Categories
વાચન સમૃદ્ધિ

ભરબપોરે અંધારું

યહૂદી ધર્મગુરુની આસપાસ શિષ્યો વીંટળાઈને બેઠા હતા. એમની વચ્ચે જ્ઞાનચર્ચા ચાલતી હતી. ધર્મગુરુએ શિષ્યોને એક પ્રશ્ન પૂછ્યો, ‘હે શિષ્યો, હવે રાત પૂરી થઈ ગઈ છે અને દિવસ શરૂ થયો છે, એ તમે ક્યારે કહી શકો ? અંધારાએ વિદાય લીધી છે અને અજવાળાનો ઉઘાડ થયો છે એવું તમને ક્યારે લાગે છે ?’ ધર્મગુરુનો આવો પ્રશ્ન સાંભળીને પ્રથમ તો શિષ્યો આશ્ચર્ય પામ્યા. આવો તે પ્રશ્ન હોય ! રાત પૂરી થાય છે અને દિવસ ઊગે છે એ તો રોજની બાબત છે. વ્યક્તિએ વ્યક્તિના અનુભવની વાત છે. એનો ઉત્તર આપવો કઈ રીતે ? એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, વહેલી સવારે દૂરથી પ્રાણીઓ આવતાં હોય અને એમાં બકરી કોણ છે અને ઘેટું કોણ છે, એનો ભેદ પારખી શકીએ, ત્યારે સવાર પડી કહેવાય.’ ધર્મગુરુએ નકારમાં માથું ધુણાવ્યું અને કહ્યું, ‘કોઈ બીજો શિષ્ય મારા પ્રશ્નનો ઉત્તર આપશે ખરો ?’ બીજા શિષ્યએ કહ્યું, ‘ગુરુજી, આસપાસ વૃક્ષોની વનરાજી હોય. એના ભણી જ આંખો માંડી હોય અને પછી ધીરે ધીરે પ્રકાશ પથરાતાં અમને અંજીર અને પીચનાં ઝાડ વચ્ચેનો તફાવત નરી આંખે દેખાય ત્યારે સમજવું કે બસ, સવાર પડી ગઈ છે.’ ત્રીજા શિષ્યે કહ્યું, ‘બારીમાંથી સૂર્યનું પહેલું કિરણ દેખાય ત્યારે સવાર પડી હોય એમ લાગે છે.’ તો કોઈ શિષ્યએ કહ્યું, ‘ખુલ્લા આકાશ નીચે સૂતા હોઈએ અને આંખમાં પહેલું સૂર્યકિરણ પડે ત્યારે એમ લાગે કે બસ, હવે સવાર પડી ગઈ.’ શિષ્યોના જવાબથી પણ ગુરુને સંતોષ થયો નહીં. અંતે થાકીને શિષ્યોએ કહ્યું, ‘ગુરુજી, અમારી વાત તમે સ્વીકારતા નથી, તો તમે જ અમને સમજાવો.’ યહૂદી ધર્મગુરુ બોલ્યા, ‘મારા પ્રિય શિષ્યો, તમે આ જગતની કોઈ પણ સ્ત્રીને તમારી ભગિનીના સ્વરૂપમાં જુઓ અને પુરુષને તમારા બંધુના રૂપે જુઓ, ત્યારે માનજો કે હવે સાચો ઉજાસ ફેલાયો છે. બાકી તો ભરબપોરે પણ અંધારું જ છે એમ માનજો. દિવસ ઊગ્યો છે એવું સહેજે માનશો નહીં.’

Categories
વાચન સમૃદ્ધિ

જરા સમજ તો

ડૉક્ટરે નિદાન કરતાં જ્હૉન વેન શેલ્ટરને કહ્યું કે તમને કૅન્સર થયું છે. ઘણું વધી ગયું છે. હવે તમારું આયુષ્ય છ માસથી અથવા તો વધુમાં વધુ એક વર્ષનું રહેશે. જ્હૉને ડૉક્ટરને કહ્યું, ‘માફ કરજો ડૉક્ટરસાહેબ, આપની વાત હું સ્વીકારતો નથી. ભલેને કૅન્સર હોય પણ હું તો જીવીશ જ અને એક વર્ષથી વધુ જીવીશ.’ એંશી વર્ષના જ્હૉન આરામથી જીવન વિતાવવા લાગ્યા. સમય વીતતો ચાલ્યો. એમની સ્ફૂર્તિ એટલી જ રહી. ચહેરાનો આનંદ સહેજે લેપાયો નહીં. મહિનાઓ પર મહિના વીતવા લાગ્યા. નિદાન થયાને વર્ષ વીતી ગયું. લોકો જ્હૉનને ‘જીવંત ચમત્કાર’ તરીકે ઓળખવા લાગ્યા. ડૉક્ટરો પણ વિચારતા હતા કે કૅન્સરને કારણે એમનું શરીર આટલું બધું ક્ષીણ થઈ ગયું છે, તેમ છતાં આટલી બધી મોજથી કેવી રીતે જીવતા હશે ? કોઈએ જ્હૉનને આનું રહસ્ય પૂછ્યું તો જ્હૉને કહ્યું કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેઓ તબીબ તરીકે ઘાયલ સૈનિકોની છાવણીમાં કામ કરતા હતા. એમણે ઘવાયેલા સૈનિકોને હસતા જોયા. કોઈનો હાથ કપાઈ ગયો હતો, કોઈનો પગ કપાઈ ગયો હતો, પણ એ સૈનિકો મોજથી જીવતા હતા. જ્હૉને આનું રહસ્ય એ શોધ્યું કે સૈનિકો એમની શારીરિક સ્થિતિ વિશે વિચારતા જ નહોતા, તેથી એમના મનને શારીરિક યાતના સ્પર્શતી નહોતી. જ્હૉને પોતાના જીવનમાં આ વાત અપનાવી અને નક્કી કર્યું કે શરીરનો હું ગુલામ નથી, કિંતુ શરીર મારું ગુલામ છે. શરીરે કેમ વર્તવું એ પોતાના શરીરને શીખવવા લાગ્યા. એક વાર એ ઊભા થયા અને એકાએક માથામાં તીવ્ર શૂળ જેવી વેદના જાગી. વેદનાને જ્હૉને કહ્યું, ‘ચૂપ રહે. મિત્રોની મહેફિલમાં બેઠો છું. એનો ખ્યાલ રાખીને ચૂપચાપ બેસ.’ ક્યારેક છાતીમાં દર્દ થતું તો બોલી ઊઠતા, ‘ખામોશ થઈ જા. જરા સમજ તો,  સવારનો સુંદર નાસ્તો હું કરી રહ્યો છું.’ આ રીતે જ્હૉને પોતાના શરીરને સૂચનાઓ આપીને અંકુશમાં રાખ્યું અને એક વર્ષથી તો ઘણું વધુ જીવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

હું જાગું છું !

ઇરાકના બસરાની ગરીબ વસ્તીમાં ઇસ્માઇલને ત્યાં જન્મેલી એની ચોથી પુત્રી રાબિયાને કારમી ગરીબી અને દૃઢ પ્રભુભક્તિ વારસામાં મળ્યાં હતાં. બાળપણથી જ રાબિયા નમાજ અને ઇબાદતમાં પિતાની સાથે રહેતી હતી અને મોડી રાત સુધી સતત નામસ્મરણ(જિકર)માં પિતાની સાથે એ પણ લીન રહેતી હતી. રાબિયાએ કઠોર તપશ્ચર્યા કરી. એનું જીવન આધ્યાત્મિક ચમત્કારોથી પરિપૂર્ણ હતું. સંત રાબિયાનું અધ્યાત્મ સૂફી મતમાં આગવું સ્થાન ધરાવે છે. અગાઉના સૂફી સંતો નરકના ભય અને સ્વર્ગની લાલસાથી અલ્લાહની પ્રાર્થના કરતા હતા, પણ એમનામાં અખંડ પ્રભુભક્તિ ધરાવતું જીવનસમર્પણ નહોતું. રાબિયાએ સૂફી પરંપરામાં નરકના ભય અને સ્વર્ગની લાલસાને હટાવીને માત્ર નિઃસ્વાર્થ પ્રભુભક્તિનો મહિમા કર્યો. પોતે ગરીબ હોવા છતાં કોઈની સહાય કે મદદ સ્વીકારતા નહીં, કારણ કે તેઓ માનતા કે લોકો પાસે જે ભેટસોગાદો છે, તે પણ અલ્લાહે જ આપેલી છે. એમનું પોતાનું તો આમાં કશું નથી ! ઈશ્વર પરત્વેના પ્રેમની આવી સમર્પણશીલતાની ભાવના એ ‘ઇશ્કેહકીકી’ એ સૂફી મતના પાયાનો સિદ્ધાંત બની ગયો. એ કહેતી કે ‘અલ્લાહ મારી પરિસ્થિતિથી વાકેફ છે, પછી મારે કંઈ એમને યાદ કરાવવાનું રહેતું નથી.’

એક વાર રાબિયાની ઝૂંપડીમાં ચોર આવ્યો. એની ઝૂંપડી સાવ ખાલી હતી. માત્ર રાબિયાએ ઓઢેલી એક ચાદર હતી. રાબિયાની ચાદર ઉઠાવીને ચોર ભાગવા ગયો, તો એને દરવાજો દેખાતો બંધ થઈ ગયો. એ સમયે ચોરને એક ગેબી અવાજ સંભળાયો, ‘તું એમ માનીશ નહીં કે બધા ઊંઘે છે અને તું ચોરી કરી રહ્યો છે.’ આ અવાજ સાંભળીને ચોર હેરાન-પરેશાન થઈ ગયો. એ ગેબી અવાજે કહ્યું, ‘સાંભળ, રાબિયાએ પોતાની જાત મને સમર્પિત કરી છે અને આથી એ સૂતી હોય છે, ત્યારે હું જાગતો હોઉં છું.’

આ અવાજ સાંભળીને ચોર ચાદર છોડીને ભાગ્યો.