Categories
વાચન સમૃદ્ધિ

મેલ્વિલ ડીમેલો

જ. ૨૮ એપ્રિલ, ૧૯૧૩ અ. ૫ જૂન, ૧૯૮૯

સ્વતંત્ર ભારતમાં વિવિધ ઘટનાઓ પરના તેમના ઉચ્ચ ગુણવત્તાવાળા અહેવાલો અને ભાષ્યો માટે જેમને યાદ કરવામાં આવે છે તે મેલ્વિલ ડી’મેલો ઑલ ઇન્ડિયા રેડિયો સાથે જોડાયેલા ભારતીય રેડિયો પ્રસારણકર્તા હતા. ડી’મેલોનું શિક્ષણ શિમલાની બિશપ કોટન સ્કૂલ અને મસૂરીની સેન્ટ જ્યોર્જ કૉલેજમાં થયું હતું. તેમણે પંજાબ રેજિમેન્ટમાં લેફ્ટનન્ટ તરીકે પણ સેવા આપી હતી. મેલ્વિલ ડી’મેલોએ ૧૯૫૦થી ૧૯૭૧ સુધી ઑલ ઇન્ડિયા રેડિયો સાથે કામ કર્યું હતું અને તેઓ ‘સ્ટાફ આર્ટિસ્ટ’ કૅટેગરીમાં આવતા હતા. તેમની નિવૃત્તિ પછી પણ તેમને બીજાં પાંચ વર્ષ માટે નિર્માતા (એમેરિટ્સ) તરીકે સેવારત રાખવામાં આવ્યા હતા. ૧૯૪૮માં ગાંધીનિર્વાણદિને ડી’મેલો બિરલા હાઉસથી રાજઘાટ ખાતે સ્મશાનસ્થળ સુધી મહાત્મા ગાંધીજીના પાર્થિવ દેહને લઈ જતી ટીમ સાથે ગયા હતા અને ઑલ ઇન્ડિયા રેડિયોની વાનમાંથી સમગ્ર ઘટનાની સાત કલાક સુધી સૌને ઝાંખી કરાવી હતી. જેને ભારતના રેડિયો પ્રસારણમાંનાં શ્રેષ્ઠ ઉદાહરણોમાંના એક તરીકે યાદ કરવામાં આવે છે. ૧૯૫૨માં તેમને રાણી એલિઝાબેથના રાજ્યાભિષેક શોભાયાત્રાની કૉમેન્ટરી આપવા માટે બ્રિટિશ સરકારે પસંદ કર્યા હતા. તેમણે વર્ષો સુધી ભારતના પ્રજાસત્તાકદિનની પરેડમાં કૉમેન્ટેટર તરીકે સેવા આપી હતી. ભારત-પાકિસ્તાન હૉકી મૅચો પરની તેમની કૉમેન્ટરી આજે પણ યાદ કરવામાં આવે છે. બાંગ્લાદેશ યુદ્ધ અને ત્યારબાદ ભારતીય દળો દ્વારા તેની મુક્તિ પરના તેમના અહેવાલની હજારો રેડિયોશ્રોતાઓ આતુરતાથી રાહ જોતા જોવા મળતા હતા. મેલ્વિલ ડી’મેલોએ રમતગમત પર અનેક પુસ્તકો લખ્યાં છે જેમાં ‘ધ સ્ટોરી ઑફ ધ ઑલિમ્પિક્સ’ વિશેષ ઉલ્લેખનીય છે. અન્ય પુસ્તકોમાં ‘રિચિંગ ફોર એક્સેલન્સ’ અને ‘ધ ગ્લૉરી ઍન્ડ ડેકે ઑફ ઇન્ડિયન સ્પૉર્ટ્સ’ ખાસ નોંધપાત્ર છે. મેલ્વિલ ડી’મેલોને ચૅકોસ્લોવાક રેડિયો ડૉક્યુમેન્ટરી પુરસ્કાર (૧૯૬૦), કૉમેન્ટરી પુરસ્કાર (૧૯૭૭), એશિયાડ જ્યોતિ ઍવૉર્ડ (૧૯૮૪) અને ૧૯૬૩માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

મણિભાઈ ભીમભાઈ દેસાઈ

જ. ૨૭ એપ્રિલ, ૧૯૨૦ અ. ૧૪ નવેમ્બર, ૧૯૯૩

ગાંધીવાદી રચનાત્મક કાર્યકર, સ્વાતંત્ર્યસેનાની મણિભાઈનો જન્મ સૂરત જિલ્લાના કોસમાડા ગામે થયો હતો. મૅટ્રિક થયા બાદ ૧૯૩૮માં સૂરતમાં વિજ્ઞાનની કૉલેજમાં જોડાયા. ગાંધીજીના પ્રભાવથી છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડી, ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં જોડાયા. ભૂગર્ભમાં રહી ભાંગફોડ-પ્રવૃત્તિમાં ભાગ લીધો, તે બદલ જેલવાસ ભોગવ્યો. ૧૯૪૪માં જેલમાંથી મુક્ત થયા બાદ ૧૯૪૫માં બી.એસસી. થયા અને ગાંધીજીની સલાહ અનુસાર રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઉરુળીકાંચનમાં નિસર્ગોપચાર કેન્દ્ર સ્થાપ્યું. સેવા ખાતર અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારપછી ગ્રામવિસ્તારમાં અનેક યોજનાઓ આરંભી. તેઓએ ખાંડનું સહકારી કારખાનું અને સહકારી કૃષિ મંડળીની સ્થાપના કરી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જલવિતરણ યોજના શરૂ કરી. તેમણે એક ગૌશાળાની સ્થાપના કરી. દક્ષિણ ગુજરાતમાં તેઓએ આદિવાસીઓના વિકાસ માટે વાંસદામાં આમ્રકુંજ, મહિલાઓની ઉન્નતિ માટે કુટુંબનિયોજન અને સાક્ષરતા સહિત વિવિધ યોજનાઓ કરી. ‘ધ ભારતીય ઍગ્રો-ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન’ના નેજા હેઠળ પશુસંવર્ધન, પશુસ્વાસ્થ્ય રસી ઉત્પાદન, ઘાસચારો, પાણી-જમીન સંરક્ષણ જેવી યોજનાઓ કરી. ગાયોના શરીરની સંપૂર્ણ રચનાનો અભ્યાસ કરી ગાયોના ધન્વંતરિ બન્યા. તેઓને ૧૯૬૮માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી, ૧૯૭૭માં મહારાષ્ટ્ર ફુલે કૃષિ વિદ્યાપીઠ તરફથી ડૉ. ઑવ્ સાયન્સ, ૧૯૮૨માં ફિલિપાઇન્સ તરફથી ‘રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ’ તથા ગાંધીજીની વિચારસરણી અનુસાર ગ્રામસેવા માટે ‘જી. જે. વાટુમલ મેમોરિયલ ઍવૉર્ડ’, ૧૯૮૩માં ‘જમનાલાલ બજાજ ઍવૉર્ડ’, ૧૯૮૪માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ‘ડૉક્ટર ઑવ્ લિટરેચરની ઉપાધિ આ ઉપરાંત ૧૯૮૯માં ‘વિશ્વગુર્જરી નૅશનલ ઍવૉર્ડ’ વગેરે સન્માનો પ્રાપ્ત થયાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

નીતિન બોઝ

જ. ૨૬ એપ્રિલ, ૧૮૯૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૮૬

ફિલ્મદિગ્દર્શક, સિનેમેટોગ્રાફર અને પટકથાલેખક નીતિન બોઝને બાળપણથી જ ફોટોગ્રાફીમાં રસ હતો. પિતા હેમેન્દ્રમોહન બોઝ ઉદ્યોગપતિ હતા, જે સત્યજિત રેના ભત્રીજા હતા અને માતા મૃણાલિની લેખક ઉપેન્દ્રકિશોર રે ચૌધરીનાં બહેન હતાં. નીતિન બોઝે બેલ્જિયમના સમ્રાટની ભારત મુલાકાત આધારિત બનાવેલી દસ્તાવેજી ફિલ્મનું સૌપ્રથમ વાર દિગ્દર્શન કર્યું હતું. તેમણે જયગોપાલ પિલ્લઈની ‘પુનર્જન્મ’ ફિલ્મથી સિનેમેટોગ્રાફર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. એ પછી તેઓ ન્યૂ થિયેટર્સમાં મુખ્ય ટૅકનિકલ સલાહકાર અને કૅમેરા વિભાગના વડા તરીકે જોડાયા. એમણે બંગાળી અને હિન્દી બંનેમાં દ્વિભાષી ફિલ્મો બનાવી. ત્યારબાદ મુંબઈ ગયા અને બૉમ્બે ટૉકીઝ અને ફિલ્મિસ્તાનના બૅનર હેઠળ દિગ્દર્શન કાર્ય કર્યું. ૧૯૩૫માં તેમણે ફિલ્મ ‘ભાગ્યચક્ર’માં સૌપ્રથમ વખત પાર્શ્વગાયનનો પ્રયોગ કર્યો, જે અત્યંત સફળ નીવડ્યો. આ ફિલ્મ હિન્દીમાં ‘ધૂપછાંવ’ નામે બનાવવામાં આવી, જે પાર્શ્વગાયનવાળી પ્રથમ હિન્દી ફિલ્મ હતી. તેમના દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગંગા-જમના’ આજે પણ ભારતીય સિનેમાની સર્વકાલીન બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક ગણાય છે. તેમની ‘દુશ્મન’, ‘મિલન’, ‘દીદાર’, ‘કઠપૂતલી’ જેવી ફિલ્મો સુપરહિટ નીવડી હતી. નીતિન બોઝને ૧૯૬૧માં ‘ગંગા-જમના’ માટે દ્વિતીય શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે મેરિટ પ્રમાણપત્ર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત થયો હતો.  તેમને ૧૯૭૭માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.