Categories
વાચન સમૃદ્ધિ

સ્થિરવાસનું સરનામું

ગ્રીસના તત્ત્વચિંતક ડાયોજિનિસ તત્ત્વવેત્તા સૉક્રેટિસના શિષ્ય એમ્ટિસ્થેનિસના શિષ્ય હતા. એમણે સ્વાવલંબી જીવન જીવવાનો આગવો માર્ગ બનાવ્યો. દિવસે ફાનસ લઈને ઍથેન્સ શહેરની શેરીઓમાં ઘૂમતા હતા અને કહેતા કે દિવસે ફાનસના અજવાળે પ્રમાણિક માણસને શોધવા નીકળ્યો છું. એક વાર તત્ત્વવેત્તા ડાયોજિનિસ પાસે ઉતાવળે આવેલા એક યુવાને પ્રશ્ન કર્યો, ‘મને જલદી કહો, ધર્મ એટલે શું ?’ ડાયોજિનિસે કહ્યું, ‘અરે ભાઈ, એમ ઉતાવળે ધર્મની વ્યાખ્યા થઈ શકે નહીં.’ આગંતુકે કહ્યું, ‘પણ હું બહુ ઉતાવળમાં છું. મને પાંચેક મિનિટમાં ધર્મની વ્યાખ્યા સમજાવો.’ ડાયોજિનિસે અકળાઈને યુવાનને કહ્યું, ‘જેમ તમે ઉતાવળમાં છો એમ હું પણ ઉતાવળમાં છું. આટલા ઓછા સમયમાં ધર્મ વિશે સમજાવવું મુશ્કેલ છે, માટે તમારું સરનામું આપો તો હું તમને લેખિત રૂપે ધર્મની વ્યાખ્યા મોકલી આપીશ.’ આગંતુકે કાગળ અને પેન લીધાં, સરનામું લખ્યું અને ડાયોજિનિસને આપ્યું. ત્યારે ડાયોજિનિસે પૂછ્યું, ‘આ તારા સ્થાયી નિવાસનું સરનામું છે ને ? અહીંથી બીજે ક્યાંય જતો નથી ને !’ ‘એવું બને છે કે ક્યારેક હું બીજે સ્થળે જાઉં છું. લાવો એનું પણ સરનામું તમને આપી દઉં.’ એ સમયે ડાયોજિનિસે કહ્યું, ‘મામલો સ્થાયીનો છે, અસ્થાયીનો નહીં. જ્યાં તમારો સ્થિરવાસ હોય તે કહો. નહીં તો હું પત્રવ્યવહાર કેવી રીતે કરી શકીશ ?’ ડાયોજિનિસની એકની એક વાત સાંભળીને યુવાને અકળાઈને પોતાની જાતને બતાવતાં કહ્યું, ‘જુઓ, હું અહીંયાં રહું છું. કંઈ કહેવું હોય તો કહો, નહીં તો આ ચાલ્યો.’ ડાયોજિનિસ બોલ્યા, ‘બસ ભાઈ, આ જ તો ધર્મ છે. ધર્મનો અર્થ છે પોતાનામાં રહેવું, પોતાની જાતને ઓળખવી અને આત્મચિંતન કરવું. આ જ એની વ્યાખ્યા છે.’

Categories
વાચન સમૃદ્ધિ

ગૂંગળાતો અહંકાર વધુ ઘાતક હોય છે

પ્રત્યક્ષ દેખાતો અને સામી વ્યક્તિને વાગતો અહંકાર એ સ્પષ્ટ ને પારદર્શક અહંકાર છે, જ્યારે બીજો અહંકાર એ વ્યક્તિના ભીરતમાં પેદા થતો ગુપ્ત અહંકાર છે. પ્રત્યક્ષ અહંકાર એટલા અર્થમાં સારો ગણાય કે સામી વ્યક્તિને એનો ખ્યાલ આવે છે. ગુપ્ત અહંકાર એનાથી વધુ ભયાવહ ગણાય કે જેનો વ્યક્તિને સ્વયં અણસાર પણ આવતો નથી. એક અહંકાર એવો છે કે જેમાં વ્યક્તિ પોતાનાં રૂપ, ધન કે સત્તાનો અહંકાર કરતી હોય છે, જ્યારે બીજો અહંકાર એવો હોય છે કે એ વ્યક્તિને એમ લાગે કે એ ધન છોડીને ત્યાગી થઈ છે. એને એમ થાય કે એ આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચી છે અથવા તો એણે સાધનાથી અમુક સિદ્ધિ મેળવી છે. પહેલા પ્રકારના અહંકારમાં માનવીની મૂઢતા છે. જ્યારે બીજા પ્રકારના અહંકારમાં એને એની મૂઢતાનો ખ્યાલ પણ હોતો નથી. પહેલી મૂઢતા ઠેર ઠેર જોવા મળશે. બીજી મૂઢતા ક્યાંક જ નજરે પડશે, પરંતુ પહેલી મૂઢતાનો ઇલાજ આસાન છે, જેમાં રોગ નજરોનજર છે; પરંતુ બીજી મૂઢતાનો – અહંકારનો – ઉપચાર મુશ્કેલ છે, કારણ કે એમાં બીમારને સ્વયં પોતાની બીમારીનો ખ્યાલ નથી. એને પરિણામે એના હૃદયમાં એ અહંકાર વધુ ને વધુ ફૂલતો-ફાલતો જાય છે અને દૃઢ આસન જમાવી દે છે. પ્રગટપણે જોવા મળતો અહંકાર સારો એ માટે કે એમાં અહંકારીના અહમનું પ્રાગટ્ય થઈ જાય છે. એનું વિવેચન થાય છે. અન્યને એનો અનુભવ પણ થાય છે. ગુપ્ત અહંકાર અહંકારીના હૃદયમાં સતત ઘૂંટાયા કરે છે અને એ ઘૂંટાયેલો અહંકાર સ્પષ્ટ રૂપે પ્રગટ થવાને બદલે દ્વેષ, કટુતા, તોછડાઈ કે વેરભાવમાં પ્રગટ થતો હોય છે. આ અહંકાર અહંકારીને માટે ઘાતક બને છે.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રશંસાનો પ્રત્યુત્તર

દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટનને સફળ આગેવાની પૂરી પાડનાર રાજપુરુષ વિન્સ્ટન ચર્ચિલ (જ. ૩૦ નવેમ્બર ૧૮૭૪; અ. ૨૪ જાન્યુઆરી, ૧૯૬૫) મહામુત્સદ્દી અને કુશળ લેખક હતા. હિટલરના ભયની સામે અંગ્રેજ પ્રજાનું ખમીર અને દેશાભિમાન ટકાવી રાખનાર વિન્સ્ટન ચર્ચિલ અંગ્રેજી ભાષાની વાક્છટાને કારણે તથા આગવી લેખનશૈલીને કારણે પણ પ્રસિદ્ધ થયા હતા. એમની પાસે વ્યક્તિના મનોભાવોને પારખવાની આગવી સૂઝ હતી. બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અમેરિકા પ્રવાસે ગયા હતા, ત્યારે અમેરિકાની એક સ્કૂલમાં ભાષણ આપવા માટે ગયા. સ્કૂલની મુખ્ય અધ્યાપિકાએ વિન્સ્ટન ચર્ચિલને આવકાર આપ્યો. એમની અતિપ્રશંસા કરવા લાગ્યાં. વિન્સ્ટન ચર્ચિલ આવા આડંબરથી અકળાઈ ઊઠ્યા હતા, પરંતુ એમણે અણગમો વ્યક્ત કરવાને બદલે મૌન ધારણ કરવાનું ઉચિત માન્યું.

એ પછી ભાષણને માટે સ્કૂલના વિશાળ ખંડમાં ગયા, ફરી મુખ્ય અધ્યાપિકા એમને વિશે અતિશયોક્તિભરી પ્રશંસાના ઉદગારો કાઢવા લાગ્યાં. મુખ્ય અધ્યાપિકાએ ચર્ચિલને પૂછ્યું, ‘મિસ્ટર ચર્ચિલ, તમારી અવર્ણનીય વક્તૃત્વ કલાની વાત શી કરવી ? તમારાં વક્તવ્યોએ તો બ્રિટિશ પ્રજામાં ઉત્સાહ પ્રેર્યો અને એને વિશ્વયુદ્ધમાં વિજયી બનાવ્યું.’ ચર્ચિલે સહેજ સ્મિત કરીને ઉત્તર આપવાનું ટાળ્યું. પેલી મહિલાએ પ્રશ્ન કર્યો, ‘તમારા દરેક ભાષણ સમયે હૉલ ખીચોખીચ ભરેલો હોય છે, ત્યારે તમને કેવું લાગે છે ? એ જોઈને તમારા મનમાં શો વિચાર જાગે છે ?’ ચર્ચિલે હસતાં હસતાં કહ્યું, ‘માત્ર એક જ વિચાર જાગે છે કે, મારું રાજનીતિવિષયક ભાષણ સાંભળવા માટે આટલી મોટી ભીડ એકઠી થાય છે, તો જો મને ફાંસી આપવામાં આવે તો કેટલી મોટી ભીડ થાય.’