Categories
વાચન સમૃદ્ધિ

આવતીકાલને વધુ ઊજળી બનાવીશ

2008માં એકાએક મંદીનો સપાટો આવતાં કામયાબ વેપારી માઇકલ વોડ્રેલના જીવનમાં આર્થિક તબાહી મચી ગઈ. વિશાળ ઘર, આલીશાન ઑફિસ, મોંઘીદાટ મોટર અને ધનવૈભવ સાથે મોજથી જીવતા માઇકલ વોડ્રેલની એવી તો અવદશા થઈ કે ઘર વેચવું પડ્યું, ઑફિસ છોડવી પડી અને સાવ બેકાર થઈ ગયા. એમણે બોસ્ટનની વેન્ટવર્થ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી ઍરોનૉટિકલ ટૅક્નૉલૉજીની ડિગ્રી લીધી હતી, પણ પછી એ દિશામાં આગળ વધવાને બદલે એમણે વ્યવસાય શરૂ કરી દીધો. એમાં બેહાલી આવી એટલે ફરી પેલી ડિગ્રી યાદ આવી. એના સહારે નોકરી મેળવવાના પ્રયત્નો કર્યા, પણ કોઈ સારી નોકરી મળી નહીં. હવે કરવું શું ? છેલ્લા ઉપાય તરીકે એમણે જે કોઈ નોકરી મળે તે સ્વીકારી લેવાનું નક્કી કર્યું અને સફાઈકામદાર તરીકેનું કામ સ્વીકાર્યું. વોર્સેસ્ટર પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યૂટના રાતના સફાઈકર્મચારી તરીકે નોકરીની રકમમાંથી માઇકલ વોડ્રેલ માંડ માંડ ઘર ચલાવતા હતા, પણ સહેજે હિંમત હાર્યા નહીં. વિચાર કર્યો કે નોકરી રાતની છે, દિવસના સમયે અભ્યાસ કરું, આગળ પ્રગતિ કરું અને એણે એ જ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગના વધુ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. રાત્રે ઇન્સ્ટિટ્યૂટમાં સફાઈકામ અને દિવસે અભ્યાસ. પચાસ વર્ષના આ વિદ્યાર્થીને જોઈને સાથી વિદ્યાર્થીઓને આશ્ર્ચર્ય થતું, પણ માઇકલ વોડ્રેલનું ધ્યાન અભ્યાસમાં હતું અને 2016માં ઊંચા ગ્રેડ સાથે એ એન્જિનિયરિંગમાં ઉત્તીર્ણ થયો. માઇકલ વોડ્રેલની મુશ્કેલીઓ સામેની મક્કમતા પર મીડિયા વારી ગઈ. ટેલિવિઝન ચૅનલોમાં એની મુલાકાત આવવા લાગી અને અમેરિકાની ‘પ્રેટ ઍન્ડ વ્હિટની’ નામની ઍરોસ્પેસ કંપનીએ માઇકલને ઊંચા પગારે નોકરીએ રાખી લીધો. પોતાના જીવનમાં અનેક લીલી-સૂકી જોનારા માઇકલે એટલું જ કહ્યું, ‘મારી જાત પર ભરોસો રાખીને મેં સફળતા હાંસલ કરી છે. તમે જીવનમાં બધું જ ગુમાવી બેઠા હો, તેમ છતાં આત્મવિશ્વાસ કદી ગુમાવશો નહીં. હું રોજ રાત્રે એવો વિચાર કરતો કે આજનો દિવસ તો પસાર થયો, પણ આવતીકાલનો દિવસ આનાથી વધુ ઊજળો બનાવવા કોશિશ કરવી છે.’

Categories
વાચન સમૃદ્ધિ

પ્રધાનમંડળમાં એકમત

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકનને (ઈ. સ. 1809 થી 1865) જીવનભર ઉપહાસ અને પ્રતિકારનો સામનો કરવો પડ્યો. રીઢા રાજકારણીઓ એમ માનતા હતા કે જંગલમાં વસનારો કઠિયારો નસીબના જોરે ભલે દેશનો પ્રમુખ બની બેઠો હોય, પરંતુ એને ક્યાંથી કુનેહભર્યા રાજકારણના કાવાદાવાનો ખ્યાલ આવશે? એની રેવડી દાણાદાણ થશે અંતે ઘોર નિષ્ફળતાથી નાસીપાસ થશે. અધૂરામાં પૂરું અમેરિકાના આંતરવિગ્રહના સમયમાં લિંકને રચેલી સર્વપક્ષીય રાષ્ટ્રીય સરકારમાં એણે પોતાના રિપબ્લિકન પક્ષમાંથી ત્રણ પ્રધાનો પસંદ કર્યા અને વિરોધી એવા ડેમોક્રૅટિક પક્ષમાં ચાર વ્યક્તિઓની પ્રધાનપદે નિમણૂક કરી. લિંકન નિર્ભય હતા. અમેરિકાની અખંડિતતા અને ગુલામોની મુક્તિની બાબતમાં કશી બાંધછોડ નહીં કરનારા લિંકન વિરોધની પરવા કરતા નહોતા. કોઈ લિંકનને કહેતું કે ‘આમાં બંને પક્ષનું સમતોલપણું ક્યાં ?’ ત્યારે લિંકન એમ કહેતા કે, ‘હું રિપબ્લિક પક્ષનો હોવાથી હું ચોથો. આથી પ્રધાનમંડળ સમતોલ ગણાય.’ એના પક્ષના જ લોકોએ એના પર ટીકાઓનો વરસાદ વરસાવ્યો અને એક પ્રધાને તો વિવેક છોડીને પ્રમુખ અબ્રાહમ લિંકનને લખ્યું, ‘દેશની રાજ્યવ્યવસ્થા અને વિદેશનીતિનું સંચાલન અને નિયમન કોણ કરશે ? આ માટેની સઘળી જવાબદારી ઉપાડવા માટે હું તૈયાર છું, પરંતુ એનો યશ તો પ્રમુખને ભાગે જ જશે ને !’ લિંકન એમનો ઇરાદો પારખી ગયા. એમને વિનયપૂર્વક જવાબ આપ્યો, પણ થોડા જ સમયમાં એમની દીર્ઘદૃષ્ટિ, કાર્યશક્તિ, આવડત અને મીઠાશથી બધા પ્રધાનો લિંકનની પ્રશંસા કરવા લાગ્યા અને એક પ્રધાને તો એમ પણ કહ્યું કે, ‘અમારા પ્રધાનમંડળમાં મત માત્ર એક જ છે અને તે પ્રમુખનો.’

Categories
વાચન સમૃદ્ધિ

ભસ્મ કરી નાખો, તોપણ

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન (ઈ. સ. 1809 થી ઈ. સ. 1865) જ્યારે અમેરિકાના ઈલિનોય રાજ્યના ધારાસભ્ય હતા, તે સમયે એક મોટો વિવાદ જાગ્યો. એ સમયે ઈલિનોય રાજ્યની રાજધાની વેન્ડેલિયા હતી. તેને સ્પ્રિંગફિલ્ડ શહેરમાં લઈ જવા માટેનું બિલ ધારાસભામાં રજૂ થવાનું હતું. સ્પ્રિંગફિલ્ડ શહેર અત્યંત વિકાસ પામતું વેપાર-રોજગારનું મોટું મથક હોવાથી ઈલિનોય રાજ્યની રાજધાની બનવા માટે યોગ્ય હતું; પરંતુ બીજા ધારાસભ્યો પોતપોતાની કાઉન્ટીના શહેરમાં રાજધાની ખસેડવાનો આગ્રહ રાખતા હતા. આ સમયે અબ્રાહમ લિંકને બીજી કાઉન્ટીના ધારાસભ્યો જોડે મૈત્રીભરી ચર્ચા-વિચારણા કરી અને સ્પ્રિંગફિલ્ડના રાજધાની બનાવવા માટેનું બિલ પસાર કરવામાં એમને ટેકો આપવાનું કહ્યું. આવો ટેકો આપવાની સામે કેટલાક ધારાસભ્યોએ લિંકન પાસેથી અમુક બાબતમાં એમના જૂથના ધારાસભ્યોના મતની માગણી કરી. મત મેળવવા માટે કોઈ સોદો કરવો, એ તો લિંકનના સિદ્ધાંતથી તદ્દન વિરોધી વાત હતી, તેથી એમણે પેલા સભ્યોને આવી શરતી મદદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. આવી સ્થિતિ હોવા છતાં લિંકનના જૂથના મતો ખરીદવા ઇચ્છતા સભ્યોએ મંત્રણા ચાલુ રાખી અને વિચાર્યું કે આખરે લિંકનને થાકીને હા પાડવી પડશે. મંત્રણા સવાર સુધી ચાલી, પણ લિંકને પોતાના જૂથના મતનો સોદો કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરતાં કહ્યું, ‘તમે મારા શરીરને બાળીને ભસ્મ કરી નાખો અથવા તો નરકની યાતના સહેવા માટે મારા આત્માને અંધકારમય અને નિરાશામય નરકાગારમાં નાખો; પરંતુ હું જેને અન્યાયી અને ગેરવાજબી માનતો હોઉં એવાં કોઈ પણ પગલાંમાં મારો ટેકો તમે કદી પણ મેળવી શકશો નહીં.’ લિંકનની ભારે જહેમતને અંતે સ્પ્રિંગફિલ્ડને ઈલિનોય રાજ્યની રાજધાની બનાવવાનો કાયદો પસાર થયો અને લોકોએ એમના નિષ્ઠાવાન નેતા અબ્રાહમ લિંકનનો જાહેરમાં સત્કાર કર્યો.