Categories
વાચન સમૃદ્ધિ

અતુલચંદ્ર ઘોષ

જ. ૨ માર્ચ, ૧૮૮૧ અ. ૧૫ ઑક્ટોબર, ૧૯૬૧

ભારતની આઝાદીની ચળવળના બંગાળના એક અગ્રણી રાજકીય નેતા. તેમનો જન્મ ખાંડઘોષા, બર્દવાન, બંગાળમાં થયો હતો. પિતા શિક્ષક હતા. બાળપણમાં માતાપિતાનું અવસાન થતાં અન્યત્ર બે કુટુંબો દ્વારા ઉછેર થયો. શરૂઆતનું શિક્ષણ બર્દવાનમાં અને તે પછી કૉલકાતાની મેટ્રોપૉલિટન ઇન્સ્ટિટ્યૂટમાં, પરંતુ તે અધવચ્ચે છોડી દેવું પડેલું. ૧૯૦૮માં પુરબિયા ખાતે વકીલાત શરૂ કરી. નિબારણચંદ્ર દાસગુપ્તાના સાથમાં તેમણે બંગાળના પુરબિયા જિલ્લામાં તેલ્કાપાડા ગામ ખાતે ‘શિલ્પાશ્રમ’ની સ્થાપના કરી, જેમાં ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપ્યું. ગાંધીજીના પ્રભાવ હેઠળ ૧૯૨૧માં વકીલાત બંધ કરી, અસહકારની ચળવળમાં જોડાયા, ત્યાંથી જાહેરજીવનની શરૂઆત થઈ. આઝાદીને પ્રેરક કામો શરૂ કર્યાં. બંગાળી સાપ્તાહિક પત્ર ‘મુક્તિ’ના તે સંપાદક હતા. બિહાર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સભ્ય બન્યા. ૧૯૨૧-૩૫ દરમિયાન માનભૂમ જિલ્લા કૉંગ્રેસ સમિતિના સેક્રેટરી અને ૧૯૩૫-૪૭ દરમિયાન તેના પ્રમુખ હતા. ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ દરમિયાન જિલ્લાની સત્યાગ્રહ સમિતિના સેક્રેટરી તરીકે કારાવાસ ભોગવ્યો. આ ઉપરાંત ૧૯૩૨, ૧૯૪૫માં પણ કારાવાસ ભોગવેલો. ૧૯૪૭માં કૉંગ્રેસ પક્ષનો ત્યાગ કર્યો અને ‘લોકસેવક સંઘ’ની સ્થાપના કરી. ૧૯૫૨માં ચૂંટણી યોજાઈ તેમાં જે ઢંઢેરો આ સંસ્થાએ બહાર પાડેલો તેમાં ગાંધીજીની વિચારણાનો પડઘો સ્પષ્ટપણે જોવા મળે છે. માનભૂમની પ્રજાના ન્યાયી અધિકારો માટે ૧૯૫૦-૫૨ દરમિયાન તેમણે વારંવાર સત્યાગ્રહ કર્યો હતો. તેમનું સમગ્ર કુટુંબ તેમની આ પ્રવૃત્તિમાં સતત તેમની સાથે સક્રિય રહેલું હતું. સંતાનોને તેમણે સ્વતંત્રતા અને સ્વદેશીના સંસ્કારો આપ્યા હતા. તેમનાં પત્ની લાવણ્યપ્રભા ઘોષ પણ આઝાદીની ચળવળનાં સૈનિક હતાં. અતુલચંદ્ર ઘોષનું અવસાન કૉલકાતામાં થયું હતું. લોકો પ્રેમથી તેમને ‘માનભૂમ કેસરી’ નામે સંબોધતા અને તેમનાં પત્નીને ‘માનભૂમ જનની’ તરીકે સંબોધતા.

અમિતાભ મડિયા

Categories
વાચન સમૃદ્ધિ

ગુસ્સાનું માધ્યમ

અમેરિકાના મિઝુરીમાં જન્મેલા સૅમ્યુઅલ લેંગહોર્ન ક્લૅમન્સ સાહિત્યજગતમાં માર્ક ટ્વેનને નામે વિખ્યાત બન્યા. માર્ક ટ્વેને અમેરિકાના વસાહતીઓમાં ચાલી આવતી ટોળ-ટપ્પાની પ્રક્રિયા પકડી અને એમાં અહોભાવરહિત અભિગમ અને લાક્ષણિક શૈલીનું ઉમેરણ કરીને વિશિષ્ટ પ્રકારનો વિનોદ સર્જ્યો. ‘ધ ઇન્સન્ટ્સ અબ્રોડ’, ‘રફિંગ ઇટ’ જેવી કૃતિઓમાં એમનો આ વિનોદ જોવા મળે છે. આ વિખ્યાત હાસ્યલેખક અને નિપુણ વક્તાને ભાગ્યે જ ગુસ્સો આવતો, પરંતુ જ્યારે ગુસ્સો આવે તો એ તત્કાળ પત્ર લખવા બેસી જતા અને એમાં એ વ્યક્તિ પરનો પોતાનો સઘળો ગુસ્સો ઠાલવી દેતા. કોઈ વ્યક્તિએ એમની ટીકા કરી તો તરત જ માર્ક ટ્વેને એને સણસણતો જવાબ લખ્યો કે ‘ખબરદાર, તમે કરેલી વાત અહીં જ દબાવી દો. જો એમ નહીં કરો તો હું તમને જોઈ લઈશ. આવી જ રીતે એક વાર એક સામયિકમાં એમના લેખમાં જોડણીની અશુદ્ધિઓ રહી ગઈ. માર્ક ટ્વેન અકળાઈ ઊઠ્યા. એમણે સામયિકના તંત્રીને પત્ર લખ્યો કે, લેખ છાપતાં પૂર્વે એમણે એ જોવું જોઈએ અને ચકાસવું જોઈએ કે પ્રૂફરીડરે એ લેખની જોડણી કે વિરામચિહનો બરાબર કર્યાં છે કે નહીં અને પછી માર્ક ટ્વેને એ ગુસ્સો પ્રૂફરીડર પર ઉતારતાં તંત્રીને લખ્યું, ‘હવે પછી મારી લખેલી કૉપી પ્રમાણે તમારે મૅટર ગોઠવવું અને પ્રૂફરીડરનાં સૂચનો એના સડી ગયેલા મગજના પોલાણ સુધી જ રહે, તેનો બરાબર ખ્યાલ રાખવો.’ માર્ક ટ્વેન માટે પત્રલેખન એ ગુસ્સો ઠાલવવાનું માધ્યમ હતું. એ રીતે તેઓ પોતાના મનમાંથી ગુસ્સાની વરાળ દૂર કરતા હતા. આવા પત્રોથી કોઈ સંબંધોમાં તિરાડ પડે કે કોઈને માઠું લાગે એવું બનતું નહીં. આનું કારણ એ હતું કે આવા પત્રો પોસ્ટ થાય તે પહેલાં જ માર્ક ટ્વેનનાં પત્ની છાનાંમાનાં એ પત્રો કાઢી લેતાં, જેથી જેના પર એમણે કચકચાવીને ગુસ્સો કાઢ્યો હોય તેમના સુધી એ પત્રો પહોંચતા જ નહીં.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

રાલ્ફ એલિસન

જ. ૧ માર્ચ, ૧૯૧૪ અ. ૧૬ એપ્રિલ, ૧૯૯૪

અમેરિકાના સુપ્રસિદ્ધ અશ્વેત સાહિત્યકાર. તેમનો જન્મ અમેરિકાના ઓકલાહોમા શહેરમાં થયો હતો. ૧૯૨૧માં રાલ્ફ તેમની માતા સાથે ગેરી, ઇન્ડિયાના રાજ્યમાં રહેવા ગયા, પણ ત્યાં માતાને કોઈ કામ ન મળતાં પાછા ઓકલાહોમા આવ્યા જ્યાં રાલ્ફ બસબૉય, બૂટ-પૉલિશ કરવાવાળા, હોટલમાં વેઇટર તથા દાંતના ડૉક્ટરને ત્યાં કામ કરવા લાગ્યા. તેમને સંગીતમાં ઘણો રસ હોવાથી પિતાના મિત્ર પાસેથી પૈસા લઈ ટ્રમ્પેટ અને સેક્સોફોન શીખવા માટે ટસ્કેગી સંસ્થામાં ૧૯૩૩થી ૧૯૩૬ સુધી શિક્ષણ લીધું. પણ ત્યારબાદ સાહિત્યનો શોખ હોવાથી વાચન કરવાથી સાહિત્યસર્જન કરવા પ્રેરાયા. ૧૯૩૬માં ન્યૂયૉર્ક નગરના બીજા અશ્વેત લેખક રિચર્ડ રાઇટને મળ્યા અને ‘ફેડરલ રાઇટર્સ પ્રોજેક્ટ’ સાથે સંકળાયા. તેમણે ‘ધ ઇનવિઝિબલ મૅન’ (૧૯૫૨) નામની એક નવલકથા દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. તેમને આ નવલકથા માટે ૧૯૫૩માં નૅશનલ બુક ઍવૉર્ડ પણ મળેલો. તેમના જીવન વિશે તેમના નિબંધસંગ્રહ ‘શૅડો ઍન્ડ ઍક્ટ’ (૧૯૬૪) દ્વારા વધુ જાણી શકાય છે. તેમણે  અમેરિકાના ગુલામોના વંશજ આફ્રિકન હબસીઓની સંસ્કૃતિ, તેમનું લોકસાહિત્ય, તેમનું સર્જનાત્મક લેખન વગેરે વિશે અનેક વ્યાખ્યાનો આપ્યાં હતાં. આ ઉપરાંત અમેરિકાની અનેક કૉલેજોમાં અને વિદ્યાપીઠોમાં અધ્યાપનકાર્ય પણ કર્યું હતું. ૧૯૭૦થી ૧૯૮૦ દરમિયાન તેઓ ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં આલ્બર્ટ સ્વાઇત્ઝર પ્રોફેસર ઑફ હ્યુમેનિટીઝ તરીકે ફૅકલ્ટીના કાયમી સભ્ય રહ્યા. તેમની લેખનશૈલી પર રશિયન લેખક દોસ્તોવસ્કી, ફ્રેન્ચ લેખક આન્દ્રે માલરો અને અમેરિકન અશ્વેત લેખક રિચર્ડ રાઇટનો પ્રભાવ જોવા મળે છે. તેમનો નિબંધસંગ્રહ ‘ગોઇંગ ટુ ધ ટેરીટરી’ (૧૯૬૬) અને ટૂંકી વાર્તા ‘લાઇંગ હોમ’ (૧૯૯૬) મરણોત્તર પ્રકાશન પામેલી.

રાજશ્રી મહાદેવિયા