ષિપ્ત કાર્યકાળ સિવાય પટણા કૉલેજમાં તેમણે વિતાવ્યો. 1919માં તેઓ કટકની રેવનશો કૉલેજમાં અંગ્રેજી અને ઇતિહાસના પ્રોફેસર તરીકે જોડાયા. ત્યાં તેમણે બાંગ્લા શીખવવાનું પણ સ્વેચ્છાએ શરૂ કર્યું. 1926થી 1928 દરમિયાન તેમણે કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. જદુનાથ સરકારનાં પ્રકાશનોમાં ‘ઇકૉનૉમિક્સ ઑફ બ્રિટિશ ઇન્ડિયા’, ‘હિસ્ટ્રી ઑફ ઔરંગઝેબ’ 1થી5 વૉલ્યુમ, ‘શિવાજી ઍન્ડ હિઝ ટાઇમ્સ’, ‘ફોલ ઑફ ધ મુઘલ એમ્પાયર’ વૉલ્યુમ 1થી 4, ‘મિલિટરી હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા’ મોખરે છે. બાંગ્લામાં તેમનાં પુસ્તકોમાં ‘પટનાર કથા’, ‘મરાઠા જાતિબિકાશ’ અને ‘શિબાજી’નો સમાવેશ થાય છે. જદુનાથ સરકારને 1904માં કલકત્તા યુનિવર્સિટી દ્વારા ગ્રિફિથ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 1926માં કમ્પેનિયન ઑફ ધ ઑર્ડર ઑફ ધ ઇન્ડિયન એમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 1929માં તેમને નાઇટનો ખિતાબ આપવામાં આવ્યો હતો. 1936માં ઢાકા યુનિવર્સિટી દ્વારા તેમને ડી. લિટ.થી સન્માનિત કરવામાં આવ્યા. તેઓ 80 વર્ષના થયા ત્યારે બાંગિયા સાહિત્ય પરિષદ અને બાંગિયા ઇતિહાસ પરિષદે અનુક્રમે 1949 અને 1950માં તેમનું વિશેષ સન્માન કર્યું હતું. જદુનાથ પોતાના સમયના ભારતના અને વિદેશના મહાન ઇતિહાસકારોમાંના એક હતા. ડૉ. કે. આર. કાનુન્ગો અને ડૉ. એ. એલ. શ્રીવાસ્તવ (આગ્રા યુનિવર્સિટી) જેવા પ્રસિદ્ધ ઇતિહાસકારો તેમના શિષ્યો હતા.