Categories
વાચન સમૃદ્ધિ

ટોંક

રાજસ્થાન રાજ્યનો જિલ્લો. તે રાજ્યની ઈશાને ૨૫° ૪૧´ ઉ.થી ૨૬° ૩૪´ ઉત્તર અક્ષાંશ અને ૭૫° ૦૭´ પૂ.થી ૭૬° ૧૯´ પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર ૭,૧૯૪ ચોકિમી. છે. તેની ઉત્તરે જયપુર, દક્ષિણમાં બુંદી અને ભીલવાડા, પશ્ચિમમાં અજમેર તેમજ પૂર્વમાં સવાઈમાધોપુર જિલ્લાઓ આવેલા છે. તેની કુલ વસ્તી ૧૬,૮૦,૦૦૦ (૨૦૨૪, આશરે) અને વસ્તીની ગીચતા ચોકિમી.દીઠ ૧૩૫ છે. જિલ્લાની ૮૦% વસ્તી ગ્રામ વિસ્તારમાં અને બાકીની ૨૦% વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે. પતંગ જેવા આકારનો અને લગભગ સમતળ એવો આ જિલ્લો સમુદ્ર-સપાટીથી સરેરાશ ૨૬૪.૩૨ મી.ની ઊંચાઈ પર આવેલ છે. જિલ્લાની એકમાત્ર મહત્ત્વની નદી બનાસ પૂર્વ તરફથી વહી જિલ્લાની બરાબર મધ્યમાંથી પસાર થતાં, તેને બે ભાગમાં વહેંચે છે. જિલ્લામાં અરવલ્લીની ટેકરીઓ છૂટીછવાઈ પથરાયેલી છે. પ્રદેશનો સામાન્ય ઢોળાવ વાયવ્યથી દક્ષિણ અને પૂર્વ તરફનો છે. આબોહવા સૂકી અને આરોગ્યપ્રદ છે. વાર્ષિક મહત્તમ તાપમાન ૨૭.૫°થી ૩૦° સે. અને લઘુતમ તાપમાન ૧૫°થી ૧૭° સે. વચ્ચે રહે છે. વાર્ષિક સરેરાશ વરસાદ ૬૧૪ મિમી. છે. વરસાદનું પ્રમાણ અગ્નિથી વાયવ્ય તરફ જતાં ઘટતું જાય છે. જમીન સામાન્ય રીતે ફળદ્રૂપ પરંતુ કેટલેક સ્થળે વધુ રેતાળ છે. મેદાની વિસ્તારોમાં નાઇસ અને શિસ્ટ ખડકોની ભૂસ્તરીય રચના જોવા મળે છે. ગાર્નેટ, અબરખ જેવાં અધાતુમય ખનિજો; બાંધકામના પથ્થર તથા લોહઅયસ્ક જેવાં ધાતુમય ખનિજો અહીંથી મળે છે.

બિસલદેવ મંદિર, ટોંક

જિલ્લાનો લગભગ ૩.૪૯% વિસ્તાર વનાચ્છાદિત છે. ઔદ્યોગિક દૃષ્ટિએ તે રાજ્યનો પછાત જિલ્લો છે. બીડી તથા ગાલીચા વણવાના ગૃહઉદ્યોગો ઉપરાંત હસ્તકળા, ચર્મોદ્યોગ, સુથારીકામ, કુંભારકામ, વણાટકામ અને ખાદી-ઉદ્યોગ ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત રીતે ચાલે છે. રાજસ્થાનના આ પ્રદેશમાં હજુ રેલવે નથી. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૨  અહીંથી પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ ૧૩૮ કિમી. અને અન્ય (જિલ્લા) માર્ગો ૮૧૬ કિમી. લાંબા છે. જિલ્લાનાં કેટલાંક ગામો માર્ગથી સંકળાયેલાં નથી. બ્રિટિશ શાસનકાળ દરમિયાન ટોંક ભારતમાં રાજપૂતાના એજન્સીનું એકમાત્ર મુસ્લિમ સંસ્થાન હતું. ઓગણીસમી સદીની શરૂઆતમાં યશવન્તરાવ હોલકરની મદદથી અમીરખાન અને તેના સાથી પઠાણોએ સિરોજ, ટોંક અને પિશવ પરગણાંઓ જીતી લઈને ટોંક સંસ્થાનની સ્થાપના કરી હતી. અઢારમી સદીમાં રોહિલ વંશના પઠાણ કુળમાં જન્મેલો અમીરખાન સમગ્ર ભારતમાં પિંઢારાઓના નેતા તરીકે જાણીતો હતો. બ્રિટિશરોએ તેની વધતી જતી સત્તાને નાથવા ટોંકની સ્થાપના કરવાની સંમતિ આપી હતી. ૧૯૪૮માં માર્ચની ૨૫મીએ ટોંક રાજસ્થાન રાજ્યમાં વિલીન થયું. ભારતની ઇસ્લામી અને પ્રાચ્ય સંશોધન માટેની પ્રસિદ્ધ સંસ્થા ‘અરેબિક ઍન્ડ પર્શિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (APRI) અહીં આવેલ છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

ઝવેરીલાલ દલપતરામ મહેતા

જ. ૭ ઑગસ્ટ, ૧૯૨૮ અ. ૨૭ નવેમ્બર, ૨૦૨૩

ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનો જન્મ હળવદમાં થયો હતો. મૅટ્રિક સુધીનું શિક્ષણ ધ્રાંગધ્રામાં લીધા બાદ સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં અભ્યાસ કર્યો. મુંબઈમાં ‘ચેત મછંદર’ નામના સામયિકમાં પ્રૂફવાચનનું કામ કર્યું, પરંતુ અમદાવાદની અરિંવદ મિલમાં ટેક્સટાઇલ આર્ટિસ્ટ તરીકે નોકરી મળી અને સત્તર વર્ષ કામ કર્યું. એ સમય દરમિયાન તેઓ ફોટોગ્રાફી કરતા હતા. તેમની લાક્ષણિક તસવીરો જીવન-વિષયને સ્પર્શતી અને ‘જનસત્તા’માં ‘મારે જીવવું છે’ શીર્ષક હેઠળ પ્રકાશિત થતી. ૧૯૭૨થી તેઓ ‘ગુજરાત સમાચાર’ સાથે જોડાયા. તેમને માત્ર તસવીરથી સંતોષ થતો નહીં, તેઓ હંમેશાં તસવીરની નીચે સુંદર શબ્દોમાં તેમને લગતું લખાણ લખતા અને એ રીતે લોકોને તેમની ‘ફોટો સ્ટોરી’ વાંચવામાં અત્યંત રસ પડતો. તેમને કારણે તેમની ‘ફોટો સ્ટોરી’ અખબારના પ્રથમ પાને અથવા છેલ્લા પાને આવવા લાગી. આમ તેમની લોકપ્રિયતા સતત વધતી રહી. તેઓ ક્યારેય ફ્લૅશનો ઉપયોગ નહોતા કરતા. કુદરતી પ્રકાશમાં જ બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફોટા પાડતા. ડિજિટલ કૅમેરા આવ્યા છતાં ફિલ્મ કૅમેરાનો જ ઉપયોગ કરતા હતા. તેઓ તસવીરકલા ક્ષેત્રે રઘુ રાય અને કિશોર પારેખને પોતાના ગુરુ માનતા. કિશોરકુમાર જેવી મૂછો, જીન્સ અને માથે હૅટ જેવા વિશિષ્ટ લાક્ષણિક પહેરવેશથી એમના વ્યક્તિત્વની આગવી છાપ ઊપસતી. તેમની ચાર દાયકાની કારકિર્દી  દરમિયાન ગુજરાતના તેર મુખ્યમંત્રીઓનાં જીવન અને કાર્યકાળનું  દસ્તાવેજીકરણ કર્યું. તે  ઉપરાંત ૧૯૮૭માં રાજસ્થાનના દેવરાલામાં સતીની ઘટના, ૧૯૮૮માં કચ્છમાં આવેલ વાવાઝોડું, અયોધ્યાયાત્રા, ૨૦૦૧નો કચ્છમાં આવેલો ધરતીકંપ જેવી ઘટનાઓની અનેક કલાત્મક તસવીરો પ્રકાશિત થઈ હતી. પત્રકારત્વના ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન બદલ ૨૦૧૮માં ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

શ્વાસ જેવું જ્ઞાન

શિલ્પી પિતા અને દાયણ માતાના પુત્ર તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ (ઈ. સ. પૂ. ૪૬૯થી ઈ. સ. પૂ. ૩૯૯) એમ કહેતા કે મેં મારાં માતાપિતાનો વારસો બરાબર જાળવ્યો છે. જેમ શિલ્પી પથ્થરમાંથી માનવની આકૃતિ કંડારે છે, એ જ રીતે હું મારા વિચારોથી માનવવ્યક્તિત્વને કંડારું છું અને જેમ દાયણ માતાના ગર્ભમાંથી બાળક બહાર કાઢે છે, એ રીતે હું લોકોના મનમાંથી અજ્ઞાન બહાર કાઢું છું. આવા અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતા મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ પાસે એક યુવાન આવ્યો અને એણે કહ્યું, ‘મારે તમારી માફક ખૂબ જ્ઞાન મેળવવું છે. સમર્થ જ્ઞાની બનવું છે. તમારા જેવા થવું છે, તો જ્ઞાની બનવાનો કોઈ ઉપાય બતાવો ને ?’ સૉક્રેટિસે એ યુવાનને પોતાની પાછળ આવવા ઇશારો કર્યો અને પછી એને દરિયાની વચ્ચે લઈ ગયા અને એનું માથું પકડીને દરિયાના પાણીમાં ડુબાડ્યો. યુવક ગૂંગળાઈ ગયો. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. સૉક્રેટિસની પકડમાંથી છૂટવા અને પાણીમાંથી બહાર નીકળવા હવાતિયાં મારવા લાગ્યો. એને સામે મૃત્યુ દેખાવા લાગ્યું. આખરે એને એમ લાગ્યું કે હવે તો એ મરી જશે, ત્યારે સૉક્રેટિસે એને પાણીમાંથી બહાર કાઢ્યો. યુવાનના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે સૉક્રેટિસને કહ્યું, ‘તમે આવું હિંસક કૃત્ય કેમ કર્યું ?’ ત્યારે સૉક્રેટિસે કહ્યું, ‘એ કૃત્ય કરવાના કારણમાં જ તારી વાતનો જવાબ છે. જ્યારે તું ગૂંગળાઈ મરવાની તૈયારીમાં હતો, ત્યારે તને સૌથી વધુ શેની જરૂર લાગી હતી?’ યુવાને કહ્યું, ‘શ્વાસની, હવાની. તરફડિયાં મારતો હતો, ત્યારે એમ લાગ્યું કે હવે મારું આયુષ્ય પૂરું થઈ રહ્યું છે. શ્વાસ લેવા મળશે, તો જ બચીશ.’ ‘બસ, તો જ્યારે શ્વાસ જેટલી જરૂર તને જ્ઞાનની લાગે, ત્યારે જ તું જ્ઞાની બની શકીશ. ખ્યાલ આવ્યો ને !’ યુવાન સૉક્રેટિસની વાતનો મર્મ પારખી ગયો.