Categories
વાચન સમૃદ્ધિ

વિજયગુપ્ત મૌર્ય

જ. ૨૬ માર્ચ, ૧૯૦૯ અ. ૧૦ જુલાઈ, ૧૯૯૨

પ્રાણીજીવન, કીટકજીવન અને વિજ્ઞાનનાં પુસ્તકો બાલભોગ્ય – કિશોરભોગ્ય શૈલીમાં આપનાર સાહિત્યકાર. તેઓએ વિજ્ઞાનને લોકભોગ્ય અને પ્રસિદ્ધ કરતાં કેટલાંયે પુસ્તકો અને લેખો લખ્યા હતા. તેમનો જન્મ પોરબંદર ખાતે થયો હતો. તેઓનું મૂળ નામ વિજયશંકર મુરારજી વાસુ હતું. તેમનાં લગભગ દસેક ઉપનામ હતાં, પણ જાણીતા થયા ‘વિજયગુપ્ત મૌર્ય’ના નામે. તેમણે માધ્યમિક શિક્ષણ ભાવિંસહજી હાઈસ્કૂલ, પોરબંદર ખાતે લીધેલું અને કાનૂનનું શિક્ષણ મુંબઈ ખાતે લીધું. ૧૯૩૩માં પોરબંદર પરત ફરી વકીલાત શરૂ કરી. ચાર વર્ષ પછી તેઓ બ્રિટિશ અદાલતમાં ન્યાયાધીશ બન્યા. ૧૯૪૪માં ડૉ. વસંત અવસરે નામના સ્વાતંત્ર્યસેનાની પોરબંદર આવ્યા અને પોતાનો કેસ લડવા માટે વિજયગુપ્ત મૌર્યને જણાવ્યું. જોકે તેઓ ત્યારે ન્યાયાધીશના હોદ્દા પર હોવાથી આ કેસ લડી શકે તેમ ન હતા. આથી તેમણે ન્યાયાધીશના હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને વકીલ તરીકે ડૉ. અવસરેનો કેસ હાથમાં લીધો. આ રીતે વિજયગુપ્ત મૌર્યની ન્યાયાધીશ તરીકેની કારકિર્દીનો અંત આવ્યો. ત્યારબાદ તેઓએ મુંબઈમાં રહેવાનો નિર્ણય કર્યો. તેઓએ ત્યાં ગોરધનદાસ શેઠની પેઢીમાં મહિને ૭૫ રૂ.ના પગારે ટાઇપિસ્ટ તરીકેની નોકરી લીધી. આર્થિક સમસ્યાઓ વચ્ચે પણ તેઓએ ‘પ્રકૃતિ’ સામયિક માટે લખવાનું શરૂ કર્યું. ત્યારબાદ ‘જન્મભૂમિ’ ગુજરાતી અખબાર માટે લખવાની તક મળી. તેઓએ ‘જન્મભૂમિ પ્રવાસી’ના છેલ્લા પાના પર પક્ષીઓ અને પ્રાણીઓ વિશે લેખ લખવાનું ચાલુ કર્યું. ત્યાર પછી તે આખું પાનું સંભાળતા. જેમાં તેઓએ વિજ્ઞાન, સમુદ્રસૃષ્ટિ, બ્રહ્માંડ, વનસ્પતિજગત એવા વિવિધ વિષયો પર રસપ્રદ માહિતીવાળી સામગ્રી લખાણમાં મૂકી. તેમનું પહેલું પુસ્તક ‘પ્રિન્સ બિસ્માર્ક’ (૧૯૫૩) ચરિત્રલક્ષી હતું. ઈ. સ. ૧૯૮૩માં ‘સરકસ ડૉક્ટરનાં રોમાંચક સાહસો’ તેમનું વિશિષ્ટ પ્રદાન છે. તેઓએ ગુજરાતીમાં વિજ્ઞાનનાં ઘણાં પુસ્તકો લખ્યાં હતાં. તેઓના પુત્રો નગેન્દ્ર અને ભારદ્વાજે પિતાની કારકિર્દી અપનાવી અને તેમનું કાર્ય આગળ ધપાવ્યું.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

સાંધીને પણ પહેરીશું

સ્થિત-વિદ્યુત(સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી)નો સિદ્ધાંત આપનાર પ્રસિદ્ધ વિજ્ઞાની, પ્રકાશક, સંશોધક અને અમેરિકાની સ્વતંત્રતાનું જાહેરનામું તથા અમેરિકાનું બંધારણ ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર બેન્જામિન ફ્રેન્કલિન બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. પોતાનાં જુદાં જુદાં વ્યાપારી સાહસોમાંથી પૂંજી મેળવીને તેમણે વિદ્યુત અંગે પ્રયોગો કર્યા. કેટલીક શોધો કર્યા બાદ બેન્જામિન ફ્રેન્કલિને મુત્સદ્દી તરીકે કામગીરી બજાવી. તેમણે ઈ. સ. ૧૭૫૦થી ૧૭૭૦ સુધી લંડનમાં વસવાટ કર્યો, પરંતુ ત્યાં તેઓ અમેરિકી વસાહતોનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા. આ સમયે અમેરિકા આઝાદીની લડત લડી રહ્યું હતું અને બેન્જામિન ફ્રેન્કલિન લંડનમાં રહ્યે રહ્યે એ ક્રાંતિના સક્રિય સમર્થક બની રહ્યા. બ્રિટને ‘સ્ટૅમ્પ ઍક્ટ’ નામનો કાયદો લાગુ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે અમેરિકામાં આનો પ્રબળ વિરોધ થયો. ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે આ અંગે એક સમિતિ નીમી અને એ સમિતિમાં અમેરિકાના પ્રતિનિધિ તરીકે બેન્જામિન ફ્રેન્કલિન હતા. એમને પૂછવામાં આવ્યું કે ‘અમેરિકનો પહેલાં કઈ બાબતમાં ગૌરવ અનુભવતા હતા?’ બેન્જામિન ફ્રેન્કલિન ઇંગ્લૅન્ડના એના પ્રભુત્વ હેઠળના દેશોમાં કપડાંની ઇજારાશાહી લાદવાના પ્રયત્નથી વાકેફ હતા, તેથી એમણે કહ્યું, ‘પહેલાં અમેરિકનો ઇંગ્લૅન્ડનાં ફૅશનેબલ કપડાં પહેરવામાં ગૌરવ માનતા હતા.’  એમને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, ‘અમેરિકનો હાલ શેમાં ગૌરવ માને છે ?’ બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું, ‘હવે અમે અમેરિકનો અમારા જ દેશનાં કપડાં પહેરવામાં ગૌરવ માનીએ છીએ. અને કદાચ જો નવાં ન મળે, તો સાંધીને પણ પહેરવાનું અમને ગમે છે.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

વિમલાતાઈ ઠકાર

જ. ૨૫ માર્ચ, ૧૯૨૩ અ. ૧૧ માર્ચ, ૨૦૦૯

સત્યના અધિષ્ઠાન આધારિત અધ્યાત્મનો પુરસ્કાર કરનાર દાર્શનિક. જન્મ સમયે તેમનું નામ ‘દુર્ગા’ પાડેલું, પરંતુ પાછળથી વિધિવત્ ‘વિમલા’ નામ પાડવામાં આવ્યું. ત્યારબાદ અનુયાયીઓ અને પ્રશંસકોએ ‘વિમલાતાઈ’ નામ પ્રચલિત કર્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહારાષ્ટ્રના વર્હાડ પ્રદેશના અકોલા નગરમાં થયું હતું. ત્યારબાદ નાગપુરની મહિલા કૉલેજમાંથી બી.એ. તથા મૉરિસ કૉલેજમાંથી દર્શનશાસ્ત્રના વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. આ દરમિયાન મરાઠી તથા અંગ્રેજી નાટકોમાં અભિનય પણ કર્યો. સાથે વૉલીબૉલ, બાસ્કેટબૉલ તથા ખો ખો જેવી રમતોમાં પણ ભાગ લેતાં તથા વક્તૃત્વસ્પર્ધામાં પણ પુરસ્કાર મેળવતાં. કૉલેજમાંથી અમેરિકામાં યોજાયેલ ‘વર્લ્ડ ઍસેમ્બ્લી ઑફ યૂથ’માં આપણા દેશની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કર્યું તથા ‘વર્લ્ડ કાઉન્સિલ ઑફ યંગ વિમેનની વૈશ્વિક પરિષદમાં ભાગ લેવા ઉપરાંત તેના એક સત્રનાં અધ્યક્ષ પણ રહ્યાં હતાં. ‘યુનેસ્કો’ દ્વારા પ્રતિનિધિત્વ પ્રાપ્ત થતાં જિનીવા ખાતે યોજવામાં આવેલી યુવાપરિષદમાં પણ ભાગ લીધો હતો.

વિનોબાજીથી પ્રભાવિત હોવાથી પદયાત્રામાં પણ અચૂક જોડાતાં. આથી દાદા ધર્માધિકારી, વિનોબા, જયપ્રકાશ નારાયણ ઉપરાંત જે. કૃષ્ણમૂર્તિ સાથે વિચારમંથનની બેઠકોમાં ભાગ લેતાં. ૧૯૭૫માં જ્યારે દેશમાં કટોકટીની જાહેરાત થઈ ત્યારે જયપ્રકાશ નારાયણ સાથે વિરોધ કરનારાંઓમાં તેઓ પણ મોખરે હતાં. વિમલાતાઈએ કોઈ સંપ્રદાય, મઠ કે આશ્રમની સ્થાપના કરી નથી. તેઓ ઘણાં વર્ષોથી આબુ પર્વત પર એકાંતમાં નિવાસ કરતાં હતાં અને અધ્યાત્મ-ચિંતનમાં જ સમય પસાર કરતાં હતાં. ત્યાં એમણે એક સભાગૃહ બંધાવ્યું છે અને જરૂર પડે ચિંતન-બેઠકો, શિબિરો અને પરિસંવાદો યોજાય છે. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત બિરાદરી, વિમલ પ્રકાશન અને જીવનયોગ ફાઉન્ડેશન જેવી પ્રવૃત્તિઓ ચાલતી. તેમના પ્રકાશિત ગ્રંથોમાં ૫૮ અંગ્રેજી, ૫૮ ગુજરાતી, ૪૩ હિંદી અને ૧૦ મરાઠી ભાષામાં છે. તેમના કેટલાક ગ્રંથો ડચ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન તથા સ્પૅનિશ ભાષામાં પણ છે. તેમાં ‘લિવિંગ અ ટ્રુલી રીલિજિયસ લાઇફ’ વિશેષ ધ્યાનાકર્ષક છે. ‘જીવનયોગ ગુજરાતી સામયિક, ‘જીવન પરિમલ’ હિંદી સામયિક અને ‘કૉન્ટેક્ટ વિથ વિમલા ઠકાર’થી તેમના ચિંતનનો પ્રસાર-પ્રચાર થતો રહેતો. તેમનાં પ્રવચનો અને પ્રશ્નોત્તરીની કૅસેટો પણ બહાર પાડવામાં આવેલી.

અશ્વિન આણદાણી