તમે સંતાનો પ્રત્યે આજે જ જાગો ! એને મમ્મી પાસેથી જીવનના પાઠ મળે તેવું આયોજન કરો, આજે માતાને બદલે મીડિયા બાળકનું માનસઘડતર કરવા લાગ્યું છે, તેથી આવતી કાલે એવું પણ બને કે આ બાળકના સંસ્કાર-ઘડતરનું કામ ‘કલર’ ચૅનલે કર્યું છે કે ‘પોગો’ ચૅનલે કર્યું છે તેની ચર્ચા ચાલે. આજે મમ્મી બાહ્ય જીવન અને સામાજિક પ્રસંગોમાં ડૂબેલી રહેશે અને પપ્પા પાસે સમયનો અભાવ રહેશે, તો પરિસ્થિતિ એવી આવશે કે તમારાં સંતાનને તમારી સાથે હૃદયનું કોઈ સંધાન કે લાગણીનું કોઈ અનુસંધાન રહેશે નહિ અને પછી ભવિષ્યમાં શું થશે ? ભવિષ્યમાં તમારી વૃદ્ધાવસ્થા સાથે આવનારી તમારી બીમારીઓની એ ઉપેક્ષા કરશે, તમારી વારંવારની ફરિયાદો પ્રત્યે બહેરા કાન રાખશે. જો વધુ વાત કરશો તો અધવચ્ચે અટકાવી દેશે અને તેમ છતાં જો તમે અટકશો નહિ, તો તમારો તિરસ્કાર કરશે. આવા સમયે ઘરનાં સંતાનોના તમે અણગમતા બની જશો. એ તમારે માટે વૃદ્ધાશ્રમની ખોજ કરશે, કારણ કે તમારી સાથે એને ફાવતું – બનતું નથી અને તમે એના સંસારમાં અણગમતા બની ગયા છે. આમ આજની પેઢીના ઘડતરમાં રસ લીધો નહિ, તો આવતી કાલ તેઓ તમને સસ્તા દરના વૃદ્ધાશ્રમમાં મોકલી આપશે. ‘જેવી કરણી તેવી ભરણી’ એવી સમાજલક્ષી કહેવતો જીવનલક્ષી પણ છે. જીવનમાં પોતાનાં સંતાનોને જેટલો પ્રેમ આપ્યો હશે એટલું જ વળતર મળતું હોય છે. ‘શ્રીમદ્ ભગવદગીતા’માં જેવું કર્મ કર્યું હોય તેવું ફળ મળવાની વાત છે. વાત વ્યાપક કે વૈશ્વિક દર્શનમાં જેટલી સાચી છે, એટલી જ અંગત કે પારિવારિક જીવનમાં છે.
કુમારપાળ દેસાઈ