Categories
વાચન સમૃદ્ધિ

જીવ બળે તે સારું !

યહૂદી ધર્મગુરુ પાસે આવીને એક મોચીએ દયામણા ચહેરે અને ભીની આંખે કહ્યું, ‘આપ હંમેશાં અમને ઉપદેશ આપો છો અને કહો છો કે રોજ સવારે પ્રાર્થના કરવી જોઈએ, પણ મારે માટે અત્યંત મુશ્કેલ છે, હવે શું કરું ?’ ધર્મગુરુએ કારણ પૂછતાં મોચીએ કહ્યું, ‘રોજ સવારે પ્રાર્થના કરવાની ઇચ્છા હોય છે, પણ હું કરી શકતો નથી. આખી રાત જાગીને હું કામ કરું છું અને સવારે પણ મારું એ કામ ચાલુ જ હોય છે. સહેજે નવરો પડતો નથી અને તેથી પ્રાર્થના કરી શકતો નથી.’ ‘એટલે ? તું શું આખી રાત કામ કરે છે ?’ મોચીએ કહ્યું, ‘હા, મારા વિસ્તારમાં ગરીબો વસે છે. એ આખો દિવસ કોઈના ઘરનું કામ કરે છે અથવા તો ખેતરમાં મજૂરી કરવા જાય છે. રાત્રે ઘેર પાછા ફરે પછી મને એમનાં તૂટેલાં બૂટ-ચંપલ સાંધવા માટે આપી જાય છે. જો બીજે દિવસે સવાર પછી એ બૂટ-ચંપલ સાંધવાનું રાખું તો એ નોકરો અને મજૂરોને આખો દિવસ બૂટ-ચંપલ વિના ચલાવવું પડે, રસ્તાના કાંટા કે બળબળતો તાપ વેઠવો પડે. આથી આખી રાત હું એમનાં તૂટેલાં બૂટચંપલ સાંધું છું. એટલું બધું કામ હોય છે કે સવારે પણ બૂટ-ચંપલ સાંધવાનું ચાલુ રહે છે. સવારે નવ વાગે એ બધા મારે ઘેર આવે ત્યારે હું એમને એમનાં બૂટ-ચંપલ સાંધીને આપી દઉં છું. સવારે પ્રાર્થના કરી શકતો નથી, તેથી મારો જીવ તો બહુ બળે છે.’ ધર્મગુરુએ પૂછ્યું, ‘કેમ જીવ બળે છે ? શું થાય છે તને ?’ ‘ક્યારેક ઉતાવળે પ્રાર્થના કરું છું ત્યારે મારા જીવને આખો દિવસ ગોઠતું નથી. અને જો પ્રાર્થના કરવાનું ચૂકી જાઉં તો મારા મનને એક પળ નિરાંત મળતી નથી. સતત પ્રાર્થના યાદ આવે છે. વિચારું છું કે કેવો કમનસીબ છું હું અને આને કારણે મારો જીવ સતત બળ્યા કરે છે.’ ધર્મગુરુએ કહ્યું, ‘જો હું ભગવાન હોત તો તારી વહેલી સવારની પ્રાર્થના કરતાં તારા બળેલા જીવથી તારા પર વધારે પ્રસન્ન થાત.’

Categories
વાચન સમૃદ્ધિ

દર્પણમાં ચહેરો જુઓ !

ગ્રીસના મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ સદૈવ વિચારનો મહિમા અને મહત્ત્વ કરતા હતા અને દૃઢપણે માનતા હતા કે વિચાર જીવનમાં પ્રતિબિંબિત થવો જોઈએ. ‘જે વિચાર જીવન સાથે સંકળાયેલો ન હોય, એ વિચારનું કોઈ મૂલ્ય હોતું નથી.’ અને એટલે જ એણે એમ કહ્યું હતું કે ‘મારું જીવન એ જ મારું તત્ત્વજ્ઞાન છે.’ શિલ્પી પિતા અને દાયણ માતાના પુત્ર સૉક્રેટિસ પોતાને વિશે એમ કહેતા કે જેમ દાયણ માતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢે છે, તેમ તેઓ લોકોના મનમાંથી અજ્ઞાન બહાર ખેંચી કાઢે છે અને જેમ શિલ્પી પથ્થરમાં માનવઆકૃતિ કંડારે છે તેમ તેઓ માનવવ્યક્તિત્વને કંડારે છે. આવા દાર્શનિક સૉક્રેટિસનો બાહ્ય દેખાવ અત્યંત બેડોળ હતો. ઠીંગણું કદ, ચીબુ નાક, આગળ પડતી મોટી આંખો – આમ છતાં એ વારંવાર દર્પણમાં પોતાનું મુખ જોતા હતા. એક વાર એના કેટલાક શિષ્યો એની પાસે ગયા, ત્યારે એમને સૉક્રેટિસનું આ વર્તન સમજાયું નહીં. વિચારવા લાગ્યા કે શા માટે કુરૂપ ચહેરા ધરાવતા ગુરુ વખતોવખત દર્પણમાં પોતાનો ચહેરો જોતા હશે. આખરે એક શિષ્યએ સાહસ કરીને પૂછી લીધું, ‘ગુરુજી, શા માટે આપ વારંવાર દર્પણમાં તમારો ચહેરો જુઓ છો ?’ શિષ્યની વાત સાંભળીને સૉક્રેટિસ હસી પડ્યા અને બોલ્યા, ‘વાત તો તારી સાચી. જેનો ચહેરો કુરૂપ હોય, એને દર્પણ જોવાની વળી શી જરૂર ? પરંતુ મારા પ્રિય શિષ્ય, સહુએ દર્પણ જોવું જોઈએ, પછી તે રૂપવાન હોય કે કુરૂપ હોય.’ શિષ્ય અધવચ્ચે બોલી ઊઠ્યો, ‘પણ ગુરુજી કુરૂપને તો પોતાના બદસૂરત ચહેરાની વાસ્તવિકતાની ખબર છે, પછી એ શા માટે દર્પણમાં જોતો હશે ? એમ કરવાથી તો દુ:ખ પહોંચે.’ સૉક્રેટિસે કહ્યું, ‘કુરૂપે એ માટે દર્પણ જોવું જોઈએ કે એને ખ્યાલ આવે કે પોતે કુરૂપ છે અને એણે ઉત્તમ કાર્યો દ્વારા પોતાની કુરૂપતાને સુંદર બનાવીને ઢાંકવાની છે અને રૂપવાન વ્યક્તિએ દર્પણ એ માટે જોવું જોઈએ કે ઈશ્વરે એને સૌંદર્ય આપ્યું છે, તેથી એ હંમેશાં એને અનુરૂપ સુંદર કાર્યો કરે.’

Categories
વાચન સમૃદ્ધિ

પરવાનગીનો ઇન્કાર

1922માં જાપાન સરકારના નિમંત્રણથી વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન પ્રવાસે ગયા. સ્ટીમરમાંથી આઇન્સ્ટાઇન જાપાનના દરિયાકિનારે ઊતર્યા, ત્યારે એમનું ભવ્ય બહુમાન થયું. જાપાન સરકારે આ મહાન વિજ્ઞાનીના આગમનના દિવસે રજા જાહેર કરી હતી અને આઇન્સ્ટાઇનના સ્વાગત માટે સ્વયં સમ્રાજ્ઞી પધાર્યાં હતાં. વિશાળ વ્યાખ્યાનખંડમાં જાપાનીઝ લોકો વચ્ચે આઇન્સ્ટાઇને એમના વક્તવ્યનો પ્રારંભ કર્યો. જાપાનના એ શહેરમાં ચારેક કલાક સુધી વક્તવ્ય આપ્યું. એ પછી એમને મનોમન થયું કે તેઓ બહુ લાંબું બોલ્યા. આટલું લાંબું ભાષણ આપવું જોઈએ નહીં. પરિણામે એ પછીના શહેરમાં આઇન્સ્ટાઇને માત્ર બે કલાકમાં પોતાનું ભાષણ સમેટી લીધું. એમને લાગ્યું કે એ આ વખતે લાંબું બોલ્યા નથી, તેથી શ્રોતાઓને અનુકૂળ રહ્યું હશે. પણ વાત સાવ વિપરીત બની. નગરજનોએ આવીને આઇન્સ્ટાઇનને ફરિયાદ કરી કે અગાઉના નગરમાં તમે ચાર કલાક બોલ્યા હતા અને અમને માત્ર બે કલાકનો જ સમય કેમ આપ્યો ? આમાં અમારો કંઈ વાંકગુનો ખરો? જાપાનમાં પર્વતના ઢાળ પર કે સાંકડી ગલીમાં માણસ ઠેલા-ગાડીમાં જતો હતો. સહુએ આઇન્સ્ટાઇનને કહ્યું કે ‘તમે આ રિક્ષામાં બેસો’ અને ત્યારે આઇન્સ્ટાઇને સ્પષ્ટ ઉત્તર આપ્યો, ‘બીજા કોઈ માનવીને પ્રાણી તરીકે વાપરવાની અને મને ખેંચવાની પરવાનગી હું કદી આપું નહીં.’ અને આઇન્સ્ટાઇન ચાલીને જાપાનની સાંકડી ગલીઓમાં ઘૂમતા રહ્યા અને પર્વતના ઢાળ ઉપર ચડતા રહ્યા.