‘સંતોષ’નું સોહામણું લેબલ


આપીએ છીએ ==========================

પદ મળે એટલે પ્રગતિ અટકી જાય, સ્થાન મળે એટલે સ્થગિત ગઈ જવાય. હોદ્દો મળે એટલે આગળ વધવાની હિંમત ઠરી જાય. સામાન્ય રીતે જીવનમાં પ્રાપ્તિ પછી વ્યક્તિ સ્થગિત થઈ જતી હોય છે. એ પોતાની આસપાસ કાર્યની લક્ષ્મણરેખા આંકી દે છે અને એની બહાર પગ મૂકવાની એ કલ્પના કરતી નથી. આવી વ્યક્તિની સ્થિતિસ્થાપક વૃત્તિ એના હૃદયની સુષુપ્ત શક્તિઓને રૂંધી નાખે છે. પોતાને પ્રાપ્ત થયેલા હોદ્દામાં એને સંતોષ હોય છે અને ધીરે ધીરે એ હોદ્દો કે પદ એના જીવનને ઘેરી લે છે. એનો ઉત્સાહ ઓછો થવા માંડે છે અને એક સમય એવો આવે છે કે એનું જીવન વહેતી નદી રહેવાને બદલે બંધિયાર સરોવર જેવું બની જાય છે. ઉચ્ચ પદ મેળવવાની એની યોગ્યતા ભૂંસાઈ જાય છે અને કાર્યક્ષમતાનો વિકાસ થતો નથી. એક વાર એક કર્મચારીનો ઉપરી અધિકારી ગેરહાજર હતો અને એ કર્મચારીને એના ઉપરી અધિકારીનું કામ સોંપવામાં આવ્યું ત્યારે એને જાણ થઈ કે એનામાં હજી ઘણી પ્રગતિની શક્યતાઓ અને વિકાસની તકો પડેલી છે. બહુ ઓછી વ્યક્તિઓને પોતાની યોગ્યતાનો પરિચય હોય છે અને તેને કારણે પોતાની જાતને પ્રગતિની કસોટી પર મૂકવાને બદલે પ્રાપ્ય સ્થિતિમાં સંતોષ માનીને યથાસ્થાને જીવન ગુજારે છે. આવી વ્યક્તિ જીવનમાં કોઈ નવો પડકાર ઝીલવાની ઇચ્છા કે ગુંજાશ રાખતી નથી. પોતાની શક્તિની આસપાસ કૂંડાળું વળીને બેઠેલા સાપની જેમ એ એને એવો વીંટળાઈ વળે છે કે પછી એમાંથી બહાર નીકળવાનું ભૂલી જાય છે. આ સ્થિતિસ્થાપકતા પર ‘સંતોષ’નું સોહામણું લેબલ લગાડે છે અને પોતે રચેલા સીમાડાની પ્રતિષ્ઠા કરે છે. સમય જતાં આવી વ્યક્તિમાંથી મૌલિકતા ઓસરતી જાય છે અને સાહસિકતા સુકાઈ જાય છે.

કુમારપાળ દેસાઈ

પુરુષાર્થને પડકાર


મોટરની એક ફૅક્ટરીમાં મોરિસ કારીગર તરીકે કામ કરતો હતો. મોટરના પ્રત્યેક ભાગની એને ઝીણવટભરી જાણકારી હતી. બધા મિકૅનિકોમાં એ સહુથી વધુ કુશળ મિકૅનિક ગણાતો હતો. મોટરના એન્જિનની ખામી કોઈને જડતી ન હોય, તો એની તપાસ મોરિસને સોંપવામાં આવતી. આ બાહોશ મિકૅનિક મહેનત કરીને એ ક્ષતિ ખોળી કાઢતો અને એને રિપૅર કરીને મોટરને ફરી ચાલુ કરી દેતો. એક વાર મોરિસ કારખાનામાં નિર્ધારિત સમય કરતાં મોડો પહોંચ્યો. નસીબજોગે એ દિવસે જ કંપનીના માલિક કારખાનાની મુલાકાતે આવ્યા હતા. એમણે હાજરીપત્રક મંગાવીને બધા કારીગરોના આગમનનો સમય જોયો. એટલામાં મોરિસ આવી પહોંચ્યો. ફૅક્ટરીના માલિકે એને ઠપકો આપ્યો. મોરિસે નમ્રતાથી વિલંબનાં કારણો આપ્યાં અને કહ્યું, ‘અત્યંત અનિવાર્ય પરિસ્થિતિ હોવાને કારણે જ આવો વિલંબ થયો છે.’ ફૅક્ટરીના માલિકે રુઆબ છાંટતા હોય તે રીતે કહ્યું, ‘જો આ રીતે મોડા જ આવવું હોય તો ફૅક્ટરીના કારીગર નહીં, પણ ફૅક્ટરીના માલિક બનો. બાકી દરેક કારીગરે પોતાનો સમય સાચવવો જોઈએ.’ માલિકનું આ મહેણું મોરિસને હાડોહાડ લાગી ગયું અને એણે રાજીનામું ધરી દીધું. સાથી કારીગરો તો સ્તબ્ધ બની ગયા. માલિકે પણ સખ્તાઈ દાખવવા માટે એ રાજીનામું સ્વીકારી લીધું. સાથી કારીગરોએ મોરિસને સલાહ આપી કે માલિકનાં આવાં વચનોથી અકળાઈ જવાય નહીં. હવે માફી માગીને રાજીનામું પાછું ખેંચી લે. મોરિસ અડગ રહ્યો. એણે બીજે દિવસે પોતાની ફૅક્ટરી બનાવવાનો પ્રયત્ન આરંભ્યો. સમય જતાં મોરિસે પોતાની ફૅક્ટરી ઊભી કરી અને પોતાની સઘળી કુશળતા કામે લગાડી અને સમય જતાં એણે જગવિખ્યાત બનેલી નાની મોરિસ મોટરનું ઉત્પાદન કર્યું.

કુમારપાળ દેસાઈ

પોતે પરમ શ્રેષ્ઠ અને અન્ય સાવ


સામાન્ય ========================

કેટલા બધા બેવડા માપદંડથી માનવી વિચારે છે ! એ પોતાની જાત વિશે વિચારે, ત્યારે પ્રશંસા કે અહોભાવથી ભરપૂર દૃષ્ટિએ વિચારે છે. પોતાના જીવનની પ્રત્યેક ક્રિયાને એ યોગ્ય ઠેરવે છે. પોતાની કાર્યપદ્ધતિને એ ઉત્તમ માને છે અને પોતાની વિચારશૈલીને સર્વશ્રેષ્ઠ ગણે છે. એ જ વ્યક્તિ અન્યના જીવન વિશે વિચારે છે, ત્યારે એને વિશે ટીકા કે નિંદાપૂર્ણ નકારાત્મક દૃષ્ટિકોણ રાખે છે. એની પ્રત્યેક ક્રિયામાંથી ક્ષતિ શોધે છે. એની કાર્યપદ્ધતિને સાવ ઢંગધડા વિનાની માને છે અને એના વિચારમાં કોઈ તથ્ય હોવાનો સદા ઇન્કાર કરે છે. આ રીતે વ્યક્તિ પોતાના કાર્યને યથાર્થ ઠેરવવા માટે તમામ શક્તિ કામે લગાડતી હોય છે. જો અન્ય વ્યક્તિ કાર્ય સિદ્ધ કરવામાં નિષ્ફળ જાય, તો તે એને બિનકાર્યક્ષમ માને છે. એની અણ-આવડતની ટીકા કરે છે અને એની નિષ્ફળતાને એની ઘોર આળસનું પરિણામ બતાવે છે, જ્યારે વ્યક્તિ પોતે નિષ્ફળ જાય ત્યારે પોતાની અણઆવડતને બદલે સંજોગો કે પરિસ્થિતિને દોષ આપે છે. પોતાની આળસ કે પ્રમાદને બદલે બીજાએ નાખેલા અવરોધોની વાત કરે છે અને આ રીતે પોતાની નિષ્ફળતાને સફળતા જેવી બતાવવા માટે રાત-દિવસ કોશિશ કરે છે. એ બીજી વ્યક્તિ પાસે શિષ્ટાચારની અપેક્ષા રાખે છે, આદર અને માન મેળવવા ઇચ્છે છે. આમાં કોઈ વ્યક્તિ નિષ્ફળ જાય તો એને શિષ્ટાચારની સમજવિહોણી કહે છે, વખત આવે અસભ્ય ઠેરવે છે; જ્યારે પોતાની અસભ્યતાને એ પોતાના આગવાપણામાં ઠેરવવા કોશિશ કરે છે. એની ઉચ્છ્રંખલતાને એ એની આધુનિક છટા તરીકે ઓળખાવવા પ્રયાસ કરે છે. વ્યક્તિની પોતાને માટે જુદી ફૂટપટ્ટી હોય છે અને બીજાને માટે એનાથી સાવ અવળો માપદંડ હોય છે.

કુમારપાળ દેસાઈ