Categories
વાચન સમૃદ્ધિ

હિંમત ન હારશો

સ્ટિફન ઍડવિન કિંગ(જ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૪૭)ના દરિયાઈ વેપાર ખેડતા પિતા સ્ટિફન માત્ર બે વર્ષનો હતો, ત્યારે ઘર છોડીને ચાલ્યા ગયા અને સ્ટિફનની માતાને માથે સ્ટિફન અને એના મોટા ભાઈ ડેવિડને ઉછેરવાની જવાબદારી આવી. આ સમયે સ્ટિફન કિંગને એક ટંક ભોજનના પણ સાંસા હતા, ત્યાં વળી કાગળ અને પેન ખરીદે ક્યાંથી ? બાળપણથી જ ડરામણી વાતો સાંભળવાના બેહદ શોખીન આ છોકરાને મન થયું કે આ સાંભળવા મળતી સઘળી વાતોને એક કાગળ ઉપર ઉતારી લઉં તો ! પરિસ્થિતિ અત્યંત પ્રતિકૂળ હોવા છતાં એ પરાજિત થયો નહીં અને એમાં વળી એણે સિન્ડ્રેલાની વાર્તા વાંચી. ખૂબ પસંદ પડી. એણે આવી એક કાલ્પનિક છોકરી વિશે વિચાર કર્યો અને પોતાની કલ્પનાઓને વાસ્તવિકતાથી સજાવીને એક આખી નવલકથા લખી નાખી. નવલકથા પૂરી થયા પછી એણે વાંચી, તો લાગ્યું કે આવી ચમત્કાર ભરેલી અને ડરામણી નવલકથા વાંચશે કોણ ? આમ વિચારીને એણે નવલકથાની હસ્તપ્રતને કચરાપેટીને હવાલે કરી દીધી. એની પત્નીની નજર સ્ટિફનની આ હસ્તપ્રત પર પડી અને એણે કચરાની ટોપલીમાંથી હસ્તપ્રત બહાર કાઢીને પતિને ઉત્સાહ આપતાં કહ્યું, ‘તમારી આ નવલકથા પુસ્તક રૂપે પ્રગટ થશે, ત્યારે એને ખૂબ ખ્યાતિ મળશે.’ પત્નીની વાતનો સ્વીકાર કરીને સ્ટિફન નવલકથાની હસ્તપ્રત લઈને પ્રકાશકોને મળવા લાગ્યો. ઘણાએ વ્યંગ સાથે એની આ નવલકથા પરત કરી. અંતે ડબલડે નામના પ્રકાશન સમૂહને એ નવલકથા મોકલી. સ્ટિફન કિંગને એમ જ હતું કે નવલકથા હસ્તપ્રત પાછી જ આવશે, પરંતુ ડબલડેએ આ નવલકથાને ‘કેરી’ના નામથી પ્રગટ કરી અને સ્ટિફનને ચારસો ડૉલર પારિશ્રમિક આપ્યું. એ પછી સ્ટિફનનું નસીબ પલટાઈ ગયું. પેપરબેક પ્રગટ કરવા માટેના હક્ક એક પ્રકાશકે બે લાખ ડૉલર આપીને ખરીદી લીધા અને સ્ટિફન ‘હોરરના બાદશાહ’ તરીકે અમેરિકામાં પ્રસિદ્ધ થયા. સ્ટિફન કિંગનાં પુસ્તકોની અત્યાર સુધીમાં ત્રણ કરોડ અને પચાસ લાખથી વધુ પ્રતો વેચાઈ છે અને એમાંનાં ઘણાં પુસ્તકો પરથી ફીચર ફિલ્મ, કૉમિક બુક અને ટેલિવિઝન ધારાવાહિક પણ થઈ છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઓગળી જઈએ તો જ આનંદપ્રાપ્તિ

રસ્તા પર ચાલતો માનવી ખરેખર રસ્તા પર ચાલે છે ખરો ? એના પગ એ માર્ગ પર આગળ ચાલવાની ક્રિયા કરતા હોય છે, પરંતુ માત્ર પગ જ ચાલતા હોય છે. આખો માનવી ચાલતો હોતો નથી. ચાલતી વખતે જરા, એને જોશો તો એ મનથી કશુંક વિચારતો હોય છે. એ વિચારને  આધારે ચાલવાની સાથે હાથ વીંઝતો હોય છે અને હોઠ ફફડાવતો હોય છે. ચાલતી વખતની માણસની ચેષ્ટા એના અંદરના વિચારની ચાડી ખાતી હોય છે. એનું રસ્તા પરનું ચાલવું એ માત્ર બાહ્ય ક્રિયા છે. એની અંદર-ભીતરમાં બીજું ઘણું જ ચાલતું હોય છે. ભોજન કરવા બેઠેલી વ્યક્તિને જરા ઝીણવટથી જોશો તો એ કોળિયા ખાતી હોય છે, પણ એનું મન તો કોળિયામાં કે ભોજનમાં હોતું નથી. માત્ર ભોજનના સ્વાદની પરીક્ષા કરવા માટે એ જ્યારે પ્રયાસ કરે છે, એટલી જ ક્ષણ એનું મન ભોજનમાં રત હોય છે. બાકીનો બધો સમય એ મોંમાં કોળિયો મૂકતી હોય છે, પણ યંત્રવત્ રીતે. એનું મન સાવ જુદી જ બાબત વિચારતું હોય છે. આ રીતે માણસને ઝીણવટથી જોઈએ તો ખ્યાલ આવે છે કે જે કંઈ કરે છે તે ઉપર-ઉપરનું છે, ક્રિયામાત્ર છે. એનો આ દ્વિમુખી ભાવ એને ચાલવાનો આનંદ કે ભોજનની મજા આપતો નથી. એનું વ્યક્તિત્વ વિચ્છિન્ન રહે છે અને તેથી એ એકાગ્રતા સાધી શકતો નથી. પરિણામે એ ભોજન કરે છે ત્યારે એને દુકાનના વિચારો આવે છે અને દુકાને જાય છે ત્યારે ભોજનના વિચારો સતાવે છે. જે કાર્ય કરે તેમાં ડૂબી જતો નથી તેથી એના આનંદથી વંચિત રહે છે. ઘરમાં કે બહાર વ્યવસાયમાં કે અધ્યાત્મમાં સઘળે આ એકલક્ષિતા ફળદાયી બનતી હોય છે. જે ડૂબી જાય છે તે જ એકલક્ષિતા કેળવી શકે છે.

Categories
વાચન સમૃદ્ધિ

દાઝયો નથી ને !

ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના અનેક નિયમો, સિદ્ધાંતો અને સૂત્રો જેના નામ સાથે સંકળાયેલાં છે એવા સર આઇઝેક ન્યૂટન (ઈ. સ. ૧૬૪૨થી ઈ. સ. ૧૭૨૭) કલનશાસ્ત્ર (કૅલ્ક્યુલર), ગુરુત્વાકર્ષણનો નિયમ તેમજ પ્રકાશશાસ્ત્રને લગતાં સંશોધનો માટે પ્રસિદ્ધ છે. ન્યૂટને કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસકાળ દરમિયાન કોપરનિક્સ, ગૅલિલિયો, કેપ્લર, દકાર્ત જેવા મહાન વૈજ્ઞાનિકોનાં પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો. આઇઝેક ન્યૂટનના નામ સાથે ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનાં અનેક નિયમો, સિદ્ધાંતો, સૂત્રો, ઘટનાઓ જોડાયેલાં છે. નવા વૈજ્ઞાનિક યુગના નિર્માતા તરીકે ઓળખાતા આઇઝેક ન્યૂટને ઈ. સ. ૧૬૬૫ની શરૂઆતમાં દ્વિપદી પ્રમેયના મહત્ત્વના નિયમનું સંશોધન કરી એનો વ્યાપક ઉપયોગ કર્યો. જે દ્વિપદી પ્રમેય એની કબર પર કોતરવામાં આવ્યું છે. ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી ન્યૂટન વિજ્ઞાનના કેટલાય સિદ્ધાંતો વિશેની પોતાની નોંધ એક નોટબુકમાં વખતોવખત લખતા જતા હતા. એક વાર સંધ્યાના સમયે સર આઇઝેક ન્યૂટન પ્રયોગકાર્યમાં વ્યસ્ત હતા, ત્યારે એમનો કૂતરો એકાએક ધસી આવ્યો. એ કૂતરાએ સામે બિલાડીને જોઈને એને પકડવા માટે છલાંગ લગાવી અને એમ કરવા જતાં ટેબલ પર પડેલો લૅમ્પ અચાનક પડી ગયો. સંશોધનની નોંધોના કાગળો સળગવા લાગ્યા અને ન્યૂટનની કેટલાંય વર્ષોની મહેનત આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. પોતાના સંશોધનકાર્યની હાથનોંધ સળગતી જોઈ રહ્યા અને માત્ર એટલું બોલ્યા, ‘અરે ! તેં મારી કેટલાય દિવસના પરિશ્રમ પછી તૈયાર કરેલી હાથનોંધને બાળી નાખી.’ સામાન્ય માનવી આવા સંજોગોમાં કૂતરાને સખત માર મારે, જ્યારે આઇઝેક ન્યૂટને પોતાના કૂતરાને નજીક બોલાવ્યો, એના પર હાથ ફેરવ્યો અને જોયું કે ક્યાંય એ દાઝ્યો તો નથી ને !,

કુમારપાળ દેસાઈ