Categories
વાચન સમૃદ્ધિ

કપરી પરિસ્થિતિમાં

એ સમયે અમેરિકામાં આવકવેરો નહોતો અને એ જમાનામાં અમેરિકન કંપનીઓમાં વાર્ષિક દસ લાખ ડૉલરની કમાણી કરતી વ્યક્તિઓ બહુ ઓછી હતી. આવે સમયે એન્ડ્રુ કાર્નેગીએ પોતાની નવી કંપનીમાં ત્રીસ વર્ષના યુવાનની નિમણૂક કરી. યુનાઇટેડ સ્ટીલ કંપની નામની એમની આ કંપનીનો પ્રારંભ ઈ. સ. 1921માં કર્યો અને એણે ચાર્લ્સ શ્વાબને વર્ષે દસ હજાર ડૉલરના પગારે રાખી લીધા. ચાર્લ્સ શ્વાબ પાસે એક આગવી આવડત હતી. એ પોતે સ્ટીલ ઉત્પાદનના આ વ્યવસાયના ઊંડા જાણકાર નહોતા. વ્યવસાય માટેની અદ્ભુત કુનેહ ધરાવનાર કોઈ મેધાવી વ્યક્તિ પણ નહોતા. હકીકતમાં તો એમના હાથ નીચે કામ કરતા કેટલાય લોકો ચાર્લ્સ શ્વાબ કરતાં સ્ટીલ ઉત્પાદન અંગે વધુ જાણકારી ધરાવતા હતા, પરંતુ ચાર્લ્સ શ્વાબની ખૂબી એવી હતી કે એ પોતાના સાથી કર્મચારીઓને બરાબર ઓળખીને એમને એમના કામમાં પ્રોત્સાહિત કરતા હતા. વળી એ કર્મચારીઓને એમના કાર્ય માટે અભિનંદન આપતા હતા. એની આ આવડત જ ચાર્લ્સ શ્વાબની એક મહત્ત્વની શક્તિ બની રહી. એમાં પણ એની સ્ટીલ મિલમાં કામ કરતા એક આધેડ વયના જર્મન કામદારને પોતાના સાથી કામદારો સાથે ઝઘડો થયો. સામસામી દલીલબાજી થઈ. એમાંથી ઉગ્ર સ્વરૂપ પકડ્યું અને બધાએ ભેગા થઈને પેલા જર્મન કર્મચારીને ઊંચકીને નદીમાં ફેંકી દીધો. પેલો જર્મન કર્મચારી પાછો ઑફિસમાં આવ્યો, ત્યારે એનાં કપડાં કાદવ-કીચડવાળાં હતાં. ચાર્લ્સ શ્વાબે એને પૂછ્યું કે, ‘તારા સાથી કર્મચારીઓએ તને ઊંચકીને નદીમાં ફેંકી દીધો, ત્યારે તેં એમને કેટલા ગુસ્સાભર્યા અપશબ્દો કહ્યા હતા ?’ એના ઉત્તરમાં આધેડ વયના જર્મન કર્મચારીએ કહ્યું, ‘સાહેબ, એ સમયે હું માત્ર હસતો હતો’ અને ચાર્લ્સ શ્વાબે એ પ્રૌઢ જર્મન પાસેથી ‘કપરી પરિસ્થિતિમાં પણ સદા હસતા રહેવું’ એ સૂત્રને જીવનમંત્ર તરીકે અપનાવી લીધું.

Categories
વાચન સમૃદ્ધિ

ફરી ભૂલ નહીં કરે

વિશાળ આકાશમાં વિમાની ખેલ-કરતબ બતાવવા માટે ટેસ્ટ પાઇલટ બૉમ હુવરની અમેરિકામાં ચોતરફ ખ્યાતિ ફેલાયેલી. એક વાર સાનડિયાગોમાં શો કરીને તેઓ વિમાન ચલાવીને પોતાના ઘેર લૉસ એન્જલસ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકાએક 300 ફૂટની ઊંચાઈએ એમનું પ્લેન બંધ થઈ ગયું. મશીનો કામ કરતાં અટકી ગયાં. બૉમ હુવર કુશળ પાઇલટ હોવાથી પ્લેનને મહામહેનતે જમીન પર ઉતારવા સફળ રહ્યા, પરંતુ આમ કરવા જતાં વિમાનને ઘણું મોટું નુકસાન થયું. આવી રીતે ઇમરજન્સી લૅન્ડિંગ કર્યા પછી પાઇલટ બૉમ હુવરે પોતાના અનુભવને આધારે તત્કાળ વિમાનનું બળતણ તપાસવાનું કામ કર્યું. એણે ધાર્યું હતું તેવું જ બન્યું. વિમાનમાં ગેસોલિનના બદલે જૅટનું બળતણ ભર્યું હતું. હવાઈ મથકેથી તેઓ તરત જ વિમાનને સર્વિસ કરનારા મિકૅનિક પાસે પહોંચી ગયા. જ્યારે મિકૅનિકને આ ઘટનાની જાણ થઈ ત્યારે તો એ ધ્રૂજવા લાગ્યો. એને થયું કે એનાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. એની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી, કારણ એટલું જ કે આ અકસ્માતમાં ભલે કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ અત્યંત મોંઘી કિંમતનું પ્લેન તૂટી ગયું. હવે શું થશે ? મિકૅનિક ધારતો હતો કે બૉમ હુવર એની ઝાટકણી કાઢશે, તત્કાળ સસ્પેન્ડ કરી દેશે. સહુની હાજરીમાં આકરો ઠપકો આપશે અને શું નું શું થઈ જશે ! પરંતુ બન્યું એવું કે પાઇલટ બૉમ હુવરે આવીને ન તો મિકૅનિક પર અપશબ્દોનો વરસાદ વરસાવ્યો કે ન તો એને આકરો ઠપકો આપ્યો. બલ્કે એના ગળા પર પ્રેમથી હાથ વીંટાળીને કહ્યું, ‘હવે મને ખાતરી થઈ ચૂકી છે કે તું ક્યારેય આવી ગંભીર ભૂલ નહીં કરે. ખેર, આવતીકાલે મારું પ્લેન એફ-11ની સર્વિસ કરવા માટે સવારે આવી જજે.’

Categories
વાચન સમૃદ્ધિ

જમીન પર તો ચાલતાં શીખો

એક વાર અંધારી રાત્રે વિખ્યાત ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મી ઘૂમવા નીકળ્યા. એ જમાનામાં આકાશના તારાઓની ઓળખ મેળવનારા ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મી જેવો બીજો કોઈ ખગોળશાસ્ત્રી નહોતો. ચોતરફ એમની વિદ્યાની પ્રશંસા થતી હતી અને તારાઓની ગતિ જોઈને વ્યક્તિના ભવિષ્યના જીવનની ગતિ બતાવવાની એમની કાબેલિયત પર સહુ કોઈ આફરીન પોકારી ગયા હતા. રાત્રે ફરવા નીકળેલા આ સમર્થ ખગોળશાસ્ત્રી ખ્યાલ ન રહેતાં ઊંડા ખાડામાં પડી ગયા. મદદ કરવા માટે એ જોર જોરથી બૂમો પાડતા હતા. થોડો સમય તો કોઈ આવ્યું નહીં, પણ એવામાં એક વૃદ્ધ સ્ત્રી એ રસ્તેથી નીકળી અને એણે જોયું તો ખાડામાંથી કોઈ મદદ માટે બૂમો પાડતું હતું. એ ગરીબ, નિરક્ષર મહિલાએ ઘણી મહેનત કરીને એમને બહાર કાઢ્યો. ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મીએ આ વૃદ્ધાનો આભાર માન્યો. વૃદ્ધા તો હસીને આગળ ચાલી. કીર્તિવંત ખગોળશાસ્ત્રીથી રહેવાયું નહીં એટલે એમણે એ વૃદ્ધાને અટકાવીને પૂછ્યું, ‘તમે મને ઓળખ્યો ખરો ? હું આ જમાનાનો મશહૂર ખગોળશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી છું. આકાશના તારાને જોઈને માણસની જિંદગીની ગતિ ભાખી શકું છું. તમે મને ખાડામાંથી બહાર કાઢ્યો ને મદદ કરી, તે માટે તમારું ભવિષ્ય જોઈને મારા પરના અહેસાનનો બદલો ચૂકવવો છે.’ પેલી વૃદ્ધાએ હસીને કહ્યું, ‘અરે ! જેને જમીન પરના ખાડાની જાણકારી ન હોય, એને વળી માનવીના ભવિષ્યની જાણકારી હોય ખરી ? પહેલાં તમે જે જમીન પર ચાલો છો, એને બરાબર જાણો, પછી તારાઓની ગતિનું માપ કાઢવા બેસજો.’ વૃદ્ધાનાં આ વચનોએ ખગોળશાસ્ત્રીના હૃદય પર પ્રભાવ પાડ્યો. એમને સમજાયું કે જે જમીન પર ચાલો છો, તે જમીનનો વાસ્તવિક ખ્યાલ ન હોય, તો આકાશને જાણીને શું કરશો? આ ખગોળશાસ્ત્રી આકાશના બદલે પાતાળના-ભૂગર્ભના ભેદ ઉકેલવા લાગ્યો અને ભૂસ્તરશાસ્ત્રી બન્યો. વૃદ્ધાના એક વાક્યે આકાશમાં નજર માંડીને બેઠેલા ખગોળશાસ્ત્રીના જીવનની દિશા બદલી નાખી.