‘ખુદાની મરજી’ને નામે આપણે આપણી કેટલીય અરજીઓ પસાર કરી છે. માણસને આ તરીકો બહુ પસંદ પડ્યો છે કે પોતે કશુંક ખોટું કરે અને ફળ ભોગવવાનું આવે ત્યારે એની સઘળી જવાબદારીનો અને દોષનો ટોપલો પ્રભુને માથે ઓઢાડી દે ! કાર્યકારણ જોવાને બદલે માત્ર ફલશ્રુતિને જોતો માનવી એમાં ઈશ્વરીસંકેત જુએ છે. શરાબી એમ કહેશે કે મારી તો શરાબ પીવાની લગીરે ઇચ્છા નહોતી, પરંતુ ઈશ્વરની ઇચ્છા આગળ હું લાચાર છું. કોઈ એમ પણ કહેશે કે ઈશ્વરે મને આટલાં બધાં દુઃખો એ માટે આપ્યાં કે જેથી વ્યસનમાં મારાં એ દુ:ખોને ડુબાડી દઈ શકું. ઈશ્વરને નામે માનવી અનેક પ્રપંચ ખેલે છે અને એ પ્રપંચોમાં સફળ થાય તો એનો એ સ્વયં યશ લે છે, પણ એમાં નિષ્ફળ જાય તો એનો અપયશ ઈશ્વરને આપે છે. ઈશ્વરે માણસને સર્જ્યો એમ કહેવાય છે, પણ હકીકતમાં તો માણસે પોતાની નિષ્ક્રિયતા, દંભ, નબળાઈ અને નિષ્ફળતાને છાવરવા માટે ઈશ્વરને સર્જ્યો છે. પ્રમાદને કારણે નોકરી જાય તો એમાં ઈશ્વરનો સંકેત, ઘણી સંતતિ થાય તો એમાં ઈશ્વરની મરજી, ડાયાબિટીસથી મૃત્યુ થાય તો એમાં ઈશ્વરની ઇચ્છા. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત હોય કે ન હોય, પરંતુ માનવીઓનાં બહાનાંમાં તો એ વ્યાપ્ત છે જ. એ વારંવાર ઈશ્વરને હડફેટે ચડાવે છે. માથે આવેલાં દુ:ખો કે આપત્તિને પોતાનાં કર્મોનાં ફળ સમજવાને બદલે એ એમાં ઈશ્વરનું કાવતરું જુએ છે. ગમતું બને તેનું કારણ પોતે, અણગમતું જે કંઈ થાય તે બધું ઈશ્વરને કારણે. ઈશ્વર આ માનવીની બહાનાંબાજી જોઈને કાં તો ખડખડાટ હસતો હશે અથવા તો એનાથી કંટાળીને થાકીને લોથપોથ થઈ ગયો હશે !
ખ્યાતનામ ધારાશાસ્ત્રી, આઝાદી માટેના આંદોલનના અગ્રણી મેવાળ નેતા અને સમાજસુધારક તરીકે જાણીતા મહાદેવ રાનડેના પિતા કોલ્હાપુર રિયાસના મંત્રી હતા. તેમની માતાનું નામ ગોપિકાબાઈ હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ નાશિકની ઍંગ્લોવર્નાક્યુલર શાળામાંથી પ્રાપ્ત કર્યું હતું. મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી તેઓ ૧૮૬૨માં સ્નાતક થયા હતા. ૧૮૬૪માં અનુસ્નાતક અને ૧૮૬૫માં તેમણે કાયદાશાસ્ત્રીની પદવી પણ હાંસલ કરી હતી. ૧૮૬૮માં તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા અને ઇતિહાસ, ભૂગોળ, અંગ્રેજી, ગણિત, તર્કશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર – એમ વિવિધ વિષયોનું અધ્યાપન કર્યું હતું. મહાદેવ રાનડે ૧૮૭૧માં બ્રિટિશ સરકારની જ્યુડિશિયલ સર્વિસમાં જોડાયા હતા અને ૧૮૭૩માં તેમને પ્રથમ વર્ગના ન્યાયાધીશ તરીકે બઢતી પણ મળી હતી. ૧૮૮૫માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના થતાં તેમાં પણ તેઓ સભ્ય તરીકે જોડાયા હતા. ત્યારબાદ તેઓ ૧૮૮૬માં ફાઇનાન્સ કમિશનના સભ્યપદે અને ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરના પદ પર પણ નિમાયા હતા. ૧૮૯૩માં બઢતી પામી તેઓ મુંબઈની વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયા તે ઘટના જ સ્વયં બહુમાનરૂપ ગણાય તેવી સ્થિતિ હતી. ૧૮૯૬માં પુણે ખાતે ડેક્કન સભાની સ્થાપના કરવામાં પણ તેઓ અગ્રેસર હતા. ત્યારબાદ મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજમાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા હતી. જ્યાં તેમણે સમાજસુધારાની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. મહાદેવ રાનડે એકેશ્વરવાદી હોવાની સાથે વ્યાયામપ્રવૃત્તિને પણ ખૂબ જ મહત્ત્વ આપતા હતા. ૧૮૬૪થી ૧૮૭૧ દરમિયાન મુંબઈથી પ્રકાશિત થતા આંગ્લ-મરાઠી દૈનિક ‘ઇન્દુપ્રકાશ’ના અંગ્રેજી કૉલમના પણ તેઓ સંપાદક હતા. ‘સાર્વજનિક સભા રિપોર્ટ ઑન મટીરિયલ કન્ડિશન ઇન મહારાષ્ટ્ર’ (૧૮૭૨), ‘રેવન્યૂ મૅન્યુઅલ ઑફ ધ બ્રિટિશ એમ્પાયર ઇન ઇન્ડિયા’ (૧૮૭૭) અને ‘એસેઝ ઇન ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ (૧૮૭૯) તેમના અર્થતંત્રને આવરી લેતા નોંધપાત્ર ગ્રંથો છે.
યુદ્ધ દરમિયાન માંદા તથા ઈજા પામેલા સૈનિકોને રાહત આપવા તથા તેમની સાથે માનવીય વ્યવહાર કરવા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે સધાયેલી સમજૂતી. મૉનિયર તથા ડૉક્ટર હેન્રી ડૂનાં નામના ૨ સ્વિસ નાગરિકોના પ્રયાસોના પરિણામે ૨૬ ઑક્ટોબર, ૧૮૬૩ના રોજ જિનીવા ખાતે મળેલી ૧૪ રાષ્ટ્રોની પરિષદમાં આ સમજૂતી સધાયેલી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ દરમિયાન ઘવાયેલા તથા બીમાર પડેલા સૈનિકોની યાતના અને વેદના ઘટાડવા આંતરરાષ્ટ્રીય સ્તરે શિષ્ટાચારના કેટલાક નિયમોને સ્વીકૃતિ આપવાનો હતો. જૂન ૧૮૫૯ની ફ્રાંસ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સૉલ્ફારિનો ખાતેની લડાઈ દરમિયાન કમકમાટી ઉપજાવે તેવાં ભીષણ દૃશ્યો જોઈને ડૉક્ટર હેન્રીનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. મૉનિયરની મદદથી તેમણે એક સંગઠન ઊભું કરી ઍમ્બુલન્સ વાહનો તથા ઘવાયેલા સૈનિકોની સારવારનાં સ્થળો પરસ્પર હુમલાથી મુક્ત રાખવામાં આવે તે માટે ઝુંબેશ શરૂ કરી હતી. ૨૨ ઑગસ્ટ, ૧૮૬૪ના રોજ યોજાયેલ ૧૨ રાષ્ટ્રોના સંમેલનમાં થયેલી સમજૂતી જિનીવા સમજૂતી તરીકે ઓળખાય છે. નેધરલૅન્ડના હેગ નગરમાં ૧૮૯૯ તથા ૧૯૦૭માં યોજાયેલી ૨ પરિષદો હેગની શાંતિ પરિષદો તરીકે જાણીતી થઈ હતી. પ્રથમ પરિષદમાં યુદ્ધ અંગેની આચારસંહિતા નિર્ધારિત કરવામાં આવી હતી, જ્યારે બીજી પરિષદમાં ૨ રચનાત્મક પગલાં લેવામાં આવ્યાં હતાં : (૧) આંતરરાષ્ટ્રીય વિવાદોનો શાંતિપૂર્ણ નિકાલ થાય તે માટેની સમજૂતી અંગે પુનર્વિચારણા; (૨) કરારગત દેવાની વસૂલાત માટે બળપ્રયોગ કરવા પર મુકાયેલી મર્યાદાનું પાલન કરવા સારુ નવી સમજૂતી.
જિનીવા સમજૂતી
જિનીવા સમજૂતીની મુખ્ય કલમો નીચે મુજબ છે : (૧) યુદ્ધસમયમાં ક્ષેત્રીય તથા મુખ્ય હૉસ્પિટલોની અને બીમાર તથા ઘવાયેલા સૈનિકોની હેરફેર કરતાં ઍમ્બુલન્સ વાહનોની તે કાર્યવાહી દરમિયાન નિષ્પક્ષતા સંપૂર્ણપણે માન્ય રાખવી જોઈએ. (૨) જાહેર સુખાકારી માટેના કર્મચારીઓ સહિતનાં તમામ તબીબી કર્મચારીગણ ને સ્વયંસેવકો, પરિચારિકાઓ તથા ઈજાગ્રસ્તોને મદદ કરતા દેશના નાગરિકો અને યુદ્ધક્ષેત્રના તથા હૉસ્પિટલમાંના ઈજાગ્રસ્તોને દુશ્મન લેખવા જોઈએ નહિ અને તેમને તેમનાં અંગત સાધનો તથા ઍમ્બુલન્સ વાહનો લાવવા-લઈ જવાની છૂટ આપવી જોઈએ. (૩) બીમાર તથા ઘવાયેલા સૈનિકોનાં આશ્રયસ્થાનોને સૈનિકોના મુકામ ગણવા જોઈએ નહિ. (૪) સાજા થઈ ગયેલા સૈનિકોને પોતપોતાના સ્વદેશ પાછા મોકલી આપવા જોઈએ. (૫) બીમાર અને ઘવાયેલા સૈનિકોને તથા શરણાર્થી શિબિરવાસીઓની સારવાર તથા આશ્રય માટેની હૉસ્પિટલો તથા સ્થળો પર તેમજ ઍમ્બુલન્સ વાહનો પર પોતાના દેશનો ધ્વજ તથા સફેદ પશ્ચાદભૂમાં લાલ રંગનો ક્રૉસ દર્શાવેલો હોવો જોઈએ. તબીબી કર્મચારીગણે એ જ ડિઝાઇનની બાંયપટ્ટી (arm band) પહેરવી જોઈએ. (૬) આ કરાર હેઠળ રક્ષણ પામેલી બીમાર કે ઘવાયેલી વ્યક્તિઓ, મકાનો તથા સાધનસામગ્રી અંગે વળતો હુમલો કરવામાં આવશે નહિ. (૭) તબીબી સારવાર માટેનાં વિમાનો યુદ્ધમાં સંડોવાયેલાં રાષ્ટ્રોએ ચોક્કસ સમજૂતી કર્યા મુજબની ઊંચાઈએ, સમયે તથા માર્ગ પર ઊડી રહ્યાં હોય તો તેના પર હુમલો કરવામાં આવશે નહિ. (૮) લશ્કરી હૉસ્પિટલ કે જહાજો વગેરે પર હુમલો કરવામાં આવશે નહિ, તેમને બાનમાં લેવાશે નહિ, શરત એ કે તેમણે પોતાનાં નામ તથા પોતાની ઓળખાણ અંગે યુદ્ધમાં સંડોવાયેલ પક્ષોને વહાણોની સેવા લીધાના ૧૦ દિવસ અગાઉ જાણ કરી હોવી જોઈએ. શત્રુપક્ષ દ્વારા પકડાયેલા સૈનિકોએ પોતાનું નામ, જન્મતારીખ, સર્વિસ નંબર તથા હોદ્દા અંગે જ જાણ કરવાની હોય છે. યુદ્ધકેદીઓ સાથે માનવતાભર્યું વર્તન કરવાનું હોય છે. તેમના માટે ભોજન, કપડાં તથા રહેઠાણની વ્યવસ્થા તેમને બંદી બનાવનાર દેશે કરવાની હોય છે. અધિકારીઓ સિવાયના યુદ્ધકેદીઓ પાસેથી, બંદી બનાવનાર પક્ષ યુદ્ધ સાથે સીધી રીતે સંકળાયેલું ન હોય તેવું કામ પણ લઈ શકે અને આવા કામના બદલામાં તેમને વળતર પણ ચૂકવવાનું રહે. જિનીવા સમજૂતી પર સહી કરનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આમ, ૧૮૬૪માં થયેલી પ્રથમ સમજૂતી પછી ૧૯૦૬, ૧૯૨૯, ૧૯૪૯ અને ૧૯૭૭નાં વર્ષો દરમિયાન એમાં બીજી કેટલીક નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી હતી.