પ્રકૃતિના આનંદની


બાદબાકીનો અનર્થ ============

ક્યારેક તમને સમગ્ર બ્રહ્માંડની અનુભૂતિ થઈ છે ખરી ? માનવી બ્રહ્માંડમાં વસે છે, પરંતુ પોતાના કેટલાય અંશોને એ ગુમાવી રહ્યો છે. એનો એક અંશ છે વ્યાપકતાનો અનુભવ. પરંતુ એને શોખ છે પોતાના એકદંડિયા મહેલમાં જીવવાનો. આને પરિણામે એ આકાશમાં ઊડતાં પંખીઓનું ગીત કે ઝરણાંના વહેતા પ્રવાહનું સંગીત સાંભળી શકતો નથી. છલોછલ પ્રકૃતિ વચ્ચે જીવતો હોવા છતાં એનો એને લગીરે અનુભવ થતો નથી. પશુઓ તરફ એની કોઈ દૃષ્ટિ કેળવાયેલી નથી. કાં તેમને પાંજરામાં કેદ થયેલાં જુએ છે અથવા તો રસ્તે રઝળતાં જુએ છે. સચરાચર સૃષ્ટિની વાત કરનાર માનવી એ સચરાચરનો અનુભવ પામી શકતો નથી અને એને પરિણામે એના જીવનમાં એક પ્રકારનો ખાલીપો ઊભો થાય છે. એનો બાહ્ય સૃષ્ટિ સાથેનો સંબંધ જેટલો ક્ષીણ થાય છે, એટલી એની આંતરસૃષ્ટિની વ્યથા વધે છે, પ્રકૃતિ અને પ્રાણીજગત સાથેનો એનો અનુબંધ તૂટી ગયો છે અને તેથી જીવનના કેટલાય નિર્વ્યાજ આનંદનાં સ્થાનો એ ખોઈ બેઠો છે. ક્યારેય એકાંત પ્રદેશમાં કે હરિયાળા પર્વતની ગોદમાં એ પલાંઠી વાળીને વૃક્ષો કે પક્ષીઓ સાથે સંવાદ કરતો નથી. ક્યારેય છોડ પર આવતી કુમળી કૂંપળ કે વૃક્ષ પર આવતાં રસમધુર ફળને જોઈને એનું મન નાચતું નથી. નીરવ એકાંતમાં પ્રકૃતિમાંથી ઊઠતા સ્વરો-ઉદગારોનું કાન માંડીને શ્રવણ કરતો નથી. જીવનની દોડધામ વચ્ચે નિસર્ગના દૃશ્યને મનમાં ખડું કરીને નવી ચેતના અનુભવતો નથી. એ વિચારતો નથી કે પ્રાણી સાથે પણ એનું જીવન જોડાયેલું છે. પ્રકૃતિ સાથે એનો આનંદ બંધાયેલો છે. પંખી સાથે એનું ગીત સંકળાયેલું છે. માનવીએ પોતાના જીવનમાંથી કરેલી આ બધી બાદબાકી અંતે તો માનવીના સ્વયંના જીવનની બાદબાકી બનીને રહે છે !

કુમારપાળ દેસાઈ

આપે તે દેવ અને રાખે તે રાક્ષસ


સંત વિનોબાજીએ માતાને ‘આચાર્ય’ કહ્યાં છે. આચાર્યનો અર્થ એ કે જે કઠણમાં કઠણ પ્રશ્ન શોધીને સરળ બનાવે. પોતે જાતે કઠણ કામ કરી જુએ, એનું આચરણ કરે અને પછી બીજાને એ વિશે કહે. સંત વિનોબાનાં માતા પડોશીની પત્ની બહારગામ ગયાં હોવાથી પોતાની રસોઈ બનાવીને પડોશીને ત્યાં રસોઈ બનાવવા જતાં હતાં. એક દિવસ વિનોબાએ એમનાં માતાને પૂછ્યું, ‘મા, પહેલાં તું આપણા ઘરની રસોઈ બનાવે છે, પછી પડોશીના ઘરની રસોઈ બનાવે છે, એ સ્વાર્થ ન કહેવાય ? પોતાનો સ્વાર્થ પૂરો કર્યા પછી પરમાર્થ થઈ શકે ખરો ?’ માતાએ જવાબ આપ્યો, ‘બેટા, પહેલાં  આપણા ઘરની રસોઈ બનાવીને પછી એમને ત્યાં જાઉં છું, જેથી એમને ઠંડું ખાવું ન પડે. ગરમ ભોજન મળે.’ વિનોબાજીના ઘરના વાડામાં ફણસનું ઝાડ હતું. એને રોજ પાણી પાય અને ક્યારે એ મોટું થાય અને પોતાને ફળ ખાવા મળે તેની વિનોબાજી રાહ જોતા હતા. ફણસનું ઝાડ મોટું થયું. ધીરે ધીરે એના પર ફળ બેઠેલાં જોયાં એટલે વિનોબાજીને તોડવાનું મન થયું. એમની માતાએ કહ્યું, ‘હજી આ ફણસ કાચું છે. એ પીળું અને ઢીલું થાય પછી તું તોડજે.’ થોડા દિવસ પસાર થયા. ફણસનું ફળ પીળું અને ઢીલું થયું. માતાની સંમતિ મેળવીને વિનોબાએ ઝાડ પરથી ફણસ  ઉતાર્યું અને સમાર્યું. એના રસાદાર ટુકડા ખાવા માટે વિનોબાજી અને એમના મિત્રો ઉત્સુક હતા ત્યારે એમની માતાએ કહ્યું, ‘પહેલું ફળ તો (ભગવાનને આપીને) વહેંચીને ખવાય. વિનોબાજી અને તેમના મિત્રો તો ફણસના રસાદાર ટુકડા ખાવા માટે  ઉત્સુક હતા. એમનો જીવ ઝાલ્યો રહેતો ન હતો ત્યારે એમનાં માતાએ પ્રશ્ન કર્યો, ‘તમને દેવ ગમે કે રાક્ષસ ?’ વિનોબાજી અને એમના મિત્રોએ એક અવાજે ‘દેવ’ કહ્યું. એટલે એમની માતાએ કહ્યું, ‘જે આપે એ દેવ અને જે રાખે તે રાક્ષસ.’ માતાની વાત સાંભળતાં બધાં બાળકો ફણસના રસાદાર ટુકડા લઈને એને વહેંચવા નીકળી પડ્યાં. એક સમયે માતાની નિશાળમાંથી બાળકને આ બધું શીખવા મળતું હતું. વિનોબાજીનાં માતા કશું ભણ્યાં નહોતાં. લખતાંવાંચતાં પણ આવડતું નહોતું, પરંતુ બાળકોને ઘડવા માટેની ઊંડી સૂઝ હતી. માતાનું આચરણ એ જ બાળકની પાઠશાળા હતી.

આજે સમાજની ભલે પ્રગતિ થઈ હોય, પણ  મૂલ્ય અને માનવતાનો હ્રાસ થયો છે. બીજાને માટે જાત ઘસનારની મજાક કરવામાં આવે છે અને બીજાના પર સત્તા જમાવનાર, શોષણ કરનારને કે બીજાના ધનની ઉચાપત કરીને ઘર ભરનારને રાક્ષસ નહીં, પણ દેવ ગણવામાં આવે છે.

કુમારપાળ દેસાઈ

અધ્યાત્મની પ્યાસમાં ભરતી-


ઓટ હોતાં નથી ===============

માનવીનું જીવન એટલે વણછીપી તરસ. એને એક એવી તરસ હોય છે કે જેને છિપાવવા માટે એ સતત પ્રયાસ  કરતો હોય છે. કોઈને ધનની તરસ હોય છે, તો કોઈને પદની ભૂખ હોય છે. કોઈને સમૃદ્ધિની તરસ પીડતી હોય છે, તો કોઈનું હૃદય પ્રિયજનના વિયોગની તરસથી તરફડતું હોય છે. પ્રેમની પણ એક પ્યાસ હોય છે અને એ પ્યાસ બુઝાવવા માટે માનવી પ્રયત્ન કરતો હોય છે. એની પ્રેમની પ્યાસ એને સતત ઝંખનાઓ,  સ્વપ્નો, આશાઓ અને આકાંક્ષાઓ પર દોડાવે છે. એની આ તૃષા ક્યારેક તૃપ્ત થાય છે, તો ક્યારેક એ મૃગતૃષ્ણા બની રહે છે ! આ બધી તૃષાઓમાં ક્યારેક આનંદ તો ક્યારે વિષાદ આવે છે. થોડું સુખ અને દુ:ખ આવે છે. ઝંખનાની તીવ્રતા અને પ્રાપ્તિ થતાં શૂન્યતાનો અનુભવ થાય છે, પરંતુ જ્યારે એને અધ્યાત્મની તરસ જાગે છે ત્યારે તરસનું રૂપ અને એનું સૌંદર્ય સાવ બદલાઈ જાય છે. ભૌતિક જીવનની તરસમાં એના ચિત્તને કેટલાય સંઘર્ષો વેઠવા પડે છે, ત્યારે અધ્યાત્મની તરસ એને એક આનંદ સ્થિતિમાં રાખે છે. પરિણામે એના જીવનમાંથી સ્થૂળ આનંદો, ક્ષુદ્ર વસ્તુઓ અને ભૌતિક એષણાઓની બાદબાકી થઈ જાય છે, એટલું જ નહીં, પણ એ કોઈ વિરાટ ગગનમાં ઊડવા લાગે છે. એનું આ ઉડ્ડયન એવું હોય છે કે હવે એને જીવનની કોઈ પ્યાસ પજવતી નથી. જીવનની પ્યાસમાં ક્ષણભંગુરતા હતી તો અધ્યાત્મની પ્યાસમાં ચિરંજીવતા છે. એમાં ભરતી કે ઓટ નથી. એમાં આશા કે નિરાશા નથી, પણ એ બધાથી પર એવા જીવનનો ઉલ્લાસ અને પરમ પ્રસન્નતા છે. ચિંતા કે પીડા, અવસ્થા કે અપમાનને પાર વસતી સ્વસ્થ, સ્વચ્છ, શાંત જળ સમી સમતા છે.

કુમારપાળ દેસાઈ