Categories
વાચન સમૃદ્ધિ

શ્રવણ

પુરાણોમાં આવતું અંધ માતા-પિતાની સેવા કરનાર આદર્શ પુત્રનું પાત્ર.

બ્રહ્મપુરાણ પ્રમાણે શ્રવણના પિતા એક તપસ્વી બ્રાહ્મણ હતા. તેમનું નામ શાંતનુ. તેમનાં બીજાં નામ કંદર્પ, અંધક, ગ્રહભાનુ, શાંતવન વગેરે હતાં. તેમની માતાનું નામ જ્ઞાનવતી. વાલ્મીકિરામાયણ પ્રમાણે તેના પિતા વૈશ્ય અને માતા શૂદ્ર હતાં. શ્રવણ મોટો થતાં વૃદ્ધ બનેલાં અંધ માતા-પિતાએ તીર્થયાત્રા કરવાની ઇચ્છા દર્શાવી. માતૃભક્ત અને પિતૃભક્ત શ્રવણે તેમની ઇચ્છા પૂરી કરવા કમર કસી. તેણે કાવડ બનાવી. તેમાં માતા-પિતાને બેસાડી પગપાળા ચાર ધામ, બાર જ્યોતિર્લિંગ તથા ૬૮ તીર્થોની યાત્રા  કરાવી.

માતા-પિતાને કાવડમાં બેસાડી જાત્રા કરાવતો શ્રવણ

ઘેર પાછા ફરતી વખતે તેઓ માર્ગમાં સરયૂ નદીને કાંઠે પાણી પીવા રોકાયાં. તે સમયે અયોધ્યાના યુવરાજ દશરથ સરયૂ નદીને કાંઠે મૃગયા ખેલવા આવ્યા હતા. રાત્રિના સમયે નદીમાં અનેક પ્રાણીઓ પાણી પીવા આવતાં. તેમનો શિકાર કરવાની ઇચ્છાથી દશરથ રાજા સરયૂતટે ગયા અને એક વૃક્ષ પાછળ છુપાઈને શિકારની રાહ જોવા લાગ્યા. દરમિયાન શ્રવણ માતા-પિતાની તરસ છિપાવવા ઘડો લઈને આવ્યો. તેના ઘડામાં પાણી ભરાતાં બુડ…બુડ અવાજ થયો. એ અવાજ કોઈ પ્રાણીનો હોવાનું માની દશરથે રાત્રિના અંધારામાં શબ્દવેધી બાણ છોડ્યું. શ્રવણને તે વાગતાં તેનો આર્તનાદ દશરથને સંભળાયો. દશરથ રાજા સ્તબ્ધ થઈ ગયા. શ્રવણના શબ્દો દશરથના કાને પડ્યા, ‘અરેરે, રાત્રિના સમયે હું જળ લેવા આવ્યો છું ત્યારે મને કોણે બાણ માર્યું ? મેં કોનો અપરાધ કર્યો છે ? મારા મરણ પછી મારાં વૃદ્ધ અંધ માતા-પિતાનું શું થશે ? એ કેવી રીતે જીવી શકશે ?’ શ્રવણે દશરથને જોઈને કહ્યું, ‘રાજન્ ! હું મારાં માતા-પિતા માટે જળ લેવા અહીં આવ્યો હતો. તેઓ ખૂબ તરસ્યાં છે અને બહુ આતુરતાથી મારી વાટ જોતાં હશે. કૃપા કરી તમે આ ઘડામાં પાણી લઈ જઈને તેમને પિવડાવો.’ શ્રવણ દશરથના બાણથી વીંધાઈને ધરતી પર પડ્યો હતો. તેણે દશરથને પોતાનાં માતા-પિતા માટેનું સેવાકામ સોંપીને પ્રાણ છોડ્યા. શ્રવણનાં માતા-પિતાએ પછી પુત્રવિયોગમાં દશરથ રાજાને પણ પોતાના જેવું પુત્રવિયોગનું દુ:ખ ભોગવવું પડશે એવો શાપ આપતાં પ્રાણ છોડ્યા. અન્ય પુરાણો અનુસાર, શ્રવણને દેહાવસાન બાદ આકાશમાં ભગવાને તેજસ્વી તારા રૂપે સ્થાન આપી અમર કર્યો.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ચેતન આનંદ

જ. ૩ જાન્યુઆરી, ૧૯૨૧ અ. ૬ જુલાઈ, ૧૯૯૭

ભારતીય સિનેમાના પ્રસિદ્ધ નિર્માતા નિર્દેશક ચેતન આનંદનો જન્મ લાહોરમાં થયો હતો. તેમના પિતા પિશોરીલાલ આનંદ ઍડ્વોકેટ હતા. ગુરુકુલ કાંગરી વિશ્વવિદ્યાલયમાં તેઓ હિન્દુ શાસ્ત્રો ભણ્યા અને ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા. તેઓ ભારતીય નૅશનલ કૉંગ્રેસના સભ્ય હતા. તેમણે થોડો વખત બી.બી.સી. સાથે કામ કર્યું અને પછી દૂન શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ત્યારબાદ પોતે લખેલી વાર્તા બતાવવા તેઓ મુંબઈ આવી ગયા. ઇતિહાસ ભણાવતી વખતે તેમણે રાજા અશોક ઉપર ફિલ્મવાર્તા લખી હતી તે ફણી મજુમદારે બતાવી. પરંતુ ફણી મજુમદારે તેમને પોતાની ફિલ્મ રાજકુમારમાં મુખ્ય ભૂમિકામાં કામ કરવા ઑફર આપી. તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (ઇપ્ટા) સાથે પણ જોડાયા. ફિલ્મ ‘નીચા નગર’થી તેઓ દિગ્દર્શક બન્યા. ૧૯૫૦ના અરસામાં તેમણે નાના ભાઈ દેવ આનંદ સાથે મુંબઈમાં નવકેતન પ્રોડક્શનની સ્થાપના કરી. આ બૅનર હેઠળ ‘અફસર’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘આંધિયાં’ જેવી ફિલ્મો બતાવવામાં આવી. દિગ્દર્શન સાથે તેમણે ‘હમસફર’, ‘અર્પણ’, ‘અંજલિ’, ‘કાલા બજાર’, ‘હિન્દુસ્તાન કી કસમ’ વગેરે ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. ત્યારબાદ તેમણે  ફોટોગ્રાફર જય મિસ્ત્રી, સંગીતકાર મદનમોહન, ગીતકાર કૈફી આઝમી અને પ્રિયા રાજવંશ સાથે પોતાની ‘હિમાલય ફિલ્મ્સ’ નામની નિર્માણ કંપની શરૂ કરી. આ બૅનર હેઠળ ‘હકીકત’, ‘હીરરાંઝા’, ‘હંસતે ઝખ્મ’ જેવી યાદગાર ફિલ્મો બનાવવામાં આવી. સુપરસ્ટાર રાજેશ ખન્નાને ઍક્ટિંગ હરીફાઈમાંથી શોધી લાવનાર પણ તેઓ જ હતા. ૧૭ ફિચર ફિલ્મો ઉપરાંત તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ ‘પરમવીર ચક્ર’ પણ દિગ્દર્શિત કરી હતી. ૧૯૪૬માં તેમને ‘નીચા નગર’ ફિલ્મ માટે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘Palm d’Or’ ઍવૉર્ડ, ૧૯૬૫માં ‘હકીકત’ માટે નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ (સેકન્ડ બેસ્ટ ફિલ્મ ફિચર), ૧૯૮૨માં ‘કુદરત’ ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ સ્ટોરીનો ઍવૉર્ડ મળ્યો હતો.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

પ્રકૃતિના આનંદની

બાદબાકીનો અનર્થ ============

ક્યારેક તમને સમગ્ર બ્રહ્માંડની અનુભૂતિ થઈ છે ખરી ? માનવી બ્રહ્માંડમાં વસે છે, પરંતુ પોતાના કેટલાય અંશોને એ ગુમાવી રહ્યો છે. એનો એક અંશ છે વ્યાપકતાનો અનુભવ. પરંતુ એને શોખ છે પોતાના એકદંડિયા મહેલમાં જીવવાનો. આને પરિણામે એ આકાશમાં ઊડતાં પંખીઓનું ગીત કે ઝરણાંના વહેતા પ્રવાહનું સંગીત સાંભળી શકતો નથી. છલોછલ પ્રકૃતિ વચ્ચે જીવતો હોવા છતાં એનો એને લગીરે અનુભવ થતો નથી. પશુઓ તરફ એની કોઈ દૃષ્ટિ કેળવાયેલી નથી. કાં તેમને પાંજરામાં કેદ થયેલાં જુએ છે અથવા તો રસ્તે રઝળતાં જુએ છે. સચરાચર સૃષ્ટિની વાત કરનાર માનવી એ સચરાચરનો અનુભવ પામી શકતો નથી અને એને પરિણામે એના જીવનમાં એક પ્રકારનો ખાલીપો ઊભો થાય છે. એનો બાહ્ય સૃષ્ટિ સાથેનો સંબંધ જેટલો ક્ષીણ થાય છે, એટલી એની આંતરસૃષ્ટિની વ્યથા વધે છે, પ્રકૃતિ અને પ્રાણીજગત સાથેનો એનો અનુબંધ તૂટી ગયો છે અને તેથી જીવનના કેટલાય નિર્વ્યાજ આનંદનાં સ્થાનો એ ખોઈ બેઠો છે. ક્યારેય એકાંત પ્રદેશમાં કે હરિયાળા પર્વતની ગોદમાં એ પલાંઠી વાળીને વૃક્ષો કે પક્ષીઓ સાથે સંવાદ કરતો નથી. ક્યારેય છોડ પર આવતી કુમળી કૂંપળ કે વૃક્ષ પર આવતાં રસમધુર ફળને જોઈને એનું મન નાચતું નથી. નીરવ એકાંતમાં પ્રકૃતિમાંથી ઊઠતા સ્વરો-ઉદગારોનું કાન માંડીને શ્રવણ કરતો નથી. જીવનની દોડધામ વચ્ચે નિસર્ગના દૃશ્યને મનમાં ખડું કરીને નવી ચેતના અનુભવતો નથી. એ વિચારતો નથી કે પ્રાણી સાથે પણ એનું જીવન જોડાયેલું છે. પ્રકૃતિ સાથે એનો આનંદ બંધાયેલો છે. પંખી સાથે એનું ગીત સંકળાયેલું છે. માનવીએ પોતાના જીવનમાંથી કરેલી આ બધી બાદબાકી અંતે તો માનવીના સ્વયંના જીવનની બાદબાકી બનીને રહે છે !

કુમારપાળ દેસાઈ