Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ રોક્સબર્ગ

જ. 29 જૂન, 1751 અ. 18 ફેબ્રુઆરી, 1815

સ્કોટિશ તબીબ અને વનસ્પતિશાસ્ત્રી વિલિયમ રોક્સબર્ગનો જન્મ ક્રેગી નજીક આયરશાયર(Ayershire)માં થયો હતો. ભારતમાં વનસ્પતિશાસ્ત્રક્ષેત્રે આવેલ ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેમને ભારતીય વનસ્પતિવિજ્ઞાનના જનક (Father of Indian Botany) માનવામાં આવે છે. તેમણે પ્રારંભિક શિક્ષણ ‘અંડરવુડ પૅરિસ’ શાળામાં લીધું. 1771માં મૅટ્રિક પાસ કર્યા બાદ તેમણે ડૉ. એલેકઝાન્ડર મોનરોના હાથ નીચે તબીબી શસ્ત્રક્રિયાનો અભ્યાસ કર્યો અને જોન હોપના માર્ગદર્શન હેઠળ વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1772માં તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજમાં સર્જન તરીકે ભારત આવ્યા. અહીં મદ્રાસ (ચેન્નાઈ) અને બીજાં કેટલાંક બંદરો પર પોતાની સેવાઓ આપી. 28 મે, 1776ના રોજ તેઓ ચેન્નાઈ મેડિકલ સર્વિસમાં સહાયક સર્જન તરીકે અને 1780માં મુખ્ય સર્જન તરીકે નિયુક્ત થયા. તેમને પ્રથમ ડૉક્ટરેટ(M.D.)ની ઉપાધિ એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી મળી જ્યારે બીજી ડૉક્ટરેટની પદવી એબરડીનની મેરિશ્ચલ(Marischal) કૉલેજમાંથી પ્રાપ્ત થઈ. ભારતમાં રહી તેમણે વનસ્પતિ, છોડ, પર્ણ તથા જડીબુટ્ટીઓનો ગહન અભ્યાસ કર્યો. 1793માં તેઓને કૉલકાતાના શિવપુરમાં આવેલા રૉયલ બૉટનિકલ ગાર્ડનના અધિક્ષક નિયુક્ત કરાયા. તેમણે વનસ્પતિશાસ્ત્રમાં પોતાનાં સંશોધનો માટે ભારતીય કલાકારોને અસંખ્ય વનસ્પતિઓનું ચિત્રીકરણ કરવાનું કામ સોંપ્યું. તેમણે વનસ્પતિની અનેક પ્રજાતિઓનું વર્ણન Icones Roxburghianeeમાં પ્રકાશિત કર્યું. તેમણે ભારતની હજારો વનસ્પતિઓની પ્રમાણભૂત માહિતી આપતો દસ્તાવેજ રજૂ કરી આધુનિક વનસ્પતિશાસ્ત્રનો પાયો નાંખ્યો. તેમણે ‘ફ્લોરા ઇન્ડિકા’ નામનું પુસ્તક લખ્યું જે ભારતીય વનસ્પતિ અને જડીબુટ્ટીઓના જ્ઞાન માટેનો સૌપ્રથમ આધારભૂત દસ્તાવેજ ગણાય. 1791માં તેમને રૉયલ સોસાયટી ઑફ એડિનબરોના ફેલો બનાવવામાં આવ્યા. 1805માં સોસાયટી ફોર ધ પ્રમોશન ઑફ આર્ટસનો સુવર્ણચંદ્રક, 1803માં ભારતમાં વૃક્ષોના વિકાસ પરના સંશોધનો માટેનો સુવર્ણચંદ્રક અને 1814માં નોફોર્ડના ડ્યુક દ્વારા સુવર્ણચંદ્રક અર્પણ કરાયા. તેમને અનેક મરણોત્તર સન્માનો પણ પ્રાપ્ત થયાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

રૉબર્ટ લેડલી

જ. 28 જૂન, 1926 અ. 24 જુલાઈ, 2012

પ્રસિદ્ધ અમેરિકી ભૌતિકવિજ્ઞાની અને દંતચિકિત્સક રૉબર્ટ લેડલીનો જન્મ ન્યૂયૉર્કમાં થયો હતો. ચિકિત્સાક્ષેત્રે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા માટે તથા દુનિયાનું સૌપ્રથમ માનવશરીર સી.ટી. (Computer Tomography) સ્કૅનરની શોધ માટે તેઓ ખ્યાતનામ છે. શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેઓ ભૌતિકશાસ્ત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા હતા, પરંતુ માતા-પિતા માનતાં કે એથી તેમને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત નહીં થાય. તેમણે તેમને દંતચિકિત્સક બનવા માટે આગ્રહ રાખ્યો. આથી 1948માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ડેન્ટલ સર્જરીની પદવી પ્રાપ્ત કરી અને 1950માં કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરીને પોતાની ઇચ્છાપૂર્તિ પણ કરી હતી. કોરિયન વૉર દરમિયાન થોડો સમય આર્મીમાં ડેન્ટલ સર્જન તરીકે કાર્ય કર્યા બાદ 1968માં જ્યોર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર બન્યા. 1970માં જ્યોર્જટાઉન યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં ફિઝિયૉલૉજી, બાયૉફિઝિક્સ અને રેડિયોલૉજીના પ્રોફેસર તરીકે નિયુક્ત થયા હતા. તેમણે અનેક સંશોધનો કર્યાં હતાં. તેમનું સૌથી મોટું યોગદાન ACTA (Automatic computerized transverse axial)  એક્સ-રે સ્કેનરની શોધ હતી. લેડલી સમગ્ર માનવશરીરનાં અંગો સ્કેન કરવાનું મશીન બનાવી, ચિકિત્સા અને રેડિયોલૉજી ક્ષેત્રે ક્રાંતિ લાવ્યા. ચિકિત્સાવિજ્ઞાનમાં કમ્પ્યૂટરનો ઉપયોગ કરનાર તેઓ શરૂઆતના અગ્રણીઓમાંના એક હતા. તેમણે ક્રોમોઝોમ વિશ્લેષણ માટે સ્વચાલિત ઉપાયો વિકસિત કર્યા. 1960માં તેમણે નૅશનલ બાયૉમેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન(NBRF)ની સ્થાપના કરી. લેડલીએ તેમની ટીમ સાથે પ્રોટીન અને ડી.એન.એ. અનુક્રમોને વ્યવસ્થિત કરવા માટે વિશાળ પાયે ડેટાબેઝ પ્રોટીન ઇન્ફર્મેશન રિસોર્સ(PIR)ના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. 1990માં તેમને ‘નૅશનલ ઇન્વેન્ટર્સ ઑફ ફેમ’માં સમાવિષ્ટ કરાયા. 1997માં તેમને ‘નૅશનલ મેડલ ઑફ ટૅક્નૉલૉજી ઍન્ડ ઇનોવેશન’થી સન્માનિત કરાયા હતા. તેમના દ્વારા બનાવવામાં આવેલાં મશીનોની અનુકૃતિ (prototype) આજે પણ સ્મિથ્સોનિયમ ઇન્સ્ટિટ્યૂશનમાં જોવા મળે છે.

Categories
વાચન સમૃદ્ધિ

ધીરુભાઈ ઠાકર

જ. 27 જૂન, 1918 અ. 24 જાન્યુઆરી, 2014

ગુજરાતી ભાષાના સંશોધક, સંપાદક, નાટ્યવિદ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રણેતા અને ‘ગુજરાતી વિશ્વકોશ’ના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરનો જન્મ કોડીનારમાં થયો હતો. એમનું ઉપનામ સવ્યસાચી હતું. ધીરુભાઈ ઠાકર વિદ્વત્તાની સાથે સ્વચ્છ પારદર્શક વ્યક્તિત્વને કારણે સાહિત્યજગતમાં ઋષિતુલ્ય સ્થાન ધરાવતા હતા. પિતા પ્રેમશંકર ઠાકર તલાટી હતા. માતા ગોમતીબહેન ધાર્મિક વૃત્તિનાં સાલસ ગૃહિણી હતાં. ઘરમાં ગિરિધરકૃત રામાયણનું નિત્ય વાચન તથા પાઠ થતા હતા. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ચાણસ્મામાં થયું. મુંબઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક તથા અનુસ્નાતકનો અભ્યાસ કરીને ત્યાં જ અધ્યાપનકાર્ય શરૂ કર્યું.  અમદાવાદ ગુજરાત કૉલેજ તથા મોડાસા કૉલેજમાં અધ્યાપન અને આચાર્યપદે સેવા આપીને વિદ્યાર્થીઓને સાચા અર્થમાં સંપૂર્ણ કેળવણી આપી. એમની દૃષ્ટિ વિદ્યાર્થીને નહિ પરંતુ આખા સમાજને કેળવવાની હતી. ત્યાંથી નિવૃત્ત થયા બાદ 1985માં શિષ્ય અને માનસપુત્ર કુમારપાળ દેસાઈના સહયોગથી ગુજરાત વિશ્વકોશની સ્થાપના કરી.  ગુજરાતીમાં વિશ્વકોશ બનાવવાનું ભગીરથ કાર્ય આરંભ્યું. વિશ્વકોશના મુખ્ય સંપાદક તરીકે જીવનપર્યંત કાર્યરત રહ્યા. સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ 2000-2001માં સેવા આપી હતી. તેમને અનેક ઍવૉર્ડ એનાયત થયા છે જેમાં 1994માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1999માં ગુજરાત ગૌરવ પુરસ્કાર, 2002માં વિદ્યાવિકાસ પુરસ્કાર, 2012માં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ઍવૉર્ડ , વીરનર્મદ પુરસ્કાર તથા ભારત સરકાર તરફથી 2014માં પદ્મભૂષણ (મરણોત્તર) પ્રાપ્ત થયા હતા. એમના સેવાકાર્ય બદલ સમગ્ર ગુજરાત એમનું ઋણી છે.