Categories
વાચન સમૃદ્ધિ

નિરભિમાની હોય, તે જ લોકનેતા

વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા અને સોવિયેત સંઘના પ્રથમ સમાજવાદી શાસક લેનિનના ઉદ્દામ ક્રાંતિકારી વિચારો સોવિયેત સંઘની પ્રજામાં નવો ઉત્સાહ જગાવતા હતા. લેનિને 1917ના ઑક્ટોબરમાં વિશ્વના ઇતિહાસમાં મહત્ત્વની એવી ‘બૉલ્શેવિક ક્રાંતિ’નું સર્જન કર્યું અને તેની સફળતાના પગલે લેનિનના નેતૃત્વ હેઠળ રશિયામાં નવી સરકાર રચાઈ. કુશળ રાજકારણી, વિચક્ષણ વ્યૂહરચનાકાર અને માર્ક્સવાદના સૈદ્ધાંતિક માળખાને પરિસ્થિતિના સંદર્ભમાં નવો ઓપ આપનાર, શ્રમજીવીઓનો રાહબર લેનિન વ્યવહારકુશળ લોકનેતા તરીકે રશિયન પ્રજાની અપાર ચાહનાને પામ્યા. લેનિનના નેતૃત્વની વાત સાંભળીને રશિયાના વિખ્યાત લેખક મેક્સિમ ગોર્કી એક વાર લેનિનની જાહેરસભામાં ગયા. મનમાં એવું વિચાર્યું હતું કે સમગ્ર રાષ્ટ્રમાં નવી ચેતના જગાવનાર અને સમાજવાદી ક્રાંતિ સર્જનાર આ નેતાનું ભાષણ એક વાર તો સાંભળી આવું. મેક્સિમ ગોર્કી સભાસ્થાને ગયા, ત્યારે જનમેદનીથી એ ખીચોખીચ હતું. એમના પ્યારા નેતા લેનિનના આગમનની રાહ જોઈને સહુ ઊભા હતા. કેટલીય આંખો લેનિનનાં દર્શન કરવા માટે આતુર હતી. ઉત્સાહથી ધબકતા આ વાતાવરણમાં લેનિન કઈ રીતે પ્રવેશશે ? મેક્સિમ ગોર્કીએ તો વિચાર્યું કે નક્કી, લેનિનનું દોરદમામ સાથે આગમન થશે અથવા તો આગળ છડીદારો હશે અને સાથીઓ જયઘોષ પોકારતા હશે, પરંતુ એમણે જોયું તો દૂર એક ખૂણામાં લેનિન કેટલાક કામદારો સાથે વાતચીતમાં ડૂબેલા હતા. સભાનો સમય થયો એટલે લેનિનનું નામ બોલાયું અને લેનિન પોતાની આસપાસના કામદારો પાસેથી સીધા સ્ટેજ પર ગયા. લેનિનની લોકો સાથેની આત્મીયતાનો મેક્સિમ ગોર્કી પર ઊંડો પ્રભાવ પડ્યો. પ્રચંડ લોકજુવાળ પોતાની સાથે હોય એવો લોકપ્રિય નેતા કેટલો બધો નિરભિમાની ! એ દિવસથી ગોર્કીનો લેનિન માટેનો આદર દ્વિગુણિત થઈ ગયો.

Categories
વાચન સમૃદ્ધિ

લક્ષ્યની પ્રાપ્તિ

ઉત્તર-મધ્ય ઈરાનમાં થયેલા પર્શિયાના સૂફી સંત બાયજીદ બિસ્તામી ઈશ્વર વિશેના સ્પષ્ટ અને નિર્ભીક વિચારો માટે જાણીતા હતા. કોઈ ગ્રંથ સ્વરૂપે એમના કોઈ વિચારો પ્રાપ્ત થતા નથી, પરંતુ સૂફી પરંપરામાં એક મહત્ત્વના સૂફી સંત તરીકે તેઓ સ્થાન ધરાવે છે. એમના નિવાસસ્થાને જે કોઈ ઇસ્લામ ધર્મ વિશે ચર્ચા કરવા આવે, એમને આવકારતા; એટલું જ નહીં, પણ અલ્લાહની ભક્તિ માટે એમણે તમામ ભૌતિક સંપત્તિ અને સુખોનો ત્યાગ કર્યો હતો. આવા મહાન સૂફી સંત બાયજીદ બિસ્તામી એક વાર પોતાના રૂહાની ગુરુ પાસે બેઠા હતા. ગુરુના ઉપદેશનું એ એકાગ્રચિત્તે શ્રવણ કરતા હતા અને એવામાં ગુરુએ બાયજીદને કહ્યું, ‘જરા બારીમાં પડેલું એક પુસ્તક લઈ આવ.’ આ સાંભળી બાયજીદે કહ્યું, ‘કઈ બારી ? ક્યાં છે બારી ?’ ઉત્તર સાંભળીને આશ્ચર્યચકિત બનેલા ગુરુએ કહ્યું, ‘અરે બાયજીદ, તું તો વર્ષોથી અહીં આવે છે. અહીં બેસીને મારી વાતનું શ્રવણ કરે છે અને છતાં તને ખબર નથી કે બારી ક્યાં છે?’ સંત બાયજીદે કહ્યું, ‘ના ગુરુદેવ, મને ખબર નથી.’ ગુરુએ કહ્યું, ‘તો શું તું આંખો મીંચીને મારી પાસે બેસે છે ? આ ખંડમાં બેઠો હોય અને તને બારી ન દેખાય તે કેવું કહેવાય ?’ બાયજીદે કહ્યું, ‘ગુરુજી, હું સાચું કહું છું. હું શા માટે બારીને જોવાનો પ્રયત્ન કરું.’ ‘કેમ ?’ ‘હું આ ખંડમાં આવું, ત્યારથી માત્ર ને માત્ર તમારી સાથે જ હોઉં છું. ફક્ત તમને જ જોતો હોઉં છું, તમારા સિવાય બીજી કોઈ ચીજ મારી નજરે પડતી નથી, તો પછી બારીની મને ક્યાંથી ખબર હોય !’ ગુરુ હસ્યા અને બાયજીદને કહ્યું, ‘હવે તું ઘેર પાછો ફરી શકે છે. તારો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. તેં લક્ષ્યની પ્રાપ્તિ કરી લીધી છે.’

Categories
વાચન સમૃદ્ધિ

હંમેશાં તારાને જુઓ

બિગબૅંગ (મહાવિસ્ફોટ) જેવા બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓનો અભ્યાસી અને સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની સ્ટિફન હૉકિંગના બાપદાદાનો વ્યવસાય તો ખેતીનો હતો. આર્થિક હાલત પણ સારી નહોતી. વળી નાના કદ અને સંકોચશીલ સ્વભાવને કારણે હૉકિંગે નિશાળ બદલી નાખી. મોર્ટર ન્યૂરોન ડિસિઝ (MND) અથવા ઍમિયો ટ્રૉફિક લેટર સ્કલેરોસિસ (ALS) રોગના જીવલેણ હુમલાને કારણે લગભગ બધાં અંગો લકવાગ્રસ્ત થવા છતાં હિંમત હાર્યા નહીં. એમની વિદ્યોપાસના અને સંશોધનવૃત્તિ અવિરત ચાલતી રહી. ન્યુમોનિયામાં પટકાયા બાદ શ્વાસોચ્છવાસની ભારે તકલીફ થતાં ગળાની શસ્ત્રક્રિયા કરતાં સ્વરપેટીને નુકસાન થયું અને વાચા પણ ચાલી ગઈ, પણ મજબૂત મનોબળ દ્વારા એમણે એમનાં સંશોધનો ચાલુ રાખ્યાં. બ્રહ્માંડના અંતિમ રહસ્યની સતત ખોજ કરતા રહ્યા, એથીય વિશેષ એક તાત્વિક વિચારક તરીકે જગતના ભાવિની ચિંતા કરતા રહ્યા અને એકવીસમા વર્ષે ભયાનક બીમારી થવા છતાં આજે સમગ્ર વિશ્વમાં મહાન વિજ્ઞાની તરીકે પ્રસિદ્ધ થયા. છેલ્લા બે દાયકાથી વ્હીલચૅરમાં જીવતા અને અનેક શારીરિક મર્યાદાઓ ધરાવતા સ્ટિફન હૉકિંગ પોતાની વિકલાંગતા માટે એ સંજોગો, શરીર કે નિયતિને દોષ આપતા નથી. એ કહે છે કે બધી જ ચીજો નિશ્ચિત જ હોય, તો આપણે કશું બદલી શકીએ નહીં. નસીબમાં માનનાર માનવી પણ રસ્તો ક્રૉસ કરતી વખતે આવતાં-જતાં વાહનોને જુએ છે. જીવનને પૂરેપૂરું જીવવાની કોશિશ કરતાં સ્ટિફન હૉકિંગ પોતાનાં સંતાનો રોબર્ટ, લ્યુસી અને ટિમ્મીને કહે છે કે, ‘હંમેશાં તારાને જુઓ, પગને નહીં. હું આખી દુનિયા ઘૂમી વળ્યો છું, એન્ટાકર્ટિકથી લઈને છેક ઝીરો ગ્રૅવિટી સુધી. કામથી ભાગો નહીં, કારણ કે કામ જ જીવનને અર્થ અને ઉદ્દેશ આપે છે. જિંદગીમાં જો પ્રેમ મળતો હોય તો તેનો આદર કરો, કારણ કે આ પૃથ્વી પર જ એ સંભવ છે.’