માણસ કેવી ભિન્ન પ્રકારની આત્મહત્યા કરી રહ્યો છે ? આ એવી આત્મહત્યા છે કે જ્યાં માણસ સાતમા માળેથી નીચે ઝંપલાવતો નથી કે ગળે ફાંસો દઈને યા ઝેર પીને જીવન ટૂંકાવતો નથી. માણસ પોતે પોતાની આત્મહત્યા કરતો હોય છે અને એ આત્મહત્યા છે એના ભીતરમાં રહેલા શક્તિસામર્થ્યની. મનુષ્ય અપાર શક્તિનો ખજાનો છે, પરંતુ એ ખજાનાનો એ સદ્વ્યય કરે છે કે દુર્વ્યય કરે છે એ જોવું જરૂરી છે. એની પાસે વિચારની શક્તિ છે, પરંતુ એનો ઉપયોગ ખોટા, મલિન અને અનૈતિક વિચારોમાં કરતો હોય છે. એની પાસે ધારદાર તર્કની તાકાત છે, પરંતુ એ તર્કનો ઉપયોગ પોતાની જાતને પ્રગતિને પંથે લઈ જવાને બદલે બીજાની વાતના અવરોધ માટે કરે છે. એની પાસે અદભુત એવી કલ્પનાશક્તિ છે, પરંતુ એ માત્ર શેખચલ્લીનાં સ્વપ્નાંમાં એને ખર્ચતો હોય છે. એની શક્તિના ખજાનામાં તીક્ષ્ણ બુદ્ધિ છે, પરંતુ એ બુદ્ધિનો ઉપયોગ વાદ-વિવાદ કે ચર્ચામાં કરતો હોય છે. એની પાસે દૃઢ સિદ્ધાંત કે મૂલ્યનિષ્ઠા હોય છે, પરંતુ એ દૃઢ સિદ્ધાંતને જડ-સિદ્ધાંતમાં ફેરવી નાખે છે અને મૂલ્યનિષ્ઠાને અંધ માન્યતામાં પલટી નાખે છે. એ વસવસો કરે છે કે જમાનો કેવો બદલાઈ ગયો છે ! પણ હકીકતમાં તો એને બદલાવાનું હોય છે. કાળ અને સ્થળ પ્રમાણે વ્યક્તિએ એના વિચારને બદલવા પડે છે, પરંતુ બને છે એવું કે વ્યક્તિ પોતાની શક્તિ પોતાના જડ વિચારો, અંધ માન્યતાઓ અને મરી પરવારેલાં મૂલ્યોને જાળવવા માટે વાપરે છે અને એ રીતે પોતાની શક્તિની સામે ચાલીને આત્મહત્યા કરે છે. આંતરસમૃદ્ધિની આવી આત્મહત્યા માનવ-દરિદ્રતામાં વૃદ્ધિ કરે છે.
કુમારપાળ દેસાઈ