જગત જાકારો આપે ત્યારે મૈત્રી


માત્ર આવકારો આપે ==============================

મૈત્રી ત્યારે જ ટકે કે જ્યારે એમાં વિચારો કે દલીલોની ચડઊતર થતી હોય. સંબંધો ત્યારે જ દૃઢ થાય કે જ્યારે એકબીજા સાથે વિચારવિમર્શ થતો હોય અને એમાંથી કશુંક તારણ મેળવાતું હોય. મૈત્રી એટલે માત્ર સંબંધ બાંધવો એટલું નથી. એ તો એનું પહેલું પગથિયું છે. એ પછી એનું બીજું પગથિયું છે તે સંબંધને મજબૂત કરવો અને ત્રીજું પગથિયું છે મૈત્રીને સાતત્યપૂર્ણ રીતે જાળવવી. સંબંધ બાંધવામાં વ્યક્તિઓ અતિ ઉત્સાહી હોય છે. મૈત્રી બાંધતી વેળાએ એ ઝાઝો વિચાર કરતી નથી. ક્યાંક મળવાનું બને, હોટેલ કે સિનેમામાં જવાનું થાય અને મૈત્રી બંધાઈ જાય, પરંતુ આવી મૈત્રી ક્ષણભંગુર એ માટે હોય છે કે એની પાછળ વિચાર કે સમજનો કોઈ મજબૂત પાયો હોતો નથી. આથી મૈત્રી બાંધવા કરતાં પણ મૈત્રીની ઇમારતનું ઘડતર કરવું મહત્ત્વનું છે અને એ ઘડતર કરવા માટે વિચારોનું મુક્ત આદાનપ્રદાન આવશ્યક છે. મિત્રને સાચી વાત કહેવાની હિંમત તો હોય, પરંતુ એથીય વધુ એને દુ:ખ પહોંચાડે એવી કડવી વાત કરવાનો છોછ રાખવો જોઈએ નહીં, કારણ કે મૈત્રીના આ ચણતરમાં ઘણી મહેનત કરવી પડે છે. વળી મૈત્રીને જાળવવાનું કામ ઘણું કપરું છે. ક્યારેક પ્રારંભમાં કોઈ આકર્ષણને કારણે મૈત્રી બંધાઈ જાય, પરંતુ એ પાછી થોડાક સમયમાં ભુલાઈ જતી હોય છે. જ્યારે સાચી મૈત્રી એ સાતત્યપૂર્ણ હોય છે અને તે જીવનભર ટકનારી હોય છે. દુનિયા આખી જાકારો આપે ત્યારે મૈત્રી એને આવકારો આપે છે. આંખ જેમ જગતને બતાવતી હોય છે, હાથ જેમ શરીરનું પ્રિય કરે છે એવી સાહજિકતા મૈત્રીમાં હોવી જોઈએ અને એવી મૈત્રી વ્યક્તિને માટે જીવનમાં આનંદ અને ઔષધ બંને બની રહે છે.

કુમારપાળ દેસાઈ

આંસુ સારતા નથી


અમેરિકાની વ્યવસાયી બૉક્સિંગમાં ૧૯૧૯થી ૧૯૨૬ સુધી વર્લ્ડ હેવીવેઇટ ચૅમ્પિયનશિપનો ખિતાબ ધારણ કરનારો વિલિયમ હેરિસન ડેમ્પસે (૧૮૯૫થી ૧૯૮૩) એની આક્રમક છટા અને પંચ લગાવવાની  અસાધારણ શક્તિને કારણે બૉક્સિંગના ઇતિહાસમાં એક અત્યંત લોકપ્રિય બૉક્સર તરીકે જાણીતો બન્યો. લોકો એની બૉક્સિંગ જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થતા હતા અને એને કારણે પ્રેક્ષકોની સંખ્યાના નવા વિક્રમો સધાતા હતા. પહેલી વાર એની બૉક્સિંગની મૅચમાં મિલિયન ડૉલરની આવક થઈ હતી. એક પછી એક વિજય ધરાવતા ‘જેક’ ડેમ્પસેને ૧૯૨૬ના સપ્ટેમ્બરમાં જેન ટુની નામના ફિલાડેલ્ફિયાના બૉક્સરે પરાજય આપ્યો. બૉક્સિંગ પહેલાં સહુ કોઈને ટુની જીતશે એવો કોઈ અંદાજ નહોતો, પરંતુ બૉક્સિંગના દસ રાઉન્ડમાં ટુનીએ પૉઇંટથી ડેમ્પસેને હરાવ્યો. એક લાખ વીસ હજાર અને પાંચસો સત્તાવન પ્રેક્ષકોની હાજરીમાં આ ઘટના બની. ડેમ્પસેએ નિવૃત્તિ લેવાને બદલે ફરી પાછા આવવા પ્રયાસ કર્યો, પરંતુ એ ફરી વાર પરાજય પામ્યો. પણ પરાજય પામ્યા પછી એ શાંત બેસી રહ્યો નહીં, ભૂતકાળને બાજુએ હડસેલી એણે બ્રૉડવે પર ‘જેક’ ડેમ્પસે રેસ્ટોરન્ટ શરૂ કરી. એ પોતે મુક્કાબાજીની સ્પર્ધાઓ યોજવા લાગ્યો. વિજેતાઓને ઇનામો આપવા લાગ્યો અને એ રીતે એણે એક નવી જિંદગીનો પ્રારંભ કર્યો. ભૂતકાળને ભૂલીને એ આનંદભેર જીવવા લાગ્યો. એણે કહ્યું, ‘મારા ચૅમ્પિયનશિપના અઢળક કમાણી કરી આપનારા દિવસો કરતાં છેલ્લાં દસ વર્ષમાં મેં મારો સમય વધુ સારી રીતે પસાર કર્યો છે.’ સમજદાર માનવી ઢળેલા દૂધ પર ક્યારેય આંસુ સારતા નથી. જિંદગીમાં થયેલા નુકસાનને કઈ રીતે આનંદપૂર્વક ભરપાઈ કરી શકાય તેનું જેક ડેમ્પસે ઉદાહરણ છે.

કુમારપાળ દેસાઈ

પોતાના અનુભવો પાસેથી કશી


કેળવણી પામતો નથી ======================

વ્યર્થ, નિરર્થક અને નિષ્ફળ જીવનની એક પારાશીશી એ છે કે એ વ્યક્તિના જીવનમાં ક્યારેય નિરાંત ન હોય. નિરાંતની ક્ષણો વિનાનું જીવન વ્યર્થ એ માટે પુરવાર થાય છે કે વ્યક્તિને એના જીવનોપયોગી અનુભવોનું ઉપયોગી તારણ કાઢવાનો પણ સમય મળતો નથી. એ એક અનુભવમાંથી બીજા અનુભવમાં ગબડતી રહે છે, પરંતુ પ્રથમ અનુભવનો પદાર્થપાઠ એ શીખી શકતી નથી. પરિણામે જીવનની પાઠશાળાના સૌથી મોટા શિક્ષક એવા અનુભવ પાસેથી એને ભાવિ જીવનની કોઈ દીવાદાંડી મળતી નથી, આથી એક દોષિત સંબંધમાંથી કોઈ બોધપાઠ લેવાને બદલે બીજો દોષિત સંબંધ બાંધી બેસે છે. જીવનની એક ભૂલ કે પછડાટમાંથી કશું પામવાને બદલે એ બીજી પછડાટ માટે ધસી જાય છે. એક અણગમતો વ્યવસાય છોડીને એનાથીય નઠારો બીજો વ્યવસાય પસંદ કરે છે. આવી વ્યક્તિના જીવનમાં માત્ર અનુભવોની હારમાળા હોય છે. એણે ખાધેલી ઠોકરો અને પછડાટોનો દીર્ઘ ઇતિહાસ હોય છે. હકીકતમાં જીવનનો પ્રત્યેક અનુભવ એ વ્યક્તિને માટે કશીક નવી સમજ, આગવો વિચાર, મૌલિક અભિગમ કે વિશિષ્ટ દર્શન લઈને આવતો હોય છે. સફળ માણસોને નિષ્ફળતાનો અનુભવ થતો હોય છે, પરંતુ તેઓ એમની નિષ્ફળતાના અનુભવોમાંથી સબક લેતા હોય છે. એમને માટે પ્રત્યેક નિષ્ફળતા એ સફળતા માટેનું સોપાન ત્યારે જ બને છે કે જ્યારે તેઓ એ અંગે ગહન વિચાર કરે છે. એ અનુભવને બધી રીતે ચકાસે છે. એમાં જોવા મળેલી પોતાની મર્યાદાઓ વિશે વિચારે છે અને આ બધાં તારણો કાઢીને એ અનુભવમાંથી અર્થ તારવે છે અને ત્યારબાદ નવું પ્રયાણ આરંભે છે. પોતાના અનુભવના મૂલ્યને વેડફી નાખનાર જીવન વેડફી નાખે છે. અનુભવ પર મનન-ચિંતન કરનાર ભાવિ જીવનનું પાથેય પામે છે.

કુમારપાળ દેસાઈ