Categories
વાચન સમૃદ્ધિ

મનમોહન દેસાઈ

જ. ૨૬ ફેબ્રુઆરી, ૧૯૩૭ અ. ૧ માર્ચ, ૧૯૯૪

મનોરંજનના મહારથી ગણાતા મનમોહન દેસાઈનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયા હતા. ચલચિત્રજગતમાં તેઓ ‘મનજી’ તરીકે ઓળખાતા. તેમના પિતા કીકુભાઈ દેસાઈ પૅરેમાઉન્ટ સ્ટુડિયોના માલિક અને નિર્માતા હતા. મનમોહન પાંચ વર્ષના હતા ત્યારે જ પિતાનું અવસાન થયું. પરિવાર ઉપર ભારે આર્થિક સંકટ આવી પડ્યું. સ્ટુડિયોની દેખરેખ રાખનારું કોઈ હતું નહિ અને પૈસાના અભાવે સ્ટુડિયો વેચી નાખવો પડ્યો. મુંબઈના ખેતવાડી વિસ્તારમાં પરિવાર રહેવા આવ્યો અને મનમોહન અંતિમ શ્વાસ સુધી આ મકાનમાં જ રહ્યા. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણીને તેઓ સ્નાતક થયેલા, પરંતુ મનમાં દિગ્દર્શક બનવાનો કીડો સળવળતો હતો તેથી દિગ્દર્શનનો કસબ શીખવા એ સમયના અગ્રણી દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રીના સહાયક તરીકે કામ શરૂ કર્યું. મોટા ભાઈ સુભાષ દેસાઈએ ‘છલિયા’ ફિલ્મનું નિર્માણ કર્યું અને નિર્દેશનની જવાબદારી યુવાન મનમોહનને સોંપી તેમને આગળ વધવાની તક પૂરી પાડી. ‘છલિયા’ની પટકથા મનમોહને પોતે લખી હતી અને રાજ કપૂર, નૂતન, પ્રાણ જેવા નામી કલાકારોને સફળતાપૂર્વક નિર્દેશિત કરી પોતાનું કસબ બતાવી આપ્યું.

૧૯૭૭માં પોતાની ખુદની નિર્માણ સંસ્થા ‘એમ. કે. ડી. ફિલ્મ્સ’ની સ્થાપના કરી. મનમોહન દેસાઈનાં ચલચિત્રોમાં કંઈ પણ બનવું અસંભવ ન હોય – એમ કહી એમની ટીકા કરાતી. પણ તેઓ હંમેશાં સામાન્ય પ્રેક્ષકને ધ્યાનમાં રાખીને ચલચિત્રોનું નિર્માણ કરતા. મોટા ભાગે તેમની બધી જ ફિલ્મો સફળ રહેતી અને પ્રેક્ષકોનો આવકાર પામતી.

૨૮ વર્ષની કારકિર્દીમાં ૨૦ ચલચિત્રોનું દિગ્દર્શન કરી ચલચિત્રજગતને ૧૬ સફળ ચિત્રો આપનાર મનમોહન દેસાઈએ મનોરંજનને નામે ક્યારેય અશ્લીલતા પીરસી નહિ. તેમની ફિલ્મો હંમેશાં પરિવાર સાથે બેસીને જોઈ શકતો. ૧૯૮૯માં ‘ગંગા, જમુના, સરસ્વતી’ ફિલ્મ નિષ્ફળ જતાં તેમણે નિવૃત્તિ લઈ લીધી.

તેમનાં સફળ ચલચિત્રોમાં ‘સચ્ચાજૂઠા’, ‘રામપુર કા લક્ષ્મણ’, ‘આ ગલે લગ જા’, ‘રોટી’, ‘પરવરિશ’, ‘ધરમવીર’, ‘અમર અકબર ઍન્થની’, ‘સુહાગ’, ‘નસીબ’ વગેરેનો સમાવેશ થાય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

અનોખી સજા

અમેરિકાના ૩૪મા પ્રમુખ ડ્વાઇડ ડેવિડ આઇઝનહોવર (ઈ. સ. ૧૮૯૦થી ૧૯૬૯) મૂળે એક યશસ્વી સૈનિક હતા. પ્રથમ-દ્વિતીય વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે બહાદુરી અને દૂરંદેશી દાખવી હતી. સમય જતાં અમેરિકામાં અત્યંત લોકપ્રિય એવા આઇઝનહોવર સર્વોચ્ચ સેનાપતિ અને પંચતારક જનરલ બન્યા. ૧૯૫૨માં તેમણે કોરિયાના યુદ્ધમાં યુદ્ધમોકૂફી કરાવી અને ૧૯૫૭માં એમના સૂચનથી આંતરરાષ્ટ્રીય અણુપંચની રચના કરવામાં આવી. એ પછી સામ્યવાદ સામે મોરચો ઊભો કરવા માટે જુદા જુદા દેશો સાથે લશ્કરી કરારો કર્યા. આઇઝનહોવર કડક શિસ્તના હિમાયતી હતા. બીજા વિશ્વયુદ્ધ સમયે એમણે અમેરિકાનાં લશ્કરી દળોનું નેતૃત્વ સંભાળ્યું અને સૈન્યને સંગઠિત રહીને દુશ્મનોનો સામનો કરવા સતત સલાહ આપી. અમેરિકાની સેનામાં બે લશ્કરી અધિકારીઓ એવા હતા કે જેઓ એકબીજા સાથે સતત લડતા-ઝઘડતા રહેતા. પરસ્પરને માટે એમની આંખોમાં ઝેર હતું અને તેથી સાવ સામાન્ય બાબતમાં પણ ઉશ્કેરાઈને એકબીજા સામે અપશબ્દો બોલવા લાગતા અને ક્યારેક મારામારી કરવા સુધી પહોંચી જતા. સેનાપતિ આઇઝનહોવરે આ બંને સૈનિકોને સમજાવવા પ્રયત્ન કર્યો. સેનાની શિસ્તની વાત કરી. સેનામાં વિખવાદ હોય તો વિફળતા મળે એ સિદ્ધાંત સમજાવ્યો. આ સઘળું કહ્યું, છતાં બધું પથ્થર પર પાણી ! પેલા બે સૈનિકોએ ફરી તોફાન કર્યું એટલે સેનાપતિ આઇઝનહોવરે એમને સજા ફરમાવી. એક અધિકારીને કાચની દીવાલ ધરાવતી સરકારી બરાકને બહારથી સાફ કરવાની સજા કરી, તો બીજાને અંદરની બાજુથી એ કાચ સાફ કરવાની સજા કરી. કાચ ચોખ્ખા કરવા માટે બંનેને સાથે રહીને એટલી બધી મહેનત કરવી પડી કે સમય જતાં એમનાં મન ચોખ્ખાં થઈ ગયાં.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કૈલાસનાથ વાંછુ

જ. ૨૫ ફેબ્રુઆરી, ૧૯૦૩ અ. ૧૪ ઑગસ્ટ, ૧૯૮૮

ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશપદે રહી ચૂકેલ કૈલાસનાથ વાંછુનો જન્મ અલાહાબાદમાં એક કાશ્મીરી પંડિત પરિવારમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મધ્યપ્રદેશના નૌગોંગમાં અને માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ પંડિત પીર્થીનાથ હાઈસ્કૂલ, કાનપુર, મુઇર સેન્ટ્રલ કૉલેજ, અલાહાબાદ અને વાઘમ કૉલેજ, ઑક્સફર્ડથી પ્રાપ્ત કર્યું હતું. કૈલાસનાથ વાંછુ ૧ ડિસેમ્બર, ૧૯૨૬ના રોજ ઉત્તરપ્રદેશમાં જૉઇન્ટ મૅજિસ્ટ્રેટ તરીકે ભારતીય સિવિલ સર્વિસમાં જોડાયા હતા. અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ફેબ્રુઆરી, ૧૯૪૭થી જાન્યુઆરી ૧૯૫૧ સુધી સેવા આપ્યા બાદ ૧૯૫૧થી ૧૯૫૮ સુધી રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો સૌથી લાંબા સમય સુધી તેમણે હોદ્દો ગ્રહણ કર્યો હતો. સમયાંતરે તેઓ ૧૯૫૦-૫૧માં ઉત્તરપ્રદેશ ન્યાયિક સુધારણા સમિતિના અધ્યક્ષપદે પણ હતા. ૧૯૫૪માં ફાયરિંગ ઇન્ક્વાયરી કમિશનના એકમાત્ર સભ્ય તરીકે સ્થાન શોભાવ્યા બાદ ૧૯૫૫માં તેઓ ધોલપુર ઉત્તરાધિકારી કેસ કમિશનના અધ્યક્ષસ્થાને અને કાયદા પંચના સભ્ય તરીકે પણ ફરજ પર હતા. ૧૨ એપ્રિલ, ૧૯૬૭ના રોજ કૈલાસનાથે ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટના કાર્યકાળ દરમિયાન તેમણે ૩૫૫ ચુકાદાઓ લખ્યા હતા.

અશ્વિન આણદાણી