Categories
વાચન સમૃદ્ધિ

સામે ચાલીને થતી આત્મહત્યા

માણસ કેવી ભિન્ન પ્રકારની આત્મહત્યા કરી રહ્યો છે ? આ એવી આત્મહત્યા છે કે જ્યાં માણસ સાતમા માળેથી નીચે ઝંપલાવતો નથી કે ગળે ફાંસો દઈને યા ઝેર પીને જીવન ટૂંકાવતો નથી. માણસ પોતે પોતાની આત્મહત્યા કરતો હોય છે અને એ આત્મહત્યા છે એના ભીતરમાં રહેલા શક્તિસામર્થ્યની. મનુષ્ય અપાર શક્તિનો ખજાનો છે, પરંતુ એ ખજાનાનો એ સદ્વ્યય કરે છે કે દુર્વ્યય કરે છે એ જોવું જરૂરી છે. એની પાસે વિચારની શક્તિ છે, પરંતુ એનો ઉપયોગ ખોટા, મલિન અને અનૈતિક વિચારોમાં કરતો હોય છે. એની પાસે ધારદાર તર્કની તાકાત છે, પરંતુ એ તર્કનો ઉપયોગ પોતાની જાતને પ્રગતિને પંથે લઈ જવાને બદલે બીજાની વાતના અવરોધ માટે કરે છે. એની પાસે અદભુત એવી કલ્પનાશક્તિ છે, પરંતુ એ માત્ર શેખચલ્લીનાં સ્વપ્નાંમાં એને ખર્ચતો હોય છે. એની શક્તિના ખજાનામાં તીક્ષ્ણ બુદ્ધિ છે, પરંતુ એ બુદ્ધિનો ઉપયોગ વાદ-વિવાદ કે ચર્ચામાં કરતો હોય છે. એની પાસે દૃઢ સિદ્ધાંત કે મૂલ્યનિષ્ઠા હોય છે, પરંતુ એ દૃઢ સિદ્ધાંતને જડ-સિદ્ધાંતમાં ફેરવી નાખે છે અને મૂલ્યનિષ્ઠાને અંધ માન્યતામાં પલટી નાખે છે. એ વસવસો કરે છે કે જમાનો કેવો બદલાઈ ગયો છે ! પણ હકીકતમાં તો એને બદલાવાનું હોય છે. કાળ અને સ્થળ પ્રમાણે વ્યક્તિએ એના વિચારને બદલવા પડે છે, પરંતુ બને છે એવું કે વ્યક્તિ પોતાની શક્તિ પોતાના જડ વિચારો, અંધ માન્યતાઓ અને મરી પરવારેલાં મૂલ્યોને જાળવવા માટે વાપરે છે અને એ રીતે પોતાની શક્તિની સામે ચાલીને આત્મહત્યા કરે છે. આંતરસમૃદ્ધિની આવી આત્મહત્યા માનવ-દરિદ્રતામાં વૃદ્ધિ કરે છે.

Categories
વાચન સમૃદ્ધિ

હું કોણ છું ?

ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ લેખક, ઇતિહાસકાર અને ચિંતક ટૉમસ કાર્લાઇલ એંસી વર્ષના થયા. ઓગણીસમી સદીના યુગસમસ્તના આત્માને આંદોલિત કરનાર કાર્લાઇલને એકાએક અહેસાસ થયો કે એમનું આખું શરીર સાવ પલટાઈ ગયું છે. આ શું થયું ? ચહેરો નિસ્તેજ, આંખો ઊંડી ઊતરી ગયેલી અને ગાલ પર પાર વિનાની કરચલીઓ ! સ્નાનગૃહમાંથી બહાર નીકળીને એ પોતાના શરીરને લૂછવા લાગ્યા, તો એમ જણાયું કે જે શરીરને એ વર્ષોથી જાણતા હતા, એ શરીરને બદલે કોઈ બીજું જ શરીર પોતે લૂછી રહ્યા છે. કાર્લાઇલ વિચારમાં પડ્યા કે જે કાયા સાથે વર્ષોથી માયા બંધાણી હતી, એ મનમોહક કાયા ક્યાં ગઈ ! જે શરીર માટે પોતે ગર્વ ધારણ કરતા હતા, એ શરીર એકાએક ક્યાં અલોપ થઈ ગયું? જે દેહની સુંદરતા જાળવવા માટે એમણે કેટલોય સમય ગાળ્યો હતો, તે દેહ ક્યાંય દેખાતો ન હતો. કાર્લાઇલ પરેશાન થઈ ગયા. યુવાની વીતી ગઈ. દેહને પણ ઘડપણ આવ્યું અને હવે તો એથીય વધુ, દેહ સાવ જર્જરિત બની ગયો. કાર્લાઇલ બેચેન બન્યા. આ તે કેવું ! જે દેહને પોતે અભિન્ન માનતા હતા, તે દેહ બદલાઈ ગયો અને પોતે તો હતા એવા ને એવા જ રહ્યા ! કાર્લાઇલના વિસ્મયનો પાર ન રહ્યો. પોતે છે પણ પેલું શરીર ક્યાં ? ધીરે ધીરે ગહન ચિંતનમાં ડૂબતા કાર્લાઇલના મનમાં એકાએક ચમકારો થયો. એમણે પોતાની જાતને પૂછ્યું : ‘અરે ! ત્યારે હું કોણ છું ?’

Categories
વાચન સમૃદ્ધિ

સંવેદનામાં સંભળાય છે સર્જક-આત્માનો અવાજ

સાહિત્યકાર પાસે સંવેદનાની મૂડી હોય છે. એ પોતાની સંવેદનાને શબ્દનો આકાર આપતો હોય છે, એણે સંવેદનાને ઉચિત રીતે જાળવવી પડે છે. પરંતુ જો યોગ્ય માવજત કરે નહીં, તો એની સંવેદના કે એનું સત્ય વ્યાપક નહીં બને, પણ અન્યને વાગનારું બનશે. પ્રત્યેક માનવી પાસે સંવેદનાની મૂડી હોય છે, પરંતુ સાહિત્યકાર પાસે એને શબ્દરૂપ આપવાની શક્તિ હોય છે. પણ એ પોતાની સંવેદનાને અંગત સ્વાર્થ સાથે જોડી દેશે તો એ સંવેદના અહંકારવૃત્તિ બની જશે. આથી જ સાહિત્યકારે સમાજ વચ્ચે જીવવાની જરૂર એ માટે છે કે એ અન્યનાં સુખ-દુ:ખ, ઉલ્લાસ અને વિષાદ જેવા ભાવોને પામી શકે અને એ રીતે પોતાની સંવેદનાનો વિસ્તાર સાધી શકે. સંવેદનાની પણ જબરી ચાલબાજી હોય છે. કેટલાક સર્જક આવી સંવેદનાની થોડી મૂડી સાથે આવે છે અને પછી એ ખર્ચાઈ જતાં બેબાકળા બની જાય છે. એની એકાદી કૃતિ વખણાય છે, પછી સંવેદનાનો ખાલીપો અનુભવતા પોતાની સંવેદનાને જુદા જુદા વેશ પહેરાવીને પ્રગટ કરવા કોશિશ કરે છે અથવા તો એને ચબરાકિયાં અજમાવવાં પડે છે. સાચી સંવેદના વિનાના સર્જકો તુક્કાઓની રચના કરતા હોય છે અને એ તુક્કાઓમાં એમની કૃત્રિમતા દેખાયા વિના રહેતી નથી. આજનો સર્જક એની સંવેદનાનો વિસ્તાર સાધશે નહીં, તો એનું સાહિત્ય વધુ ને વધુ સંકુચિત બની જશે. એને સંવેદનાના નવા નવા પ્રદેશો શોધવાના છે. બે દાયકા પહેલાંની સમસ્યાઓ કાળગ્રસ્ત બની ગઈ હોય છે અને તેથી જ નવી નવી સંવેદનાઓ સાથે સર્જકે પનારો પાડવો જોઈએ. આ સંવેદના એ સર્જક-આત્માનો અવાજ છે.