Categories
વાચન સમૃદ્ધિ

આનો શો ઉપયોગ ?

અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડેએ વિદ્યુત ચુંબકત્વની ઘટના સમજાવવા માટે અનેક પ્રયોગો કર્યા અને એ રીતે વિજ્ઞાનના વિકાસમાં  મહત્ત્વનું પ્રદાન કર્યું. એમણે જીવનનો પ્રારંભ તો બુકસેલર અને બુકબાઇન્ડર તરીકે કર્યો હતો, પરંતુ એકવીસ વર્ષની વયે એમને હૅમ્ફ્રી ડેવીના મદદનીશ તરીકે કાર્ય કરવાની તક મળી. ૧૮૨૧માં ફૅરડેએ વિદ્યુત મોટરના સિદ્ધાંતની શોધ કરી અને તેનું એક પ્રારંભિક મૉડલ બનાવ્યું. બે વર્ષ પછી ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર તેઓ પ્રથમ વિજ્ઞાની હતા. ૧૮૨૫માં એમણે કોલદારમાંથી બેન્ઝિનને અલગ પાડ્યું. એ પછી એમણે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેના આંતરસંબંધો વિશે સંશોધન કર્યું. એક વાર ફૅરડે લોહચુંબકને તારના ગૂંચળા વચ્ચેથી પસાર કરીને ક્ષણિક વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે તેનો પ્રયોગ દર્શાવતા હતા. સહુએ ખૂબ જિજ્ઞાસાથી આ પ્રયોગ જોયો, પરંતુ એ જોઈને એક સ્ત્રીએ આ વિજ્ઞાનીને સવાલ કર્યો. ‘એ લોહચુંબક ક્ષણાર્ધ માટે વિદ્યુત-પ્રવાહ ઉત્પન્ન કરે છે તેનો શો ઉપયોગ ?’ માઇકલ ફૅરેડેએ હસતાં હસતાં ઉત્તર વાળ્યો, ‘એમ તો તરત જન્મેલા બાળકનો કશો ઉપયોગ ખરો ? એ શું કરી શકે ? તમને કઈ મદદ કરે ?’ પોતાના આ ઉત્તર દ્વારા ફૅરડેએ એ મહિલાને સૂચવી દીધું કે હજી તો એમની શોધ તદ્દન પ્રારંભિક તબક્કામાં છે, પણ તેઓ એ દર્શાવવા માગે છે કે એના ઉપયોગની ઘણી મોટી શક્યતાઓ ભાવિના ગર્ભમાં છુપાયેલી છે. આપણે જાણીએ છીએ કે સમય જતાં માઇકલ ફૅરડેએ સૌપ્રથમ ડાયનેમો બનાવ્યો અને આજે પણ એમની સંશોધનની કેટલીક ઘટનાઓ અને તારણોને ‘ફૅરડે ઇફેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

બિસ્મિલ્લાખાં

જ. ૨૧ માર્ચ, ૧૯૧૬ અ. ૨૧ ઑગસ્ટ, ૨૦૦૬

વિશ્વવિખ્યાત શરણાઈવાદક બિસ્મિલ્લાખાંનો જન્મ ડુમરાંવ, બિહારમાં પયગંબરબક્ષખાં અને મિઠ્ઠનબાઈને ત્યાં થયો હતો. જન્મ વખતનું તેમનું નામ કમરૂદ્દીન હતું. તેમના દાદા રસૂલબક્ષખાંએ નવજાત બાળકને જોઈ ‘બિસ્મિલ્લાહ’ એવો ઉદગાર કાઢ્યો અને ત્યારથી તેઓ બિસ્મિલ્લાખાં તરીકે ઓળખાવા માંડ્યા. તેમના દાદા રસૂલબક્ષ તથા પરદાદા ભોજપુર દરબારમાં શરણાઈવાદક હતા. પિતા ઉસ્તાદ પયગંબરબક્ષ પણ સારા સંગીતકાર હતા. બિસ્મિલ્લાખાંએ શરણાઈવાદનની તાલીમ છ વર્ષની ઉંમરથી તેમના મામા ઉસ્તાદ અલીબક્ષ પાસેથી લેવાની શરૂઆત કરી હતી. અલીબક્ષ વારાણસીના કાશીવિશ્વનાથ મંદિરમાં શરણાઈ વગાડતા હતા. બિસ્મિલ્લાખાંએ શરણાઈવાદનની સાથે સાથે એહમદહુસેનખાં પાસેથી શાસ્ત્રીય કંઠ્ય સંગીતની અને હાર્મોનિયમની તાલીમ લક્ષ્મણપ્રસાદ તથા ગ્વાલિયરના ગણપતરાવ ભૈયા પાસેથી મેળવી. મામાની સાથે નાની ઉંમરથી જ અનેક સંગીતસંમેલનમાં હાજર રહેવાની તેમને તક મળી. સખત રિયાઝને પરિણામે આશરે ૧૬ વર્ષની નાની વયે તો તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં કુશળ કલાકાર તરીકે ઓળખાવા લાગ્યા. પ્રયાગ સંગીત વિદ્યાલયના સંગીતસમારોહમાં શરણાઈ વગાડવા માટે તેમને સુવર્ણચંદ્રક મળ્યો અને ત્યારથી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળતી ગઈ અને તેઓ ઉસ્તાદ બિસ્મિલ્લાખાં તરીકે જાણીતા થયા. ૧૯૪૭, ૧૫મી ઑગસ્ટે જ્યારે ભારતનો રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા ઉપરથી ફરકાવવામાં આવ્યો ત્યારે શરણાઈના સૂર રેલાવા બિસ્મિલ્લાખાંને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ૧૯૫૬માં શરણાઈવાદન માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવેલા. તેમણે અમેરિકા, સોવિયેત સંઘ, સાઉદી અરેબિયા તથા ઇરાક જેવા દેશોની યાત્રા કરી હતી અને અપૂર્વ ચાહના મેળવી હતી. આકાશવાણી ઉપરથી પણ તેમના અનેક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવ્યા છે. તેમને મળેલા પુરસ્કારોમાં ‘સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ’ (૧૯૫૬), ‘પદ્મશ્રી’ (૧૯૬૧), ‘પદ્મભૂષણ’ (૧૯૬૮), ‘પદ્મવિભૂષણ’ (૧૯૮૦) અને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’(૨૦૦૧)નો સમાવેશ થાય છે. તેમના મૃત્યુના દિવસે ભારત સરકારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

સસલું

લાંબા કાન, ટૂંકી પૂંછડી અને લીસી રુવાંટી ધરાવતું સસ્તન વર્ગનું પ્રાણી. આ પ્રાણી વિશ્વના ઘણાખરા દેશોમાં મળી આવે છે. પાળેલાં સસલાં (rabbit) દેખાવે રૂપાળાં, સુંવાળાં, સામાન્ય રીતે સફેદ, કથ્થાઈ અને રાખોડી રંગ ધરાવે છે. આ પ્રાણીના ઉપલા હોઠ પર લાંબી ઊભી ફાટ હોવાથી તેના ઉપરના બે દાંત સ્પષ્ટ દેખાઈ આવે છે. જંગલી સસલાની રુવાંટી સામાન્ય રીતે પર્યાવરણમાં ભળતી કાળી બદામી અને ભૂખરી હોય છે. જંગલી સસલાને wild hare કહેવાય છે. સસલાં શાકાહારી છે. તેઓ કૂણું ઘાસ, શાકભાજી, ગાજર જેવાં વિવિધ કંદમૂળો અને અનાજના કુમળા છોડ ખાય છે. સસલું શાંત અને બીકણ પ્રકૃતિનું પ્રાણી છે. તે ઘાસનાં મેદાનોમાં અને ઝાડીઝાંખરાં અને જંગલમાં વસે છે. તે અગ્ર ઉપાંગોની મદદથી જમીનમાં લાંબું દર ખોદીને રહે છે. તે દરમાંથી બહાર આવવાના ઘણા રસ્તાઓ હોય છે, જેથી ભયના સમયે તેને છટકવાનું સહેલું પડે છે. દરમાં એક કરતાં વધારે સસલાં સાથે રહે છે. પોતાના રક્ષણ માટે અસમર્થ હોવાથી સસલું વહેલી સવારે કે મોડી સાંજે ખોરાક મેળવવા માટે દરની બહાર નીકળે છે. આ રીતે સસલું નિશાચર છે. સહેજ અવાજ થતાં તે તુરત જ દરમાં સંતાઈ જાય છે.

સસલું દોડવાને કે ચાલવાને બદલે કૂદકા મારીને પ્રચલન કરે છે. સામાન્ય સંજોગોમાં સસલાની ઝડપ ૧ કલાકના ૪ કિલોમીટર જેટલી હોય છે. ભયજનક પરિસ્થિતિમાં તે ૧ કલાકના ૩૨થી ૪૦ કિલોમીટરની ઝડપે પણ દોડી શકે છે. તે આડું-અવળું દોડી, કૂદકા લગાવી દુશ્મનથી જાન બચાવવાની કોશિશ કરે છે. કૂતરો, વરુ, રાની બિલાડો, બાજ, ગરુડ કે ઘુવડ જેવાં પ્રાણીઓ સસલાનો શિકાર કરે છે. આથી તેની વસ્તી નિયંત્રણમાં રહે છે. સસલાં ખેતીપાકો તથા શાકભાજીની વાડીઓમાં ઘણું નુકસાન કરે છે. સસલાંની વસ્તી ખૂબ ઝડપથી વધી જાય છે. માદા છ મહિનાની થાય એટલે ગર્ભાધાન કરી શકે છે. ગર્ભાધાનનો સમય ૧ મહિનાનો હોય છે, એકીવખતે ૬થી ૮ બચ્ચાંને તે જન્મ આપે છે. નરમાદાની જોડી વર્ષમાં ૪થી ૫ વાર બચ્ચાંને જન્મ આપે છે. માદા પોતાના દરમાં સૂકું ઘાસ પાથરી તેના પર પોતાના વાળ રાખી તેની સુંવાળી, હૂંફાળી ગાદી બનાવે છે. બચ્ચાં જન્મે ત્યારે ખૂબ નબળાં અને માતા પર અવલંબિત હોય છે. માદા સસલી દૂધ પિવડાવીને તેમનું જતન કરે છે. સસલાનો માંસ તથા ફર માટે શિકાર થાય છે. વળી સૌંદર્યપ્રસાધનો બનાવીને તેની અજમાયશ સસલા પર કરવામાં આવે છે અને તે પછી તેનો ઉપયોગ મનુષ્યો માટે કરાય છે. બાળકોને સસલાં પાળવાનું અને તેમની સાથે રમવાનું ગમે છે. બાળકોનાં રમકડાંમાં પણ તેનું સ્થાન ઘણું મહત્ત્વનું હોય છે. બાળવાર્તાઓમાં પણ સસલાનું પાત્ર અચૂક જોવા મળે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી