Categories
વાચન સમૃદ્ધિ

રામમનોહર લોહિયા

જ. ૨૩ માર્ચ, ૧૯૧૦ અ. ૧૨ ઑક્ટોબર, ૧૯૬૭

ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી ચિંતક, પ્રથમ કક્ષાના રાજકારણી અને સાંસદ તથા પ્રજાકીય આંદોલનના અગ્રણી રામમનોહરનો જન્મ ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેમના પૂર્વજોનો વ્યવસાય લોખંડનો હતો, આથી તેઓની અટક લોહિયા પડી. બાળપણમાં માતા ગુજરી જતાં દાદીએ તેમનો ઉછેર કર્યો. અભ્યાસમાં તેઓ ખૂબ તેજસ્વી હતા, શાળામાંથી જ તેઓ ગાંધીજીના પ્રભાવ હેઠળ આવ્યા. ભારતમાં અંગ્રેજી વિષય સાથે કલકત્તા યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી. ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા અને ૧૯૩૨માં અર્થશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટ પદવી મેળવી. ત્યારબાદ રાજકારણમાં ભાગ લીધો. ૧૯૩૪માં પટના ખાતે સમાજવાદી પાર્ટીની સ્થાપનાનો નિર્ણય લેવાયો, જેમાં તેઓએ સક્રિય ભાગ લીધો. રાજકીય પરિષદના પ્રમુખપદે ચૂંટાયા. ૧૯૩૬માં જવાહરલાલ નહેરુ દ્વારા તેમની વરણી કૉંગ્રેસ સમિતિના વિદેશ સચિવ તરીકે થઈ. બે વર્ષ બાદ તેઓ આ પદેથી મુક્ત થયા. ૧૯૪૦ની સાલમાં યુદ્ધ વિરોધી ભાષણ કરવા બદલ તેમને બે વર્ષ માટે જેલ થઈ. ગાંધીજીએ શરૂ કરેલ ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું, તેમાં લોહિયાએ ગુપ્ત રીતે વિદ્રોહને સંગઠિત કરવાનું કાર્ય કર્યું હતું, તે બદલ તેઓએ જેલવાસ ભોગવ્યો હતો. ૧૯૩૮માં કૉંગ્રેસ પક્ષ છોડ્યા બાદ લોહિયા કૉંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી સાથે જોડાયા. ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં તેમણે કનોજ લોકસભાક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું. ૫૭ વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના નામથી ફૈઝાબાદમાં લોહિયા યુનિવર્સિટી, લખનઉમાં રામમનોહર લોહિયા નૅશનલ લૉ યુનિવર્સિટી, નવી દિલ્હીમાં વિલિંગટન હૉસ્પિટલ ૧૯૭૦થી રામમનોહર લોહિયા હૉસ્પિટલ તરીકે ઓળખાય છે. લખનઉમાં આવેલ મેડિકલ કૉલેજ ડૉ. રામમનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ તરીકે ઓળખાય છે. ૧૯૭૭માં ભારત સરકારે તેમની સ્મૃતિમાં ટપાલટિકિટ બહાર પાડી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જોગ ધોધ

કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : ૧૪° ૧૫´ ઉ. અ. ૪° ૪૫´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી ૧૯ કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી ૨.૫ કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ આશરે ૭૦ મીટર પહોળો છે. ધોધની ઊંચાઈ ૨૫૩ મીટર છે. તે રાજા, રાણી, રૉકેટ અને ગર્જક – એમ ચાર ભાગમાં વહેંચાયેલો છે. ધોધ સુધી પહોંચવા માટે સાગર અથવા તાલગુપ્પા રેલવેસ્ટેશન પર ઊતરી સડક માર્ગ લેવો પડે છે. શરાવતી નદી પર બાંધેલા બંધની જલવિદ્યુતક્ષમતા ૧,૨૦,૦૦૦ કિલોવૉટ જેટલી છે. આ બંધને મહાત્મા ગાંધી જલવિદ્યુત યોજના નામ આપવામાં આવ્યું છે. આ યોજનાની ધોધ પર વિપરીત અસર ન થાય તેની તકેદારી રાખવામાં આવેલી છે.

ભારતના આ સૌથી ઊંચા ધોધ નજીક ગેરસપ્પા ગામ હોવાથી તે ગેરસપ્પાના ધોધ તરીકે પણ ઓળખાય છે. જૂના વખતમાં આ ગામથી ધોધ તરફ જવાનો માર્ગ હતો.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

Categories
વાચન સમૃદ્ધિ

એન્થની વાન ડાઇક

જ. ૨૨ માર્ચ, ૧૫૯૯ અ. ૯ ડિસેમ્બર, ૧૬૪૧

સર એન્થની વાન ડાઇક એક લેમિશ બારોક ચિત્રકાર હતા; જે સ્પેન, નેધરલૅન્ડ્સ અને ઇટાલીમાં સફળતા પ્રાપ્ત કર્યા પછી ઇંગ્લૅન્ડમાં ટોચના પૉર્ટ્રેટ ચિત્રકાર બન્યા હતા. તેમના પિતા એન્ટવર્પમાં રેશમના એક શ્રીમંત  વેપારી હતા. તેઓ પિતાનાં ૧૨ સંતાનોમાંનું સાતમું સંતાન હતા અને તેમણે નાનપણથી જ ચિત્રકામ શરૂ કર્યું હતું. કિશોરાવસ્થાના અંતમાં તેઓ સ્વતંત્ર ચિત્રકાર તરીકે સફળ થયા હતા. એન્થની વાન ડાઇક ૧૮ ઑક્ટોબર, ૧૬૧૭ના રોજ એન્ટવર્પ ગિલ્ડમાં માસ્ટર બન્યા હતા. તે સમયના અગ્રણી ચિત્રકાર પીટર પોલ રુબેન્સના સ્ટુડિયોમાં તેઓ કામ કરતા હતા, જેમનો એમની ચિત્રકલા પર મોટો પ્રભાવ પડ્યો હતો. ૧૬૨૦ના દાયકાના અંતમાં પ્રખ્યાત સમકાલીન લોકોનાં પૉર્ટ્રેટ ચીતરવાની તેમની કલા ખૂબ જ પ્રશંસા પામેલી આઇકોનોગ્રાફી શ્રેણી તેમણે પૂર્ણ કરી હતી. ૧૬૩૦થી ફ્લેન્ડર્સના હેબ્સબર્ગ ગવર્નર આર્ચડચેસ ઇસાબેલા માટે તેમણે કોર્ટ ચિત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. ૧૬૩૨માં ઇંગ્લૅન્ડના ચાર્લ્સ પ્રથમની વિનંતીને માન આપીને મુખ્ય દરબારી ચિત્રકાર તરીકે લંડન પાછા ફર્યા હતા. હોબ્લીન સિવાય વાન ડાઇક અને તેમના સમકાલીન ડિએગો વેલાઝક્વેઝ એવા પ્રથમ પંક્તિના ચિત્રકારો હતા જેમણે મુખ્યત્વે કોર્ટ પૉર્ટ્રેટિસ્ટ તરીકે કામ કર્યું હતું, જેનાથી એ શૈલીમાં મોટી ક્રાંતિ આવી હતી. વાન ડાઇક કુલીન વર્ગનાં ચિત્રો માટે જાણીતા છે. ૧૫૦ વર્ષથી વધુ સમય સુધી અંગ્રેજી પૉર્ટ્રેટ-પેઇન્ટિંગ પર તેમનો પ્રભાવ રહ્યો હતો. તેમણે પૌરાણિક, રૂપકાત્મક અને બાઇબલના વિષયો પર પણ ચિત્રો દોર્યાં હતાં. એન્થની વાન ડાઇકનો પ્રભાવ આધુનિક સમયગાળા સુધી વિસ્તરે છે. હાલમાં પ્રચલિત વાન ડાઇક દાઢીનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમના જીવનકાળ દરમિયાન ચાર્લ્સ પ્રથમે તેમને ‘નાઇટહુડ’નો ઇલકાબ આપ્યો હતો.

અશ્વિન આણદાણી