Categories
વાચન સમૃદ્ધિ

સ્વપ્ન

સામાન્ય રીતે નિદ્રાવસ્થા દરમિયાન વિચારો-સંવેદનો-અપેક્ષાઓ-ભાવાનુભવો વગેરેથી પ્રેરિત માનસપટ પર પ્રગટ થતો દૃશ્યાભાસ. પ્રાચીન કાળથી માનવી માટે સ્વપ્ન મહત્ત્વપૂર્ણ અને અર્થપૂર્ણ રહ્યું છે. બૅબિલોન અને ઇજિપ્તના લોકો સ્વપ્નોની નોંધ કરતા અને તેમનો અર્થ કાઢતા. ભારતમાં પણ વિચારકોએ માનવીની ચાર અવસ્થાઓમાં નિદ્રા, જાગૃતિ અને તુરીયાવસ્થા સાથે સ્વપ્નાવસ્થાનો સમાવેશ કર્યો છે.

ભગવાન મહાવીરના જન્મ પૂર્વે ત્રિશલા માતાને આવેલાં મંગલ સ્વપ્નો

સ્વપ્નમાં આવતાં વિચારો, અનુભૂતિઓ, સંવેદનાઓ અને તેમના હેતુઓ ચોક્કસપણે સમજી શકાતાં નથી; પરંતુ કેટલાક મનશ્ચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો અને શરીરક્રિયાવિજ્ઞાનીઓએ સ્વપ્નોનાં વિવિધ પાસાંઓ તથા તેમના સંકેતોનું વિશ્લેષણ કરીને કેટલીક હકીકતો તારવી છે. સ્વપ્નોના વૈજ્ઞાનિક અભ્યાસને ઑનેરોલૉજી કહે છે. દરેક મનુષ્યને રોજ રાતે સ્વપ્ન આવતું હોય છે. કેટલાક એમ કહે છે કે, ‘મને સ્વપ્ન આવતાં નથી.’ તેઓને સ્વપ્ન તો આવે છે પણ તેઓ તે ભૂલી જાય છે. ઊંઘની ચાર કક્ષાઓ હોય છે. તેમાંથી પ્રથમ કક્ષાની ઊંઘ હળવી હોય છે. આ તબક્કે જ્યારે નિદ્રાધીન વ્યક્તિની આંખોની કીકીઓનાં હલનચલનો થાય ત્યારે તે સ્વપ્નો જોતો હોય છે. તેને આંખની ઝડપી ગતિ(rapid eye movement)નો તબક્કો એટલે કે ‘REM ઊંઘ’ કહે છે. આવે સમયે મગજ ખૂબ ક્રિયાશીલ હોય છે અને જાગૃતાવસ્થા સાથે કેટલીક રીતે સામ્ય ધરાવે છે. બીજી, ત્રીજી અને ચોથી કક્ષાની ઊંઘ વધારે ને વધારે ગાઢ બનતી જાય છે. નાનાં બાળકો પોતાની સોળ કલાકની ઊંઘમાંથી અડધો સમય સ્વપ્નો જોતાં હોય છે. સ્વપ્નો અનેક પ્રકારનાં હોય છે : કેટલાંક લાંબાં તો કેટલાંક ટૂંકાં, કેટલાંક વિગતવાર યાદ રહે તો કેટલાંક ભુલાઈ જાય તેવાં. અમુક સ્વપ્નો આનંદદાયક, ઉત્સાહ વધારે તેવાં તથા રસપ્રદ હોય છે; જ્યારે કેટલાંક સ્વપ્નો દુ:ખદાયક, ડરામણાં, ભયાનક, સાહસવાળાં તેમ જ અદ્ભુત હોય છે. સ્વપ્નના વૈજ્ઞાનિક અધ્યયન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે બહારથી આપવામાં આવતી ઉત્તેજનાના પ્રભાવથી પણ કેટલાક પ્રકારનાં સ્વપ્ન આવી શકે છે. સ્વપ્નના વિષયમાં ડૉ. સિગ્મંડ ફ્રૉઇડનો આગવો મત છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વપ્ન, પૃ. 90)

Categories
વાચન સમૃદ્ધિ

તથ્યને સત્ય માનીને અનિષ્ટો સર્જ્યાં !

તથ્યને સત્ય માનવાને કારણે કેટકેટલી ભ્રાંતિઓ સર્જાઈ છે ! વ્યક્તિ પાસે એનો આગવો અભિગમ, પોતીકી વિચારધારા અને સંસારવ્યવહારના અનુભવોમાંથી તારવેલું નવનીત હોય છે. પોતાની નજરે જગતને જોઈને મેળવેલા દર્શનમાંથી એને જે સાંપડે છે તે તથ્ય છે, સત્ય નહીં. એ પ્રાપ્ત કરેલા તથ્યને સત્ય માનવા જાય તો ઘણી મોટી ભૂલ કરી બેસે છે. વ્યક્તિ ઘણી વાર આવા તથ્યને આધારે જીવનઘડતર કરતી હોય છે અને એથીય વિશેષ સ્વજીવનનો માર્ગ નિર્ધારિત કરતી હોય છે, પણ એ ભૂલી જાય છે કે તથ્ય સાથે તમારી ધારણાઓ, માન્યતાઓ અને ખ્યાલો અનુસ્યૂત હોય છે, જ્યારે સત્ય તદ્દન ભિન્ન છે. તથ્ય આજે સ્વીકાર્ય હોય, તે આવતી કાલે અસ્વીકાર્ય બની શકે છે. એક સમયનું તથ્ય બીજા સમયમાં લાગુ પાડી શકાતું નથી. આની સામે સત્ય એ શાશ્વત હોય છે. એમાં કોઈ પરિવર્તન આવતું નથી. તથ્ય સાથે આપણા પોતાના ખ્યાલો જોડાયેલા હોય છે, જ્યારે સત્ય સાથે વ્યક્તિના કોઈ ખ્યાલો જોડાયેલા હોતા નથી. આમ તથ્ય એ માનવબુદ્ધિની નીપજ છે, જ્યારે સત્ય એ પરમાત્માની દેન છે. પરમની પ્રાપ્તિ છે. સામાજિક વિચારધારામાં કે ધાર્મિક પરિસ્થિતિમાં તથ્યને સત્ય માની લેવાને કારણે પારાવાર અનિષ્ટો સર્જાયાં છે. તથ્યને જુદા જુદા વાઘા પહેરાવી શકીએ છીએ. જુદા જુદા વેશથી શણગારી શકીએ છીએ. સતીના કુરિવાજો સ્વર્ગપ્રાપ્તિના સિંહાસને બેસાડી શકીએ છીએ. ગઈકાલના તથ્યને વળગી રહીને ધર્મોમાં સત્યનો દ્રોહ થતો હોય છે. તથ્ય બહુરૂપી છે જ્યારે સત્ય કોઈ વેશ કે કોઈ આવરણનો સ્વીકાર કરતું નથી.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણની આહુતિ

એક્સ-રેની કૅન્સર પર થતી અસરના સંશોધનને માટે ઇટાલીના એક્સ-રે વિભાગના તજજ્ઞ મારિયો પોંજિયોએ આ વિષયનાં તમામ પુસ્તકોનો અભ્યાસ કર્યો. જુદાં જુદાં સામયિકમાં પ્રકાશિત થયેલા લેખો પણ વાંચી ગયા. પોતાના ડૉક્ટર સાથીઓને મળ્યા અને એમને પણ પૂછ્યું કે તમારા કૅન્સરના દર્દીઓ પર એક્સ-રેની કોઈ અસર થતી તમને જોવા મળી છે ખરી? સહુએ સ્વાનુભવ કહ્યા, પરંતુ એમાંથી કોઈ સ્પષ્ટ તારણ નીકળતું નહોતું. આથી મારિયો પોંજિયોએ પોતાની જાત પર આના અખતરા કરીને  સાચું તારણ મેળવવા પ્રયાસ કર્યો. આમ કરવા જતાં એને ડાબા હાથની એક આંગળી ઑપરેશન કરીને કપાવવી પડી. મિત્રોએ પોંજિયોને એના દુસ્સાહસમાંથી પાછા ફરવા જણાવ્યું, પરંતુ પોંજિયોએ કહ્યું, ‘‘મને આની કોઈ પરવા નથી. ભલે હાથની એક આંગળી કાપવી પડી હોય, પણ બીજી ચાર આંગળીઓ તો છે ને !’’ પોંજિયોનો પ્રયોગ ચાલુ રહ્યો. આમાં વારંવાર એક્સ-રેને કારણે રેડિયમની વિઘાતક અસર થવાથી એને ડાબા હાથનો થોડો ભાગ અને જમણા હાથનો ભાગ પણ ઑપરેશન કરીને કપાવવો પડ્યો. આ વિઘાતક અસરને પરિણામે પોંજિયોનો દેહ શિથિલ થવા માંડ્યો. એના મિત્રો એના શરીરની આવી દુર્દશા જોઈ શકતા નહોતા, પરંતુ પોંજિયો જ્યાં સુધી પોતાનું સંશોધન પૂર્ણ ન થાય ત્યાં સુધી અટકે તેમ નહોતો. મિત્રોએ એને રેડિયમથી દૂર રહેવાની સલાહ આપી, ત્યારે ત્યુરિન વિશ્વવિદ્યાલયના રેડિયોલૉજી વિભાગના નિષ્ણાત ડૉક્ટર મારિયો પોંજિયોએ કહ્યું, ‘જીવનની પ્રત્યેક ક્ષણ ધ્યેયપ્રાપ્તિ માટે વપરાય એનાથી બીજું કોઈ મોટું સદભાગ્ય નથી. મારી ધ્યેયપ્રાપ્તિ માટે આ પ્રયોગો અનિવાર્ય હતા. કદાચ એને માટે પ્રાણની આહુતિ આપવી પડે તો પણ હું અટકીશ નહીં.’ મારિયો પોંજિયોએ પોતાના પ્રાણની આહુતિ આપીને તબીબી જગતને એક નવી રાહ બતાવી.