Categories
વાચન સમૃદ્ધિ

માયાળુ બનીને જીતવું

અમેરિકાના તારણહાર અબ્રાહમ લિંકન (૧૮૦૯થી ૧૮૬૫) ગુલામી પ્રથાની નાબૂદી માટે પ્રયાસ કરતા હતા. અમેરિકાની સમવાય સરકાર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે વિશ્વાસની કટોકટી ઊભી થઈ. અમેરિકામાં ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે આંતરવિગ્રહ શરૂ થયો. ૧૮૬૨ની ૨૨મી સપ્ટેમ્બરે અમેરિકાના પ્રમુખ અને પ્રથમ નાગરિકની હેસિયતથી એમણે ગુલામીપ્રથાની નાબૂદીની ઘોષણા કરી, ગુલામીની મુક્તિનું જાહેરનામું બહાર પાડ્યું અને પરિણામે ૪૦ લાખ ગુલામો મુક્ત થયા. વિરોધી રાજ્યોએ આ ઘોષણાનો અસ્વીકાર કર્યો અને દેશમાં આંતરવિગ્રહ જાગી ઊઠ્યો. ૧૮૬૧ની પંદરમી એપ્રિલે અબ્રાહમ લિંકને એક જાહેરનામું બહાર પાડીને બંડખોર રાજ્યો સામે યુદ્ધની જાહેરાત કરી. અમેરિકાનાં ઉત્તરનાં રાજ્યોએ સહકાર આપવામાં ઉત્સાહ દાખવ્યો પણ દક્ષિણનાં રાજ્યોએ સહકાર આપવાનો ઇન્કાર કર્યો. દેશની અખંડિતતા જાળવવા પોતાના જ દેશબાંધવો સામે યુદ્ધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ. આ આંતરવિગ્રહ સમયે દક્ષિણનાં રાજ્યોનો એક અમલદાર પકડાયો અને એને મોતની સજા ફરમાવવામાં આવી. અબ્રાહમ લિંકનને એની જાણ થતાં એમણે તરત જ જનરલ રોજક્રેન્સને પત્ર લખીને કહ્યું કે, ‘આ કેસ તમારો કહેવાય. તેમાં મુલ્કી સત્તાવાળાઓ કશી દખલ કરી શકે નહીં. પણ હું આશા રાખું છું કે આ કેસમાં તમે ન્યાયની દૃષ્ટિએ વિચારશો. ભૂતકાળનો બદલો લેવાની દૃષ્ટિએ નહીં અને ભવિષ્યની સલામતી માટે આવશ્યક હોય, તે નજરે જોશો.’ આટલું લખ્યા પછી અબ્રાહમ લિંકને લખ્યું, ‘આપણે કોઈ વિદેશી દુશ્મન સામે લડી રહ્યા નથી, પરંતુ આપણા ભાઈઓ સામે આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. આપણો હેતુ એમનો જુસ્સો તોડવાનો નથી, પણ એમને મૂળ વફાદારીના સ્થાને પાછો લાવવાનો છે અને તેથી જનરલસાહેબ, માયાળુ બનીને જીતવું એ જ આપણી નીતિ છે.’ લિંકનનો આ પત્ર વાંચીને જનરલ રોજક્રેન્સે વિરોધી દળના અધિકારીની સજા હળવી કરી.

Categories
વાચન સમૃદ્ધિ

સુરેન્દ્ર દેસાઈ

જ. ૨ ઑગસ્ટ, ૧૯૦૧ અ. ૧૦ નવેમ્બર, ૧૯૭૬

એસ. વી. દેસાઈના હુલામણા નામે જાણીતા શિક્ષણશાસ્ત્રી સુરેન્દ્ર દેસાઈનો જન્મ અમદાવાદમાં. વતન અલીણા. માતાનું નામ વિજયાગૌરી અને પિતાનું નામ વૈકુંઠરાય. પિતા મુંબઈની હોમરૂલ લીગના આગેવાન અને દાદા અંબાલાલ સાકરલાલ દેસાઈ ન્યાયમૂર્તિ હતા. તેઓ ૧૯૧૮માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં સમગ્ર બોર્ડમાં સાતમા સ્થાને હતા. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ઇન્ટર આર્ટ્સ કરીને ઉચ્ચઅભ્યાસ માટે ૧૯૨૧માં અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા. ત્યાં બી.એસસી. અને એમ.એસ.ની પદવી ‘એ’ ગ્રેડ સાથે મેળવી. તેમને ‘બીટા-ગૅમા-સિગ્મા’નું બહુમાન મળ્યું હતું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી વિદ્યાર્થી હતા. તેઓ ગુજરાતમાં ડબલ ગ્રૅજ્યુએટ થનાર પ્રથમ હતા. ભારતમાં આવીને તેઓ ‘ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ સાપ્તાહિકમાં જોડાયા. પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને અર્થશાસ્ત્ર વિભાગના વડા બન્યા. તેમણે સિંધિયા સ્ટીમ નૅવિગેશન કંપનીમાં પણ કામ કર્યું. એ પછી તેઓ સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં જોડાયા. ૧૯૩૬માં તેઓ અમદાવાદની એચ.એલ.કૉલેજ ઑવ્ કૉમર્સમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૪૪માં આચાર્ય બન્યા. તેમણે ગુજરાત યુનિવર્સિટીની સેનેટ સિંડિકેટ અને એકૅડેમિક કાઉન્સિલમાં સેવા આપી હતી. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પણ બન્યા હતા. ૧૯૪૨ની ‘ભારત છોડો’ લડત દરમિયાન દેશભક્તિના રંગે રંગાયા. તેમણે આજીવન ખાદીનાં વસ્ત્રો પહેરવાનો નિર્ણય કર્યો અને પાળ્યો પણ ખરો. તેઓ સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા. શિક્ષણક્ષેત્રે તેમણે કરેલાં કાર્યો આજે પણ સ્મરણીય બની રહ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

સુગરી (સુઘરી)

ચકલીના જેટલું કદ ધરાવનારું, સુંદર ગૂંથણીવાળો માળો બનાવનારું પક્ષી. સુગરીની મોટા ભાગની (આશરે ૨૯૦) જાતિઓ આફ્રિકામાં વસે છે. તે પૈકી ૩ ભારતમાં જોવા મળે છે. નર અને માદા દેખાવે સરખાં લાગે છે. પ્રજનનકાળે નર પક્ષી ચળકતો પીળો રંગ તેની છાતી પર ધારણ કરે છે. આ પક્ષીની ચાંચ ટૂંકી અને મજબૂત હોય છે. તેઓ ચકલી જેવો અવાજ કરે છે. આ પક્ષીઓમાં નર માળો બાંધે છે. ખોરાક અને માળો બાંધવાની વિપુલ  સામગ્રી મળી રહે તેવા ખેતર પાસે, તાડ, ખજૂરી કે બાવળના વૃક્ષ ઉપર તે માળો બાંધવાની શરૂઆત કરે છે. તેમાં પણ નીચે કૂવો કે જળાશય હોય તેવું સ્થળ વધારે પસંદ કરે છે. મોટા ભાગે એક વૃક્ષ પર સુગરીઓના ઘણાબધા નર પોતપોતાના માળાઓ બનાવે છે. તે માળો બનાવવા માટે લીલું ઘાસ અને તંતુઓનો ઉપયોગ કરે છે. પોતાની ચાંચ અને પગની મદદથી તાંતણાઓની સુંદર ગૂંથણી કરી ઝૂલતો, ઊંધા ચંબુ જેવો માળો બનાવે છે. તેમાં પ્રવેશ માટે નીચેની બાજુ કાણું હોય છે. માળાની રચના એવી હોય છે કે શત્રુ તેમાં પ્રવેશી શકતો નથી.

સુગરી અને તેને માળો

માદા પક્ષી નરની ઘર બનાવવાની કુશળતા પરથી તેને પસંદ કરે છે. અડધા-પડધા બનાવેલ માળાને જોઈ સુગરી તેની પસંદગી કરી, તેને માળો પૂરો કરવામાં મદદ કરે છે. ત્યારબાદ માદા તેમાં ત્રણથી ચાર સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. ત્યાર બાદ બચ્ચાં ઉછેરવાની જવાબદારી માદા સંભાળે છે, જ્યારે નર બીજું ઘર બાંધી બીજી માદા જોડે સંસાર માંડે છે. આ પક્ષીઓ દાણા ખાય છે; જ્યારે બચ્ચાંને જીવાત ખવડાવે છે. સુગરીનું પોતાની પાંખો પરનું નિયંત્રણ તથા અંધારામાં જોવાની શક્તિ નોંધપાત્ર હોય છે. તેને પોપટની જેમ કેળવી શકાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી