Categories
વાચન સમૃદ્ધિ

સૌથી મહત્ત્વની સંપત્તિ

ઈ. સ. 1936માં અમેરિકાના ઉદ્યોગપતિ ચાર્લ્સ સ્ક્વૈબે એક વ્યક્તિની સલાહકાર તરીકે નિમણૂક કરી. એને મહિનાના પચીસ હજાર ડૉલરનો પગાર આપવાનું નક્કી કર્યું. માત્ર સલાહ આપવા માટે કંઈ આટલો મોટો પગાર હોય ખરો ? પરંતુ આ કરોડાધિપતિ માનતો હતો કે જીવનમાં એક સલાહ અનેક સમસ્યાઓને ઉકેલી આપે છે. કોઈ અનુભવી આ મૂંઝવણનું મૂળ કારણ શોધીને સતત પજવતી સમસ્યાઓ રાતોરાત દૂર કરી દે છે. અમેરિકન કરોડાધિપતિ ચાર્લ્સ સ્ક્વૈબે ઊંચા પગારે નીમેલા સલાહકારને પૂછ્યું, ‘‘જીવનમાં સહુથી અમૂલ્ય સંપત્તિ કઈ છે ? જે સંપત્તિ એક વાર ગુમાવીએ તો ફરી મળતી નથી. ગયેલું ધન પાછું મેળવી શકાય છે, કથળેલું સ્વાસ્થ્ય પુન: સંપાદિત થાય છે, પરંતુ જીવનમાં ફરી પ્રાપ્ત ન થતી એવી અમૂલ્ય સંપત્તિ કઈ ? એ જાણવામાં આવે તો એના ઉપયોગ અંગે પૂરી સાવધાની રખાય.’’ સલાહકારે કરોડપતિને કહ્યું, ‘‘જીવનમાં સૌથી મહત્ત્વની સંપત્તિ તે સમયનો યોગ્ય ઉપયોગ છે. આના માટે રોજ પ્રભાતે કામોની યાદી બનાવવી જોઈએ. એમાંથી જે અત્યંત મહત્ત્વનાં કામો હોય તેને તેના મહત્ત્વ પ્રમાણે ક્રમસર ગોઠવવાં જોઈએ અને તે પછી બીજાં સામાન્ય કામોની નોંધ કરવી જોઈએ. એ મહત્ત્વનાં કાર્યો પહેલાં ક્રમસર પૂર્ણ કરવાં જોઈએ. આમ કરનાર વ્યક્તિ જ સમયનો યોગ્ય ઉપયોગ કરી શકે છે.’’ કરોડપતિને સવાલ જાગ્યો કે આવી અગ્રતાક્રમે યાદી બનાવવાનો અર્થ શો ? ત્યારે એને સમજાયું કે સિત્તેર વર્ષ જીવતો માનવી પચીસ વર્ષ નિદ્રામાં, આઠ વર્ષ અભ્યાસમાં, સાત વર્ષ વૅકેશન અને મોજમસ્તીમાં, છ વર્ષ આરામ અને બીમારીમાં, પાંચ વર્ષ રોજના વાહનવ્યવહારમાં, ચાર વર્ષ ભોજનમાં અને ત્રણ વર્ષ સામાન્ય કામકાજમાં પસાર કરી દે છે. આથી મહત્ત્વનું કાર્ય કરવા માટે વ્યક્તિ પાસે માત્ર બાર જ વર્ષ હોય છે. માટે વ્યક્તિએ પોતાનાં કામોના ક્રમને યોગ્ય રીતે ગોઠવવા જોઈએ.

Categories
વાચન સમૃદ્ધિ

જીવ બળે તે સારું !

યહૂદી ધર્મગુરુ પાસે આવીને એક મોચીએ દયામણા ચહેરે અને ભીની આંખે કહ્યું, ‘આપ હંમેશાં અમને ઉપદેશ આપો છો અને કહો છો કે રોજ સવારે પ્રાર્થના કરવી જોઈએ, પણ મારે માટે અત્યંત મુશ્કેલ છે, હવે શું કરું ?’ ધર્મગુરુએ કારણ પૂછતાં મોચીએ કહ્યું, ‘રોજ સવારે પ્રાર્થના કરવાની ઇચ્છા હોય છે, પણ હું કરી શકતો નથી. આખી રાત જાગીને હું કામ કરું છું અને સવારે પણ મારું એ કામ ચાલુ જ હોય છે. સહેજે નવરો પડતો નથી અને તેથી પ્રાર્થના કરી શકતો નથી.’ ‘એટલે ? તું શું આખી રાત કામ કરે છે ?’ મોચીએ કહ્યું, ‘હા, મારા વિસ્તારમાં ગરીબો વસે છે. એ આખો દિવસ કોઈના ઘરનું કામ કરે છે અથવા તો ખેતરમાં મજૂરી કરવા જાય છે. રાત્રે ઘેર પાછા ફરે પછી મને એમનાં તૂટેલાં બૂટ-ચંપલ સાંધવા માટે આપી જાય છે. જો બીજે દિવસે સવાર પછી એ બૂટ-ચંપલ સાંધવાનું રાખું તો એ નોકરો અને મજૂરોને આખો દિવસ બૂટ-ચંપલ વિના ચલાવવું પડે, રસ્તાના કાંટા કે બળબળતો તાપ વેઠવો પડે. આથી આખી રાત હું એમનાં તૂટેલાં બૂટચંપલ સાંધું છું. એટલું બધું કામ હોય છે કે સવારે પણ બૂટ-ચંપલ સાંધવાનું ચાલુ રહે છે. સવારે નવ વાગે એ બધા મારે ઘેર આવે ત્યારે હું એમને એમનાં બૂટ-ચંપલ સાંધીને આપી દઉં છું. સવારે પ્રાર્થના કરી શકતો નથી, તેથી મારો જીવ તો બહુ બળે છે.’ ધર્મગુરુએ પૂછ્યું, ‘કેમ જીવ બળે છે ? શું થાય છે તને ?’ ‘ક્યારેક ઉતાવળે પ્રાર્થના કરું છું ત્યારે મારા જીવને આખો દિવસ ગોઠતું નથી. અને જો પ્રાર્થના કરવાનું ચૂકી જાઉં તો મારા મનને એક પળ નિરાંત મળતી નથી. સતત પ્રાર્થના યાદ આવે છે. વિચારું છું કે કેવો કમનસીબ છું હું અને આને કારણે મારો જીવ સતત બળ્યા કરે છે.’ ધર્મગુરુએ કહ્યું, ‘જો હું ભગવાન હોત તો તારી વહેલી સવારની પ્રાર્થના કરતાં તારા બળેલા જીવથી તારા પર વધારે પ્રસન્ન થાત.’

Categories
વાચન સમૃદ્ધિ

દર્પણમાં ચહેરો જુઓ !

ગ્રીસના મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ સદૈવ વિચારનો મહિમા અને મહત્ત્વ કરતા હતા અને દૃઢપણે માનતા હતા કે વિચાર જીવનમાં પ્રતિબિંબિત થવો જોઈએ. ‘જે વિચાર જીવન સાથે સંકળાયેલો ન હોય, એ વિચારનું કોઈ મૂલ્ય હોતું નથી.’ અને એટલે જ એણે એમ કહ્યું હતું કે ‘મારું જીવન એ જ મારું તત્ત્વજ્ઞાન છે.’ શિલ્પી પિતા અને દાયણ માતાના પુત્ર સૉક્રેટિસ પોતાને વિશે એમ કહેતા કે જેમ દાયણ માતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢે છે, તેમ તેઓ લોકોના મનમાંથી અજ્ઞાન બહાર ખેંચી કાઢે છે અને જેમ શિલ્પી પથ્થરમાં માનવઆકૃતિ કંડારે છે તેમ તેઓ માનવવ્યક્તિત્વને કંડારે છે. આવા દાર્શનિક સૉક્રેટિસનો બાહ્ય દેખાવ અત્યંત બેડોળ હતો. ઠીંગણું કદ, ચીબુ નાક, આગળ પડતી મોટી આંખો – આમ છતાં એ વારંવાર દર્પણમાં પોતાનું મુખ જોતા હતા. એક વાર એના કેટલાક શિષ્યો એની પાસે ગયા, ત્યારે એમને સૉક્રેટિસનું આ વર્તન સમજાયું નહીં. વિચારવા લાગ્યા કે શા માટે કુરૂપ ચહેરા ધરાવતા ગુરુ વખતોવખત દર્પણમાં પોતાનો ચહેરો જોતા હશે. આખરે એક શિષ્યએ સાહસ કરીને પૂછી લીધું, ‘ગુરુજી, શા માટે આપ વારંવાર દર્પણમાં તમારો ચહેરો જુઓ છો ?’ શિષ્યની વાત સાંભળીને સૉક્રેટિસ હસી પડ્યા અને બોલ્યા, ‘વાત તો તારી સાચી. જેનો ચહેરો કુરૂપ હોય, એને દર્પણ જોવાની વળી શી જરૂર ? પરંતુ મારા પ્રિય શિષ્ય, સહુએ દર્પણ જોવું જોઈએ, પછી તે રૂપવાન હોય કે કુરૂપ હોય.’ શિષ્ય અધવચ્ચે બોલી ઊઠ્યો, ‘પણ ગુરુજી કુરૂપને તો પોતાના બદસૂરત ચહેરાની વાસ્તવિકતાની ખબર છે, પછી એ શા માટે દર્પણમાં જોતો હશે ? એમ કરવાથી તો દુ:ખ પહોંચે.’ સૉક્રેટિસે કહ્યું, ‘કુરૂપે એ માટે દર્પણ જોવું જોઈએ કે એને ખ્યાલ આવે કે પોતે કુરૂપ છે અને એણે ઉત્તમ કાર્યો દ્વારા પોતાની કુરૂપતાને સુંદર બનાવીને ઢાંકવાની છે અને રૂપવાન વ્યક્તિએ દર્પણ એ માટે જોવું જોઈએ કે ઈશ્વરે એને સૌંદર્ય આપ્યું છે, તેથી એ હંમેશાં એને અનુરૂપ સુંદર કાર્યો કરે.’