Categories
વાચન સમૃદ્ધિ

હેમવતી નંદન બહુગુણા

જ. ૨૫ એપ્રિલ, ૧૯૧૯ અ. ૧૭ માર્ચ, ૧૯૮૯

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હેમવતી નંદન બહુગુણાનો જન્મ ઉત્તરાખંડના પૌરી ગઢવાલના બુઘાનીમાં એક ગઢવાલી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે પૌરીથી ૧૦મું ધોરણ પાસ કરીને ૧૯૩૭માં અલાહાબાદની સરકારી ઇન્ટરમીડિયેટ કૉલેજમાં બી.એસસી.માં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૪૬માં તેમણે બી.એ.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. ૧૯૪૨થી ૧૯૪૬ સુધીની ‘ભારત છોડો’ ચળવળના ભાગ રૂપે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. હેમવતી નંદન બહુગુણાને ૧૯૭૧માં કેન્દ્રીય મંત્રીમંડળમાં સંચાર રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ૧૯૭૩માં તેમને ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઑગસ્ટથી ડિસેમ્બર, ૧૯૭૯ દરમિયાન ચૌધરી ચરણિંસહના વહીવટ હેઠળ નાણામંત્રી બન્યા હતા. જાન્યુઆરી, ૧૯૮૦ની સંસદીય ચૂંટણીમાં તેઓ ઇન્દિરા ગાંધીના કૉંગ્રેસ(આઈ) પક્ષના ઉમેદવાર તરીકે ગઢવાલથી જીત્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ૧૯૮૪ની સંસદીય ચૂંટણીમાં તેમણે અલાહાબાદ મતવિસ્તારમાંથી કૉંગ્રેસના ઉમેદવાર અમિતાભ બચ્ચન સામે ચૂંટણી લડી હતી. જેમાં અભિતાભ બચ્ચન ચૂંટણી જીત્યા હતા. હેમવતી નંદન બહુગુણા ૧૯૮૮માં બીમાર પડ્યા અને કોરોનરી બાયપાસ સર્જરી માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા. સર્જરી નિષ્ફળ જવાથી ૧૭ માર્ચ, ૧૯૮૯ના રોજ ક્લેવલૅન્ડની એક હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેમની કાયમી સ્મૃતિ રહે તે માટે તેમનું નામ હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી સાથે જોડવામાં આવ્યું છે. જે ઉત્તરાખંડના શ્રીનગરની સૌથી મોટી યુનિવર્સિટી છે. આ ઉપરાંત હેમવતી નંદન બહુગુણા ઉત્તરાખંડ મેડિકલ એજ્યુકેશન યુનિવર્સિટી દહેરાદૂન સાથે પણ તેમનું નામ સુવર્ણઅક્ષરે જોડાયેલું છે.

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. રાજકુમાર

જ. ૨૪ એપ્રિલ, ૧૯૨૯ અ. ૧૨ એપ્રિલ, ૨૦૦૬

કન્નડ ચિત્રોના અભિનેતા મુથુરાજનો જન્મ કર્ણાટકના કોઈમ્બતૂર જિલ્લાના ગજનૂરમાં થયો હતો. પિતા પુત્તાસ્વામય્યા અને માતા લક્ષમ્મા નાટકોમાં નાનાં પાત્રો ભજવતાં હતાં. ૮ વર્ષની વયે ભણતર છોડી મુથુરાજ પણ નાટકોમાં અભિનય કરવા લાગ્યા. આમ ડૉ. રાજકુમારે અભિનય કારકિર્દીનો પ્રારંભ રંગમંચથી કર્યો હતો. ચિત્રોમાં તેમણે ૧૯૫૪માં પ્રવેશ કર્યો હતો. તેમને નાટકોમાં કામ આપનાર નિર્માતા દિગ્દર્શક ગુબ્બી વીરણ્ણાએ જ્યારે પ્રથમ ચિત્ર ‘બેડર કણપ્પા’નું નિર્માણ કર્યું ત્યારે તેમને જ મુખ્ય ભૂમિકા માટે પસંદ કર્યા હતા. ત્યારે પહેલી વાર તેમનું નામ મુથુરાજમાંથી બદલીને રાજકુમાર રખાયું હતું. તેઓ પૌરાણિક તથા ઐતિહાસિક પાત્રોની ભૂમિકા ભજવવામાં માહેર હતા. ભાગ્યે જ કોઈ એવા સંત હશે જેમની ભૂમિકા રાજકુમારે નહિ ભજવી હોય. એક અભિનેતા તરીકે તેમણે અભિનયની ખૂબીઓ અને બારીકીઓનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. કર્ણાટકમાં સાવ સામાન્ય સ્તરના પ્રેક્ષકોમાં રાજકુમાર એક ભગવાન જેટલો આદર ધરાવે છે. કન્નડ ચિત્રઉદ્યોગ જ્યારે ભયાનક મંદીમાંથી પસાર થતો હતો ત્યારે તેમણે પોતે ચિત્રો બનાવ્યાં, તેનું વિતરણ કર્યું અને પ્રદર્શન પણ કર્યું હતું. ‘કનકદાસ’, ‘ભક્ત કુંબારા’, ‘રાઘવેન્દ્ર સ્વામી’ જેવાં ચિત્રો ઉપરાંત તુકારામ, કબીર, પુરંદરદાસ, નવકોટિ નારાયણ, તેનાલીરામ જેવા સંતોની ભૂમિકાઓ તેમણે સફળતાપૂર્વક ભજવી છે. ફિલ્મ ‘જેડારા બાલે’માં તેમણે દેશી જેમ્સ બૉન્ડની ભૂમિકા ભજવી હતી. એક અભિનેતા ઉપરાંત તેઓ એક પારંગત શાસ્ત્રીય સંગીત કલાકાર અને સાથે પાર્શ્વગાયક પણ હતા. તેમણે લગભગ ૨૦૫થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. ૨૦૦૦ના ઑગસ્ટમાં કર્ણાટકનાં જંગલોમાં ચંદનચોર નામે કુખ્યાત અપરાધી વીરપ્પને તેમનું અપહરણ કર્યું હતું અને કેટલોક સમય પોતાને ત્યાં બંદી રાખીને તેમને સલામત મુક્ત કર્યા હતા. મૈસૂર વિશ્વવિદ્યાલયે તેમને માનદ ડૉક્ટરેટની ઉપાધિ આપી હતી. તેમનાં પત્ની પર્વતમ્મા પણ નિર્માત્રી છે. તેમના પુત્રો પણ કન્નડ ચિત્રોના અભિનેતાઓ છે. કન્નડ ચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા બદલ તેમને ૧૯૯૫માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ, ૧૯૮૩માં પદ્મભૂષણ તેમજ ‘કર્ણાટકરત્ન’ ખિતાબ વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

રમાબાઈ પંડિતા

જ. ૨૩ એપ્રિલ, ૧૮૫૮ અ. ૫ એપ્રિલ, ૧૯૨૨

રાષ્ટ્રીય જાગૃતિની દિશામાં અનેક નવી પહેલ કરનાર, અગ્રગામી સમાજસુધારક, વિદુષી નારી રમાબાઈનો જન્મ કેનેરા ડિસ્ટ્રિક્ટ મદ્રાસ પ્રેસિડન્સીમાં થયો હતો. તેમનાં માતા લક્ષ્મીબાઈ અને પિતા અનંત ડોંગરે મહારાષ્ટ્રિયન ચિત્પાવન બ્રાહ્મણ હતાં. માતા-પિતાએ રમાબાઈને સંસ્કૃત વ્યાકરણ અને સાહિત્યનું જ્ઞાન આપ્યું. આ જ્ઞાનને કારણે તેઓ લગભગ ૧૮ હજાર શ્લોકોનું સતત ગાન કરી શકતાં. ૧૮૭૪માં માતાપિતાનું અવસાન થતાં તેઓ ભાઈ સાથે કૉલકાતા પહોંચ્યાં. ત્યાં તેમના જ્ઞાન અને વ્યાકરણ નૈપુણ્યથી પંડિતો, શાસ્ત્રીઓ અને સંસ્કૃત પ્રાધ્યાપકો દિગ્મૂઢ બની ગયા અને જાહેરસભામાં ‘સરસ્વતી’નું બિરુદ આપીને બહુમાન કર્યું. ૧૮૮૦માં તેમણે વકીલ વિપિન બિહારીદાસ સાથે લગ્ન કર્યાં. ૧૮૮૧માં તેમને ત્યાં કન્યા મનોરમાનો જન્મ થયો અને એકાદ મહિનાની અંદર તેમના પતિ કોગળિયા(કૉલેરા)નો ભોગ બની અવસાન પામ્યા. એકલાં પડેલાં રમાબાઈ પુણે ગયાં અને ત્યાં સામાજિક કાર્યો કરવા માટે ‘આર્યમહિલાસમાજ’ નામની સંસ્થાની સ્થાપના કરી. તેમણે મરાઠીમાં ‘સ્ત્રી ધર્મનીતિ’ નામનું પુસ્તક લખ્યું. તેમાંથી મળેલા પૈસામાંથી દીકરીને લઈને તેઓ ઇંગ્લૅન્ડ પહોંચ્યાં. અહીં મઠમાં સેવાભાવી ધર્મસેવિકાઓથી પ્રભાવિત થઈને ૧૮૮૩માં દીકરી સાથે તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. તેમનાં કાર્યોની સુવાસ અમેરિકા સુધી ફેલાતાં તેમને અમેરિકા જવાનું નિમંત્રણ મળ્યું. અહીં તેમણે ‘ઉચ્ચવર્ણીય મહિલા’ (High-cast Hindu Woman) નામનું પુસ્તક લખ્યું. લોકમત જાગૃત કર્યો. ભારતની હિંદુ બાળ-વિધવાઓને મદદરૂપ થવા બૉસ્ટનમાં ‘રમાબાઈ ઍસોસિયેશન’ની સ્થાપના થઈ. મુંબઈ પાછા આવીને વિધવાઓને રહેવા માટે ‘શારદા સદન’ની સ્થાપના કરી જેનો તીવ્ર વિરોધ થયો, પરંતુ તેઓ ડગ્યાં નહીં. તેમણે પ્લેગ, દુકાળ વગેરે જેવી આફતોના સમયે લોકોને ખૂબ મદદ કરી. ૧૯૦૫માં તેમણે પુણે નજીક કેડગાંવમાં છાપખાનું સ્થાપી આશ્રિત સ્ત્રીઓને કામ શિખવાડ્યું. આજે પણ કેડગાંવમાં તેમણે સ્થાપેલ ‘મુક્તિમિશન’ સંસ્થામાં સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર બને તેવું શિક્ષણ અપાય છે.