Categories
વાચન સમૃદ્ધિ

માત્ર માનવજાતને ભેદભાવનું ભૂત વળગેલું છે

નદીના વહેતા પાણી પાસે કેવો સર્વજન સમભાવ છે ! નદી બધાને સરખું પાણી આપે છે. ગમતી વ્યક્તિને મીઠું પાણી અને અણગમતાને ખારું એવો કોઈ ભેદ નહીં. કોઈને શીતળ જળ આપે અને કોઈને ગરમ પાણી – એવુંય નહીં. જે કોઈ આવે, એને કશાય ભેદના ભાવ વિના એકસરખું જળ આપે છે. વૃક્ષ સતત વિકસતું રહે છે. એ ધરતીમાં ખીલે છે અને રણમાં પણ મળે છે. કાળમીંઢ પથ્થર પણ એનો વિકાસ રોકી શકતો નથી. એ તો મોટા, વિશાળ પથ્થરને ભેદીને પણ એની વચ્ચે પ્રગટ થાય છે. ધરતી સદાય સહન કરતી રહે છે. માણસ એના પર ચાલે કે દોડે એ તો ઠીક, કિંતુ એને ઊંડે સુધી ખોદે તોય સહેતી રહે છે. ક્યારેય એ માણસને ઠપકો આપતી નથી કે પછી એની ઇચ્છાનો ઇન્કાર કરતી નથી. સૂર્ય સદા સહુને ચાહે છે. એનો પ્રકાશ માત્ર ધનિકોના મહેલો સુધી સીમિત નથી, પણ ગરીબોની ઝૂંપડીનેય અજવાળે છે. એનું તેજ માત્ર માનવી સુધી મર્યાદિત નથી, પ્રાણીમાત્ર પણ પામે છે. અંધારી રાતે ટમટમ થતા તારા સહુની આંખોનો આનંદ બને છે. ગામને પાદરે ખાટલામાં સૂતેલા બાળકને કે આકાશ પર આંખ માંડીને બેઠેલા ખગોળવિજ્ઞાનીને એ સરખું તેજ આપે છે. નદી, વૃક્ષ, ધરતી, સૂર્ય કે આકાશ ભેદના કશાય ભાવ વિના કાર્ય કરે છે. એ માનવીની માફક પ્રેમભર્યો સંવાદ કરતા નથી, પરંતુ પ્રેમથી સહુની સાથે સમભાવ રાખે છે, ત્યારે એક માનવી જ કેવો કે જે ભેદભાવ વિના જીવી શકતો નથી ! એને જ્ઞાતિનો ભેદ ગમે, એને જાતિનો ગર્વ ગમે, એેને દેશના સાંકડા સીમાડા પસંદ પડે. જ્યાં હોય ત્યાં એ ભેદ શોધે, એને ધર્મનો ભેદ હોય કે ત્વચાના રંગનો ભેદ હોય. એને ભેદ વિના સહેજેય ન ચાલે. આ ભેદમાં એટલો ડૂબ્યો કે એ જ્ઞાતિ, જાતિ કે ધર્મનો બની રહ્યો, પણ માણસાઈભર્યો માનવ ન રહ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

ચાલ, વિજેતા બન !

ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના સ્થાપક ‘લાઓત્સે’ વિશેષણનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ થાય છે. લાઓત્સેનું ખરું નામ ‘લી’ હતું અને તેઓ કૉન્ફ્યૂશિયસ પહેલાં લગભગ પચાસ વર્ષ પૂર્વે ચીનમાં થઈ ગયા. આ લાઓત્સે માત્ર શબ્દોના સાધક નહોતા, પરંતુ અનુભૂતિના આરાધક પણ હતા. એમને મન શુષ્ક જ્ઞાનની કશી કિંમત નહોતી. આવા પ્રખર ચિંતક અને ધર્મપુરુષ લાઓત્સેએ ગ્રીસના સૉક્રેટિસની માફક જે ઉપદેશ આપ્યો તેનું આચરણ કરી બતાવ્યું અને જેનું આચરણ કર્યું, તેનો જ ઉપદેશ આપ્યો. લાઓત્સે વિશ્વની સંચાલક પરમ શક્તિ કે પરમ ગૂઢ તત્ત્વ વિશે વિચાર કરતા હતા, એવામાં એક પહેલવાન એમની પાસે આવ્યો. એણે જોયું તો લાઓત્સેનું શરીર ઘણું મજબૂત છે એટલે એને મન થયું કે આને કુસ્તી કરીને પછાડી દઉં, તો જ હું ખરો પહેલવાન. એને બિચારાને લાઓત્સેના જ્ઞાનની કશી ખબર નહોતી. એટલે એણે તો આવીને લાઓત્સેને પડકાર ફેંક્યો કે ‘મારે તમારી સાથે કુસ્તી ખેલવી છે અને તમને ચિત કરી દેવા છે.’ લાઓત્સેએ વિચાર્યું કે આ માણસને બીજાને ચિત કરવામાં બહુ આનંદ આવે છે. બાકી આવી રીતે કોઈને પછાડીએ તો મળે શું ? એમણે વિચાર્યું કે આ બિચારો ભલે મને પરાજિત કરીને વિજયનો આનંદ માણે. લાઓત્સે એની સાથે કુસ્તી ખેલવા માટે ઊભા થયા અને પછી અખાડામાં જઈને જમીન પર સૂઈ ગયા અને કહ્યું, ‘ચાલ, હવે મારી છાતી પર બેસી જા. વિજેતા બન. તું જીત્યો અને હું હાર્યો.’ પહેલવાન તો આ સાંભળીને પરેશાન થઈ ગયો. આવી તે કંઈ કુસ્તી હોય ? એણે કહ્યું કે ‘મારે તમને હરાવવા છે.’ ત્યારે લાઓત્સેએ ઉત્તર આપ્યો, ‘અરે ભાઈ ! વિજયની ઇચ્છા થવી એ જ દુ:ખનું મૂળ છે. જે ઇચ્છાને જીતે છે એના જેવો કોઈ સુખી નથી અને જેનામાં બીજાને પરાજય આપીને વિજય મેળવવાની ઇચ્છા પ્રબળ છે, એના જેવો બીજો કોઈ દુ:ખી નથી.’

Categories
વાચન સમૃદ્ધિ

ધર્મ દીવાલ નથી, દ્વાર છે

ધર્મને મુક્તિનું દ્વાર બનાવવાને બદલે બાહ્યાડંબરની દીવાલ બનાવી દીધો છે. જ્યાં મુક્ત ગગનમાં વિહરવાની પાંખો હોવી જોઈએ, ત્યાં ઘરની ચાર દીવાલને આકર્ષક રંગોથી રંગવામાં આવે છે. પુષ્પોથી સજાવવામાં આવે છે. એના પર કમનીય કલાકૃતિઓ મૂકવામાં આવે છે, પરંતુ આવી બાહ્ય ઉપાસનામાં ધર્મ સીમિત થઈ જાય છે અને પછી દીવાલને જોનારો જીવનભર એ દીવાલની પૂજા, પ્રતિષ્ઠા અને એના પર સતત અનુષ્ઠાન કર્યા  કરે છે. સમય જતાં ઇમારત ભુલાઈ જાય છે અને દીવાલની ઈંટોની પૂજા થાય છે. આચરણ અને અપરિગ્રહ વિસરાઈ જાય છે અને ધનવૈભવ અને પરિગ્રહની પ્રશસ્તિ રચાય છે. ધર્મનું દ્વાર તો મુક્તિનું દ્વાર છે. એની પાસે પ્રેમનું જગત અને મૈત્રીનું આકાશ છે, પરંતુ ધર્મ જો દ્વારને બદલે દીવાલ બની જાય તો એમાં અવરોધ આવશે અને એ અવરોધને કારણે પ્રગતિ અટકી જશે. જો એ દીવાલ બને તો એમાં જડતા આવશે અને જડતાને કારણે બાહ્ય ક્રિયાકાંડો વધતાં જશે અને આંતરિક શૂન્યતા સર્જાતી જશે. ધર્મ જો દીવાલ બને તો સાધકના જીવનમાં વ્યર્થતા આવશે, કારણ કે એને  ક્યાંયથી નવો પ્રકાશ નહીં મળે અને સમય જતાં ધર્મને દીવાલ બનાવનારા એને દુકાન બનાવી દેશે. ધર્મ એ તો દ્વાર છે, જેમાં સાધક વિરાટ ગગનને આલિંગન કરે છે. હસતી પ્રકૃતિને પોતાના સાથમાં લે છે અને એમાંથી પ્રેમ, મૈત્રી અને કરુણા પ્રગટાવે છે. મહાવીર હોય કે બુદ્ધ, રામ હોય કે કૃષ્ણ – કોઈનાય જીવનમાં ધર્મ અવરોધરૂપ બન્યો નથી, બલકે ધર્મના દ્વારેથી સાધનાના માર્ગે નીકળીને એણે માનવીને સર્વોચ્ચ લક્ષની ઝાંખી કરાવી છે.