Categories
વાચન સમૃદ્ધિ

ભસ્મ કરી નાખો, તોપણ

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન (ઈ. સ. 1809 થી ઈ. સ. 1865) જ્યારે અમેરિકાના ઈલિનોય રાજ્યના ધારાસભ્ય હતા, તે સમયે એક મોટો વિવાદ જાગ્યો. એ સમયે ઈલિનોય રાજ્યની રાજધાની વેન્ડેલિયા હતી. તેને સ્પ્રિંગફિલ્ડ શહેરમાં લઈ જવા માટેનું બિલ ધારાસભામાં રજૂ થવાનું હતું. સ્પ્રિંગફિલ્ડ શહેર અત્યંત વિકાસ પામતું વેપાર-રોજગારનું મોટું મથક હોવાથી ઈલિનોય રાજ્યની રાજધાની બનવા માટે યોગ્ય હતું; પરંતુ બીજા ધારાસભ્યો પોતપોતાની કાઉન્ટીના શહેરમાં રાજધાની ખસેડવાનો આગ્રહ રાખતા હતા. આ સમયે અબ્રાહમ લિંકને બીજી કાઉન્ટીના ધારાસભ્યો જોડે મૈત્રીભરી ચર્ચા-વિચારણા કરી અને સ્પ્રિંગફિલ્ડના રાજધાની બનાવવા માટેનું બિલ પસાર કરવામાં એમને ટેકો આપવાનું કહ્યું. આવો ટેકો આપવાની સામે કેટલાક ધારાસભ્યોએ લિંકન પાસેથી અમુક બાબતમાં એમના જૂથના ધારાસભ્યોના મતની માગણી કરી. મત મેળવવા માટે કોઈ સોદો કરવો, એ તો લિંકનના સિદ્ધાંતથી તદ્દન વિરોધી વાત હતી, તેથી એમણે પેલા સભ્યોને આવી શરતી મદદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. આવી સ્થિતિ હોવા છતાં લિંકનના જૂથના મતો ખરીદવા ઇચ્છતા સભ્યોએ મંત્રણા ચાલુ રાખી અને વિચાર્યું કે આખરે લિંકનને થાકીને હા પાડવી પડશે. મંત્રણા સવાર સુધી ચાલી, પણ લિંકને પોતાના જૂથના મતનો સોદો કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરતાં કહ્યું, ‘તમે મારા શરીરને બાળીને ભસ્મ કરી નાખો અથવા તો નરકની યાતના સહેવા માટે મારા આત્માને અંધકારમય અને નિરાશામય નરકાગારમાં નાખો; પરંતુ હું જેને અન્યાયી અને ગેરવાજબી માનતો હોઉં એવાં કોઈ પણ પગલાંમાં મારો ટેકો તમે કદી પણ મેળવી શકશો નહીં.’ લિંકનની ભારે જહેમતને અંતે સ્પ્રિંગફિલ્ડને ઈલિનોય રાજ્યની રાજધાની બનાવવાનો કાયદો પસાર થયો અને લોકોએ એમના નિષ્ઠાવાન નેતા અબ્રાહમ લિંકનનો જાહેરમાં સત્કાર કર્યો.

Categories
વાચન સમૃદ્ધિ

નકલ એટલે નિષ્ફળતા

સૅમ વૂડ તરીકે જાણીતા સેમ્યુઅલ ગ્રોસવેનૉર વૂડે (ઈ. સ. 1883 થી ઈ. સ. 1949) પોતાની વ્યવસાયી કારકિર્દીનો પ્રારંભ રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે કર્યો. પોતાના આ વ્યવસાય માટે એ ઘણા સેલ્સમૅનો રાખતા હતા અને તેઓને તદ્દન નવીન અભિગમ અપનાવીને ગ્રાહકોને કઈ રીતે આકર્ષી શકાય, તે શીખવતા હતા. જ્યારે આ વ્યવસાયમાં બીજા લોકો ચીલાચાલુ ઢબે કામ કરતા હતા, ત્યારે સેમ વૂડે પોતાના સેલ્સમૅનોને કહ્યું કે ‘‘તમે એમની માફક પોપટની જેમ નકલ કરશો, તો એનાથી તમને ક્યારેય સફળતા મળશે નહીં. તમારી પાસે તમારી પોતાની આગવી રીત હોવી જોઈએ અને એ રીતથી તમારે તમારા ગ્રાહકોને પ્રભાવિત કરવા જોઈએ.’’ સૅમ વૂડ આ વ્યવસાયમાં ખૂબ સફળ થયા અને એ પછી એમણે અમેરિકન ફિલ્મમાં દિગ્દર્શક તરીકેની કામગીરી સ્વીકારી અને પ્રારંભમાં ‘પૅરેમાઉન્ટ પિક્ચર્સ’ નામની કંપનીની કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. ફિલ્મના દિગ્દર્શનમાં એમણે રિયલ એસ્ટેટ બ્રોકર તરીકેના પોતાના કસબને નવી રીતે ઢાળ્યો. એમાં પણ એમણે બીજાની નકલ કરવાને બદલે પોતાની આગવી રીતે ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. દર્શકોને કઈ રીતે આકર્ષી શકાય, એને માટે કેટલાય મૌલિક વિચારો કર્યા. એ સ્પષ્ટપણે કહેતા, ‘‘તમે નકલ કરીને ક્યાંય અને ક્યારેય સફળ થઈ શકવાના નથી. તમારે તમારો પોતાનો કસબ બતાવવો જોઈએ અને તો જ લોકો તમને સ્વીકારશે.’’ વળી એ સારી પેઠે જાણતા હતા કે લોકોને પણ કશુંક નવું જોઈએ છે અને ફિલ્મના માધ્યમ દ્વારા થતું મૌલિક આલેખન જોઈને દર્શકો સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. આનું પરિણામ એ આવ્યું કે સેમ વૂડે દિગ્દર્શિત કરેલી ઘણી ફિલ્મો હૉલિવૂડની ‘હીટ ફિલ્મો’ બની અને તે એકૅડેમી ઍવૉર્ડ માટે પણ નામાંકિત થઈ. ‘ફોર હૂમ ધ બેલ ટોલ્સ’, ‘એ નાઇટ ઓફ ધ ઓપેરા’, ‘ગૂડબાય મિ. ચિપ્સ’ અને ‘ધ પ્રાઇડ ઑફ ધ યાન્કી’ જેવી ફિલ્મોએ દિગ્દર્શક તરીકે સેમ વૂડને વૈશ્વિક નામના અપાવી.

Categories
વાચન સમૃદ્ધિ

સર્જકની ખુદવફાઈ

ખલિલ જિબ્રાને (1883થી 1931) એમનાં ચિંતનાત્મક લખાણોથી, ઉત્તમ કોટિના વિચારસૌંદર્યથી અને શબ્દથી વર્ણવી શકાય નહીં તેવા ભાવોને ચિત્રકલાના માધ્યમથી પ્રગટ કરવાની એમની શક્તિના લીધે સર્વત્ર ખ્યાતિ પ્રાપ્ત કરી. અંગ્રેજી અને અરબી બંને ભાષામાં લખાયેલાં એમનાં પુસ્તકો વિશ્વસાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન પામ્યાં. ખલિલ જિબ્રાન સરળ કિંતુ ભાવનાપ્રધાન જીવન જીવ્યા. આ કવિ-ચિત્રકારને જગતના વ્યવહારની બાબતમાં ઝાઝી સૂઝ પડતી નહીં. એક વાર બે સ્ત્રીઓએ જમીનની બાબતમાં ખલિલ જિબ્રાનની સાથે મોટી છેતરપિંડી કરી. કવિનું દિલ ગુસ્સાથી ધૂંધવાઈ ગયું અને મનોમન નક્કી કર્યું કે આ બંનેને અદાલતના પાંજરામાં ઊભા રાખીને જ જંપીશ. ન્યાયમૂર્તિ એમને સખત સજા કરે તો જ મારા ઘવાયેલા હૃદયને શાતા વળશે. આ બે સ્ત્રીઓએ પ્રપંચપૂર્ણ વ્યવહાર કરીને જિબ્રાનને આર્થિક રીતે સાવ મુફલિસ બનાવી દીધો હતો. આમાંની એક સ્ત્રી જિબ્રાનની પાસે એનું પુસ્તક ‘ધ પ્રોફેટ’ લઈને આવી અને સવાલ કર્યો, ‘‘તમે અમને અદાલતમાં સજા અપાવવા માંગો છો તે કેટલે અંશે યોગ્ય ગણાય ? ‘પ્રોફેટ’ પુસ્તકમાં તમે આલેખેલા ઉત્કૃષ્ટ વિચારો અને વ્યાપક ભાવનાઓનું શું ? જીવનનું આવું ઉત્કૃષ્ટ ચિંતન તમે લખ્યું છે તે તમને લાગુ પડે કે નહીં ?’’ ખલિલ જિબ્રાને કહ્યું, ‘‘વાત વિચારવા જેવી છે. હું તમને અદાલતમાં ઊભા કરીને મારા પુસ્તક સાથે બેવફાઈ તો કરતો નથી ને ? જીવનની ક્ષણિક ભ્રમણા સમાન સંપત્તિને ખાતર હું મારા જ શબ્દોની મારે હાથે હત્યા નહીં કરું ?’’ ખલિલ જિબ્રાનને ‘પ્રોફેટ’ની પ્રસ્તાવના યાદ આવી. એમાં એમણે લખ્યું હતું, ‘‘હું જ્યારે ‘પ્રોફેટ’ લખી રહ્યો હતો, ત્યારે એ પુસ્તક મને લખી રહ્યું હતું.’’ શું આ શબ્દો માત્ર આડંબરયુક્ત હતા ? ખલિલ જિબ્રાને પોતાના શબ્દગૌરવને ખાતર અદાલતનાં બારણાં ખખડાવવાને બદલે હાનિ સહન કરવાનું નક્કી કર્યું તેમ જ બંને સ્ત્રીઓએ કરેલા અન્યાયને ભૂલીને એમને ક્ષમા આપી.