Categories
વાચન સમૃદ્ધિ

વૃંદાવનલાલ વર્મા

જ. ૯ જાન્યુઆરી, ૧૮૮૯ અ. ૨૩ ફેબ્રુઆરી, ૧૯૬૯

હિન્દી નાટ્યકાર તથા નવલકથાકાર વૃંદાવનલાલનું ઐતિહાસિક અને પૌરાણિક ઉપન્યાસના વિકાસ માટે યોગદાન મહત્ત્વનું છે. તેઓએ ઐતિહાસિક ઘટનામાં અને પાત્રોની પ્રમાણભૂતતાની પરખ કરીને તેનો ઉપયોગ પોતાની નવલકથાઓમાં કર્યો છે. તેઓ ઐતિહાસિક નવલકથાકાર તરીકે પ્રખ્યાત છે અને ભારતીય સંસ્કૃતિમાં આસ્થા રાખનારા રચનાકાર છે. એમણે મધ્યકાળનો સમય પસંદ કર્યો છે. જે અરાજકતા અને અંધકારનો માહોલ છે. પંદરમી સદીમાં સિકંદર લોદીના સમયમાં ગુજરાત, માલવા, રાજસ્થાન વગેરેમાં અરાજકતા હતી. તે સમયે સ્ત્રીઓનાં અપહરણ, મારફાડ, વટાળપ્રવૃત્તિ જેવી દુનીતિઓ વચ્ચે ગ્વાલિયરના રાજવી માનસિંહ તોમર અને એમની રાણી મૃગનયનીનાં પ્રેમ, શૌર્ય અને ઉચ્ચ મૂલ્યોની કથા ‘મૃગનયની’ નવલકથામાં પ્રસ્તુત કરી છે. ‘રાની દુર્ગાવતી’, ‘વિરાટ કી પદ્મિની’, ‘કચનાર’ અને ‘ભુવન વિક્રમ’ જેવી ઐતિહાસિક નવલકથાઓ જાણીતી છે. તેમની નવલકથાઓમાં પ્રેમ અને યુદ્ધ કેન્દ્રમાં છે, જેના કારણે ઇતિહાસ વધારે રસિક બને છે. તેમની નવલકથાઓમાં બુંદેલખંડનાં લોકજીવન, પ્રકૃતિ અને પરિવેશનું જીવંત ચિત્રણ કર્યું છે. તેઓને ઉત્કૃષ્ટ સાહિત્ય માટે હિન્દી સાહિત્ય સંમેલન તથા આગ્રા વિશ્વવિદ્યાલય તરફથી ડિ.લિટ.ની માનદ પદવી મળી છે. ભારત સરકાર દ્વારા તેઓને ‘પદ્મભૂષણ’નો ખિતાબ મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય જગતમાં તેઓના કામની પ્રશંસા થઈ છે. ‘ઝાંસી કી રાની’ માટે તેઓને ‘સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર’ પ્રાપ્ત થયો હતો. તેમની લખેલી સામાજિક ઉપન્યાસ પર આધારિત હિન્દી ફિલ્મ ‘સંગમ’ અને ‘લગાન’ બની છે. એમની નવલકથાઓનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

કડવી ચીરનું સુખ !

મહમૂદ ગઝનવીને પોતાના એક ગુલામ પર અત્યંત વિશ્વાસ હતો. રાત્રે પોતાના ખંડમાં એ કોઈ બેગમને સૂવા દેતો નહોતો, પણ આ વિશ્વાસપાત્ર ગુલામને સુવાડતો હતો. એને ડર રહેતો કે કદાચ કોઈ બેગમ દુશ્મન સાથે ભળી ગઈ હોય અને એની હત્યા કરી નાખે અથવા તો કોઈ બેગમ દ્વેષથી એને ઝેર પિવડાવી દે તો શું થાય ? એક વાર એક જંગલમાં આ ગુલામ સાથે શિકાર ખેલવા ગયેલો મહમૂદ ગઝનવી રસ્તો ભૂલ્યો. ખૂબ ભૂખ લાગી. પાસેનું ખાવાનું ખૂટી ગયું. એવામાં એક બગીચો જોયો. એના એક વૃક્ષ પર એક પાકેલું ફળ જોયું. બાદશાહ અને ગુલામ બંને ખૂબ ભૂખ્યા હતા. મહમૂદ ગઝનવીએ એ ફળ તોડ્યું અને એનો પહેલો ટુકડો ગુલામને ખાવા આપ્યો. આમેય એ પોતાનું ભોજન લેતાં પહેલાં દરેક વાનગીમાંથી થોડું ગુલામને ખાવા આપતો અને પછી પોતે ભોજન લેતો. આથી ખોરાકમાં ઝેર ભેળવ્યું હોય તો પોતાને કશો વાંધો ન આવે. એમાં પણ આ ફળ કયા પ્રકારનું છે એની બેમાંથી કોઈને જાણ ન હતી. કોઈ ઝેરી ફળ હોય તો શું થાય ? મહમૂદ ગઝનવીએ ફળની પહેલી ચીરી કરીને ગુલામને આપી. ગુલામ એ ચીર ખાઈ ગયો અને બીજી માગી. પછી ત્રીજી, ચોથી અને પાંચમી ચીર ગુલામ માગતો જ ગયો અને મહમૂદ ગઝનવીએ એને આપી. હવે છેલ્લી ચીર રહી હતી. ગુલામે એ માગી. બાદશાહે પ્યારા ગુલામને કહ્યું, ‘આ એક બાકી રહેલી છેલ્લી ચીર તો મને ખાવા દે.’ ગુલામે કહ્યું, ‘ના માલિક. મને ખાવા દો. મને આપો. એમ કહીને બાદશાહના હાથમાંથી એ ચીર છીનવી લેવાની કોશિશ કરી.’ મહમૂદ ગઝનવી અકળાયો. બાદશાહ સામે આવી ગુસ્તાખી ! આ ગુલામને એની હેસિયત અને મારી ભૂખનો કશો ખ્યાલ નથી ! આથી ગુલામ હાથમાંથી ચીર ઝડપે એ પહેલાં પોતે જ એને મોંમાં મૂકીને ખાવા લાગ્યા. તરત જ મોંમાંથી એ ચીર ફેંકી દેતાં મહમૂદે કહ્યું, ‘અરે ! આ તો કડવી ઝેર જેવી ચીર છે અને તું આટલી બધી ચીર ખાઈ ગયો ? કહેવું તો હતું કે કડવું વખ ફળ છે. તું તો વધુ ને વધુ માગતો રહ્યો. જાણે કોઈ અમૃત ફળ ન હોય !’ ગુલામે કહ્યું, ‘બાદશાહ, જિંદગીમાં ઘણી મધુર ચીજો આપના હાથે આપી છે. એનાથી મારી જિંદગી રોશન થઈ છે. એકાદ કડવી ચીજ એ જ હાથ પાસેથી મળે તો તેમાં વાંધો શું ? તમારા હાથે મને કેટલું બધું સુખ આપ્યું છે ? હવે એની પાસેથી થોડુંક દુઃખ મળે તો તે પણ સદભાગ્ય ગણાય. જે કંઈ આપના હાથના સ્પર્શથી મળે, તે બધાથી હું ધન્યતા અનુભવું છું.’

માનવી જીવનમાં પોતાના સ્વજનો પાસેથી સદૈવ સુખની આશા રાખે છે, કિંતુ પૂર્ણ સુખ કદી કોઈને પ્રાપ્ત થયું છે ખરું ? સુખના સાગરમાં દુ:ખની સરિતાનો સંગમ સધાતો હોય છે. મધુર ફળોની સાથે ક્યારેક કડવી ચીર પણ ખાવી પડે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

શ્રીમદભગવદગીતા

મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પૂર્વે શ્રીકૃષ્ણાર્જુનસંવાદ રૂપે શ્લોકબદ્ધ રીતે બ્રહ્મવિદ્યાનું સારતત્ત્વ રજૂ કરતો હિન્દુઓનો મુખ્ય ધર્મગ્રંથ. આમ ભવસાગરને તરી જવાની કળા –જીવનકળા શીખવતો સર્વ ઉપનિષદોના દોહનરૂપ આ આધ્યાત્મિક – ધાર્મિક ગ્રંથ છે. મહાભારતના તે અંગરૂપ છે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે પહેલાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર જ્યારે પાંડવો અને કૌરવોનાં સૈન્યો સામસામે ગોઠવાઈ ગયાં અને યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં હતું ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પાંડવપક્ષના સેનાની અર્જુનને તે જ્યારે સ્વજનોને હણવા માટેની અનિચ્છા વ્યક્ત કરીને વિષાદમાં ઊતરી ગયો ત્યારે મહાભારતનું ધર્મયુદ્ધ લડવા માટે ઉપદેશ આપે છે. આ ઉપદેશ અઢાર અધ્યાયના સાતસો શ્લોકો દ્વારા પ્રશ્નોત્તર સ્વરૂપે –શ્રીકૃષ્ણાર્જુનસંવાદ રૂપે રજૂઆત પામ્યો છે. એમાં વિશેષ વક્તવ્ય તો શ્રીકૃષ્ણનું જ છે. ગીતામાં જીવ, જગત અને બ્રહ્મના સંદર્ભમાં મનુષ્યના સ્વધર્મની ચર્ચા કરવામાં આવી છે. દેશ, કાળ કે સંપ્રદાયની મર્યાદાથી બંધાયા વિના એમાં વ્યાપક દૃષ્ટિથી અંતરાત્મા અને પરમાત્માના સંબંધ-સંવાદની, જીવ-શિવના આધ્યાત્મિક યોગસંબંધની વિચારણા કરવામાં આવી છે.

શ્રીકૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ કરે છે

ૠષિમુનિઓએ જેટલું પણ તત્ત્વજ્ઞાન આપ્યું છે એ બધું જ વનોમાં, ડુંગરાઓની ગુફાઓ કે કંદરાઓમાં રહીને આપ્યું છે; પરંતુ ગીતાનું જ્ઞાન તો યુદ્ધના મેદાનમાં બંને સેનાઓ વચ્ચે ઊભા રહીને સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જ આપવામાં આવ્યું છે ! ગીતામાં મહાભારતના અઢાર પર્વની જેમ અઢાર અધ્યાયો છે. છ છ અધ્યાયના ત્રણ ખંડમાં તેને વહેંચી શકાય. આ ગ્રંથમાં યુગધર્મનું મહત્ત્વ સમજાવતા છ છ અધ્યાયોની એક એવી કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિ-વેણી ગૂંથાયેલી જોઈ શકાય છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સુંદર સમન્વય સધાયેલો છે. ગીતા ગાઈ શકાય તેવું સુંદર કાવ્ય છે. તેનું પઠન અને મનન જ્યારે જ્યારે કરવામાં આવે ત્યારે એક નવું સાર્થક જીવન જીવવાની ચાવી તેના પઠનકર્તાને મળી રહે છે. આ ગ્રંથમાંથી યોગેશ્વર શ્રીકૃષ્ણનો મહિમા પણ પામી શકાય છે. વિનોબાજી ગીતાને ‘ગીતા આઇ(મા)’ કહેતા હતા. ‘દરેક દુ:ખ, દરેક પીડા માટે ગીતા આઇના શરણમાં જાઓ’ તેવું તેઓ કહેતા હતા. ગાંધીજી પણ કહેતા હતા કે, ‘ગીતા મારી માતા સમાન છે. મને જ્યારે મુશ્કેલીઓ સતાવે ત્યારે હું મારી માતાના ખોળામાં ચાલ્યો જાઉં છું, મને મારા તમામ પ્રશ્નોના હલ મળી જાય છે.’ ગીતાને હિન્દુ ધર્મનો પ્રતિનિધિ ગ્રંથ માનવામાં આવે છે. જૂના વખતમાં તો ઉપનિષદ, બ્રહ્મસૂત્ર સાથે ગીતાનો આધાર લઈ જીવ, જગત અને બ્રહ્મના સ્વરૂપ-સંબંધ વિશે પોતાની આગવી તત્ત્વવિચારણા રજૂ કરવી એ આચાર્યપદની માન્યતા માટે જરૂરી લેખાતું હતું. તે ભારતીય અધ્યાત્મના આધારભૂત ગ્રંથોમાંનો એક છે. આ કારણે જ કોર્ટમાં ગીતાના સોગંદ લેવડાવવામાં આવે છે. લોકમાન્ય ટિળકની દૃષ્ટિએ ગીતામાં કર્મયોગની, ગાંધીજીની દૃષ્ટિએ અનાસક્તિયોગની અને વિનોબાની દૃષ્ટિએ સામ્યયોગની ભૂમિકા મહત્ત્વની છે. ભગવદગીતાનો વ્યાપક પ્રભાવ ભારતની સર્વ ભાષાઓના આધ્યાત્મિક સાહિત્ય પર પડેલો જોઈ શકાય છે. વળી તેના અનેક અનુવાદો તેમ જ ટીકાભાષ્યો વગેરે મળતાં રહ્યાં છે. ભગવદગીતાના આધારે ગુજરાતી તેમ જ અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ગીતાસ્વરૂપનો એક કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

શુભ્રા દેસાઈ