Categories
વાચન સમૃદ્ધિ

શહીદનો પિતા

સ્પેનમાં આંતરવિગ્રહનો ચરુ ઊકળતો હતો. સ્પેનની સરકાર અને સામ્યવાદી પક્ષ વચ્ચે ભીષણ આંતરવિગ્રહ ચાલતો હતો. સ્પેનની સેનાનું નેતૃત્વ કર્નલ માર્સ્કરાડો કરતા હતા. કર્નલ પાસે લશ્કરી વ્યૂહરચનાની આગવી કુનેહ હતી. એમની કાબેલિયતને પરિણામે સામ્યવાદીઓને ઠેરઠેરથી ઘોર પરાજય સહન કરવા પડ્યા. દુશ્મનોએ સ્પેનના લશ્કરના કર્નલ માર્સ્કરાડોના પુત્ર ઇમેન્યુઅલનું અપહરણ કર્યું. સ્પેનની રાજધાની મૅડ્રિડમાં અભ્યાસ કરતા ઇમેન્યુઅલનું અપહરણ કર્યા બાદ સામ્યવાદી દળોએ કર્નલને ચીમકી આપતાં કહ્યું, ‘તારો પુત્ર ઇમેન્યુઅલ અમારા કબજામાં છે. જો એને જીવતો રાખવા ચાહતો હોય, તો રાજધાની મૅડ્રિડમાંથી તમારી સેના હટાવી લો. અમારે શરણે આવો, મૅડ્રિડ અમારે હવાલે કરી દો.’ રાષ્ટ્રભક્ત કર્નલ માર્સ્કરાડોએ વિરોધીઓને આનો ઉત્તર આપતાં લખ્યું, ‘મને દેશની પહેલી ચિંતા છે, દીકરાની નહીં. રાષ્ટ્ર પ્રત્યેના મારા કર્તવ્યમાંથી હું સહેજે ચલિત નહીં થાઉં. અપહૃત ઇમેન્યુઅલને તમે ઇચ્છો તે સજા કરી શકો છો.’ સામ્યવાદી દળો તો આ ઉત્તર સાંભળીને અકળાઈ ઊઠ્યાં. એમને થયું કે કર્નલની સાથે એમનો લાચાર પુત્ર વાત કરશે, એટલે એની સાન ઠેકાણે આવશે. ઇમેન્યુઅલને વાત કરવા માટે ફોન આપવામાં આવ્યો, ત્યારે એણે એના પિતાને કહ્યું, ‘પિતાજી, દુશ્મનોએ છળકપટથી મારું અપહરણ કર્યું છે અને હવે મને સતત મારી નાખવાની ધમકી આપે છે.’ માર્સ્કરાડોએ એના પુત્રને રાષ્ટ્રપ્રેમીને છાજે તેવા શબ્દોમાં કહ્યું, ‘દીકરા, રાષ્ટ્ર પ્રત્યેના મારા કર્તવ્યને તું જાણે છે. તારી ફરજનો પણ તને પૂરો ખ્યાલ છે અને તેથી જ એક શહીદના પિતા તરીકે ઓળખાવું મારે મન મહાન ગૌરવભરી બાબત બની રહેશે.’ આ સંવાદ સાંભળતાં સામ્યવાદી પક્ષના નેતાઓએ ઇમેન્યુઅલના કપાળમાં ગોળી મારીને એની હત્યા કરી. રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યમાં પિતા-પુત્ર એકેયે પાછી પાની કરી નહીં.

Categories
વાચન સમૃદ્ધિ

મંજુલાબહેન દવે

જ. ૧૯ જૂન, ૧૯૧૫ અ. ૧૪ નવેમ્બર, ૨૦૦૨

લગભગ ૫૦ વર્ષ સુધી પોતાનું જીવન મહિલાકલ્યાણની પ્રવૃત્તિઓ માટે સમર્પિત કરનાર નિષ્ઠાવાન કાર્યકર મંજુલાબહેનનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતા મણિશંકર રાવલ જામનગરની નવાનગર હાઈસ્કૂલમાં આચાર્ય હતા. ૧૯૩૧માં મૅટ્રિક થયા પછી તેમનાં લગ્ન ધ્રાંગધ્રાના જયંતભાઈ દેવશંકર દવે સાથે થયેલાં શ્વશુરગૃહે આવીને તેમણે સમાજસુધારાની શરૂઆત કરેલી. સૌની સંમતિ મેળવીને તેમણે લાજ કાઢવાની પ્રથા દૂર કરેલી. ૧૯૩૯માં અડ્યાર, ચેન્નાઈ જઈને મૉન્ટેસોરી પદ્ધતિનું શિક્ષણ મેળવેલું. ૧૯૪૭માં જામનગરની આર્યકન્યા વિદ્યાલયનાં પ્રથમ આચાર્ય તરીકે છ માસ રહેલાં. ૧૯૫૪-૫૫માં તેમણે એસએનડીટી યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવેલી. ૧૯૪૮માં સ્વતંત્ર સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન ઢેબરભાઈની રાહબરી હેઠળ તેમણે સ્ત્રી-કલ્યાણનાં અનેક કાર્યોમાં આગળ પડતી ભૂમિકા ભજવી હતી. તે જ વર્ષે જામનગરમાં મહિલામંડળની સ્થાપના થઈ. સરકાર અને દાનવીર શેઠ મેઘજી પેથરાજ શાહના દાનથી બીજી ઑક્ટોબર, ૧૯૫૭ના દિવસે જામનગરમાં ‘કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહ’ની સ્થાપના કરવામાં આવી. કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહને નિષ્ઠાવાન, કાર્યદક્ષ અને સેવાભાવી કાર્યકરો મળ્યા જેમાં મંજુલાબહેન દવે સૌથી મોખરે રહ્યાં. તેના મંત્રી અને પ્રમુખસ્થાને રહીને તેમણે ૩૭ વિભાગો વિકસાવેલા. ૧૯૫૭થી ૧૯૬૭ સુધી વિધાનસભાનાં સભ્ય હતાં. તેમણે કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડની યોજના હેઠળ જામનગર જિલ્લાનાં ગામડાંઓમાં મહિલા તથા બાલકલ્યાણની અનેક પ્રવૃત્તિઓ કરી હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી તેમને અનેક પુરસ્કારો તથા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ૧૯૮૩માં કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહ સંસ્થાને ગુજરાત સરકાર તરફથી બાલકલ્યાણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ સેવા માટેનો પુરસ્કાર આપવામાં આવેલો. તે ઉપરાંત ૧૯૮૯માં તેમને મહિલા સુરક્ષા પુરસ્કાર, ૧૯૯૨માં નારી સમાજસેવાનો યંગમૅન્સ ગાંધિયન ઍસોસિયેશન ઍવૉર્ડ તથા ૨૦૦૦માં ગ્રામસમાજ સેવા ટ્રસ્ટ(પાટડી)ના પુરસ્કારો મળ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સિનેગૉગ

યહૂદીઓનું ધાર્મિક સ્થાન.

‘સિનેગૉગ’ —- એક ગ્રીક શબ્દ છે. તેનો અર્થ થાય છે ‘લોકોની સભા’ (assembly of people) અથવા ‘ઉપાસના માટેની સભા’ (congregation). ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં બૅબિલૉનથી હાંકી કાઢેલા અને દેશવટો ભોગવતા યહૂદીઓએ મંદિરના સ્થાને તેની શરૂઆત કરી હતી, જ્યાં પ્રાર્થના ઉપરાંત ધાર્મિક ગ્રંથોનું અધ્યયન તથા ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવતું. સિનેગૉગ વિશાળ ઇમારત પણ હોઈ શકે અથવા નાનકડો ખાલી ઓરડો પણ હોઈ શકે, જ્યાં લોકો પ્રાર્થના માટે એકઠા થઈ શકે.

સિનેગૉગ, અમદાવાદ

યહૂદીઓના ધર્મ દ્વારા જે કેટલાંક પવિત્ર સ્થાનો માન્ય રાખવામાં કે સ્વીકારવામાં આવ્યાં છે તેમાં સિનેગૉગને સૌથી પવિત્ર સ્થળ ગણવામાં આવે છે. તેના મુખ્ય બે પ્રકાર છે : રૂઢિચુસ્ત સિનેગૉગ અને લિબરલ સિનેગૉગ. વિશ્વમાં જ્યાં જ્યાં સિનેગૉગ ઊભાં કરવામાં આવ્યાં છે ત્યાં ત્યાં તે દરેકમાં કેટલાંક સમાન અને વિશિષ્ટ પ્રતીકો જોવા મળે છે. તેમાં સૌથી જાણીતું પ્રતીક છે ‘ARK’. તેમાં યહૂદીઓ માટેના ધાર્મિક આચારવિચાર-વિષયક લખાણના વીંટા (scrolls) ભૂંગળમાં સુરક્ષિત રાખેલા હોય છે. તેની યહૂદી ધર્મના અનુયાયીઓ પૂજા-પ્રાર્થના કરતા હોય છે. એ ‘ARK’ની બરાબર સામે અથવા તો દરવાજાની અંદર સુંદર નકશીકામ કરેલો પડદો લટકાવવામાં આવે છે. ARKની ઉપરના ભાગમાં બે મેજ હોય છે. તેના પર ઈશ્વરની ‘દસ આજ્ઞાઓ’(Ten Commandments)ની નકલો મૂકેલી હોય છે. તેની જોડે પ્રકાશ આપતી અખંડ દીવી પેટાવેલી રહે છે. તેને હિબ્રૂ ભાષામાં ‘Ner-Tamid કહેવામાં આવે છે. દીવી ઈશ્વરની ઉપસ્થિતિનું પ્રતીક ગણાય છે. સિનેગૉગમાં સાત જ્યોતવાળો એક અન્ય દીવો પણ રાખવામાં આવે છે. તેને મિનોરા (minorah) કહેવામાં આવે છે. સાત જ્યોત એ સાત દિવસનું પ્રતીક રૂપ છે. ઈશ્વરે જગતનું સર્જન કરતાં સાત દિવસ લીધા હતા તેનો પણ તે સંકેત કરે છે. તેને દિવ્ય દૃષ્ટિ કે શાણપણ (devine wisdom) તરીકે પણ ઓળખવામાં આવે છે. સિનેગૉગમાં છ ખૂણાવાળા એક તારાનું આલેખન હોય છે. આ તારાને ડેવિડનો તારો કહે છે. હિબ્રૂ ભાષામાં તેને ‘મેગાન ડેવિડ’ કહે છે. તેને ‘શિલ્ડયૉન ડેવિડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. યહૂદી ધર્મનું આ પ્રતીક છે. તે છ દિશાઓનું સૂચન કરે છે. ‘ટેબા’ (Tebah), ‘અર્થાત્’, ‘પવિત્ર આર્કની સંદૂક’(the box of the holy ARK)માં યહૂદીઓના ધર્મગ્રંથો રાખવામાં આવે છે. સિનેગૉગના પૂજાગૃહની રચના બાઇબલમાં નિર્ધારિત કરેલી છે. ધર્મગ્રંથોના પઠન સમયે ગ્રંથ મૂકવા માટે જે મેજ હોય છે તેને ‘Alarmar’ કહેવામાં આવે છે. આ મેજને સિનેગૉગની મધ્યમાં મૂકવામાં આવે છે. તેને યજ્ઞવેદીનું પ્રતીક (Altar) ગણવામાં આવે છે. સિનેગૉગના જે સ્થળેથી પ્રાર્થના ગવાતી હોય છે તે વ્યાસપીઠને ‘બિમા’ (Bimah) કહેવામાં આવે છે. જે ગોખલામાં આર્ક (ARK) મુકાય છે તેને હેકલ (Hechal) અથવા કોડેશ (Kodesh) કહે છે. ગુજરાતમાં અમદાવાદમાં ખમાસા પાસે પારસીની અગિયારીની સામે આવેલું સિનેગૉગ ૮મી સપ્ટેમ્બર, ૧૯૩૪માં બંધાયેલું છે અને તે ગુજરાતનું એકમાત્ર સિનેગૉગ છે. તે મેગાન અબ્રાહામ સિનેગૉગ તરીકે ઓળખાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિનેગૉગ, પૃ. ૧૯૭)