Categories
વાચન સમૃદ્ધિ

મારિયા બિસ્લાવા અન્ના સિમ્બોસકા

જ. 2 જુલાઈ, 1923 અ. 1 ફેબ્રુઆરી, 2012

મારિયા પોલિશ ભાષાના કવયિત્રી અનુવાદક અને 1996ના સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર વિજેતા હતાં. મારિયાના પિતા વિન્સેન્ટી ઉમરાવ બ્લાદિસ્વાને ત્યાં કારભારી હતા. ઉમરાવના અવસાન બાદ 1924માં તેઓ તોરુન આવ્યા અને મૃત્યુપર્યંત ત્યાં જ રહ્યાં. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવ્યા બાદ તેઓની ઓળખ આંતરરાષ્ટ્રીય થઈ ગઈ. તેમના સાહિત્યનું ઘણી યુરોપિયન ભાષાઓમાં ભાષાંતર થયું છે. આ સાથે અરેબિક, હિબ્રૂ, જાપાનીઝ, પર્શિયન અને ચાયનીઝ ભાષાઓમાં પણ ભાષાંતર પામ્યું છે. જ્યારે 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે તેમણે પોતાનો અભ્યાસ ભૂગર્ભ વર્ગોમાં ચાલુ રાખ્યો. 1943 સુધી તેમણે રેલમાર્ગના કર્મચારી તરીકે કામગીરી બજાવી. જેથી તેમને બળજબરીપૂર્વક જર્મની ધકેલી ન દેવામાં આવે. આ સમયમાં તેમણે અંગ્રેજી પાઠ્યપુસ્તક માટેનાં ચિત્રો દોરી એક કલાકારની કામગીરી બજાવી. યુનિવર્સિટીમાં સમાજવિદ્યાનો વિષય લેતાં પહેલાં તેમણે પોલિશ સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. માર્ચ, 1945માં તેમનું કાવ્ય સ્થાનિક દૈનિકમાં પ્રગટ થયું હતું. ત્યાર પછી તેમનાં કાવ્યો અનેક વર્તમાનપત્રોમાં છપાતાં રહ્યાં. 1948માં તેમણે અભ્યાસ છોડી દીધો અને આદમ વૉડેક સાથે લગ્ન કર્યાં. 1954માં તેમણે છૂટાછેડા લીધા, પરંતુ આદમની ઘણી સંભાળ રાખતાં હતાં. 1953માં તેઓ સાહિત્યનું વિવેચન કરતા સામયિકમાં જોડાયાં. 1968થી તેમની સાહિત્યની સફર શરૂ થઈ. તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં. 1954માં ક્રેકોવ શહેરનું સાહિત્ય માટેનું પારિતોષિક, 1963માં પોલિશ મિનિસ્ટ્રી ઑવ કલ્ચર ઇનામ, 1990માં કૉસસિએલ્સ્કી ઍવૉર્ડ, 1991 ગોએથે પ્રાઇઝ, 1996માં પોલિશ પેન ક્લબ પ્રાઇઝ, 1996માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર, 2005માં ગોલ્ડ મેડલ ફોર મેરિટ્સ ઑવ્ કલ્ચર-ગ્લોરિયા આર્ટસ અને 2011માં ઑર્ડર ઑવ્ ધ વ્હાઇટ ઇગલ મળ્યા. આ ઉપરાંત ‘વિસ્લાવા સિમ્બૉર્સ્કા ઍવૉર્ડ’ મળ્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

અબ્દુલ હમીદ

જ. 1 જુલાઈ, 1933 અ. 10 સપ્ટેમ્બર, 1965

1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થનાર કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદનો જન્મ ઉત્તરપ્રદેશના ધામુપુર ગામમાં થયો હતો. પિતા મોહમ્મદ ઉસ્માન અને માતા સકીનાબેગમ. ધોરણ આઠ પાસ કરી પિતાને દરજીકામમાં મદદ કરવાનું શરૂ કર્યું. તેઓ 27 ડિસેમ્બર, 1954ના રોજ ભારતીય સેનાની ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની 4થી બટાલિયનમાં ભરતી થયા. તેમણે 1962માં ચીની પીપલ્સ લિબરેશન આર્મી સામે નામકા ચૂના યુદ્ધમાં ભાગ લીધો હતો. 1965માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં અબ્દુલ હમીદ અને તેમની 4થી ગ્રેનેડિયર્સ બટાલિયનના જવાનો સીમા પાસે ફરજ પર હતા. 8 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે પાકિસ્તાની ટૅન્કોએ હુમલો કર્યો. હમીદે પહેલી ટૅન્કનો નાશ કર્યો. બીજી બે ટૅન્કના સૈનિકો ટૅન્ક છોડીને ભાગી ગયા. એ ટૅન્કોનો નાશ કર્યો. વળી બીજી બે ટૅન્કના સૈનિકો ટૅન્કો મૂકીને નાસી ગયા. 9 સપ્ટેમ્બરે ફરીથી ટૅન્કો આવી પરંતુ ઍન્ટિ ટૅન્ક સુરંગોએ ટૅન્કોનો નાશ કર્યો. બાકીની ટૅન્કો પાછી ફરી. 10 સપ્ટેમ્બરે પાકિસ્તાની ટૅન્કો સમૂહમાં આવી. હમીદે પાંચમી ટૅન્ક પણ ઉડાવી દીધી. તેમણે સ્થાન બદલીને છઠ્ઠી ટૅન્કનો ખાતમો કર્યો. સાતમી ટૅન્ક નજીક હતી. સાતમી ટૅન્કે તોપગોળો છોડ્યો અને અબ્દુલ હમીદ શહીદ થયા. પોતે શહીદ થયા એ પહેલાં એમણે ટૅન્કનો નાશ કર્યો. હમીદે ત્રણ દિવસમાં સાત પાકિસ્તાની ટૅન્કોનો નાશ કરવાનું અજોડ પરાક્રમ કર્યું હતું. અબ્દુલ હમીદના સર્વોચ્ચ બલિદાન માટે તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે 2000માં તેમની સ્મૃતિમાં ત્રણ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડી હતી. તેમની સ્મૃતિમાં અસલ ઉત્તર ગામમાં  રમતગમત અને સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સારા અબૂબકર

જ. 30 જૂન, 1936 અ. 10 જાન્યુઆરી, 2023

ભારતીય કન્નડ લેખિકા અને અનુવાદક સારા અબૂબકરનો જન્મ કેરલમના કાસરગોડમાં પુદિયાપુરી અહમદ અને ઝૈનબી અહમદના ઘરે થયો હતો. તેમને ચાર મોટા ભાઈઓ હતા. સારા મલયાળમભાષી હોવા છતાં કન્નડ ભાષા પર સારો કાબૂ હતો. કન્નડ વિદ્યાલયમાં તેમણે શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેમને તો હજી આગળ ભણવાની ઇચ્છા હતી, પણ તે સમયના સમાજના માપદંડને કારણે તે શક્ય ન હતું. સામુદાયિક બંધનોને લીધે ઉચ્ચશિક્ષણ મહિલાઓ માટે પ્રતિબંધિત હતું. તેઓ ઈ. સ. 1963માં એક પુસ્તકાલયના સભ્ય થઈ શક્યાં હતાં. તેઓએ કન્નડ ભાષામાં ઉચ્ચકોટિના સાહિત્યનું સર્જન કર્યું છે. તે તેમની સર્જનાત્મક શક્તિ, કુશળતા અને કાર્ય કરવાની લગનીને લીધે શક્ય બન્યું.  એમના લેખનમાં મુખ્યત્વે નવલકથા અને લઘુકથાઓ સામેલ થાય છે. તેમણે તેમના સમાજની ગરીબ સ્ત્રીઓએ વેઠેલાં દુઃખ અને યાતના સમાજ આગળ રજૂ કરી શકાય તે માટે સાહિત્યનું સર્જન કર્યું. પિતૃપ્રધાન વ્યવસ્થાથી મુસ્લિમ સ્ત્રીઓ પર થતા અન્યાય પર તેઓએ સાહિત્યસર્જન કરી ધ્યાન દોર્યું. તેઓ સાદી ભાષામાં સામાજિક, ધાર્મિક અને કોમી હિંસા જેવા વિષયો પર લખતાં જેથી સમાજમાં થતા અન્યાય પર ધ્યાન દોરી શકાય. તેઓ તેમની નવલકથા ‘ચંદ્રગિરિયા થિરાદલ્લી’થી પ્રખ્યાત થયાં હતાં. આ નવલકથાનો અંગ્રેજી અને મરાઠીમાં પણ અનુવાદ થયો છે. આ નવલકથાના આધારે ફિલ્મ ‘બ્યારી’ બનાવવામાં આવી હતી. તેમની નવલકથા ‘વજ્રગાલુ’ પરથી ‘સારાવજ’ ફિલ્મ બનાવવામાં આવી છે. 1914થી તેઓએ તેમના ચંદ્રગિરિ પ્રકાશન કંપની દ્વારા પુસ્તકો પ્રગટ કર્યાં છે. તેમના સાહિત્યસર્જન માટે તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, અનુપમા નિરંજના ઍવૉર્ડ, કન્નડ રાજ્યોત્સવ ઍવૉર્ડ, રથનમ્મા હેગડે મહિલા સાહિત્ય ઍવૉર્ડ, દાના ચિંતામણિ અત્તિમબ્બે ઍવૉર્ડ, હમ્પી યુનિવર્સિટી તરફથી નાદોજા ઍવૉર્ડ, માનદ ડૉક્ટરેટ પદવી – મૅંગ્લોર યુનિવર્સિટી તરફથી અને કન્નડ ભાષામાં સાહિત્યસર્જન કરવા માટે નૃપાતુંગ ઍવૉર્ડ વગેરે મળ્યા હતા.