Categories
વાચન સમૃદ્ધિ

નારાયણ વામન ટિળક

જ. ૬ ડિસેમ્બર, ૧૮૬૧ અ. ૯ મે, ૧૯૧૯

બ્રિટિશ રાજના સમયમાં તેઓએ ચિતવન બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોવા છતાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો. તેઓ પ્રસિદ્ધ મરાઠી કવિ હતા.

તેઓ લોકમાન્ય ટિકળના નજીકના સગા હતા. નારાયણ ટિળકે ભારતમાં જ અભ્યાસ કરેલો. માતાનો ધર્મ અને કવિતાનો પ્રેમ તેઓને વારસામાં મળેલા. ૧૧ વર્ષની વયે તેઓએ માતા ગુમાવી હતી, ત્યારથી તેમના જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું. તેમના પિતાનો સ્વભાવ ખૂબ કઠોર હતો. તેઓએ વાંચન કરી, ઊંડું વિચારીને ભારતની પ્રજા વિશે બ્રિટિશ રાજમાં થતી મુશ્કેલીઓ માટે વિમર્શ કર્યો હતો. તેમની પત્નીનું નામ લક્ષ્મી હતું.

તેઓના મનમાં દેશસેવા અને ખાસ કરીને સ્ત્રીઓનો શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રમાં વિકાસ થાય તેવી ભાવના હતી. તે માટે તેઓ પદયાત્રા કરવા માટે નીકળી પડ્યા. તે સમયે મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ શિક્ષણથી વંચિત રહેતી હતી, ભારતીય સમાજમાં બાળલગ્ન, બાળવિધવા અને નાતજાતનાં બંધનનો ભોગ સ્ત્રીઓ બનતી. આ સમસ્યાનો ઉકેલ શોધવા તેઓ ધર્મ તરફ વળ્યા. બૌદ્ધ, જૈન તથા ઇસ્લામ ધર્મમાં તેનું સમાધાન ન મળતાં છેવટે ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા. ૧૮૯૫માં તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. લાંબા ગાળે તેમની પત્નીએ પણ એ ધર્મ સ્વીકાર્યો. ટિળકે ઘણી કવિતા  અને પ્રાર્થનાની રચના કરી. ધીમે ધીમે ટિળક ખ્રિસ્તી ધર્મમાં ઊંડા ઊતરતા ગયા. પાછલાં વર્ષોમાં તેઓએ ઈસુ ખ્રિસ્તનું જીવન મરાઠી ભાષામાં લખવાનો આરંભ કર્યો પણ તે પૂરું કરે તે પહેલાં એમનું અવસાન થયું.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

શેખ  અબ્દુલ્લા

જ. ૫ ડિસેમ્બર, ૧૯૦૫ અ. ૮ સપ્ટેમ્બર, ૧૯૮૨

કાશ્મીરના પ્રસિદ્ધ નેતા શેખ અબ્દુલ્લાનો જન્મ શ્રીનગર પાસે સૌરા ગામમાં થયો હતો. ‘શેરે કાશ્મીર’ તરીકેની ખ્યાતિ ધરાવતા શેખ અબ્દુલ્લાએ તેમની આત્મકથા ‘આતિશે ચિનાર’માં જણાવ્યા મુજબ તેમના પરદાદા હિંદુ બ્રાહ્મણ હતા અને એક સૂફી સંતથી પ્રભાવિત થઈ તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. તેમનાં ધર્મચુસ્ત માતાના વિચારોની અસર બાળપણથી જ તેમનામાં પડેલી. શ્રીનગરમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ કૉલેજશિક્ષણ જમ્મુ, લાહોર અને અલીગઢમાં લીધું. એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ શિક્ષણનો વ્યવસાય સ્વીકાર્યો, પરંતુ તેમની રાજકીય પ્રવૃત્તિઓને કારણે તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા. રાજકારણમાં પ્રવેશ્યા બાદ ગાંધીજી, જવાહરલાલ, મૌલાના આઝાદ, અલીભાઈઓ વગેરેના વિચારોની અસર તેમના પર પડી. તેઓ પ્રખ્યાત ઉર્દૂ શાયર ઇકબાલનાં લખાણોથી પણ પ્રભાવિત હતા. સ્વતંત્રતા માટેના ભારતના સંઘર્ષમાં શેખ અબ્દુલ્લાનો મહત્ત્વનો ફાળો હતો. સરકારી વહીવટી તંત્રમાં મુસ્લિમોને વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે ૧૯૩૦માં ‘યંગમૅન્સ મુસ્લિમ ઍસોસિયેશન’ની સ્થાપના કરી હતી, જે સમય જતાં ‘નૅશનલ કૉન્ફરન્સ’ તરીકે જાણીતી થઈ. તેઓ લાંબા સમય માટે આ સંસ્થાના પ્રમુખ હતા. ૧૯૪૮માં તેઓ કાશ્મીરના વડાપ્રધાન થયા. ૧૯૪૯માં બંધારણ સભાના સભ્ય બન્યા. ત્યારબાદ તેમણે કાશ્મીરને ભારતથી સ્વતંત્ર કરવા માટેના પ્રયાસો કરતાં તેમને વડાપ્રધાનપદેથી બરતરફ કરવામાં આવ્યા. ૧૯૫૩માં તેમની ધરપકડ કરવામાં આવી. ત્યાર પછી તેમની અવારનવાર ધરપકડ થઈ અને છોડવામાં આવ્યા. આશરે ૧૧ વર્ષ તેમણે જેલવાસ (૧૯૫૩-૧૯૬૪) ભોગવ્યો. ૧૯૭૫માં ભારત તરફી નીતિ અપનાવતાં ફરી કાશ્મીરના મુખ્યમંત્રી બનવાની તક સાંપડી. તેમના અવસાન બાદ તેમના પુત્ર ફારુક અબ્દુલ્લા કેટલાક સમય માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા અને હાલમાં તેમના પૌત્ર ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે સક્રિય છે. તેમની આત્મકથા ‘આતિશે ચિનાર’ માટે તેમને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર(ઉર્દૂ)થી સન્માનિત (મરણોત્તર) કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

મોતીલાલ

જ. ૪ ડિસેમ્બર, ૧૯૧૦ અ. ૧૭ જૂન, ૧૯૬૫

૪૦ના દાયકાના સુપ્રસિદ્ધ અભિનેતા મોતીલાલ રાજવંશનો જન્મ સિમલામાં એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા શાળાનિરીક્ષક હતા. પરિવાર મૂળ દિલ્હીનો હતો એટલે દિલ્હીમાં બી.એ. સુધી અભ્યાસ કર્યો અને પછી તેઓ નૌકાદળમાં જોડાવા માટે મૌખિક પરીક્ષા આપવા મુંબઈ આવ્યા. નાદુરસ્ત તબિયતને કારણે પરીક્ષા ચૂકી ગયા. દરમિયાન એક મિત્ર સાથે એક ચિત્રનું શૂટિંગ જોવા ગયા, જ્યાં દિગ્દર્શક પી. કે. ઘોષે તેમને જોયા. હીર પારખી તેમણે મોતીલાલને અભિનેતા બનવા નિમંત્રણ આપ્યું અને સિનેજગતને એક ઉત્તમ અભિનેતાની ભેટ મળી. તેમનું પ્રથમ ચલચિત્ર ‘શહર કા જાદુ’ એ સમયનાં મશહૂર અભિનેત્રી સવિતાદેવી સાથે આવ્યું હતું. હિંદી ચલચિત્રોમાં અભિનયને નાટકીયતામાંથી અને રંગભૂમિની અસરમાંથી બહાર લાવવાનું શ્રેય તેમને ફાળે જાય છે. તેમનો અભિનય સ્વાભાવિક રહેતો. મોતીલાલે ભજવેલાં ઘણાં પાત્રો તેમના સહજ અભિનયને કારણે જ યાદગાર બની રહ્યાં હતાં. મોતીલાલે તેમના બીજા જ ચિત્ર ‘સિલ્વર કિંગ’થી સફળતા પ્રાપ્ત કરી હતી. નાદિરા, શોભના સમર્થ, સવિતાદેવી જેવી તે સમયની સફળ અભિનેત્રીઓ જોડે તેમની જોડી જામી હતી. તે સમયના વિવિધ સ્ટુડિયો સાથે પગારદાર તરીકે રહેવા કરતાં સ્વતંત્ર રહીને કામ કરવાનું તેમણે પસંદ કર્યું હતું.

મોતીલાલને સંગીતનો શોખ હતો. તેઓ જાણીતા ગાયક મુકેશ જે તેમના પિતરાઈ પણ થાય, તેમને ચલચિત્રોમાં લાવ્યા હતા. તેમણે ‘છોટી છોટી બાતેં’ ચિત્રનું નિર્માણ અને દિગ્દર્શન કરવા ઉપરાંત તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમનાં નોંધપાત્ર ચલચિત્રોમાં : ‘શહર કા જાદુ’ (૧૯૩૪), ડૉ. મધુરિકા (૧૯૩૫), ‘દો દીવાને’ (૧૯૩૬), ‘કુળવધૂ’ (૧૯૩૭), ‘થ્રી હન્ડ્રેડ ડેઝ ઍન્ડ આફટર’, ‘હમ તુમ ઔર વોહ’ (૧૯૩૮), ‘દિવાલી’, ‘હોલી’ (૧૯૪૦), ‘સાવન’ (૧૯૪૫), ‘એક થી લડકી’ (૧૯૪૯), ‘મિ. સંપત’ (૧૯૫૨), ‘દેવદાસ’ (૧૯૫૫), ‘જાગતે રહો’ (૧૯૫૬), ‘અનાડી’, ‘પૈગામ’ (૧૯૫૯), ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ (૧૯૬૩), ‘લીડર’ (૧૯૬૪), ‘છોટી છોટી બાતે’, ‘વક્ત’ (૧૯૬૫), ‘યહ ઝિંદગી કિતની હસીન હૈ’ (૧૯૬૬)નો સમાવેશ થાય છે.

તેમને ફિલ્મ દેવદાસમાં ‘ચુન્ની બાબુ’ની ભૂમિકા બદલ અને ફિલ્મ ‘પરખ’માં સહાયક ભૂમિકા માટે ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો.

અમલા પરીખ