Categories
વાચન સમૃદ્ધિ

અધ્યાત્મની પ્યાસમાં ભરતી-

ઓટ હોતાં નથી ===============

માનવીનું જીવન એટલે વણછીપી તરસ. એને એક એવી તરસ હોય છે કે જેને છિપાવવા માટે એ સતત પ્રયાસ  કરતો હોય છે. કોઈને ધનની તરસ હોય છે, તો કોઈને પદની ભૂખ હોય છે. કોઈને સમૃદ્ધિની તરસ પીડતી હોય છે, તો કોઈનું હૃદય પ્રિયજનના વિયોગની તરસથી તરફડતું હોય છે. પ્રેમની પણ એક પ્યાસ હોય છે અને એ પ્યાસ બુઝાવવા માટે માનવી પ્રયત્ન કરતો હોય છે. એની પ્રેમની પ્યાસ એને સતત ઝંખનાઓ,  સ્વપ્નો, આશાઓ અને આકાંક્ષાઓ પર દોડાવે છે. એની આ તૃષા ક્યારેક તૃપ્ત થાય છે, તો ક્યારેક એ મૃગતૃષ્ણા બની રહે છે ! આ બધી તૃષાઓમાં ક્યારેક આનંદ તો ક્યારે વિષાદ આવે છે. થોડું સુખ અને દુ:ખ આવે છે. ઝંખનાની તીવ્રતા અને પ્રાપ્તિ થતાં શૂન્યતાનો અનુભવ થાય છે, પરંતુ જ્યારે એને અધ્યાત્મની તરસ જાગે છે ત્યારે તરસનું રૂપ અને એનું સૌંદર્ય સાવ બદલાઈ જાય છે. ભૌતિક જીવનની તરસમાં એના ચિત્તને કેટલાય સંઘર્ષો વેઠવા પડે છે, ત્યારે અધ્યાત્મની તરસ એને એક આનંદ સ્થિતિમાં રાખે છે. પરિણામે એના જીવનમાંથી સ્થૂળ આનંદો, ક્ષુદ્ર વસ્તુઓ અને ભૌતિક એષણાઓની બાદબાકી થઈ જાય છે, એટલું જ નહીં, પણ એ કોઈ વિરાટ ગગનમાં ઊડવા લાગે છે. એનું આ ઉડ્ડયન એવું હોય છે કે હવે એને જીવનની કોઈ પ્યાસ પજવતી નથી. જીવનની પ્યાસમાં ક્ષણભંગુરતા હતી તો અધ્યાત્મની પ્યાસમાં ચિરંજીવતા છે. એમાં ભરતી કે ઓટ નથી. એમાં આશા કે નિરાશા નથી, પણ એ બધાથી પર એવા જીવનનો ઉલ્લાસ અને પરમ પ્રસન્નતા છે. ચિંતા કે પીડા, અવસ્થા કે અપમાનને પાર વસતી સ્વસ્થ, સ્વચ્છ, શાંત જળ સમી સમતા છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

તત્કાળ પ્રતિભાવથી થતી

પરેશાની ————–

અમેરિકાના પ્રમુખ કુલીજ અને તેમનાં પત્ની અમેરિકાના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ છોડીને  થોડા સમય માટે બીજે રહેવા ગયાં હતાં. પ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં રંગરોગાનનું કામ ચાલતું હતું. બન્યું  એવું કે પ્રમુખને જરૂરી કામ આવી પડતાં  તેઓ તરત વ્હાઇટ હાઉસ પાછા ફર્યા. પ્રમુખના આગમનની જાણ થતાં વ્હાઇટ હાઉસમાં ધમાલ મચી ગઈ. હજી રંગરોગાન ચાલુ હતું, ફર્નિચર ખસેડ્યું હતું, પુસ્તકોના ઢગલા વચ્ચે પડ્યા હતા. આ બધું ગોઠવવું કઈ રીતે ? વ્હાઇટ હાઉસના કર્મચારીઓએ વિચાર્યું કે હવે સમય ઓછો છે, તેથી બધું આમતેમ ગોઠવી નાખો. ફરી પ્રમુખ જાય પછી વ્યવસ્થિત ગોઠવીશું. આમ પ્રમુખના ગ્રંથાલયનાં પુસ્તકો નોકર ગોઠવતો હતો, ત્યાં કૂતરો આવી ચડ્યો. નોકરના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે એક પુસ્તક ઊંચકીને કૂતરા તરફ ફેંક્યું. કૂતરો ભાગી ગયો, પણ પુસ્તક પડદા સાથે જોરથી અથડાયું અને પડદા પાછળથી કોઈની ચીસ સંભળાઈ. થોડી ક્ષણોમાં પ્રમુખ કુલીન માથું ઘસતા ઘસતા બહાર આવ્યા. એમણે નોકરને કહ્યું, ‘ઓહ ! બહુ ગરમી છે, ખરું ?’ આટલું બોલી પ્રમુખ શાંત રહ્યા નોકરને એની આવી ગેરવર્તણૂક માટે કશો ઠપકો ન આપ્યો. જાણે આખી ઘટનાને જ વીસરી ગયા. નોકરે પોતાની ભૂલનો પશ્ચાત્તાપ પ્રમુખ આગળ કર્યો.

સામાન્ય રીતે જીવનની ઘટમાળ એવી હોય છે કે એક આઘાત કે પ્રહાર થાય કે તરત જ એનો પ્રત્યાઘાત જન્મે. એક ઘટના બને કે તત્કાળ પ્રતિઘટનાનું ચક્ર ઘૂમવા લાગે. આવો તત્કાળ પ્રતિભાવ ઘણી વાર ભૂલભરેલો અને નુકસાનકારક હોય છે. ઘણી વાર વ્યક્તિનાં કટુ વચનો એના દુ:ખદ અનુભવોમાંથી પ્રગટ થતાં હોય છે. સામી વ્યક્તિ એ કટુ વચનોનો તત્કાળ પ્રત્યુત્તર આપે છે, પરંતુ એના પડદા પાછળ રહેલા દુ:ખદ અનુભવોનો એને ખ્યાલ હોતો નથી. એના વિષમ સંજોગોની એને જાણ હોતી નથી કે એ વ્યક્તિના માનસનો પરિચય હોતો નથી. કોઈ પણ ઘટનાને જોવી, વિચારવી, સમજવી અને પછી પ્રતિભાવ આપવો, એવું બને તો માનવસંબંધોનું માધુર્ય કેટલું બધું ટકી રહે ! સંસારમાં થતા મોટા ભાગના કલહ અને કંકાસનું કારણ પ્રતિભાવ કે પ્રત્યાઘાત છે. સામેની વ્યક્તિ કંઈ બોલે તે પહેલાં જ અન્ય વ્યક્તિ એ વિશેનો ફેંસલો સંભળાવી દે છે. હજી વાત પૂર્ણ થઈ હોય નહીં ત્યાં તો એનો જવાબ આપી દે છે. સંસારના ઘણા વિવાદોનું મૂળ આ પ્રત્યાઘાત છે. જો માનવી અન્ય વ્યક્તિનાં વચનોનો શાંતિથી વિચાર કરે તો એ એના પ્રત્યાઘાતની ઉગ્રતામાંથી ઊગરી જાય છે. જીવનની દુ:ખદ ઘટનાઓ સમયે તત્કાળ પ્રત્યાઘાત નહીં આપીને વ્યક્તિ સ્વસ્થતા મેળવી શકે છે અને એ ઘટનાના મર્મ સુધી પહોંચી શકે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

એક આંખમાં સંતોષ, બીજી

આંખે પ્રગતિ ! ————-

જીવનના ઉત્સાહને માણવા માટે એક આંખમાં સંતોષને વસાવો અને બીજી આંખમાં પ્રગતિને રાખો. એક નજર સંતોષ પર હશે, તો જે પામ્યા હોઈએ તેનો આનંદ મળશે. જે મેળવ્યું એની મજા પડશે. જે ‘છે તેનો સંતોષ હશે. વ્યક્તિ પાસે સ્કૂટર હશે, તો સ્કૂટર ધરાવવાનો સંતોષ એના મનમાં રહેશે. મોટર નહીં હોવાના અભાવના અજંપાથી એ પીડાતી નહીં હોય. જીવનની ઘણી વેદનાઓ પ્રાપ્તિની ઉપેક્ષા અને અપ્રાપ્તિની મહેચ્છાથી સર્જાતી હોય છે. એ વ્યક્તિ સ્કૂટર પર ઘૂમવાની મજા માણી શકશે નહીં, કારણ કે બીજાની મોટર એના હૈયામાં સદાય આગ ઝરતી રાખશે. જીવન આખું બેચેની કે હતાશામાં જશે અને ધીરે ધીરે જીવનમાં સદાને માટે જે મેળવ્યું હોય, તે ભુલાતું જાય છે અને જે નથી તે ચિત્ત પર સવાર થઈને બેસી જાય છે. વ્યક્તિએ બીજી આંખ પ્રગતિ પર ઠેરવવી જોઈએ અને એને માટે પુરુષાર્થથી સદાય પ્રગતિનો પડકાર ઝીલવો જોઈએ. એ સંતોષની પલાંઠી જરૂર વાળશે, પરંતુ એ આસને બેસીને પ્રગતિ માટેના પુરુષાર્થનો વિચાર કરશે. વધુ સિદ્ધિ મેળવનારી વ્યક્તિઓ કે વિભૂતિઓ પાસેથી પ્રેરણા લેશે. વિભૂતિઓ માત્ર પૂજા, અર્ચના કે પ્રતિમા ખડી કરવા માટે નથી. એમનો હેતુ તો આપણને જીવનમાં પ્રગતિ માટે પ્રેરણાપીયૂષ પાવાનો છે. વિચારકો, વિજ્ઞાનીઓ અને કલાકારોના જીવનમાંથી પ્રેરણા પામીને પ્રગતિ કરવી જોઈએ. મનમાં સંતોષ સાથે હાથમાં પ્રગતિ રાખવી જોઈએ. આવું ન થાય તો સંતોષ, પ્રમાદ કે નિષ્ક્રિયતામાં પરિવર્તન થઈ જાય છે. પ્રાપ્તિ અંગે સંતોષ અને પ્રાપ્ત કરવાનું છે, તેમને માટે પ્રગતિ બંનેનું સમતોલન સાધવું જોઈએ.

કુમારપાળ દેસાઈ