Categories
વાચન સમૃદ્ધિ

કમાવાની આદત

ગ્રીસ દેશના ઍથેન્સ નગરમાં કિલેંથિસ નામનો બાળક નિશાળમાં અભ્યાસ કરતો હતો. આ અત્યંત ગરીબ બાળકના શરીર પરનાં કપડાં સાવ ફાટેલાં હતાં. એને દિવસના બે ટંક ભોજન પણ મળતું નહોતું. આવું હોવા છતાં દર મહિને એ નિયમિત રૂપે નિશાળની ફી ભરતો હતો. અભ્યાસમાં એટલો તેજસ્વી હતો કે બીજા વિદ્યાર્થીઓ એની ઈર્ષા કરતા હતા. કેટલાક સુખી વિદ્યાર્થીઓને તો થયું કે અત્યંત ગરીબ કિલેંથિસ પાસે પહેરવાનાં પૂરતાં કપડાં નથી, તેમ છતાં નિશાળની ફી કઈ રીતે નિયમિત રૂપે ભરે છે ? નક્કી, એ ક્યાંક ચોરી કરીને પૈસા લાવતો હશે. એની ઈર્ષા કરતા કેટલાક ધનિક વિદ્યાર્થીઓએ એના પર ચોરીનું આળ લગાડીને એને પકડાવી દીધો. અદાલતમાં એનો કેસ ચાલ્યો. ન્યાયાધીશે કિલેંથિસને પૂછ્યું, ત્યારે એણે નિર્ભય થઈને કહ્યું, ‘‘હું ચોરી કરતો નથી અને મારી વાતની પુષ્ટિ રૂપે બે સાક્ષીઓને હાજર કરવા ઇચ્છું છું.’’ ન્યાયાધીશે સાક્ષીઓને બોલાવવાની મંજૂરી આપી, ત્યારે એણે પહેલાં સાક્ષીના રૂપમાં એક માળીને બોલાવ્યો. માળીએ કહ્યું કે, આ છોકરો રોજ વહેલી સવારે મારા બગીચામાં આવીને કૂવામાંથી પાણી ખેંચી આપે છે અને બગીચાને પાણી પાય છે, એના બદલામાં હું એને થોડા પૈસા આપું છું. બીજા સાક્ષીના રૂપમાં એક વૃદ્ધ નારી આવી. એણે કહ્યું કે એના ઘરમાં કોઈ નથી એટલે આ બાળક આવીને રોજ મારી ઘંટીમાં અનાજ દળી આપે છે અને થોડા ઘણા પૈસા આપે છે. ન્યાયાધીશ આ ગરીબ, મહેનતુ બાળકની સચ્ચાઈની કમાણીની વાત સાંભળીને પ્રસન્ન થયા અને કહ્યું કે જો કિલેંથિસ ઇચ્છે તો હવે પછીના એના અભ્યાસનો તમામ ખર્ચ ભોગવવા તેઓ તૈયાર છે. વિદ્યાર્થી કિલેંથિસે ન્યાયાધીશની આ વાતનો સાદર અસ્વીકાર કરતાં કહ્યું કે હવે એને મહેનત કરીને કમાવાની આદત પડી ગઈ છે.

Categories
વાચન સમૃદ્ધિ

સઘળી દોલતની કિંમત

ઈરાનના બાદશાહ હારૂન અલ રશીદને પોતાના વિરાટ સામ્રાજ્યનો અને અઢળક ધન-સંપત્તિનો અતિ અહંકાર હતો. આ અહંકારે એને ગર્વિષ્ઠ અને તોછડો બનાવી દીધો હતો. નોકર-ચાકર તો ઠીક, પરંતુ રાજના દીવાનો સાથે પણ એનો વ્યવહાર સૌજન્યહીન હતો. આવા ઘમંડી બાદૃશાહને મળવા માટે અબુ શકીક નામના મહાન મુસ્લિમ સંત આવ્યા. આ અબુ શકીકે બાદશાહને પૂછ્યું, ‘‘બાદશાહ, તમારી ધનદોલતનું કુલ મૂલ્ય કેટલું છે ?’’ સૂફી સંતના પ્રશ્ને બાદશાહને વિચારમાં ડુબાડી દીધો. બાદશાહનો ગર્વ બોલી ઊઠ્યો, ‘‘અરે ! એટલી બેશુમાર દોલત મારી પાસે છે કે જેની મને ખુદને ખબર નથી. એનો અંદાજ હું કઈ રીતે આપું ! તમારી કલ્પના બહારની આ વાત છે.’’ સૂફી સંતે કહ્યું, ‘‘બાદશાહ, ધારો કે તમે સહરાના રણમાં ભૂલા પડ્યા છો, તમને ખૂબ તરસ લાગી છે. પણ તમારી પાસે પીવાના પાણીનું એક ટીપું નથી. તમને એવો અનુભવ થાય છે કે હમણાં તમે વિના પાણીએ તરફડીને મૃત્યુ પામશો ! ધારો કે એ સમયે તમારી સમક્ષ કોઈ તમને પાણીનો ગ્લાસ ધરે તો તમે એને શું આપશો ?’’ બાદશાહ હારૂન અલ રશીદે કહ્યું, ‘‘અરે ! આવે વખતે તો હું એને અર્ધું રાજ્ય આપી દઉં.’’ સૂફી સંતે બીજો પ્રશ્ન કર્યો, ‘‘બાદશાહ, ધારો કે તમે ખૂબ બીમાર પડ્યા હો, બચવાની કોઈ આશા ન હોય, દુનિયાના કાબેલ હકીમોએ કરેલા ઉપચાર નિષ્ફળ નીવડ્યા હોય અને એ જ સમયે તમને કોઈ દવાની પડીકી આપે અને સાજા થઈ જાવ, તો તમે એને શું આપો ?’’ બાદશાહ બોલી ઊઠ્યા, ‘‘અરે ! આવા જાન બચાવનારને તો અર્ધું રાજ્ય આપી દઉં.’’ સૂફી સંત અબુ શકીકે કહ્યું, ‘‘બાદશાહ, તમારા સામ્રાજ્યની તમામ દોલતની કિંમત પાણીના એક ગ્લાસ અને દવાની એક પડીકી જેટલી જ છે. જો તમારા ધન-દોલતની આટલી જ કિંમત હોય, તો એનું આટલું બધું અભિમાન શાને?’’

Categories
વાચન સમૃદ્ધિ

સમયપાલનનું મહત્ત્વ

અમેરિકાના સ્વાતંત્ર્ય માટેની ક્રાંતિ દરમિયાન લશ્કરના સરસેનાધિપતિ, અમેરિકાના પ્રથમ પ્રમુખ અને અમેરિકાના રાષ્ટ્રપિતા એવા જ્યોર્જ વૉશિંગ્ટને એક વાર લંચ માટે કેટલાક મહેમાનોને નિમંત્રણ આપ્યું હતું. એ મહેમાનો સાથેનો ભોજનસમારંભ પૂરો થયા બાદ એમણે સેનાના કમાન્ડરો સાથે એક જરૂરી મિટિંગ ગોઠવી હતી. જ્યોર્જ વૉશિંગ્ટનના સમયપાલનની ચુસ્તતાનો એમના નોકર-ચાકરોને બરાબર પરિચય હોવાથી ભોજનનો સમય થતાં જ એમણે પ્રમુખને જાણ કરી કે ભોજનની સઘળી વ્યવસ્થા થઈ ગઈ છે, પણ હજુ સુધી મહેમાનો આવ્યા નથી. જ્યોર્જ વૉશિંગ્ટન ભોજનખંડમાં આવ્યા અને બોલ્યા, ‘બાકીની બધી પ્લેટ ઉઠાવી લો. હું એકલો જ ભોજન કરીશ.’ મહેમાનોની પ્રતીક્ષા કર્યા વિના એમણે ભોજન કરવાનું શરૂ કર્યું. લગભગ અડધું ભોજન પતાવી દીધું હતું, ત્યારે મહેમાનો આવ્યા અને ભોજનના ટેબલ પર એમની પ્લેટ મૂકવામાં આવી. એટલામાં જ્યોર્જ વૉશિંગ્ટન પોતાનું ભોજન પતાવીને ઊભા થયા અને મહેમાનોની વિદાય લઈને કમાન્ડરોની બેઠકમાં સામેલ થયા. બન્યું એવું કે આ બેઠકમાં એ આવ્યા ત્યારે જાણ થઈ કે અમેરિકાના એક ભાગમાં ભયંકર વિદ્રોહ થયો છે. એમણે તરત જ આ વિદ્રોહનો સામનો કરવા માટે આવશ્યક બાબતોના હુકમો આપ્યા. એનાં બધાં પાસાં પર વિચાર કર્યો અને કઈ રીતે આગળ વધવું એનું આયોજન કર્યું. આ બધું સમયસર થવાથી ઘણી માનવખુવારી ઘટી ગઈ અને સંપત્તિને પણ ઓછું નુકસાન થયું. થોડા સમય બાદ આ વાતની જાણ એ દિવસે ભોજન સમારંભમાં વિલંબથી આવેલા મહેમાનોને થઈ, ત્યારે એમને આત્મગ્લાનિનો અનુભવ થયો. એમને સમજાયું કે પ્રત્યેક કાર્ય સમયસર કરવાથી જાનમાલની કેટલી મોટી ખુવારીમાંથી બચી જવાય છે અને જીવનમાં વ્યવસ્થિત રહીને કાર્ય સિદ્ધ થાય છે. આ વિચાર સાથે તેઓ ફરી રાષ્ટ્રપતિ જ્યોર્જ વૉશિંગ્ટનના ઘેર આવ્યા અને એમણે એ દિવસે થયેલી ભૂલ બદલ ક્ષમાયાચના કરી, ત્યારે રાષ્ટ્રપતિએ કહ્યું, ‘આમાં ક્ષમાની કોઈ વાત જ નથી. જેને પોતાના જીવનની વ્યવસ્થા તેમજ પરિવાર, સમાજ અને દેશની ઉન્નતિનો ખ્યાલ રાખવો હોય, એણે સમયનું કડક પાલન કરવું જ જોઈએ.’