Categories
વાચન સમૃદ્ધિ

જીવનસંઘર્ષની કથા

અશ્વેત શિક્ષક અને ઉપદેશક લૉરેન્સ જોન્સ ચર્ચમાં વક્તવ્ય આપતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધના એ દિવસો હતા અને ચોતરફ એવી અફવા ફેલાઈ હતી કે જર્મનો અમેરિકાના અશ્વેત લોકોને શાસન સામે ઉશ્કેરી રહ્યા છે. આવે સમયે અશ્વેત એવા લૉરેન્સ જોન્સે જીવનલક્ષી વક્તવ્ય આપતાં કહ્યું કે, ‘આ જીવન એ તો સંઘર્ષ છે. દરેક અશ્વેત માનવીએ એ સંઘર્ષ પોતાનાં શસ્ત્રોથી લડી લેવો જોઈએ. એ સંઘર્ષ પર વિજય હાંસલ કરવા માટે સતત મથ્યા કરવું જોઈએ.’ ચર્ચની બહાર કેટલાક ગોરાઓના કાને લૉરેન્સ જોન્સના શબ્દો પડ્યા. આ ગોરાઓએ ‘શસ્ત્રો’ અને ‘લડી લેવું’ એ બે શબ્દો સાંભળ્યા અને એમને થયું કે નક્કી, આ લૉરેન્સ જોન્સ અશ્વેતોને ઉશ્કેરી રહ્યો છે. જર્મનોની ચાલબાજીને સાથ આપી રહ્યો છે. બહાર એકઠા થયેલા ગોરાઓએ નક્કી કર્યું કે લૉરેન્સ જોન્સના ગળામાં ફાંસલો નાખવો અને એને લટકાવીને જીવતો સળગાવી દેવો. આ સઘળી તૈયારી થઈ ગઈ. લૉરેન્સના ગળામાં ફાંસો નાખવામાં આવ્યો, ત્યારે કોઈએ કહ્યું, ‘એને જીવતો સળગાવી દેતાં પહેલાં એની પૂરી વાત તો સાંભળો ?’ ગળામાં ફાંસલા સાથે લૉરેન્સે પોતાની વાત કહી. કેટલો બધો સંઘર્ષ ખેડીને એ આગળ વધ્યો એ કહ્યું અને એ ચર્ચમાં અશ્વેતોને કહેતો હતો કે અશ્વેત બાળકોએ આવી રીતે જીવનનો સંઘર્ષ ખેડીને સારા મિકૅનિકો, ખેડૂતો અને શિક્ષકો બનવું જોઈએ. બન્યું એવું કે જે ગોરાઓ લૉરેન્સ જોન્સને જીવતો સળગાવી દેવા ચાહતા હતા, તેઓ જ લૉરેન્સ જોન્સને એની ‘પીનેવુડ્ઝ કન્ટ્રી સ્કૂલ’ સ્થાપવા માટે સહાય જાહેર કરવા લાગ્યા. કોઈએ જમીન આપવાની જાહેરાત કરી, તો કોઈએ એને બેંચ આપવાની તો કોઈએ રકમ આપવાની સહાયની ઘોષણા કરી.

Categories
વાચન સમૃદ્ધિ

‘હું’ને હંમેશાં મૃત્યુ ડરામણું લાગે છે

અહંકાર અને અવસાન વચ્ચે ગાઢ દોસ્તી છે. બંનેનો સંબંધ ‘હું’ સાથે છે અને બંને વ્યક્તિના જીવન પર એટલાં જ પ્રભાવક હોય છે. આ ‘હું’ને કારણે અહંકારી માનવી પોતાના માન અને તાનમાં જીવે છે અને આ ‘હું’ને કારણે મૃત્યુગામી માનવી સતત ‘હું’ના મૃત્યુના ભયમાં જીવે છે. ‘આ મેં કર્યું, અથવા તો ‘જો હું ન હોત તો આ થાત નહીં’ એમ કહેનારી અહંકારી વ્યક્તિનો ‘હું’ સતત મોટો થાય છે, પછી એ ‘હું’ જ એની પાસે પોષણ માગે છે અને એટલે જ એના પ્રત્યે કામમાં કે એની દરેક વાતમાં એનો ‘હું’ જ મૂરખ બનીને આગળ રહે છે. આવી જ રીતે ‘હું મૃત્યુ પામીશ’ એમ વ્યક્તિ માનતી હોય છે. હકીકતમાં એની જીવનયાત્રા તો સતત ચાલતી હોય છે, છતાં એને એના ‘હું’ના મૃત્યુનો ભય છે. એ અવસાનને જ જીવનનો અંત માની બેઠી છે અને તેથી જ એના ‘હું’ને મારી નાખનારું મૃત્યુ એને ડરામણું અને ભયાવહ લાગે છે. ‘હું’ જાય તો જીવનમાંથી અહંકાર જાય છે. ‘હું’ ઓગળી જાય તો મૃત્યુનો ભય ચાલ્યો જાય અને એવું થાય તો વ્યક્તિ પોતાના જીવનની ધારાને સમજી શકે છે. અહંકાર જીવનમાં દીવાલો બાંધે અને પછી એ દીવાલોમાં જ અહંકારી કેદ બની જાય છે. આસપાસની ચારે દીવાલોમાં પોતાનું એકચક્રી સામ્રાજ્ય ઊભું કરીને અહંકારનું પોષણ કરે છે. એનો અહંકાર વસતો હોય છે એના હૃદયમાં; પરંતુ પ્રગટ થતો હોય છે એની વાણી, ચેષ્ટા, વર્તન અને વિચારમાં. આવા અહંકારી પાસે માત્ર પોતાની આંખો હોય છે. બીજાની નજરે જોવાની દૃષ્ટિ એને મળી હોતી નથી.

Categories
વાચન સમૃદ્ધિ

મનની કેદ

ઍડૉલ્ફ હિટલર(૧૮૮૭-૧૯૪૫)ને એવો અહંકાર હતો કે ફક્ત જર્મનો જ જગતમાં શુદ્ધ લોહીવાળા, શક્તિશાળી અને શ્રેષ્ઠ આર્યો હોવાથી એ દુનિયા પર રાજ્ય કરવાની યોગ્યતા ધરાવે છે. એને ન કોઈ ગુલામ બનાવી શકે કે ન કોઈ હરાવી શકે. પોતાની જાતિની શ્રેષ્ઠતાના આવા ખ્યાલથી એણે યહૂદીઓની મોટે પાયે સામૂહિક હત્યા કરી. આ હત્યાને માટે એણે ‘કોન્સન્ટ્રેશન કૅમ્પ’ ઊભા કર્યા અને જર્મનીના આ કોન્સન્ટ્રેશન કૅમ્પમાં અને યુરોપના અન્ય દેશોમાં સાઠ લાખ જેટલા યહૂદીઓને હિટલરના હુકમથી મારી નાખવામાં આવ્યા. એની ‘ગૅસ ચેમ્બર્સ’માં એણે માણસોને ગૂંગળાવીને મારી નાખ્યા. યુરોપના લગભગ સાઠ ટકા યહૂદીઓની આવી એણે ક્રૂર કતલ કરાવી અને એ કહેતો કે ‘કોઈ પણ જાતની દયા વગર પાશવી બળથી દુશ્મનોનો નાશ કરો.’ આવા હિટલરના કોન્સન્ટ્રેશન કૅમ્પમાંથી થોડાક ભાગ્યશાળી લોકો એક યા બીજા પેંતરા અજમાવીને ઊગરી ગયા. આવી રીતે કોન્સન્ટ્રેશન કૅમ્પમાંથી બચેલા અને નાઝી અફસરોને મહાત કરનારા બે મિત્રો વર્ષો પછી મળ્યા ત્યારે પહેલા મિત્રએ પૂછ્યું, ‘આ નાઝીઓએ ભારે કત્લેઆમ ચલાવી. કોઈ શાસકે આટલી મોટી સંખ્યામાં માનવ-હત્યાઓ કરી નથી. આપણે વર્ષો સુધી મોતના ભય હેઠળ જેલમાં પુરાઈ રહ્યા, પણ હવે વર્ષો બાદ તેં એ નાઝીઓને માફી આપી છે ખરી ?’ બીજી વ્યક્તિએ કહ્યું, ‘હા, મેં એમને માફી આપી દીધી છે.’ ત્યારે પહેલા મિત્રએ આક્રોશથી કહ્યું, ‘ના, હજી હું એ ભયાવહ દિવસો સહેજે ભૂલ્યો નથી. એ યાતના અને પારાવાર વેદનાઓ એટલી જ તાજી છે. નાઝીઓ પ્રત્યેનો મારો ધિક્કાર સહેજે ઓછો થયો નથી. એ દિવસો મારાથી કેમેય ભુલાતા નથી.’ બીજા મિત્રએ કહ્યું, ‘તો તું હજીય નાઝીઓની કેદમાં જ છે !’