Categories
વાચન સમૃદ્ધિ

પ્રતિકૂળતા સાથે દોસ્તી

યુવાવસ્થામાં ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થનારા રિચર્ડ એટનબરોના મનમાં ગાંધીજી પર એક ફિલ્મ બનાવવાનો વિચાર જાગ્યો. પોતાના આ વિચારને સાકાર કરવા માટે અવિરત પ્રયત્ન આદર્યો. મહાત્મા ગાંધીજીના જીવન પર ચલચિત્રનું નિર્માણ કરવા માટે અભ્યાસ, આયોજન, પાત્રવરણી, સેટિંગ્સ જેવી બાબતોમાં ઝીણવટ દાખવી. આ ફિલ્મનિર્માણમાં ખાસ્સાં વીસ વર્ષ વીતી ગયાં. આને માટે પચાસ વખત ભારતનો પ્રવાસ ખેડવો પડ્યો. પૈસા ખૂટ્યા ત્યારે ઇંદિરા ગાંધીને સ્ક્રિપ્ટ મોકલી અને એમણે પાંચ કરોડ રૂપિયાની મદદ અપાવી. આટલો બધો પુરુષાર્થ કરવા છતાં વાંકદેખુઓ રિચર્ડ એટનબરોને સવાલ પૂછતા હતા કે, ‘જે વ્યક્તિએ આખું જીવન સાદાઈથી ગાળ્યું, એવા ગાંધીને માટે આટલી મોંઘી ફિલ્મ બનાવાય ખરી ?’ પરંતુ રિચર્ડ એટનબરો ફિલ્મની કોઈ પણ બાબતમાં સમાધાન કરવા ચાહતા નહોતા. એમને માટે પૈસાની ગણતરી મહત્ત્વની ન હતી, પણ મહાત્મા ગાંધીજીનો સંદેશ જનહૃદય સુધી પહોંચે, તે મહત્ત્વનું હતું. ‘ગાંધી’ ફિલ્મ સમયે અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલા રિચર્ડ એટનબરો કહેતા કે એમનું આખું જીવન જ પ્રતિકૂળતાઓ વચ્ચે વીત્યું છે. આ ફિલ્મ પહેલાંનું એમનું જીવન પ્રતિકૂળતાઓથી ઘેરાયેલું રહ્યું હતું. આથી મુશ્કેલીઓ એમને મૂંઝવી શકતી નહોતી. આ સંદર્ભમાં તેઓ 1945માં અભિનેત્રી શિલા સીમ સાથે કરેલા લગ્નના પ્રસંગની વાત કરતાં કહેતા, ‘એ લગ્નના દિવસે હું જ્યારે લગ્ન અંગેની પ્રતિજ્ઞા બોલતો હતો, ત્યારે પાછળ બૉમ્બ-ધડાકા થતા હતા. અને એના મોટા અવાજોને કારણે હું જોરથી બૂમ પાડીને મારી પત્નીને કહેતો હતો, ‘હું તને પત્નીના રૂપે કબૂલ કરું છું.’ ‘જ્યારે લગ્નના સમયે આવી મુશ્કેલીઓ આવે ત્યારે સામાન્ય જીવનમાં તો આવે જ ને !’ એમ કહીને રિચર્ડ એટનબરો પ્રતિકૂળતાઓને પાછી ધકેલી દેતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અપેક્ષાની વિદાય સાથે જ પ્રસન્નતાનું આગમન થશે

વર્તમાન સમયમાં માનવીએ પ્રસન્નતા પ્રત્યે નકરી લાપરવાહી દાખવી છે અને એને પરિણામે એ જે ઇચ્છે તે વસ્તુ મળે છે, પરંતુ પ્રસન્નતા સાંપડતી નથી. એનું દૃશ્ય હતાશાના બોજથી, નિષ્ફળતાના ભારથી, ચિંતાઓના ઢગથી, દ્વેષના ડંખથી અને અપેક્ષાઓના બોજથી લદાયેલું હોય છે. પરિણામે એ સતત અપ્રસન્ન, બેચેન અને ધૂંધવાયેલો રહે છે. એના મનમાં ક્યારેક અપેક્ષાઓ જાગે છે, તો ક્યારેક કોઈના પ્રત્યે ઘૃણા અને ભૂત-ભાવિની ચિંતા એના મન પર આસન જમાવી દે છે. પ્રસન્નતા કહે છે કે જેના તરફ પારાવાર ઘૃણા હોય, એવી વ્યક્તિને સામે ચાલીને પ્રેમનું અમૃત આપવા જાવ. ઘૃણા કે તિરસ્કાર એવાં છે કે જે ચિત્તના સિંહાસન પર એક વાર બેસી જાય તો પછી ત્યાંથી ઊઠવાનું નામ લેતાં નથી. એક વાર એને ચિત્તના સિંહાસન પરથી ઉઠાડી મૂકો, તો લાગણીની ખિલખિલાટ વસંતનો અનુભવ થશે. વેરની ગાંઠ વાળવી સહુને ગમે છે, પણ એ ગાંઠને છોડીને સ્નેહની ગાંઠ મારવી એ જ પ્રસન્નતા પામવાનો સાચો ઉપાય છે. કલ્પના કરો કે જે હૃદયમાં કોઈનાય પ્રત્યે વેર, દ્વેષ કે ઘૃણા નહીં હોય, તે હૃદય કેવું લીલુંછમ અને રળિયામણું હશે ! આપણે વધુ આપીને ઓછાની અપેક્ષા રાખવાને બદલે ઓછું આપીને વધુ મેળવવાની સ્પૃહા રાખીએ છીએ અને એ સ્પૃહા સંતોષાય નહીં એટલે હૃદયમાં કટુતા રાખીએ છીએ. ‘એનું મેં આટલું કામ કર્યું’ કે ‘એને મેં આટલી મદદ કરી’ એ વાતને ભૂલી જવાને બદલે વારંવાર વાગોળીએ છીએ અને બમણા વળતરની ઇચ્છા રાખીએ છીએ. હકીકતમાં જેટલી અપેક્ષા ઓછી, એટલો આનંદ વધુ. અતિ અપેક્ષા એ તીવ્ર આઘાતનું કારણ બને છે. ઘરના બારણેથી અપેક્ષાને વિદાય આપશો, તો પ્રસન્નતા સામે ચાલીને મળવા આવશે.

Categories
વાચન સમૃદ્ધિ

અહો આશ્ચર્યમ્

જીવનમાં સર્વથા નિષ્ફળ ગયેલો નાસીપાસ યુવાન બગીચામાં બેઠો હતો. એને વેપારમાં એટલી જંગી ખોટ આવી હતી કે જમીન-જાયદાદ ગીરવે રાખવી પડી હતી. મિત્રોએ પણ એનાથી મોં ફેરવી લીધું હતું. આવી પરિસ્થિતિમાં ડૂબેલા યુવાનની પાસે ધનવાન લાગતો એક વૃદ્ધ માણસ આવ્યો અને એણે યુવાનને એની નિરાશાનું કારણ પૂછ્યું. યુવાને જિંદગીમાં આવેલી આસમાની-સુલતાનીની વાત કરી ત્યારે વૃદ્ધે કહ્યું, ‘સહેજે ચિંતા ન કરીશ. મારું નામ જ્હોન ડી રોકફેલર છે. હું તને ઓળખતો નથી, પણ તું ઈમાનદાર લાગે છે આથી તને ઉછીના દસ હજાર ડૉલર આપવા હું તૈયાર છું.’ આટલું બોલીને એ વૃદ્ધે ચેકબુકમાં રકમ લખી આપી અને કહ્યું, ‘બરાબર એક વર્ષ પછી આપણે આ બગીચામાં મળીશું અને તું એ સમય સુધીમાં મહેનત કરીને મારું દેવું ચૂકવી આપજે.’ વીસમી સદીમાં દસ હજાર ડૉલરનો ચેક એ ઘણી મોટી રકમ ગણાતી અને યુવકનું મન હજી માનતું નહોતું કે એ અપરિચિત વ્યક્તિએ કઈ રીતે મારા પર આટલો મોટો ભરોસો કર્યો, જ્યારે મને ખુદને મારા પર ભરોસો નથી. એણે ચેકને જાળવીને રાખ્યો અને રાતદિવસ મહેનત કરવા લાગ્યો. વિચાર કર્યો કે કોઈ મોટી મુશ્કેલી આવશે ત્યારે ચેકની રકમનો ઉપયોગ કરીશ. એના મનમાં એક જ ધૂન હતી કે દેવું ચૂકવીને હું મારી પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરું. એના પ્રયત્નો સફળ થવા લાગ્યા અને માથેથી દેવું ઊતરી ગયું. નિર્ધારિત દિવસે એ ચેક લઈને રોકફેલરની રાહ જોઈને ઊભો રહ્યો. એ વૃદ્ધ આવ્યા, યુવકે ભાવથી પ્રણામ કર્યાં. ત્યાં એક નર્સ દોડતી આવી અને વૃદ્ધને પકડી લીધા. યુવક પરેશાન થઈ ગયો. નર્સે કહ્યું, ‘આ પાગલ વારંવાર પાગલખાનામાંથી ભાગી જાય છે અને લોકોને જ્હોન ડી. રોકફેલર બનીને ચેક આપે છે.’ યુવક મૂંઝવણમાં પડી ગયો. જે ચેકની તાકાતથી એણે આ કામ કર્યું હતું, તે ખરે જ બનાવટી હતો. આ તે કેવું કહેવાય ?