Categories
વાચન સમૃદ્ધિ

જળરંગ

ચિત્રકલાનું મહત્ત્વનું માધ્યમ. તેને માટે અંગ્રેજીમાં transparent water colour શબ્દ વપરાય છે. તેમાં પિગ્મેન્ટને ગુંદરથી બાંધવામાં આવે છે અને પાણી ઉમેરી પીંછી દ્વારા વાપરવામાં આવે છે. તૈલ રંગોની શોધ પૂર્વે ઘણા દેશોમાં આ માધ્યમ વપરાતું. આ માધ્યમ કાગળ અને સિલ્ક ઉપર વપરાયું છે. ભારતમાં બંગાળી ચિત્રકારોએ ઓગણીસમી અને વીસમી સદીમાં તેનો સારો એવો ઉપયોગ કર્યો. ચીન દેશમાં ઇન્ક અને વૉશ દ્વારા મોટા કદનાં સ્ક્રૉલ પેઇન્ટિંગ થયાં.

અંગ્રેજી ચિત્રકારો દ્વારા તથા ચીન અને એશિયાઈ દેશોમાં આ માધ્યમ ખૂબ વપરાયું. યુરોપના ચિત્રકારો મોટા ચિત્રના કી સ્કૅચમાં જળરંગનો ઉપયોગ કરતા. ડ્રૉઇંગમાં પણ તેના ઉઠાવ માટે વાપરતા. યુરોપમાં અઢારમી સદીમાં આ માધ્યમનો સારો ઉપયોગ થયો.

ચિત્રકાર વિન્સ્લો હોમરનું એક ચિત્ર

જળરંગમાં પારદર્શક અને અપારદર્શક રંગો વપરાય છે. વધુ મહત્ત્વ પારદર્શક રંગોને આપવામાં આવે છે. પારદર્શક જળરંગમાં એક રંગના પટ પર બીજો રંગ ચડાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં નીચેનો રંગ અને કાગળની તેજસ્વિતા રહે છે. આ રીતે રંગને પાણીથી ખૂબ પાતળા કરી વાપરવામાં આવે છે. તેને વાપરવાની બે પદ્ધતિ છે. ભીની સપાટીમાં રંગો સરસ રીતે મળે અને ભળી જઈ સરસ ઉઠાવ આપે ને જ્યારે સૂકી સપાટી પર વિલક્ષણતા સ્પષ્ટ કરી આપે. તેની સામાન્ય રીત એ આછા રંગ પર ઘેરો રંગ ચડાવવાની હોય છે. પૂર્વે એક પદ્ધતિમાં એક જ રંગમાં ચિત્ર તૈયાર કરી તે પર બીજા રંગો ચડાવતા. આજે હવે મુક્ત રીતે તે માધ્યમ વપરાય છે. ફ્રેસ્કો પદ્ધતિમાં જળરંગનો ઉપયોગ થતો. યુરોપમાં પેઇન્ટીના અંડર પેઇન્ટિંગમાં પણ જળરંગ વપરાતા. ફ્રેસ્કોમાં ચીનમાં જળરંગ સાથે તેના ખાસ પ્રકારનાં બ્રશ તૈયાર થયાં. જળરંગ માટેનાં રંગો અને બ્રશ વિન્સર ઍન્ડ ન્યૂટન કંપની ઉત્તમ કોટિનાં તૈયાર કરે છે.

પાઉલ સનબાય એ એનો જૂનો કલાકાર. તે ઉપરાંત જે. આર. કઝેન્સ, ટૉમસ ગિરટિન, જૉન સેલ કૉટમૅન, જે. એમ. ડબ્લ્યૂ. ટર્નર છે. ટર્નર જળરંગનો ખ્યાતનામ કલાકાર ગણાય છે. આલ્બર્ટ ડ્યુરર, જૅમ્સ, એમ. સી. બે, રે સ્મિથ, જ્હૉન કૉન્સ્ટેબલ, ક્લૉડ લૉરીન, હૉલમૅન હંટ, કવિ-ચિત્રકાર વિલિયમ બ્લેક, ઍન્થની વાનડાયેક કૉપ્લે, વિન્સ્લો હોમર વગેરે કલાકારોએ આ માધ્યમને ઉત્તમ રીતે વાપર્યું છે.

આ માધ્યમમાં બહુ જ ઓછા અર્થાત્ ૬થી ૧૨ રંગોથી પણ કામ ચાલે. સાધનો ખૂબ જ ઓછાં, ત્રણથી છ બ્રશ પૂરતાં ગણાય. પરિણામે કલાકારો કુદરતમાં જઈ દૃશ્યચિત્ર કરવામાં આ માધ્યમનો ઉપયોગ કરે છે. ભારતમાં બંગાળી ચિત્રકારોએ વૉશ મેથડથી જળરંગ દ્વારા ખૂબ સુંદર ચિત્રો કર્યાં. રાજપૂત અને મુઘલ કલામાં જળરંગો ટૅમ્પરા પદ્ધતિથી વપરાયા. ઓગણીસમી સદીમાં સૅમ્યુઅલ પલમૅટ અને ડી. જી. રોઝેટી નામાંકિત કલાકારો છે. વિન્સલર અને વિન્સ્લો હોમર પણ જાણીતા છે. સીઝાં જે અદ્યતન કલાના પિતા ગણાય છે તેણે જળરંગનું આ માધ્યમ નવીન રીતે વાપર્યું. ક્લી નામના કલાકારે પણ જળરંગમાં અગમ્ય કલા તરફનો અભિગમ અપનાવ્યો ને માધ્યમને ઉન્નત કક્ષાએ રજૂ કર્યું. જળરંગ વાપરવામાં ટૅકનિકધારી રીતે કેટલાક મુદ્દા મહત્ત્વના છે. ફલક તરીકે જુદા જુદા પોતવાળા કાગળો વાપરવા. ભારતમાં તેને ખાદી-પેપર કહે છે અને પરદેશમાં કોલ્ડ-પ્રેસ્ડ ઍસિડમુક્ત. રંગો પાતળા વાપરવા. ઝડપથી કામ કરવું જેથી રંગો એકબીજામાં ભળે. મૂળ ચિત્રમાં રંગ પૂરતાં પહેલાં ટુકડા પર રંગ મૂકવો જેથી પરિણામનો ખ્યાલ આવે. જરૂર પડ્યે સ્પંજનો ઉપયોગ કરી કાગળની સપાટી ભીની કરવી. આ માટે સામાન્ય રીતે ૨૫ કાગળનો પેપર બ્લૉક મળે છે અગર સારા જાડા કાગળની સ્કૅચબુક. કલાકારે પોતાને અનુકૂળ કદની સ્કૅચબુક તૈયાર કરાવવી. આ બાબતમાં ટર્નર ૧૦ સેમી.  ૧૮ સેમી.ના કદમાં સ્કૅચબુક રાખતો. નાના કદમાં એક જ દિવસમાં તે ૧૦ જેટલાં ચિત્રો કરતો. એ માનતો કે એક મોટા ચિત્ર કરતાં ૧૦ નાનાં કરવાં જરૂરી છે. ફિનિશિંગ વખતે નાનાં બ્રશ અને રંગો ભરવા મોટાં બ્રશ વાપરવાં.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નટુભાઈ પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

મોતીલાલ

જ. ૪ ડિસેમ્બર, ૧૯૧૦ અ. ૧૭ જૂન, ૧૯૬૫

૪૦ના દાયકાના સુપ્રસિદ્ધ અભિનેતા મોતીલાલ રાજવંશનો જન્મ સિમલામાં એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા શાળાનિરીક્ષક હતા. પરિવાર મૂળ દિલ્હીનો હતો એટલે દિલ્હીમાં બી.એ. સુધી અભ્યાસ કર્યો અને પછી તેઓ નૌકાદળમાં જોડાવા માટે મૌખિક પરીક્ષા આપવા મુંબઈ આવ્યા. નાદુરસ્ત તબિયતને કારણે પરીક્ષા ચૂકી ગયા. દરમિયાન એક મિત્ર સાથે એક ચિત્રનું શૂટિંગ જોવા ગયા, જ્યાં દિગ્દર્શક પી. કે. ઘોષે તેમને જોયા. હીર પારખી તેમણે મોતીલાલને અભિનેતા બનવા નિમંત્રણ આપ્યું અને સિનેજગતને એક ઉત્તમ અભિનેતાની ભેટ મળી. તેમનું પ્રથમ ચલચિત્ર ‘શહર કા જાદુ’ એ સમયનાં મશહૂર અભિનેત્રી સવિતાદેવી સાથે આવ્યું હતું. હિંદી ચલચિત્રોમાં અભિનયને નાટકીયતામાંથી અને રંગભૂમિની અસરમાંથી બહાર લાવવાનું શ્રેય તેમને ફાળે જાય છે. તેમનો અભિનય સ્વાભાવિક રહેતો. મોતીલાલે ભજવેલાં ઘણાં પાત્રો તેમના સહજ અભિનયને કારણે જ યાદગાર બની રહ્યાં હતાં. મોતીલાલે તેમના બીજા જ ચિત્ર ‘સિલ્વર કિંગ’થી સફળતા પ્રાપ્ત કરી હતી. નાદિરા, શોભના સમર્થ, સવિતાદેવી જેવી તે સમયની સફળ અભિનેત્રીઓ જોડે તેમની જોડી જામી હતી. તે સમયના વિવિધ સ્ટુડિયો સાથે પગારદાર તરીકે રહેવા કરતાં સ્વતંત્ર રહીને કામ કરવાનું તેમણે પસંદ કર્યું હતું.

મોતીલાલને સંગીતનો શોખ હતો. તેઓ જાણીતા ગાયક મુકેશ જે તેમના પિતરાઈ પણ થાય, તેમને ચલચિત્રોમાં લાવ્યા હતા. તેમણે ‘છોટી છોટી બાતેં’ ચિત્રનું નિર્માણ અને દિગ્દર્શન કરવા ઉપરાંત તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમનાં નોંધપાત્ર ચલચિત્રોમાં : ‘શહર કા જાદુ’ (૧૯૩૪), ડૉ. મધુરિકા (૧૯૩૫), ‘દો દીવાને’ (૧૯૩૬), ‘કુળવધૂ’ (૧૯૩૭), ‘થ્રી હન્ડ્રેડ ડેઝ ઍન્ડ આફટર’, ‘હમ તુમ ઔર વોહ’ (૧૯૩૮), ‘દિવાલી’, ‘હોલી’ (૧૯૪૦), ‘સાવન’ (૧૯૪૫), ‘એક થી લડકી’ (૧૯૪૯), ‘મિ. સંપત’ (૧૯૫૨), ‘દેવદાસ’ (૧૯૫૫), ‘જાગતે રહો’ (૧૯૫૬), ‘અનાડી’, ‘પૈગામ’ (૧૯૫૯), ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ (૧૯૬૩), ‘લીડર’ (૧૯૬૪), ‘છોટી છોટી બાતે’, ‘વક્ત’ (૧૯૬૫), ‘યહ ઝિંદગી કિતની હસીન હૈ’ (૧૯૬૬)નો સમાવેશ થાય છે.

તેમને ફિલ્મ દેવદાસમાં ‘ચુન્ની બાબુ’ની ભૂમિકા બદલ અને ફિલ્મ ‘પરખ’માં સહાયક ભૂમિકા માટે ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

સાચી સિદ્ધિ છે સેવામાં !

દીર્ઘ સાધના બાદ પ્રાપ્ત સિદ્ધિથી બંને સાધુઓ પ્રસન્ન હતા, કિંતુ એમનામાં સાધનાના ગૌરવને બદલે એનો ગર્વ જાગ્યો અને પ્રાપ્ત સિદ્ધિઓનો અહંકાર ઘેરી વળ્યો. એક વાર આ બંને સાધુઓ એક સ્થળે ભેગા થઈ ગયા. બંનેના અહમ્ ટકરાયા. તરત જ તેમના અનુયાયીઓ સામસામા આવી ગયા. સવાલ એ જાગ્યો કે આ બંને સાધુઓમાં કોની સાધના ચડિયાતી ગણાય ?

પહેલા સાધુએ પોતાનું સિદ્ધિસામર્થ્ય દર્શાવતાં કહ્યું કે, ‘મારી પ્રબળ સાધનાને પરિણામે મેં અદભુત શક્તિ મેળવી છે. હું આકાશમાં ઊડી શકું છું.’

આમ કહીને એ સાધુએ ધ્યાન લગાવ્યું. ધીરે ધીરે તેઓ જમીનથી વધુ ને વધુ ઊંચે થવા લાગ્યા અને થોડી વારમાં તો આકાશમાં ઊડવા લાગ્યા. પહેલા સાધુની સિદ્ધિની મજાક ઉડાવતાં બીજા સાધુએ કહ્યું, ‘મારી પાસે એથીય વધુ અદભુત વિદ્યા છે. પાણીભર્યા સરોવરની વચ્ચે હું પલાંઠી વાળીને બેસીશ અને એથીય વિશેષ મારું શરીર એ પાણીથી સહેજે ભીંજાશે નહીં; જળકમળવત્ રહેશે.’

બીજા સાધુએ સરોવરની વચ્ચે પાણીમાં પલાંઠી લગાવી અને પાણીથી ભીંજાયા વિના પાણી મધ્યે બેઠા. સ્પર્ધા થઈ પણ પરિણામ ન આવ્યું. બંને વચ્ચે શ્રેષ્ઠ કોણ એનો ચુકાદો હજી બાકી હતો, આથી બંને એક તપોનિષ્ઠ સાધુ પાસે ગયા. એ સાધુ વૃક્ષ નીચે બેસીને અનાથ બાળકોને વિદ્યા આપતો હતો. વિકલાંગોને મદદ કરતો હતો, દુ:ખીઓને આશ્રય અને નોંધારાને આધાર આપતો હતો. પેલા બંને સાધુએ આ તપસ્વીને પોતાની સિદ્ધિની મહત્તા બતાવી, ત્યારે તપસ્વીએ જવાબ આપ્યો, ‘જુઓ ! આકાશમાં ઊડવાનો જાદુ એક નાનકડી ચકલી પણ કરી શકે છે. પાણીમાં  ભીના થયા વિના રહી શકવાની શક્તિ નાની માછલી પણ ધરાવે છે. આમાં કઈ મોટી શક્તિ અને સિદ્ધિ તમારી ગણાય ? આવી શક્તિ તો ચકલી અને માછલી જેવી ગણાય.’

બંને સાધુઓને સત્ય સમજાયું. એમણે આ મહાયોગીને પૂછ્યું, ‘આપ જ કહો કે સાચી સિદ્ધિ કઈ કહેવાય ?’

યોગીરાજે કહ્યું, ‘આકાશમાં ઊડવાથી કે સરોવરના પાણીથી અસ્પૃષ્ટ રહેવાથી કશું સધાશે નહીં. સાચી સિદ્ધિ તો ધરતી પર વસે છે એ સંતપ્ત માનવીઓની સેવા કરવામાં અને આત્મ-ઓળખમાં છે, એ બીજા કશામાં નથી.’

સિદ્ધિની પાછળ ઘેલા બનેલા સાધુ હોય કે પછી સિદ્ધિ-ચમત્કારો કરી આપનારા યોગી હોય, એનું સમાજને કશું કામ નથી. સમાજ તો સાચા સાધુને ઝંખે છે કે જે પોતાના આત્મકલ્યાણની સાથે જગતકલ્યાણની પ્રવૃત્તિ કરે.

કુમારપાળ દેસાઈ