Categories
વાચન સમૃદ્ધિ

બેન્જામિન ડિઝરાયલી

જ. ૨૧ ડિસેમ્બર, ૧૮૦૪ અ. ૧૯ એપ્રિલ, ૧૮૮૧

બ્રિટનના પહેલા અને એકમાત્ર યહૂદી પ્રધાનમંત્રી. તેઓ પ્રતિભાશાળી રાજપુરુષ અને સાહિત્યકાર. તેમનો જન્મ બ્લૂમ્સબરી, મિડલસેક્સ, લંડનમાં થયો હતો. તેમના શાળાકીય શિક્ષણ વિશે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. બ્રિટનમાં ૧૮૫૮ સુધી યહૂદી પાર્લમેન્ટનો સભ્ય બની શકતો ન હતો. પણ તેમણે ખ્રિસ્તી ધર્મની દીક્ષા લીધી હોવાથી ૧૮૩૧થી રાજકારણમાં પ્રવેશ મેળવ્યો હતો, પણ ૧૮૩૨ અને ૧૮૩૫ એમ બે વાર તેમની હાર થઈ હતી. ત્યારબાદ ૧૮૩૭માં ટૉરી પક્ષના ઉમેદવાર તરીકે મેઇડસ્ટોનમાંથી ચૂંટાયા હતા. ૧૮૫૦ અને ૧૮૬૦ના દસકામાં ત્રણ વાર સરકાર બનાવી ત્યારે બેન્જામિન રાજકોષના ચાન્સેલર અને હાઉસ ઑફ કૉમન્સ(આમ)ના નેતા બન્યા. ૧૮૬૮માં ચૂંટણીમાં હાર્યા પહેલાં કેટલાક સમય માટે તેઓ પ્રધાનમંત્રી બન્યા હતા. પણ ટૉરી પક્ષની થોડા સમયમાં જ હાર થતાં તેમણે રાજીનામું આપ્યું હતું. ૧૮૭૪માં સામાન્ય ચૂંટણીમાં ટૉરી પક્ષને બહુમતી મળતાં ફરી એક વાર વડાપ્રધાનપદે નિમાયા હતા. તેમણે કારીગરો અને મજૂરોની સ્થિતિ સુધારવાના અને તેમનું શોષણ અટકાવવાના તથા કામદાર સંઘોને લગતા કાયદા પસાર કરાવ્યા હતા. તેમણે બ્રિટિશ સામ્રાજ્ય અને તેનો વિસ્તાર કરવા માટે સૈન્યની કારવાઈવાળી સૌથી વધુ જાણીતી ટૉરી પાર્ટી બનાવી. તેઓ લિબરલ  અને ટૉરી બંને પક્ષના મતદાતાઓના લોકપ્રિય બન્યા હતા. તેઓ રાજનીતિજ્ઞ પુરુષ હોવા ઉપરાંત લેખક પણ હતા. તેઓ જ્યારે ૨૩ વર્ષના હતા ત્યારે પૈસાની ખૂબ જ જરૂરિયાત હોવાથી  ‘વિવિયન ગ્રે’ નામની નવલકથા જે ૧૮૨૬-૨૭માં ચાર ભાગમાં લખી હતી. ૧૮૩૨માં ‘કૅન્ટેરિની ફ્લેમિંગ’ લખી હતી, જેને ‘એક મનોવૈજ્ઞાનિક આત્મકથા’ જેવું  ઉપશીર્ષક આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૮૩૩માં ‘અલરૉયની અદભુત કહાની’ જેમાં મધ્યયુગના યહૂદીઓની સમસ્યાનું ચિત્રણ કરવામાં આવ્યું છે તે ઉપરાંત ૧૮૩૭માં ‘હેન્રીયેટા ટેમ્પલ’, ‘વેનિશિયા,’ ‘કિંનગ્ઝલી’, ‘સિબિલ’ અને ‘ટેન્ક્રેડે’ પણ નોંધપાત્ર છે. તેમને મહારાણી વિક્ટોરિયા સાથે ઘનિષ્ઠ મિત્રતા હતી અને તેમના સૂચનથી ૧૮૭૬માં પાર્લમેન્ટે એક કાયદો ઘડી રાણીને ‘ભારતની સમ્રાજ્ઞી’નો  ઇલકાબ આપ્યો હતો. રાણીએ પણ બેન્જામિનને ‘અર્લ  ઑફ બીકન્સફીલ્ડ’ પદ પર પ્રતિષ્ઠિત કરેલાં.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

જાપાનની ચિત્રકલા

કલા અને સંસ્કૃતિના વારસાની બાબતમાં જાપાન ચીનનું ઋણી છે. જાપાનની ચિત્રકલાના વિકાસમાં તેની ભૌગોલિક પરિસ્થિતિએ અગત્યનો ભાગ ભજવ્યો છે. જાપાન એટલે પર્વતો, ઝરણાં, વૃક્ષો, લતાઓ અને ફૂલોનો દેશ. જાપાનની પ્રજા દુનિયાની બીજી પ્રજાની સરખામણીમાં પ્રકૃતિ અને કલાની સવિશેષ ચાહક છે. જાપાનની ચિત્રકલામાં પ્રજાની આ ચાહના ભારોભાર વ્યક્ત થયેલી જોવા મળે છે. જાપાનની ચિત્રકલાનો ઇતિહાસ ૧૨૦૦ વર્ષ જૂનો છે, જે અનેક પ્રકારની ચિત્રશાળાઓ(schools)માં વહેંચાયેલો છે. જાપાનમાં ચિત્રકલાનું પ્રેરણાસ્થાન ધર્મ હતું. શિન્તો, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મોએ જાપાનની ચિત્રકલાના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરેલું છે. ઇંગ્લૅન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને કારણે જાપાનમાં પણ સામાજિક પરિવર્તન આવ્યું અને ચિત્રકલાના વિષયો બદલાયા.

જાપાનની ચિત્રકલાનો એક નમૂનો

જાપાનમાં ચિત્રોના આલેખન માટે લખવાની પીંછીનો ઉપયોગ થતો હતો. ચિત્ર માટેની સાધનસામગ્રીમાં શાહી અથવા વૉટર કલર, બ્રશ, કાપડ અથવા રેશમી કાપડ, લાકડાની પટ્ટીઓનો સમાવેશ થતો હતો. ચિત્રકારો ઘૂંટણિયે પડીને રેખા અને રંગ વડે ચિત્રનું આલેખન કરતા હતા. શરૂઆતના સૈકાઓમાં બૌદ્ધ ધર્મના પ્રભાવ હેઠળ અજંટાની જેમ ભિત્તિચિત્રોનું આલેખન કરવામાં આવતું હતું. આ ઉપરાંત ચિત્રકલાના નમૂનાઓ ચિત્રવીંટા (Makimono scrolls) અને પડદાઓ(Kakemono-hangings)માં પણ જોવા મળે છે. ચિત્રકલાના વિષયોમાં દેવદેવીઓ, મનુષ્યો, વ્યક્તિચિત્રો, પ્રકૃતિ, પશુ-પંખીઓ ઇત્યાદિનું આલેખન જોવા મળે છે. ચીનની જેમ જાપાનનો ચિત્રકાર પોતાના સર્જનમાં રેખા અને લયને વિશેષ મહત્ત્વ આપે છે. કલાસર્જનના ઇતિહાસમાં યુકિયો શાખાના કુશળ ચિત્રકારોની રંગછાપ (colour-prints) માનભર્યું સ્થાન ધરાવે છે. આ કલાનાં મૂળિયાં પ્રાચીન ચીનમાં પડેલાં હતાં જેનો વિકાસ તાંગ અને શુંગ રાજવંશોના અમલ દરમિયાન (ઈ. સ. ૬૧૮-૯૦૫ અને ઈ. સ. ૯૬૦થી ૧૨૮૦) થયો હતો. શિષ્ટ પરંપરાના જાપાની ચિત્રકારો જ્ઞાન અને પ્રેરણા માટે તેના તરફ વળ્યા હતા. જાપાનની ચિત્રશાળાઓ સૌંદર્યશાસ્ત્રના ગહન નિયમોનું પાલન કરનાર હતી. જાપાનની ચિત્રકલાના ઇતિહાસમાં યેશિન સોઝુ ઈ. સ. ૧૦૧૭માં ધાર્મિક ચિત્રોના આલેખન માટે પ્રખ્યાત હતો. આ સમયમાં ડોએ-નો-ડાનોકા નામના ચિત્રકારે બિનસાંપ્રદાયિક ચિત્રો આલેખવાની શરૂઆત કરી હતી. ચિત્રમાં પશુ-પંખીઓ અને ફૂલો દેવો અને સંતોનું સ્થાન લેવા લાગ્યાં ! આશરે ઈ. સ. ૧૧૫૦માં રાજકીય આશ્રય હેઠળ રાષ્ટ્રીય ચિત્રશાળા ક્યોટો(Kyoto)નો જન્મ થયો જેણે રાજધાનીમાં મહેલો, સમૃદ્ધ ઘરો અને દેવળોમાં જાપાનનાં ફૂલો અને ધરતીની પ્રકૃતિને ચિત્રમાં મહત્ત્વ આપ્યું. આ રાષ્ટ્રીય ચિત્રશાળામાંથી તેના ઉત્તમ શિક્ષકોના નામે બીજી અનેક ચિત્રશાળાઓનો વિકાસ થયો જેમાં યામાતો રિયૂ, વાગા રિયૂ, કાસૂગા અને તોસા શાળા મુખ્ય છે. સમય જતાં આ તોસા શાળા પરંપરાગત રૂઢિઓ અને શૈલીઓમાં વિલીન થઈ ગઈ. ચીનમાં શુંગ નવજાગૃતિના કાળમાં જે નવી ચિત્રશૈલીઓનો જન્મ થયો તેમાંથી જાપાની ચિત્રકારોએ પોષણ અને પ્રેરણા મેળવ્યાં. તેમણે ચિત્રકલામાં ચીની પાત્રો અને દૃશ્યોનું આલેખન શરૂ કર્યું. ચીનની ચિત્રકલાના પ્રભાવના આ બીજા તબક્કામાં જાપાને એક મહાન ચિત્રકાર સેશિયૂની ભેટ ધરી. આ ચિત્રકાર ઝેન સાધુ હતો અને યુવાન વયથી સુંદર ચિત્રોનું આલેખન કરતો હતો. એણે ચિત્રકલામાં ચીની વિષયોને મહત્ત્વ આપ્યું. જાપાનની પ્રજા આજે પણ આ ચિત્રકાર પ્રત્યે આદરની લાગણી ધરાવે છે. પંદરમી સદીના અંતમાં જાપાનમાં કાનો-મસાનોબૂએ આશિકાના આશ્રય નીચે કિયોટો નામની બિનસાંપ્રદાયિક ચિત્રશાળાની સ્થાપના કરી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જાપાનની ચિત્રકલા, પૃ. 736)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ચીનુભાઈ નાયક

Categories
વાચન સમૃદ્ધિ

ચૈતન્યપ્રસાદ દીવાનજી

જ. ૨૦ ડિસેમ્બર, ૧૮૯૮ અ. ૩ માર્ચ, ૧૯૭૦

સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને લલિતકલા જેવા ક્ષેત્રના જાણકાર ચૈતન્યપ્રસાદ દીવાનજીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ. તેઓ કચ્છના અગ્રણી નાગરિક હતા. કચ્છના દીવાનપદાની યશસ્વી કારકિર્દીને કારણે તેમને દીવાનજી અટક પ્રાપ્ત થઈ હતી. ચૈતન્યપ્રસાદે અમદાવાદમાં શિક્ષણ લીધા બાદ સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો. ૧૯૨૦માં અસહકારના આંદોલનમાં જોડાયા અને સરકારી કૉલેજનો ત્યાગ કર્યો. તે પછી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો. ત્યાંથી સ્નાતક થયા બાદ શહેરની સંસ્કારપ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ગુજરાતના સાહિત્યસંસ્કારને  ઉત્તેજન આપવા માટે  તેઓ કાર્યરત બન્યા. સ્વ. રણજિતરામ દ્વારા સ્થપાયેલી અમદાવાદની ‘ગુજરાત સાહિત્ય સભા’ સંસ્થાના મંત્રીપદ દરમિયાન પહેલી ‘ગુજરાત ઇતિહાસ પરિષદ’ અને ‘રંગભૂમિ પરિષદ’નાં તેમણે આયોજન કરેલાં. તેઓ ૧૯૨૮થી ૧૯૫૫ સુધી અને ૧૯૫૮થી ૧૯૭૦ સુધી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી હતા. શ્રી રવિશંકર રાવળ દ્વારા ૧૭ વર્ષ સુધી ચલાવાયેલું ‘કુમાર’ માસિક આર્થિક કારણોસર બંધ કરવાનો નિર્ણય લેવાયો ત્યારે ચૈતન્યપ્રસાદે આ માસિક ચાલુ રહે તે માટે ‘કુમાર’ કાર્યાલયને લિમિટેડ સંસ્થામાં ફેરવીને તેને જીવતદાન આપ્યું. રણજિતરામ સુવર્ણચંદ્રક તથા વાઙમય સમીક્ષા જેવી ગુજરાત સાહિત્યસભાની પ્રશંસનીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં તેમનો સિંહફાળો છે. તેઓ ક્રિકેટ અને કુસ્તી જેવી રમતગમતોમાં પણ ખૂબ રસ ધરાવતા. રાષ્ટ્રીય લડતની શરૂઆતથી માંડીને જીવનના અંત સુધી ખાદી અને સ્વદેશી ચીજવસ્તુઓના  આગ્રહી રહેલા.

શુભ્રા દેસાઈ