Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. ધનંજય રામચંદ્ર ગાડગીલ

જ. ૧૦ એપ્રિલ, ૧૯૦૧ અ. ૩ મે, ૧૯૭૧

ભારતના અગ્રગણ્ય અર્થશાસ્ત્રી, પુણેના ગોખલે ઇન્સ્ટિટ્યૂટના સંસ્થાપક-નિયામક તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ. તેમનો જન્મ મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. બાળપણ નાગપુરમાં વીત્યું. તેમણે ૧૯૧૪માં સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી અને ૧૯૧૮માં ઉચ્ચશિક્ષણ માટે ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને  અર્થશાસ્ત્ર વિષયમાં પદવી પ્રાપ્ત કરી. તેમણે ‘ઇન્ડસ્ટ્રિયલ ઇવૉલૂશન ઇન ઇન્ડિયા ઇન રિસન્ટ ટાઇમ્સ’ શીર્ષક નીચે શોધપ્રબંધ લખ્યો એ પુસ્તક રૂપે વર્ષો સુધી ભારતના આર્થિક ઇતિહાસનું પ્રમાણભૂત પાઠ્યપુસ્તક રહ્યું હતું.

૧૯૨૩માં તેઓ ભારત પાછા ફર્યા. તેમણે સૂરતની એમ.ટી.બી. કૉલેજના આચાર્ય તરીકે કારકિર્દીનો આરંભ કર્યો.

તેઓ ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પોલિટિક્સ ઍન્ડ ઇકૉનૉમિક્સના પ્રથમ નિયામક થયા. ગાડગીલ સંખ્યાબંધ સહકારી સંગઠનો સાથે સભ્ય કે અધ્યક્ષ તરીકે ગાઢ રીતે સંકળાયેલા હતા. તેમણે સહકારી ધોરણે ખાંડનું સર્વપ્રથમ કારખાનું સ્થાપ્યું. ભારતના આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે તેમણે યાદગાર ભૂમિકા ભજવી. તેમના અંગત જીવનમાં તે સાદા અને શિસ્તબદ્ધ હતા અને નીતિ તથા ધર્મની બાબતમાં ભારે ઉદામવાદી વિચારો ધરાવતા હતા. તેમના અવસાન પછી 1972માં નાગપુરમાં ધનંજયરાવ ગાડગીલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કો-ઑપરેટિવ મૅનેજમેન્ટ (DGICM) શરૂ કરવામાં આવી. ભારત સરકારે તેમના સન્માનમાં એક ટપાલટિકિટ બહાર પાડી હતી. કોઈ અર્થશાસ્ત્રીના નામની ટિકિટ બહાર પડી હોય તેવો ભારતમાં આ પહેલો બનાવ છે.

Categories
વાચન સમૃદ્ધિ

લક્ષ્મીનારાયણ વૈદ્યનાથન

જ. 9 એપ્રિલ, 1942 અ. 19 મે, 2007

પ્રખ્યાત વાયોલિનવાદક, સંગીતકાર અને સંગીતદિગ્દર્શક લક્ષ્મીનારાયણ વૈદ્યનાથન કર્ણાટકી, હિન્દુસ્તાની અને પાશ્ચાત્ય એમ ત્રણેય સંગીત પ્રણાલિકાઓમાં કામ કરનારા સંગીતકાર તરીકે પ્રસિદ્ધ છે. પિતા વી. લક્ષ્મીનારાયણ અને માતા સીતાલક્ષ્મી બંને કુશળ સંગીતકાર હતાં. તેઓ પ્રખ્યાત વાયોલિનવાદક એલ. શંકર અને એલ. સુબ્રમણ્યમના મોટા ભાઈ હતા. તેમણે પ્રારંભમાં તેમના પિતા પાસે સંગીતનો અભ્યાસ કર્યો હતો.

લક્ષ્મીનારાયણ વૈદ્યનાથને આઠ વર્ષની ઉંમરે પહેલો વાયોલિનવાદનનો કાર્યક્રમ આપ્યો હતો. તેમણે વિવિધ ભાષાઓની ૧૭૦થી વધુ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. કમલ હસન અભિનીત મૂક ફિલ્મ ‘પેસુમ પદમ’ તેમના પાર્શ્વસંગીતને કારણે લોકપ્રિય બની હતી. તેમણે જી. કે. વેંકટેશના સહાયક સંગીતનિર્દેશક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેમણે ‘શોભરાજ ફિલ્મ માટે સંગીત આપી મલયાળમ ફિલ્મઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તેમણે આખું જીવન ફિલ્મસંગીતની દુનિયામાં વિતાવ્યું. તેમને ભારતીય શાસ્ત્રીય સંગીત અને પશ્ચિમી સંગીતનું ઊંડું જ્ઞાન હતું. આથી તેમની રચનાઓ અદ્યતન લાગતી હતી. તેમણે મૅન્ડોલીન, વાયોલિન, વાંસળી અને વિવિધ લોકવાદ્યોનાં મિશ્રણવાળી રચનાઓ કરી. તેમણે સી. અશ્વથ સાથે કામ કર્યું અને અશ્વથ-વૈદી નામથી ઘણી કન્નડ ફિલ્મો માટે સંગીત આપ્યું. તેમણે આર. કે. નારાયણની ‘માલગુડી ડેઝ’ ધારાવાહિકની શીર્ષક-ધૂન ‘થાના ના નાના’ બનાવી હતી, જે અત્યંત લોકપ્રિય બની હતી. તેમની સંગીતયાત્રાને અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તમિળનાડુ સરકારે ફિલ્મ અને સંગીતના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવા બદલ કલાઈમામણિ ઍવૉર્ડથી તેમને સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

યશવંત શુક્લ

જ. 8 માર્ચ, 1915 અ. 23 ઑક્ટોબર, 1999

ગુજરાતના જાણીતા કેળવણીકાર, વિવેચક, નિબંધકાર, પત્રકાર અને અનુવાદક યશવંત શુક્લનો જન્મ ઉમરેઠમાં થયો હતો. માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. ૧૯૩૨માં મૅટ્રિક થયા. તે સમયે ટ્યૂશનો કરી જાતે અર્થોપાર્જન કરતા. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે બી.એ. થયા પછી સૂરતની એમ.ટી.બી. કૉલેજમાંથી  ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે એમ.એ. થયા. ત્યારબાદ ‘પ્રજાબંધુ’ના ઉપતંત્રી તરીકે જોડાયા. ત્યાં તેઓ પુસ્તકોની સમીક્ષાઓ લખતા તેમ જ ‘સંસારશાસ્ત્રી’ના ઉપનામથી સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતા. તે દરમિયાન ગુજરાત કૉલેજમાં ખંડ-સમયના વ્યાખ્યાતા તરીકે અને પછી મુંબઈમાં અધ્યાપક તરીકે કામગીરી કરી. ત્યારબાદ અમદાવાદને કર્મભૂમિ બનાવી ગુજરાત વિદ્યાસભા અને ભો. જે. વિદ્યાભવનમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૫૫માં ગુજરાતમાં પહેલી ગુજરાતી માધ્યમની કૉલેજ શ્રી રામાનંદ મહાવિદ્યાલય(હાલની શ્રી હ. કા. આર્ટ્સ કૉલેજ)ના પ્રથમ આચાર્ય તરીકે ૧૯૫૫થી ૧૯૭૮ સુધી યશસ્વી કામગીરી કરી. આ દરમિયાન ૧૯૭૪માં એકાદ વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કુલપતિપદ સંભાળ્યું. તેમણે મુખપત્ર ‘બુદ્ધિપ્રકાશ’ના મુખ્ય સંપાદક તરીકે લાંબો સમય કામ કર્યું. તેઓ કેટલોક સમય નૅશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય હતા. ૧૯૮૩થી ૧૯૮૫ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહેલા. તેઓ ‘સંદેશ’માં અવારનવાર વિવેચનલેખો લખતા.

‘કેન્દ્ર અને પરિઘ’ (૧૯૮૦), ‘ઉપલબ્ધિ’ (૧૯૮૨) અને ‘શબ્દાન્તરે’ (૧૯૮૪) જેવા ગ્રંથોમાં અભ્યાસપૂર્ણ લેખો છે. આ ઉપરાંત ‘ક્રાંતિકાર ગાંધીજી’(૧૯૮૦)માં ગાંધીવિચાર વિશે બે વ્યાખ્યાનો સંગ્રહિત છે. તાર્કિકતા, સ્પષ્ટતા અને સુઘડતા તેમનાં ગદ્ય લખાણોની વિશેષતા છે. તેમણે અનુવાદક તરીકે પણ પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે ટૉલ્સ્ટૉય અને ઉમાશંકર જોશીની વાર્તાઓનું સંપાદન કર્યું છે. આ ઊંચી કોટિના વિદ્વાન, સાહિત્યકાર અને સમર્થ કેળવણીચિંતકને ૧૯૮૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૯૨માં રણજિતરામ ચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા હતા.