Categories
વાચન સમૃદ્ધિ

આપણા મનની ગ્રંથિથી વ્યક્તિને બાંધીએ નહીં

કોઈ વ્યક્તિને મળીએ ત્યારે આપણે એને એક નિશ્ચિત છાપ સાથે મળતા હોઈએ છીએ. આ માણસ કુટિલ અને કાવતરાબાજ છે અથવા તો આ વ્યક્તિ તરંગી અને ધૂની છે એવી એક ચોક્કસ છાપ સાથે બીજાને મળતા હોઈએ છીએ. આને દુનિયાદારીનું લેશમાત્ર ભાન નથી કે પછી આ માણસ જેવો ઘમંડી બીજો કોઈ નથી, એમ એને જોતાં જ આપણું ચિત્ત ગાંઠ વાળીને બેસી જાય છે. પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિત્વ વિશે આપણે આવી મનની ગાંઠ ધરાવીએ છીએ, પરંતુ આમ કરવા જતાં એ વ્યક્તિના વ્યક્તિત્વનાં ઘણાં પાસાં ચૂકી જઈએ છીએ. આપણા મનમાં એને વિશેની છાપ પ્રમાણે એની વાત સંભાળીએ છીએ અને એ વાતનું પૃથક્કરણ કરીને અંતે આપણી છાપ અનુસાર એને ઘાટ આપીને સ્વીકારીએ છીએ. એ ગમે તે કહેશે, પરંતુ આપણે એને વિશેના આપણા નિશ્ચિત ઢાંચાથી જ સાંભળીશું. પરિણામે આપણે એની વાતને પૂરેપૂરી સમજી શકતા નથી. એના વ્યક્તિત્વને પામી શકતા નથી અને આપણી ‘લેબલ’વાળી અધૂરી સમજથી એને યોગ્ય રીતે નાણી શકતા નથી. ઘણી વાર આપણે એમ માનીએ છીએ કે અમે આવી વ્યક્તિઓ વિશે કોઈ નિશ્ચિત છાપ ધરાવતા નથી, પણ હકીકતમાં આવી છાપ આપણા મનમાં હોય છે અને એ સતત આપણા વ્યવહારમાં આડે આવતી હોય છે. વ્યક્તિને યોગ્ય સંદર્ભમાં જાણવા માટે કશાય પૂર્વગ્રહ વિનાના શ્રોતા બનવું જરૂરી છે. વ્યક્તિને સમજવા પ્રયાસ કરીએ તો જ એના વ્યક્તિત્વને પામી શકીએ. વ્યક્તિને પહેલાં એની આંખે જોઈએ પછી આપણી આંખે જોવાનો પ્રયાસ કરીએ. પૂર્વગ્રહ કે પૂર્વધારણાઓનાં ચશ્માં પહેરીને વ્યક્તિને જોવા જઈએ તો ઘણી મોટી થાપ ખાઈ જઈએ તેવો સંભવ છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઈર્ષા પરાજિત થઈ

સમગ્ર યુરોપમાં પ્રસિદ્ધ એવા માઇકલૅન્જેલોની ખ્યાતિ સાંભળીને એક ચિત્રકાર સતત બેચેન રહેતો હતો. ઍન્જેલોની લોકપ્રિયતા જેમ જેમ વધતી જતી, તેમ તેમ આ ચિત્રકારનો એના પ્રત્યેનો દ્વેષ વૃદ્ધિ પામતો. એ વિચારતો કે લોકો સમજ્યા વિના માઇકલૅન્જેલોની ચિત્રકલાનાં વખાણ કરે છે. જો એ સાચા કલાપારખુ હોય, તો એમને માઇકલૅન્જેલોનાં ચિત્રોમાં ઘણી ગંભીર ક્ષતિઓ જોવા મળે.

એક દિવસ આ ચિત્રકારે વિચાર્યું કે એક એવું ચિત્ર બનાવું કે જેથી લોકો માઇકલૅન્જેલોને ભૂલી જાય અને સમગ્ર યુરોપમાં કલાકાર તરીકે મારી નામના થાય. એણે સુંદર યુવતીનું ચિત્ર બનાવવાનું શરુ કર્યું અને માઇકલૅન્જેલોને માત કરવાની ધૂન સાથે કામ કરવા લાગ્યો. ચિત્ર પૂર્ણ થયું. ચિત્રકારે એ જોયું, પણ એને એમ લાગ્યું કે આમાં કંઈક ખામી છે ! યુવતીના સૌંદર્યના અનુભવમાં કશુંક ખૂટે કે ખટકે છે. ઘણો વિચાર કર્યો, પરંતુ પોતાના ચિત્રની ક્ષતિ એ જાતે ખોળી શક્યો નહીં.

એવામાં એક કલાપ્રેમી આ બાજુથી પસાર થતો હતો. એ આ ચિત્રકાર પાસે આવ્યો. આ ચિત્રકારે માઇકલૅન્જેલોને અગાઉ ક્યારેય જોયો નહોતો, તેથી એણે વિચાર્યું કે આ કલાપ્રેમીની સલાહ લઉં, કદાચ  પોતાની ભૂલની ભાળ મળે. એણે એ કલાપ્રેમીને વાત કરી, ત્યારે એણે હાથમાં પીંછી લીધી અને યુવતીની બંને આંખોમાં કાળું ટપકું કર્યું. આંખની કીકી લાગતાં જ ચિત્ર સજીવ થઈ ગયું. એટલે પેલા ચિત્રકારે ઍન્જેલોને કહ્યું, ‘તમારો ખૂબ આભાર. તમે સોનામાં સુગંધ ભેળવી આપી. તમે છો કોણ ?’

એણે કહ્યું, ‘મારું નામ માઇકલૅન્જેલો છે.’

આ સાંભળી ચિત્રકાર હેરાન-પરેશાન થઈ ગયો. એ બોલ્યો, ‘ભાઈ, મને ક્ષમા કરો. તમારી કીર્તિ અને કલા પ્રત્યેની ઈર્ષ્યાથી તમને પરાજિત કરવા માટે હું આ ચિત્ર દોરતો હતો, પરંતુ આજે તમારી કલાદૃષ્ટિ અને સૌજન્ય જોઈને ખરેખર શરિંમદો બન્યો છું.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કુતૂહલ એ દરિયાનાં મોજાં જેવું હોય છે !

મોટા ભાગની વ્યક્તિઓ માત્ર કુતૂહલથી જીવતી હોય છે. એમના ચિત્તમાં સતત એક પછી એક કુતૂહલ ઊગતાં હોય છે. એમને કુતૂહલ જાગે કે અમુક રાજકીય ઘટના પાછળ કયું પરિબળ કામ કરે છે અને એનો ઉત્તર મળતાં એમની રાજકીય જિજ્ઞાસાનું શમન થઈ જશે. કોઈના મનમાં વિચાર જાગે કે વ્યક્તિના જીવનમાં કયા ગુણો હોય તો એ આત્મસાક્ષાત્કાર કરી શકે છે. એ ગુણોની માહિતી પ્રાપ્ત કરશે અને ત્યાં જ એનું કુતૂહલ સમાપ્ત થઈ જશે. એનો હેતુ પોતાનું કુતૂહલ સંતોષવાનો છે, પરમપ્રાપ્તિનો નહીં. આવી રીતે કોઈના મનમાં સવાલ જાગે કે પરમાત્મા ક્યાં છે ? અને એ કોઈ જ્ઞાની કે સંતને આનો ઉત્તર પૂછશે અને પ્રત્યુત્તર મળતાં એને મનમાં બરાબર ગોઠવીને એનું કુતૂહલ શાંત થઈ જશે. આ રીતે કુતૂહલ માત્ર મનનો એક તરંગ છે. મનમાં જાગેલો એક સવાલ હોય છે, જે ઉત્તર મળતાં સંતોષ પામે છે. આવું કુતૂહલથી ભરેલું મન સપાટી પર વિહાર કરતું હોય છે. એ ક્યારેય વિષયની ભીતરમાં જઈ શકતું નથી. આવાં કુતૂહલો એ જ ઘણાં માણસોની વિચારધારાનો મુખ્ય પ્રવાહ હોય છે. એમના મનમાં એક પછી એક કુતૂહલ જાગતાં રહે છે અને એ રીતે કુતૂહલ વારે વારે પ્રગટ કરીને જીવતા રહે છે. માહિતીના આ યુગમાં માણસ મનમાં કુતૂહલનો ખડકલો લઈને જીવે છે. એના ચિત્તમાં પારાવાર પ્રશ્નો પડ્યા છે, પ્રશ્નોના ઉત્તરોની ખોજ છે, પણ ત્યાં જ એના કુતૂહલનું પૂર્ણવિરામ છે. કુતૂહલ પાસે વિચારનો ઝબકારો છે, ઝબકારાની માફક એ ક્ષણમાં વિલીન થઈ જાય છે પછી કુતૂહલનો કોઈ અર્થ રહેતો નથી. કુતૂહલ વ્યર્થ છે કે સાર્થક છે એનો વિચાર જરૂરી છે, નહીં તો આખી જિંદગી કુતૂહલોની પરંપરામાં વેડફાઈ જશે.

કુમારપાળ દેસાઈ