Categories
વાચન સમૃદ્ધિ

દિલીપ ચિત્રે

જ. ૧૭ સપ્ટેમ્બર, ૧૯૩૮ અ. ૧૦ ડિસેમ્બર, ૨૦૦૯

મરાઠી અને અંગ્રેજીના પ્રસિદ્ધ કવિ, વિવેચક, નિબંધકાર, વાર્તાકાર, સંપાદક, અનુવાદક, નાટ્યકાર અને ફિલ્મકાર દિલીપ ચિત્રેએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું હતું. તેમના પિતા પુરુષોત્તમ ચિત્રે વડોદરાથી ‘અભિરુચિ’ નામનું મરાઠી સામયિક ચલાવતા હતા. ૧૯૫૧માં તેઓ મુંબઈ ગયા હતા. ૧૯૫૯માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. દિલીપ ચિત્રેએ ત્રણ વર્ષ ઇથિયોપિયામાં શિક્ષક અને એક વર્ષ અમેરિકામાં આયોવા ખાતે આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ લેખનકાર્ય કર્યું હતું. ત્યારબાદ ભારત પાછા ફરીને તેમણે પત્રકાર અને ડિઝાઇનર તરીકે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના કલાવિભાગમાં તેમજ સ્વતંત્ર રીતે કામગીરી કરી હતી. તેમણે ૧૯૭૮થી ૧૯૮૩ દરમિયાન ભોપાલમાં નિરાલા સૃજનપીઠ અને ભારતભવનમાં વાગર્થના નિયામક, નવી દિલ્હી ખાતે વાલ્મીકિ વિશ્વ કવિતા મહોત્સવના નિયામક તથા પુણેમાં ‘ન્યૂ ક્વેસ્ટ’ના સંપાદક જેવી મહત્ત્વની જવાબદારીઓ સંભાળી હતી. દિલીપ ચિત્રે તેમના ‘કવિતા’, ‘કવિતેનંતરચ્યા કવિતા’, ‘દહે બાઈ દહા’ અને ‘એકૂણ કવિતા’ ખંડ ૧-૨ જેવા કાવ્યસંગ્રહો, ‘ઑર્ફિયસ’ નામનો વાર્તાસંગ્રહ, ‘શીબા રાણીચ્ચ શોધાત’ નામના સચિત્ર પ્રવાસવર્ણન દ્વારા મરાઠી સાહિત્યજગતમાં અગ્રેસર બની રહ્યા હતા. તેમણે તુકારામના અભંગોનો ‘સે તુકા’ શીર્ષક હેઠળ અને જ્ઞાનદેવના ‘અમૃતાનુભવ’માંથી પસંદગીનાં કાવ્યોનો અનુવાદ કર્યો છે. અંગ્રેજીમાં લખેલું એક દીર્ઘકાવ્ય ‘ઍમ્બુલન્સ રાઇડ’ અને ‘ટ્રાવેલિંગ ઇન એ કેજ’ મુખ્ય છે. ૧૯૮૩માં હિંદી કથા-ફિલ્મ ‘ગોદામ’ અને કવિઓ પર બનાવેલ કેટલાંક વૃત્તચિત્રો અને શ્રેણીઓ એમનું મહત્ત્વનું પ્રદાન છે. દિલીપ ચિત્રેને મહારાષ્ટ્ર રાજ્ય કવિતા પુરસ્કાર, કહાની પુરસ્કાર, ગોદાવરી સ્મૃતિ કવિતા પુરસ્કાર તથા રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમનો સર્વોત્કૃષ્ટ ફિલ્મ પટકથા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ‘એકૂણ કવિતા’ ખંડ-૧ને ૧૯૯૪નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય પણ તેમને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ડાકર

પશ્ચિમ આફ્રિકામાં કેપવર્ડ દ્વીપકલ્પના દક્ષિણ છેડે આટલાંટિક કિનારે આવેલું  સેનેગલનું  પાટનગર  અને મહત્ત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : ૧૫° ઉ. અ., ૧૭° ૩૦´ પ. રે.. ગાંબિયા અને સેનેગલ નદીઓના મુખપ્રદેશ વચ્ચે તે આવેલું છે. વોલોફ લોકોની ભાષાના શબ્દ તથા લેબ્રુ લોકોના આ જ નામના ગામ ‘ડાકહર’ ઉપરથી આ નામ પડ્યું છે. તે દક્ષિણ અમેરિકાના પ્રદેશથી સૌથી નજીક અને તે દેશો સાથેના વેપારનું મહત્ત્વનું કેન્દ્ર છે. તેની પૂર્વે આવેલાં માલી અને મોરેટાનિયા રાજ્યોનું તે પ્રવેશદ્વાર છે. વિસ્તાર ૫૫૦ ચોકિમી. જેટલો છે. 2023 મુજબ આ શહેરની વસ્તી આશરે 40 લાખ જેટલી છે. તેની આબોહવા ઉષ્ણકટિબંધમાં આવેલા દેશો જેવી ભેજવાળી છે, પણ સમુદ્ર ઉપરથી વાતા પવનોને કારણે ત્યાં તાપમાન ઓછું રહે છે. અહીં સરાસરી જાન્યુઆરીનું તાપમાન ૨૨.૨° સે. અને જુલાઈનું ૨૭.૮° સે. રહે છે. એથી ઑક્ટોબર દરમિયાન ૫૪૦ મિમી. વરસાદ પડે છે. તેની આબોહવા ખુશનુમા છે.

ડાકર શહેર

અહીં મગફળીનું મોટા પાયે વાવેતર થાય છે. અનાજમાં બાજરી અને મકાઈ તથા ફળો પૈકી કેળાં છે. અહીં ટ્રકોના જુદા જુદા ભાગોનું જોડાણ, મગફળીનું પિલાણ તથા શુદ્ધીકરણ, જહાજોની મરામત, પ્રક્રિયા બાદ માછલીનું ડબામાં પૅકિંગ, ખાંડ, કાગળ, ચર્મઉદ્યોગ (પગરખાં), ઠંડાં પીણાં, રસાયણ, સાબુ, કાગળ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. હાન ખાતે ઔદ્યોગિક વસાહત છે. ગોરીમાં દરિયાઈ સંગ્રહસ્થાન અને ડાકરમાં ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર, પુરાતત્ત્વનાં સંગ્રહસ્થાનો છે. પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ તથા ૧૯૪૯માં સ્થપાયેલી ડાકર યુનિવર્સિટીનું તે મથક છે. ફ્રેન્ચ સંસ્કૃતિ અને સ્થાપત્યની અસર અહીં જોવા મળે છે. અનેક દેશો સાથે જોડાયેલું હવાઈ માર્ગોનું આ ટર્મિનસ યુરોપ અને દક્ષિણ અમેરિકાના દેશો વચ્ચે વેપારવિનિમય માટે સેતુ સમાન છે. આ બંદર પરથી પેટ્રોલિયમ, યંત્રો વગેરેની આયાત અને મગફળી, મગફળીનું તેલ અને ફૉસ્ફેટની નિકાસ થાય છે. ૧૯૫૯થી તે ટ્યૂના માછલી પકડવા માટેનું બંદર બન્યું છે. ૧૮૬૬માં દક્ષિણ અમેરિકા જતી ફ્રેન્ચ સ્ટીમરો અહીં કોલસા લેવા થોભતી હતી. ૧૮૮૫માં સર્વપ્રથમ વેસ્ટ આફ્રિકન રેલવે સેન્ટ લુઈથી ડાકર સુધી અને ૧૯૨૪માં તે ફ્રેન્ચ સુદાન કે માલી સુધી લંબાવાઈ હતી. ઇતિહાસ : અહીં યુરોપીય પ્રજાઓ પૈકી ડચો સર્વપ્રથમ વસ્યા હતા. તેમણે ૧૬૧૭માં ડાકર પૉઇન્ટ નજીકનો ગોરી ટાપુ કબજે કર્યો હતો. ૧૬૭૭માં આ ટાપુ ફ્રેન્ચોએ જીતી લીધો હતો. ૧૮૫૭ સુધીમાં સ્થાનિક લોકોના સામનાનો અંત આવ્યો હતો. આ જ વરસે ડાકર ખાતે ધક્કો બંધાવ્યો હતો. ૧૮૮૯માં તે ફ્રેન્ચ કૉમ્યૂન ઇલાકો બન્યું. ૧૯૦૨માં ફ્રેન્ચ નૈર્ઋત્ય આફ્રિકાના ગવર્નર-જનરલનું તે નિવાસસ્થાન બન્યું. ૧૯૦૪માં સેન્ટ લુઈને બદલે ડાકર ફ્રેન્ચ પશ્ચિમ આફ્રિકાનું પાટનગર બન્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેનું મહત્ત્વ વધ્યું હતું. ૧૯૪૦માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન તાબેદારી સ્વીકારનાર વીચી ખાતેની ફ્રેન્ચ સરકારને તેણે ટેકો અને સહકાર આપ્યા હતા. ૧૯૪૧માં બ્રિટિશ તથા સ્વતંત્ર ફ્રેન્ચ લશ્કરના હુમલાનો તેણે સામનો કર્યો હતો. ૧૯૪૩માં તે મિત્રરાજ્યો સાથે જોડાયું હતું. ૧૯૫૯–૧૯૬૦ના થોડા સમય દરમિયાન તે માલી સમવાયતંત્રનું પાટનગર બન્યું હતું, પણ આ જોડાણ અલ્પજીવી નીવડતાં ૧૯૬૦ના અંતભાગમાં તે સેનેગલના સ્વતંત્ર રાજ્યનું પાટનગર બન્યું હતું.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

એમ. એસ. સુબ્બુલક્ષ્મી

જ. ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૦૪

અત્યંત મધુર કંઠ, સંસ્કૃત ભાષાના ઉચ્ચારની સ્પષ્ટતા, આરોહ-અવરોહની ખૂબી તથા લય અને તાલની મોહિની ધરાવતાં એમ. એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ મદુરાઈમાં એક જાણીતા સંગીત પરિવારમાં થયો હતો. તેથી બાળપણથી જ સુબ્બુલક્ષ્મીને સંગીતના સંસ્કાર મળ્યા હતા. ફક્ત ચાર ધોરણ સુધી અભ્યાસ કરી તેમણે શાળાકીય શિક્ષણ લેવાનું છોડી દીધું અને સમગ્ર ધ્યાન સંગીતસાધનામાં પરોવ્યું. કિશોરાવસ્થા સુધીમાં તો તેઓ કર્ણાટકી શાસ્ત્રીય સંગીતમાં નિપુણતા મેળવી ચૂક્યાં હતાં. ૧૯૪૦માં તેમનાં લગ્ન શ્રી ટી. સદાશિવમ્ સાથે થયાં હતાં. પતિ પાસેથી તેમને સંગીતમાં માર્ગદર્શન, મદદ અને મમતાભરી માવજત મળી. ૧૯૪૪માં મુંબઈમાં અખિલ ભારતીય સંગીત સંમેલનમાં કાર્યક્રમ રજૂ કરી તેમણે ભારતભરમાંથી આવેલા સંગીતકારોને પ્રભાવિત કર્યા હતા. સૌંદર્ય અને સૂરોનો અનોખો સંગમ ધરાવતાં આ કલાકારે ૧૮ વર્ષની ઉંમરે તમિળ ફિલ્મોમાં અભિનેત્રી તરીકે પદાર્પણ કર્યું. તેમની ફિલ્મ ‘મીરાં’એ અદભુત સફળતા પ્રાપ્ત કરી હતી. આ ફિલ્મમાં ૧૮ જેટલાં ભજનો તેમણે પોતાના સુરીલા કંઠે ગાયાં હતાં જે ખૂબ જ લોકપ્રિય બન્યાં હતાં. સુબ્બુલક્ષ્મીએ કર્ણાટકી સંગીતનું શિક્ષણ માતાથી માંડીને અરિયકુડી રામાનુજ આયંગર જેવા મહાન દક્ષિણ ભારતીય સંગીતકારો દ્વારા પ્રાપ્ત કર્યું તો દ્વિજેન્દ્રલાલ રૉય પાસેથી ઉત્તર હિન્દુસ્તાની શૈલીના ‘ખયાલ’ અને સિદ્ધેશ્વરી દેવી પાસેથી ‘ઠૂમરી’ અને ‘ટપ્પા’નું શિક્ષણ મેળવ્યું હતું. મીરાંનાં ભજનો ગાયાં બાદ સૂરદાસ, કબીર, તુલસીદાસ, નરસિંહ મહેતા વગેરે અનેક ભક્તકવિઓનાં ભજનો અને પદોને મધુર કંઠ આપ્યો હતો. તેમણે અનેક વાર ગાંધીબાપુની સમક્ષ સંગીત પીરસ્યું હતું. ૧૯૬૬માં ન્યૂયૉર્કમાં તેમણે રાષ્ટ્રસંઘની સામાન્ય સભા સમક્ષ પણ સંગીત પીરસ્યું હતું. સુબ્બુલક્ષ્મીએ દેશ-વિદેશમાં કરેલા પોતાના કાર્યક્રમો દ્વારા અનેક સંસ્થાઓને સમાજોપયોગી કાર્યો માટે લાખો રૂપિયાનું નાણાભંડોળ એકત્રિત કરી આપ્યું હતું. ૧૯૫૪માં ‘પદ્મભૂષણ’, ૧૯૫૬માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૭૪માં મૅગ્સેસે ઍવૉર્ડ, ૧૯૭૫માં ‘પદ્મવિભૂષણ’ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ૧૯૯૮માં તેમને ‘ભારતરત્ન’નો સર્વોચ્ચ ખિતાબ પણ એનાયત થયો હતો. આ સન્માન મેળવનારાં તેઓ સર્વપ્રથમ સંગીતકાર હતાં.