સાપેક્ષતાના સિદ્ધાંતનો પુરાવો


જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇને (૧૮૭૯-૧૯૫૫) ન્યૂટનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત પછી સાપેક્ષતાનો વિશેષ ચડિયાતો સિદ્ધાંત શોધ્યો. જર્મનીમાં જન્મેલા આ વિજ્ઞાનીએ ૧૯૦૯થી ૧૯૧૮ના ગાળામાં જગતને સાપેક્ષતાનો આ વ્યાપક સિદ્ધાંત આપ્યો. આઇન્સ્ટાઇનની આ નવી શોધથી વિજ્ઞાનની તત્ત્વપ્રણાલીમાં મોટી ઊથલપાથલ થઈ ગઈ. આઇન્સ્ટાઇનનો આ સિદ્ધાંત નિસર્ગનું વધુ સાચું વર્ણન કરે છે એમ સ્વીકારાયું, એટલું જ નહીં, પણ આને પરિણામે ક્રાંતિકારી સૂઝ અને ઊંડી સમજ ધરાવતા વિજ્ઞાની તરીકે આઇન્સ્ટાઇનને યુરોપમાં વ્યાપક પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા હાંસલ થયાં. આઇન્સ્ટાઇન જે કોઈ દેશમાં પ્રવચન આપવા જતા, ત્યાં એને પ્રતિભાસંપન્ન વિજ્ઞાની તરીકે આદર મળતો હતો. આઇન્સ્ટાઇને પણ કોઈ સ્થળે પોતે વિદેશી છે, એવી અનુભૂતિ કરી નહોતી. માનવતા એ આઇન્સ્ટાઇનનો પ્રથમ ગુણ હોવાથી સર્વત્ર સમાન આદર પામ્યા હતા. આ અલગારી વિજ્ઞાનીએ જોયું કે એમના સાપેક્ષતાના સિદ્ધાંતનો સર્વત્ર આદર થાય છે અને સહુ કોઈ ‘આઇન્સ્ટાઇન અમારા દેશના છે’ એમ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે, ત્યારે આઇન્સ્ટાઇને એક વખત કટાક્ષમાં કહ્યું, ‘આજે ભલે હું અમેરિકામાં વસતો હોઉં, પરંતુ જર્મનીમાં એક જર્મન વિજ્ઞાની તરીકે મારો આદર થાય છે અને ઇંગ્લૅન્ડમાં મને એક વિદેશી યહૂદી તરીકે સન્માનવામાં આવે છે. પરંતુ જો મારો આ સિદ્ધાંત ખોટો સાબિત થાય તો જર્મન લોકો મને ધુત્કારીને કહેશે કે આ તો એક પરદેશી યહૂદી છે અને અંગ્રેજ લોકો મને એમ કહીને ધુત્કારશે કે આ તો એક જર્મન છે.’ આટલું કહીને આઇન્સ્ટાઇને હસતાં હસતાં ઉમેર્યું, ‘આ મારા સાપેક્ષતાના સિદ્ધાંતનો એક વધુ પુરાવો જ છે ને !’

કુમારપાળ દેસાઈ

ભયને બદલે ધ્યેય પર દૃષ્ટિ


ઠેરવીએ ======================================

ક્ષણેક્ષણ ચોપાસ ભયનો વિચાર કરનારી વ્યક્તિનું ચિત્ત ભયના ખજાના જેવું હોય છે. એ કોઈ પણ કાર્ય કરતાં પૂર્વે એમાં આવનારા ભયથી ગ્રસિત બની જાય છે. પહેલી વાર વિમાનનો પ્રવાસ કરે, તે પહેલાં એ મનમાં કેટલીય ગડમથલો અને ભય સેવતી હોય છે. એ વિચારે છે કે આ વિમાનના પ્રવાસમાં વૉમિટ થશે તો શું થશે ? એ વિચારે છે કે આ વિમાનને અકસ્માત થશે તો શું થશે ? આમ કાર્ય કરતાં પૂર્વે ભયનો વિચાર કરવાની મનને આદત હોય છે. આવી આદતને પરિણામે ઘણી વ્યક્તિ કાર્ય કરવાનું માંડી વાળે છે. સફળતા મેળવવા માટે પુરુષાર્થ કરતાં પૂર્વે એવું વિચારે છે કે એ સફળ માનવીએ કેટલી બધી નિષ્ફળતાઓ મેળવી હતી. આવી નિષ્ફળતા મને મળે તો શું થાય ? એના કરતાં આવી માથાકૂટ છોડી દેવી બહેતર છે. એ કોઈ સજ્જન કે સંત બનવાનું વિચારતી નથી, કારણ કે એને આવા સજ્જનો અને સંતોએ જીવનમાં અનુભવેલાં કષ્ટો જ ભયભીત કરનારાં લાગે છે. કોઈ પણ કાર્ય પૂર્વે એનું મન શક્ય કે અશક્ય એવા કેટલાય ભયથી ગભરાઈ જાય છે અને પછી કાર્યની સિદ્ધિનો વિચાર માંડી વાળે છે, અરે ! કાર્ય કરવાનો વિચાર જ માંડી વાળે છે. મનમાં માત્ર આવનારા ભયનો વિચાર કરે છે. વળી, એ કાર્ય કરવાનું બંધ કરીને મનમાં એ કાલ્પનિક ભયથી બચી ગયાનો આનંદ અનુભવે છે. જેમણે ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવ સર કર્યા હશે, અવકાશમાં ઊંચે ઊંચે ઉડ્ડયન કર્યાં હશે એવી વ્યક્તિઓ કાર્યનો વિચાર કરતી હોય છે, ભયનો વિચાર કરતી નથી. આમ ભયનો બહુ વિચાર કરવાને બદલે કાર્ય પર લક્ષ્ય ઠેરવવું જોઈએ. વિચાર કરવાથી ભય દૂર થશે નહીં, પ્રયાસ કે પ્રવૃત્તિ કરવાથી દૂર થશે.

કુમારપાળ દેસાઈ

અનુકરણ એટલે અંત


વિશ્વવિખ્યાત હાસ્ય અભિનેતા બૉબ હૉપ (૧૯૦૩-૨૦૦૩) પોતાનાં માતાપિતા સાથે દેશાંતર કરીને અમેરિકા આવીને રહેવા લાગ્યા. એમના પિતા સંગીત-સમારોહમાં ગાયક તરીકે કામ કરતા હતા. એમણે થોડાં વર્ષો રંગભૂમિ પર નૃત્યકાર અને હાસ્યકાર તરીકે પણ કામ કર્યું હતું. બૉબ હૉપ કશુંક કરવા ચાહતા હતા. એમણે દસ વર્ષની વયે ‘ચાર્લી ચૅપ્લિન અનુકરણ સ્પર્ધા’માં વિજય મેળવ્યો અને એ પછી સ્ટેજ પર ગીત સાથે અભિનય કરવા લાગ્યા. આમાં એમણે ઘણાં વર્ષો વિતાવ્યાં, પરંતુ ચાર્લી ચૅપ્લિનની શૈલીમાં અનુકરણને કારણે એમની કોઈ આગવી છાપ ઉપસાવી શક્યા નહીં. વિલ રોગર્સ સરકસમાં કામ કરતા હતા, ત્યારે કંઈ જ બોલ્યા વગર દોરડાં ઘુમાવવામાં માહેર હતા. એક વાર અચાનક બૉબ હૉપને પોતાનામાં છુપાયેલી આગવી રમૂજવૃત્તિનો ખ્યાલ આવ્યો. એણે દોરડાં ઘુમાવતી વખતે પોતાની આ રમૂજી શૈલી દ્વારા દર્શકોને ખૂબ હસાવ્યા અને એને પરિણામે એની આગવી પ્રતિભા ઊભી થઈ. આ મૌલિકતાએ બૉબ હૉપ તરફ સહુનું ધ્યાન ખેંચ્યું. બૉબ હૉપે પોતાની ‘ડાહ્યા-ગાંડા’ જેવી જુદી જ ઇમેજ ઊભી કરી. એને કારણે જ લોકચાહના પામીને એ બૉબ હૉપ બની રહ્યા. રમૂજની એમની નિજી શૈલીએ દર્શકોનાં હૃદય જીતી લીધાં. જો એમણે માત્ર ચાર્લી ચૅપ્લિનના અભિનયનું અનુકરણ કરવાનું ચાલુ રાખ્યું હોત, તો રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મમાં એ એની આગવી શૈલીથી અપાર લોકપ્રિયતા હાંસલ કરી શક્યા, તે પામી શક્યા ન હોત.

કુમારપાળ દેસાઈ