Categories
વાચન સમૃદ્ધિ

સઘળી દોલતની કિંમત

ઈરાનના બાદશાહ હારૂન અલ રશીદને પોતાના વિરાટ સામ્રાજ્યનો અને અઢળક ધન-સંપત્તિનો અતિ અહંકાર હતો. આ અહંકારે એને ગર્વિષ્ઠ અને તોછડો બનાવી દીધો હતો. નોકર-ચાકર તો ઠીક, પરંતુ રાજના દીવાનો સાથે પણ એનો વ્યવહાર સૌજન્યહીન હતો. આવા ઘમંડી બાદૃશાહને મળવા માટે અબુ શકીક નામના મહાન મુસ્લિમ સંત આવ્યા. આ અબુ શકીકે બાદશાહને પૂછ્યું, ‘‘બાદશાહ, તમારી ધનદોલતનું કુલ મૂલ્ય કેટલું છે ?’’ સૂફી સંતના પ્રશ્ને બાદશાહને વિચારમાં ડુબાડી દીધો. બાદશાહનો ગર્વ બોલી ઊઠ્યો, ‘‘અરે ! એટલી બેશુમાર દોલત મારી પાસે છે કે જેની મને ખુદને ખબર નથી. એનો અંદાજ હું કઈ રીતે આપું ! તમારી કલ્પના બહારની આ વાત છે.’’ સૂફી સંતે કહ્યું, ‘‘બાદશાહ, ધારો કે તમે સહરાના રણમાં ભૂલા પડ્યા છો, તમને ખૂબ તરસ લાગી છે. પણ તમારી પાસે પીવાના પાણીનું એક ટીપું નથી. તમને એવો અનુભવ થાય છે કે હમણાં તમે વિના પાણીએ તરફડીને મૃત્યુ પામશો ! ધારો કે એ સમયે તમારી સમક્ષ કોઈ તમને પાણીનો ગ્લાસ ધરે તો તમે એને શું આપશો ?’’ બાદશાહ હારૂન અલ રશીદે કહ્યું, ‘‘અરે ! આવે વખતે તો હું એને અર્ધું રાજ્ય આપી દઉં.’’ સૂફી સંતે બીજો પ્રશ્ન કર્યો, ‘‘બાદશાહ, ધારો કે તમે ખૂબ બીમાર પડ્યા હો, બચવાની કોઈ આશા ન હોય, દુનિયાના કાબેલ હકીમોએ કરેલા ઉપચાર નિષ્ફળ નીવડ્યા હોય અને એ જ સમયે તમને કોઈ દવાની પડીકી આપે અને સાજા થઈ જાવ, તો તમે એને શું આપો ?’’ બાદશાહ બોલી ઊઠ્યા, ‘‘અરે ! આવા જાન બચાવનારને તો અર્ધું રાજ્ય આપી દઉં.’’ સૂફી સંત અબુ શકીકે કહ્યું, ‘‘બાદશાહ, તમારા સામ્રાજ્યની તમામ દોલતની કિંમત પાણીના એક ગ્લાસ અને દવાની એક પડીકી જેટલી જ છે. જો તમારા ધન-દોલતની આટલી જ કિંમત હોય, તો એનું આટલું બધું અભિમાન શાને?’’

Categories
વાચન સમૃદ્ધિ

સમયપાલનનું મહત્ત્વ

અમેરિકાના સ્વાતંત્ર્ય માટેની ક્રાંતિ દરમિયાન લશ્કરના સરસેનાધિપતિ, અમેરિકાના પ્રથમ પ્રમુખ અને અમેરિકાના રાષ્ટ્રપિતા એવા જ્યોર્જ વૉશિંગ્ટને એક વાર લંચ માટે કેટલાક મહેમાનોને નિમંત્રણ આપ્યું હતું. એ મહેમાનો સાથેનો ભોજનસમારંભ પૂરો થયા બાદ એમણે સેનાના કમાન્ડરો સાથે એક જરૂરી મિટિંગ ગોઠવી હતી. જ્યોર્જ વૉશિંગ્ટનના સમયપાલનની ચુસ્તતાનો એમના નોકર-ચાકરોને બરાબર પરિચય હોવાથી ભોજનનો સમય થતાં જ એમણે પ્રમુખને જાણ કરી કે ભોજનની સઘળી વ્યવસ્થા થઈ ગઈ છે, પણ હજુ સુધી મહેમાનો આવ્યા નથી. જ્યોર્જ વૉશિંગ્ટન ભોજનખંડમાં આવ્યા અને બોલ્યા, ‘બાકીની બધી પ્લેટ ઉઠાવી લો. હું એકલો જ ભોજન કરીશ.’ મહેમાનોની પ્રતીક્ષા કર્યા વિના એમણે ભોજન કરવાનું શરૂ કર્યું. લગભગ અડધું ભોજન પતાવી દીધું હતું, ત્યારે મહેમાનો આવ્યા અને ભોજનના ટેબલ પર એમની પ્લેટ મૂકવામાં આવી. એટલામાં જ્યોર્જ વૉશિંગ્ટન પોતાનું ભોજન પતાવીને ઊભા થયા અને મહેમાનોની વિદાય લઈને કમાન્ડરોની બેઠકમાં સામેલ થયા. બન્યું એવું કે આ બેઠકમાં એ આવ્યા ત્યારે જાણ થઈ કે અમેરિકાના એક ભાગમાં ભયંકર વિદ્રોહ થયો છે. એમણે તરત જ આ વિદ્રોહનો સામનો કરવા માટે આવશ્યક બાબતોના હુકમો આપ્યા. એનાં બધાં પાસાં પર વિચાર કર્યો અને કઈ રીતે આગળ વધવું એનું આયોજન કર્યું. આ બધું સમયસર થવાથી ઘણી માનવખુવારી ઘટી ગઈ અને સંપત્તિને પણ ઓછું નુકસાન થયું. થોડા સમય બાદ આ વાતની જાણ એ દિવસે ભોજન સમારંભમાં વિલંબથી આવેલા મહેમાનોને થઈ, ત્યારે એમને આત્મગ્લાનિનો અનુભવ થયો. એમને સમજાયું કે પ્રત્યેક કાર્ય સમયસર કરવાથી જાનમાલની કેટલી મોટી ખુવારીમાંથી બચી જવાય છે અને જીવનમાં વ્યવસ્થિત રહીને કાર્ય સિદ્ધ થાય છે. આ વિચાર સાથે તેઓ ફરી રાષ્ટ્રપતિ જ્યોર્જ વૉશિંગ્ટનના ઘેર આવ્યા અને એમણે એ દિવસે થયેલી ભૂલ બદલ ક્ષમાયાચના કરી, ત્યારે રાષ્ટ્રપતિએ કહ્યું, ‘આમાં ક્ષમાની કોઈ વાત જ નથી. જેને પોતાના જીવનની વ્યવસ્થા તેમજ પરિવાર, સમાજ અને દેશની ઉન્નતિનો ખ્યાલ રાખવો હોય, એણે સમયનું કડક પાલન કરવું જ જોઈએ.’

Categories
વાચન સમૃદ્ધિ

નિરભિમાની હોય, તે જ લોકનેતા

વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા અને સોવિયેત સંઘના પ્રથમ સમાજવાદી શાસક લેનિનના ઉદ્દામ ક્રાંતિકારી વિચારો સોવિયેત સંઘની પ્રજામાં નવો ઉત્સાહ જગાવતા હતા. લેનિને 1917ના ઑક્ટોબરમાં વિશ્વના ઇતિહાસમાં મહત્ત્વની એવી ‘બૉલ્શેવિક ક્રાંતિ’નું સર્જન કર્યું અને તેની સફળતાના પગલે લેનિનના નેતૃત્વ હેઠળ રશિયામાં નવી સરકાર રચાઈ. કુશળ રાજકારણી, વિચક્ષણ વ્યૂહરચનાકાર અને માર્ક્સવાદના સૈદ્ધાંતિક માળખાને પરિસ્થિતિના સંદર્ભમાં નવો ઓપ આપનાર, શ્રમજીવીઓનો રાહબર લેનિન વ્યવહારકુશળ લોકનેતા તરીકે રશિયન પ્રજાની અપાર ચાહનાને પામ્યા. લેનિનના નેતૃત્વની વાત સાંભળીને રશિયાના વિખ્યાત લેખક મેક્સિમ ગોર્કી એક વાર લેનિનની જાહેરસભામાં ગયા. મનમાં એવું વિચાર્યું હતું કે સમગ્ર રાષ્ટ્રમાં નવી ચેતના જગાવનાર અને સમાજવાદી ક્રાંતિ સર્જનાર આ નેતાનું ભાષણ એક વાર તો સાંભળી આવું. મેક્સિમ ગોર્કી સભાસ્થાને ગયા, ત્યારે જનમેદનીથી એ ખીચોખીચ હતું. એમના પ્યારા નેતા લેનિનના આગમનની રાહ જોઈને સહુ ઊભા હતા. કેટલીય આંખો લેનિનનાં દર્શન કરવા માટે આતુર હતી. ઉત્સાહથી ધબકતા આ વાતાવરણમાં લેનિન કઈ રીતે પ્રવેશશે ? મેક્સિમ ગોર્કીએ તો વિચાર્યું કે નક્કી, લેનિનનું દોરદમામ સાથે આગમન થશે અથવા તો આગળ છડીદારો હશે અને સાથીઓ જયઘોષ પોકારતા હશે, પરંતુ એમણે જોયું તો દૂર એક ખૂણામાં લેનિન કેટલાક કામદારો સાથે વાતચીતમાં ડૂબેલા હતા. સભાનો સમય થયો એટલે લેનિનનું નામ બોલાયું અને લેનિન પોતાની આસપાસના કામદારો પાસેથી સીધા સ્ટેજ પર ગયા. લેનિનની લોકો સાથેની આત્મીયતાનો મેક્સિમ ગોર્કી પર ઊંડો પ્રભાવ પડ્યો. પ્રચંડ લોકજુવાળ પોતાની સાથે હોય એવો લોકપ્રિય નેતા કેટલો બધો નિરભિમાની ! એ દિવસથી ગોર્કીનો લેનિન માટેનો આદર દ્વિગુણિત થઈ ગયો.