Categories
વાચન સમૃદ્ધિ

સી. પી. રામાસ્વામી ઐયર

જ. 12 નવેમ્બર, 1879 અ. 26 સપ્ટેમ્બર, 1966

વિદ્વાન કાયદાશાસ્ત્રી અને ત્રાવણકોરના દીવાન ચેતપુટ પટ્ટાભિરામન રામાસ્વામી ઐયરનો જન્મ તમિળનાડુના વાંડીવાશમાં થયો હતો. શાળેય શિક્ષણ વેસ્લી કૉલેજ હાઈસ્કૂલમાં લીધું. પછી પ્રેસિડેન્સી કૉલેજ, ચેન્નાઈમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન અંગ્રેજી, સંસ્કૃત અને ગણિતમાં ઇનામો મેળવ્યાં. નેબ્યુલર થિયરી અંગે પેપર લખીને એલ્ફિન્સ્ટન પુરસ્કાર મેળવ્યો. મદ્રાસ લૉ કૉલેજમાંથી ગોલ્ડમેડલ મેળવી ડિગ્રી મેળવી અને ચેન્નાઈમાં વકીલાત શરૂ કરી. 1920માં મદ્રાસ પ્રેસિડેન્સીના ઍડ્વોકેટ જનરલ બન્યા. તેઓ કેન્દ્રીય વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. 1923માં ચેન્નાઈના ગવર્નરની અને 1931માં ભારતના વાઇસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના કાયદાસભ્ય તરીકે નિમાયા. તેઓ લીગ ઑફ નૅશન્સમાં ભારતીય પ્રતિનિધિ હતા. 1936થી 1947 સુધી ત્રાવણકોરના દીવાનપદે રહ્યા. તેમણે ત્રીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સચિવ હતા અને એની બેસન્ટને જેલ થતાં તેમના અખબાર ‘ન્યૂ ઇન્ડિયા’નું સંપાદન કર્યું હતું. તેમણે લોકોપયોગી અનેક કાર્યો કર્યાં. પાયકાર ડૅમ અને  મેટ્ટુર ડૅમના બાંધકામ તેમજ કોચીન, વિશાખાપટ્ટનમ્ અને તુતીકોરીન બંદરોનો વિકાસ કર્યો. તેમણે કાશ્મીર રાજ્ય માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. તેમણે 1937માં મહારાજાને ચાન્સેલર રાખીને ત્રાવણકોર યુનિવર્સિટીની સ્થાપના કરી. તેમના દીવાનપણા હેઠળ ત્રાવણકોર ભારતમાં માર્ગ પરિવહનનું રાષ્ટ્રીયકરણ કરનાર પ્રથમ રાજ્ય બન્યું. તેમણે પહેલી વાર મધ્યાહન ભોજન યોજના શરૂ કરી. 1947માં તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રાવણકોરના દીવાનપદેથી રાજીનામું આપી લંડન ગયા. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટી અને અન્નામલાઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. એકસાથે બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનનાર પ્રથમ ભારતીય હતા. 1926માં તેમને નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ ઇન્ડિયન એમ્પાયર (KCJE) અને 1941માં નાઇટ કમાન્ડર ઑફ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ઇન્ડિયા(KCSI)નો ખિતાબ આપવામાં આવ્યો હતો. 1939માં ત્રાવણકોર યુનિવર્સિટી દ્વારા માનદ એલ.એલ.ડી.ની પદવી આપવામાં આવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

આઈ. જી. પટેલ

જ. 11 નવેમ્બર, 1924 અ. 17 જુલાઈ, 2005

આઈ. જી. પટેલના નામે જાણીતા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર ઇન્દ્રપ્રસાદનો જન્મ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુણાવ ગામમાં થયો હતો. પિતા ગોરધનભાઈ અને માતા કાશીબહેન. તેમણે મુંબઈ યુનિવર્સિટીની વડોદરા કૉલેજમાંથી બી.એ. (ઑનર્સ) અને પછી એમ.એ.ની પદવી મેળવી. કેમ્બ્રિજ યુનિવર્સિટીની કિંગ્સ કૉલેજમાંથી પીએચ.ડી. થયા. 1949માં વડોદરા કૉલેજમાં આચાર્ય તથા અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા. 1950માં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના સંશોધન વિભાગમાં જોડાયા. પાંચ વર્ષ પછી 1954માં કેન્દ્રીય નાણામંત્રાલયના આર્થિક સલાહકાર તરીકે જોડાયા અને 18 વર્ષ ભારત સરકારમાં કોઈ ને કોઈ ઉચ્ચ પદ પર રહીને કાર્ય કર્યું. 1972માં યુનોના ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ઉપનિયામક બન્યા. 1977થી 1982 સુધી ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે કાર્ય કર્યું પછી 1982થી 1984 સુધી આઈ.આઈ.એમ., અમદાવાદના ડિરેક્ટર બન્યા. 1984થી 1990 સુધી લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સના ડિરેક્ટર બન્યા. આ પદ સંભાળનાર તેઓ પહેલા ભારતીય હતા. તેઓ આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામના ભારત ખાતેના ચૅરમૅન હતા. ઑગસ્ટ, 1996થી આઈ.આઈ.એમ. અમદાવાદના ચૅરમૅન બન્યા હતા. તેઓ ગુજરાત ઇકૉનૉમિક્સ ઍસોસિયેશનના તથા ચારુતર વિદ્યામંડળના પ્રમુખ હતા. 1991માં તત્કાલીન વડાપ્રધાન પી. વી. નરસિંહરાવે તેમને ભારતના નાણામંત્રીની જવાબદારી સ્વીકારવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે સ્વીકારી નહોતી. તેમણે અર્થશાસ્ત્ર સંબંધિત અનેક પુસ્તકો લખ્યાં હતાં, જેમાં ‘એસે ઇન ઇકૉનૉમિક્સ ઍન્ડ ઇકૉનૉમિક ગ્રોથ’, ‘ઑન ધ ઇકૉનૉનિક્સ ઑફ ડેવલપમેન્ટ’, ‘પોલિસીસ ફોર આફ્રિકન ડેવલપમેન્ટ એન એન્કાઉન્ટર વિથ હાયર એજ્યુકેશન : માય યર્સ એટ લંડન ઑફ ઇકૉનૉમિક્સ’ મુખ્ય છે. 1991માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દત્તોપંત ઠેંગડી

જ. 10 નવેમ્બર, 1920 અ. 14 ઑક્ટોબર, 2004

લેખક, કુશળ સંગઠક, વક્તા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક દત્તોપંત ઠેંગડીનો જન્મ મહારાષ્ટ્રના આર્વીમાં થયો હતો. પિતા બાપૂરાવ વકીલ હતા. માતા જાનકીદેવી ભગવાન દત્તાત્રેયનાં ભક્ત હતાં. દત્તોપંતજીએ શાળેય શિક્ષણ આર્વી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં મેળવ્યું. 15 વર્ષની ઉંમરે તેમણે ‘વાનરસેના’ અને આર્વીની મ્યુનિસિપલ હાઈસ્કૂલના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે કાર્ય કર્યું. 1936માં મોરિસ કૉલેજમાં દાખલ થયા. તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન સાથે જોડાયા. અનુસ્નાતક થયા પછી નાગપુરની લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા. તેઓ 22 માર્ચ, 1942ના રોજ પ્રચારક બન્યા. કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિસ્તાર કરવા માટે કાલિકટ ગયા. 1945માં કૉલકાતામાં પ્રચારક તરીકે ગયા. 1949માં બંગાળ-અસમ પ્રાંતપ્રચારક બન્યા. 1950માં ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ(INTUC)ના સંગઠનમંત્રી બન્યા. તેઓ મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં જનસંઘના સંગઠનમંત્રી હતા. તેમણે ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ, સ્વદેશી જાગરણમંચ, સામાજિક સમરસતામંચ, સર્વ પંથ સમાદર મંચ અને પર્યાવરણ મંચની સ્થાપના કરી. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય અધિવક્તા પરિષદ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સહસ્થાપક હતા. તેઓ 1964થી 1976 સુધી રાજ્યસભાના  સભ્ય હતા. 1969માં સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે હંગેરી અને સોવિયેત રશિયાની મુલાકાત લીધી. તેઓ ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન પરિષદમાં પ્રતિનિધિ તરીકે હંગેરી ગયા અને 1977માં જિનીવા ખાતે બીજી આંતરરાષ્ટ્રીય રંગભેદ વિરોધી પરિષદમાં હાજરી આપી. તેમણે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો.

તેઓ હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં લેખન કરતા હતા. તેમણે 100 કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. તેમને પદ્મભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તે સ્વીકારવાનો નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો.