Categories
વાચન સમૃદ્ધિ

માનવી એટલે તેજ-અંધારની

લીલા ————–

અંતિમ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ ઉમદા ચરિત્ર, દૃઢ મનોબળ, તીવ્ર બુદ્ધિમત્તા અને કાર્યક્ષમ વહીવટકર્તા હોવા છતાં એના શંકાશીલ માનસ અને ધાર્મિક કટ્ટરતાને કારણે મુઘલ સામ્રાજ્યના પતનનું કારણ બન્યો. એણે પિતાને કેદ કર્યા હતા, ભાઈઓ અને એમના પુત્રોની હત્યા કરી હતી. પોતાની મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા સતત યુદ્ધો ખેલતો રહ્યો. આ જ ઔરંગઝેબ રાજ્યના ધનને થાપણ સમાન માનતો હતો. ટોપીઓ ગૂંથીને અને કુરાનની નકલો કરીને અંગત આવક મેળવતો હતો. માંસ, કેફી પદાર્થો, મદિરા, જુગારખાનાં અને વેશ્યાગૃહો તરફ સખત નફરત ધરાવતો હતો અને ખૂબ મહેનતુ તથા મિતાહારી હતો.

એક વાર અમદાવાદના મહમ્મદ મોહસીન નામના કાઝીએ આવીને ઔરંગઝેબના દરબારમાં અદ્દલ ઇન્સાફની માગણી કરી. એણે બાદશાહ ઉપર એવો ઇલ્જામ મૂક્યો કે એમણે મારા પાંચ લાખ રૂપિયા શાહી ખજાનામાં ઘણા સમયથી વિના કારણે રાખી મૂક્યા છે. આ ઇલ્જામ સાંભળીને ઔરંગઝેબને પારાવાર આશ્ચર્ય થયું. કારણ એટલું કે એણે જિંદગીમાં ક્યારેય કોઈની પાસેથી પોતાના ખજાના માટે ઉધાર રકમ લીધી નહોતી, તો પછી આ પાંચ લાખ રૂપિયાની વાત આવી ક્યાંથી ? બન્યું હતું એવું કે શાહજહાંએ ગુજરાતના સૂબા તરીકે મુરાદને મોકલ્યો હતો, ત્યારે મુરાદે પોતાના નામના સિક્કા બહાર પાડવા માટે મહમ્મદ મોહસીન પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. રાજના ખજાનામાં એ રકમ આવી ગઈ, પણ મુરાદની હત્યા થતાં એ સઘળી સંપત્તિ ઔરંગઝેબના શાહી ખજાનામાં આવી ગઈ. મહમ્મદ મોહસીને એનો દસ્તાવેજ રજૂ કર્યો એટલે બાદશાહ ઔરંગઝેબે કહ્યું, ‘મારો ગુનો કબૂલ. તમને અબી ને અબી રાજ-ખજાનામાંથી તમારી રકમ અદા કરવામાં આવશે.’ અને થોડીક ક્ષણોમાં જ પાંચ લાખની રકમની થેલીઓ રાજદરબારમાં હાજર થઈ, ત્યારે મોહસીનની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં. એણે કહ્યું, ‘જહાંપનાહ, આપનો આવો અદ્દલ ઇન્સાફ મારે માટે અમૂલ્ય છે. હવે મારે એ રકમ પાછી જોઈએ નહીં. આપ એને શાહી ખજાનામાં ફરીથી જમા કરો અને એ રકમ મને મળી ગઈ છે તેની આ પહોંચ સ્વીકારો.’

ન્યાય સત્યનો પૂજક છે. એ સત્યને જાળવવા માટે સઘળું સમર્પણ કરવા તૈયાર છે. ઔરંગઝેબ કટ્ટર ધર્મચુસ્ત હતો, પણ સાથોસાથ પોતે માનતો હતો તે મૂલ્યોને જીવનારો હતો.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

દલસુખ પંચોલી

જ. ૭ ડિસેમ્બર, ૧૯૦૬ અ. ૨૦ ઑક્ટોબર, ૧૯૫૯

ભારતીય ફિલ્મનિર્માતા, વિતરક અને પ્રદર્શક દલસુખ પંચોલીનો જન્મ કરાંચીમાં થયો હતો. તેમના કુટુંબનું મૂળ વતન ગુજરાતનું હળવદ. તેમના પિતા લાહોરમાં ફિલ્મવિતરક હતા. પંચોલીને નાનપણથી જ ફિલ્મો પ્રત્યેનું આકર્ષણ હતું. યુવાન વયે તેઓ પણ પિતાના આ વ્યવસાયમાં સક્રિય બન્યા હતા. તે સમયે લાહોરના ફિલ્મનિર્માતાઓમાંથી દલસુખ પંચોલી જ એવા નિર્માતા હતા જેમણે સૌપ્રથમ નૂરજહાંને ‘ગુલ બકાવલી’ ફિલ્મમાં બાળકલાકાર તરીકે રજૂ કરી. લાહોરમાં અનેક ફિલ્મો કરીને તેમણે લોકોની પ્રશંસા અને ખ્યાતિ મેળવ્યાં. ભારતના ૧૯૪૭ના વિભાજન દરમિયાન તેમને પોતાનો વિશાળ સ્ટુડિયો છોડીને મુંબઈ આવી જવું પડ્યું. મુંબઈ આવીને કેટલોક સમય સંઘર્ષ કર્યા બાદ પણ તેમણે કેટલીક યાદગાર ફિલ્મો કરી. તેમના મોટા ભાઈ પણ આ વ્યવસાયમાં જોડાયા હતા. ફિલ્મોનાં નિર્માણ અને વિતરણમાં અગ્રેસર મનાતા દલસુખ પંચોલીએ લાહોરમાં વિશાળ ‘ઍમ્પાયર ટૉકી ડિસ્ટ્રિબ્યૂટર્સ’ની સ્થાપના કરી હતી. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં અમેરિકી ફિલ્મોના તેઓ સૌથી મોટા આયાતકાર હતા. ભારતના વિભાજન સમયે પંચોલીનો ‘પંચોલી આર્ટ પિક્સ’ નામે લાહોરનો સૌથી મોટો સ્ટુડિયો હતો. અહીં તેમણે અનેક યુવકો અને યુવતીઓને અભિનેતા તથા અભિનેત્રી બનવાની તક આપી. ૧૯૫૪-૫૫માં તેઓ મુંબઈમાં ‘ઇન્ડિયન મોશન પિકચર્સ પ્રોડ્યુસર્સ ઍસોસિયેશન(IMPPA)ના અધ્યક્ષ હતા. તેમને સૌપ્રથમ પંજાબી ફિલ્મ બનાવવા બદલ પણ ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. તેમણે કરેલી કેટલીક જાણીતી ફિલ્મોમાં ‘સોહની મહિવાલ’ (૧૯૩૯), ‘યમલા જટ્ટ’ (૧૯૪૦), ‘ચૌધરી’, ‘ખજાંચી’ (૧૯૪૧), ‘જમીનદાર’ (૧૯૪૨), ‘મીનાબાઝાર’ (૧૯૫૦), ‘નગીના’ (૧૯૫૧), ‘આસમાન’ (૧૯૫૫), ‘લુટેરા’(૧૯૫૮) વગેરેનો સમાવેશ થાય છે.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

શીમળો

ભારતમાં ઘણાખરા ભાગોમાં ઊગતું એક મોટું વૃક્ષ.

શીમળાનાં બીજાં નામોમાં ‘શાલ્મલી’ (સં.), ‘સેમલ’ (હિં.) અને ‘સિલ્ક કૉટન ટ્રી’(અં.)નો સમાવેશ થાય છે.

આ વૃક્ષો ઘણાં ઊંચાં (૪૦ મી. સુધી) અને ખૂબ ફેલાયેલાં હોય છે. આ વૃક્ષનું મુખ્ય થડ ૨૪-૩૦ મી. ઊંચું હોય છે. તેના પર શંકુ આકારના સખત અને મજબૂત કાંટા આવેલા હોય છે. થડનો ઘેરાવો ૬.૦ મી. કે તેથી વધારે હોય છે. થડના નીચેના ભાગે આધાર આપતી પહોળી રચનાઓ આવેલી હોય છે. તેની શાખાઓ મોટી હોય છે અને આડી ચક્રાકારે ફેલાયેલી હોય છે. તેનાં પાન મોટાં અને પંજાકાર, સંયુક્ત પ્રકારનાં હોય છે. દરેક પાન ૫-૭ ભાલાકાર પર્ણિકાઓનું બનેલું હોય છે. શિયાળામાં તમામ પાન પાકીને ખરી જાય છે ત્યારે ઝાડ ઠૂંઠા જેવું લાગે છે. વસંત ૠતુમાં ઝાડ પર જ્વાળાઓના જેવાં લાલ રંગનાં આકર્ષક મોટાં ફૂલ આવે છે. તેનાથી આખું ઝાડ ભરાઈ જાય છે અને તે દૂરથી અત્યંત સુંદર લાગે છે. શીમળાના ઝાડ પર ત્યારે વિવિધ પક્ષીઓ ફૂલનો મીઠો રસ પીવા આવે છે. તેના ફૂલનો આકાર નાની પ્યાલી જેવો હોય છે. તે પાંચ પાંખડીઓ ધરાવે છે. તેની ઉપર શાખાઓને છેડે લીલા રંગનાં ઊભાં સોગઠાં હોય તેવાં નાનાં ફળ આવે છે. ત્યારબાદ આ ફળ લંબગોળ આકારનું થાય છે. તેની અંદર પાંચ પોલાણો અને પાંચ પડદા હોય છે. જ્યારે ફળ ફાટે ત્યારે તેમાંથી અસંખ્ય બીજ નીકળે છે. તેમની ફરતે ખૂબ મૃદુ, ચળકતા, આછા સફેદ રંગના ઘટ્ટ, રેશમી રેસાઓ આવેલા હોય છે. બીજનો પવન દ્વારા દૂર દૂર સુધી ફેલાવો થાય છે. ચોમાસામાં જમીન પર પડેલાં બીજ અંકુરણ પામે છે.

શીમળાનું વૃક્ષ

તેના મૂળને ‘મૂસલા’ કે ‘સેમૂલ મૂસલા’ કહે છે. તેઓ રસદાર અને કંદ જેવાં હોવાથી ભૂંજીને ખાવાના ઉપયોગમાં લેવાય છે. ફૂલોની કળીઓને ‘સેમરગુલ્લા’ કહે છે. તેનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. તેનું લાલ રંગનું કાષ્ઠ સફેદ રંગના કાષ્ઠ કરતાં ઊંચી ગુણવત્તાવાળું ગણાય છે. તેનો ઉપયોગ દીવાસળીનાં ખોખાં, પ્લાયવૂડ, રમકડાં, બ્રશના હાથા, ચા તથા ફળનાં ખોખાં બનાવવામાં અને બળતણ તરીકે થાય છે. શીમળાના રેસા રૂનું કામ આપે છે. તેમને જીવાત ન લાગતી હોવાથી તેમનો રજાઈ, ગાદી, તકિયા અને ઓશીકાં ભરવામાં ઉપયોગ થાય છે. શીમળાની છાલ અને થડમાંથી નીકળતો ગુંદર ઔષધ તરીકે ઉપયોગી છે. તે રક્તપિત્ત, ઉગ્ર મરડો, ફેફસાંનો ક્ષય અને ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોની સારવારમાં વપરાય છે. તેની છાલ ઘા ઉપર શેક કરવા માટે તથા તેનો મલમ ચામડી ઉપર થતા ફોલ્લાઓ પર લગાડવામાં આવે છે. છાલના રેસામાંથી દોરડાં બનાવાય છે. બીજમાંથી નીકળતું તેલ પીળા રંગનું હોય છે. તે કપાસિયાના તેલની અવેજીમાં, સાબુની બનાવટમાં અને દીવામાં વપરાય છે. બીજના ખોળમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોવાથી ઢોરોનો તે ઉત્તમ ખોરાક છે.

શીમળો રસ્તાની બંને બાજુએ, ઉદ્યાનોમાં અને જંગલોમાં ઉગાડવામાં આવે છે. પુરાણો, કાવ્યો વગેરેમાં તેનો ઉલ્લેખ થયેલો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી