Categories
વાચન સમૃદ્ધિ

પરમાનંદ કુંવરજી કાપડિયા

જ. ૧૮ જૂન, ૧૮૯૩ અ. ૧૭ એપ્રિલ, ૧૯૭૧

સમાજસુધારક અને નિર્ભીક પત્રકાર પરમાનંદ કાપડિયાનો જન્મ રાણપુરમાં થયો હતો. તેમના પિતાશ્રી તત્ત્વજ્ઞાનના નિષ્ણાત હતા અને અનેક જિજ્ઞાસુઓ તેમની પાસે જ્ઞાન લેવા આવતા. સંસ્કારસંપન્ન વાતાવરણમાં ઊછરેલા પરમાનંદ કાપડિયાએ ૧૯૧૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા પછી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ૧૯૧૬માં એલએલ.બી.ની ડિગ્રી મેળવી. સત્યના આગ્રહી હોવાથી વકીલાત ક્ષેત્રે લાંબું ટક્યા નહીં. ત્યારબાદ તેમણે ઝવેરાતનો વ્યવસાય કર્યો. તે સમયે જૈન સમાજમાં ચાલ્યા આવતા પરંપરાગત રીતરિવાજો, બાળદીક્ષા, દેવદ્રવ્ય અને અનિષ્ટ વ્યવહારો સામે અવાજ ઉઠાવ્યો. તેમણે આ અંગે વિરોધ વ્યક્ત કરતાં અનેક ભાષણો આપ્યાં. પિતાશ્રીના તંત્રીપદે ચાલતા ‘જૈન પ્રકાશ’માં ‘કલાવિહીન ધાર્મિક જીવન’ અંગે અઢાર હપતાની લેખમાળા પ્રકાશિત કરી. તેમણે ૧૯૨૮માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરી અને તેના દ્વારા આંદોલનો ચલાવ્યાં. તેમણે ‘તરુણ જૈન’ (૧૯૩૪-૧૯૩૭) સામયિક ચલાવ્યું અને ત્યારબાદ ૧૯૩૭માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક ‘પ્રબુદ્ધ જૈન’ તેમના તંત્રીપદે શરૂ થયું. આ સામયિક દ્વારા તેમની પત્રકાર તરીકેની અને તર્કબદ્ધ અભિવ્યક્તિની શક્તિનો પરિચય થયો. ‘પ્રબુદ્ધ જૈન’ ૧૯૫૩થી ‘પ્રબુદ્ધજીવન’ના નામે પ્રકાશિત થાય છે જે અત્યારે પણ ચાલુ છે. તેમની પત્રકાર તરીકેની સફળ કારકિર્દીને કારણે સૌરાષ્ટ ટ્રસ્ટે તેમને ‘યુગદર્શન’ નામના માસિકનું સંપાદન સોંપ્યું હતું. ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ નિમાયા હતા. ‘જૈન ધર્મનું હાર્દ’ અને ‘જૈન યુવક પ્રવૃત્તિ’ વિશે મારી દૃષ્ટિમાં તેમના વિચારોની વિશદતા જોવા મળે છે. આ ઉપરાંત ‘સત્ય શિવ સુંદરમ્’ તેમનો લેખસંગ્રહ છે. તેમના મૃત્યુ પછી તેમના લેખો અને પત્રોનું સંકલન ‘ચિંતનયાત્રા’ નામના પુસ્તકમાં થયું છે. ૧૯૩૨થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ કરી જે આજે પણ ચાલે છે. જીવનભરની તેમની જ્ઞાનોપાસના અને સેવાને પુરસ્કારવા મુંબઈ જૈન યુવક સંઘે તેમના સભાગૃહને ‘પરમાનંદ કાપડિયા સભાગૃહ’ નામ આપ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

આત્મા અને ઇંદ્રિયો વચ્ચેનો ઉંબરો છે મન

યુવકનું અકાળે અવસાન થતાં એક વ્યક્તિએ દુ:ખના બોજ સાથે નાની વયે થયેલા અવસાન અંગે આંખમાં આંસુ સાથે શોક પ્રગટ કર્યો. બીજી વ્યક્તિએ કહ્યું કે નાની વયમાં વ્યસનમાં સપડાયેલા એને માટે આ જ ભાવિ નિર્મિત હતું. આમ કહેનારી વ્યક્તિના ચહેરા પર દુ:ખ કે શોકનું નામનિશાન નહોતું. એક વ્યક્તિ પ્રત્યેક બાબતને લાગણીના આવેગ સાથે જુએ છે, તો બીજી વ્યક્તિ દરેક બાબતની વિશ્લેષક બનીને ચિકિત્સા કરે છે. મનનાં આ બે પ્રકારનાં વલણ છે. એકમાં લાગણી પ્રધાન છે, તો બીજામાં બુદ્ધિ. એકમાં નકરી ભાવના, તો બીજામાં માત્ર તર્ક. મનના આવા ખંડદર્શનને કારણે વ્યક્તિ એક વાતનો સ્વીકાર કરે છે અને બીજાનો અસ્વીકાર કરે છે. મનને પૂર્ણ રૂપે ખીલવવા માટે અખંડ મનની ઓળખ જરૂરી છે. એને માટે પૂર્ણદર્શન હોવું જોઈએ. માત્ર ભાવુકતા કે ફક્ત તાર્કિકતાથી વિચારનારનું ચિત્ત સમય જતાં જડ બની જાય છે. એનું એકપક્ષી મનોવલણ દરેક બાબતને પોતાની ફાવતી રીતે જુએ છે. મનની જીવંતતાને માટે આવી પક્ષપાતી જડતા છોડવી જરૂરી બને છે. મનને ઢળવું બહુ પસંદ છે. ઇંદ્રિયો જે માર્ગે વાળે તે માર્ગે વળવાનું મનને ખૂબ ગમે છે. મનમાં જ્યારે પ્રપંચ, પૂર્વગ્રહ કે કુટિલતા જાગે છે ત્યારે એ મનમાંથી પરમાત્મા વિદાય લે છે. જે મનમાં પ્રપંચ, મડાગાંઠ કે કુટિલતા હોતી નથી ત્યાં સામે ચાલીને પરમાત્મા આસન જમાવે છે. મનનું ખંડદર્શન હંમેશાં પૂર્વગ્રહરહિત હોય છે. એ માત્ર એક બાજુ જુએ છે. બીજી આંખ બંધ કરીને માત્ર એક જ આંખે જુએ છે. સમગ્રને જોવાને બદલે ખંડદર્શન કરે છે. આથી જ સાચો સાક્ષીભાવ કેળવીને અને અનાસક્ત રહીને જ અખંડ મનને પામી શકાય.

Categories
વાચન સમૃદ્ધિ

કૈલાશ નાથ કાત્જુ

જ. ૧૭ જૂન, ૧૮૮૭ અ. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૬૮

ભારતના એક અગ્રણી રાજકારણી, ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને કેન્દ્રીય સંરક્ષણમંત્રી. કૈલાશ નાથ કાત્જુનો જન્મ જાઓરા (હાલના મધ્યપ્રદેશના) નામે એક રજવાડામાં થયો હતો. તેમનો પરિવાર કાશ્મીરી પંડિતોનો હતો, જેઓ જાઓરામાં સ્થાયી થયા હતા. તેમના પિતા ત્રિભુવન નાથ કાત્જુ રાજ્યના ભૂતપૂર્વ દીવાન હતા. તેઓ ૧૯૦૫માં લાહોરની ફોરમૅન ક્રિશ્ચિયન કૉલેજમાંથી સ્નાતક થયા હતા. ૧૯૦૭માં તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. ૧૯૦૮માં તેમણે તે જ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમણે ૧૯૧૪માં કાનપુરમાં કાયદાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેમણે ૧૯૧૯માં અલાહાબાદ યુનિવર્સિટીમાંથી કાયદામાં ડૉક્ટરેટ પૂર્ણ કર્યું અને ૧૯૨૧માં અલાહાબાદ હાઈકોર્ટમાં વકીલ તરીકે જોડાયા હતા. ૧૯૩૩માં અલાહાબાદ હાઈકોર્ટમાં મેરઠ કાવતરાના આરોપીઓનો અને બાદમાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે ભારતીય રાષ્ટ્રીય સૈન્યના કેસોમાં આરોપી લશ્કરી અધિકારીઓનો બચાવ કાત્જુએ કર્યો હતો. ૧૭ જુલાઈ, ૧૯૩૭ના રોજ, તેઓ ગોવિંદ વલ્લભ પંતના મંત્રીમંડળમાં સંયુક્ત પ્રાંતના કાયદા અને ન્યાય અને સંસદીય બાબતોના મંત્રી બન્યા હતા. ભારતની સ્વતંત્રતા પછી, કાત્જુએ ઘણા ઉચ્ચ રાજકીય હોદ્દા સંભાળ્યા હતા. શરૂઆતમાં તેમને ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭થી ૨૦ જૂન, ૧૯૪૮ સુધી ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેઓ ૨૧ જૂન, ૧૯૪૮ના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા અને ૩૧ ઑક્ટોબર, ૧૯૫૧ સુધી આ પદ પર રહ્યા. ૧૯૫૧માં તેઓ મંદસૌર મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા અને જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં કાયદામંત્રી તરીકે જોડાયા હતા. નવેમ્બર, ૧૯૫૧માં તેઓ દેશના ત્રીજા ગૃહમંત્રી અને ૧૯૫૫માં તેમને સંરક્ષણમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ ૩૧ જાન્યુઆરી, ૧૯૫૭ના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા અને ૧૧ માર્ચ, ૧૯૬૨ સુધી આ પદ પર રહ્યા હતા.