Categories
વાચન સમૃદ્ધિ

આદર્શ માનવીનું પૉર્ટ્રેટ

નિશાળની શિક્ષિકા લિન્ડા બિરટિશ વિદ્યાર્થીઓમાં પુષ્કળ ચાહના ધરાવતી હતી. અઠ્ઠાવીસ વર્ષની લિન્ડા બિરટિશને એકાએક માથામાં સખત દુ:ખાવો ઊપડ્યો. લાંબા પરીક્ષણને અંતે ડૉક્ટરોએ એના મગજમાં ઘણી ટ્યૂમર હોવાનું નિદાન કર્યું. સાથોસાથ એમ પણ કહ્યું કે એનું ઑપરેશન કરવું મુશ્કેલ છે. ઑપરેશનમાં બચવાની આશા માત્ર બે ટકા જ છે, આથી છ મહિના સુધી રાહ જોવાનું નક્કી કર્યું. આ છ મહિના દરમિયાન લિન્ડા અતિ ઉત્સાહથી આનંદભેર કાવ્યરચના કરતી હતી અને મનગમતા વિષય પર ચિત્રો દોરતી હતી. એના વિપુલ સર્જનમાંથી માત્ર એક જ કવિતા સામયિકમાં પ્રગટ થઈ અને એનું માત્ર એક જ ચિત્ર આર્ટ ગૅલરીમાં વેચાયું, પણ તેથી શું ? લિન્ડાની સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી ગઈ. કૅન્સર ફેલાવા લાગ્યું. આખરે ઑપરેશન કરવાનું નક્કી કર્યું. ઑપરેશન પૂર્વે લિન્ડાએ પોતાના વસિયતનામામાં દેહદાન કરવું તેમ લખ્યું. કમનસીબે લિન્ડાનું ઑપરેશન નિષ્ફળ ગયું અને એ મૃત્યુ પામી. લિન્ડાની આંખો એક અઠ્ઠાવીસ વર્ષના અંધ યુવાનને મળી. એ યુવાનના જીવનમાં અજવાળું ફેલાયું. પોતાને રોશની આપનાર વ્યક્તિનાં કુટુંબીજનોનો આભાર માનવા માટે આઈ બૅંકમાંથી સરનામું મેળવીને એ યુવાન લિન્ડાના ઘેર પહોંચ્યો. એણે ‘સગી’ આંખે જોયું તો મૃત લિન્ડા પ્લૅટોનાં પુસ્તકો વાંચતી હતી. એણે પણ બ્રેઇલમાં પ્લૅટોનાં પુસ્તકો વાંચ્યાં હતાં. લિન્ડા હેગલ વાંચતી હતી. એણે પણ બ્રેઇલ લિપિમાં હેગલ વાંચ્યો હતો. લિન્ડાની માતાએ આ યુવકને જોઈને કહ્યું કે તમને ક્યાંક જોયા હોય તેવું લાગે છે. ક્યાં જોયા હશે, તે અંગે ખૂબ વિચાર કર્યો. એકાએક યાદ આવ્યું. લિન્ડાનાં માતા એકાએક દાદર ચડીને લિન્ડાના ખંડમાં ગયાં અને લિન્ડાએ દોરેલું આદર્શ માનવીનું પૉર્ટ્રેટ લઈ આવ્યાં. આ પૉર્ટ્રેટ બરાબર જેને લિન્ડાની આંખ મળી હતી તે યુવાનના જેવું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

બધા દિવસો સુંદર

પશ્ચિમ ઓન્ટારિયોની બાળકોની હૉસ્પિટલમાં દુ:ખી પેટી મેરિટ પોતાની છ વર્ષની પુત્રી કેલીની હાર્ટસર્જરી માટે પુનઃ આવી હતી. એની નાનકડી પુત્રી પર અગાઉ એક વાર તો ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. તાજેતરમાં બીજી વાર આવી ઓપન હાર્ટ સર્જરી કરી હતી. છ વર્ષની કેલીને ઇન્સેન્ટિવ કેર યુનિટમાંથી બહાર લાવવામાં આવી અને બાજુના ભાગની મરામત ચાલતી હોવાથી એને કૅન્સરના દર્દીઓ માટે આરક્ષિત એવા વિભાગમાં રાખવામાં આવી. છ વર્ષની કેલીની બાજુની જ રૂમમાં છ વર્ષનો એડમ હતો. આ એડમ લ્યુકેમિયા સામે જંગ ખેલતો હતો. એડમ કેમોથૅરપીની સારવાર લેતો હતો. આ સારવાર અત્યંત પીડાકારી હોવા છતાં એડમનો આનંદ સહેજે ઓછો થતો નહીં. રોજ કૅન્સરનો દર્દી એડમ કેલીના રૂમમાં આવતો. એની સાથે એની કેમોથૅરપી લેવા માટેની બૅગ પણ હોય. પારાવાર વેદના થતી હોવા છતાં એડમ હંમેશાં હસતો અને આનંદ કરતો જોવા મળતો. કેલીના રૂમમાં આવીને એડમ કલાકો સુધી જાતજાતની વાતો કરતો, મસ્તી-મજાક કરતો. પેટી મેરિટ અને એમની પુત્રી કેલી એમાં સામેલ થતાં. લાંબા વખતથી પુત્રીની સારવાર માટે રહેતી હોવાથી પેટી મેરિટને એક દિવસ ખૂબ કંટાળો આવ્યો હતો. બહારનું કાળું વાદળછાયું વરસાદી આકાશ એની ગમગીનીમાં ઉમેરો કરતું હતું. બારીએ ઊભી રહી દુ:ખી અને ઉદાસ મેરિટ આકાશમાં વાદળોને જોતી હતી, એવામાં રોજના નિયમ મુજબ એડમ આવ્યો. પેટી મેરિટે કહ્યું, ‘‘એડમ ! કેવો ગમગીન દિવસ છે ! આજે હું ખૂબ દુ:ખી મૂડમાં છું. વળી આવું વાતાવરણ મારા દુ:ખમાં વધારો કરે છે.’’ એડમે પેટી મેરિટને કહ્યું, ‘મારે માટે તો બધા જ દિવસ સુંદર હોય છે.’ છ વર્ષના એડમના હિંમતવાન એ શબ્દોએ પેટી મેરિટની નિરાશા દૂર કરી. આજે અત્યંત ગમગીનીભર્યો દિવસ હોય, ત્યારે પણ લ્યુકેમિયાના દર્દી એડમના એ શબ્દો પેટી મેરિટને દુ:ખનો ભાર ખંખેરીને ઉત્સાહભેર જીવવાનું બળ આપે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સૌથી મહત્ત્વની સંપત્તિ

ઈ. સ. 1936માં અમેરિકાના ઉદ્યોગપતિ ચાર્લ્સ સ્ક્વૈબે એક વ્યક્તિની સલાહકાર તરીકે નિમણૂક કરી. એને મહિનાના પચીસ હજાર ડૉલરનો પગાર આપવાનું નક્કી કર્યું. માત્ર સલાહ આપવા માટે કંઈ આટલો મોટો પગાર હોય ખરો ? પરંતુ આ કરોડાધિપતિ માનતો હતો કે જીવનમાં એક સલાહ અનેક સમસ્યાઓને ઉકેલી આપે છે. કોઈ અનુભવી આ મૂંઝવણનું મૂળ કારણ શોધીને સતત પજવતી સમસ્યાઓ રાતોરાત દૂર કરી દે છે. અમેરિકન કરોડાધિપતિ ચાર્લ્સ સ્ક્વૈબે ઊંચા પગારે નીમેલા સલાહકારને પૂછ્યું, ‘‘જીવનમાં સહુથી અમૂલ્ય સંપત્તિ કઈ છે ? જે સંપત્તિ એક વાર ગુમાવીએ તો ફરી મળતી નથી. ગયેલું ધન પાછું મેળવી શકાય છે, કથળેલું સ્વાસ્થ્ય પુન: સંપાદિત થાય છે, પરંતુ જીવનમાં ફરી પ્રાપ્ત ન થતી એવી અમૂલ્ય સંપત્તિ કઈ ? એ જાણવામાં આવે તો એના ઉપયોગ અંગે પૂરી સાવધાની રખાય.’’ સલાહકારે કરોડપતિને કહ્યું, ‘‘જીવનમાં સૌથી મહત્ત્વની સંપત્તિ તે સમયનો યોગ્ય ઉપયોગ છે. આના માટે રોજ પ્રભાતે કામોની યાદી બનાવવી જોઈએ. એમાંથી જે અત્યંત મહત્ત્વનાં કામો હોય તેને તેના મહત્ત્વ પ્રમાણે ક્રમસર ગોઠવવાં જોઈએ અને તે પછી બીજાં સામાન્ય કામોની નોંધ કરવી જોઈએ. એ મહત્ત્વનાં કાર્યો પહેલાં ક્રમસર પૂર્ણ કરવાં જોઈએ. આમ કરનાર વ્યક્તિ જ સમયનો યોગ્ય ઉપયોગ કરી શકે છે.’’ કરોડપતિને સવાલ જાગ્યો કે આવી અગ્રતાક્રમે યાદી બનાવવાનો અર્થ શો ? ત્યારે એને સમજાયું કે સિત્તેર વર્ષ જીવતો માનવી પચીસ વર્ષ નિદ્રામાં, આઠ વર્ષ અભ્યાસમાં, સાત વર્ષ વૅકેશન અને મોજમસ્તીમાં, છ વર્ષ આરામ અને બીમારીમાં, પાંચ વર્ષ રોજના વાહનવ્યવહારમાં, ચાર વર્ષ ભોજનમાં અને ત્રણ વર્ષ સામાન્ય કામકાજમાં પસાર કરી દે છે. આથી મહત્ત્વનું કાર્ય કરવા માટે વ્યક્તિ પાસે માત્ર બાર જ વર્ષ હોય છે. માટે વ્યક્તિએ પોતાનાં કામોના ક્રમને યોગ્ય રીતે ગોઠવવા જોઈએ.