Categories
વાચન સમૃદ્ધિ

શોભના સમર્થ

જ. 17 નવેમ્બર, 1916 અ. 9 ફેબ્રુઆરી, 2000

ત્રીસના દાયકાની સ્વરૂપવાન અને સફળ અભિનેત્રી શોભના સમર્થનો જન્મ મુંબઈમાં થયો હતો. મૂળ નામ સરોજ શિલોત્રી હતું. પિતા પી. એસ. શિલોત્રી અને માતા રતનબાઈ. પિતાનું અવસાન થતાં મામા જયંતે તેમના પરિવારને ટેકો આપ્યો. સરોજે ‘શોભના સમર્થ’ નામે 1934માં ‘વિલાસી ઈશ્વર’ ચિત્રથી અભિનયક્ષેત્રે પ્રવેશ કર્યો. ગુજરાતી તથા હિંદી બે ભાષામાં બનેલા ‘દો દીવાને’ ચિત્રમાં શોભનાએ મોતીલાલ સાથે કામ કર્યું અને એ વખતે બંને વચ્ચે બંધાયેલી ગાઢ મિત્રતા અંત સુધી રહી. કુમારસેન સમર્થ સાથેના લગ્ન પછી પ્રથમ પુત્રી નૂતનના જન્મ સમયે શોભનાએ બે વર્ષ ચિત્રોમાં કોઈ કામ ન કર્યું, પણ પછી જે ચિત્ર આવ્યું તે ‘કોકિલા’ સફળ રહ્યું. એ દિવસોમાં વાડિયા બ્રધર્સ માત્ર મારધાડનાં ચિત્રો બનાવતા હતા, પણ શોભનાને લઈને તેમણે સામાજિક ચિત્ર ‘શોભા’ બનાવ્યું હતું. 1941માં દિગ્દર્શક વિજય ભટ્ટ ‘ભરત મિલાપ’નું સર્જન કરી રહ્યા હતા. સીતાની ભૂમિકા તેમણે શોભનાને સોંપી. ભૂમિકા ટૂંકી હતી પણ શોભનાના દમદાર અભિનયને કારણે 1943માં વિજય ભટ્ટે ‘રામરાજ્ય’માં સીતાની ભૂમિકા માટે તેમને જ પસંદ કર્યાં. આ ચિત્રને ખૂબ સફળતા મળી. તે પછી શોભનાએ ઘણાં ધાર્મિક ચિત્રોમાં કામ કર્યું. ‘રામબાણ’ અને ‘રામવિવાહ’માં પણ તેમણે સીતાની ભૂમિકા ભજવી. આ ઉપરાંત પૃથ્વીરાજ કપૂર સાથે ‘નલ દમયંતી’ પણ સફળ રહ્યું. કિશોર સાહુનિર્મિત ‘વીર કુણાલ’માં તેમનો અભિનય ખૂબ પ્રશંસા પામ્યો. 1950 પછી ધાર્મિક ચિત્રોનું નિર્માણ ઓછું થતાં શોભના પણ વ્યક્તિગત જીવનમાં પરોવાઈ ગયાં. છૂટાંછવાયાં ચિત્રોમાં ચરિત્ર ભૂમિકાઓ ભજવતાં રહ્યાં. નૂતનને અભિનયક્ષેત્રે લાવવા તેમણે ‘હમારી બેટી’ અને તનુજા માટે ‘છબીલી’ ચિત્રનું નિર્માણ કર્યું હતું. તેમને ત્રીજી દીકરી ચતુરા અને પુત્ર જયદીપ હતાં. તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ‘વિલાસી ઈશ્વર’, ‘દો દીવાને’, ‘સવેરા’, ‘રામરાજ્ય’, ‘નૌકર’, ‘મહાસતી અનસૂયા’, ‘તારામતી’, ‘હમારી બેટી’, ‘રામજન્મ’, ‘ઇન્સાનિયત’, ‘લવ ઇન સિમલા’, ‘છલિયા’, ચિત્રલેખા’, ‘એક બાર મુસ્કુરા દો’, ‘દો ચોર’ ‘ઘરદ્વાર’ વગેરેને ગણાવી શકાય.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

શ્રીરામ લાગૂ

જ. 16 નવેમ્બર, 1927 અ. 17 ડિસેમ્બર, 2019

હિન્દી અને મરાઠીમાં ભારતીય ફિલ્મ અને થિયેટરના અભિનેતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે ભાવે હાઈસ્કૂલ, ફર્ગ્યુસન કૉલેજ, પુણે અને બી. જે. મેડિકલ કૉલેજ(પુણે યુનિવર્સિટી)માં અભ્યાસ કર્યો હતો. તેમણે એમ.બી.બી.એસ. અને ત્યારપછી એમ.એસ.નો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. બાળપણથી જ અભિનય પ્રત્યે લગાવ. શાળામાં હતા ત્યારથી નાટકોમાં કામ કરતા. 11 વર્ષના હતા ત્યારે પ્રથમ વાર શાળામાં વાર્ષિકોત્સવમાં શિક્ષકે લખેલા ‘વંદે ભારતમ્’માં કામ કર્યું. ગોપાળકૃષ્ણ ગોખલેની ભૂમિકા કરી અને વર્ષો પછી રિચાર્ડ એટનબરોના ચલચિત્ર ‘ગાંધી’માં પણ ભૂમિકા ભજવી હતી. 1950થી વ્યાવસાયિક મરાઠી નાટકોમાં અભિનય કરવાની શરૂઆત કરી હતી. આખો દિવસ હૉસ્પિટલમાં દર્દીઓની સેવા કરતા અને રાત્રે મોડે સુધી નાટકોમાં વ્યસ્ત રહેતા. સ્કોટલૅન્ડમાં ફરવા ગયા ત્યારે તેમનાં પ્રથમ પત્ની માલતીનું એક અકસ્માતમાં અવસાન થયું અને બે બાળકો આનંદ અને વિમલાના ઉછેરની જવાબદારી આવી. 1966માં ત્રણ વર્ષનો કરાર કરી પૂર્વ આફ્રિકા ગયા ત્યારે રંગમંચથી દૂર રહ્યા. ભારત પાછા આવી અભિનય અને તબીબી વ્યવસાયમાંથી અભિનયને પસંદગી આપી. 1971માં રંગભૂમિની એક અભિનેત્રી દીપા સાથે લગ્ન કર્યાં. 1972માં વી. શાંતારામના ‘પીંજરા’માં અવિસ્મરણીય અભિનય કર્યો. 1980ના દાયકામાં દૂરદર્શન પ્રાયોજિત કાર્યક્રમોમાં કાર્ય કર્યું, જેમાં શ્રીધર ક્ષીરસાગરની ‘ખાનદાન’ તેમની પ્રથમ ધારાવાહિક હતી. તેમણે હિન્દી અને મરાઠીની કુલ 250 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ ઉપરાંત હિન્દી, મરાઠી અને ગુજરાતી નાટકોમાં પણ અભિનય કર્યો હતો. તેમનાં નોંધપાત્ર ચિત્રોમાં ‘પીંજરા’, ‘ચલતે ચલતે’, ‘ઘરૌંદા’, ‘કિનારા’, ‘થોડીસી બેવફાઈ’, ‘લાવારિસ’, ‘કામચોર’, ‘સૌતન’ અને ‘માયા મેમસાબ’ને ગણાવી શકાય. તેમના અભિનયક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ તેમને 1997માં કાલિદાસ સન્માન, ‘ઘરૌંદા’ ફિલ્મ માટે ફિલ્મફેર ઍવૉર્ડ ફોર બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર, ‘પુણ્યભૂષણ’ (2007), સંગીત નાટક એકૅડેમી ફેલોશિપ (2010) અને મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

રાધા બર્નિયર

જ. 15 નવેમ્બર, 1923 અ. 31 ઑક્ટોબર, 2013

થિયૉસૉફિકલ સોસાયટીનાં પ્રમુખ રાધા બર્નિયરનો જન્મ તામિળનાડુના અડ્યારમાં થયો હતો. માતા ભાગીરથી. પિતા એન. શ્રીરામ થિયૉસૉફિકલ સોસાયટીના પાંચમા પ્રમુખ હતા. રાધાનું શિક્ષણ થિયૉસૉફિકલ શાળા નૅશનલ ગર્લ્સ હાઈસ્કૂલમાં થયું. તેમણે રુક્મિણી દેવી અરુંડેલના કલાક્ષેત્ર ફાઉન્ડેશનમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી હતી. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી બી.એ. થયાં અને સંસ્કૃત વિષય સાથે એમ.એ.માં યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યાં હતાં. તેઓ 1935માં થિયૉસૉફિકલ સોસાયટીમાં જોડાયાં. 1945થી 1951 સુધી તેનાં ગ્રંથપાલ રહ્યાં. તેઓ 1959થી 1963 સુધી મદ્રાસ થિયૉસૉફિકલ ફેડરેશનનાં પ્રમુખ રહ્યાં. 1960થી સંસ્થાની જનરલ કાઉન્સિલનાં સભ્ય હતાં. 1960થી 1972 સુધી વારાણસીમાં બેસન્ટ થિયૉસૉફિકલ સ્કૂલ, કૉલેજ અને કન્યાછાત્રાલયની વ્યવસ્થાનું કામ કર્યું. તેઓ ન્યૂ લાઇફ ફોર ઇન્ડિયા ચળવળનાં સ્થાપક હતાં. 1960થી તેમણે વિશ્વભરમાં પ્રવચનો આપ્યાં. તેમણે 1982માં નૈરોબીમાં, 1993માં બ્રાઝિલિયામાં અને 2001માં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલ થિયૉસૉફિકલ સોસાયટીના ત્રણ વિશ્વ કૉંગ્રેસનું નેતૃત્વ કર્યું. તેમણે 1980થી ‘ધ થિયૉસૉફિસ્ટ’નું અને અન્ય થિયૉસૉફિકલ જર્નલોનું પણ સંપાદન કર્યું. સંસ્થાની લાઇબ્રેરીના સંશોધન જર્નલ ‘બ્રહ્મવિદ્યા’નાં સંપાદક તરીકે કામગીરી બજાવી. તેમણે ‘હઠયોગ-પ્રદીપિકા’ અને ‘સંગીત રત્નાકર’નો અનુવાદ કર્યો હતો. તેમણે તેમના અવસાન સુધી સંસ્થાની લાઇબ્રેરીના જર્નલ ‘ઇન્ડોલૉજી’નું સંપાદન કર્યું હતું. તેઓ કૅલિફૉર્નિયાની ક્રોટોના ઇન્સ્ટિટ્યૂટ ઑફ થિયૉસૉફીનાં વડા હતાં. સિડનીમાં ધ મેનોર સેન્ટર અને હોલૅન્ડમાં ઇન્ટરનેશનલ થિયૉસૉફિકલ સેન્ટરનાં પ્રમુખ હતાં. આ ઉપરાંત અનેક સંસ્થાઓમાં પ્રમુખપદ શોભાવ્યું હતું. તેઓ ઇસ્ટર્ન ઑર્ડર ઑફ ઇન્ટરનેશનલ કો-ફ્રીમેસનરીનાં સ્થાપક અને વડા હતાં. ‘નો અધર પાથ ટુ ગો’, ‘ધ વે ઑફ સેલ્ફ-નૉલેજ’ અને ‘ટ્રૂથ, બ્યૂટી ઍન્ડ ગુડનેસ’ તેમનાં મહત્ત્વનાં પુસ્તકો છે. તેઓ થિયૉસૉફિકલ સોસાયટીમાં જોડાયાં એ પહેલાં ભારતીય ફિલ્મોની અભિનેત્રી હતાં. તેમણે 1951માં જીન રેનોઇરની ‘ધ રિવર’ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી. ભારતની નાગાર્જુન  યુનિવર્સિટીએ 1984માં તેમને માનદ ડી.લિટ.ની પદવી એનાયત કરી હતી.