Categories
વાચન સમૃદ્ધિ

ડહેલિયા

વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા એસ્ટરેસી કુળની નાની પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dahlia Variabilis, Dest છે. તે બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ગુચ્છેદાર સાકંદ (tuberous) મૂળ અને સુંદર સ્તબક પુષ્પવિન્યાસ ધરાવે છે. તેનાં લગભગ ૩,૦૦૦ બાગાયત સ્વરૂપોનું નામકરણ થયું છે. તેનાં પર્ણો સમ્મુખ અને એકપીંછાકાર (unipinnate) કે દ્વિપીંછાકાર (bipinnate) હોય છે. ખૂબ જ સુંદર આકારનાં લગભગ બધા રંગનાં (એક ભૂરા રંગ સિવાય) પુષ્પવિન્યાસથી શોભતો મોસમી પુષ્પોનો આ છોડ ઉદ્યાનની શોભા અનેરી રીતે વધારી મૂકે છે, ૩૦–૪૦ સેમી.થી એકાદ મીટર ઊંચા થાય તેવા છોડવાળી જાતો બજારમાં પ્રાપ્ય છે. પુષ્પના કદ અને પાંખડીઓની રચનાને આધારે તેની જુદી જુદી જાતો આવે છે; દા.ત., સિંગલ જાત, ડબલ જાત (પાંદડીઓ કમળની માફક ભરાવદાર અને પુષ્પ ૧૦ –૧૫ સેમી. વ્યાસવાળાં), કૅક્ટસ ડહેલિયા (પાંખડીઓ ઉપર પ્રમાણે પણ લગભગ ઊભી), રિફ્લેક્સ ડહેલિયા (પાંખડીઓ બહિર્વલિત), પૉમ્પોન ડહેલિયા (પાંખડીઓ ડબલ, સજ્જડ અને પુષ્પ પ્રમાણમાં નાનાં અને લગભગ ગોળ), ડહેલિયાની વામન જાત અને ઊંચી જાત – એમ પણ વર્ગીકરણ કરવામાં આવે છે અને તે માટે ઑગસ્ટથી તે ઑક્ટોબર સુધીમાં રોપવામાં આવે છે. સમગ્ર ભારતનાં ઉદ્યાનોમાં પુષ્કળ પ્રમાણમાં ઉગાડાય છે. ગુજરાતમાં મુખ્યત્વે શિયાળામાં પુષ્પનિર્માણ થાય છે. તે ક્યારામાં તેમજ કૂંડામાં ઉછેરી શકાય છે. રેતાળ અને ગોરાડુ (sandy loam) પણ ફળદ્રૂપ જમીન, સૂર્યનો તડકો અને સીધા પવનથી પૂરતું રક્ષણ તથા પૂરતા પ્રમાણમાં પાણી એ ડહેલિયાની જરૂરિયાત છે.

ડહેલિયાની જુદી જુદી જાતો

વંશવૃદ્ધિ જુદી જુદી રીતે થાય છે : (૧) બીજથી. આ પદ્ધતિથી ઇચ્છિત જાત મળતી નથી. (૨) ગુચ્છેદાર સાકંદ મૂળને છૂટાં કરીને તથા (૩) કંદમાંથી ઊગેલા છોડમાંથી શરૂ શરૂમાં કટિંગ કરી લેવાથી દુર્લભ જાતો અધિરોપણ (grafting) દ્વારા તૈયાર કરી શકાય છે. પ્રદર્શન માટે એક છોડ ઉપર એક કે બે પુષ્પ રાખી તેની ખૂબ દરકાર લેવામાં આવે છે. ઉદ્યાન માટે છૂટથી પુષ્પ ખીલવા દેવામાં આવે છે. ક્યારેક છોડ લચી પડે છે. આમ ન બને તે માટે શરૂ શરૂમાં ટોચનું કૃન્તન (pruning) કરવામાં આવે છે, જેથી બાજુમાં શાખાઓ વધારે ફૂટે છે. પુષ્પનિર્માણ બાદ છોડને સુકાવા દેવામાં આવે છે અને એના સાકંદ મૂળને કાઢીને રેતીમાં ઠંડકવાળી જગ્યાએ બીજી મોસમ સુધી સાચવી રાખવામાં આવે છે. ગુજરાતમાં આ રીતે સાચવવામાં ઘણી મુશ્કેલી પડે છે એટલે મોટે ભાગે બહારથી જ છોડ મંગાવવામાં આવે છે. ડહેલિયાનાં સાકંદ મૂળ લિવ્યુલોઝના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે સાકંદ મૂળના શુષ્ક વજનના ૬૨% ઇન્યુલિન ધરાવે છે, જેના જલવિભાજનથી લિવ્યુલોઝ ઉત્પન્ન થાય છે. સાકંદ મૂળ લગભગ ૮૩.૩% પાણી, ૦.૭૪ % નાઇટ્રોજનયુક્ત પદાર્થો, ૧૦.૩૩% ઇન્યુલિન અને ૧.૨૭% અપચાયક (reducing) શર્કરાઓ ધરાવે છે. તેમાં ફાઇટિન, આર્જિનિન, એસ્પરજિન, હિસ્ટીડિન, ટ્રાઇગોનેલિન અને વેનિલિન વગેરે રાસાયણિક પદાર્થોની હાજરી માલૂમ પડી છે. પુષ્પનો રંગ ફ્લેવૉન અને ઍન્થોસાયનિન નામનાં દ્રાવ્યરંજક દ્રવ્યોને આભારી છે. જુદી જુદી જાતોમાંથી મળી આવેલાં રંજક દ્રવ્યોમાં એપીજેનિન, લ્યુટિયોલિન, ડાયોસ્મિન અને ફ્રેગેસિનનો સમાવેશ થાય છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

કવલમ અયપ્પા પાનીકર

જ. ૧૨ સપ્ટેમ્બર, ૧૯૩૦ અ. ૨૩ ઑગસ્ટ, ૨૦૦૬

જાણીતા મલયાળમ કવિ અને વિવેચકનો જન્મ કેરળના અલાપ્પુઝા નજીક કાવલમ્ ગામમાં ઈ. નારાયણન અને એમ. મીનાક્ષીઅમ્માને ત્યાં થયો હતો. માત્ર બાર વર્ષની ઉંમરે માતા ગુમાવી. માતાના અવસાનની વેદના અને એકાંત એમની કવિતામાં પ્રતિબિંબિત થયું. માત્ર સોળ વર્ષની ઉંમરે તેમની પ્રથમ કવિતા ‘માતૃભૂમિ’ સાપ્તાહિકમાં પ્રકાશિત થયેલી. તેમણે તિરુવનંતપુરમની યુનિવર્સિટી કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. કર્યું અને કેરળ યુનિવર્સિટીમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી. અમેરિકાના બ્લૂમિંગ્ટનની ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી રોબર્ટ લૉવેલની કવિતા વિશે ૧૯૭૧માં પીએચ.ડી. કર્યું. ત્યારબાદ તેમણે ૧૯૮૧-૮૨માં યેલ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પોસ્ટ ડૉક્ટરેટ કર્યું. તેમણે કારકિર્દીની શરૂઆત ૧૯૫૧માં કોટ્ટાયમની સીએમએસ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કરી હતી. ત્યારબાદ તિરુવનંતપુરમ્ યુનિવર્સિટીની કૉલેજમાં અને પછી કેરળ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયના અધ્યાપક, રીડર, વિભાગીય વડા તરીકે કામ કર્યું. ૧૯૮૦માં કેરળ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફૅકલ્ટીના ડીન બન્યા. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમના કાવ્યસંગ્રહનો ‘પૉએટ્રી ઍટ મિડનાઇટ’ નામે અંગ્રેજીમાં અનુવાદ થયો છે. અયપ્પા પાનીકર ઘણાં વર્ષો અમેરિકામાં રહ્યા હોવાથી પશ્ચિમના અદ્યતન સાહિત્યિક પ્રવાહોથી પરિચિત હતા. આ બધા પ્રવાહોથી કેરળના કાવ્યસાહિત્યને તેમણે સમૃદ્ધ કર્યું. તેમની શરૂઆતની કવિતા પર કવિ ટી. એસ. એલિયટનો પ્રબળ પ્રભાવ હતો, પરંતુ પછી નિજી પ્રતિભા ધરાવતી કવિતાઓ આપી. તેમણે ગેય અને છંદોવિહીન કવિતા પણ આપી છે. તેમની કવિતામાં વિષય અને નિરૂપણરીતિનું પ્રચુર વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. તેમના સમગ્ર સાહિત્યને સમાવતા ‘અયપ્પાપાનીકેરુત કૃતિકલ’ના પાંચ ગ્રંથો પ્રકાશિત થયા છે. તેમને ૨૦૦૫માં સરસ્વતી સન્માનથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પણ એનાયત થયો છે. તેઓ આધુનિક અને અનુઆધુનિક સાહિત્યિક સિદ્ધાંતો તેમજ પ્રાચીન ભારતીય સૌંદર્યશાસ્ત્ર અને સાહિત્યિક પરંપરાઓમાં વિદ્વાન હતા.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રવાસીનો પરિગ્રહ

પોલૅન્ડમાં હાફૅઝ ચાઇમ નામના ધર્મગુરુ વસતા હતા. આ ધર્મગુરુ અપરિગ્રહનો આદર્શ મનાતા હતા. એમનું જીવન સાવ સીધું-સાદું અને જરૂરિયાતો તદ્દન ઓછી.  એમની જીવનશૈલીની વાત સાંભળીને સહુને આશ્ચર્ય થતું. આ તે કેવા ધર્મગુરુ, કે જે ઓછામાં ઓછી ચીજવસ્તુઓથી જીવે. એક બાજુ ભૌતિક માનવી ચીજ-વસ્તુઓના ખડકલા કરીને જીવતો હોય, એના વગર એનું જીવન ચાલે નહીં, ત્યાં આ ધર્મગુરુની વાત સહુને આશ્ચર્યકારક લાગતી. એક અમેરિકને હાફૅજ ચાઇમની નામના સાંભળી. એને ધર્મગુરુના દર્શનની ઇચ્છા જાગી અને શોધતો શોધતો પોલૅન્ડમાં એ યહૂદી ધર્મગુરુના ઘરમાં આવી પહોંચ્યો. એનું ઘર જોઈને અમેરિકન પ્રવાસી અતિ આશ્ચર્ય પામ્યો. આ તે કેવું ઘર ? જ્યાં ન કોઈ ટેબલ-ખુરશી મળે, ન કોઈ જરૂરી સામાન દેખાય. ઘરની દીવાલો સાવ કોરી, ક્યાંય કશો શણગાર નહીં ! પ્રવાસી અમેરિકને આશ્ચર્ય સાથે ધર્મગુરુને પૂછ્યું, ‘અરે, આ તો આપનું નિવાસસ્થાન છે. સેંકડો લોકો આપને મળવા આવે છે અને આપ એને જીવનનો સાચો રાહ બતાવો છો, પણ ઘરમાં કેમ કશું રાખતા નથી ?’ હાફૅઝ ચાઇમે કહ્યું, ‘છે ને, આ મારા જીવનસંગાથી જેવાં પુસ્તકો છે, પછી બીજું જોઈએ શું ?’ ‘એ તો ઠીક, પણ ઘરમાં ફર્નિચર તો હોવું જોઈએ ને ! આપના માટે અને આવનારને માટે તો એની જરૂર પડે ને ! સંત હાફૅઝે વળતો પ્રશ્ન કર્યો, ‘મારી વાત છોડ, પણ તારી વાત કહે, તારું ફર્નિચર ક્યાં છે ?’ ‘મારું ફર્નિચર, મારા જેવા પ્રવાસીની સાથે ફર્નિચર ક્યાંથી હોય ? હું કઈ રીતે મારી સાથે રાચરચીલું રાખું ? આજે અહીં, તો કાલે બીજે.’ ‘બસ, ભાઈ, હું પણ આવો જ આ દુનિયાનો પ્રવાસી છું.’