Categories
વાચન સમૃદ્ધિ

અક્ષયકુમાર રમણલાલ દેસાઈ

જ. ૧૬ એપ્રિલ, ૧૯૧૫ અ. ૧૨ ઑક્ટોબર, ૧૯૯૪

ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈના પુત્ર પ્રખર માર્કસવાદી અને કર્મશીલ સમાજશાસ્ત્રી અક્ષયકુમારે બાળપણમાં જ માતાને ગુમાવી હતી. તેઓ વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા, પણ ત્યાં હડતાળ પડવાના કારણે મુંબઈમાં ભણ્યા અને કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી મેળવી. ત્યારબાદ સમાજશાસ્ત્રમાં વધારે રુચિ હોવાથી પીએચ.ડી.નો અભ્યાસ કર્યો. તેમણે લખેલ શોધનિબંધ ‘ભારતીય રાષ્ટ્રવાદની સામાજિક પાર્શ્વભૂમિ’ ૧૯૪૮માં અંગ્રેજીમાં પુસ્તક રૂપે પ્રગટ થયો. જેની અનેક આવૃત્તિઓ થઈ અને ભારતની મોટા ભાગની ભાષાઓમાં તેનો અનુવાદ થયો. અક્ષયકુમારની વરણી ૧૯૪૬માં મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં સમાજશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે થઈ. ૧૯૫૧માં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં જોડાયા. ત્યાંથી તેઓ સમાજશાસ્ત્રના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ ‘ઇન્ડિયન સોશિયોલૉજિકલ સોસાયટી’ અને ‘ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ’ના પ્રમુખ હતા. ભારતીય ગ્રામીણ સમાજશાસ્ત્ર, રાષ્ટ્રવાદ, આધુનિકીકરણ, ભારતમાં ઝૂંપડપટ્ટીની સમસ્યા, શહેરી કુટુંબો અને કુટુંબનિયોજન, ખેડૂત-આંદોલનો વગેરેના અભ્યાસનો તેમાં સમાવેશ થાય છે. તેઓ નીરા દેસાઈના સંપર્કમાં આવ્યા અને બંનેએ લગ્ન કર્યાં. સમાજશાસ્ત્ર વિશે ગુજરાતી ભાષામાં  સંદર્ભસાહિત્ય મળી રહે તે હેતુથી ‘સમાજ વિજ્ઞાનમાળા’ શ્રેણીમાં દેસાઈ દંપતીએ વીસ પુસ્તકોનું પ્રકાશન કર્યું. તેઓ ‘પડકાર’ નામના દ્વૈમાસિકનું સંપાદન પણ કરતા હતા. તેમને પંડિત જવાહરલાલ નહેરુ ઍવૉર્ડ ફોર સોશિયલ સાયન્સીસ (૧૯૮૭) અને યુ.જી.સી. દ્વારા બેસ્ટ સોશિયોલૉજિસ્ટ ઑફ ધ યર (૧૯૮૭)નો ઍવૉર્ડ મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ગગનવિહારી મહેતા

જ. ૧૫ એપ્રિલ, ૧૯૦૦ અ. ૨૮ એપ્રિલ, ૧૯૭૪

ભારતના અમેરિકા ખાતેના ભૂતપૂર્વ એલચી, કુશળ વહીવટકર્તા અને પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા ગગનવિહારી મહેતાનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા સર લલ્લુભાઈ શામળદાસ. તેમના જન્મના વર્ષે જ પરિવાર ભાવનગરથી મુંબઈ રહેવા ગયો. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચશિક્ષણ લીધું. બી.એ. ઑનર્સની પદવી અર્થશાસ્ત્ર વિષય સાથે મેળવી. તે પછી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં પ્રવેશ મેળવ્યો અને કૉલેજનાં ચારેય વર્ષ ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયોમાં પ્રથમ આવવા બદલ અનેક ઇનામો પ્રાપ્ત કર્યાં. ૧૯૨૩માં તેમણે ‘બૉમ્બે ક્રોનિકલ’ અખબારના ઉપતંત્રી તરીકે કામ સંભાળ્યું અને તે પછી ૧૯૪૨માં તેમની વરણી ‘ફિક્કી’ના પ્રેસિડેન્ડ તરીકે થઈ. સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ તેમને ટેરિફ બોર્ડના ચૅરમૅન બનાવાયા અને પછી પ્રથમ આયોજન નિગમના સદસ્ય નિમાયા. ૧૯૫૨માં તેમને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં ભારતના એલચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પદે તેમણે છ વર્ષ સુધી પ્રશંસનીય સેવાઓ આપી. તેમણે ન્યૂયૉર્ક, જિનીવા, મોન્ટ્રિયલ વગેરે શહેરોમાં મળેલ આંતરરાષ્ટ્રીય વેપારી મહામંડળ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ૧૯૫૯થી ૧૯૬૩ દરમિયાન નૅશનલ શિપિંગ બોર્ડના ચૅરમૅન તરીકે સેવા આપી. ૧૯૬૫માં ઍર ઇન્ડિયા અને ઇન્ડિયન ઍરલાઇન્સનું ચૅરમૅનપદ શોભાવ્યું. નવી સ્થપાયેલી સંસ્થા આઈ.સી.આઈ.સી.આઈ.ના તેઓ પ્રથમ ચૅરમૅન બન્યા. તેનું સફળ સંચાલન કરી તેમણે દેશના ઔદ્યોગિકીકરણમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું. તેમની પ્રવૃત્તિસભર જીવનશૈલીમાં પણ તેઓ વિદ્યાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા. અંગ્રેજી તેમ જ ગુજરાતી ભાષા પર તેમનું પ્રભુત્વ હતું. તેમનાં નોંધપાત્ર પ્રકાશનોમાં ગુજરાતીમાં ‘આકાશનાં પુષ્પો’ અને ‘અવળી ગંગા’નો સમાવેશ થાય છે. જ્યારે અંગ્રેજીમાં ‘સ્ટડીઝ ઇન ગાંધીઝમ, ફ્રોમ રોંગ ઍંગલ્સ, પરવર્સિટીઝ, અન્ડરસ્ટૅન્ડિંગ ઇન્ડિયા’ વગેરે નોંધપાત્ર ગણાય છે.

૧૯૫૯માં તેમને ‘પદ્મવિભૂષણ’થી સન્માનવામાં આવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

શમશાદ બેગમ

જ. ૧૪ એપ્રિલ, ૧૯૧૯ અ. ૨૩ એપ્રિલ, ૨૦૧૩

ભારતીય ચલચિત્રની પાર્શ્વગાયિકા શામશાદ બેગમે હિંદી ચલચિત્રોનાં અનેક ગીતોને પોતાની વિશિષ્ટ ગાયકીથી લોકપ્રિય બનાવેલાં. મિયા હુસેન બક્ષ તથા ગુલામ ફાતિમાની દીકરી શમશાદને ગ્રામોફોન સાંભળીને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. આ જ તેમની રિયાઝ કરવાની રીત હતી અને આ જ સંગીતસાધના હતી. જોકે ત્યારે લાહોરમાં વસતા આ પરિવારમાં દીકરી સંગીતમાં આટલો બધો રસ લે તે ગમતું નહીં. તે જમાનો એવો હતો કે દીકરી ગાયિકા બને તેવું મા-બાપ ઇચ્છતાં નહીં. આવી વિપરીત સ્થિતિમાં પણ શમશાદે સંગીત તરફનો લગાવ જાળવી રાખ્યો. સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરે જ્યારે શામશાદને ગાતાં સાંભળ્યાં ત્યારે તેમણે તેમની પાસે એક પંજાબી ગીત ગવડાવ્યું. તે ગીતની રેકર્ડ બનાવી અને તે બહાર પડી, પહેલા જ પ્રયાસમાં ખૂબ વેચાઈ. તે પછી તો બીજાં ગીતોની પણ રેકર્ડ બહાર પડતી ગઈ અને શમશાદ રેડિયો કલાકાર બની ગયાં. શમશાદને ચલચિત્રમાં ‘પાર્શ્વગાયન એટલે શું ?’ તે ખબર ન હતી. દલસુખ પંચોલીએ તેમને પહેલી તક આપી. તેમણે ‘યમલાજટ્ટ’ પંજાબી ચલચિત્ર માટે આઠ ગીત ગાયાં અને તે ખૂબ લોકપ્રિય થયાં. ત્યારબાદ લાહોરમાં જ ‘ખજાનચી’ ચલચિત્ર માટે હિંદી ગીતો ગાવાની તક મળી, ચિત્રની સફળતામાં ગીતસંગીતનો ઘણો ફાળો હતો. ત્યારબાદ ૧૯૪૪માં શમશાદ બેગમ મુંબઈ આવ્યાં અને ગાયિકા તરીકે બહુ જલદી સ્થાપિત થઈ ગયાં. એ સમયના તમામ અગ્રણી સંગીતકારોએ તેમની પાસે ગીતો ગવડાવ્યાં. હિંદી ફિલ્મોમાં તેમનો સફળ સમય ૧૯૪૦થી ૧૯૫૫ સુધી હતો. ૯૪ વર્ષની જઈફ વયે તેમનું મૃત્યુ થયું. તેમને ઓ. પી. નૈયર ઍવૉર્ડ અને ૨૦૦૯માં પદ્મભૂષણ મળ્યા હતા. ૨૦૧૬માં ભારત સરકારે તેમની ટપાલટિકિટ બહાર પાડી હતી.