Categories
વાચન સમૃદ્ધિ

બી. આર. ચોપરા

જ. ૨૨ એપ્રિલ, ૧૯૧૪ અ. ૫ નવેમ્બર, ૨૦૦૮

બહુમુખી પ્રતિભા ધરાવતા પીઢ ફિલ્મસર્જક. તેમનું પૂરું નામ બળદેવ રાજ ચોપરા હતું. તેમનો જન્મ લાહોરમાં ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને સાહિત્ય અને કળા તરફ રુચિ હતી. લાહોરની સરકારી કૉલેજમાંથી એમ.એ. થયા. કૉલેજકાળ દરમિયાન લલિત નિબંધો અને ટૂંકી વાર્તાઓ લખતા. અહીં તેમણે ૧૯૪૫ના ગાળામાં ‘સિને હેરલ્ડ’ નામનું સામયિક શરૂ કર્યું હતું. દેશના ભાગલા પડતાં ૧૯૪૭ના ઑગસ્ટમાં મુંબઈ આવ્યા. તેમણે ૧૯૫૨માં ‘શોલે’ અને ૧૯૫૪માં ‘ચાંદની ચોક’ નામે ફિલ્મો બનાવી, જે ખૂબ સફળ રહી. ૧૯૫૫માં સ્વતંત્ર બૅનર સાથે બી. આર. ફિલ્મ્સ કંપનીની સ્થાપના કરી. આ બૅનર તળે બનેલી સૌપ્રથમ ફિલ્મ હતી ‘એક હી રાસ્તા. તેઓ દરેક ફિલ્મમાં સ્વચ્છ મનોરંજન સાથે સમાજના નીતિરીતિ અને વાસ્તવિકતાઓનું પ્રતિબિંબ પડે તેનું ધ્યાન રાખતા. રસિક કથાનક, છટાદાર સંવાદો અને કલાત્મકતા તેમની વિશેષતા હતી. ‘નયાદૌર’, ‘સાધના’, ‘ધૂલ કા ફૂલ, ‘કાનૂન’, ‘ધર્મપુત્ર’, ‘ગુમરાહ’, ‘વક્ત’, ‘હમરાજ’, ‘આદમી ઔર ઇન્સાન’ જેવી સફળ, યાદગાર અને ભાવનાત્મક ફિલ્મો તેમણે બનાવી હતી. તેમણે પોતાની સર્જનાત્મકતાથી ફિલ્મોનું સર્જન કર્યું હતું. જે ખૂબ લોકપ્રિય બન્યું હતું. તેમણે દૂરદર્શનના નાના પડદા માટે ફિલ્મો બનાવેલી. ધારાવાહિક શ્રેણી ‘મહાભારત’ તેમનું એક અમર અને અણમોલ સર્જન છે. આ માટે ચોપરાને ખૂબ યશ, ધન અને નામના મળ્યાં છે. તેમને ‘કાનૂન’ના દિગ્દર્શન માટે ૧૯૬૨માં ‘ફિલ્મફેર ઍવૉર્ડ, ૨૦૦૮માં ‘દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ’ પ્રાપ્ત થયા હતા. ૨૦૦૧માં તેમને ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

જોન મુઈર

જ. ૨૧ એપ્રિલ, ૧૮૩૮ અ. ૨૪ ડિસેમ્બર, ૧૯૧૪

પ્રકૃતિવાદી લેખક, પર્યાવરણીય ફિલૉસૉફર, વનસ્પતિશાસ્ત્રી, પ્રાણીશાસ્ત્રી, હિમનદીશાસ્ત્રી અને યુનાઇટેડ સ્ટેટ્સમાં જંગલી પ્રાણીઓના સંરક્ષણ માટેના પ્રારંભિક હિમાયતી તરીકે જાણીતા જોન મુઈરને ‘પર્વતોના જ્હોન’ અને ‘રાષ્ટ્રીય ઉદ્યાનોના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૧ વર્ષની ઉંમર સુધીમાં યુવાન મુઈરે નવા કરાર અને મોટા ભાગનું જૂના કરારનું ‘હૃદયથી અને દુ:ખી શરીરથી’ પાઠ કરવાનું શીખી લીધું હતું. ૨૨ વર્ષની વયે તેમણે વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને ઘણાં વર્ષો સુધી પોતાની રીતે કામ કર્યું હતું. જોન મુઈરનાં પુસ્તકો, પત્રો અને નિબંધો જે પ્રકૃતિ-આલેખનથી ભરપૂર છે તે લાખો લોકો દ્વારા વાંચવામાં આવ્યાં છે. તેમના અથાક પ્રયત્નોથી યોસેમિટી ખીણ અને સેકવોઇયા રાષ્ટ્રીય ઉદ્યાનને જાળવવામાં ખૂબ મદદ મળી હતી. તેમણે જેની સ્થાપનામાં ખૂબ રસ દાખવેલો તે સીએરા ક્લબ અમેરિકાની એક અગ્રણી સંરક્ષણ સંસ્થા છે. તેમના જીવનનો મોટો ભાગ એમણે પશ્ચિમી જંગલોના સંરક્ષણ માટે સમર્પિત કર્યો હતો. યોસેમિટીને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવાની ઝુંબેશના ભાગ રૂપે મુઈરે ‘ધ સેન્ચ્યુરી’ નામના મૅગેઝિનમાં જંગલના સંરક્ષણ વિશે બે સીમાચિહનરૂપ લેખો લખેલા. જેનાથી ૧૮૯૦માં યુ.એસ. કૉંગ્રેસ દ્વારા યોસેમિટી રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના માટે બિલ પસાર કરવાના દબાણને ટેકો મળ્યો હતો. જોન મુઈરને ‘સ્કોટ્સ અને અમેરિકનો બંને માટે પ્રેરણા’ માનવામાં આવે છે. મુઈરના જીવનચરિત્રકાર સ્ટીવન જે. હોમ્સ તેમને ‘વીસમી સદીના અમેરિકન પર્યાવરણીય પ્રવૃત્તિના આશ્રયદાતા સંતોમાંના એક’ તરીકે મૂલવે છે. તો એન્સેલ એડમ્સ જેવા પ્રકૃતિ ફોટોગ્રાફરો દ્વારા તેમને ઘણી વાર ટાંકવામાં આવ્યા છે. પ્રકૃતિવિષયક એમનાં લખાણો અનેક લોકોને માર્ગદર્શક બન્યાં હોવાથી આધુનિક પર્યાવરણીય ચેતનામાં તેમનું નામ સર્વવ્યાપી બન્યું હતું. ૨૧  એપ્રિલ, ૨૦૧૩ના રોજ સ્કોટલૅન્ડમાં પ્રથમ વાર જોન મુઈર દિવસ ઊજવવામાં આવ્યો હતો. જે તેમની ૧૭૫મી વર્ષગાંઠ હતી, જેમાં આ પ્રકૃતિસંરક્ષકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ગોપીનાથ મોહંતી

જ. ૨૦ એપ્રિલ, ૧૯૧૪ અ. ૧૮ ઑગસ્ટ, ૧૯૯૧

ઓડિશાના પ્રખ્યાત નવલકથાકાર, જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા. સોનેપુરમાં શાળાશિક્ષણ લીધા પછી ૧૯૩૫માં કટકની યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યું. તેમની ઇચ્છા પ્રાધ્યાપક અથવા આઈ.સી.એમ. થવાની હતી પણ આર્થિક કારણોસર ઓડિશા સરકારની નોકરી સ્વીકારવી પડી. અહીં જુદા જુદા હોદ્દાઓ પર ફરજ બજાવી ૧૯૬૯માં નિવૃત્તિ લીધી. ત્યારબાદ ૧૯૭૦માં ઉત્કલ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગમાં યુજીસીના વિશિષ્ટ મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. ૧૯૮૬માં તેમણે અમેરિકાની સાન જૉસ (San Jose) યુનિવર્સિટીમાં સમાજવિજ્ઞાનના મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું અને અંત સમય સુધી સાન જૅસમાં જ રહ્યા. ૧૯૩૬થી તેમણે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. ૧૯૩૮માં પ્રગટ થયેલા ‘મન ગહિરર ચાસ’ નામની પ્રથમ નવલકથા પછી કુલ ૨૧ નવલકથાઓ, ૨ ચરિત્રગ્રંથો, ૮ ટૂંકી વાર્તાના સંગ્રહો, ૨ નાટકો, ૨ નિબંધસંગ્રહ ઉપરાંત ઓડિશાના આદિવાસીઓ, દલિત કોમો અને ઉપેક્ષિત જાતિઓની પરિસ્થિતિ પર આધારિત ૩ મુખ્ય નવલકથાઓ ‘પરજા’, ‘અમૃતર સંતાન’ અને ‘માતિમતાલ’ની રચના કરી. તેમના પર ફ્રોઇડના મનોવિશ્લેષણનો, રશિયન ક્રાંતિ અને ગાંધીજીની રાષ્ટ્રીય ચળવળનો પ્રભાવ જોવા મળે છે. તેમણે ટૉલ્સ્ટૉયની ‘વૉર ઍન્ડ પીસ’નો ‘યુદ્ધ અને શાંતિ’ નામે ત્રણ ભાગમાં ૧૯૮૫-૮૬માં અનુવાદ કર્યો છે તથા ૧૯૬૫માં રવીન્દ્રનાથ ટાગોરની ‘જોગાજોગ’નો ઊડિયા ભાષામાં અનુવાદ કર્યો છે. તેમની વિપુલ સાહિત્યસેવા બદલ તેમને ૧૯૫૦માં ‘વિશ્વ મિલન’ પુરસ્કાર, ૧૯૫૫માં ‘અમૃતર સંતાન’ માટે ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૧૯૭૦માં ગૉર્કીની રચનાનો ઊડિયામાં અનુવાદ કરવા બદલ સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર, ‘માટી મતાલ’ (ધ ફરટાઇલ્ડ સોઇલ) માટે ૧૯૭૩નો જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ અને ૧૯૭૬માં ડી.લિટ્.ની પદવી અને ૧૯૮૧માં ‘પદ્મભૂષણ’ પુરસ્કારથી તેમનું બહુમાન થયેલું છે.