Categories
વાચન સમૃદ્ધિ

જામનગર

જામનગર જિલ્લાનું મુખ્ય શહેર અને આઝાદી પૂર્વે આ જ નામ ધરાવતા દેશી રાજ્યનું પાટનગર. તે ૨૨ ૨૮´ ઉ. અ. અને ૭૦ ૦૪´ પૂ. રે. ઉપર આવેલું છે. નાગમતી અને રંગમતીના સંગમ ઉપર વસેલ સ્થળ નાગનાથ તરીકે ઓળખાતું હતું, જામ રાવળે ઈ. સ. ૧૫૪૦માં આ સ્થળે શહેર વસાવી તેને નવાનગર નામ આપ્યું હતું. ઈ. સ. ૧૬૬૩થી ૧૭૦૯ દરમિયાન અહીં મુઘલ થાણું હતું અને તેને ઇસ્લામાબાદ નામ આપ્યું હતું. જાડેજા રાજાના ‘જામ’ બિરુદ ઉપરથી નવાનગરને બદલે તેને જામનગર નામ મળ્યું જણાય છે. ૧૯૧૪ પૂર્વે જામનગર દરવાજાવાળું કિલ્લેબંધ શહેર હતું. જામ રણજિતસિંહે વિશાળ રવેશો (facades), ચોક, વર્તુળો, વિશાળ રાજમાર્ગો અને એકસરખાં મકાનોની શ્રેણી દ્વારા તેની કાયાપલટ કરતાં તેને ‘સૌરાષ્ટ્રનું પૅરિસ’ બિરુદ મળ્યું. શહેરના વિકાસમાં બેડી બંદરનો મહત્ત્વનો ફાળો છે. બંદરની સુધારણા કરાતાં વેપાર અને ઉદ્યોગોની વૃદ્ધિ થઈ હતી. જામનગરના માર્કેટ યાર્ડમાં જિલ્લાના બાજરી, જુવાર, મગફળી, ઘઉં, લસણ વગેરે પાકો વેચાવા આવે છે. ૧૯૪૩માં સેન્ટ્રલ બૅન્ક ઑવ્ ઇન્ડિયાની એક શાખા હતી. આજે મહત્ત્વની રાષ્ટ્રીય બૅન્કોની શાખાઓ તથા જામનગર જિલ્લા સહકારી બૅન્ક અને નાગરિક સહકારી બૅન્ક છે. તેનો વેપાર-ઉદ્યોગના વિકાસમાં મહત્ત્વનો ફાળો છે.

સોલેરિયમ (જામનગર)

અહીં એક સુતરાઉ અને એક ગરમ કાપડની મિલ ઉપરાંત તેલની મિલો, સૉલ્વન્ટનાં અને બ્રાસનાં વીજળીનાં સાધનોમાં વપરાતા ભાગોનાં તથા સાબુ, મીઠું તથા લોખંડની વસ્તુઓનાં અનેક કારખાનાં છે. જામનગર તેની બાંધણી, ભરત અને જરીકામ, કંકુ, કાજળ અને સુરમા માટે પ્રખ્યાત છે. શહેર વાહનવ્યવહારનું કેન્દ્ર છે. ઓખા-વિરમગામ બ્રૉડ ગેજ રેલવેનું તે જંકશન છે. રાજકોટ-ઓખા અને જામનગર-પોરબંદર રાજ્યધોરી માર્ગ દ્વારા સૌરાષ્ટ્રનાં મહત્ત્વનાં શહેરો સાથે તે જોડાયેલું છે. વિમાનવ્યવહાર દ્વારા તે રાજકોટ, ભુજ અને મુંબઈ સાથે જોડાયેલું છે. જામનગર મહત્ત્વનું શૈક્ષણિક કેન્દ્ર છે. આયુર્વેદિક યુનિવર્સિટી, ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, વિનયન, વિજ્ઞાન તથા વાણિજ્ય વિદ્યાશાખાની કૉલેજો, મેડિકલ કૉલેજ, પૉલિટૅકનિક, આઈ.ટી.આઈ., વાણિજ્ય અને ટૅકનિકલ વિષયોનું શિક્ષણ આપતી વિવિધલક્ષી શાળાઓ, સ્ત્રી અધ્યાપન મંદિર, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, બાલમંદિરો, પુસ્તકાલયો, સંસ્કૃત પાઠશાળા, સંગ્રહસ્થાન, લશ્કરની ત્રણ પાંખોની તાલીમશાળાઓ વગેરે અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. શહેરમાં સોલેરિયમ સંગ્રહસ્થાન, આદર્શ સ્મશાનગૃહ, પંદરમી-સોળમી સદીનાં પ્રાચીન હિંદુ અને જૈન મંદિરો ઉપરાંત લાખોટો, કોઠો, રણજિતસાગર બંધ વગેરે જોવાલાયક છે. સંગ્રહસ્થાનમાં ઘૂમલી, પાછતર, પિંડારા અને ગાધવીના સ્થાપત્યના અવશેષો, તામ્રપત્રો, શિલાલેખો, સિક્કાઓ, ભૂચર મોરીના યુદ્ધનાં દૃશ્યનું ચિત્રપટ વગેરે છે. આદર્શ સ્મશાનગૃહમાં સંતો, દેવ-દેવીઓ વગેરેની સોએક મૂર્તિઓ અને ધાર્મિક ગ્રંથો વગેરેનું પુસ્તકાલય છે. અણદાબાવાની ધાર્મિક સંસ્થા, પાઠશાળા, સદાવ્રત, શાળા વગેરેનું સંચાલન કરે છે. શહેરનું ક્ષેત્રફળ ૧૪.૪૩ ચોકિમી. છે. ૨૦૧૧માં તેની વસ્તી આશરે ૬,૦૦,૪૧૧ હતી. તે સૌરાષ્ટ્રનું મહત્ત્વનું શહેર છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર

Categories
વાચન સમૃદ્ધિ

શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ

જ. ૨૮ ડિસેમ્બર, ૧૯૨૫ અ. ૧૯ જૂન, ૨૦૧૪

તેઓ જૈન નગરશેઠ કુટુંબમાં જન્મેલા, કુશળ વહીવટકર્તા અને સંવેદનશીલ, મિતભાષી, ધાર્મિક સજ્જન અને બાહોશ ઉદ્યોગપતિ હતા. વિખ્યાત ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈના નાના પુત્ર શ્રેણિકભાઈએ શાળાનો અભ્યાસ તથા કૉલેજનાં બે વર્ષનો અભ્યાસ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં કર્યો હતો. એ પછી અમેરિકાની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(MIT)માંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક (B.S.) થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી માસ્ટર ઑવ્ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(M.B.A.)ની ડિગ્રી લીધી હતી. સ્વદેશ આવ્યા બાદ લાલભાઈ જૂથના ઉદ્યોગો – રાયપુર, સરસપુર, અશોક, અરિંવદ, અરુણ, નૂતન, ન્યૂ કૉટન, અનિલ સ્ટાર્ચ લિ. અને અતુલ પ્રોડક્ટસ લિમિટેડ વગેરે ઉદ્યોગોનું સંચાલન કરવા લાગ્યા. તેઓ કુશળ વહીવટદાર હતા. ત્યારપછી અમદાવાદ  એજ્યુકેશન સોસાયટીનું ચૅરમૅનપદ લીધા પછી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ કર્યો. તેઓ ઘણી બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જેવી કે CEPT, IIM, PRL, લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડોલૉજીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત અટિરા, પ્લાઝમા રિસર્ચ, ગુજરાત યુનિવર્સિટીમાં સભ્ય તરીકે હતા. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાત વિદ્યાસભા તેમજ ગાંધી આશ્રમ ટ્રસ્ટનું પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમના સક્રિય જીવનકાળ દરમિયાન તેમણે અનેક સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમને જૈન ધર્મ પ્રત્યે ઊંડી આસ્થા હતી. ઘણાં જૈનતીર્થોના ટ્રસ્ટમાં તેઓ સામેલ હતા અને તીર્થોના જીર્ણોદ્ધાર અને જાળવણીની કાળજી કરતા હતા. પાંજરાપોળનાં પ્રાણીઓ માટે પણ તેઓએ ખૂબ સેવાઓ આપી હતી. તેમનાં પત્ની પન્નાબહેન મોહિનાબા કન્યા વિદ્યાલય, રચના માધ્યમિક શાળા, મધુબની શિશુશાળા જેવાં શૈક્ષણિક કાર્યો કરતાં હતાં. તેમને સંજયભાઈ અને કલ્પનાબહેન બે સંતાનો છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

તત્કાળ પ્રતિભાવથી થતી

પરેશાની ————–

અમેરિકાના પ્રમુખ કુલીજ અને તેમનાં પત્ની અમેરિકાના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ છોડીને  થોડા સમય માટે બીજે રહેવા ગયાં હતાં. પ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં રંગરોગાનનું કામ ચાલતું હતું. બન્યું  એવું કે પ્રમુખને જરૂરી કામ આવી પડતાં  તેઓ તરત વ્હાઇટ હાઉસ પાછા ફર્યા. પ્રમુખના આગમનની જાણ થતાં વ્હાઇટ હાઉસમાં ધમાલ મચી ગઈ. હજી રંગરોગાન ચાલુ હતું, ફર્નિચર ખસેડ્યું હતું, પુસ્તકોના ઢગલા વચ્ચે પડ્યા હતા. આ બધું ગોઠવવું કઈ રીતે ? વ્હાઇટ હાઉસના કર્મચારીઓએ વિચાર્યું કે હવે સમય ઓછો છે, તેથી બધું આમતેમ ગોઠવી નાખો. ફરી પ્રમુખ જાય પછી વ્યવસ્થિત ગોઠવીશું. આમ પ્રમુખના ગ્રંથાલયનાં પુસ્તકો નોકર ગોઠવતો હતો, ત્યાં કૂતરો આવી ચડ્યો. નોકરના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે એક પુસ્તક ઊંચકીને કૂતરા તરફ ફેંક્યું. કૂતરો ભાગી ગયો, પણ પુસ્તક પડદા સાથે જોરથી અથડાયું અને પડદા પાછળથી કોઈની ચીસ સંભળાઈ. થોડી ક્ષણોમાં પ્રમુખ કુલીન માથું ઘસતા ઘસતા બહાર આવ્યા. એમણે નોકરને કહ્યું, ‘ઓહ ! બહુ ગરમી છે, ખરું ?’ આટલું બોલી પ્રમુખ શાંત રહ્યા નોકરને એની આવી ગેરવર્તણૂક માટે કશો ઠપકો ન આપ્યો. જાણે આખી ઘટનાને જ વીસરી ગયા. નોકરે પોતાની ભૂલનો પશ્ચાત્તાપ પ્રમુખ આગળ કર્યો.

સામાન્ય રીતે જીવનની ઘટમાળ એવી હોય છે કે એક આઘાત કે પ્રહાર થાય કે તરત જ એનો પ્રત્યાઘાત જન્મે. એક ઘટના બને કે તત્કાળ પ્રતિઘટનાનું ચક્ર ઘૂમવા લાગે. આવો તત્કાળ પ્રતિભાવ ઘણી વાર ભૂલભરેલો અને નુકસાનકારક હોય છે. ઘણી વાર વ્યક્તિનાં કટુ વચનો એના દુ:ખદ અનુભવોમાંથી પ્રગટ થતાં હોય છે. સામી વ્યક્તિ એ કટુ વચનોનો તત્કાળ પ્રત્યુત્તર આપે છે, પરંતુ એના પડદા પાછળ રહેલા દુ:ખદ અનુભવોનો એને ખ્યાલ હોતો નથી. એના વિષમ સંજોગોની એને જાણ હોતી નથી કે એ વ્યક્તિના માનસનો પરિચય હોતો નથી. કોઈ પણ ઘટનાને જોવી, વિચારવી, સમજવી અને પછી પ્રતિભાવ આપવો, એવું બને તો માનવસંબંધોનું માધુર્ય કેટલું બધું ટકી રહે ! સંસારમાં થતા મોટા ભાગના કલહ અને કંકાસનું કારણ પ્રતિભાવ કે પ્રત્યાઘાત છે. સામેની વ્યક્તિ કંઈ બોલે તે પહેલાં જ અન્ય વ્યક્તિ એ વિશેનો ફેંસલો સંભળાવી દે છે. હજી વાત પૂર્ણ થઈ હોય નહીં ત્યાં તો એનો જવાબ આપી દે છે. સંસારના ઘણા વિવાદોનું મૂળ આ પ્રત્યાઘાત છે. જો માનવી અન્ય વ્યક્તિનાં વચનોનો શાંતિથી વિચાર કરે તો એ એના પ્રત્યાઘાતની ઉગ્રતામાંથી ઊગરી જાય છે. જીવનની દુ:ખદ ઘટનાઓ સમયે તત્કાળ પ્રત્યાઘાત નહીં આપીને વ્યક્તિ સ્વસ્થતા મેળવી શકે છે અને એ ઘટનાના મર્મ સુધી પહોંચી શકે છે.

કુમારપાળ દેસાઈ