મરવાની કળા


ગ્રીસનો વિશ્વવિખ્યાત તત્વચિંતક અને વિચારક પ્લેટો અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. ગ્રીસની નગરસંસ્કૃતિમાં પ્લેટોનું વિશિષ્ટ સ્થાન હતું. એણે લખેલો ‘રિપબ્લિક’ ગ્રંથ રાજકીય વિચારધારાનો વિશિષ્ટ અને વિરલ ગ્રંથ ગણાતો હતો. પ્લેટોના ગુરુ હતા મહાન દાર્શનિક સૉક્રેટિસ અને પ્લેટોનો શિષ્ય હતો જ્ઞાની અને ફિલસૂફ એરિસ્ટોટલ. અંતિમ સમયે પ્લેટોની આસપાસ એના શિષ્યો, મિત્રો અને નામાંકિત નગરજનો બેઠા હતા. આ સમયે કોઈએ પ્લેટોને કહ્યું, ‘જીવનભર અમે તમને પ્રશ્નો પૂછ્યા અને તમે એના ઉત્તરમાં અમને ઊંડું જ્ઞાન આપ્યું છે. આજે પણ આપની અનુમતિ હોય તો અમે એક અંતિમ પ્રશ્ન આપને પૂછી લઈએ. પ્લેટોએ માથું હલાવીને અનુમતિ આપી. પેલી વ્યક્તિએ કહ્યું, ‘તમે જીવનભર અમને ઘણું શીખવ્યું, ઘણું સમજાવ્યું, કેટલાય નવા વિચારો આપ્યા. કેટલાકને અમે સમજ્યા, કેટલાક અમે સમજી શક્યા નહીં તો એ અંગે તમને પૂછ્યું. તમે એ જટિલ સિદ્ધાંતો પણ સમજાવ્યા. હવે અમારી એક ઇચ્છા છે કે તમારી સમગ્ર વિચારસૃષ્ટિનો સાર અમને એક વાક્યમાં સમજાવી દો, જેથી ભવિષ્યમાં તમારી કોઈ વિચારધારા સમજાય નહીં, તો આ સૂત્રાત્મક ચાવી દ્વારા એનો મર્મ પામી શકીએ.’

પ્લેટો વિચારમાં પડી ગયા. થોડા સમય પછી કહ્યું, ‘‘મેં જીવનભર તમને એક જ વાત શીખવી છે અને તે ‘ધી આર્ટ ટૂ ડાઈ’ એટલે કે મરવાની કળા.’’ આટલું બોલી પ્લેટોએ આંખ મીંચી દીધી.

*

પ્લેટોની વાતનો મર્મ જ એ છે કે જીવન એ સાર્થક રીતે મરવાની કલા છે. મૃત્યુના નાટકનો પડદો પડે તે પહેલાં ખેલ ખેલી લેવાની કલા છે. મરવા માટે પણ માનવી પાસે એક કળા હોવી જોઈએ. જીવવાની કળા શોધનાર માનવીએ મરવાની કળાની ઉપેક્ષા કરી છે. માણસે મૃત્યુને જીવનને અંતે મૂક્યું અને એની પારાવાર ઉપેક્ષા કરી. જીવનમાં મૃત્યુ તરફ મુખ રાખવાને બદલે એ એના તરફ પીઠ રાખીને બેઠો અને પરિણામે એને મૃત્યુની કોઈ ઓળખ થઈ નહીં. ડરામણી આપત્તિ કે જીવલેણ બીમારીના સમયે એને થોડી ક્ષણો માટે મૃત્યુનો ભય લાગ્યો, પરંતુ આપત્તિ અળગી થતાં અને બીમારી દૂર થતાં એ મૃત્યુને ભૂલી ગયો. જીવવા માટે જેમ શૈલી હોય છે, એમ મૃત્યુ માટે પણ શૈલી હોય છે. જીવનને સારી રીતે જીવવા માટે જેમ મૈત્રી, ઉદારતા, હકારાત્મક વલણ અને સૌજન્ય જરૂરી છે, તેમ મૃત્યુને માણવા માટે વૈરાગ્ય, નિસ્પૃહતા અને આધ્યાત્મિકતાની આવશ્યકતા છે.

જિંદગી ઊજળી રીતે જીવનાર મૃત્યુને માણી શકે છે. જિંદગી જાગ્રત રીતે જીવનાર મૃત્યુને જાગ્રતપણે સ્વીકારી શકે છે. જિંદગી અજાગ્રત રીતે ગાળનાર જીવનમાં વારંવાર મરતો રહે છે અને મૃત્યુથી ડરતો રહે છે. આથી જ કેટલાકને માટે મૃત્યુ એ મારક છે અને કેટલાકને માટે મૃત્યુ એ મહોત્સવ છે.

કુમારપાળ દેસાઈ

પહેલાં શ્રોતા બનીએ, પછી સમીક્ષક


શ્રવણ એ કલા છે. એકાગ્રતા સાધવાનો યોગ છે. લીન થવાની પ્રક્રિયા છે. શ્રોતા તરીકેનો પરમ ધર્મ છે. શ્રવણની ગરિમા ભૂલીને આપણે એને મનોરંજનનું માધ્યમ કે ટાઇમપાસનું સાધન બનાવ્યું છે. પરિણામે કાનથી સાંભળીએ છીએ ખરા, પણ ચિત્તમાં કશું પહોંચતું નથી ને આત્મા તો સાવ અસ્પૃશ્ય રહે છે.

બોલવાની કળા કરતાં સાંભળવાની કળા વધુ મુશ્કેલ અને વધુ મહત્ત્વની છે. વાણીની કલામાં વ્યક્તિની આંતરચેતનાની અભિવ્યક્તિ હોય છે, જ્યારે શ્રવણકલામાં વ્યક્તિની આંતરસ્થિતિની કસોટી હોય છે. ઘણી વાર સવાલ થાય કે સભામાં બેઠેલી વ્યક્તિ સાંભળે છે ખરી ? એના કાન ખુલ્લા હોય, પણ બેધ્યાન હોવાને કારણે એ બહેરા કાનવાળો બની જાય છે ! ક્યારેક એ સાંભળે છે ખરો, પરંતુ મનમાં એ વ્યક્તિના શબ્દો કે વિચારો પામવાનો પ્રયાસ કરવાને બદલે માત્ર એ વ્યક્તિના ગુણદોષ વિશે ચિંતન કરતો હોય છે. ઘણી વ્યક્તિઓ શ્રોતા હોતી નથી, બલકે સમીક્ષક હોય છે. એ સામી વ્યક્તિની વાતને મનમાં બરાબર ઉતારવાને બદલે એની મનોમન સમીક્ષા કરતી હોય છે. એના દોષો ખોળતી જાય છે. એ એમ કરવા જતાં ધીરે ધીરે સભાસ્થાને બેઠી હોવા છતાં પ્રવચનથી સાવ વિમુખ બની જાય છે. શ્રોતાને એક અદકો લાભ એ મળે છે કે સામી વ્યક્તિના સમગ્ર સંવિતને એના એકાદ કલાકના પ્રવચનમાં પામી શકે છે. વક્તાના કેટલાંય વર્ષોના અનુભવોનું નવનીત એને થોડા કલાકમાં મળી જાય છે. આવું હોવા છતાં બહુ ઓછી વ્યક્તિઓ પૂર્ણ રૂપે શ્રોતા બને છે. શ્રોતાધર્મ બજાવવા ઇચ્છનારે સામી વ્યક્તિના શબ્દો અને વિચારોને પૂર્ણપણે પામવાનો પ્રયાસ કરવો જોઈએ, તો જ એની વિચારસૃષ્ટિ પામવાનો પૂર્ણ લાભ પ્રાપ્ત થાય.

કુમારપાળ દેસાઈ

એ પ્રાર્થના નથી, જેમાં એકાગ્રતા નથી !


સંત કબીર રોજ સાંજે પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના સમયની એમની તન્મયતા એવી કે આસપાસની સઘળી સૃષ્ટિ ભૂલી જતા. આંતરસૃષ્ટિમાં એકલીન બની જતા. કબીરનો પ્રાર્થનાનો સમય એમના વિરોધીઓ માટે પરેશાની કરવાનો ઉત્તમ સમય હતો. આ વિરોધીઓ એકત્રિત થઈને સંત કબીર અને એમના શિષ્યો સામે મોટેથી આક્ષેપો કરતા અને અપશબ્દો બોલતા, શોરબકોર અને ઠઠ્ઠામશ્કરી કરતા અને તાકીને કાંકરા પણ મારતા. વળી નજીક ઊભા રહીને જોરશોરથી ઢોલનગારાં પીટતા હતા. સંત કબીરની આંખો બંધ, અંતર પ્રાર્થનામાં ડૂબેલું અને ચિત્ત એકાગ્ર બનીને ભક્તિમાં રમમાણ હોવાથી એમને આવી ખલેલથી કોઈ પરેશાની થતી નહીં, પરંતુ એમના અનુયાયીઓ આવી હરકતોથી હેરાનપરેશાન થઈ ગયા હતા. એક વાર આવા વિરોધીઓએ મર્યાદૃા વટાવી દીધી. પ્રાર્થના સમયે સંત કબીર પર બેફામ આક્ષેપો કર્યા, મોટેથી બૂમબરાડા પાડ્યા, જોરશોરથી ઢોલ વગાડ્યાં. આ બધું જોઈને અનુયાયીઓની ધીરજ ખૂટી ગઈ. પ્રાર્થના તો જેમતેમ પૂરી કરી, પણ તત્કાળ સંત કબીરને કહ્યું, ‘ગુરુજી, હવે તો હદ થઈ ગઈ છે. દરેક વસ્તુને એની મર્યાદા હોય. આમ ક્યાં સુધી સહન કરીશું ?’

સંત કબીરે કહ્યું, ‘કેમ, શું થયું ? શા માટે આટલા બધા અકળાઈ ગયા છો ?’

શિષ્યો કહે, ‘આ તમારા વિશે આવું કહે તે અમારાથી સહ્યું જતું નથી. ક્યાં સુધી આ બધું સાંખી લઈશું ? અમારે આ બધાનો વળતો જવાબ આપવો છે.’

સંત કબીરે કહ્યું, ‘શેનો વળતો જવાબ ? શું થયું છે ?’

શિષ્યોએ કહ્યું, ‘જુઓને, આ લોકો પ્રાર્થનામાં કેટલી બધી ખલેલ પાડે છે. હવે એમને ખોખરા કરવા પડશે.’

કબીરે પૂછ્યું, ‘શું આપણી પ્રાર્થના વખતે અવાજો થાય છે ? ખલેલ પાડે છે ? તમને તે સંભળાય છે ? ક્યારે આ બધું થાય છે ?’

શિષ્યોએ કહ્યું, ‘ગુરુજી ! આવું બધું આપણી પ્રાર્થનાના સમયે થાય છે.’

સંત કબીરે કહ્યું, ‘પ્રાર્થનાના સમયે આ થાય જ કઈ રીતે ?  જો તમે સાચા દિલથી પ્રાર્થના કરતા હો તો તમને આ અવાજો સંભળાય કઈ રીતે ? એ પ્રાર્થના નથી, જેમાં એકાગ્રતા નથી.’ પ્રાર્થના એ આત્માનું પરમાત્મા સાથે અનુસંધાન છે. જ્યારે આ અનુસંધાન સધાય, ત્યારે ભક્ત અને ભગવાનનું અદ્વૈત રચાય. આવા અદ્વૈત વખતે આસપાસની સૃષ્ટિના આઘાત-પ્રત્યાઘાતો સંભળાતા નથી. માનવી એ વખતે પોતાની આંતરસૃષ્ટિના આનંદમાં લયલીન થઈ જતો હોય છે, બહારનું સઘળું લુપ્ત થઈ જતું હોય છે. બાહ્ય ઇચ્છાઓ, એષણાઓ, યાચનાઓ સર્વથા આથમી જાય, ત્યારે હૃદયમાંથી પ્રાર્થનાનો સૂર પ્રગટ થતો નથી. ભીતર પ્રભુભક્તિમાં લીન થાય, તો જ ઈશ્વર સાથે એનો તંતુ સંધાય. ત્યારે જ એ પ્રાર્થના ઈશ્વરને સંભળાય.

કુમારપાળ દેસાઈ