Categories
વાચન સમૃદ્ધિ

જેલી પ્રાણી

દરિયાઈ પાણીમાં તરતાં કોષ્ઠાંત્રી (coelenterata) સમુદાયના સ્કાયફોઝોઆ વર્ગનાં પ્રાણી. શરીર મૃદુ જેલી જેવાં, આકારે ઘંટી જેવાં. કચ્છના અખાતમાં પાણીના ઉપલે સ્તરે સારી રીતે પ્રસરેલાં હોય છે. ઘણી વાર ઓટ સમયે દરિયાકાંઠે જેલીના લોચા જેવા આકારનાં ઘણાં પ્રાણીઓ નજરે પડે છે. ભરતી વખતે કિનારા તરફ તરીને આવેલાં આ જેલી પ્રાણીઓ ઓટ વખતે દરિયાકાંઠે ફસાઈ જાય છે. સ્વરૂપે તે ઘુમ્મટ, છત્રી કે તકતી જેવા આકારનાં હોય છે. સાયાનિયા આર્કટિકા (cyanea arctica) નામનું જેલી પ્રાણી સૌથી મોટા વ્યાસની છત્રી (૨૦થી ૨૫ સેમી. વ્યાસવાળી) ધરાવે છે. અપવાદ રૂપે કેટલાંક સાયાનિયાનો વ્યાસ ૨ મી. જેટલો હોય છે. સૌથી મોટું ૨.૨૮ મી. વ્યાસનું ૩૬.૫ મી. લાંબું અંગ ધરાવતું જોવા મળ્યું છે. હૃદયની જેમ સ્પંદન કરતું અને ખાબોચિયામાં વાસ કરતું કૅસિયોપિયા જેલી પ્રાણી સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. જેલીની ચપટી તકતી જેવું દેખાતું ૩થી ૬ સેમી. વ્યાસવાળું ઇક્વેરિયા પ્રાણી દરિયાકિનારે જ્યાંત્યાં જોવા મળે છે. ક્યુબોમેડ્યુસી શ્રેણીના ઘન આકારનાં જેલી પ્રાણીઓ (દા. ત., સી – વાસ્પ) પોતાની આસપાસ સંમોહક વિષનો સ્રાવ કરતાં હોય છે. કેટલીક વાર તે માનવી માટે પ્રાણઘાતક નીવડે છે. આમ તો અન્ય કોષ્ઠાંત્રી પણ સંમોહક વિષનો સ્રાવ કરતાં હોય છે. તેથી કિનારે અસહાય સ્થિતિમાં પડેલાં સાયાનિયા જેવાં પ્રાણીઓને બને ત્યાં સુધી અડવું જોઈએ નહિ. પાણીમાં તરતાં આ પ્રાણીઓ નજીકથી પસાર થતાં પગે ખૂજલી આવે છે.

જેલી પ્રાણીઓનું વર્ગીકરણ નીચે જણાવેલી શ્રેણીઓમાં કરવામાં આવે છે : (૧) સ્ટૉરોમેડ્યુસી : છત્રી જેવા આકારનાં, કદમાં નાનાં, વ્યાસ ૨થી ૩ સેમી., તેનાં સૂત્રાંગો (tentacles) ૮ સમૂહોમાં વહેંચાયેલાં હોય છે. (૨) ક્યુબોમેડ્યુસી (કેરિબ્ડેઇડા) : ઘંટી જેવું સ્વરૂપ, પણ ચારે બાજુએથી સહેજ ચપટાં એટલે કે ઘન આકારનાં હોય છે. તેના ચારેય ખૂણેથી એકલ અથવા તો સમૂહમાં સૂત્રાંગો નીકળે છે. દા. ત., સી-વાસ્પ. (૩) કોરોનાટે : શંકુ, ઘુમ્મટ કે ચપટા આકારનું શરીર – કેટલાંક પ્રાણીઓ દરિયાના તળિયે વાસ કરતાં હોય છે. (૪) સિમાઇયોસ્ટોમી : આકારે તેનું શરીર ઘુમ્મટવાળું, ચપટ કે છત્રીના જેવું. આ શ્રેણીનાં મોટા ભાગનાં પ્રાણીઓ ઉષ્ણકટિબંધ પ્રદેશમાં જોવા મળે છે. દા. ત., ઑરેલિયા, સાયનિયા, પેલાજિયા. જેલી પ્રાણીનું શરીર દ્વિસ્તરીય એટલે કે બાહ્ય સ્તર (ectoderm) અને અંત:સ્તર(endoderm)નું બનેલું હોય છે. તેના શરીરના ઉપલા છત્રી જેવા આકારના ભાગને છત્રક કહે છે. તેની નીચેની સપાટીના મધ્યભાગમાં મુખછિદ્ર આવેલું હોય છે. કેટલાંક જેલી પ્રાણીઓમાં મધ્યભાગમાં એક પ્રવર્ધ આવેલું હોય છે અને તેની મધ્યમાં મુખછિદ્ર આવેલું હોય છે. મુખછિદ્રની ફરતે સૂત્રાંગો આવેલાં હોય છે. કેટલાંક પ્રાણીઓમાં આ સૂત્રાંગો ૪, ૬ અથવા ૮ સમૂહોમાં ગોઠવાયેલાં હોય છે. સૂત્રાંગો પરથી ડંખાંગો નીકળે છે, જે સંમોહક વિષનો સ્રાવ કરે છે. સ્નાયુઓની મદદથી આ પ્રાણી તાલબદ્ધ પ્રચલન કરે છે. પ્લવન- ક્રિયા દરમિયાન છત્રક દ્વારા પાણીની સેર છોડી સહેલાઈથી તરતાં હોય છે તેને જલપ્રણોદન (hydropropulsion) કહે છે. એનો ખોરાક સમુદ્રવાસી સૂક્ષ્મજીવો(plankton)નો હોય છે. મુખ, હસ્તો અને સૂત્રાંગોથી ભક્ષ્યને પકડીને ડંખકોષોથી બેભાન કરીને આરોગે છે. પાચન અને પરિવહનતંત્ર સંયુક્ત હોય છે. પાચન કોષ્ઠાંત્ર(coelenteron)માં થાય છે. તે કાર્બોદિતો, તેલો, ચરબી, પ્રોટીન તથા કાઇટિન જેવા પદાર્થોને પચાવી શકે છે. શરીરસપાટી વડે શ્વસન અને ઉત્સર્જન ક્રિયા થાય છે. ચેતાતંત્ર દ્વિશાખિત ચેતાકોષોથી રચાયેલ જાલિકાનું વિકસિત તંત્ર હોય છે. વિવિધ સંવેદનગ્રાહી અંગો હોય છે, જેમાં મુખ્ય સંતુલન અને પ્રકાશગ્રાહી અંગો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જેલી પ્રાણી, પૃ. ૯11)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નયન કાંતિલાલ જૈન

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. ઉપેન્દ્ર ધીરજલાલ દેસાઈ

જ. ૧૦ માર્ચ, ૧૯૨૫ અ. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧

કૉસ્મિક કિરણો, ઇલેક્ટ્રૉનિક્સ અને અવકાશવિજ્ઞાનક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન કરનાર ભારતીય વિજ્ઞાની. તેમનો જન્મ અમદાવાદમાં બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં થયો હતો. ૧૯૪૧માં અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવી મુખ્ય વિષય ભૌતિકશાસ્ત્ર અને ગૌણ વિષય ગણિત સાથે ૧૯૪૫માં બી.એસસી. કર્યું. ૧૯૪૮માં ઇલેક્ટ્રૉનિક્સ સાથે મુંબઈ યુનિવર્સિટીની એમ.એસસી.ની પદવી મેળવી. ત્યારબાદ ભૌતિકશાસ્ત્રના નિર્દેશક તરીકે ગુજરાત કૉલેજમાં જોડાયા. તે સમયે ડૉ. વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં સ્થાપેલી ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી(PRL)માં તેઓ સંશોધનકર્તા તરીકે જોડાયા. તેમના સંશોધનકાર્ય ‘ટાઇમ વેરિયેશન ઑવ્ કૉસ્મિક રેઝ’ માટે ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત થઈ. ૧૯૫૯માં નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સના ફેલો તરીકે નાસામાં જોડાયા. તેઓ ગોડાર્ડ સ્પેસ લાઇટ સેન્ટર(GSFC)માં કૉસ્મિક કિરણોના અભ્યાસ માટે કાર્યરત બન્યા. ૧૯૬૩માં ડૉ. વિક્રમ સારાભાઈના અધ્યક્ષપણા હેઠળ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ (Incospar) અને થુંબા ઇક્વિટોરિયલ રૉકેટ લોન્ચિંગ સ્ટેશન(TERLS)ની સ્થાપના કરી. આ સંસ્થા શરૂ કરવામાં તેમનો ફાળો અત્યંત મહત્ત્વનો બની રહ્યો. ત્યાર બાદ તેમણે અમેરિકા ખાતે કાયમી વસવાટ કર્યો અને નાસામાં કાર્યરત રહ્યા. અમેરિકાએ અવકાશમાં છોડેલા ઍપોલો-IIની ઇલેક્ટ્રૉનિક્સની તમામ કામગીરી તેમણે સંભાળી હતી. તેમના સહયોગથી ભારતમાં પણ પહેલું રિસર્ચ રૉકેટ થુમ્બા સ્ટેશનેથી છોડવામાં આવેલું. ડૉ. ઉપેન્દ્ર દેસાઈએ કૉસ્મિક કિરણો, ઇલેક્ટ્રૉનિક્સ અને અવકાશસંશોધનને લગતા લેખો લખ્યા છે. સ્વાવલંબી, પરોપકારી અને સાદગીસભર જીવન જીવનાર ડૉ. દેસાઈ અમેરિકામાં રહીને પણ ભારતીય સંસ્કારો સાથે જોડાયેલા રહ્યા. વિજ્ઞાનક્ષેત્રે કરેલા બહુમૂલ્ય પ્રદાન બદલ ૧૯૮૧માં તેમને વિશ્વગુર્જરી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

યોગ્ય વળતર

અમેરિકાના પ્રમુખ થયા પૂર્વે અબ્રાહમ લિંકન (ઈ. સ. ૧૮૦૯થી ૧૮૬૫) એક સફળ અને નામાંકિત વકીલ હતા. એ સમયે વકીલાતનો વ્યવસાય પ્રમાણિક ગણાતો નહીં. એમાં કાવાદાવા અને છેતરિંપડી ચાલતાં હતાં. સામા પક્ષના સાક્ષીઓને ફોડવા માટે લાંચરુશવત પણ અપાતી હતી. ખોટા કેસને બુદ્ધિચાતુર્યથી કે આક્રમક દલીલબાજીથી સાચા સાબિત કરવાની પેંતરાબાજી પણ થતી, ત્યારે અબ્રાહમ લિંકન કદી પ્રલોભનને વશ થયા નહીં. હીન પ્રણાલીથી અળગા રહ્યા. આ વ્યવસાયને એમના માનવતાવાદી હૃદયસ્પર્શથી એક ગૌરવ અપાવ્યું. પોતાના અસીલની સ્થિતિ પ્રમાણે એની પાસેથી એ વકીલાતની ફી લેતા. કેટલાક કેસમાં તો એ ફી જતી પણ કરતા, પરંતુ જો કોઈ એમના કામની કિંમત ઓછી આંકે અને હાથે કરીને કે ઉપેક્ષાભાવથી મળવી જોઈએ એના કરતાં ઓછી ફી આપવાનો પ્રયત્ન કરે, તો એને બરાબર પદાર્થપાઠ પણ શીખવતા. એક રેલવે કંપનીએ અબ્રાહમ લિંકનને સરક્યૂટ કોર્ટમાં પોતાના વતી કેસ લડવાની કામગીરી સોંપી. અબ્રાહમ લિંકનની સામે ઘણા સમર્થ અને નામાંકિત વકીલો હતા. આ કેસમાં લિંકનની હાર થઈ, પરંતુ એમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી અને જીત મેળવી. તેને પરિણામે કંપનીને લાખો ડૉલરનો ફાયદો થયો. અબ્રાહમ લિંકને રેલવે કંપનીને બે હજાર ડૉલરની ફીનું બિલ મોકલ્યું, ત્યારે રેલવેના મૅનેજરે કહ્યું, ‘આટલી બધી ફી હોય ? આટલી ફી આવા સામાન્ય વકીલને ન અપાય.’ એમ કહીને લિંકનને એની ફી પેટે બસો ડૉલરનો ચેક મોકલી આપ્યો. લિંકને જોયું કે આ મૅનેજરને એમના કામની કશી કદર નથી. કંપનીને લાખો ડૉલરનો ફાયદો કરી આપ્યો, છતાં માત્ર બસો ડૉલરનો ચેક મોકલ્યો છે. આજે મારી આવી અવગણના કરે છે. આવતીકાલે બીજાની પણ કરશે. આથી લિંકને રેલવે કંપની પર પાંચ હજાર ડૉલરનો દાવો માંડ્યો. લિંકન એ કેસમાં જીત્યા. બે હજારને બદલે એમને પાંચ હજાર ડૉલર મળ્યા.

કુમારપાળ દેસાઈ