Categories
વાચન સમૃદ્ધિ

ઉતાવળે ઉત્તર આપવાની નૅગેટિવ મનની રીત

મનથી મોટું કોઈ ફરિયાદી નથી. મનને સદા આનંદ આવે છે ફરિયાદ કરવામાં. એને જેટલું સુખ બીજાના દોષ વર્ણવવામાં આવે છે, એટલું સુખ બીજા કશામાં મળતું નથી. ફરિયાદપ્રેમી મનની રીત પણ કેટલી માર્મિક છે ! માણસ ફરિયાદ કરતી વખતે ભાષાને કેટલી સિફતથી પ્રયોજતો હોય છે ! જેમ જેમ ફરિયાદ કરતો જાય, તેમ તેમ એની ભાષાના રંગ પણ બદલાતા હોય છે. ભાષાની સાથે આંખની કીકી પણ ઘૂમતી જશે. ક્યારેક ઠાવકાઈથી એ ફરિયાદ કરશે, તો ક્યારેક અકળાઈને એ ફરિયાદ કરશે. ફરિયાદનું ગાણું ગાવાનું મનને એટલું બધું પસંદ પડે છે કે એ જીવનની પ્રત્યેક બાબતમાંથી તમને કોઈ ને કોઈ ફરિયાદ શોધીને આપશે. ગમે તેવી ઉત્તમ વ્યક્તિ હોય, ગમે તેટલું સુઘડ આયોજન હોય કે ગમે તેટલો મોટો ઉત્સવ રચાયો હોય, પરંતુ એમાંથીય મન પાણીમાંથી પોરા કાઢવા જેવું કરશે. એનું કારણ છે કે ફરિયાદ એની બાબત બની ગઈ છે. વ્યક્તિ જેમ જેમ વધુ ફરિયાદ કરશે, તેમ તેમ એનું મન ‘નૅગેટિવ’ થતું જશે. આવી વ્યક્તિ કોઈ પણ બાબતમાંથી દોષ, ખામી, ક્ષતિ કે ભૂલ શોધી આપશે. આવું ફરિયાદી મન ધીરે ધીરે જીવન પ્રત્યે નકારાત્મક વલણનો અંચળો ઓઢી લેશે અને એક એવો સમય આવશે કે જ્યારે ફરિયાદ કરનારું મન શાબાશી આપવાનું જ સાવ ભૂલી જશે. પૉઝિટિવ મન શાંતિથી વિચારીને સ્વસ્થતાથી જવાબ આપતું હોય છે. એના ગુણદોષની પરીક્ષા કરીને પ્રત્યુત્તર આપતું હોય છે. નૅગેટિવ મન જેવું ઉતાવળું બીજું કોઈ નથી. વાત પૂરી સાંભળે એ પહેલાં એનો ઇન્કાર કરશે. તત્કાળ કોઈ બહાનું ધરી દેશે અથવા તો ભવિષ્યમાં આવનારી કોઈ મુશ્કેલીનો અંદાજ આપશે.

Categories
વાચન સમૃદ્ધિ

ચમકતી ખુશમિજાજી

અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે સમાજના પ્રશ્નો ઉકેલતા સમાજના અગ્રણીને કોઈએ પૂછ્યું, ‘તમે જાતજાતના લોકો સાથે ચર્ચા-વિચારણા કરો છો, તુંડે તુંડે મતિ: ભિન્ન-ને કારણે કેટલાયની સાથે કલાકો સુધી માથાકૂટ કરો છો. આટલું બધું થાય છે છતાં તમે કેમ હંમેશાં ખુશમિજાજ દેખાવ છો ?’ અગ્રણીએ કહ્યું, ‘તમારી વાત સાચી છે. લુચ્ચા, નાદાન, બેવકૂફ, કુટિલ અને દાવપેચ લડાવનારા ઘણા લોકો અહીં આવે છે. ઘણી વાર એમની ધૃષ્ટતા કે ક્રૂરતાને નમ્રતાનો અંચળો ઓઢાડે છે, પરંતુ એ બધાને જોતો રહું છું. માનવ-સ્વભાવને જાણતો હોવાથી એમની વાતોથી હું ઉશ્કેરાતો નથી, બલ્કે એમને માણું છું. એમની તરકીબો જોઈને મનોમન હસું છું. આવી વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવતા સામાજિક અન્યાયોથી હૃદયમાં અત્યંત દુ:ખી પણ થાઉં છું.’ એ વ્યક્તિએ પ્રશ્ન કર્યો, ‘એ તો બરાબર, પણ આટલી વ્યથા અને પરેશાની વચ્ચે ચહેરા પર આવું હાસ્ય રાખવું, સદાય ખુશમિજાજ રહેવું, માનવમનની કુટિલતાઓ જોવા છતાં મનને ક્રોધિત થવા દેવું નહીં. આ અશક્ય કઈ રીતે શક્ય બનાવો છો ? એની પાછળનું રહસ્ય શું?’ અગ્રણીએ કહ્યું, ‘પ્રાત:કાળે જાગ્રત થાઉં ત્યારે મનમાં એક વિચાર કરું છું કે આજે મારો દિવસ કઈ રીતે પસાર કરવો છે ? ઘોર નિરાશાથી કે ચમકતી ખુશમિજાજીથી ? પછી હું નક્કી કરું છું કે આ બંને વિકલ્પોમાંથી બુદ્ધિમાન માણસે ખુશમિજાજી જ પસંદ કરવી જોઈએ, એટલે હું દિવસભર ખુશમિજાજ રહેવાનું નક્કી કરું છું. અને બસ, પછી તો એ ખુશમિજાજી મારી આસપાસના વાતાવરણમાં ભરી દઉં છું. મારી વિકલ્પની પસંદગી સતત યાદ રાખું છું. એમ કરીને હું નિરાશાને નજીક આવવા દેતો નથી. આ છે મારી આનંદમસ્તીનું રહસ્ય.’

Categories
વાચન સમૃદ્ધિ

ઈશ્વર દોષી નથી તમે અંધ છો

જીવનને વ્યર્થ કે નિરર્થક માનનારી વ્યક્તિઓએ જીવનને ભૌતિક ચીજવસ્તુઓના કાંટે જોખ્યું છે. જીવનથી હતાશ થનારી વ્યક્તિએ ફક્ત પ્રાપ્તિને જ જીવનનો માપદંડ માન્યો હોય છે. આવું જીવન  આપવા માટે હતાશ માનવી પ્રતિદિન અને પ્રતિક્ષણ પરમાત્માને દોષિત ગણે છે, પણ આ માનવી જેવો બીજો કોઈ મોટો ગુનેગાર નથી. આ માનવી ઈશ્વરે સાહજિક રીતે આપેલી મૂલ્યવાન કુદરતી ભેટને જોતો નથી. એને પરમાત્માએ કરેલા ઉપકારની કશી જાણ નથી. પરમાત્માએ એને આંખો આપી છે, પરંતુ એ લીલીછમ હરિયાળીથી પોતાની આંખો અને મનને ભરી દેતો નથી. પરમાત્માએ એની આસપાસ પ્રકૃતિનો ભંડાર ઊભો કર્યો છે, પણ પૈસાની પાછળ દોડતો માનવી પ્રકૃતિના આનંદને સાવ ભૂલી ગયો છે. જો પરમાત્માએ લીલીછમ પ્રકૃતિ કે વૃક્ષોની ઘેઘૂર ઘટા જોવાની કિંમત રાખી હોત તો ? તો આ માનવી જરૂર એ જોવાની મોંઘી ટિકિટ લઈને પણ ‘ઍન્જૉય’ કરવા આવતો હોત. પક્ષીનો મધુર કલરવ સાંભળવા એણે કલદાર માંગ્યા હોય તો માનવીએ હોંશે હોંશે ચૂકવ્યા હોત. ઈશ્વરે માનવીને વિનામૂલ્યે આટલું બધું આપીને એની જિંદગીને બહુમૂલ્ય બનાવી છે. પંખીઓનું ગીત, ધવલ ચાંદની, હસતાં ફૂલ કે ઘેઘૂર વૃક્ષોને જોશે તો પરમાત્માના અખંડ વિસ્તારનો સાક્ષાત્ અનુભવ થશે. વિરલ આહલાદની તમને અનુભૂતિ થશે. મંદ મંદ સમીરનો અનુભવ અંતરમાં શાંતિનો સ્પર્શ જગાવશે. હસતી-ખીલેલી કૂંપળો જીવનના આનંદની તાજગી દર્શાવશે. ધીરે ધીરે આમતેમ ડોલતાં વૃક્ષો કોઈ યોગીની મસ્તીનો અનુભવ કરાવશે. ગગનમાં ઊડતાં ઊડતાં મનમોજે કલરવ કરતાં પંખીઓમાં ભક્તિની ભાવધારાનો અનુભવ થશે અને આસપાસ પથરાયેલી હરિયાળી કુદરત આત્માની લીલીછમ જાજમનો ખ્યાલ આપશે.