Categories
વાચન સમૃદ્ધિ

આપણા પર્યાવરણની ચિંતા કરીએ !

તમે વિશ્વભરના પર્યાવરણની ચિંતા કરો છો, પણ તમારી આસપાસના પર્યાવરણનો વિચાર કર્યો છે ખરો ? તમે જે સ્થળે તમારી કામગીરી બજાવતા હો, તે સ્થળ વિશે ક્યારેય વિચાર કર્યો છે ? તમારી ઑફિસમાં ફાઈલોના અસ્તવ્યસ્ત ઢગલા પડ્યા છે ! કેટલાય કાગળો આમતેમ ઊડી રહ્યા હોય છે. વચ્ચે અખબારો પડ્યાં હોય અને ફર્નિચરો હિસાબની નોટબુકોથી કે પુસ્તક-સામયિકોથી ખીચોખીચ ભરેલાં હોય છે. હકીકત જેમ વિશ્વની સુખાકારી માટે પર્યાવરણની જાળવણી જરૂરી છે, એ જ રીતે વ્યક્તિની સુખાકારી અને કાર્યક્ષમતાની વૃદ્ધિ માટે એણે પોતાના નિવાસસ્થાન અને ઑફિસના પર્યાવરણનો વિચાર કરવો જોઈએે. કોઈક ઑફિસમાં તો વ્યક્તિ ટેબલ પર એટલી બધી ફાઈલોનો ખડકલો કરીને બેઠી હોય કે એને મળવા જાવ, ત્યારે એનો ચહેરો શોધવો મુશ્કેલ પડે. આનું કારણ એ નથી કે આ બધી ફાઈલો એને એકસાથે ઉપયોગી છે. આનું કારણ એ છે કે ફાઈલોને વ્યવસ્થિત ગોઠવવાની એને ભારે આળસ છે અથવા તો ફાઈલોનો ઢગલો કરીને એની અતિ વ્યસ્તતા બતાવવા માગે છે. કાર્ય, સમયનું વાતાવરણ વ્યક્તિના વિકાસ માટે જરૂરી છે. આમાં એનો ઘણો સમય વેડફાય છે. ઘણી વાર સરકારી ઑફિસમાં જાવ ત્યારે ઉત્સાહને બદલે ઉદાસીનતાનો અનુભવ થાય છે. ઠેરઠેર પડેલી ફાઈલોના ઢગલા પર જામી ગયેલી ધૂળ પ્રમાદની ચાડી ખાય છે. આ પ્રમાદ ધીરે ધીરે અધિકારીના મન પર કબજો જમાવે છે. તમારા પ્રશ્નોનો જવાબ આપતાં પૂર્વે આસપાસ જામેલો પ્રમાદ કે ભરડો વાળીને બેઠેલી આળસથી એ વિચારે છે કે મારે તો કશું કરવાનું નથી ! આથી વ્યક્તિએ પોતાની આસપાસ એવા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ કે જે એનામાં નવી પ્રેરણા અને જીવંત ઉત્સાહનો સંચાર કર્યાં કરે.

Categories
વાચન સમૃદ્ધિ

આગવો અભિગમ

અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યના ઑટોમોબાઇલ શો-રૂમના સેલ્સમૅન એડૉલ્ફ સેલ્ત્ઝે મોટરકારના વેચાણની નવી જવાબદારી સ્વીકારી, ત્યારે કંપનીનું મોટરકારનું વેચાણ સાવ ઘટી ગયું હતું અને એના સેલ્સમૅનોમાં ભારે અસંતોષ પ્રવર્તતો હતો. એમાં નવી વ્યક્તિની પધરામણી સહુને નવા પ્રશ્નો સર્જનારી લાગી. એડૉલ્ફ સેલ્ત્ઝે ધૂંધવાયેલા સેલ્સમૅનોની મિટિંગ બોલાવી અને તદ્દન ભિન્ન અભિગમ દાખવ્યો. એડૉલ્ફ સેલ્ત્ઝે પોતે શું કરવા માગે છે અને કર્મચારીઓએ શું કરવાનું છે, એવું આદેશાત્મક કશું કહેવાને બદલે એણે શું કરવું જોઈએ એ વિશે સેલ્સમૅનોની અપેક્ષા પૂછી. આથી ઉશ્કેરાયેલા સેલ્સમૅનો શાંત પડ્યા અને પછી એડૉલ્ફ સેલ્ત્ઝે પોતે શું કરવું જોઈએ એ વિશે પોતાના વિચારો અને મુદ્દાઓ રજૂ કર્યા. એડૉલ્ફ સેલ્ત્ઝ બ્લૅકબોર્ડ પર આ બધું લખતા ગયા અને પછી કહ્યું, ‘તમે મારી પાસેથી જે અપેક્ષા રાખો છો, તેને હું સંતુષ્ટ કરીશ. હવે તમે મને એ કહો કે મારે તમારી પાસેથી કંપની માટે કેવી અપેક્ષા રાખવી?’ પછી તો સેલ્સમૅનોએ કહ્યું, ‘અમારે કંપની પ્રત્યે વફાદાર, પ્રામાણિક અને સમર્પિત બનવું જોઈએ. નવો અભિગમ દાખવીને સંઘભાવનાથી કાર્ય કરવું જોઈએ.’ આમ નવા ઉત્સાહ અને પ્રેરણા સાથે મિટિંગ પૂરી થઈ. આ બધા ગુણોને સાકાર કરવા માટે કેટલાક સેલ્સમૅનોએ તો દિવસના ચૌદ કલાક કામ કરવાની સામે ચાલીને ખાતરી આપી અને પરિણામે મોટરોના વેચાણમાં ખૂબ વધારો થયો. પોતાની આ કાર્યપદ્ધતિ વિશે એડૉલ્ફ સેલ્ત્ઝે કહ્યું કે મારા સાથીઓએ મારી સાથે કરેલા વચનને હું જીવીશ ત્યાં સુધી બરાબર પાળીશ અને તેઓ પણ એમના નિશ્ચયોને વળગી રહેવા માટે કટિબદ્ધ છે. પહેલાં એમની ઇચ્છા પૂછીને મેં હકીકતમાં તો એમનામાં રહેલી કાર્યશક્તિને જાગ્રત કરી છે.

Categories
વાચન સમૃદ્ધિ

સ્વપ્ન

સામાન્ય રીતે નિદ્રાવસ્થા દરમિયાન વિચારો-સંવેદનો-અપેક્ષાઓ-ભાવાનુભવો વગેરેથી પ્રેરિત માનસપટ પર પ્રગટ થતો દૃશ્યાભાસ. પ્રાચીન કાળથી માનવી માટે સ્વપ્ન મહત્ત્વપૂર્ણ અને અર્થપૂર્ણ રહ્યું છે. બૅબિલોન અને ઇજિપ્તના લોકો સ્વપ્નોની નોંધ કરતા અને તેમનો અર્થ કાઢતા. ભારતમાં પણ વિચારકોએ માનવીની ચાર અવસ્થાઓમાં નિદ્રા, જાગૃતિ અને તુરીયાવસ્થા સાથે સ્વપ્નાવસ્થાનો સમાવેશ કર્યો છે.

ભગવાન મહાવીરના જન્મ પૂર્વે ત્રિશલા માતાને આવેલાં મંગલ સ્વપ્નો

સ્વપ્નમાં આવતાં વિચારો, અનુભૂતિઓ, સંવેદનાઓ અને તેમના હેતુઓ ચોક્કસપણે સમજી શકાતાં નથી; પરંતુ કેટલાક મનશ્ચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો અને શરીરક્રિયાવિજ્ઞાનીઓએ સ્વપ્નોનાં વિવિધ પાસાંઓ તથા તેમના સંકેતોનું વિશ્લેષણ કરીને કેટલીક હકીકતો તારવી છે. સ્વપ્નોના વૈજ્ઞાનિક અભ્યાસને ઑનેરોલૉજી કહે છે. દરેક મનુષ્યને રોજ રાતે સ્વપ્ન આવતું હોય છે. કેટલાક એમ કહે છે કે, ‘મને સ્વપ્ન આવતાં નથી.’ તેઓને સ્વપ્ન તો આવે છે પણ તેઓ તે ભૂલી જાય છે. ઊંઘની ચાર કક્ષાઓ હોય છે. તેમાંથી પ્રથમ કક્ષાની ઊંઘ હળવી હોય છે. આ તબક્કે જ્યારે નિદ્રાધીન વ્યક્તિની આંખોની કીકીઓનાં હલનચલનો થાય ત્યારે તે સ્વપ્નો જોતો હોય છે. તેને આંખની ઝડપી ગતિ(rapid eye movement)નો તબક્કો એટલે કે ‘REM ઊંઘ’ કહે છે. આવે સમયે મગજ ખૂબ ક્રિયાશીલ હોય છે અને જાગૃતાવસ્થા સાથે કેટલીક રીતે સામ્ય ધરાવે છે. બીજી, ત્રીજી અને ચોથી કક્ષાની ઊંઘ વધારે ને વધારે ગાઢ બનતી જાય છે. નાનાં બાળકો પોતાની સોળ કલાકની ઊંઘમાંથી અડધો સમય સ્વપ્નો જોતાં હોય છે. સ્વપ્નો અનેક પ્રકારનાં હોય છે : કેટલાંક લાંબાં તો કેટલાંક ટૂંકાં, કેટલાંક વિગતવાર યાદ રહે તો કેટલાંક ભુલાઈ જાય તેવાં. અમુક સ્વપ્નો આનંદદાયક, ઉત્સાહ વધારે તેવાં તથા રસપ્રદ હોય છે; જ્યારે કેટલાંક સ્વપ્નો દુ:ખદાયક, ડરામણાં, ભયાનક, સાહસવાળાં તેમ જ અદ્ભુત હોય છે. સ્વપ્નના વૈજ્ઞાનિક અધ્યયન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે બહારથી આપવામાં આવતી ઉત્તેજનાના પ્રભાવથી પણ કેટલાક પ્રકારનાં સ્વપ્ન આવી શકે છે. સ્વપ્નના વિષયમાં ડૉ. સિગ્મંડ ફ્રૉઇડનો આગવો મત છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વપ્ન, પૃ. 90)