Categories
વાચન સમૃદ્ધિ

કૃતિ એ જ સર્વસ્વ

બ્રિટનના વિખ્યાત શિલ્પકાર સ્ટોરીની વિશેષતા એ હતી કે તે એવી મૂર્તિઓનું નિર્માણ કરતો કે જાણે એ વ્યક્તિ સાક્ષાત્ જીવંત લાગતી. એનાં શિલ્પોને સહુ ‘બોલતાં શિલ્પો’ કહેતા, કારણ કે વ્યક્તિના ચહેરાને પથ્થરમાં કંડારીને એને જીવંત કરવાની એની પાસે બેનમૂન કલા હતી. શિલ્પી સ્ટોરીએ બ્રિટનના રમણીય ઉદ્યાનમાં મૂકવા માટે જ્યૉર્જ પિવોડીની મૂર્તિનું સર્જન કર્યું. આની પાછળ અથાગ પરિશ્રમ કર્યો. એના ચહેરાની રેખા પથ્થરમાં પ્રગટે એ માટે રાત-દિવસ મહેનત કરી. ઉદ્યાનમાં એ શિલ્પનું અનાવરણ કરવાનું નક્કી થયું અને સહુએ એક અવાજે કહ્યું કે આ અદભુત શિલ્પની અનાવરણ વિધિ આવા અનુપમ શિલ્પીના હસ્તે થવી જોઈએ, જેણે આવી કલા કંડારી, એને આ બહુમાન મળવું જોઈએ. દેશમાં આવા કલાકાર વિરલા છે. આવી કલાપ્રતિભા પણ ક્યાં જડે છે. સ્ટોરીનું સન્માન એ દેશની કલાનું સન્માન છે. રમણીય ઉદ્યાનમાં મોકાની જગ્યાએ જ્યોર્જ પિવોડીની મૂર્તિની અનાવરણ વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. અનાવરણ કરતાં પૂર્વે સહુએ પ્રવચનો કર્યાં.  જનમેદનીના હર્ષનાદ વચ્ચે જ્યૉર્જ પિવોડીની મૂર્તિનું અનાવરણ થયું અને શિરસ્તા મુજબ સ્ટોરીને પ્રવચન આપવાનું કહેવામાં આવ્યું. સ્ટોરીની કલાસાધનાની રોમાંચક કથા સાંભળવાની સર્વત્ર જિજ્ઞાસા હતી. સહુ કાન માંડીને બેઠા હતા. ત્યારે શિલ્પકાર સ્ટોરીએ એ મૂર્તિ તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘બસ, આ જ છે મારું ઉદઘાટન-પ્રવચન.’ આટલું કહીને એ સ્વસ્થાને બેસી ગયો. હર્ષધ્વનિ કરતા લોકો સમજ્યા કે કલાકારની સમગ્ર કૃતિ એ જ એનું આખું પ્રવચન હોય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સામે ચાલીને થતી આત્મહત્યા

માણસ કેવી ભિન્ન પ્રકારની આત્મહત્યા કરી રહ્યો છે ? આ એવી આત્મહત્યા છે કે જ્યાં માણસ સાતમા માળેથી નીચે ઝંપલાવતો નથી કે ગળે ફાંસો દઈને યા ઝેર પીને જીવન ટૂંકાવતો નથી. માણસ પોતે પોતાની આત્મહત્યા કરતો હોય છે અને એ આત્મહત્યા છે એના ભીતરમાં રહેલા શક્તિસામર્થ્યની. મનુષ્ય અપાર શક્તિનો ખજાનો છે, પરંતુ એ ખજાનાનો એ સદ્વ્યય કરે છે કે દુર્વ્યય કરે છે એ જોવું જરૂરી છે. એની પાસે વિચારની શક્તિ છે, પરંતુ એનો ઉપયોગ ખોટા, મલિન અને અનૈતિક વિચારોમાં કરતો હોય છે. એની પાસે ધારદાર તર્કની તાકાત છે, પરંતુ એ તર્કનો ઉપયોગ પોતાની જાતને પ્રગતિને પંથે લઈ જવાને બદલે બીજાની વાતના અવરોધ માટે કરે છે. એની પાસે અદભુત એવી કલ્પનાશક્તિ છે, પરંતુ એ માત્ર શેખચલ્લીનાં સ્વપ્નાંમાં એને ખર્ચતો હોય છે. એની શક્તિના ખજાનામાં તીક્ષ્ણ બુદ્ધિ છે, પરંતુ એ બુદ્ધિનો ઉપયોગ વાદ-વિવાદ કે ચર્ચામાં કરતો હોય છે. એની પાસે દૃઢ સિદ્ધાંત કે મૂલ્યનિષ્ઠા હોય છે, પરંતુ એ દૃઢ સિદ્ધાંતને જડ-સિદ્ધાંતમાં ફેરવી નાખે છે અને મૂલ્યનિષ્ઠાને અંધ માન્યતામાં પલટી નાખે છે. એ વસવસો કરે છે કે જમાનો કેવો બદલાઈ ગયો છે ! પણ હકીકતમાં તો એને બદલાવાનું હોય છે. કાળ અને સ્થળ પ્રમાણે વ્યક્તિએ એના વિચારને બદલવા પડે છે, પરંતુ બને છે એવું કે વ્યક્તિ પોતાની શક્તિ પોતાના જડ વિચારો, અંધ માન્યતાઓ અને મરી પરવારેલાં મૂલ્યોને જાળવવા માટે વાપરે છે અને એ રીતે પોતાની શક્તિની સામે ચાલીને આત્મહત્યા કરે છે. આંતરસમૃદ્ધિની આવી આત્મહત્યા માનવ-દરિદ્રતામાં વૃદ્ધિ કરે છે.

Categories
વાચન સમૃદ્ધિ

હું કોણ છું ?

ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ લેખક, ઇતિહાસકાર અને ચિંતક ટૉમસ કાર્લાઇલ એંસી વર્ષના થયા. ઓગણીસમી સદીના યુગસમસ્તના આત્માને આંદોલિત કરનાર કાર્લાઇલને એકાએક અહેસાસ થયો કે એમનું આખું શરીર સાવ પલટાઈ ગયું છે. આ શું થયું ? ચહેરો નિસ્તેજ, આંખો ઊંડી ઊતરી ગયેલી અને ગાલ પર પાર વિનાની કરચલીઓ ! સ્નાનગૃહમાંથી બહાર નીકળીને એ પોતાના શરીરને લૂછવા લાગ્યા, તો એમ જણાયું કે જે શરીરને એ વર્ષોથી જાણતા હતા, એ શરીરને બદલે કોઈ બીજું જ શરીર પોતે લૂછી રહ્યા છે. કાર્લાઇલ વિચારમાં પડ્યા કે જે કાયા સાથે વર્ષોથી માયા બંધાણી હતી, એ મનમોહક કાયા ક્યાં ગઈ ! જે શરીર માટે પોતે ગર્વ ધારણ કરતા હતા, એ શરીર એકાએક ક્યાં અલોપ થઈ ગયું? જે દેહની સુંદરતા જાળવવા માટે એમણે કેટલોય સમય ગાળ્યો હતો, તે દેહ ક્યાંય દેખાતો ન હતો. કાર્લાઇલ પરેશાન થઈ ગયા. યુવાની વીતી ગઈ. દેહને પણ ઘડપણ આવ્યું અને હવે તો એથીય વધુ, દેહ સાવ જર્જરિત બની ગયો. કાર્લાઇલ બેચેન બન્યા. આ તે કેવું ! જે દેહને પોતે અભિન્ન માનતા હતા, તે દેહ બદલાઈ ગયો અને પોતે તો હતા એવા ને એવા જ રહ્યા ! કાર્લાઇલના વિસ્મયનો પાર ન રહ્યો. પોતે છે પણ પેલું શરીર ક્યાં ? ધીરે ધીરે ગહન ચિંતનમાં ડૂબતા કાર્લાઇલના મનમાં એકાએક ચમકારો થયો. એમણે પોતાની જાતને પૂછ્યું : ‘અરે ! ત્યારે હું કોણ છું ?’