ડરે તે બીજા


અમેરિકાના 28મા પ્રમુખ વૂડ્રો વિલ્સનને એમના સલાહકારે કહ્યું કે ‘અમેરિકાના નૌકાદળે ભવ્ય પરાક્રમ કરીને યશસ્વી વિજય મેળવ્યો છે.’ વિખ્યાત બંદર ધરાવતા મેક્સિકોના શહેર વેરા ક્રૂઝ પર અમેરિકાના નૌકાદળે યશસ્વી વિજય મેળવ્યો છે. હવે અમેરિકાના લશ્કરને માટે મેક્સિકો શહેરને નિશાન બનાવીને ધ્વંસ કરવાનું સરળ બન્યું હતું. ચોતરફ અમેરિકાના વિજયની પ્રશંસા થતી હતી.

ઘણા સૈનિકોની કુરબાનીની ઈંટ પર વિજયની ઇમારત રચાય છે, એ રીતે અમેરિકાના નૌકાદળના ઘણા યુવાન સૈનિક આ યુદ્ધમાં માર્યા ગયા અને એમના મૃતદેહોને ન્યૂયૉર્ક લાવવામાં આવતા હતા. ન્યૂયૉર્કમાં એમની રાષ્ટ્રસન્માન સાથે મોટા પાયે અંતિમ યાત્રા યોજી હતી.

અમેરિકાના પ્રમુખ વૂડ્રો વિલ્સને આમાં મુખ્ય શોક પ્રદર્શક તરીકે ભાગ લેવાનું નક્કી કર્યું. પ્રમુખના સલાહકારે એમ કહ્યું કે ચોતરફ વિજયનું વાતાવરણ છે, ત્યારે તમે શા માટે અંતિમ વિધિ શોકગ્રસ્ત કાર્યક્રમમાં જાવ છો ?

અમેરિકાના પ્રમુખ વૂડ્રો વિલ્સને જણાવ્યું, ‘‘આ કોઈ શોકગ્રસ્ત કાર્ય નથી. બલ્કે પ્રજાની ચેતના અને રાષ્ટ્રભક્તિની પરાકાષ્ઠા દર્શાવનારો કાર્યક્રમ છે.’’

પ્રમુખના સલાહકારે મુખ્ય વાત પર આવતાં કહ્યું કે અમેરિકા અને મેક્સિકો વચ્ચે ઘણા લાંબા વખતથી યુદ્ધ ચાલે છે ! એ બંને પક્ષોને ખૂબ થકવનારું બન્યું છે. એમાં એવી પણ વાતો ચાલે છે કે અમેરિકન પ્રમુખની હત્યા કરવા માટે ઘણાં કાવતરાંઓ યોજાયાં છે.

આ સાંભળીને વૂડ્રો વિલ્સને કહ્યું કે મારી સામે કાવતરાંઓ ઘડાય છે એ માત્ર અફવા પણ હોઈ શકે.

એક વ્યક્તિએ કહ્યું, ‘‘શ્રીમાન પ્રમુખશ્રી, તમે વૉશિંગ્ટન ડી.સી. ન જાઓ તો સારું.’’ બીજાએ કહ્યું, ‘‘હવે ન્યૂયૉર્ક સલામત રહ્યું નથી.’’ જ્યારે પત્રકાર તરીકે આવેલી ત્રીજી વ્યક્તિએ કહ્યું, ‘‘અમેરિકા એના પ્રમુખને ગુમાવે તે પોસાય
તેમ નથી.’’

પ્રમુખ વૂડ્રો વિલ્સને જવાબ આપ્યો, ‘‘અમેરિકાને પ્રમુખ વગર ચાલશે, પણ બીકણ કે બાયલો પ્રમુખ નહીં પોસાય.’’

અને વૂડ્રો વિલ્સને હકીકતમાં ન્યૂયૉર્ક જઈને પ્રમુખ તરીકે સૈનિકોની અંતિમ વિધિમાં આગેવાની સંભાળી.

કુમારપાળ દેસાઈ