Categories
વાચન સમૃદ્ધિ

વૃક્ષને માટે દુઆ

અધ્યયન પૂર્ણ કરીને શિષ્ય રબ્બી નહમને પોતાના ગુરુ સંત રબ્બી ઇસાકને પોતાને માટે દુઆ માગવાનું કહ્યું, ત્યારે ગુરુ રબ્બી ઇસાકે પોતાના શિષ્યને એક કથા સંભળાવી. એમણે કહ્યું, ‘એક માનવી રણમાં સફર કરી રહ્યો હતો. એનું ભાથું તદ્દન ખૂટી ગયું હતું. હવે કરવું શું ? એ સમયે રણમાં સફર કરતી વખતે એની નજર એક સુંદર ફળવાન વૃક્ષ પર પડી. એણે એ વૃક્ષનાં મીઠાં મધુરાં ફળ ખાધાં અને પછી એ વૃક્ષના છાંયડે નિરાંતે ઘસઘસાટ ઊંઘી ગયો. જાગ્યા પછી એણે ઝાડની નજીક આવેલા વહેતા ઝરણામાંથી પાણી પીધું અને પોતાની જાતને કહેવા લાગ્યો, ‘જિંદગીમાં ક્યારેય આવાં મધુર ફળ આરોગ્યાં નથી. જ્યારે ભૂખથી મારો જીવ નીકળી જતો હતો, ત્યારે આ વૃક્ષે મને ભોજન આપ્યું અને એના છાંયડામાં આશરો આપ્યો. હું એને કઈ રીતે શુક્રિયા કહું ? એને હું કઈ દુઆ આપું ?’ ગુરુ રબ્બી ઇસાકે આ વાત કહીને શિષ્ય રબ્બી નહમનને પ્રશ્ન પૂછ્યો, ‘શું એ માણસે એવી દુઆ કરવી જોઈએ કે આ વૃક્ષનાં ફળ મીઠાં મધુરાં રહે ? જો એ આવું કરે તો એ એની મૂર્ખતા જ ગણાય, કારણ કે એ મીઠાં મધુરાં ફળનો આસ્વાદ તો માણી ચૂક્યો હતો. જો એ એવી દુઆ કરે કે હે વૃક્ષ ! તું વધુ ને વધુ ઘટાદાર બન, તો તે પણ બરાબર નહીં, કારણ કે એની ઘટાદાર છાયામાં તો એ ઘસઘસાટ ઊંઘી ગયો હતો. અને જો એ એવી દુઆ કરે કે તારી નજીક સદા ઝરણું વહ્યા કરે, તો એણે નજીક વહેતા ઝરણામાંથી જ પાણી પીધું હતું.’ આ વાત કરીને રબ્બી ઇસાકે પોતાના શિષ્ય રબ્બી નહમનને પૂછ્યું, ‘ત્યારે તમે જ કહો કે વૃક્ષને માટે એણે કઈ દુઆ કરવી જોઈએ ?’ શિષ્ય રબ્બી નહમન વિચારમાં પડી ગયો એટલે ગુરુએ કહ્યું, ‘એણે તો એ દુઆ કરવી જોઈએ કે બીજાં વૃક્ષો તારા જેવાં કલ્યાણકારી બને. ભૂખ્યાને ભોજન આપનારાં અને થાકેલાને આરામ આપનારાં થાય. તેથી જો હું તને જ્ઞાનપ્રાપ્તિની દુઆ આપું, તો એ તો તારી પાસે મોજૂદ છે. ધન પણ તારી પાસે છે. સંતાનની દુઆ આપું, તો એ પણ તારી પાસે છે. હવે હું એટલી જ દુઆ આપીશ કે તારાં બાળકો તારા જેવાં જ્ઞાની અને સેવાભાવી બને.’

Categories
વાચન સમૃદ્ધિ

આપણી પીડાનો આપણને સંદેશ

તમે માનસિક રીતે હતાશા અનુભવો છો ? શરીરનો મેદ એટલો બધો વધી ગયો છે કે સાંધામાં પારાવાર દુઃખાવો થાય છે ? કુટુંબજીવનમાં ચાલતા ક્લેશથી વારંવાર લાગણીમય આઘાતો અનુભવવા પડે છે ? જીવનમાં વ્યક્તિ માનસિક, શારીરિક કે લાગણીમય પીડા અનુભવે છે, ત્યારે એ પોતાની પીડાને માથે લઈને ફર્યા કરે છે અને સતત એનાં જ ગીત ગાયા કરે છે. બીજી બધી બાબતો ભૂલીને પોતાની પીડાના વિચારને સતત ખંજવાળ્યા કરે છે. પરિણામે જીવનની પ્રત્યેક પીડામાં રહેલો સંદેશ એ પામી શકતો નથી. એ પીડા એને સાચી સલાહનો જે પુરસ્કાર આપે છે, તે પ્રાપ્ત કરી શકતો નથી. દરેક પીડા વખતે મન એમ વિચારે છે કે ‘આમ કર્યું હોત, તો આ ન થયું હોત. જીવનમાં સાચી સમજણ કેળવી હોત, તો હતાશા આવી ન હોત. ગુટકાના વ્યસનીઓ સમય જતાં થતી પીડાથી જ્યારે પરેશાન થાય, ત્યારે ગુટકાને દોષ આપે છે. શરીરની નબળાઈની ફરિયાદ કરે છે. ભૂખ લાગતી નથી, કહી વસવસો કરે છે, પણ વ્યસનના પ્રારંભકાળે જાગ્યો નહીં, તે એને યાદ આવતું નથી. નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક ખોરાક પર લક્ષ કેન્દ્રિત કરીને આરોગ્યનું ધ્યાન રાખ્યું હોત, તો સ્થૂળ કાયાને પરિણામે થયેલો સાંધાનો દુઃખાવો ન થયો હોત. નાની નાની તુચ્છ બાબતોને ભૂલીને સહુની સાથે પ્રેમથી વ્યવહાર કર્યો હોત તો આટલો મોટો કુટુંબક્લેશ થયો ન હોત. પ્રત્યેક પીડા મનને સતત એની ભૂલ બતાવે છે. પોતાની ભૂલનો એ વસવસો કરે છે અને પીડામાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે, પરંતુ દરેક પીડાનો એક બીજો સંદેશ છે અને તે છે પીડામુક્ત બનવાનો. પીડાનો એ સંદેશ કાન દઈને સાંભળવો જોઈએ. તમારી પીડા કહે છે કે મનની હતાશા ખંખેરી નાખો, શરીરના આરોગ્યને પ્રાથમિકતા આપો અને કુટુંબમાં સ્નેહનું વાતાવરણ સર્જો.

Categories
વાચન સમૃદ્ધિ

સંસ્થાને દાન

વર્ષોનાં સંશોધન બાદ વિજ્ઞાની ડૉ. રુને જ્વલંત સફળતા મળી. ફ્રાન્સની પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સંસ્થા ‘પેસ્ટો’માં અનેક પ્રયોગો કરીને ડૉ. રુએ બાળકોના ગળાના રોગ સામે પ્રતિકારક દવા શોધી કાઢી. અનેક બાળકો આ રોગને પરિણામે મૃત્યુ પામતાં હતાં. આથી એની રોગપ્રતિકારક રસી શોધવાનો આ વિજ્ઞાનીએ સંકલ્પ કર્યો હતો અને તે સિદ્ધ કર્યો. પોતાની આ શોધને પેટન્ટ બનાવીને ડૉ. રુ અઢળક કમાણી કરી શકે તેમ હતા. જાણીતી કંપનીઓએ પણ આ શોધની પેટન્ટ પોતાને આપવા માટે ડૉ. રુને મોટી રકમની ઑફર કરી, પરંતુ બાળકલ્યાણની ભાવના ધરાવતા માનવતાવાદી ડૉ. રુ એ વાતથી પૂરા વાકેફ હતા કે આવી ‘પેટન્ટ’ને કારણે દવા મોંઘી કિંમતે બજારમાં મળશે અને ગરીબ લોકોને એ ઉપલબ્ધ થશે નહીં. આથી એમણે મોટી કમાણી છોડીને પોતાની શોધનો લાભ સહુ કોઈને મળે તેવું કર્યું. ડૉ. રુને એમના આ સંશોધનને પરિણામે સમગ્ર ફ્રાન્સમાં અને ધીરે ધીરે વિશ્વમાં બહોળી ખ્યાતિ મળી. આવી શોધ માટે એમને અભિનંદન પાઠવવામાં આવ્યા અને એથીય વિશેષ એમની ઉન્નત ભાવના અંગે સહુ કોઈએ પ્રસન્નતા વ્યક્ત કરી.  એક વાર એમને મળવા માટે આવેલા મહાનુભાવે ડૉ. રુને કહ્યું, ‘આપે મહાન સંશોધન કર્યું છે, અનેક બાળકોને જીવન બક્ષ્યું છે, આથી ખુશ થઈને હું તમને મોટી રકમ ભેટ રૂપે આપવા લાવ્યો છું. આ રકમ એટલી મોટી છે કે તમારે જિંદગીમાં ક્યારેય નાણાભીડ અનુભવવી નહીં પડે. આપ એનો સ્વીકાર કરો.’ ડૉ. રુએ એનો સ્વીકાર કર્યો, પણ સાથે સાથે કહ્યું, ‘જુઓ, આ સંશોધન હું કરી શક્યો, કારણ કે ‘પેસ્ટો’ સંસ્થાએ મને સઘળી સગવડ કરી આપી. બીજા વિજ્ઞાનીઓને પણ આવી અનુકૂળતા સાંપડે, તે માટે આ સઘળી રકમ હું ‘પેસ્ટો’ને આપી દઈશ.’

ડૉ. રુએ બધી જ રકમ ‘પેસ્ટો’ને આપી દીધી અને નિસ્પૃહતાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું.