Categories
વાચન સમૃદ્ધિ

આ તો ‘ઇઝી લાઇફ’ કે ડેડ લાઇફ !

આધુનિક માનવી ‘ઇઝી લાઇફ’ની શોધમાં નીકળ્યો છે. એ વારંવાર ‘ઇઝી લાઇફ’ માટે પ્રયત્ન કરતો જોવા મળે છે, પણ હકીકતમાં તો જેણે ‘ઇઝી લાઇફ’ જોવી છે, એણે કબ્રસ્તાનને જોવાની જરૂર છે. આવું જીવન કબ્રસ્તાનમાં સૂતેલા માણસોમાં છે, જીવંત માણસોમાં નહીં. ‘ઇઝી’ એટલે શું ? જેમાં સવાર પડે અને સાંજ પડે અને પછી રાત પડે ને વળી દિવસ ઊગે. મોજ અને મસ્તીમાં માનનારી આ ‘ઇઝી લાઇફ’ પાસે જીવનનો કોઈ ઘાટ હોતો નથી અને ઘાટના અભાવે એની પાસે કોઈ મૂલ્ય હોતું નથી. આવી વ્યક્તિ કશી પ્રાપ્તિમાં માનતી નથી. મહેનત કરવી એને ગોઠતી નથી અને મથામણથી સદૈવ દૂર ભાગે છે. સગવડ એનું સર્વસ્વ હોય છે. અનુકૂળતા એની અવિરત શોધ હોય છે. સ્થૂળ આનંદ એ એનું શ્રેષ્ઠ મનોરંજન હોય છે. આનો અર્થ જ એ કે કશાય પડકાર વિનાની જિંદગી એટલે ‘ઇઝી લાઇફ’, પણ પાયાનો સવાલ એ છે કે જ્યાં કોઈ પડકાર કે સંઘર્ષ ન હોય, ત્યાં જીવનનું કેન્દ્ર બંધાતું નથી. જીવનનું સત્ત્વ તો સંઘર્ષ વચ્ચે જ બંધાય છે. મુશ્કેલીઓ જ એની માણસાઈની અગ્નિપરીક્ષા બને છે. ઝંઝાવાતો પાર કરીને આગળ આવનાર જ પરિવર્તન સર્જી શકે છે. હાથ-પગ જોડી બેઠા બેઠા સુખેથી જિંદગી કાઢનાર પાસે મસ્તી, શક્તિ કે માનવતા નહીં જડે. આજની આધુનિક જીવનપદ્ધતિએ ખાવું, પીવું અને મસ્તીથી જીવવું એટલે જીવન – એવી વ્યાખ્યા કરી છે, પરંતુ આ પ્રકારના જીવનમાં વિચારોની દૃઢતા હોતી નથી. ધ્યેય માટેનું સમર્પણ હોતું નથી. હકીકત એ છે કે જે જીવનમાં પ્રયત્ન કે પુરુષાર્થ નથી, વિચારો કે આદર્શો નથી, એ જીવન જીવન નથી. માત્ર ખોખલું અસ્તિત્વ છે. તફાવત એટલો કે આવી વ્યક્તિ મૃત બનીને કબ્રસ્તાનમાં સૂતી હોતી નથી, પરંતુ મૃત બનીને ચાર દીવાલો વચ્ચે વસતી હોય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સેવા એ જ વેપાર

ઇટલીના અસીસી પ્રાંતમાં વસતા એક ધનિક વેપારીના પુત્ર સીસોનું મન દુનિયાનાં દુ:ખો જોઈને દ્રવી જતું હતું. બીજાં બાળકો જ્યારે ખેલકૂદમાં આનંદ માણતાં હોય, ત્યારે સીસોને બીજા લોકોની પીડા અને દુ:ખને જોઈને વેદના થતી હતી. એનામાં દીન-દુખિયાં પ્રત્યે એવી પ્રબળ કરુણા હતી કે એની સ્થિતિ જોઈને એમને મદદ કર્યા વિના રહી શકતો નહીં. એક વાર રસ્તા પર રક્તપિત્તગ્રસ્ત ભિખારીને ભીખ માગતો જોયો અને ધનવાન પિતાના પુત્ર સીસોએ એને થોડા પૈસા આપ્યા. પરંતુ એ રક્તપિત્તની બીમારી ધરાવતો માનવી સીસો તરફ વેધક નજરે જોઈ રહ્યો. સીસો એની આંખના ભાવો વાંચીને પારખી ગયો કે આને પૈસા કરતાં વધુ તો પ્રેમ અને સેવાશુશ્રૂષાની જરૂર છે. સીસો એની સેવામાં ડૂબી ગયો. એના ધનવાન પિતાએ એને કહ્યું કે, ‘આપણો આટલો બહોળો વેપાર છે, તું વેપારમાં ધ્યાન આપ.’ ત્યારે સીસોએ એના પિતાને કહ્યું કે, ‘મારે માટે કોઈ વેપાર હોય કે જીવન હોય તો તે ગરીબ અને બીમારની સેવા કરવાનું છે.’ અને સીસોએ ગરીબોની સેવા કરવાનું લક્ષ્ય રાખ્યું. એ રક્તપિત્ત ધરાવતા લોકોની સેવા કરતો એટલું જ નહીં, પરંતુ એમને અગાધ સ્નેહ આપીને એમનામાં જીવવાની નવી તમન્ના પેદા કરતો હતો. એક વાર એણે ચર્ચ બનાવવાનો વિચાર કર્યો અને એમાં માત્ર ગરીબ અને દુ:ખી લોકોને જ સામેલ કર્યા. બધાએ ભેગા મળીને પથ્થર એકઠા કર્યા. સીસોના આ સેવાકાર્યની સુવાસ સઘળે પ્રસરી ગઈ અને એના મિત્રોએ સેવા અને નિર્માણ માટે એક સંગઠન ‘ધ પુઅર બ્રધર્સ ઑફ અસીસી’ શરૂ કર્યું. સમયની સાથે એ સંગઠનમાં વધુ ને વધુ લોકો જોડાતા ગયા અને થોડા સમય બાદ એ સંગઠનનું નામ ‘ફ્રાંસિસ્કોપ’ રાખવામાં આવ્યું. રક્તપિત્તની સેવા કરનાર સીસો માત્ર તેંતાળીસ વર્ષની વયે અવસાન પામ્યો, પરંતુ એનું સેવાભાવી લોકોનું આ સંગઠન આજેય દીન-દુખિયાંઓનો સહારો બની રહ્યું છે અને સીસોને ‘સેંટ ફ્રાન્સિસ ઑફ અસીસી’ના રૂપે સહુ યાદ કરે છે.

Categories
વાચન સમૃદ્ધિ

મુખેથી માંદગીનું ભોજન

આરોગ્યના સંદર્ભમાં વિચારીએ તો આપણે ત્યાં માનવીના શરીરને રાજા રૂપે જોવામાં આવ્યું છે, પણ મહત્ત્વની વાત એ છે કે એ રાજા સ્વાધીન છે કે પરાધીન એનો વિચાર કરવો જોઈએ. સ્વાધીન રાજા પોતાના સ્વાસ્થ્ય વિશે સૌથી પહેલું વિચારશે, કારણ કે એને એના જીવન-સંરક્ષણનો મજબૂત કિલ્લો માને છે. એને માટે પ્રધાન જેવી બુદ્ધિને યોગ્ય માર્ગ બતાવશે અને સેનાપતિ સમા મનને કાબૂમાં રાખશે. જ્યારે પરાધીન રાજાને બીજાની તાબેદારી ઉઠાવવી પડે છે. આવો પરાધીન રાજા ફાસ્ટ ફૂડનો ભોગ બને છે. ખાઉધરા જેવો એનો પ્રધાન હોય છે અને ચટાકેદાર સ્વાદ રૂપી એ ચંચળ મનનો ગુલામ હોય છે. સ્વાસ્થ્યની ઉપેક્ષા અંતે જીવનની ઉપેક્ષા થઈને રહે છે. ત્યારે સુંદર જીવન જીવવા માટે વ્યક્તિએ આહાર પર સંયમ કેળવવો જોઈએ. ઘણી વ્યક્તિ પોતાના જીભના સ્વાદને કારણે જીવનને રોગિષ્ઠ બનાવે છે. આવી વ્યક્તિઓ મુખમાં અન્ન મૂકતી નથી, પરંતુ માંદગી મૂકે છે. ખાઉધરા લોકો બેફિકર બનીને સ્વાદિષ્ટ ભોજનની જ્યાફત ઉડાવતા હોય છે, પણ હકીકતમાં તો એવું ભોજન એમના સ્વાસ્થ્યને કે આયુષ્યને ઊધઈની માફક ખોખલું કરતું રહે છે. પોતાની ભૂખ કરતાં વધુ ખાનાર અતિભોગી આ જગતની વહેલી વિદાય લઈ લે છે. પોતાની ભૂખ કરતાં થોડું ઓછું ખાનાર થોડું વધુ આયુષ્ય ભોગવે છે. જો વ્યક્તિ પોતાના આરોગ્યની યોગ્ય સંભાળ ન લે તો દુનિયાનો ઉત્તમમાં ઉત્તમ ડૉક્ટર પણ એને બચાવી શકતો નથી. મહાત્મા ગાંધીજીએ કહ્યું કે, ‘સોના-ચાંદીના ટુકડા એ સાચી સંપત્તિ નથી. આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે.’ અને આપણે ત્યાં તો વારંવાર કહેવાય છે કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ વળી ચરકસંહિતામાં કહ્યું છે તેમ, ‘ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું ઉત્તમ સાધન આરોગ્ય છે.’